સિલિકોસિસ પીડિતો માટે વડોદરાના જગદીશ પટેલ અને સાથીઓએ મોટું કામ કર્યું છે
બાંધકામ મજૂરો કામની જગ્યાએ પટકાઈને, ચગદાઈને કે દટાઈને મૃત્યુ પામે છે. કારખાનામાં આગ, વિસ્ફોટ કે ઝેરી વાયુથી કામદારો મોતને ભેટે છે. સફાઈ કામદારોને ગટરમાં ગૂંગળાવાથી મોત આવે છે. આ બધાંનાં મોત લોકોની નજરે પડે છે કારણ કે તે તત્કાળ અને લોહિયાળ હોવાથી માધ્યમોમાં ચમકે છે. પણ દુનિયામાં એવા લાખો મજૂરો છે કે જેમનાં મોત તેઓ જે કામ કરે છે તેને કારણે થતાં રોગથી થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગનાઇઝેશન(આઇ.એલે.ઓ.)ના ૨૦૧૫ના આંકડા મુજબ વીસેક લાખ મજૂર સ્ત્રી-પુરુષો મજૂરીમાંથી ઉદભવતા જીવલેણ રોગોને કારણે મૃત્યુ પામે છે. આ રોગો રસાયણો, વાયુઓ અને જંતુઓનાં ચેપને કારણે, તો કેટલાક ઝેરી ધાતુઓના સંપર્કને થાય છે. જેમાં રજકણ હોય તેવી સામગ્રીમાં કામ કરવાથી ફેફસાંના જે અનેક રોગ થાય છે તેમાં સિલિકોસીસ સહુથી વધુ વ્યાપક છે. પથ્થરોને ઘસવા, તોડવા, ખાંડવા અને દળવાથી જે રજકણો કે ધૂળ પેદા થાય છે તે ફેફસાંમાં જવાથી સિલિકોસીસ થાય છે. તેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. રોગની શરૂઆતમાં ભૂખ ઓછી થાય છે અને ખાંસી આવે છે. ધીમે ધીમે નબળાઈ આવે છે, રોગપ્રતિકારક શક્તિ ખતમ થતી જાય છે, સારવારનાં આઠ-દસ વર્ષનાં ખર્ચ તેમ જ બેકારી બાદ મજૂર મોતને ભેટે છે.
ભારતમાં જે જગ્યાઓ પરનાં મજૂરોમાં આ રોગ જોવા મળતો હોય તેની યાદી લાંબી છે : કર્ણાટકમાં સોનું, બિહારમાં અબરખ અને રાજસ્થાનમાં સૅન્ડસ્ટોનની ખાણો; પશ્ચિમ બંગાળમાં સિરામિક, પૉન્ડિચેરીમાં કાચ, ઓરિસ્સામાં રિફ્રેક્ટરિ ઈંટોનાં કારખાનાં; મધ્યપ્રદેશમાં મંદસૌરના સ્લેટ-પેન, ઉત્તરપ્રદેશમાં કાચની બંગડીઓ અને ફતેપુર સિક્રિ, પતિયાલા અને આંધ્રમાં પથ્થરને લગતા ઉદ્યોગો. ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પરના કામદારો સિલિકોસિસનો ભોગ બને છે. તેમાં છે વડોદરામાં કાચનું ઉત્પાદન તેમ જ ગોધરા-બાલાસિનોરના પથ્થર દળવાનાં કારખાનાં, ખંભાતમાં અકીકના પથ્થર ઘસવાનાં એકમો, જૂનાગઢની ફાઉન્ડ્રી સૅન્ડ બ્લાસ્ટિંગનાં ક્ષેત્રો, મોરબી અને સુરેન્દ્રનગરની સિરામિકની ફૅક્ટરીઓ. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ૧૯૯૯ના અહેવાલ મુજબ ભારતમાં ત્રીસ લાખથી વધુ શ્રમજીવીઓ આ રોગથી પીડાતા હતા.
બે દાયકા પહેલાંના આ આંકડામાં થયેલા વધારા-ઘટાડાના અભ્યાસો હોય કે ન હોય, પણ ગુજરાતના સિલિકોસિસ પીડિતોની પરિસ્થિતિનું અત્યંત મહત્ત્વનું દસ્તાવેજીકરણ વડોદરાની પીપલ્સ ટ્રેઇનિન્ગ એન્ડ રિસર્ચ સેન્ટર (પી.ટી.આર.સી.) સંસ્થા પાસેથી ગયાં પાંત્રીસેક વર્ષમાં સમયાંતરે પ્રકાશનો થકી મળતું રહ્યું છે. તેમાં સહુથી નવું પ્રકાશન ‘આપ ક્યું રોએ…’ તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. સિલિકોસિસ પીડિત કુટુંબોની વ્યથાને વાચા આપતી રૂબરૂ મુલાકાત આધારિત સંવેદનકથાઓનું આ પુસ્તકમાં કામદાર સમૂહ માટે આસ્થા ધરાવનારે જ નહીં દરેકે વાંચવા જરૂરી છે. તેમાં ખંભાત અને ઝાલોદ પંથકમાં પથ્થર ઘસવાનાં કામ કરતાં કરતાં સિલિકોસીસથી પાયમાલ થતા પરિવારોની દરદભરી કથની તેમાંથી એક વ્યક્તિની સાથે પ્રત્યક્ષ વાતચીતને આધારે નામ બદલીને વર્ણવવામાં આવી છે.
આ બધા લોકો જમીન, પૈસો, હુન્નર અને ભણતરને અભાવે ઘિસાઈના કામોમાં સબડે છે. અહીં ચોંત્રીસ કુટુંબોમાંથી દરેકનાં કષ્ટ અને કંગાલિતયતની વિગતો અલગ છે, પણ આખરે વાત તો જિંદગીઓ નાશ પામે તેની છે. એમાં પચીસેક સ્ત્રીઓ સિલિકોસિસમાં પતિને ગુમાવીને સંતાનોનો, કેટલીક વાર તો મોટાં કુટુંબનો ભાર વેંઢારે છે. કેટલાક કિસ્સામાં એ જે ઘરમાં પરણીને આવે છે તેમાં પૂર્વે મહિલાઓ સહિત એકથી વધુ લોકો ઘિસાઈ કામમાં મરી ચૂકેલાં હોય છે, જેની તેને લગ્ન વખતે જાણ કરવામાં આવતી નથી. ક્યારેક તે ઘરમાં આવ્યાં પછી થોડાં થોડાં વર્ષેને અંતે પતિ સહિત ઘરનાં માણસોનાં મોત જુએ છે. ક્વચિત આપબળે પતિને પથ્થરના કામમાંથી કેટલોક સમય દૂર રાખી શકે છે, તો કેટલોક સમય તેને દરદમાંથી ઊગારી શકે છે, પણ ટૂંકા ગાળા માટે જ.
પુરુષોની બદદાનતથી ખુદ બચવાનું અને બાપવિહોણી દીકરીઓને બચાવવાની. એક જ ઘરમાં સાસુ, વહુ અને દીકરી ત્રણેય સિલિકોસિસને લીધે વિધવા બન્યાં હોય તેવું, અને બબ્બે વાર વૈધવ્ય આવ્યું હોય એવાં પણ કુટુંબો છે. વિધવાઓને સગાંનો આશરો જાણે વૈતરું અને અપમાન સહન કરવાની શરતે જ મળે છે. સિલિકોસિસથી પીડાતા માણસોના બધાં જ કુટુંબોમાં ખુશી તો છોડો, બે ટંક ખાવાનાં પણ સાંસા છે, કારણ કે મોટા ભાગની આવક સારવારમાં વપરાઈ જાય છે. શેઠ પાસેથી ઉપાડ કરવો પડે છે અને તેને ચૂકતે કરવામાં મહિનાઓની મજૂરી જતી રહે છે. લાકડાં ફાડવા, એક ડોલે એક રૂપિયાના દરે દૂરથી પાણી ભરી લાવવું, ઘરકામ, સિવણ, છૂટક મજૂરી જેવાંમાં અકીક કે પથ્થર જેટલા પૈસા મળતા નથી એટલે નાછૂટકે એના તરફ વળવું પડે છે.
ભણનારને મોંમાં ધાન, ડિલે કપડાં, પગમાં ચપ્પલ, આંખે ચશ્માં, વાંચવા માટે જૂની ચોપડી, લખવા માટે ચોપડા જેવી દરેક ચીજ માટે ઓશિયાળા થતાં રહેવું પડે છે, અને છતાં ભણતર તો છૂટી જ જાય છે. આવી અનેક પીડાકથાઓ રૂબરૂ મુલાકાત દ્વારા નોંધીને એકઠી કરવાનું કામ કેટલું અઘરું છે તેનો અંદાજ છેલ્લા લેખમાંથી મળે છે. તેમાં સંસ્થાના સંન્નિષ્ઠ કાર્યકરો નૈનાબહેન વાઘેલા, હિરલ પરમાર, રમેશ મકવાણા અને જયેશ દવેના નમૂનારૂપ અનુભવો નોંધવામાં આવ્યા છે. ‘આપ ક્યૂં રોયે…’ પુસ્તકમાં જે સંવેદન છે તેનું નક્કર માહિતી-સ્વરૂપ સંસ્થાએ ‘મજબુત પથ્થર મજબુર મજૂર’ (૨૦૧૨) નામે પુસ્તકમાં મળે છે. તેમાં ખંભાતના સાડા ચાર હજાર જેટલા અકીક કામદારોનો અભ્યાસ છે. તેના પહેલાંના વર્ષે ‘ઘસીયાનો ઘરસંસાર’ નામે સિલિકોસીસ પીડિતોની ચિત્રકથા આવી છે. ‘કાળમુખો સિલિકોસિસ’(૨૦૦૮) ઉત્તમ માર્ગદર્શિકા છે. ‘ધૂળીયાં ફેફસાં’(૧૯૯૪)માં સિલિકોસીસ માટે વળતર મેળવવા માટે કામદારોના સંઘર્ષની વ્યથાકથા છે.
પી.ટી.આર.સી.ને કારણે સિલિકોસીસના દરદીઓ ઓળખાવાની શરૂઆત થઈ. વળી સંસ્થા તેમને નજીવા દરે સારવાર પૂરી પાડવાની કોશિશ પણ કરતી રહે છે. તેણે કરેલી આધારભૂત રજૂઆતો છતાં જક્કી રાજ્યસરકાર લાંબા સમય સુધી સિલિકોસીસની હકીકતને સ્વીકારવા તૈયાર ન હતી, અને પછી તેને અસંગઠિત ક્ષેત્રના ગણીને તેમની જવાબદારી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ઢોળતી હતી. પી.ટી.આર.સી.એ ૨૦૧૦ માં ૪૫ અકીક કામદારો સિલિકોસિથી મૃત્યુ પામેલા હોવાનું જણાવી તેમને વળતર ન મળ્યું હોવાની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સામે કરી હતી. પછીના ચાર વર્ષમાં આ ફરિયાદોનો આંકડો ૧૦૫ પર પહોંચ્યો હતો. તેના પરિણામ રૂપે રાજ્ય સરકારે ૨૦૧૪માં સિલિકોસિસથી અવસાન પામેલા કારીગરોના વારસદારને એક લાખ રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરી અને તેના ચાર વર્ષ બાદ કેટલાકને ચેક અપાયા! છ મહિના પહેલાં આ પરિવારોને બીજા ત્રણ લાખ ચૂકવવાનો આદેશ માનવઅધિકાર પંચે રાજ્ય સરકરને આપ્યો છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ૨૩૮ સિલિકોસીસ મૃતકોના વારસદારોમાંથી દરેકને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. કામદારોની વ્યાવસાયિક સલામતી અને તેમનાં સ્વાસ્થ્યની જાળવણી માટેના સંખ્યાબંધ ઉપક્રમો હાથ પર લેતી પી.ટી.આર.સી. સંસ્થાએ વીજળી કામદારોનાં જોખમોને, કપાસનાં જીનનાં શ્રમજીવીઓ અને સુરતના કાપડ ઉદ્યોગના મજૂરોની દુર્દશાને વાચા આપતાં અભ્યાસો પણ બહાર પાડ્યા છે. આ સંસ્થાને લીધે ગુજરાતના કામદારોના એક વર્ગને દિલાસો રહેતો હશે કે કોઈક તો છે !
આ દિલાસો શનિવારે આવતા કાર્લ માર્ક્સના બસોમા જન્મદિને યાદ રાખવા જેવો છે.
++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 04 મે 2018