એ ખરું કે કોરોનાએ આપણી ઘણી આર્થિક, શૈક્ષણિક વ્યવસ્થાઓ ખોરવી નાખી છે ને એની આડમાં અનેક રમતો રમાઈ છે. કોરોનાએ કર્યું છે એથી વધુ નુકસાન માણસે માણસને કર્યું છે. દુનિયા થોડી વ્યવસ્થિત થવા જાય છે કે વૈશ્વિક કક્ષાએ જાતભાતના વેરિયન્ટની જાહેરાતો થતી રહે છે. કોણ જાણે કેમ પણ, આખું વિશ્વ ડરેલું જ રહે એવાં કોઈ કાવતરાંની ગંધ આવ્યાં કરે છે. લાખો માણસો હોમાયાં હોય ત્યાં ડરેલું જગત કોઈ રિસ્ક ન લે તે સમજી શકાય તેવું છે, પણ જે ચાલી રહ્યું છે તેમાં સચ્ચાઈ ઓછી જ છે. ભારતની વાત કરીએ તો એમ લાગે છે કે ત્રીજી લહેરની ચિંતામાંથી તે માંડ બેઠું થયું છે, ત્યાં નવો વેરિયન્ટ ઓમિક્રૉન આયાત થયાની વાતે ભયનું લખલખું ફરી વળ્યું છે.
આમાં સૌથી મોટી દુર્દશા શિક્ષણની થઈ છે. લોકડાઉનને કારણે મહિનાઓ સુધી શિક્ષણ બંધ રહ્યું. એ પછી ઓનલાઈન શિક્ષણનો વાવર ચાલ્યો ને અનેક ખાનગી સંસ્થાઓએ ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી શિક્ષણ આપવા માંડ્યું. ગુજરાતમાં ને બીજે પણ, સ્કૂલો બંધ હોય ને ક્લાસિસ ચાલુ હોય એવું પણ થયું. શું ભણાવવું તેની સ્કૂલોને ઝાઝી ખબર ન હતી, પણ ખાનગી ક્લાસિસને હતી ને વિદ્યાર્થીઓ કેટલું ભણ્યા તે તો તેઓ જાણે, પણ ક્લાસને કમાણી તો થઈ જ ! એવું પણ થયું કે શિક્ષણ અમીરો માટે જ રહ્યું, કારણ ઊંડે સુધીના વિસ્તારોમાં તો સગવડો જ ન હતી ને ન હતી તાકાત પણ ! જે મોબાઈલથી બાળકોને દૂર રાખવાનું કહેવાતું હતું તે જ શિક્ષણનો આધાર બન્યું. ઓનલાઈન શિક્ષણ મોબાઈલ, લેપટોપ વગર શક્ય ન હતું. એમાં પણ નેટવર્ક અને અન્ય સુવિધાઓ જરૂરી બની. ગરીબોનો તો આમાં સમાવેશ ન હતો, પણ સાધારણ કુટુંબોને પણ એ માફક આવે એવું ન હતું. નોકરીધંધા બંધ હતાં ને બાળકોને ભણાવવાનાં ઓનલાઈન સાધનો પરવડે એમ ન હતું. એક જ કુટુંબમાં બે બાળકો ભણનારા હોય ને મોબાઈલ એક જ હોય તો કોણ ભણે એ નક્કી કરવાનું અઘરું હતું. એટલે ઘણાં બાળકો, ગામડાંમાં તો ખરાં જ, શહેરમાં પણ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યાં.
વારુ, જ્યાં ઓનલાઈન શિક્ષણ ચાલ્યું ત્યાં પણ લાલિયાવાડી ઘણી ચાલી. ક્યાંક શિક્ષકો તો ક્યાંક વિદ્યાર્થીઓ ઊંઘતા ઝડપાયા. વિદ્યાર્થીઓને ભણવા કરતાં પરીક્ષાઓનો લાભ વધુ મળ્યો. શું ભણ્યા તેની વિદ્યાર્થીઓને બહુ ખબર ન પડી, પણ પરીક્ષાઓની ખબર સતત પડતી રહી. ગુજરાત સરકાર ભણાવવાની વાત કરવાને બદલે પરીક્ષાની જાહેરાતને જ શિક્ષણ માનતી રહી. જે પરીક્ષાઓ થઈ એમાં જવાબો, કલાકોમાં નહીં, દિવસોમાં આપવાના હતા ને માથે કોઈ સુપરવાઇઝર કે વાલી ન હતા એટલે જોઈને જવાબો લખવાની તકો આપોઆપ આવી મળી. જ્યાં વાલીઓ હતા, ત્યાં તેમણે પોતે જવાબો લખ્યા કે લખાવ્યા. વર્ગખંડોમાં જે ચોરી ગણાય તે ઓનલાઇનમાં ‘શિક્ષણ’ ગણાયું. આ બધાં પછી પણ રકાસ તો થયો જ ! વાર્ષિક પરીક્ષાઓ લીધા વગર માસ પ્રમોશન આપીને બધાને ઉપલા વર્ગોમાં ચડાવવી દેવાયા. જેમની પરીક્ષાઓ જ ન લેવાઈ એ રેંકર્સ બન્યા ને જે રિપીટર્સે પરીક્ષાઓ આપી એ નાપાસ પણ થયા. ગુજરાતમાં એ સિદ્ધ થયું કે પરીક્ષા ન આપવાથી પાસ થવાય છે ને આપવાથી નાપાસ ! આને શિક્ષણ કહેવાની આપણને શરમ નથી આવતી એ વિશેષ ઉપલબ્ધિ છે.
આપણું 1થી 5નું શિક્ષણ તો ઓચિંતું 22 નવેમ્બર, 2021થી શરૂ થયું. આ બાળકો કૈં પણ કર્યાં વગર ત્રણ વર્ષ આગળ નીકળી આવ્યાં છે. જે વિદ્યાર્થી ત્રીજામાં આવ્યો છે કે ચોથામાં ગયો છે તેણે એકડો ય ઘૂંટ્યો ન હોય એમ બને. એ ત્રીજા કે ચોથાનું કેમ અને શું ભણશે એ પ્રશ્ન જ છે. એને, એના વાલી આગળ ન ભણવા દે એમ પણ બને. જો શિક્ષણ ચાલુ રાખે તો પ્રાથમિકના શિક્ષકો કેટલુંક ભણાવશે એ પણ વિચારવાનું રહે. એમના પર, આટલો વખત મફત પગાર ખાધાનું આળ છે. જો કે, એમણે ખાધો છે એટલો જ પગાર સ્કૂલ, કોલેજોમાં પણ ખવાયો હશે ને ખાનગીમાં કતરાયો પણ હશે, પણ આમ માનવું બરાબર નથી. કોરોના કોઈ લાવ્યું નથી, એ આવ્યો છે. એ નિમિત્તે જે કૈં થયું એને માટે માત્ર શિક્ષક જ જવાબદાર નથી. નબળા અને કામચોર શિક્ષકો હશે પણ ખરા, પણ એવું તો બધાં જ ક્ષેત્રોમાં છે ને ! વળી જ્યાં ખરેખર કોઈ કામ કરવા માંગે છે એને કામ કરવાની મોકળાશ અપાય છે ખરી? એની પાસેથી કારકૂનનું, પટાવાળાનું કામ પણ લેવાય જ છે ને ! ચૂંટણીનું, વસતિ ગણતરીનું, ટેસ્ટનું, વેક્સિનનું એમ ઘણું કામ વખતો વખત શિક્ષકો, અધ્યાપકોને ભાગે આવે છે. આ કામો દરમિયાન એનું ભણાવવાનું મુખ્ય કામ તો રહી જ જાય છે. એની અસર વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર પડે છે ને પરિણામ ઘટે છે તો તેને માટે જવાબદાર, શિક્ષકને ઠેરવાય છે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારથી રાજકારણીઓ કે એવી વગ ધરાવનારાઓ યુનિવર્સિટીઓમાં કુલપતિ બનવા માંડ્યા છે, શિક્ષણની પથારી ફરી ગઈ છે. રાજકારણી કોઈ પણ પાત્રતા વગર શિક્ષણ મંત્રી બને તો શિક્ષણનું અધ:પતન ન થાય તો જ નવાઈ ! ગુજરાતનું શિક્ષણ સર્વનાશ નોતરે એ માટેની બધી જ મહેનત શિક્ષણ ખાતું કરે છે ને મતલબી પ્રજા એ સર્વનાશ જોનારી કેવળ મૂક સાક્ષી બની રહે તો વિનિપાત સિવાય શું હાથમાં આવે?
એમ પણ લાગે છે કે બધાં, બધું સરળ કરવામાં પડ્યાં છે. કોઈને પરીક્ષા સહેલી જોઈએ છે, તો પરીક્ષા સહેલી થઈ જાય છે. કોઈને સર્ટિફિકેટ જોઈએ છે? તો, આપો. એનું ગજવું કાતરી ને પણ આપો. વિદ્યાર્થીઓમાં તો અક્કલ જ નથી કે એ સર્ટિફિકેટ મઢાવે, તો એને મઢાવીને આપો. એવું પણ બને કે સર્ટિફિકેટ સાહેબો જાતે આવીને ભીંતે ટાંગી જાય. આ બધું વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે થાય છે. વિદ્યાર્થીઓને કોર્સ લાંબો લાગે છે? તો, ટૂંકો કરી આપો. તે ન કરવું હોય તો 9થી 12માં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકા છે તો 30 ટકા કરી આપો. એમ થશે તો જે.ઈ.ઇ. કે નીટ જેવી હાયર એકઝામ્સમાં પણ વિદ્યાર્થી ટકી શકશે. કેવી રીતે, તે શિક્ષણ ખાતું જાણે ! શિક્ષણ વિભાગે એક વર્ષ માટે આ ફેરફાર કર્યો છે ને આખું શિક્ષણ જગત એકદમ હળવાશ અનુભવી રહ્યું છે. કહેવાતા શિક્ષણવિદો આ પગલાંને લાળ પાડતાં બિરદાવે પણ છે. કાલે વિદ્યાર્થીઓ એવી માંગ પણ લાવે કે અમને ભણવામાં જ રસ નથી, સીધું પીએચ.ડીનું સર્ટિફિકેટ જ આપો અથવા તો ફલાણી નોકરી માટે કેટલા આપવાના છે તે કહો, આ ચેક લો ને નોકરી આપો ! ભણીને જો નોકરી જ કરવાની છે તો સીધી નોકરી જ કરીએને ! ને ભણીને ય શું તોપ ફોડવાની છે? ભણ્યા વગર મંત્રી થઈ શકાતું હોય ને હાથ નીચે કુલપતિ કે કલેકટર રાખી શકાતા હોય તો ભણીને કામ જ શું છે? આવો વર્ગ પણ વિકસી રહ્યો છે ને બીજી તરફ આપણે શિક્ષણની ગુણવત્તાની ચિંતા કરી છીએ. છે ને કમાલ !
આ પુણ્યકાર્ય શાળાઓમાં જ થાય છે એવું નથી, તે યુનિવર્સિટીમાં પણ થાય છે. વિદ્યાર્થી યુનિયનો બે પ્રકારના છે. એક સરકારને ઇશારે ચાલે છે તો બીજું, વિપક્ષને ઇશારે કૂટી ખાય છે. બંનેને કોઈને માટે માન નથી હોતું. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ઓનલાઈન અને ઓફલાઇન શિક્ષણ, એમ બંનેમાં પગ રાખવા જતાં બાવાના બે ય બગડે છે. ઓનલાઈન વ્યવસ્થા ફૂલપ્રૂફ ન હોય તો ક્યાંક તેનો લાભ મળે ને ક્યાંક ન મળે એમ બનવાનું. એમાં આગ્રહ એવો પણ રખાય છે કે ઓનલાઈન હોય તો પણ, પરીક્ષા તો જે તે કોલેજમાં જઈને જ આપવાની. વળી, ઘણા હવે ઓફલાઇન પરીક્ષા આપવા તૈયાર નથી. તે એટલા માટે કે ઓનલાઇનમાં વાંચ્યા વગર પાસ થવાની જે તક છે તે ઓફલાઇનમાં નથી. ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરે તો પકડાતો નથી, પણ પ્રોફેસરો જવાબો લખાવે તો પકડાય છે. એટલે કુલપતિ આગ્રહ રાખે કે ઓનલાઈન પરીક્ષાઓ પણ કોલેજોમાં જ લેવાશે તો પેલી ચોરીની સગવડો ત્યાં રહેતી નથી એટલે દેખીતું છે કે યુનિયનો પરીક્ષા (ઓનલાઈન) કોલેજમાં લેવાય તો રાજી ન થાય. એની સામે એ પણ છે કે ઓનલાઈન પરીક્ષાઓ કોલેજમાં લેવાની હોય તો ત્યાં નેટવર્ક વગેરેની પૂરતી વ્યવસ્થાઓ હોય તે જોવાય, પણ ક્યાંક તો કશુંક રહી જ જાય છે.
ક્યાં ય એવું લાગે છે કે શિક્ષણ બાબતે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંચાલકો કે શિક્ષણ વિભાગ ગંભીર છે? બધાં જ વેઠ ઉતારે છે – વિદ્યાર્થી ભણીને કે ન ભણીને, વાલી ફી આપીને, સ્કૂલો ફી ઉઘરાવીને કે અન્ય સરકારી કામગીરી કરીને, સરકાર પરીક્ષાઓમાં ફેરફાર કરીને કે માસ પ્રમોશન આપીને માથેથી ભાર ઉતારી દે છે. આ બધું કોઈ રીતે શિક્ષણના હિતમાં નથી. આમાં જે તકનો લાભ લેવા માંગે છે તે તો ગમે તે રીતે ગમે ત્યાં ગોઠવાઈ જશે, પણ જે ખરેખર ભણવા બાબતે ગંભીર છે, તે આ દેશમાં નહીં ગોઠવાય. તે વિદેશ જશે ને પોતાની રીતે આગળ વધશે ને આપણે થોડાં વર્ષો પછી એને ભારતીય મૂળની વ્યક્તિ તરીકે જોઈને પોરસાઈશું. સરકારે એ જોવું જોઈએ કે છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલા ને કેવા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે દેશ છોડીને ગયા છે? આ આંકડો આઘાત આપનારો છે. આપણે ઉત્તમ વિદ્યાર્થીઓને વિદેશ જવા લાચાર કરી રહ્યા છીએ એ દુ:ખદ છે એમાં ય સૌથી વધુ મરો તો એ વિદ્યાર્થીઓનો થાય છે જે હોંશિયાર છે ને તક અને આર્થિક સગવડના અભાવમાં અહીં જ મરી રહે છે. નથી એને સરકાર મદદ કરતી કે નથી તો કુટુંબ એની પડખે રહી શકતું.
ટૂંકમાં, શિક્ષણના અર્થ કેળવણી, બોધ, શિક્ષા વગરે છે, એમાં શિક્ષાનો અર્થ સજા પણ છે ને અત્યારે શિક્ષણનો એક જ અર્થ બચ્યો છે ને તે છે ‘શિક્ષા !’ વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 નવેમ્બર 2021