ભલા ભાઈ, આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે સામસામે મૂકવા જોગ વ્યક્તિત્વ છે : એક નકરા ધર્મઝનૂની મહત્ત્વાકાંક્ષી, બીજા ધર્મજ્ઞ ને ઉચ્ચાકાંક્ષી, જેમને અર્ધ્યરૂપે મુનશીએ હૈમસારસ્વત સત્ર યોજ્યું હતું.
વાત તો સાચી કે આ જમાનો ન્યૂ નૉર્મલનો છે : સોલંકીકાળની ભારત પ્રસિદ્ધ રાજધાની પાટણમાં વિરાજતી યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી ખુદ ‘પાટણની પ્રભુતા’ને જ રુખસદ ફરમાવવાની નોબત આવી છે.
તેમ છતાં, જો કે, આરંભે જ કબૂલી લેવું જોઈએ કે પાઠ્યક્રમમાંથી કશુંક પડતું મૂકવું એની યુનિવર્સિટીઓને કે શાલેય સંસ્થાનોને નવાઈ નથી. છેલ્લા મહિનાઓમાં એન.સી.ઈ.આર.ટી.એ અજબ જેવી ધડબડાટી બોલાવી છે, પણ આ ક્ષણે આપણે એમાં નહીં જતાં સ્થાનિક ધોરણે થતાં નિર્ણયોની ચર્ચા કરીશું. હમણાં કહ્યું કે, અભ્યાસક્રમમાંથી કશુંક કમી થવાની નવાઈ નથી. આપણે ગુજરાતમાં, ગુજરાતીના વિષયની જ નમૂના દાખલ વાત કરીએ તો તરત સાંભરશે કે વિશ્વનાથ ભટ્ટની કલમે લખાયેલ વિરલ એવા નર્મદ – ચરિત્રમાંથી ‘નર્મદનો જમાનો’ એ પાઠ પાઠ્યપુસ્તકમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. રામનારાયણ વિ. પાઠકની નવલિકા ‘ખેમી’ સાંભરે, અને ઉમાશંકર કૃત ‘ઢેઢનાં ઢેઢ ભંગી’ પણ (ક્ષમાયાચના સહ અહીં નિવેદિત કરવાનું કે નિષિદ્ધ પ્રયોગો કેવળ શીર્ષકને મૂળ રૂપે ટાંકવાના ખયાલે જ કર્યા છે.)
પૂર્વે ઠીક ઠીક ઊહાપોહ થયો હોય તો પણ હમણેનાં વરસોનો અનુભવ એ છે કે, વિવાદ અને વિખવાદ વચ્ચેથી, કોઈની લાગણી દુભાવાના ખયાલે ચર્ચા (કેટલાંકને મતે કચકચ) ટાળવામાં સૌ ડહાપણ જુએ છે અને કજિયાનું મોં કાળું એવાં હિતવચનોમાં આશરો લે છે.
સરકારને પક્ષે કે સંબંધિત શિક્ષણ-સંસ્થાને પક્ષે આમાં એક સગવડ પડેલી છે એ સાફ છે. પણ શિક્ષણની ધોરણસરની પ્રક્રિયા અને પાયાનાં શૈક્ષણિક મૂલ્યોની રીતે વિચારીએ તો કથિત ડહાપણ વાસ્તવમાં ભણાવનારની કમજોરી છે, અને એથી પણ વધુ તો ભણાવનારની પૂંઠે સરકારી તંત્રે ને શાસકીય નેતૃત્વે અડીખમ રહેવું જોઈએ એવી. સહજ અપેક્ષાનું કેવળ ઉલાળિયું છે. આપણા કેટલા બધા ગમા-અણગમા વિવેકશૂન્ય ને આધારશૂન્ય હોય છે. કેળવણીની પ્રક્રિયા ગમા-અણગમા વચ્ચે શુદ્ધ વિવેક જગવવાની હોવી જોઈએ. આ રીતે વિચારીએ તો પાઠ્યક્રમમાંથી પરબારું પડતું મૂકવાનું વલણ પોતે તપાસ બલકે પુનર્વિચાર માગી લે છે.
હવે વાત ‘પાટણની પ્રભુતા’ની પેઢી દર પેઢી એની નવી આવૃત્તિઓ થતી રહી છે. મુદ્દે, એક સન્માન્ય જૈનાચાર્યે કુલપતિ રોહિત દેસાઈ જોગ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટી જે મહાપુરુષના નામથી ગૌરવાન્વિત છે એ હેમચંદ્રાચાર્યના જીવનને અયોગ્ય રીતે પ્રસ્તુત કરનાર આ પુસ્તકને પાઠ્યક્રમમાં પ્રવેશ કેવી રીતે આપી શકાય. ગમે તેમ પણ, ‘પ્રભુતા’ વાંચનારને વળતો પ્રશ્ન ખરેખર તો થવો જોઈએ કે આ નવલકથામાં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં ? અલબત્ત, પાટણ પંથકના એક જૈન અગ્રણીએ કેવળ દૂરાકૃષ્ટ જ નહીં પણ ધરાર ધડમૂળ વગરની વાત કરી છે કે ‘પ્રભુતા’માં આવતા જતિ આનંદસૂરિ પરોક્ષરૂપે હેમચંદ્રાચાર્ય છે. ભાઈ, મુનશીએ એમની નવલત્રયીના બીજા-બીજા મણકામાં, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’માં વાસ્તવિક હેમચંદ્રાચાર્યનું કથારૂપ મૂક્યું જ છે. આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે જુદાં જ વ્યક્તિત્વ છે … ધર્મઝનૂની આનંદસૂરિ અને ઉચ્ચાકાંક્ષી ધર્મજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય ! મુનશી સરખી પ્રતિભા, જેને નામે હૈમસારસ્વતં સત્ર સરખો સોજ્જો અવસર ઇતિહાસજમે બોલે છે, એનો તો લિહાજ કરો જરી.
સમજમાં તળેઉપર, ઇતિહાસની સેળભેળ, મુદ્દા વગરની લાગણી દુભાઉ ધડપડ, આવે વખતે યુનિવર્સિટીએ પરબારા વાવટા વીંટી લેવાય નહીં. હજુ પણ મોડું થયું નથી. યુનિવર્સિટી પહેલ અને આદર સાથે સંબંધિત સૌને સાથે રાખીને ચર્ચા કેમ ન કરી શકે ? એક પા કુલપતિ-કુલાધિપતિ તો બીજી પા શિક્ષણ પ્રધાનને છેડેથી લેખકો અને અધ્યાપકોને તેમ જ કથિત વિરોધકોને નિમંત્રીને વિમર્શ કરવાપણું છે.
આ પ્રક્રિયામાં પડવાથી બેઉ બાજુના સૌ લાભાન્વિત થશે : આવી પ્રક્રિયા, અંતે તો, આરતી સરખી બની રહેતી હોય છે – ભગવાન અને ભક્ત બેઉને તે એક સાથે આલોકિત કરે છે. એટલું જ નહીં પણ એની આશકા નાનામોટા સૌ હોંશે હોંશે લઈ શકે, અને સરવાળે શિક્ષણ પણ સુધરી શકે!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 જુલાઈ 2023