હા, માણસાઈ માણસમાં જ હોય છે. તે પશુપંખીમાં જોવા ન મળે. એની પાસેથી એવી અપેક્ષા પણ નથી, છતાં, ક્યારેક વફાદારી, લાગણી વગેરે એનામાં જોવા મળે છે ને માણસમાં એ જોવા મળતી નથી. મનુષ્ય આ પૃથ્વી પરનું ઉત્તમ સર્જન છે, તે છે પણ ખરું, પણ સૌથી વધુ ત્રાસ પણ એ જ ફેલાવે છે. એણે જ શાંતિ માટે પ્રયત્નો કર્યાં છે ને એણે જ સૌથી વધુ યુદ્ધો પણ ખેલ્યાં છે. સ્ત્રી અને પુરુષને એકબીજાં માટે સર્જ્યાં કુદરતે, પણ સૌથી વધુ વિખવાદો એ બે વચ્ચે જ છે. એક તરફ તેમને અહમ્થી દૂર રહેવાનું શીખવાયું ને સૌથી વધુ અહમ્નો ટકરાવ સ્ત્રી-પુરુષો વચ્ચે જ જોવા મળે છે. શિક્ષણે એ સ્થિતિ સર્જવાની હતી કે મનુષ્ય વધુ નમ્ર ને વિવેકી બને. એ શીખવાયું પણ ખરું, પણ એનો અમલ ખાસ થયો નહીં. એનાં કરતાં કદાચ અશિક્ષિતોમાં અહમ્નું પ્રમાણ ઓછું જ જોવા મળે છે. એમ લાગે છે કે શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેણે આકાશની ક્ષિતિજો વિસ્તારી, પણ મનુષ્યને તો વધુ સંકુચિત અને અહંવાદી જ બનાવ્યો. એનાં સૌથી વરવાં પરિણામો સ્ત્રી-પુરુષમાં જ જોવાં મળ્યાં.
એનો અર્થ એવો નથી કે જગતમાં બધું ખરાબ જ થયું છે. ઉત્તમ પણ મનુષ્યે જ કર્યું છે. ક્ષિતિજો તમામ ક્ષેત્રે મનુષ્યે જ તો વિસ્તારી છે. પણ, જેમ જેમ સમય જાય છે તેમ તેમ સતત લોભી, લાલચુ ને હિંસક પણ માણસ જ થયો છે એની ના પાડી શકાશે નહીં. તેમાં પણ સૌથી વધુ પ્રેમ પુરુષે કર્યો હોય તો પણ, સ્ત્રીઓ તરફે સૌથી વધુ હિંસા ને અન્યાય પણ પુરુષે જ કર્યાં છે. આજના સમયમાં સ્ત્રી પણ અન્યાયી અને હિંસક છે જ, પણ તેનું પ્રમાણ પુરુષની તુલનાએ ઓછું છે. સ્ત્રીઓ પર બળાત્કારની સંખ્યા ઉત્તરોત્તર વધતી આવે છે. એ સંસ્કાર ને શિક્ષણનું જ પરિણામ છે. સ્ત્રીઓનાં થતાં ખૂન ને તેની રીત આઘાત જન્માવનારાં છે. સ્ત્રી–પુરુષ એકબીજાને ચાહે ને પરણે એ સ્વાભાવિક ગણાવું જોઈએ, પણ એમાં સૌથી વધુ અરાજકતા આજકાલ જોવા મળે છે. આજે પણ જ્ઞાતિ, જાતિના પ્રશ્નો લગ્નમાં બાધક છે. અમુક જ્ઞાતિ કે જાતિના હોવા માત્રથી જ લગ્નો નથી થતાં ને જ્યાં મન ન હોય ત્યાં પરણવું પડે છે. એ પછી પણ પ્રેમ ન ભુલાય તો અનેક પ્રશ્નો ઊભા થાય છે ને તેનાં પરિણામો અકુદરતી મૃત્યુ સુધી વિસ્તરે છે. આમ તો જ્ઞાતિ, જાતિનાં બંધનો કૂણાં પડ્યાં છે, પણ તે નાબૂદ થયાં નથી. વારુ, લગ્નનું બંધન પણ હવે ન સ્વીકારવાનું વલણ જોર પકડતું જાય છે. લગ્ન વગર સાથે રહેવાનું મુશ્કેલ રહ્યું નથી. લિવ ઇનમાં સ્ત્રી-પુરુષ રહેતાં થયાં છે, પણ તે પછી પણ સ્ત્રીનું લક્ષ્ય લગ્નનું તો હોય જ છે ને તે ઘણીવાર પુરુષને મંજૂર હોતું નથી ને ઝઘડાનું નિમિત એમાંથી ઊભું થાય છે. કોઈ કોઈ છૂટાં થઈ જાય છે, તો ક્યારેક વાત મરવા-મારવા પર પણ આવીને અટકે છે. એવું પણ છે કે લિવ ઇનનો વિકલ્પ લગ્નને વધુ સરળ કરવાનો હતો, પણ એને કારણે જીવન વધુ ગૂંચવાયું હોવાનું જ તેનાં પરિણામો સૂચવે છે. કોણ જાણે કેમ, પણ મનુષ્ય શાંતિ અને આનંદથી રહેવા જ માંગતો ન હોય એવું વાતાવરણ ઘર કરતું આવે છે ને તે ચિંતા ઉપજાવનારું છે.
શ્રદ્ધા નામની એક 25-26ની શાંત, અંતર્મુખી યુવતી. સમુદ્રી સ્વચ્છતા કાર્યક્રમોમાં ભાગ લે. મુંબઈનાં વસઈમાં રહે. માતાની સાથે. માતા અને પિતા સાથે રહેતાં ન હતાં, પરિણામે પિતાનો પ્રેમ શ્રદ્ધાને મળ્યો નહીં. મલાડ કોલ સેન્ટરમાં તે કામ કરે. ત્યાં એ આફતાબના પરિચયમાં આવી. માબાપની પરવા કર્યાં વગર તે આફતાબ સાથે લિવ ઇનમાં રહેવા લાગી, પણ બંને વચ્ચે મેળ ન પડ્યો. 2019માં તેણે માતાને કહ્યું કે તેનો પ્રેમી મારપીટ કરે છે. બાપે તેને અલગ થઈ જવાનું કહ્યું, તો શ્રદ્ધાને યાદ આવ્યું કે તે 25 વર્ષની સ્વતંત્ર યુવતી છે. પોતાનાં નિર્ણયો તે જાતે લઈ શકે એમ છે ને તેણે લિવ ઇનમાં આફતાબ સાથે રહેવાનું ચાલુ રાખ્યું. વધારામાં તેણે પિતાને જણાવ્યું કે તે હવે તેમની દીકરી મટી ગઈ છે. 2020માં શ્રદ્ધાની માતાનું અવસાન થયું. પિતા સાથે તો સંબંધ ખાસ હતો નહીં, એટલે શ્રદ્ધાનો માલિકી હક આફતાબે મેળવી લીધો ને તેની જોહુકમી વધતી ગઈ. ત્રાસીને શ્રદ્ધા પિતાને ત્યાં આવી ગઈ. પિતાએ તેને રાખી. આફતાબે માફી માંગી લેતાં શ્રદ્ધા ફરી આફતાબ પાસે આવી ગઈ. પિતાએ તેની સાથેના સંબંધો પૂરા થયાની ચેતવણી સાથે તેને જવા દીધી. આફતાબ શ્રદ્ધાને લઈને દિલ્હી નજીક મહેરોલીમાં રહેવા લાગ્યો. આની જાણ પણ શ્રદ્ધાએ પિતાને ન કરી. દિલ્હીમાં શ્રદ્ધાએ લગ્ન કરવાનું દબાણ વધાર્યું, પણ આફતાબ બીજી યુવતીના પ્રેમમાં પડ્યો. તેમાં શ્રદ્ધા નડતરરૂપ લાગતાં 18 મે, 2022 ને રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.
હત્યા તો કરી, પણ શ્રદ્ધાનો નિકાલ કરવાનું મુશ્કેલ લાગ્યું તો તેણે આરી વડે તેનાં 35 ટુકડા કર્યાં. તે સાચવવા તેણે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું. આમ કરવાનું તેને સૂઝ્યું, એક ટી.વી. સિરિયલ પરથી. ટુકડા સાચવવા તેણે કેમિકલ પણ ખપમાં લીધું. એ પછી રોજ તે નજીકનાં જંગલમાં જઈને શરીરના ટુકડા વિસર્જિત કરી આવતો. 18 દિવસમાં આ વિસર્જન તેણે પૂરું કર્યું. શ્રદ્ધાના ટુકડા ફ્રિજમાં હતા એ દરમિયાન આફતાબ તેની નવી લિવ ઇન મિત્રને પણ ઘરે લાવતો રહ્યો. શ્રદ્ધાના પિતા સાથેના સંબંધો પૂરા થઈ ગયા હતા એટલે તેનાં પિતા પણ મહિનાઓ સુધી આ હત્યાથી અજાણ જ રહ્યા. કોઈએ ધ્યાન દોર્યું તો પિતાએ પોલીસમાં, શ્રદ્ધા ગુમ થયાની ફરિયાદ નોંધાવી, ગુનો દિલ્હીમાં બન્યો હતો એટલે વસઇ પોલીસે ફરિયાદ દિલ્હી ટ્રાન્સફર કરી. દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી ત્યારે આફતાબે ગુનો કબૂલ્યો ને પોલીસ તેને લઈને શ્રદ્ધાને શોધવા નીકળી તો થોડાક જ ટુકડા તેને હાથ લાગ્યા છે ને બાકીની શ્રદ્ધા તેને હાથ લાગવાની બાકી છે.
આવી જ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારની પણ બહાર આવી છે જેમાં એક યુવતીના શરીરના ટુકડા કૂવામાંથી મળી આવ્યા છે. આ ઉપરાંત દહેરાદૂનમાં પણ 2010માં અનુપમા ગુલાંટીની હત્યા થયેલી, જેમાં તેનાં પતિ રાજેશ ગુલાંટીએ અનુપમાનાં શરીરનાં 72 ટુકડા કરી તેને ફ્રિજમાં સાચવી હતી અને આફતાબની જેમ જ તેનો નિકાલ કરવા તે ગટરમાં ટુકડા ફેંકવા સુધી ગયો હતો. આ અને આવી ઘટનાઓ આઘાત આપનારી છે. માણસ ખૂન કરે એ જ અસહ્ય છે, ત્યાં તે પૂરી નિર્મમતાથી શરીરના ટુકડા કરે ને તેને સાચવવા ફ્રિજ વસાવે ને કેમિકલના ઉપયોગથી ટુકડા સાચવે એ કેવળ ને કેવળ રાક્ષસી કૃત્ય છે. રાક્ષસ પણ આ હદે ન જાય. આ હત્યાઓ ઉશ્કેરાટમાં નથી થઈ. ઠંડે કલેજે, પૂરી નિર્મમતાથી ને અત્યંત ઘાતકી રીતે થઈ છે. કાયદાની કોઈ પણ મહત્તમ સજા ખૂની માટે ઓછી છે. તે કોઈ પણ જાતિ, ધર્મ કે કોમનો કેમ ન હોય, તે કેવળ ગુનેગાર છે અને તે કોઈ પણ જાતની દયાને પાત્ર નથી.
એ તો કાયદો કાયદાની રીતે કામ કરશે, પણ આ હત્યા કેટલીક બાબતો વિષે વિચારવા પ્રેરે છે. શ્રદ્ધાનાં માતપિતાનું લગ્નજીવન શ્રદ્ધાને જીવન પ્રત્યે અંતર્મુખ બનાવવા પૂરતું છે. પિતૃપ્રેમથી તે વંચિત રહી છે ને માબાપથી વિમુખ થવાની હોય તેમ, પછી તો તેની મા પણ રહેતી નથી એટલે તે આફતાબ તરફ ઢળી હોય ને માબાપનું લગ્નજીવન એ બંનેની વચ્ચે પડઘાતું રહ્યું હોય એ શક્ય છે. યુવા પેઢીનાં આ બંને પ્રતિનિધિઓ છે. તેમની વચ્ચે સ્વસ્થતા નથી. પિતા, આફતાબને છોડીને શ્રદ્ધાને પાછી આવી રહેવા સૂચવે છે ત્યારે રિબાતી શ્રદ્ધા ઘરે આવી જવાને બદલે પોતે સ્વતંત્ર નિર્ણય લેવા સક્ષમ છે એવા વહેમમાં ખોટો નિર્ણય લઈને આફતાબ સાથે લિવ ઇનમાં રહેવાનો નિર્ણય મક્કમ કરે છે. આફતાબનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખબર નથી, પણ તેનાં નિર્ણયોમાં રહેલી ક્રૂરતા કોઈ કુટુંબનાં સંસ્કાર હોવા વિષે શંકા પ્રેરે એમ છે. એકથી વધુ પ્રેમિકાઓ હોવી ને ગમે તેને રાખવી કે છોડવી તેવી આજની યુવા માનસિક્તાનો આફતાબ ને એના જેવા ઘણાં યુવાનો શિકાર છે. બધા જ યુવાનો આવા ન જ હોય, પણ જે આછકલાઇ છાશવારે યુવા પેઢીમાં જોવા મળે છે તે ચિંતા પ્રેરે એમ છે. એક ક્રૂર, શૉર્ટકટિયા, સગવડિયા ને તકવાદી ઉગ્ર પેઢી આકાર લઈ રહી છે એનાં આ નમૂનાઓ છે. અપવાદો હશે જ ને વૃદ્ધો બધા જ સારા છે એવું પણ નથી, પણ મનોયાતનાઓથી પીડાનારી ને માનસિક રીતે માંદી પેઢી સામે આવી રહી છે ને તેની ચિંતા નહિ કરવામાં આવે તો એ ઘણી ચિંતા કરાવશે એવું લાગી રહ્યું છે. એને બચાવવાની જરૂર છે ને એને નહીં બચાવાય તો એ ઘણું બચાવવા જેવું નહીં રહેવા દે તે સમજી લેવાનું રહે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 20 નવેમ્બર 2022