Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્યજ્યોત (૨૬) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સંકેતવિષયક વિશ્લેષણ 

સુમન શાહ|Opinion - Literature|16 January 2023

સૅમિયોટિક ઍનાલિસિસ શું છે એ માટે સંકેતવિજ્ઞાન શું છે તે જાણવું જોઈશે. બહુ મોટો વિષય છે પણ એનો પાયો શું છે તે જાણી લઈએ, તો હાલ પૂરતું બસ થશે.

એ સંકેતોનું વિજ્ઞાન છે. ભાષાવિજ્ઞાન શબ્દોનું વિજ્ઞાન છે પણ શબ્દો ય સંકેતો છે. એટલે ભાષાવિજ્ઞાનને સંકેતવિજ્ઞાનની છતરી હેઠળ મૂકીએ છીએ. પણ શબ્દ અર્થ આપે છે તેમ દરેક સંકેત પણ અર્થ આપે છે. શબ્દ ઉપરાન્ત રંગ, ફૅશન, પહેરવેશ, અવાજ, દૃશ્ય, ક્રિયા, પ્રવૃત્તિ, હાવભાવ; વળી, ચીજવસ્તુઓ કે પરિસ્થિતિઓ પણ સંકેતો છે અને તે પણ અર્થ આપે છે.

ત્યારે એ દરેકને સંકેતક કહેવાય છે અને જે મળે કે સંકેતાય તેને સંકેતાર્થ કહેવાય છે. સંકેતક અને સંકેતાર્થથી સંજ્ઞા બને છે જેને સાઈન કહીએ છીએ.

આ પાયાની ભૂમિકા છે.

પ્રકૃતિ સંસ્કૃતિ સમાજ કે મનુષ્યજીવનની ચોપાસ જે કંઈ છે તે સંજ્ઞાઓ છે. સંકેતવિજ્ઞાન એક વિદ્યાશાખાની રીતેભાતે તેનું અધ્યયન કરે છે અને તેનો પરામર્શ કરે છે.

કેન્દ્રવર્તી પ્રશ્ન આ છે : સંજ્ઞાઓ અર્થ કેવી રીતે ઘડે છે? અથવા, સંકેતકો સંકેતાર્થ પ્રગટાવે છે ત્યારે શી પ્રક્રિયા સંભવે છે.

‘સૅમિઓટિક ઍનાલિસિસ’ને ‘સંકેતવિષયક વિશ્લેષણ’ કહીશું. એવું વિશ્લેષણ કરનાર વ્યક્તિ બે વસ્તુઓ કરશે :

૧ : સંજ્ઞાઓના અર્થ જાણીને સંજ્ઞાઓને સમજશે અને તેનું અર્થઘટન કરશે :

૨ : સંજ્ઞા સંજ્ઞા વચ્ચે, સંજ્ઞાતન્ત્ર સંજ્ઞાતન્ત્ર વચ્ચે, કેવાક સમ્બન્ધ છે.

મેં ‘સંજ્ઞાતન્ત્ર’ શબ્દ વાપર્યો તો એથી શું સમજવાનું? અંગ્રેજીમાં એ ‘સાઈન સિસ્ટમ’ કહેવાશે એ તો ખરું પણ સંકેતવિજ્ઞાનીઓ પણ ‘સાઈન સિસ્ટમ’ જ પ્રયોજશે, કેમ કે એથી શાસ્ત્રીયતા સચવાય.

ભાષા પોતે જ એક સંજ્ઞાતન્ત્ર છે. પણ મેં આ અગાઉના લેખમાં આપેલાં દષ્ટાન્તો સંજ્ઞાતન્ત્રનાં છે, જેમ કે, મન્દિરનો ઘંટ. ખોપરી અને તેની નીચે ક્રૉસમાં ચીતરેલાં બે હાડકાં. હથેળીનાં વચલાં બે આંગળાં પોતાની તરફ હલાવીને બોલાવે; કોઈ પોતાને હોઠે આંગળાં ચૉંટાડીને તરત તમારી તરફ મોકલે, તો એ બધા હાવભાવ સંજ્ઞાતન્ત્ર છે. બધા વિદ્વાનો લાલ પીળા અને લીલા રંગના ટ્રાફિક સિગન્લનું દૃષ્ટાન્ત આપે છે એ પણ સંજ્ઞાતન્ત્ર છે.

મેં અગાઉના લેખમાં, ગુજરાતી ભાષાના આ બધા પ્રયોગો દર્શાવેલા : પેટ ‘ઠોકીને’ ખાધું : એ બાંગડને મારા ‘તાબામાં’ રાખીશ : સરખું વરત ને, શું ‘ગોથાંપિલ્લાં’ કર્યા કરે છે? : લોહી ‘પી’ ગ્યો : ‘ધૂનમાં ને ધૂનમાં’ હું એ બાજુ ચાલી ગયો : મારા બેડરૂમમાં આમ ‘ચોરપગલે’ નહીં આવવાનું : મારું ‘માથું’ ન ‘ખા’ :  પેલાએ મનુને એવી ‘ફાચર’ મારી કે વાત પતી ગઈ : તેં ‘બાફ્યું !’ જોજે હવે તારી શી ‘વલે’ થાય છે.

એ દરેક પ્રયોગનું એક સાદું સંકેતવિષયક વિશ્લેષણ કરી શકાય. નમૂના દાખલ આ જુઓ :

પેટ ‘ઠોકીને’ ખાધું -માં પેટ, ઠોકવું અને ખાવું -ને કામચલાઉ ધૉરણે સંજ્ઞાઓ ગણી લઈએ.

પેટ મનુષ્યશરીરનો એ ભાગ છે જ્યાં ખોરાક પહૉંચે છે અને ચયાપચયની પ્રક્રિયાથી શરીરને શક્તિ મળે છે. પેટ સંજ્ઞાનો અર્થ જઠર કાળજું સ્વાદુપિણ્ડ તથા નાના અને મોટા આંતરડાં વગેરે પણ છે.

ઠોકવું-નો અર્થ છે, કશાક વડે કશાક પર હળવો કે ભારે ઘા કરવો. ઘણ પર હથોડો ઠોકાય, લાકડામાં ખીલો કે ખીલી ઠોકાય, તો ઠોકવું-નો અર્થસંકેત તે વખતે વાપરેલા બળ કે દબાણને કારણે બદલાય છે.

હવે, પેટ પર તો કશું ય ઠોકવામાં આવતું નથી તો પણ ‘પેટ ઠોકીને ખાધું’ એમ કહેવાય છે ત્યારે ઠોકવું સંજ્ઞાનો અર્થ સાવ જ બદલાઈ જાય છે બલકે એ મૂળ અર્થ રહેતો જ નથી. સંકેતવિજ્ઞાની એને connotation કહેશે – addition to denotation. (સંસ્કૃત કાવ્યશાસ્ત્રી એમાં મુખ્યાર્થબાધ જોશે અને લક્ષ્યાર્થ શોધશે).

મારા જેવો વિશ્લેષક ત્રીજી સંજ્ઞા ખાવું ભણી જોવા માંડશે. મને પ્રશ્ન થવાનો – ખાનારે ખોરાકને તો ઠોક્યો નહીં હોય ને ! એમ કહેતાં મને સમજાય છે એમ કે એનું પેટ ખોરાકને જેટલો સહી શકે એટલો દાબ આપીને એણે ખાધા કર્યું હશે. ઠોકવું એટલે દબાવવું અને તે પણ દાબના એક પણ સાધન વિના !

Pic courtesy : Google Images

પણ સાધન વિના દબાવાય કેવી રીતે? મને એમ વિચારવાની ફરજ પડે છે કે એના હાથે મૉંએ જીભે દાંતે એ દાબનું કામ કર્યું હશે. જો કે એ અંગો સામાન્યપણે એ કામ વત્તે ઓછે અંશે કરતાં જ હોય છે.

તો? સ્વાદ અથવા ભૂખે એ કામ કરેલું. એ એવો સ્વાદિલો હતો કે ખાવા દરમ્યાન મળેલા વિવિધ પ્રકારના સ્વાદનો માર્યો ઘણું ખાઈ ગયેલો. એ જાતે એટલો સમ્પન્ન હશે અથવા એને ખવરાવનાર એટલો શ્રીમન્ત હશે. અથવા એ અતિથિ બ્રાહ્મણ હશે ને યજમાન વણિક હશે. પણ જો દાબ આપવાનું કામ ભૂખે કર્યું હોય તો એ ઉપવાસી હોવો જોઈએ અથવા ગરીબ ભિખારી; કે પછી સ્થૂળકાય ભૂખારવો.

સંકેતવિષયક વિશ્લેષણમાં સંજ્ઞાઓને સંજ્ઞાતન્ત્રના એકમો તરીકે તો જોવાય જ છે પણ આમ તેમની વચ્ચેના સમ્બન્ધોને પણ ઉકેવાના હોય છે. પરિણામે, દરેક સંજ્ઞાને અદકરો અર્થ મળે છે.

સંકેતવિજ્ઞાન એમ નિર્દેશ આપે છે કે કોઈપણ સંજ્ઞા કદી પણ અર્થ પરત્વે સ્વાયત્ત નથી હોતી, એને હમેશાં સંલગ્ન સંજ્ઞાઓથી પ્રભાવિત થવું પડે છે. એટલે આ સ્વરૂપના વિશ્લેષક પાસે ભાષાવિજ્ઞાન ઉપરાન્તની વિદ્યાશાખાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ.

જેમ કે, મેં હળવી રીતે, કદાચ ઝીણો શાસ્ત્રદ્રોહ કરીને, વિશ્લેષણ કર્યું પણ હું જો સમ્પન્ન-શ્રીમન્ત, બ્રાહ્મણ-વણિક અને ભિખારી વિશેના સમાજવિજ્ઞાનને જાણતો ન હોઉં તો મારું વિશ્લેષણ મનઘડંત ઠરે. મેં તો ભૂખારવો અને ઉપવાસી કહીને ખાનપાનની સનાતની શૂચિતાનો ઇશારો પણ કરી દીધો ! 

સંકેતવિજ્ઞાનનો આમ તો જીવન સમગ્ર સાથેનો પણ સવિશેષે નૃવંશવિજ્ઞાન મનોવિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથેનો સમ્બન્ધ નૉંધપાત્ર ઠર્યો છે તે આ કારણે. 

અમેરિકન ફિલસૂફ અને પ્રૅગ્મેટિક્સના ‘ફાધર’ ચાર્લસ સૅન્ડર્સ પર્સ પણ સંકેતવિજ્ઞાની હતા. એમને વિશેષ રુચિ હતી તર્કવિજ્ઞાનમાં જ્યારે સૉસૂરને હતી ભાષાવિજ્ઞાનમાં. તેમ છતાં, બન્ને મનીષીઓ એક હકીકત વિશે એકમત હતા કે વાણી અને લેખન પર્યાપ્ત નથી, મનુષ્યો બીજી અનેકાનેક રીતે અર્થો સરજે છે. (મને આ ક્ષણે કામૂનું વિધાન યાદ આવે છે, એ કહે છે કે માણસ અર્થ ઝરતું પ્રાણી છે.) એ ભૂમિકાએ બન્નેએ ભાષાને સંજ્ઞાતન્ત્રો સાથે જોડી અને સાઇન-પ્રોસેસની અથવા સૅમિયોસિસની વિચારણા ઘડી કાઢી.

સૅમિયોસિસ વિશે હવે પછી.

= = =

(January 16, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 January 2023 સુમન શાહ
← संघम् शरणं गच्छामि: ગૂજરાત વિદ્યાપીઠ
અંદર બહાર →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved