૨૦૧૪માં સત્તાનશીન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘મનરેગા’ને કૉન્ગ્રેસની વિફળતાનું જીવંત સ્મારક અને ખાડા ખોદવાની યોજના ગણાવી હતી. કોરોના મહામારીના કાળમાં શહેરોમાંથી ગામડાંઓમાં પલાયન કરી આવેલા સ્થળાંતરિત શ્રમિકોની રોજી માટે એ જ મનરેગાનું શરણું સરકારે લેવું પડ્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ તેના માટે રૂ.૪૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે
ભારતીય સંવિધાન નાગરિકોને દેશના કોઈ પણ ખૂણામાં ધંધો-વ્યવસાય-રોજગાર કરવા સ્વતંત્ર હોવાનો અધિકાર આપે છે. પરંતુ નાગરિકોને રોજગારનો અધિકાર આપતું નથી. કૉન્ગ્રેસના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારે ૨૦૦૫માં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ (નરેગા) ઘડ્યો હતો. લોકસભાએ પસાર કરેલો આ કાયદો, પહેલીવાર ગ્રામીણ ભારતના નાગરિકોને સરકાર પાસે રોજગાર માંગવાનો અને વિકલ્પે બેરોજગારી ભથ્થું આપવાનો અધિકાર આપે છે. અર્થશાસ્ત્રી જ્યાં દ્વેજના ભેજાની પેદાશ મનાતો આ કાયદો દેશમાં રોજગારની માંગ કરતાં દીર્ઘ આંદોલનો અને નાગરિક સમાજની માંગની નીપજ છે. બીજી ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ દેશના ૨૦૦ જિલ્લાથી નરેગાનો આરંભ થયો હતો. ૨૦૦૭-૦૮માં બીજા તબક્કામાં તેમાં ૧૩૦ જિલ્લા ઉમેરાયા હતા. એપ્રિલ ૨૦૦૮ના ત્રીજા તબક્કામાં તેનો વ્યાપ વધીને ૫૯૩ જિલ્લાનો થયો હતો. બીજી ઓકટોબર ૨૦૦૯ના રોજ આ કાયદા સાથે મહાત્મા ગાંધીનું નામ જોડવામાં આવ્યું હતું એટલે હવે તે ‘મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ’ (મનરેગા) તરીકે ઓળખાય છે. સરકારી આંકડાઓ મુજબ આજે મનરેગા યોજના દેશના ૬૯૩ જિલ્લાના ૬,૯૭૪ તાલુકાની ૨,૬૫,૦૦૭ ગ્રામ પંચાયતોમાં અમલી છે.
‘મનરેગા’ હેઠળ ગામડાંના અકુશળ બેરોજગારો ગ્રામ પંચાયત પાસે કામની માંગણી કરી શકે છે. સરકારે તેને ફરજિયાત ૧૦૦ દિવસની રોજી અથવા બેરોજગારી ભથ્થું આપવું પડે છે. મનરેગા કામદારોને જોબકાર્ડ આપવામાં આવે છે. આ જોબકાર્ડ પરિવાર દીઠ આપવામાં આવે છે. જેમાં પરિવારના ત્રણથી ચાર સભ્યો(પતિ, પત્ની અને અવિવાહિત પુખ્ત સંતાનો)નો સમાવેશ થાય છે. દેશમાં આજે ૧૪.૦૪ કરોડ જોબકાર્ડ ઈસ્યુ થયાનું સરકારનું કહેવું છે. એટલે કે ૨૭.૩૪ કરોડ કામદારો મનરેગામાં કામ કરે છે. સતત ત્રણ વરસથી મનરેગામાં કાર્યરત પરિવારને એકટિવ જોબકાર્ડધારક કહેવામાં આવે છે. દેશમાં એકટિવ જોબકાર્ડની સંખ્યા ૮.૦૩ કરોડ અને તે હેઠળ કાર્યરત શ્રમિકોની સંખ્યા ૧૨.૩૭ કરોડ છે. આ આંકડા મનરેગાને દુનિયાની સૌથી મોટી રોજગાર યોજના પૂરવાર કરે છે.
ગ્રામ્ય ભારતના લોકો અન્ય રોજગારના અભાવે મનરેગામાં કામ કરતા હોય છે. મનરેગા મજૂરોને લઘુતમ વેતન કરતાં પણ ઓછું વેતન મળે છે. અત્યાર સુધી મનરેગા શ્રમિકોને દૈનિક રૂ.૧૮૨ વેતન મળતું હતું. તાજેતરમાં જ સરકારે તેમાં રૂ.૨૦નો મામૂલી વધારો કર્યો છે. એટલે હવે મનરેગા મજૂરોનું રોજનું રૂ.૨૦૨નું વેતન નક્કી કરવામાં આવ્યું છે. જો કે દેશના તમામ રાજ્યોમાં એક સરખું વેતન મળતું નથી. દેશમાં મનરેગા મજૂરોને સૌથી વધુ વેતન કેરળમાં અને સૌથી ઓછું રાજસ્થાનમાં મળે છે. આ યોજનામાં શ્રમિકોના વેતનનો ૬૦ ટકા હિસ્સો અને કામ માટેના સાધનોના ખર્ચનો પોણો હિસ્સો કેન્દ્ર સરકાર ચૂકવે છે.વડાપ્રધાને મનરેગાની મજાક કરતાં તેને ખાડા ખોદવાની યોજના ગણાવી હતી પરંતુ મનરેગા હેઠળ ઘણાં મહત્ત્વનાં વિકાસ કામો થાય છે. સડક નિર્માણ, તળાવો ઊંડા કરવા, મકાન બાંધકામ, વનીકરણ, સિંચાઈ, નહેરસફાઈ પૂર નિયંત્રણ, જળ સંગ્રહ, અને સંવર્ધન તેમ જ અન્ય પર્યાવરણીય કામો તો થાય જ છે. બી.જે.પી. સરકારે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત યોજનાને પણ જોડી છે. છેલ્લા પંદરેક વરસોમાં મનરેગા યોજનામાં સમગ્ર દેશમાં ૪૬૦ લાખ કામો થયાનો અંદાજ છે.
બેંગલુરુની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટના સર્વે મુજબ ૧૩મી એપ્રિલથી ૯મી મે ૨૦૨૦માં ૫૭ % ગ્રામીણ અને ૮૦% શહેરી શ્રમિકોએ રોજી ગુમાવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦ની તુલનામાં તે પછીના મહિનાઓમાં તેમની આવક ૬૩ % ઘટી હતી. આ સ્થિતિમાં મનરેગા તેમના માટે મદદગાર, તારણહાર અને જીવાદોરી બની રહી છે. દેશના જે રાજ્યોમાં સ્થળાંતરિત શ્રમિકો મોટા પાયે પરત આવ્યા છે તેમને રાજ્ય સરકારોએ મનરેગામાં કામ આપ્યું છે. મે-૨૦૧૯માં મનરેગામાં ૩૬.૯ કરોડ કાર્ય દિવસો મે-૨૦૨૦માં વધીને ૪૧.૭૭ કરોડ થયા છે. એટલે કે ૪.૮ કરોડ કાર્યદિવસોનો વધારો થયો છે. ગયા વરસના મે મહિનામાં ૨.૧૨ કરોડ કુટુંબો લાભાર્થી હતા જે આ વરસે ૨.૮ કરોડ થયા છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ,, ઓડિસા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં મોટા પાયે મનરેગાના કામો આરંભાયાં છે.
મનરેગાની અનેક સકારાત્મક અસરો છતાં તે રોજગારનું મુખ્ય સાધન બની રહેલ નથી. તે જીવનધોરણ ટકાવી શકે છે પણ સુધારી શકતું નથી. સંકટ સમયની સાંકળ કે પૂરક રોજીનું તે સાધન છે. તેનાથી બહેતર જીવનની ખાતરી મળતી નથી. તેનાથી ગરીબી, કુપોષણ અને ભૂખમરો કંઈક અંશે ઘટે છે એટલું જ એથી વિશેષ કશું જ નહીં. મનરેગા મજૂરોમાં ૩૩ %ને બદલે મહિલાઓની ભાગીદારી ૫૦ % જેટલી ઊંચી છે. તો દલિત-આદિવાસી શ્રમિકો પણ ૪૮% જેટલો ઊંચો દર ધરાવે છે. પણ દેશના મોટા અને મોંઘા શ્રમ બજારમાં તેમની ઉપયોગિતા નથી એટલે તેમને અહીં રહેવું પડે છે કે કેમ તે જોવું રહ્યું. જો કે મનરેગાએ ગ્રામીણ શ્રમબજારના મજૂરીના દરમાં વૃદ્ધિની ફરજ પાડી છે, રોજગાર નિર્માણ થકી સમાવેશી વિકાસ સાધી, ગરીબી નાબૂદ કરી, શ્રમિકોની સોદાબાજીમાં વધારો કર્યો છે.
આ યોજનાની ખામીઓ પણ બહુ મોટી છે. ભ્રષ્ટાચાર, અપારદર્શિતા, વેતન ચૂકવણામાં વિલંબ અધૂરા કામો, મંજૂરી વગરના કે બિનઉપયોગી કામો પ્રમુખ ખામીઓ છે. આજે શ્રમિકને જીવન ટકાવવા તાત્કાલિક નાણાંની જરૂર છે ત્યારે અઠવાડિક મજૂરીની ચૂકવણી કે કુંટુંબ દીઠ જોબકાર્ડ અને કામ માંગવાની અને મંજૂરીની પ્રક્રિયા પણ કામદારને પરેશાન કરનારી છે. મનરેગાના વિરોધીઓ તેને શ્રમિકને એક રૂપિયો આપવા માટે પાંચ રૂપિયાનો ખર્ચ કરાવનારી યોજના ગણે છે તો સમર્થકો તેને ગ્રામીણ કામદારોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણનાર ગણે છે. હાલની સરકાર આ યોજના માટે બહુ ઉત્સાહી લાગતી નહોતી. ૨૦૧૯-૨૦માં મનરેગામાં રૂ.૭૧,૦૦૨ કરોડનો ખર્ચ થયો હતો. સામાન્ય રીતે નવા બજેટમાં ખર્ચ જેટલી કે તેનાથી વધારે બજેટ જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ કેન્દ્રના ૨૦૨૦-૨૧ના બજેટમાં ખર્ચ કરતાં જોગવાઈ ઘટાડીને રૂ.૬૧,૫૦૦ કરોડ કરી હતી. જી.ડી.પી.ના માંડ ૦.૩ ટકા ખર્ચથી ૭ કરોડ પરિવારોને રોજી મળતી હોય તે યોજનાને બહેતર બનાવવી સરકારના લાભમાં છે. યુ.પી.એ. સરકારે ૨૦૦૮થી ૨૦૧૪ના વરસોમાં ૧.૯૧ લાખ કરોડ મનરેગા પાછળ ખર્ચ્યા હતા. બી.જે.પી. સરકારને ૨૦૧૪થી ૨૦૨૦માં ૨.૯૫ લાખ ખર્ચીને વિફળતાના સ્મારકને અકબંધ જ નહીં બહેતર બનાવવાની ફરજ પડી છે.
(તા.૨૪-૦૬-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 24 જૂન 2020