ઉત્તર પ્રદેશમાં એ જ રમત શરૂ થઈ છે જે વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજાં રાજ્યોમાં રમવામાં આવી હતી. વિરોધ પક્ષોના નેતાઓને અને વિધાનસભ્યોને તોડવાના. કાં ખરીદીને અને કાં ડરાવીને. ગયા માર્ચ મહિનામાં આ જ રીત પશ્ચિમ બંગાળમાં અને પોંડીચેરીમાં નેતાઓને અને વિધાનસભ્યોને તોડવામાં આવ્યા હતા. પોંડીચેરીની સરકારને ચૂંટણી પહેલા તોડી નાખવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની સરકારને તોડવી મુશ્કેલ હતી, પરંતુ માહોલ એવો પેદા કરવામાં આવ્યો હતો કે બસ, ચૂંટણી યોજાય એટલી વાર છે, પશ્ચિમ બંગાળ ભા.જ.પ.ની ઝોળીમાં આવી પડવાનું છે.
ઉદ્દેશ છે આ કોલમમાં કેટલીકવાર કહ્યું છે એમ વિરોધ પક્ષોની પોલિટિકલ સ્પેસ આંચકી લેવાની. ધોરણસરનું શાસન કરીને નહીં અને ધોરણસરનું રાજકારણ કરીને પણ નહીં; પરંતુ અનૈતિક તાકાતનો ઉપયોગ કરીને. જે લોકો નરેન્દ્ર મોદીની સરકારનો વિરોધ કરે છે, પ્રશ્નો કરે છે, વિકલ્પનો વિચાર કરે છે તેની પાસે કોઈ વિકલ્પ જ ન બચવો જોઈએ. પૈસાનો તો કોઈ તોટો નથી. ચૂંટણીપંચે હમણાં બે દિવસ પહેલાં બહાર પાડેલા આંકડા મુજબ ૨૦૧૯-૨૦૨૦ના નાણાંકીય વરસમાં બી.જે.પી.ને ૭૮૫ કરોડનું ચૂંટણીભંડોળ મળ્યું હતું. કૉન્ગ્રેસને બી.જે.પી.થી પાંચમાં ભાગનું ૧૩૯ કરોડ રૂપિયાનું ચૂંટણીભંડોળ મળ્યું હતું. બાકીના રાજકીય પક્ષો એક કરોડથી લઈને ૨૦ કરોડ રૂપિયાની વચ્ચે છે.
રમત એવી છે કે જો વિરોધ પક્ષો ખતમ થઈ જાય તો બી.જે.પી.નો વિરોધ કરનારા નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ ન બચે અને પરાજીત પક્ષોને કોઈ પૈસા ન આપે. પશ્ચિમ બંગાળમાં કોર્પોરેટ કંપનીઓ ત્યાં સુધી રાજકીય પક્ષોને પૈસા આપે જ્યાં સુધી તે જે તે રાજ્યમાં શાસન કરતો હોય. જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સત્તા જ ન હોય તો એ મૂડીપતિઓને શું મદદ કરી શકવાનો હતો અને કોઈ પૈસા આપે શું કામ? પૈસાના અભાવમાં કાર્યકર્તાઓને ટકાવી રાખવા મુશ્કેલ પડે અને ધીરેધીરે પક્ષ સંકેલાઈ જાય. એક દિવસ એવું બને કે દેશમાં એક જ રાજકીય પક્ષ બચે. છેવટે લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીનું કાસળ કાઢી નાખવાનું. દેશમાં અત્યારે આ બની રહ્યું છે. આની વચ્ચે કાળાં વાદળને રૂપેરી કોર જેવી ઘટના એ છે કે પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.નું નાક કાપનાર તૃણમૂલ કૉન્ગ્રેસને માત્ર આઠ કરોડનું ભંડોળ મળ્યું હતું અને છતાં વિજય મેળવ્યો હતો. જો તાકાત હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ટાંચા સાધને પણ ચૂંટણી જીતી શકાય છે એનું ઉદાહરણ મમતા બેનર્જીએ બતાવી આપ્યું છે. ભારતના રાજકીય પક્ષોમાં મમતામિજાજની જરૂર છે.
હમણાં કહ્યું એમ પૈસા તો અઢળક છે અને ઉપરથી હાથમાં સત્તા પણ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં મુશ્કેલી એ છે કે ત્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું સાગમટે નાક કપાયું છે. વળી ચૂંટણી નજીક આવી રહી છે. ધોરણસરનું શાસન તો કર્યું જ નથી અને એની કોઈ આવડત કે ઈરાદો પણ નથી. ઊલટું શાસનના અભાવનો લોકોને અનુભવ થયો છે. જેમ પશ્ચિમ બંગાળમાં પૈસો અને ખરીદી કામ ન આવી એમ ઉત્તર પ્રદેશમાં ન આવે તો? પશ્ચિમ બંગાળમાં તો પક્ષ સત્તામાં નહોતો એટલે નિષ્ફળતાઓ માટે કોઈ તેને જવાબદાર ઠેરવવાનું નહોતું, પણ ઉત્તર પ્રદેશમાં શું કરવું? આ ઉત્તર પ્રદેશની ભૂમિમાં તો દેશનું આખા જગતમાં નાક કપાયું છે.
courtesy : Satish Acharya
પહેલા તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બલીનો બકરો બનાવવાનું વિચારવામાં આવ્યું હતું. ઘણા પ્રયાસ કરી જોયા હતા. પક્ષના નેતાઓ દ્વારા તેમની નિંદા કરતાં નિવેદનો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના નેતાઓને ઉત્તર પ્રદેશમાં મતદાતાઓના મૂડનો ક્યાસ કાઢવા અને યોગીને સમજાવવા લખનૌ મોકલ્યા હતા. એમ કહેવાય છે કે યોગી ટસના મસ નહોતા થયા. વાચકોને કદાચ જાણ હશે કે તેઓ સંઘમાંથી નથી આવતા અને ભૂતકાળમાં ભા.જ.પ.વિરોધી પ્રવૃત્તિ પણ કરી છે. યોગીએ ખુલ્લો બળવો કરવાની ધમકી આપી હતી. દેખીતી રીતે યોગી બળવો કરે એ બી.જે.પી.ને અત્યારની સ્થિતિમાં બિલકુલ ન પોસાય. બધી જ પ્રાકારની તાકાત હોવા છતાં કોરોનાસંકટને હાથ ધરવામાં જે નિષ્ફળતા મળી છે એ જોતા ચૂંટણીપરિણામો વિષે પક્ષ ડરેલો છે.
યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના પ્રમુખ જે.પી. નડ્ડાની મુલકાત લીધી હતી. મુલાકાતને અંતે પક્ષના પ્રમુખ નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું હતું; ‘ઉત્તર પ્રદેશ કે યશસ્વી મુખ્ય મંત્રીજી સે મુલાકાત કી.’ યોગી આદિત્યનાથને યશસ્વી તરીકે ઓળખાવવા પડ્યા છે. આનું શું તાત્પર્ય? જો નાગાઈ કરવામાં કોઈ સવાયો હોય તો તેને પડકારવો મુશ્કેલ બને છે.
આમ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ નામનો બી.જે.પી.નો બોજો કાયમ રહેશે એમ લાગે છે. જો અખિલેશ યાદવ મમતા બેનર્જીની માફક કમર કસી શકશે, થાક્યા વિના લડત આપશે અને જરૂરી રાજકીય સમજૂતી થશે તો દેશનું રાજકારણ નવો વળાંક લઈ શકે એમ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જૂન 2021