૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી પછી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન સાથે ગેમ કરવામાં આવી હતી એ કદાચ યાદ હશે. આ તો એક ઉદાહરણ છે. આવાં તો બીજાં અનેક ઉદાહરણ છે જેમાં ભારતીય જનતા પક્ષે જે ખભાઓનો ઉપર ચડવા માટે ઉપયોગ કર્યો હતો તેની સાથે જ દગો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય પછી બી.જે.પી.ને એમ લાગવા માંડ્યું હતું કે હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની જરૂર નથી. કાઁગ્રેસે જેમ વગર ટેકે એકલે હાથે ચાર દાયકા કરતાં વધુ સમય રાજ કર્યું હતું એમ આપણે પણ કરી શકીશું. બી.જે.પી.એ એન.ડી.એ.નું વિસર્જન નહોતું કર્યું, પણ તેને કદ પ્રમાણે વેતરવાનું શરૂ કર્યું હતું. બિહારમાં ચિરાગ પાસવાન તો ઠીક નીતીશકુમારને પણ વેતરી નાખ્યા હતા. નીતીશે કુમારે પલટી મારી એનું કારણ તેમનું અને તેમના પક્ષનું અસ્તિત્વ જ દાવ પર હતું એ છે. એવું જ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે બન્યું હતું અને સેનાએ પોતાનું અસ્તિત્વ બચાવવા છેડો ફાડ્યો હતો. આવું જ પંજાબમાં અકાલી દલ સાથે બન્યું હતું. તમે એ પણ નોંધ્યું હશે કે બી.જે.પી.એ ૨૦૧૯ પછીથી એન.ડી.એ.ની કોઓર્ડીનેશન કમિટીની એક પણ બેઠક નથી બોલાવી.
હવે અચાનક બી.જે.પી.ને એન.ડી.એ. પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને દિલ્હીમાં ૩૮ પક્ષોની એક બેઠક બોલાવી અને એ પણ એ જ દિવસે જે દિવસે બેંગલોરમાં ૨૬ વિરોધ પક્ષોની બેઠક થવાની હતી. એન.ડી.એ.ની બેઠકમાં હાજર રહેલા ૩૮ પક્ષોની યાદી પર એક નજર કરવા જેવી છે. ૩૮માંથી ૩૦ પક્ષો એવા છે જેનાં તમે ક્યારે ય નામ પણ નહીં સાંભળ્યા હોય અને કેટલાક તો ક્યારે ય એન.ડી.એ.માં નહોતા. એન.ડી.એ.ના અઢી દાયકા જૂના ઘટક પક્ષોમાંથી મોટાભાગના પક્ષો દગાખોરીથી બચવા અથવા દગાખોરીનાં કારણે જતા રહ્યા છે.
એવી શું જરૂર પડી કે અચાનક એન.ડી.એ.ની યાદ આવી?
એક કારણ તો એ છે કે બી.જે.પી. એમ બતાવવા માગે છે કે તે દેશમાં અછૂત નથી. દેશમાં એવા અનેક પક્ષો છે જે અમારી સાથે ચાલવા તૈયાર છે. તમે જોયું હશે કે બી.જે.પી.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંખ્યા બતાવી હતી; જુઓ તેઓ ૨૬ છે અને અમે ૩૮.
બીજું કારણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી છે અને વિરોધ પક્ષો સંયુક્ત મોરચો રચીને બી.જે.પી.ના એક ઉમેદવારની સામે એક ઉમેદવાર ઊતારવાની તૈયારી કરી રહ્યા છે. બી.જે.પી.ને ખબર છે કે કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તેનો ગજ વાગવાનો નથી. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં ત્યાં પણ બહુ સફળતા મળે એમ નથી. આ રાજ્યોની કુલ બેઠક ૧૩૦ થાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ખાસ કોઈ સફળતા મળે એમ નથી અને પશ્ચિમ બંગાળની પંચાયતોની ચૂંટણીનાં ગયા અઠવાડિયે આવેલાં પરિણામોએ આ બતાવી આપ્યું છે. પશ્ચિમ બંગાળ લોકસભાની ૪૨ બેઠકો ધરાવે છે. આમ લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૫૦ બેઠકો બી.જે.પી.ને મળે એમ નથી. એ પછી છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એવાં રાજ્યો છે જ્યાં બી.જે.પી. સામે કાઁગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ નથી. ટૂંકમાં બી.જે.પી. સામે કાઁગ્રેસની સીધી લડાઈ થવાની છે અને આ રાજ્યોની કુલ બેઠકો છે; ૧૦૦. અત્યાર સુધી આમ આદમી પાર્ટીનો કાઁગ્રેસના મત તોડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, પણ મદમાં આવીને આપ સાથે સંબંધ બગાડ્યા એટલે એ હવે ખેલ બગાડવા કાઁગ્રેસ સામે મેદાનમાં ઉતરવાની નથી. આમ લોકસભાની ૨૭૨ બેઠકો એવી છે જ્યાં કાં તો બી.જે.પી.નો ગજ ટૂંકો પડે છે અથવા કાઁગ્રેસ સામે સીધો મુકાબલો થવાનો છે.
રહી ૨૭૧ બેઠકો જેમાં ૨૬ વિરોધ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે કે બી.જે.પી.ના એક ઉમેદવાર સામે વિરોધ પક્ષોના એક ઉમેદવારને ઊભો રાખવામાં આવે. એમાં કોઈ શંકા નથી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત બી.જે.પી.નો ગઢ છે અને તેની બેઠકસંખ્યા ૧૧૧ છે. ઉત્તર પ્રદેશમાં કાઁગ્રેસ નબળી છે અને સમાજવાદી પક્ષ સામે માયાવતીનો બહુજન સમાજ પક્ષ છે જે વિરોધ પક્ષના મોરચામાં સામેલ થવા તૈયાર નથી. એક તો ઉત્તર પ્રદેશમાં બી.જે.પી. મજબૂત છે અને ઉપરથી માયાવતી મત તોડશે, એટલે ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો વિજય થવાનો છે. વળી ઉત્તર પ્રદેશની બેઠકો કોઈ ઓછી નથી ૮૦ છે. માયાવતીની જેમ ઓડીશામાં નવીન પટનાયક પણ કોઈ મોરચામાં જોડાયા નથી એટલે ત્યાં પણ ત્રિપાંખિયો જંગ થવાનો છે અને ઓડીશાનો બેઠકસંખ્યા ૨૧ છે.
જો વિરોધ પક્ષો સંગઠિત થાય અને એક સામે એકનો મુકાબલો થાય તો તે બી.જે.પી. માટે ચિંતાનો વિષય તો બને જ. માટે શરદ પવારના પક્ષમાં ફૂટ પાડવામાં આવી. માટે એન.ડી.એ. નામના મૃતપ્રાય મોરચાને ફરી જીવતો કરવામાં આવ્યો છે. એમાં જે પક્ષો છે એ ફૂટકળિયા છે, પણ તેનું કામ વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવારના મત તોડવાનું હશે. આને માટે પૈસા તો બી.જે.પી. પૂરા પાડશે.
વિરોધ પક્ષો સંગઠિત થશે ખરા? અને થશે તો એકતા ટકી શકશે ખરી? વિપક્ષી એકતાના અત્યાર સુધીના પ્રયાસોનો ઇતિહાસ જોતા ભરોસો બેસતો નથી, પરંતુ એ સાથે જ બી.જે.પી.ની દાદાગીરીનો વર્તમાન જોતા એ સંભવ પણ લાગે છે. બી.જે.પી.નો ઈરાદો તુર્કીની જેમ એકપક્ષીય શાસન લાદવાનો છે અને વિરોધ પક્ષો સામે અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સિવાય પ્રાદેશિક અસ્મિતા અને સમવાય ભારત સામે પણ અસ્તિત્વના પ્રશ્નો પેદા થયા છે. સોમવાર અને મંગળવારે બેંગલોરમાં મળેલી વિરોધ પક્ષોની બેઠકમાં સંગઠિત મુકાબલો કરવાની જે ગંભીરતા જોવા મળી એ જોતાં એમ લાગે છે કે એક સામે એક ઉમેદવાર ઊભો રાખવામાં સરેરાશ ૯૦ ટકા સફળતા મળશે. એન.ડી.એ.ના ફૂટકળિયા પક્ષો ઝાઝું નુકસાન નહીં પહોંચાડી શકે.
બી.જે.પી.ની ચિંતાનું ત્રીજું કારણ રાષ્ટ્રીય રાજકારણમાં કાઁગ્રેસે પુન:પ્રાપ્ત કરેલું સ્થાન છે. ૨૦૧૯માં કાઁગ્રેસને બોજારૂપ ગણવામાં આવતી હતી જેનો અત્યારે વિપક્ષી એકતાના એન્જીન તરીકે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની ઈમેજમાં પણ સુધારો થયો છે.
બી.જે.પી.ની ચિંતાનું ચોથું અને મોટું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. દૂરનું વિચારવાની ક્ષમતા ધરાવનારા બુદ્ધિશાળી અને સંવેદનશીલ નાગરિકોએ બંધારણમાં આલેખાયેલા ભારતને બચાવી લેવાનો સંકલ્પ કર્યો છે અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી તેમના માટે છેલ્લી તક છે. કર્ણાટકમાં નાગરિક સમાજ ઉતર્યો હતો અને હવે પછીની ચૂંટણીઓમાં ઉતરવાનો છે. અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પહેલી અને બીજી જુલાઈએ મહારાષ્ટ્રના નાગરિક સમાજની એક બેઠક જળગાંવમાં મળી હતી જેમાં ૮૦૦ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેમાં અડધા કરતાં વધુ યુવક-યુવતી હતાં. તેમની સક્રિયતા, મૌલિકતા અને ઉપરથી નિસ્વાર્થપણું ગ્રાઉન્ડ ઉપર ફરક પાડી શકે છે જેમ કર્ણાટકમાં બન્યું હતું. નાગરિક સમાજ મત તોડનારા ફૂટકળિયા પક્ષો અને અપક્ષ ઉમેદવારોને નિરસ્ત કરી શકે એમ છે. કર્ણાટકમાં આ પણ જોવા મળ્યું હતું.
હા, પુલવામાં જેવી ઘટના બને તો વાત જુદી છે. પણ આવું વારંવાર દરેક ચૂંટણી વખતે બને?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2023