ભારતના આધુનિક ઇતિહાસકાર તરીકે જાણીતા લેખક રામચંદ્ર ગુહા તેમના સંશોધનકાર્ય અર્થે અમદાવાદના સાબરમતી આશ્રમના અભિલેખાગાર(આર્કાઇવ્ઝ)ની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે. આ વાતચીત દરમિયાન લેખક રામચંદ્ર ગુહાએ સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝ અને સાથે કોઈ પણ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝનુંશું મહત્ત્વ રહેલું છે, તે વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.
અમદાવાદના સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝ અંગે વાતચીત કરતાં રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે હું અહીં લગભગ ત્રીજી અથવા ચોથી વખત મુલાકાત લઈ રહ્યો છું. અહીં આર્કાઇવ્ઝ માટેનું એક અલગ જ બિલ્ડિંગ છે અને ત્યાં કાર્યરત કર્મચારી તેમ જ સંશોધક આરામથી સંશોધનનું કાર્ય કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં કાર્ય કરતાં લોકો આર્કાઇવ્ઝ અને પોતાના કાર્ય અંગે માહિતગાર છે અને સાથે મદદગાર પણ છે. મારા સંશોધનના કાર્ય માટે મને ત્રિદીપભાઈ અને કિન્નરીબહેન તરફથી ખૂબ જ મદદ મળી રહી છે. સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝનું આ નવું બિલ્ડિંગ ખૂબ જ સરસ છે અને મને લાગે છે કે ભવિષ્યમાં અહીં ગાંધીજી અને તેમની સાથે સંલગ્ન વિવિધ સ્વરૂપની સામગ્રી તેમ જ ડૉક્યુમેન્ટ્સમાં વધારો થતો રહેશે. મહાત્મા ગાંધી અને તેમની સાથે જોડાયેલ તેમ જ કાર્ય કરી ચૂકેલા લોકો અને તેમના પરિવારોના પેપર્સ અને સામગ્રી અહીં લાવી શકાય તેમ છે. આ સિવાય ભવિષ્યમાં તીનમૂર્તિ (The Nehru Memorial Museum & Library (NMML))ની પણ કેટલીક સામગ્રીનો અહીં સમાવેશ થઇ શકે તેમ છે. મેં મહાત્મા ગાંધી સાથે જોડાયેલા દેશ-વિદેશના આર્કાઇવ્ઝની મુલાકાત લીધી છે,1 તેમાં માહિતી અને ડૉક્યુમેન્ટ્સના સંદર્ભમાં તીનમૂર્તિ અને સાબરમતી આશ્રમની આર્કાઇવ્ઝ મને શ્રેષ્ઠ લાગે છે. મહાત્મા ગાંધી વિષય આધારિત સંશોધન કરવા માટે પણ આ બંને જગ્યાઓ શ્રેષ્ઠ છે.
જો કોઈએ આર્કાઇવ્ઝ ચલાવવી હોય, તો તે માટે કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો જે ક્ષેત્ર અથવા વિષયનું આર્કાઇવ્ઝ હોય, તે માટેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે અને બીજું પ્રતિબદ્ધતા હોવી અગત્યની છે, કારણ કે તમારી પાસે આર્કાઇવ્ઝમાં જે કોઈ ચીજવસ્તુઓ છે, તે ખૂબ જ મૂલ્યવાન છે અને ત્યાં કાર્યરત વ્યક્તિ પણ ઇતિહાસ સાથે સંકળાયેલ હોય છે, માટે આર્કાઇવ્ઝમાં કાર્ય કરવું એ માત્ર કોઈ નોકરી નથી પણ તેથી વિશેષ છે. સૌથી અગત્યનું આર્કાઇવ્ઝ તો એ જ છે કે જેમાં માહિતી ઉપલબ્ધ હોય, તે કાર્યક્ષમ હોય અને સાથે તેમાં જે કોઈ પણ ઐતિહાસિક માહિતી રજૂ કરવામાં આવે છે, તે અંગે તે માહિતગાર હોય.
કોઈ પણ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝની અગત્યતા વિશે વાત કરતા રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે જે-તે ક્ષેત્રના આર્કાઇવ્ઝમાં તેના રેકૉડ્ર્સ, લેખિત તેમ જ ઑડિયો-વિઝ્યુઅલ અને અન્ય ડૉક્યુમેન્ટ્સની જાળવણી અને સાથે તેનું ડિજિટાઇઝેશન કરવું આજના સમયમાં જરૂરી છે. તે અંગેનું ઉદાહરણ આપતાં તેઓ જણાવે છે કે ક્રિકેટના વિષયમાં તેના રેકોર્ડસ અંગેની પૂરતી જાણકારી હજુ પણ ઉપલબ્ધ જ નથી, માટે રાષ્ટ્રીય નેતાઓ સિવાય પણ અન્ય વિષય જેવા કે ક્રિકેટ, કળા, બિઝનેસ અને અન્ય તમામ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝનું હોવું એ ખૂબ જ અગત્યનું છે. આર્કાઇવ્ઝમાં માત્ર પેપર્સ અને ડૉક્યુમેન્ટ્સ હોવા ઉપરાંત ભૌતિક ચીજવસ્તુઓ હોવી પણ જરૂરી છે. જેમ કે મહાત્મા ગાંધી સાથે સંલગ્ન આર્કાઇવ્ઝમાં જો ચરખો પણ રાખવામાં આવ્યો હોય તો તેનું પણ મૂલ્ય રહેલું છે. જેમ વધુમાં વધુ આર્કાઇવ્ઝની રચના થતી રહેશે, તે રીતે લોકોને પણ ભવિષ્યમાં તેનો લાભ મળતો જ રહેશે.
1. હાલ હું બૅંગલુરુ શહેરમાં રહું છું કે જ્યાંનું વાતાવરણ સરસ છે, ત્યાં સરસ ગાર્ડન્સ પણ આવેલા છે, એક ક્રિકેટ-સ્ટેડિયમ પણ છે અને સાથે દેશનો સૌથી સારો સેકન્ડ હેન્ડ બૂકસ્ટોર પણ આવેલો છે, પરંતુ આ શહેરમાં કોઈ ચોક્કસ આર્કાઇવ્ઝની વ્યવસ્થા નથી. એટલે હું મારા કાર્ય માટે ચોક્કસ સમયના અંતરે અન્ય શહેરની મુલાકાત લઉં છું અને મારી જાત સાથે જૂના પત્રો તેમ જ મૅન્યુિસ્ક્રપ્ટ્સમાં લીન થઈ જાઉં છું. મેં ભારતમાં સંશોધનના કાર્ય માટે અત્યાર સુધી દિલ્હી, દેહરાદુન, નૈનિતાલ, લખનઉ, મુંબઈ, પૂના, અમદાવાદ અને ચેન્નાઈના આર્કાઇવ્ઝની મુલાકાત લીધેલી છે. મોટા ભાગના ઇતિહાસકારોનું માનવું છે કે તેઓને લખવાના કાર્ય કરતાં સંશોધનના કાર્યમાં વધારે મજા આવે છે. આક્રાઇવ્ઝમાં ઉપલબ્ધ ડૉક્યુમેન્ટ્સ આધારિત કાર્ય કરવામાં એક પ્રકારનો રોમાંચ રહેલો છે અને એવા ડૉક્યુમેન્ટ્સ જે વર્ષોથી સચવાયેલા હોય અને જે અગાઉ ક્યારે ય કોઈએ જોયા પણ ના હોય તેવું કાર્ય માત્ર આર્કાઇવ્ઝ થકી જ શક્ય બની શકે છે.
(19 ડિસેમ્બર, 2015ના રોજ હિન્દસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં આક્રાઇવ્ઝ અંગે તેમની નોંધ)
E-mail : nbhavsar1990@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 17