= = = = નિરાશાવાદી ભાસે પણ સત્ય લગી દોરી જાય એવા સુ-ગમ્ભીર સાર્ત્રની આ વાતોને વર્તમાન કોરોના-હોનારત સાથે જોડીએ તો = = = =
= = = = મનુષ્ય આવી અકળ અકલ્પનીય અનિશ્ચિતતામાં આ પહેલાં ક્યારે ય સપડાયો નથી = = = =
આ મહામારીનો કોઈ ઉકેલ જણાતો નથી. એને કુદરતી હોનારત ગણવી કે મનુષ્યજાતિની પ્રકાર પ્રકારની આડોડાઈઓમાંથી જનમેલું મહાસંકટ ગણવું?
કોરોના નામનો આ સર્વેસર્વા અદૃશ્ય છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન પણ છે, કેમ કે પ્રાણ હરી લેતાં એને કશી વાર નથી થતી.
એના પ્રતાપે ચોપાસ અનિશ્ચિતતાઓ ડાચાં ફાડીને ઘુરકી રહી છે : લૉકડાઉન (‘લોક’ડાઉન લખે છે તે લખનારા ય સાચા તો છે – કેમ કે ‘લોક’ સમસ્ત ડાઉન છે !) ક્યારે પતશે? એને આગળ ધકેલાશે કે કેમ? યાતાયાત ક્યારે શરૂ થશે, એક શ્હૅરથી બીજે શ્હૅર વ્હાલાંને મળવા ક્યારે જવાશે? ફ્લાઇટ્સ ક્યારે? વિદેશે સ્વજનો પાસે પ્હૉંચાશે ક્યારે? અને આ મહામહિમ કોરોના ધરતી પરથી વિદાય લેશે ક્યારે? કશું જ નક્કી નથી. મનુષ્ય આવી અકળ અકલ્પનીય અનિશ્ચિતતામાં આ પહેલાં ક્યારે ય સપડાયો નથી.
એટલે ઘરમાં રહ્યે રહ્યે મારાથી તો એક જ જગ્યાએ જવાય છે – સાહિત્યકલાસંસારમાં. પણ આજે મને થયું કે લાવો, મહાન તત્ત્વવેત્તાઓએ એમનાં ચિન્તનમાં કુદરતી કે મનુષ્યસર્જિત હોનારત વિશે શું કહ્યું છે તે જાણું. આજે એ અંગે, મેં જાણ્યું સાર્ત્ર પાસેથી; આ પ્રમાણે :
ઘણાઓને સાર્ત્ર નિરાશાવાદી ચિન્તક લાગ્યા છે. એમનાં મન્તવ્યો પણ ગહન હોય છે. ‘નૉસીઆ’ નવલકથામાં એક વિધાન છે : છે એ દરેક વસ્તુના જન્મને કોઈ કારણ નથી, નબળાઈને લીધે એ વિસ્તરીને ટકી જાય છે, અને બાય ચાન્સ, મરી જાય છે : ‘ઇન કૅમેરા’ નાટકમાં એક વાક્ય છે : હેલ ઇઝ અધર પીપલ – બીજા જન તમારું નર્ક છે : ઉપરાન્ત, એમના બધાં પ્રારમ્ભિક મન્તવ્યો પણ ઘણાને અસાધારણ લાગેલાં. જેમ કે – આપણે ઈશ્વર વગરની દુનિયામાં વસીએ છીએ – વિશ્વ અર્થવિહીન છે – આપણે સ્વતન્ત્ર છીએ પણ એ શાપ છે.
ફ્રાન્સના આત્માના 'વૉલ્ટેર' કહેવાયા તે સાર્ત્ર
સાર્ત્ર સરવાળે તો એમ કહેવા માગે છે કે બધા અર્થ કે બધાં મૂલ્યો માણસે સરજ્યાં છે. આપણને મળેલી સ્વતન્ત્રતા ભલે શાપિત છે પણ એ સ્વતન્ત્રતા તો છે જ. એટલે, આપણે જે કરવું હોય એ કરી શકીએ છીએ બલકે વિશ્વને બદલી પણ નાખી શકીએ. વાતનો મતલબ શું? એ જ છે કે વિશ્વ આજે જેવું છે એ માટે જવાબદાર કોઈ હોય તો તે આપણે જ છીએ. યુદ્ધો ભૂખમરો શોષણ કે દમન માટે જવાબદાર કોઈ હોય તો તે આપણે જ છીએ.
સાર તો સાર્ત્ર એ પકડાવે છે કે એ સ્વતન્ત્રતાને સુખિયાની જેમ ન ભોગવ્યા કરો, પણ એને એક ‘ઍન્ગ્વિશ’ એટલે કે પીડા અથવા, દેસીમાં કહું તો, 'કઢાપો' ગણીને ચાલો. કેમ કે સ્વતન્ત્રતાનું તો સમજ્યા પણ જવાબદારીઓ વૅંઢારવાને તો આપણે કેટલીયે વાર રાજી નથી હોતા, ઘણીયે વાર નામક્કર જઈએ છીએ – સાર્ત્ર એને ‘બૅડ ફેઇથ’ કહે છે.
હવે આ માણસને આપણે પૂછીએ કે કુદરતી હોનારત વિશે તમે અમને શું કહો, મિસ્ટર સાર્ત્ર; તો એઓ શું કહે, એ જાણવા જેવું છે. એમણે કહ્યું છે : ઇટ ઇઝ મૅન હું ડિસ્ટ્રોઇઝ હિઝ સિટીઝ થ્રુ ધી ઍજન્સી ઑફ અર્થક્વેક્સ – ધરતીકમ્પો દ્વારા પોતાનાં શ્હૅરોને નષ્ટભ્રષ્ટ કરનાર, માણસ છે.
અઘરું છે પણ મને અને તમને સમજાય એવું છે કે માણસો ન હોય તો ધરતીકમ્પની શી અગત્ય? ધરતીકમ્પ તો એક સાવ સ્વાભાવિક કુદરતી ઘટનાથી વધારે શું હોય છે? કંઈ નહીં ! આપણાં મલ્ટિ-સ્ટોરી બિલ્ડિન્ગ્સ, આપણા ટ્રાફિક્સ, આપણા સ્ટેટ હાઇ-વે ને નેશનલ હાઇ-વે, આપણી મૅટ્રોઝ, આપણી સુપર-ફાસ્ટ ટ્રેનો, આપણાં મૉલ્સ, આપણાં વિસ્તરી વિસ્તરીને એકાચાર થઈ રહેલાં નગરો – વગેરે વગેરે જે કંઇ આપણા પ્ર-ગતિકારી પ્રોજેક્ટ્સ છે એને હાનિ પ્હૉંચાડનારા ધરતીકમ્પોને જ હોનારત કહેવાય. એને ‘કુદરતી’ કહીએ છીએ ત્યારે આપણે એક મોટા કદના બૅડ ફેઇથની છતરી ઓઢી લીધી હોય છે.
નિરાશાવાદી ભાસે પણ સત્ય લગી દોરી જાય એવા સુ-ગમ્ભીર સાર્ત્રની આ વાતોને વર્તમાન કોરોના-હોનારત સાથે જોડીએ તો કેવોક બોધ લાધશે? સમજાય એવું છે.
પણ જવા દો, નહીં ફાવે, ગળે જલ્દી નહીં ઊતરે …
બાકી, અનિશ્ચિતતા જેવો જ મારી શેરીએ અસહ્ય સન્નાટો છે. સવાર તો ઠીક પણ બપોર અને સાંજ વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો છે. દિવસ દરમ્યાન એક કામની પાછળ બીજું લાઇનમાં આતુર ભાવે મને જોતું ઊભું જ હોય છે. રાત ક્યારે શરૂ થઈ જાય છે, નથી ખબર પડતી. ઊંઘી જવું પણ એક કામ હોય છે કેમ કે એ કામ ન કરીએ તો આવતીકાલનાં કામો રખડી પડે. આ મારી સામે છે તે શાળા બંધ છે. એની બંધ બારીઓ પાછળ જ્ઞાન કૅદ છે. એનાં કબાટોમાં પુસ્તકો સભ્યતાની મશ્કરી કરવાને ભેગાં બેસીને મરક મરક હસી રહ્યાં છે. વૃક્ષો પવનની રાહમાં અડગ ઊભાં છે. કેટલીયે કારો સૂમસામ બેઠી છે. બાઇકો કશું પણ બોલવા નથી માગતી. આ તો સન્નાટાના શ્હૅરનો એક સ્પેસિમૅન છે.
અને મારી શેરીનો કાગડો …
પણ આ જુઓ, એક કૂતરું લબડતી જીભે જલ્દી જલ્દી જઈ રહ્યું છે. એને શેની ઉતાવળ હશે? અને સાંભળો, ક્યાંક કાગડાએ ક્રા ક્રા કરી. અને, મને એ જીવ બહુ ગમ્યો …
= = =
(April 22, 2020 : Ahmedabad)