(નવેમ્બર ૫, ૧૮૬૧ – ઓગસ્ટ ૧૬, ૧૯૧૩)
ગાંધીજીનું પ્રથમ જીવન ચરિત્ર લખનાર લેખક રેવરન્ડ જોસેફ જે. ડોકનો જન્મ, ડેવનશાયરમાં ચડલી મુકામે, ૫મી નવેમ્બર ૧૮૬૧ના રોજ થયો હતો. તેમણે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર M.K. Gandhi – An Indian Patriot in South Africa લખ્યું હતું, તારીખ ૧૬ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ તેમણે શાંતિથી દેહત્યાગ કર્યો. તારીખ ૨૪ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ ગ્રેહામ્સટાઉન બેપ્ટીસ્ટ ચર્ચ, જોહાનિસબર્ગમાં રેવરન્ડ જોસેફ જે. ડોકને શ્રદ્ધાંજલિ આપવા ૭-૩૦ વાગ્યે પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. મિ. ડોક ત્યાંના પાદરી હતા.
આ સભામાં હાજરી આપવા માટે ગાંધીજી ફિનિક્સથી ખાસ આવ્યા હતા. એમણે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીએ મિસ્ટર ડોક વિશે જે ભાષણ આપ્યું હતું તે આ મુજબ છે.
આ ભાષણમાં ગાંધીજીએ કહ્યું કે, કેટલાક માણસોને વિષે આપણે બોલી શકીએ છીએ કે તેને તો મોત નથી કેમ કે મોતે મોતને ખાધું છે; તેને મોત નથી ડંખી શકતું કે તેને નથી જીતી શકતું. આવા પુરુષ મિસ્ટર ડોક હતા. એ પુરુષે કરેલી સેવા સારુ હિંદી કોમ તેની સદાયની આભારી રહેશે. મિસ્ટર ડોક એ હિંદના ચુસ્ત મિત્રમાંના એક હતા. મિસ્ટર ડોકના મરણને સારુ શોક કરવાની ખરી રીતે જરૂર હોય નહિ. તેણે પોતાનું બધું ઈશ્વરને અર્પણ કર્યું હતું. જ્યારે તેનું શરીર તેના કાર્યને સારુ ઈશ્વરે નકામું ગણ્યું, ત્યારે તે શરીરનો નાશ કર્યો. પણ જીવનો નાશ નથી. હવે વધારે શક્તિવાળા શરીરમાં ઈશ્વરનાં વધારે કાર્યો મિસ્ટર ડોક કરશે એવી મારી ખાતરી છે. છતાં આપણે કે જેઓ શરીરમાં મસ્ત રહી જીવને ભાગ્યે જ ઓળખીએ છીએ તે તો મિસ્ટર ડોકના શરીરને જ ઓળખતા એટલે આપણને દિલગીરી થાય એ કુદરતી વાત છે.
મિસ્ટર ડોકની તરફ મારું માન ને મારો પ્રેમ મારા સરસમાં સરસ હિંદી પુરુષ તરફ હોય તેટલાં હતાં. જ્યારે મારા હિંદી ભાઈએ મેં કોમની સામે ગુનો કર્યો છે એમ સમજી મને માર માર્યો હતો તે વેળા હું સાવધાનીમાં આવ્યો ત્યારે મેં મિસ્ટર ડોકને મારા માથા ઉપર નમેલા જોયા. તેણે મને પોતાને ત્યાં લઇ જઈ મારી બરદાસ કરવાનું કહ્યું. મેં તેમની માગણી આભારપૂર્વક કબૂલ રાખી. જે માયા મારી પર તેના ઘરમાં બતાવવામાં આવી હતી તે મારાથી કદી વીસરી જવાય એવી નથી. આખું કુટુંબ મારી સારવાર કરવામાં રોકાયું હતું. મધરાતમાં પણ મિસ્ટર ડોક મારી કોટડીમાં આવીને જોઈ જતાં કે હું જાગું છું કે સૂતો છું. મને ચેન છે કે બેચેન. મિસ્ટર ડોકની મેં કઈ પણ સેવા નહોતી કરી છતાં તેનું આખું કુટુંબ મારી સેવા કરતું હતું.
ઈંગ્રેજોની સાથેની અમારી તકરાર ઉપર ભાર દેવામાં મારી જિંદગી આખી કદાચ પૂરી થશે. તેમ છતાં મારે સારે નસીબે મને ઉત્તમ ચરિત્રવાળા ઈંગ્રેજની મિત્રાચારીનો લાભ મળ્યો છે. આવા મિત્રમાંના મિસ્ટર ડોક એક ઉત્તમ મિત્ર હતા. તે મારા જ્ઞાની સલાહકાર હતા. તેને મન બધા હિંદી સરખા હતા. તેના દેવળનું છાપરું તે આકાશ હતું, તેના દેવળની દીવાલ જગતની દિશા હતી. જ્યાં જતાં ત્યાં પોતાનું દેવળ સાથે લઇ જતા.
મિસ્ટર ડોકનો ખ્રિસ્તી ધર્મ સુધરેલા જમાનાનો ન હતો પણ અસલી હતો. મિસ્ટર ડોકની ઈચ્છા એવી હતી કે હું પોતે તેના પંથમાં ભળું. મેં કહ્યું હું તો હિંદુ છું ને તે ધર્મને બહુ ભાવથી માનનારો છું. હું બાઈબલને મારા એક ધર્મપુસ્તક તરીકે માનું છું. પણ મારું મન એમ સાક્ષી પૂરે છે કે બાઈબલ સમજવાની ચાવી હિંદુ ધર્મનું સંશોધન છે. આ બાબત એક મત ઉપર ન આવી શક્યા. પણ આ દાખલો મિસ્ટર ડોકની પોતાના ધર્મ પ્રત્યેની સુદ્રઢ શ્રદ્ધા બતાવે છે. હું માનું છું કે મિસ્ટર ડોકની નીતિભક્તિ એવી હતી કે પોતાની નીતિને ખાતર પોતે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર હતા. તેને માણસનો ડર ન હતો માત્ર ખુદાથી જ ડરતા.
મિસ્ટર ડોક ને મારી વચ્ચે સજ્જડ ગાંઠ એ હતી કે અમે બંને અપકાર ઉપર ઉપકાર અથવા અવગુણ ઉપર ગુણ કરવાના જિસસના સૂત્રને માનનારા હતા. એ સૂત્રને હાલમાં તો ખ્રિસ્તી ધર્મે અપવાદોથી ઢાંકી દીધો છે. પણ મિસ્ટર ડોકનું તેમ ન હતું. તે તો ચોક્કસ માનતા કે વેરભાવ પ્રેમભાવથી નાશ પામી શકે, દુષ્ટતાનું ઓસડ શ્રેષ્ઠતા છે. હું ઉમેદ રાખું છું કે મિસ્ટર ડોકનો સાંયો તેમનાં ફરજંદો પહેરશે અને આવા ધાર્મિક પુરુષની પોતે પત્ની હતાં અને તેને માન આપનારા ઘણાં પુરુષો ને ઘણી કોમો છે એ વિચારથી મિસિસ ડોક શાંતિ ને ધીરજ રાખશે.
મિસ્ટર ડોકને વિશે આટલું બોલવાનો મને પ્રસંગ મળ્યો છે તેને સારુ હું મને પોતાને સુભાગિયો ગણું છું.
(મૂળ ગુજરાતી) “ઇન્ડિયન ઓપીનિયન”, ૩૦-૦૮-૧૯૧૩
e.mail : nbhavsarsafri@gmail.com