ત્રીસ વર્ષ પહેલાં, ભારતમાં મારા અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના વિભાગમાં આર્જેન્ટિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાઠ્યપુસ્તકમાં આર્જેન્ટિના માટે બીફના ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે, જ્યારે જર્મનીએ તેનાં સંસાધનોને ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે વાપરવાં જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. આ ઉદાહરણનો ઉપયોગ એડમ સ્મિથના ‘સંપૂર્ણ લાભ’ના સિદ્ધાંતને સમજાવવા માટે કરવામાં આવ્યો હતો – દેશોએ તેમની અર્થવ્યવસ્થામાં વૈવિધ્યીકરણ કરવાને બદલે તેઓ ‘શ્રેષ્ઠ’ શું કરે છે તેમ જ કરી શકે તેમ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્જેન્ટિના જેવા વિકાસશીલ દેશોએ ફક્ત કાચો માલ ઉત્પન્ન કરવો જોઈએ, જ્યારે જર્મની જેવા શ્રીમંત દેશોએ તકનીકી વિકાસમાં આગળ વધવું જોઈએ તેવી સલાહ મને કંઈક અસભ્ય લાગી હતી.
આર્જેન્ટિના તે સમયે અને હજી પણ ગાયનાં માંસ(બિફ)નું મુખ્ય ઉત્પાદક અને નિકાસકર્તા છે. મારા સાથીદારો અને મારી પહોંચ હજુ આર્જેન્ટિનાનાં મેદાનોના – પમ્પાસના ગૌચરો – વિશેની જોસ હર્નાન્ડીઝના મહાકાવ્ય ‘માર્ટિન ફિએરો’ સુધી ન હતી, પરંતુ જોર્જ લુઈસ બોર્જેસની ટૂંકી વાર્તાઓને કારણે અમે ક્રૂર કોમ્પેડ્રિટો (‘ગલીના ગુંડા’) અને કુચિલેરોસ (‘ચપ્પા ઉડાવનારા) વિશે જાણતા હતા. અહીં આર્જેન્ટિનાની સપાટ ભૂમિ પર તેમના ઘોડાઓ પર બેસીને એકલા ફરતા માલધારી જેમને ‘કાઉબોય’ કહેવાય છે – તે પણ આમાં ભળેલા હતા. તેઓ તેમનાં ઢોરને બજાર માટે એકઠાં કરતા હતા. હવે ચિત્ર બદલાઈ ગયું છે. આ ઘોડેસવારો હવે આર્જેન્ટિનાના ગ્રામીણ સમાજમાં જોવા મળતા નથી. આજે તો, ત્યાંના ગ્રામ્ય વિસ્તારમાં નાના ખેડૂત અને ખેતમજૂરો જોવા મળે છે, જેઓ મોટા ખેડૂતો કે કૃષિ સંબંધિત વેપારીઓ માટે કામ કરે છે અને દેશને કમાણી કરી આપવાની બાબતમાં તેઓ આગેવાની લઈ રહ્યા છે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રીય કૃષિ ગણતરીના અહેવાલ મુજબ દેશમાં જમીનો પર એક નાના વર્ગના કબજાને કારણે ખેતીના જમીનધારકોની સંખ્યામાં ૧૯૮૮ અને ૨૦૧૮ વચ્ચે લગભગ ૪૧%નો ઘટાડો નોંધાયો હતો.
૨૦૨૧માં, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WHO)એ નોંધ્યું હતું કે આર્જેન્ટિના કૃષિ ઉત્પાદનોનું મુખ્ય નિકાસકર્તા છે, જે તે સમયે દેશની નિકાસમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવતો હતો. (એપ્રિલ ૨૦૨૩ સુધીમાં, દેશની નિકાસનો કૃષિ ઉત્પાદનોનો ફાળો ૫૬.૪% હતો) આર્જેન્ટિનાનાં મુખ્ય ઉત્પાદનો અનાજ (ઘઉં, મકાઈ), સોયા અને બીફ છે. દેશના કૃષિ વ્યાપારે વૈશ્વિક સોયાબીન બજારમાં ઉત્સાહપૂર્વક પ્રવેશ કર્યો અને ખેડૂતોને નિકાસ માટે પ્રોત્સાહિત કરવા ‘સોયા ડોલર’ નામની યોજના પણ અમલમાં મૂકી, જેથી દેશ તેના મોટા વિદેશી વિનિમય સંકટમાંથી મુક્ત થવા કમાઈ શકે.
આર્જેન્ટિનાને દેશમાં આવેલા સતત ત્રણ વર્ષના દુષ્કાળ (જળવાયુ પરિવર્તનની આપત્તિના કારણે) અને અન્ય ચાર અગ્રણી ઉત્પાદકો – બ્રાઝિલ, યુનાઈટેડ સ્ટેટ્સ, ચીન અને ભારતમાં સોયાબીનના વધતા વાવેતરને કારણે આર્જેન્ટિના ઉપર ઘણું દબાણ આવ્યું. સોયાબીનના ઉત્પાદનને કારણે આર્જેન્ટિનાના ગ્રામ્ય વિસ્તારમાં મોટું પરિવર્તન આવ્યું છે. દેશની અડધાથી વધુ ખેતીલાયક જમીનો પર તેનું વાવેતર કરી/કરાવીને અર્થશાસ્ત્રી કલાઉડિયો સ્કેલેટાએ જેને ‘અદૃશ્ય જાયન્ટ્સ’ (કારગિલ, આર્ચર ડેનિયલ્સ મિડલેન્ડ આર્જેન્ટિના, બંજ આર્જેન્ટિના ડ્રેક્સ અને નોબલ આર્જેન્ટિનાના જેવાં કોર્પોરેશનો) કહ્યાં છે તેના હાથમાં ઉત્પાદન કેન્દ્રિત થયું છે. હવે પંપામાં (મેદાનમાં) પશુઓ દોડાદોડી કરતાં જોવા મળતાં નથી. તેને બદલે ત્યાં હવે સોયાબીનનાં ફૂલો પવનની લહેરમાં ઝૂમતાં દેખાય છે.
અમારું નવીનતમ ડોઝિયર ‘કોની જમીન અને જમીન શાને માટે ? આર્જેન્ટિનાની જમીન પર કબજા અંગે અધૂરી ચર્ચા(જૂન ૨૦૨૩)’એ આર્જેન્ટિનાના ગ્રામ્યવિસ્તારમાં ઊભા થયેલા ચોંકાવનારા વિરોધાભાસો, જેના કારણે લોકોની હેરાનગતિ વધી ગઈ છે – તેના તરફ આંગળી ચીંધે છે. સૌથી સ્પષ્ટ દેખાઈ આવતી વિસગંતતા એ છે કે આર્જેન્ટિનામાં તેના ૪.૬ કરોડ લોકોને અનાજ પૂરું પાડવા માટે પૂરતી ખેતીલાયક જમીન હોવા છતાં દેશમાં ભૂખમરો વધી રહ્યો છે. લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો મોટા ભાગનો ખોરાક મોટાં કૃષિ વ્યવસાય જૂથો દ્વારા નહીં, પરંતુ પારિવારિક ખેતરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે, અને તેમ છતાં આ પારિવારિક ખેતરો અદૃશ્ય થઈ રહ્યાં છે કારણ કે પરિવારોને આર્થિક રીતે પોતાને ટકાવી રાખવાનું અઘરું પડી ગયું છે.
એટલું જ નહીં, લોકો ગ્રામીણ વિસ્તારોથી શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. વધતી જતી ભૂમિહીનતા અને ભૂખમરાને કારણે એવી સામાજિક વાસ્તવિકતા ઊભી થઈ છે જેમાંથી રાજકીય વિરોધનાં નવાં સ્વરૂપો દેખાઈ રહ્યાં છે : વર્ડુરાઝો (વેજીટેબલ પ્રોટેસ્ટ) અને પનાઝો (બ્રેડ પ્રોટેસ્ટ), જેવાં વિરોધ પ્રદર્શનો જોવા મળે છે, જેની આગેવાની ઘણી વાર ગ્રામીણ સામાજિક સંસ્થાઓ લેતી હોય છે. તેઓ એવી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા છે કે જે લોકો ખેતી કરે છે તેઓ પોતે જ પોતાનું અનાજ ખાઈ શકતા નથી.
થોડાં વર્ષો પહેલાં, મેં લા પ્લાટાની બહાર સીમાંત ખેડૂતો સાથે થોડો સમય વીતાવ્યો હતો. ‘ફેડરેશન રૂરલ’ના વાઈલ્ડો ઈઝાગુઈરે મને કહ્યું કે તેમના જેવા ખેડૂતો માટે સૌથી મોટો બોજ જમીનના ભાડાનો છે. જમીનનું ભાડું ખેડૂતો માટે ભારે મોટો બોજ છે. જમીનની કિંમત અતિ ઊંચી છે અને જમીન પર તેમનો કબજો કેટલો સમય રહેશે તે અનિશ્ચિત છે. તે કારણે ખેડૂતો શ્રમ અને ખેતીને વધુ ઉત્પાદક બનાવવા માટે ખેતરમાં મૂડીરોકાણ કરતાં અથવા સાધનો (જેમ કે ટ્રેક્ટર) ખરીદતાં ખચકાય છે. આ ખેડૂતો ન તો ખેતરોની માલિકી ધરાવે છે અને ન તો બજાર પર તેમનું કોઈ નિયંત્રણ છે. દલાલો તેમની પેદાશ સૌથી નીચી કિંમતે ખરીદે છે અને પછી તેને પ્રોસેસ કરવા મોકલે છે અથવા સુપરમાર્કેટમાં સીધાં વેચાણ માટે લઈ જાય છે. આમ, પૈસાની કમાણી ખેતીમાંથી નહીં પરંતુ અન્ય જગ્યાએથી જ થાય છે.
વિલ્ડો અને મેબલ જેવા લોકોના સંઘર્ષને કારણે આર્જેન્ટિનાની સરકારને ૨૦૧૪માં કૌટુંબિક કૃષિનો ઐતિહાસિક પુન:પ્રાપ્તિ કાયદો અને ૨૦૦૬નો મૂળ નિવાસીઓના પ્રદેશો કટોકટી માટેનો કાયદો (તે પછી ૨૦૦૯, ૨૦૧૩, ૨૦૧૭માં આ કાયદાની મુદત વધારવામાં આવી) બનાવવો પડ્યો. કૌટુંબિક કૃષિનો ઐતિહાસિક પુન:પ્રાપ્તિ કાયદો ‘આર્જેન્ટિનામાં ગ્રામીણ જીવનમાં નવું જોમ પૂરવા’ અને ‘જમીન એક સહિયારી સામાજિક મિલકત હોવાથી પારિવારિક ખેતી, ખેડૂત દ્વારા થતી ખેતી અને સ્વદેશી ખેતી માટે જમીન મેળવી આપવાની ખાતરી’ આપે છે.
આ શબ્દો છે તો બહુ શક્તિશાળી પરંતુ, એગ્રી બીઝનેસ એટલો તો શક્તિશાળી છે કે, આ શબ્દો ઘણી વાર માત્ર કાગળ પર રહી જાય છે. પરિણામોમાં પરિવર્તિત થતા નથી. કાયદો પોતે વર્ગ સંઘર્ષનો અંત આણતો નથી. દાખલા તરીકે બ્રાઝિલમાં, મૂવમેન્ટ ઓફ રૂરલ લેન્ડલેસ વર્કર્સ (એમ.એસ.ટી.)એ ૧૯૮૮ના બ્રાઝિલના બંધારણનો ઉપયોગ તેના જમીનના કબજા માટે કાનૂની સમર્થન મેળવવા કર્યો હતો. તેમ છતાં, બ્રાઝિલના કૃષિ વેપારીઓ અને તેમના રાજકીય ગઠિયાઓ સંસદીય તપાસ પંચને નામે એમ.એસ.ટી.ના જમીન કબજાને ગુનાહિત ઠરાવવાનો પ્રયાસ કરેલો, જેને એમ.એસ.ટી.નાં નેતા જોઆઓ પાઉલો રોડ્રિગ્સ કૃષિ સુધારણા, ખાદ્ય સાર્વભૌમત્વ અને સામાજિક સમાનતા વિશે જાહેર સંવાદ કરવાની તક હોવાનું માને છે.
૨૦૨૦માં, ઇન્ટરનેશનલ લેન્ડ કોએલીશન અને ઓક્સફામે ‘અસમાન ધરાતલ’ નામનો એક મહત્ત્વપૂર્ણ અહેવાલ બહાર પાડ્યો. અસમાન સમાજના હાર્દમાં જીવનની અસમાનતાની વાત કરતાં આ અહેવાલ નોંધે છે કે વિશ્વમાં ૬૦.૮ કરોડ ખેતરો છે, તેમાંનાં મોટાં ભાગનાં પારિવારિક ખેતરો છે (૨.૫ અબજ લોકો સીમાંત ખેતી સાથે સંકળાયેલા છે.) જો કે, સૌથી મોટાં ૧% ખેતરો, વૈશ્વિક ખેતીની જમીનના ૭૦% કરતાં વધુ જમીન પર નિયંત્રણ કરે છે. જ્યારે ૮૦% ખેડૂતો નાના ખાતાધારકો છે, જેઓ બે હેક્ટરથી ઓછી જમીનનું સંચાલન કરે છે. અહેવાલ વધુમાં દર્શાવે છે કે ૧૯૮૦થી જમીનની સાંદ્રતામાં નાટયાત્મક વધારો થયો છે. દરમિયાન, લુઈસ બાઉલુઝ, યાના ગોવિંદ અને ફિલિપ નોવોકમેયના અભ્યાસ મુજબ લેટિન અમેરિકામાં ટોચના ૧૦% જમીન માલિકોએ ખેતીની ૭૫% જમીન પર કબજો કર્યો છે, જ્યારે તળિયાના ૫૦% લોકો ૨% કરતાં ઓછીના માલિક છે.
અહેવાલ સ્પષ્ટ કરે છે તેમ, આર્જેન્ટિનામાં અસમાનતા અત્યંત તીવ્ર છે. ૮૦% કૌટુંબિક ખેતી કરતા લોકો (જેને નાના ખાતાધારકો તરીકે ઓળખવામાં આવે છે) સીમાંકિત કૃષિ જમીનના લગભગ ૧૧% પર કબજો ધરાવે છે, જ્યારે મોટા જમીનમાલિકો જેમની ટકાવારી માત્ર ૦.૩% છે તે લગભગ બમણી જમીન પર કબજો ધરાવે છે (મેડેલીન ફેરબેર્ન તેના પુસ્તક ‘ફિલ્ડ્સ ઓફ ગોલ્ડ : ફાઇનાન્સિંગ ધ ગ્લોબલ લેન્ડ રશ, ૨૦૨૦’માં દલીલ કરે છે તેમ). શક્તિશાળી બહુરાષ્ટ્રીય કૃષિ કંપનીઓને કારણે તેમ જ ખાનગી ઇક્વિટી ફર્મ્સ અને એસેટ મેનેજરો દ્વારા ખેતીની જમીનના (નાણાંકીય) સંપત્તિ તરીકેના વધતા ઉપયોગને કારણે જમીનના કેન્દ્રીકરણ તરફનું વલણ ઝડપી બન્યું છે. આફિકા ખંડ પર, ‘પ્રકૃતિ સંરક્ષણ’ના નામે અને ખાણ ઉદ્યોગના વિકાસને કારણે ખેડૂતોને જમીન પરથી દૂર ધકેલવામાં આવી રહ્યા છે.
પાછલી સદીમાં, મૂડીવાદ દ્વારા કરાયેલા ગ્રામ્ય વિસ્તારોના વિનાશના ઉપાય તરીકે ખેડૂતોની ચળવળોએ ‘કૃષિ સુધારણા’ની માંગ આગળ ધપાવી છે. અમારા અહેવાલની પ્રસ્તાવનમાં, “ફેડરેશન રૂરલ” મેન્યુઅલ બર્ટોલ્ડી લખે છે, ‘આપણે કૃષિ સુધારણા, ખાદ્ય સાર્વભૌમત્વ, એગ્રોઈકોલોજી અને સમાજવાદ વિશે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ડર્યા વિના વાત કરવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે સમાજવાદ દ્વારા જ આ વિચારોને બળ મળે છે.’
બ્રાઝિલના કવિ જોઆઓ કેબ્રાલ ડી મેલો નેટોના કથન મુજબ ખેડૂતોનો એક માત્ર જમીનના ટુકડા પર અધિકાર છે, અને તે છે તેમની કબરો. આ વિશે ખૂબ લાગણી સાથે તેમણે ૧૯૫૫માં લખ્યું. ‘મોર્ટે એ વિદા સેવેરિના’ (સેવેરિનોનું જીવન અને મૃત્યુ) કાવ્ય રચ્યું. જેમાં લખ્યું છે :
– તમે જે કબરમાં છો તે
હાથથી માપવામાં આવે છે,
બધી જમીનોમાંથી તમને મળેલ શ્રેષ્ઠ સોદો
આ જમીનમાં છે.
– તમે તેમાં સારી રીતે બંધ બેસો છો,
બહુ લાંબો નહીં કે બહુ ઊંડો નહીં,
તમારી જાગીરદારીનો ભાગ જે તમે રાખશો.
– કબર બહુ મોટી નથી,
તે ખૂબ પહોળી પણ નથી,
આ જમીન જ તમને જોઈતી હતી ને,
તેને વિભાજિત થતી જોવા માટે.
– આ એક બહુ મોટી કબર છે
એટલા સુકલકડી શરીર માટે,
પરંતુ તમે ક્યારે ય હતા તેના કરતાં,
વધુ આરામમાં રહેશો.
– તમે એક પાતળી લાશ છો,
આટલી મોટી કબર માટે,
પરંતુ કમ સે કમ ત્યાં નીચે તો તમારી પાસે
પુષ્કળ જગ્યા હશે ….
વિશ્વ ભરના ખેડૂતો જાણે છે કે તેમના સંઘર્ષો તેમના અસ્તિત્વ માટે છે. આ જ લાગણીએ ભારતીય ખેડૂતોને કૃષિ ઉત્પાદનો માટે કૃષિબજારના ખાનગીકરણ સામે તેમના હાલ ચાલુ સંઘર્ષ દરમિયાન સંગઠિત રાખ્યા હતા. તેઓ જીવવા માટે જમીન ઇચ્છે છે, માત્ર તેમની કબરો માટે નહીં.
(ટ્રાય કોન્ટીનેન્ટલ : ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશ્યલ રિસર્ચની ૨૩મી પત્રિકાનો અનુવાદ)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 17-18