કાર્લ માર્ક્સનાં 200 વર્ષ પૂર્ણ થવા પર નવેસરથી માર્ક્સ વિશેની ચર્ચા-વિચારણાઓ શરૂ થઇ ગઈ છે.
એક સમય હતો કે જ્યારે માર્ક્સ, બૌદ્ધિકતા અને યુવાનીનો સંબંધ સ્વાભાવિક માનવામાં આવતો હતો. માર્ક્સવાદી હોવાનો વધુ એક અર્થ પરિવર્તનકારી હોવું તેમ થતો હતો. હવે પરિવર્તનની જવાબદારી સરકારે જ ઉપાડી લીધી છે. ભારતની સરકારે પોતાની એક સંસ્થાનું નામકરણ પણ કરી દીધું છે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા.
બદલાવની પ્રેરણાની સાથે યુવાનો માર્ક્સની નજીક આવતા હતા. તે કહેવું વધારે ઉચિત છે કે બદલાવની તડપ જ યુવાનોને માર્ક્સ તરફ ખેંચી જતી હતી, એવું નથી કે પહેલાં યુવાનો માર્ક્સ તરફ અને ત્યાર બાદ બદલાવના રસ્તે જતા હતા. પરંતુ, આ બદલાવ એ કોઈ રોજિંદી ઘટના નહોતી. દર બીજા દિવસે જે પરિવર્તનરથ નીકળ્યા કરે છે, તેના પર સવાર થઈને તેઓને નહોતું આવવાનું. માર્ક્સીય હોવાનો મતલબ એ ભૌતિકવાદી હોવું તેવો છે. પરંતુ, માર્ક્સનું પરિવર્તન વ્યક્તિગત અને સામાજિક, એમ બંને સ્વરૂપોમાં માત્ર જીવનની ભૌતિક પરિસ્થિતિઓમાં જ નહિ પણ જીવન પ્રત્યેનાં દ્રષ્ટિકોણમાં બદલાવની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરિત છે. આ રૂપમાં તે એક આધ્યાત્મિક મિશન તરીકે જણાઈ આવે છે.
બદલાવ અને પરિવર્તન એ માર્ક્સીય ચિંતનનો હેતુ છે અથવા તો તેની ધૂરી છે. ‘અત્યાર સુધી દાર્શનિકોએ દુનિયાની વ્યાખ્યા આપી છે પરંતુ, સવાલ તો તેને બદલવાનો છે’ આ માર્ક્સીય ઉક્તિ માર્ક્સને અન્ય વિચારકોથી બિલકુલ અલગ જ સ્તર પર સ્થાપિત કરી દે છે. આ સંદર્ભમાં ટેરી ઈગલટનની એક વાત ખૂબ જ રસપ્રદ છે. તેઓએ માર્ક્સવાદી હોવાની મુશ્કેલીઓ તરફ ઈશારો કર્યો છે. તેઓ કહે છે કે માર્ક્સવાદી હોવાનો અર્થ જ એ છે કે ‘કંઇક કરવું’. કેટલાંક અંશે આ એક શિલ્પી જેવું કાર્ય છે. શિલ્પી હોવાનો મતલબ એ છે કે કંઇક બનાવવું અને તે માત્ર શિલ્પની કલ્પના સુધી મર્યાદિત નથી. માટે જ દાર્શનિક અને વિચારક અવશ્ય રીતે વધુ મોટા થયા છે અને તેમની મેધા પણ કંઈ ઓછી નથી. પરંતુ, વિચાર કરવાનો અર્થ જ યથાસ્થિતિઓને બદલી નાખવાનો છે.
આ વાત જેટલી માર્ક્સની સાથે જોડાયેલી છે તેટલી કદાચ જ અન્ય કોઈની સાથે જોડાયેલી હશે. ‘હું વિચારું છું, માટે હું છું’ એની જગ્યાએ ‘હું કાર્ય કરું છું, માટે હું છું’ એ માર્ક્સના ચિંતનનો સાર છે. જ્યારે ક્રિયાની વાત થઇ રહી છે ત્યારે આપણે ભારતીય પણ એક દાવો ગાંધીજીના સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ. જે રીતે માર્ક્સવાદી હોવાનો મતલબ છે કે ક્રિયાશીલ હોવું, તે રીતે તમે માત્ર ચિંતક છો એટલે ગાંધીવાદી નથી બની શકતા.
કેટલીક જગ્યાએ એવું પણ જણાઈ આવે છે કે ગાંધીજી એક ડગલું માર્ક્સથી આગળ નીકળી ગયા હતા. તેઓએ પોતાનાં રાજનીતિક અથવા સામાજિક કાર્યક્રમ પૂર્વે તેને (કાર્યક્રમને) યોગ્ય સાબિત કરવા માટે તેમને ક્યારે ય એવું જરૂરી નથી લાગ્યું કે આ માટે કોઈ ચોક્કસ દાર્શનિક માળખું ઊભું કરવું જોઈએ. અન્ય લોકોએ ગાંધીજીના દર્શનની વાત કરી, જ્યારે ગાંધીજીએ પોતાનાં કર્મ થકી જ તેને વિકસિત કર્યું. માર્ક્સવાદીઓ ગાંધીજીને માર્ક્સ કરતાં ઓછાં એટલા માટે આંકે છે કારણ કે તેઓ તેમના ઉપક્રમને બૌદ્ધિક ઓછું અને ભાવનાત્મક વધુ માને છે. એવું લાગે છે કે ગાંધીજી કેટલીક અંત:પ્રેરણાથી કાર્ય કરી રહ્યા હતા અને માટે ઘણાં લોકોને તેમના આંદોલનમાં તાર્કિકતા શોધવી અઘરી પડે છે. એવું લાગે છે કે જાણે ગાંધીજી પોતાના અંતર્જ્ઞાન થકી તેમનાં આગામી પગલાં માટે પ્રેરાતા હતા.
નેહરુ જેવા વૈજ્ઞાનિકઢબે વિચારનાર બૌદ્ધિકને પણ ગાંધીજી કોઈ એક જાદુગર જણાઈ આવતા હતા. તેમના કેટલાક નિર્ણયની સાથે સહમત નહિ હોવા છતાં, પણ તેમની સાથે ચાલવું એ નેહરુને કોઈ દિવ્ય આદેશ જેવું લાગતું હતું. અહીં એવો આશય નથી કે ગાંધીજી અને માર્ક્સની સરખામણી કરીને કોઈ એકને બીજા કરતાં શ્રેષ્ઠ સાબિત કરવામાં આવે અને આના કરતાં વધુ કોઈ ગેરમાર્ક્સવાદી કાર્ય હોઈ શકે નહિ. પણ, એક અંતર જરૂર જણાઈ આવે છે. માર્ક્સ પોતાનાં સ્વપ્નને પૂરા કરવા માટે જીવનપર્યંત કોઈ ક્રિયાશીલ અભિયાન ચલાવવાના નહોતા.
ગાંધીજીએ જાતે એક મોટું સંગઠન ઊભું કર્યું અને ઘણા આંદોલનોનું નેતૃત્ત્વ પણ કર્યું. જ્યારે એક બીજા અર્થમાં માર્ક્સ અને ગાંધીજી એક જેવા જ જણાઈ આવે છે. આ બંનેએ અસંભવ આદર્શની કલ્પના કરી હતી. ગાંધીજીનો અહિંસક સમાજ અને માર્ક્સનો વર્ગવિહીન સમાજ તે બંને અશકય ખ્યાલ છે. પરંતુ, તેમાં એ વાત ચોક્કસ જણાઈ આવે છે કે ગાંધીજી અને માર્ક્સના ખ્યાલોના નિર્માણમાં થોડો પણ વિલંબ કરી શકાય નહિ અને આ પ્રકારનો વિલંબ કરવો જોઈએ પણ નહિ. અને બીજુ કે એક સિવાય બીજો સમાજ બની શકે પણ નહિ. માર્ક્સની તાકાત એ વિચારોમાં જોવા મળે છે કે પોતાનું સમગ્ર જીવન પુસ્તકાલયોમાં પસાર કરનાર આ વ્યક્તિએ દુનિયાભરમાં કદાચ સૌથી વધુ સંખ્યામાં લોકોને ઘરની બહાર નીકળીને પોતાની દુનિયા બદલી નાખવાના અભિયાનમાં સામેલ કર્યા. તે છતાં પણ એક આખી સદીની નિષ્ફળતા સાથે પણ આજે આ સંભવનીય લાગે છે.
માર્ક્સની સફળતા સમાજવાદી ક્રાંતિઓમાં જોવા મળી કે જેમાં સોવિયેત સંઘ, સામ્યવાદી ચીન, પૂર્વ યુરોપમાં સમાજવાદી સરકારોના ગઠનનો સમાવેશ થાય છે. પરંતુ, શાસક કમ્યુિનસ્ટ પાર્ટીઓએ માર્ક્સીય સ્વપ્નને એક સામાન્ય પણ ના કહી શકાય તેવી યાતનામાં બદલી દીધું, સત્તાના યથાર્થ હેઠળ આ પ્રેમાળ સ્વપ્ન કચડાઈ ગયું. આ વાત પણ રસપ્રદ છે કે જ્યાં કમ્યુિનસ્ટ પાર્ટીઓનું શાસન હતું ત્યાં માર્ક્સના ચિંતનમાં કોઈ જ પ્રકારનું સર્જનાત્મક યોગદાન જોવા મળ્યું નથી. અને જો ક્યાંક આવું સર્જનાત્મક યોગદાન થયું છે તો ત્યાં શાસક કમ્યુિનસ્ટ પાર્ટીઓ દ્વારા પ્રતાડિત એવા નિઝામોએ પોતાના દરેક નિર્ણયના ઔચિત્ય સાધન માટે માર્ક્સની સેવા લીધી અને પોતાની રીતે માર્ક્સને વાંચનાર અને તેની વ્યાખ્યા કરનાર દરેક વ્યક્તિને સંશોધનવાદી પણ ગણાવ્યા.
વિડંબણા એ છે કે માર્ક્સીય ચિંતનમાં સૌથી વધુ સાહસિક પ્રયોગ બિનસામ્યવાદી યુરોપમાં કરવામાં આવ્યો અને આવું જેઓએ કર્યું તેમને કમ્યુિનસ્ટ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. સ્વતંત્ર માર્ક્સીય ચિંતન અને સત્તાની વચ્ચેનો આ ઊલટો સંબંધ માર્ક્સ પર નહિ, આ પાર્ટીઓ પર પ્રતિકૂળ ટિપ્પણી છે. જ્યારે અમેરિકાની બેંકો પાણીમાં બેસી જતાં ઉદારવાદી અર્થવ્યવસ્થા ઢળી પડી ત્યારે દુનિયાનાં પૂંજીવાદીઓનું ધ્યાન માર્ક્સ તરફ દોરાયું અને સાથે-સાથે માર્ક્સીય સાહિત્યનું વેચાણ પણ વધી ગયું. અકાદમિક વિશ્વમાં પણ માર્ક્સીય સિદ્ધાંત વ્યવસ્થા પ્રત્યેનો વધતો જતો રસ જોવા મળ્યો. એક સમયે જે દેશે કમ્યુિનસ્ટોને અમરિકીદ્રોહીનો પર્યાયવાચી બનાવી દીધું હતું તેના વિશ્વવિદ્યાલયોમાં માર્ક્સ બૌદ્ધિક ઉત્તેજના ચિરંતન સ્ત્રોત બની ગયા છે. પણ, શું આ કાર્લ માર્ક્સની સફળતા છે.
5 મે, ૨૦૧૮
સ્ત્રોત – સત્યાગ્રહ વેબસાઈટ હિન્દી
અનુવાદ – નિલય ભાવસાર
અપૂર્વાનંદે “ઇન્ડિયન એક્સપ્રેસ” માટે આ વિષય બાબત અંગ્રેજીમાં લેખ કરેલો તેની આ કડી અહીં આપી છે :
http://indianexpress.com/article/opinion/columns/karl-marx-humanist-philisophy-5165973/