મૂકેશ અંબાણી સંશોધનના માણસ છે, તે બુદ્ધિશાળી લોકોના મંતવ્યો, કાબેલ લોકોના નિર્ણયો, વૈશ્વિક સામાજિક પરિબળો બધું ગણતરીમાં લઇને ત્રિ-રાશી માંડે એવી વ્યક્તિ છે
આપણે બાળવાર્તાઓમાં વાંચ્યું છે કે એક રાજાને ત્રણ દીકરા હતા પણ કોને ગાદી આપવી એ નક્કી કરવા માટે તેણે પોતાના દીકરાઓની કસોટી કરવાનું નક્કી કર્યું. મોટે ભાગે વાર્તાઓમાં એમ થતું કે નાનો દીકરો ગાદીને લાયક કામ કરી બતાડે અને પછી બાકીના સંતાનો તેની જીત, તેની આવડત અને તેના સંસ્કારને સન્માન આપી તેને ગાદી પર આરુઢ થવા દે. હવે આ તો પરીકથાઓની દુનિયા છે. આજકાલ રાજાઓ રહ્યા નથી, જેને રાજા કહી શકાય તેવા જે છે તે તમામ છે ફોર્બ્ઝના લિસ્ટમાં આવેલા ભારતીયો છે. આમ તો મૂકેશ અંબાણીના સમાચાર આવે અને તે ટ્રેન્ડ ન થાય તેવું તો બને જ નહીં. છેલ્લા અઠવાડિયામાં મૂકેશ અંબાણી એકથી વધુ વાર ટ્રેન્ડ થયા છે. એક સમાચાર તો એ હતા કે ગૌતમ અદાણીએ મૂકેશ અંબાણીને સૌથી ધનિક ભારતીયોની રેસમાં પાછળ પાડી દીધા છે. માર્કેટ કેપિટલાઇઝેશનના અપ-ડાઉનને કારણે આ સરખામણીઓની ચર્ચા છેડાઇ. જો કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં રિલાયન્સ ઇઆવ્યુન્ડસ્ટ્રીઝ વધારે હોવા છતાં અદાણીનું નામ આગળ આવ્યું કારણ કે પોતાની કંપનીઝમાં તેમની ભાગેદારી મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓ કરતા વધારે છે. આ માર્કેટનો ખેલ તો ચાલ્યા કરશે પણ મૂકેશ અંબાણીની તોલે પહોંચી જવુ કંઇ સરળ નથી.
આ સમાચાર ઉપરાંત એક બીજી બાબતે મૂકેશ અંબાણીની ચર્ચા ચાલી હતી અને તે હતી કે તેઓ પણ આપણી વાર્તાઓના રાજાની માફક પોતાની ગાદી કોને આપવી તે અંગે વિચાર કરી રહ્યા છે. મૂકેશ અંબાણી સંશોધનના માણસ છે, તે બુદ્ધિશાળી લોકોના મંતવ્યો, કાબેલ લોકોના નિર્ણયો, વૈશ્વિક સામાજિક પરિબળો બધું ગણતરીમાં લઇને ત્રિ-રાશી માંડે એવી વ્યક્તિ છે. તેમના ત્રણ સંતાનોમાં પોતે ખડા કરેલા સામ્રાજ્યની વહેંચણી કેવી રીતે કરવી તેના પર મૂકેશ અંબાણી હાલમાં કામ કરી રહ્યા છે તે સમાચારે ભારે કૌતુક ખડું કર્યું. હવે આ કંઇ પ્રાચીન કાળ તો છે નહીં કે રાજા સંતાનોને કસોટી આપે અને પછી કોઇ મ્હોમાં બજરબટ્ટુ મૂકીને આગનો દરિયો પાર કરતા શીખી જાય કે પવનપાવડી પહેરીને ઊડી જઇને કોઇને બચાવી લે એવી બધી ઘટનાઓ થાય. વળી મૂકેશ અંબાણી પરીકથાના રાજા નથી, તે પોતાના સંતાનોની આવડત, ક્ષમતાઓ અને ક્ષતિઓ સારી પેઠે જાણતા જ હોય એટલે કોને માટે સામ્રાજ્યનો કયો પોર્ટફોલિયો બંધ બેસતો રહેશે તે નક્કી કરવામાં તેમને મુશ્કેલી ન પડે.
વિશ્વભરના ધનિકોએ પોતાની સંપત્તિની વહેંચણી કેવી રીતે કરી છે તેની પર મૂકેશ અંબાણી નજર ફેરવી રહ્યા છે. તેમનું સામ્રાજ્ય ૨૦૮ બિલિયન ડૉલર્સ જેટલું છે. વૉલ્ટનથી માંડીને કોચ પરિવાર જેવા ધનિકોએ કઇ રીતે પોતાની સંપત્તિની વહેંચણી કરી તેની પર તેમણે અભ્યાસ કર્યો છે. તેમણે વિવિધ પરિવારોની વ્યૂહરચનાઓ દ્વારા જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના પરિવાર પર કયું મૉડલ ગોઠવાઇ શકશે. સ્વાભાવિક છે કે કોઇ પિતા એમ ન ચાહે કે સંપત્તિ કે મિલકતને મામલે સંતાનોમાં વિખવાદ થાય અને માટે જ વસિયતનામું બનાવવું એક અગત્યની કામગીરી ગણાય છે. એમાં પાછું મૂકેશ અંબાણીની વાત આવે તો દુકાનના ચાર ગાળા કે, પાંચ ફેક્ટ્રી કે ચાર ફ્લેટની વાત તો ન જ હોય તે સ્વભાવિક છે. એક રિપોર્ટ અનુસાર મૂકેશ અંબાણીએ કરેલા સંશોધન પછી તેમને વૉલ્ટન પરિવારે પોતાની સંપત્તિની વહેંચણી જે રીતે કરી છે તે મોડલ માફક આવ્યું છે.
પહેલાં તો વૉલ્ટન પરિવાર અને તેમની સંપત્તિની વહેંચણીના મોડલ પર નજર કરીએ. વૉલમાર્ટ ઇંક કંપનીના ફાઉન્ડર સેમ વૉલ્ટનનું ૧૯૯૨માં મૃત્યુ થયું. વૉલ્ટન પરિવારે ૧૯૮૮ની સાલથી જ પોતાના તમામ કારોબારને રોજિદાં હિસાબથી મેનેજર્સન સોંપ્યો હતો અને આ આખી કામગીરી પર નજર રાખવા એક ખાસ બોર્ડની રચના કરાઇ હતી. આ બોર્ડમાં સેમ વૉલ્ટનના મોટા દીકરા રૉબ વૉલ્ટન હતા અને તેમના ભત્રીજા સ્ટુઆર્ટ વૉલ્ટનને પણ તેમાં સમાવવામાં આવ્યા. સેમની પૌત્રીના પતિ ગ્રેગ પેનરને આર્કન્સાન્સની બેન્ટોવિલ કંપનીના ચેરમેન બનાવાયા જે ૨૦૧૫માં થયું. સેમ વૉલ્ટને પોતાના મૃત્યુના ૪૦ વર્ષ પહેલાં ૧૯૫૩માં પોતાના સક્સેશનના પ્લાનિંગ પર કામ શરૂ કરી દીધું હતું. તેમના ફેમિલી બિઝનેસનો એંશી ટકા ભાગ તેમણે પોતાના ચાર સંતાનોમાં વહેંચી દીધો હતો. દરેકના હાથમાં વીસ ટકા ભાગ આવ્યો હતો. આમ વધુ પડતો ટેક્સ કોઇ એક પર ન આવે તેની પણ તકેદારી રખાઇ અને સામ્રાજ્ય વધતું ચાલ્યું, પ્રોફેશનલ સુકાની આવ્યા તો ય પરિવારનો કાબૂ તો રહ્યો જ. આજે પણ વૉલ્ટન પરિવાર આખા સામ્રાજ્યમાંથી વૉલમાર્ટના ૪૭ ટકા પર માલિકી ધરાવે છે જે વૉલ્ટન એન્ટ્રપ્રાઇસિઝધ એલ.એલ.સી. અને અન્ય પરિવારની માલિકીના ટ્રસ્ટ દ્વારા મેનેજ થાય છે. શેર હોલ્ડર્સને બદલે ઘરનાં લોકોને આગળ કરાયા તે વાતે વૉલ્ટન પરિવારની ટીકા થઇ પણ મોટા ભાગના દૂરનાં સગાંઓ એટલે કે પિતરાઇ વગેરેએ વૉલમાર્ટ સ્ટોર સિવાયના બિઝનેસિઝ પર ધ્યાન આપ્યું જેમાં સસ્ટેનેબલ એનર્જી અને ફિલાન્થ્રોફી વગેરેનો સમાવેશ થતો હતો.
હર્મિઝ ફેશન એમ્પાયર ધરાવતો ડ્યુમાસ પરિવાર અને એસ.સી. જ્હોન્સન એન્ડ સન્સને સંભાળતો જ્હોન્સન પરિવાર પણ પોતાના સગાંઓને રોજિંદી કામગીરીમાં પરોવતો. વૉલ્ટન પરિવારે તો માત્ર બોર્ડ સ્તરે જ ઓવરસાઇટ રાખી બાકી તેમનો રિટેલ બિઝનેસનું મેનેજમેન્ટ ૧૯૮૮થી આઉટસોર્સ કરાયું જ્યારે સેમ વૉલ્ટને ડેવિડ ગ્લાસને સી.ઇ.ઓ. તરીકે નિમ્યા. આ મોડલમાંને સમજવા માટે એક જૂદો લેખ જરૂર પડે એટલી વિગતો તેમાં છે પણ એ વાંચતા પહેલાં આપણે કોઇ એક એશિયાના ધનિક જેટલી સંપત્તિ પણ એકઠી કરી લઇએ.
છેલ્લા અઠવાડિયામાં જે મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તે અનુસાર મૂકેશ અંબાણી પોતાની સંપત્તિને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે. આ ટ્રસ્ટ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલિકીના હક હશે જેમાં અંબાણી પરિવારના સભ્યો – એટલે કે મૂકેશ તથા નીતા અંબાણી અને ત્રણેય સંતાનોની ભાગીદારી હશે. આ ટ્રસ્ટના સલાહકાર તરીકે અમુક ચોક્કસ વિશ્વાસુ લોકોને નિયત કરાશે. એવી શક્યતા છે કે તેઓ બોર્ડના મેનેજમેન્ટ માટે બહારના લોકોને સુકાન સોંપશે – જેઓ આ પ્રકારનું કામ પ્રોફેશનલી કરવા કેળવાયેલા હોય.
વળી પોતાના સામ્રાજ્યનો આગામી તબક્કો શું હોવો જોઇએ તેવું નક્કી કરનારા મૂકેશ અંબાણી એક માત્ર છે તેમ નથી. એશિયાના ધનિકો જે હવે ઉંમરના એ તબક્કે છે કે તેમણે આગળનો પ્લાન વિચારવો જોઇએ તે બધા જ પરિવર્તન કઇ રીતે કરવું તેની પર વિચાર કરી રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી આ સામ્રાજ્ય ખડા કરનારાઓએ અણધારી સંપત્તિ બનાવી. ક્રેડિટ સુઇસ ગ્રૂપ એજી અનુસાર એશિયામાં ૧.૩ ટ્રિલિયન ડૉલર્સ જેટલી સંપત્તિ આ ધનિકોના સામ્રાજ્યમાં છે અને એશિયાના પહેલી પેઢીના આ ધનિકો આગામી દાયકામાં આગલી પેઢીને પોતાના સામ્રાજ્યનું સુકાન આપવાની યોજના બનાવી રહ્યા છે. કોરોનાવાઇરસ રોગચાળાને પગલે એશિયાઇ ધનિકોમાં આગલી પેઢીને સુકાન આપવાની બાબતે વધુ ગંભીરતાથી ચર્ચા વિચારણા થવા લાગી છે.
બાય ધી વેઃ
ધીરૂભાઇ અંબાણીની સંપત્તિની વહેંચણી અને વિવાદ અંગે કોણ વાકેફ નથી. આખરે મેરે પાસ માં હૈ વાળા ડાયલોગને શોભે એ રીતે કોકિલાબહેને વચ્ચે પડી પોતાની સૂઝબૂઝ વાપરીને બધું થાળે પાડ્યું. પછી કોણે શું ભુંહાડિયો વાળ્યો અને કોણે યોગ્ય દિશામાં સામ્રાજ્યને આગળ વધાર્યું તે આપણે જાણીએ છીએ. જો કે જરૂર પડ્યે પરસ્પરને પડખે ઊભા રહી સમસ્યા ઉકેલવામાં અંબાણી ભાઇઓએ ક્યારે ય પાછું વળીને નથી જોયું. આપણે અંબાણી ન થઇ શકીએ તો કંઇ નહીં પણ કમ સે કમ તેમના આ પ્રોફેશનલ મેનેજમેન્ટવાળા સત્તા પરિવર્તનમાં કંઇક મેનેજ કરવા જેટલી આવડત કેળવી લઇએ તો ય બહુ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2021