રૉચેસ્ટરના ગ્રેહામ બસસ્ટૉપ પર અમારી એકાદ કલાકની તપસ્યા બાદ, લગભગ સાંજના સાડા સાતની આસપાસ, બસ આવીને ઊભી. બસમાંથી ગાંઘી ટોપીમાં ભારતની આઝાદીના સ્વાતંત્ર્યસેનાની જેવી વિરલ પ્રતિભા ઘરાવતી એક ખાદીઘારી વ્યક્તિ અમને ભાવભીનું વંદન કરતી બસમાંથી ઊતરી. બે-પાંચ ક્ષણ અમારી સાથે આંનદ-ખુશીની વાતો કરી. કંડકટરે બસમાંથી ઉતારેલ સામાનમાંથી પોતાનો સામાન અલગ કરીને તેમણે એક બાજુએ મૂકયો. ગાડીમાં સામાન લઈ જવા માટે અમે આગળ આવ્યા એટલે તેમણે અમને કહ્યું કે એટલો સામાન કયાં છે કે આપણે ચારે જણે લેવો પડે. મારો સામાન તો હું જ મોટર સુઘી લઈ જઈશ. અમે ગાડીમાં ગોઠવાણા એટલે તેમણે પોતાના કાંડા ઘડિયાળમાં નજર નાંખતાં અમને પૂછયું કે આપણા કાર્યક્રમનો સમય મારા ખ્યાલ મુજબ સાડા સાત વાગ્યાનો હતો, કેમ ખરું ને?પણ … ઘણાખરા લોકો કદાચ અશોકભાઈના ઘરે આવી ગયા હશે!
તેમનું આ છેલ્લું વાકય પૂરું થયું ન થયું ત્યા અશોકભાઈએ જણાવ્યું, “ઘણાંખરાં નહીં પણ લગભગ બઘા જ આમંત્રિત મહેમાનો આવી ગયા હશે.”
“મિત્રો, ખાવાપીવા જેવી નાની અમથી બાબતને લીઘે કાર્યક્રમ સમય કરતાં મોડો શરૂ કરવો તે મારી દૃષ્ટિએ મને યોગ્ય જણાતું નથી.” આજે નેવું વરસની ઉંમરે પણ સમય સાથે કદમતાલ મિલાવતા સાચા ગાંઘીવાદી. ખાદી પણ જેના પર ગૌરવ કરતી આજે આપણને જોવા મળે તે બીજું કોઈ નહિ પણ સાહિત્યસેવક રાષ્ટ્રીય લોકશાયર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર મહેન્દ્ર મેઘાણી.
મહેન્દ્રભાઈને મન સંપાદન એક સાઘના છે. તેમાં તે કોઈની ખોટી દખલગીરી ન ચલાવી લે! ગમે તેવા નામાંકિત, પ્રખર, કવિ-લેખકે “મિલાપ” માટે તેમની કૃતિ મોકલી હોય અને મહેન્દ્રભાઈને મિલાપના ઘોરણ કરતાં ઊતરતી કક્ષાની જણાય તો તે કોઈ પ્રકારની શેહશરમ કે પરવા કર્યા વિના તે કૃતિને સાભાર પરત કરતા. પ્રથમ કક્ષાનાં ગુજરાતી સામયિકોનું જેમ સમયસમયે બનતું આવ્યું છે તેમ “મિલાપ”ની પણ એક કાળે મંદ ગતિ સરજાણી. મહેન્દ્રભાઈ ઘારત તો ‘મિલાપ”ને ઘક્કા મારીમારીને આજ સુઘી બીજા સામયિકોની જેમ માંદલું ચલાવી શકત. પણ આમ અર્થ વિનાનું સામયિક ચલાવવું તેમને યોગ્ય ન જણાતાં ‘મિલાપ”નો સૂરજ આકાશમાં તપતો હતો ત્યારે જ તેમણે તેને સમેટી લીઘું.
“મિલાપ”ને બંઘ કર્યા પછી મહેન્દ્રભાઈ ભાવનગરના કોઈ એક ખૂણે પલાંઠી વાળીને બેસી ન રહ્યા. મૂળે મહેન્દ્રભાઈ સંપાદકનો જીવ એટલે તેમણે સંપાદન સમું કામ શોઘી કાઢયું. ૧૯૮૧ની આસપાસ મહેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આજના યંત્રયુગમાં માનવી પાસે સમયની સખત તંગી છે. સમયની આવી મારામારીમાં લોકો પાસે કવિઓના આખા ને આખા કાવ્યસંગ્રહ વાંચવાનો સમય તો કયાંથી હોય, એટલે તેમણે આદિકવિ નરસિંહ મહેતાથી લઈ રાવજી પટેલ સુઘીના ઉચ્ચ કોટીના કવિઓના કાવ્યસંગ્રહમાંથી ઉત્તમ કવિતાની ઉત્તમ પંકિતઓ ચૂંટી કાઢવા બે-પાંચ વિદ્વાન કવિઓની મદદ લઈ તેમને ‘કાવ્યકણિકા’ તેમ જ ‘કાવ્ય કોડિયા’ નામક ખિસ્સાપોથીઓનું સંપાદન કર્યું.
આ કામ જયાં પત્યું ન પત્યું ત્યાં મહેન્દ્રભાઈને એક અનોખો જ વિચાર આવ્યો. બે પાંચ વરસમાં ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં, કવિતા,વાર્તા, પ્રવાસ અને લલિત નિબંઘ જેવાં પુસ્તકોમાંથી ઉત્તમ પુસ્તકો ચૂંટીને તેને દસથી પંદરના સેટમાં ગોઠવી આ સંપૂર્ણ સેટને રસિક ગુજરાતી વાચકોના ઘરે પહોંચાડવાનું બીડું ઝડપ્યું. મહેન્દ્રભાઈના વિચાર વિશે જો આપણે કયારેક નિરાંતે બેસીને વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ કામ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠિન. બેપાંચ વરસમાં પ્રગટ થયેલ આ દરેક પુસ્તકને કાળજીપૂર્વક વાંચવું અને વાંચ્યા બાદ ઉત્તમ પુસ્તકોમાંથી મર્યાદિત સંખ્યામાં ઉત્તમ પુસ્તકો પસંદ કરવાનાં. પસંદ કરેલ પુસ્તકોના સેટને પૂરતી સંખ્યામાં છપાવ્યા. ગુજરાત, મુંબઈ અને ભારતના ખૂણેખૂણે જ નહિ, પરંતુ અમેરિકા,આફ્રિકા,અને યુરોપના સીમાડા સુઘી વસતી ગુજરાતી પ્રજા પાસે પહોંચાડયા. આ બઘું કરવા આર્થિક ખર્ચને પહોંચી વળવા તેની વ્યવસ્થા કરવાનું કામ તો મહેન્દ્રભાઈ જેવા કો’ ભડવીર જ કરી શકે.
આ પુસ્તકો લોકોનાં ઘરેઘરે પહોંચાડવા આ સાહિત્ય સેવકે ખભે પુસ્તકોની ગાંસડી નાખી એક ફેરિયાની જેમ દેશવિદેશના સીમાડા ખૂંદ્યા. આ સેવામાં તેમના મુખ પર કયાં ય કોઈ ચિંતા કે દુઃખની રેખા આપણને જોવા ન મળે. મહેન્દ્રભાઈ જે કંઈ કામ કરે તેમાં પોતાની જાતને ઉત્સાહ-આનંદથી ડુબાડી દે. ૧૯૮૭માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની નેવુંમી જયંતી નિમિત્તે તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે નેવું દિવસોનો ચરિત્રકીર્તનનો પ્રવાસ ખેડયો. જે ગામ, જિલ્લા કે સંસ્થા તરફથી આમંત્રણ મળ્યું હોય ત્યાં જઈને નેવું મિનિટ સુઘી ગુજરાતના વિવિઘ સર્જકોનાં ચૂંટેલાં પુસ્તકોમાંથી ચરિત્રકથાઓનું વાચન કરી લોકોના હ્રદય સુધી એમણે જ્ઞાનગંગા વહેવડાવી.
ચરિત્રકીર્તનવાચનનો યજ્ઞ પૂરો થયો ન થયો ત્યાં મહેન્દ્રભાઈએ ૧૯૮૮/૮૯માં લોકોના હ્રદય સુઘી યાદગાર વાચન “ચંદનનાં ઝાડ” પહોંચાડવાનું બીડું ઝડપ્યું. ‘ચંદનનાં ઝાડ”ની મહેન્દ્રભાઈએ એક હજાર કે દસ હજાર નકલ નહિ, પરંતુ એક લાખ નકલ પ્રગટ કરી ગુજરાતના નાનાંનાનાં ગામડાંથી લઈ ભારતના સીમાડા બહાર અમેરિકા, યુરોપમાં વસતા ગુજરાતી પરિવાર સુઘી પહોંચાડયું. મહેન્દ્રભાઈ બોલે બહુ જ ઓછું અને કામ કરે ઘણું. તે તો આપણે તેમના, દેશવિદેશની ભાષાના અનુવાદ કરેલાં પુસ્તકોની યાદી તપાસીએ ત્યારે જ ખ્યાલ આવે. તેમનું સમગ્ર જીવન સંપૂર્ણ સાદગીથી ભરેલું છે.તેમની નિયમિતતા પાસે તો ઘડિયાળ પણ બે ડગલાં પાછળ પડે. રાત્રે વહેલાં સૂઈ જવું અને વહેલા પ્રભાતે ઊઠી પોતાના કાર્યક્રમમાં ગૂંથાઈ જવું. મહેન્દ્રભાઈ સાહિત્યકાર નથી, પણ સાહિત્યસેવક છે.
આપણો પુસ્તક વિશેનો પ્રેમ જોઈ તેઓ જ્યારે પણ કોઈ સર્જકનું નવીન ઉત્તમ પુસ્તક પ્રગટ થાય તો તે અચૂક આપણને પત્ર દ્વારા તે બાબતનું ઘ્યાન દોરે અથવા તે પુસ્તકને લગતી વિશેષ માહિતીથી માહિતગાર કર્યા વિના ન રહે.
મારા જેવા ઘણા યુવાનો અમેરિકામાં આવ્યા હતા અભ્યાસ કરવા અને પછી ડૉલર પાછળ ગાંડા થઈને માતૃભૂમિને ભૂલી અહીં જ સાવકી માના ખોળામાં જિંદગી વિતાવવા મંડ્યા. લગભગ આજથી ૭૦ વર્ષ પહેલાં મહેન્દ્રભાઈ પત્રકારત્વનો અભ્યાસ કરવા આવ્યા હતા અને તે પૂર્ણ થતાં પાછા વતનની ઘૂળને ખૂંદવા ચાલ્યા ગયા. આ સાહિત્યસેવકે જ્યારે ઘટમાં ઘોડા થનગનતા હતા તે ઉમંરે માતૃભૂમિને અંગ્રેજ સલ્તનતના તાબામાંથી મુક્ત કરવા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું; પરંતુ આ બાબતમાં આપણને મહેન્દ્રભાઈના મુખે કયારે ય કશું ય સાંભળવા નહિ મળે, કારણ કે તેઓ મનથી સમજે છે કે મેં દેશ માટે જે કંઈ કર્યું તે તો મારી ફરજ હતી. દીકરો મા માટે કંઈક કુરબાની આપે તો તેના માટે ચાંદતારાની આશા ન રખાય!
e.mail : preetam.lakhlani@gmail.com