પદ્મભૂષણથી સન્માનિત સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માનું હૃદયરોગના હુમલાને કારણે તારીખ ૧૦ મે, ૨૦૨૨ના દિવસે નિધન થયું. તેઓ ૮૪ વર્ષના હતા. તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના દિવસે જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માએ ક્યારેક કહ્યું હતું કે સંતૂર દુનિયાનું એકમાત્ર એવું તારવાળું વાદ્ય છે જે આ કલમ વડે જ વગાડી શકાય છે.
અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં સંતૂરવાદક શિવકુમાર શર્મા હાજરી આપી ચૂક્યા છે. સપ્તકમાં શિવકુમાર શર્માનું સંગીત સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે તેવો દંભ કરતા શ્રોતાઓની પણ ભીડ જામતી હતી. આ લેખમાં એમના શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રથી અલગ ને ઓછા જાણીતા એવા ફિલ્મ ક્ષેત્રની સફરની વાત કરીશું. ૧૯૮૦ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે કે જેટલા તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં ‘સિલસિલા’ (૧૯૮૧), ‘ફાસલે’ (૧૯૮૫), ‘વિજય’ (૧૯૮૮), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧), ‘પરંપરા’ (૧૯૯૩), સાહિબાન (૧૯૯૩) ‘ડર’(૧૯૯૩)નો સમાવેશ થાય છે.
ખરેખર, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ વર્ષ ૧૯૬૫માં ‘જબ જબ ફૂલ ખીલે’થી ફિલ્મી ગીતો પર સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ઐતિહાસિક રીતે ફિલ્મ સંગીતમાં શિવકુમાર શર્માનું આગમન હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પહેલા થઈ ગયું હતું. શિવકુમાર શર્મા પાસે વર્ષ ૧૯૫૫માં વી. શાંતારામની હિન્દી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંતૂર વગાડનાર પહેલા સંગીતકાર તરીકેનું સન્માન છે. શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા ખૂબ સારા મિત્રો હતા અને તેમણે સાથે મળીને દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતના કૉન્સર્ટ કર્યા હતા. ઘણી ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું. તેમણે પોતપોતાનાં કૌશલ્યમાં પ્રાવિણ્ય હાંસલ કર્યું હતું. હરિપ્રસાદ ચૌરસિયાના જણાવ્યા મુજબ એમણે અને શિવકુમાર શર્માએ મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક સાથે ખૂબ સારો સમય પસાર કર્યો હતો. અમારી ઘણી સારી મિત્રતા હતી. કારણ કે હરિપ્રસાદ ચૌરસિયાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંગીતકાર બનવા માટે પોતાની નોકરી અને અલાહાબાદનું પોતાનું ઘર છોડ્યું હતું. જ્યારે, શિવકુમાર શર્માએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ જમ્મુમાં પોતાનું ઘર અને નોકરીનો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.
ફિલ્મમેકર યશ ચોપરા તેમના મિત્ર હતા અને તેઓ બી.આર. ચોપરા સાથે કામ કરવાના સમયથી એક બીજાને જાણતા હતા. રાજકમલ સ્ટુડિયોમાં ‘વક્ત’ અને ‘હમરાઝ’ જેવી ફિલ્મોનાં ગીતોના રેકોર્ડિંગ દરમિયાન શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા, યશ ચોપરા સાથે ફ્રી ટાઈમમાં ચર્ચા કરતા હતા. યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું ત્યારે તેમણે ફિલ્મોના બૅકગ્રાઉન્ડ સંગીત માટે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો. જેમાં ફિલ્મ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’ના બેકગ્રાઉન્ડ સંગીતનો સમાવેશ થાય છે. પણ, જ્યારે યશ ચોપરાએ શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાના ‘Call of the Valley’ નામના આલબમનું સંગીત સાંભળ્યું ત્યારે તેમણે એવો નિર્ણય લીધો કે હવે મારી ફિલ્મોમાં સંગીત પણ શિવ-હરિ(શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડી આપશે.
સૂરજીત સિંહ લિખિત પુસ્તક ‘બાંસૂરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા’માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌ પ્રથમ ફિલ્મ ‘કાલા પથ્થર’ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેના કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે ‘સિલસિલા’ (૧૯૮૧) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવાં લોકપ્રિય કલાકાર હતાં. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. જાવેદ અખ્તરે આ ફિલ્મથી ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ તારીખ ૧ જુલાઈ, ૧૯૩૮ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાંક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.
શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો, કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. ‘સિલસિલા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. ‘સિલસિલા’ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઇચ્છતા હતા કે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે ‘સિલસિલા’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની ‘સિલસિલા’માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે ‘ફાસલે’, ‘વિજય’, ‘ચાંદની’, ‘લમ્હે’ અને ‘ડર’માં યાદગાર સંગીત આપ્યું. ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘ડર’માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ ૧૯૯૩માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.
Eamil : nbhavsarsafri@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 12 તેમ જ 15