આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે
ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ નવા ધારા મૂક્યા અને એ સાથે દાવો કર્યો કે દેશમાં ગુનાને લઇને જે ન્યાય અપાય છે તેમાં આ પરિવર્તનથી મોટો ફેરફાર આવશે. ઇન્ડિયન પિનલ કૉડને બદલે ભારતીય ન્યાય સંહિતા, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજરને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટને બદલે ભારતીય સાક્ષ્ય બિલ પસાર કરવાના સૂચન કરાયા છે. ઇન્ડિયન પિનલ કૉડ, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ – આ ત્રણેય કાયદા અંગ્રેજોના સમયથી દેશમાં લાગુ છે અને ગૃહ મંત્રી અમિત શાહનો દાવો છે સરકાર બદલાયેલા સમયને ગણતરીમાં લઇને આ પરિવર્તનો કરે છે જેનો ઉદ્દેશ સજા નહીં પણ નાગરિકોના અધિકારોનું રક્ષણ છે. ગુનાને લગતા કાયદાઓમાં જાહેર કરાયેલા પરિવર્તનોને લઇને અનેક ચર્ચાઓ છેડાઈ છે. કાયદાકીય બારીકીમાં વધુ ન પડતાં જરા સમજવાનો પ્રયાસ કરીએ કે આ પરિવર્તનો જ્યારે પણ ખરેખર લાગુ પડશે ત્યારે તેનો કેવો પ્રભાવ પડી શકે છે.
વિશેષજ્ઞોના મતે આતંકવાદ, ભ્રષ્ટાચાર, મૉબ લિન્ચિંગ, લગ્નનું વચન આપીને કરાયેલા બળાત્કારથી માંડીને પાકીટ ચોરીના ગુનાથી માંડીને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેવા ગુનાને પણ પિનલ લૉઝ હેઠળ લાવવામાં આવ્યા છે. આ એવા ફેરફાર છે જેનાથી પોલીસ પાસે કોઈની પણ ધરપકડ કરવાની અણધારી અને બેફામ સત્તા આવશે. MCOCA – મકોકાના કાયદામાં જે ફેરફારો કરવાની વાત થઈ છે તે જોતાં જે કાયદો એક સમયે અમુક જ પ્રકારના ગુનામાં વપરાતો તેનો ઉપયોગ હવે કોઈપણ અધિકારી, કોઇપણ ગુના માટે કરી શકશે. જ્યારે આખા IPCને જ બદલવામાં આવે છે અને મકોકાના કાયદાની જોગવાઈઓ હતી તેનું ફિલ્ટર ન હોવાથી ગમે તે વ્યક્તિ ટાડા, કે પોટામાં જેલભેગી થઇ શકે છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર ડી શિવનંદને, જાણીતા પત્રકાર અને લેખક મનીષ પચૌલીના ‘ક્રાઇમએનાલિટીકલ’ બ્લૉગમાં આ અંગે એક દૃષ્ટાંત આપતા કહ્યું છે કે, “પહેલાં જો ૧૦ ગુના નોંધાતા હતા તો હવે ૨૦૦ ગુના નોંધાશે અને કોર્ટમાં તેની ટ્રાયલ થઇને પરિણામ આવતા વાર લાગશે. નાના ગુના કરનારા અને ઘણીવાર નિર્દોષ સપડાઈ જનારા લોકોને લાંબા સમય સુધી એટલે કે કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી જેલમાં રહેવું પડે એવી શક્યતાઓ વધી જશે.”
વળી સરકારનો દાવો છે કે રાજદ્રોહને લગતા કાયદાને સરકારે દૂર કર્યો છે-નો દાવો પણ કરાયો છે. પરંતુ ખરેખર તો આ કાયદો નવા ખરડામાં રાજદ્રોહના કાયદાને નવું રૂપ અપાયું છે. જેમ કે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યો માટે સજા ફટકારાશે. આ રાજદ્રોહના ગુનાની વિસ્તૃત વ્યાખ્યા છે – રાજદ્રોહનો ગુનો રદ્દ થવો જોઈતો હતો પણ તેને જાળવવામાં આવ્યો છે અને તે પહેલાં કરતાં વધારે મજબૂત કરાયો છે. કોઈપણ વ્યક્તિ કંઇ જાણીજોઈને બોલે અથવા લખે કે સંકેતો બનાવે, કંઇક દેખાડે અથવા ઇ-મેસેજ કરીને દેશમાં અલગાવ, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓને બળ આપે તો તેને સાત વર્ષની સજા થઇ શકે છે. પહેલાં આ સજા ૩ વર્ષની હતી. રાજદ્રોહ કરતાં પણ કડક એવો આ કાયદો એવી સ્થિતિ ખડી કરે છે કે તમારે છાસ નહીં પણ આઇસ્ક્રીમ પણ ફૂંકી ફૂંકીને ખાવો પડશે.
વળી આ ખરડામાં મહિલાઓ સામેની જાતીય હિંસાઓ રોકવા માટે કાયદા કડક કરાયા હોવાનો દાવો છે પણ મેરાઇટલ રેઇપ – વૈવાહિક બળાત્કારને ગુનો નથી ઠેરવાયો. સુપ્રીમ કોર્ટમાં મેરાઇટલ રેપનું ક્રિમનલાઇઝેશન – અપરાધીકરણ કરાય એ માટેની પિટિશન્સ પર કામ થઇ રહ્યું છે. વળી સ્પીચ (આપણા બંધારણમાં વાણી સ્વતંત્ર્ય એક અગત્યનું પાસું છે ત્યારે આ નવી રજૂઆત અગત્યની બને છે) એટલે કે વાણીને ગુનો ઠેરવતા ફેરફારો કરાયા છે એમાં રાજદ્રોહ અને અશ્લીલતા સમાવાયા છે. આ સંજોગોમાં કાલે ઊઠીને તમારું બોલાયેલું ક્યારે તમને ગુનેગાર ઠેરવી દેશે તેની કોઈ ગેરંટી નથી રહેતી. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, અખબારી સ્વતંત્રતા વગેરે પર તવાઈ આવે એવું પણ બને. વળી ધર્મ અને નિંદાને લગતા કાયદાઓનું વિશ્લેષણ ઝીણવટથી થાય તે જરૂરી છે કારણ કે અત્યારે જે જાહેરાત થઇ છે તેમાં ઘણી બધી ચોખવટો હજી દેખાતી નથી. સ્પષ્ટતા ન હોય ત્યારે કાયદાનો બેફામ ઉપયોગ થવાની શક્યતાઓ વધી જાય છે. જાતિ કે વંશને આધારે હત્યા થાય અને તેમાં પાંચ કે તેનાથી વધારે લોકોનું ટોળું હોય તો તે ટોળાંનો ભાગ હોય તેવા દરેકને સાત વર્ષની અથવા આજીવન કેદ અથવા મૃત્યુ દંડની જોગવાઈ છે, હવે ધારો કે પચાસ લોકોનું ટોળું હોય તો શું પચાસ જણને આ સજા ફટકારાશે? વળી ફોરેન્સિક અને ડિજિટલ પદ્ધતિઓ અપનાવવાની જે વાત છે તે સાંભળવામાં સારી લાગે છે પણ શું ભારતની ફોરેન્સિક લેબ્ઝ અધધધ કેસિઝ સંભાળી શકે એવી સ્થિતિમાં છે ખરી? નિષ્ણાતો અને સંસાધનો બન્ને સ્તરે ફોરેન્સિક્સને મામલે હજી આપણી સજ્જતા ઓછી છે. આવી ઘણી સ્પષ્ટતાઓ જરૂરી છે ખાસ કરીને એવા સમયમાં જ્યારે કોઇપણ ગુનાને રાજકીય રંગ આપતાં વાર નથી લાગતી. વળી આપણા દેશમાં સામાજિક પરિબળો પણ ગુનાના સ્વરૂપ અને તેની ગંભીરતા પર અસર કરે છે ત્યારે કાયદા ઘડાય અને અમલમાં મુકાય તે માટે તેનું વિહંગાવલોકન નહીં સૂક્ષ્મ નિરીક્ષણ જરૂરી છે.
અત્યારે તો એમ કહેવું બહુ વહેલું છે કે આ પરિવર્તનો ભારતીય ન્યાય તંત્રની સુરત અને સીરત ધરમૂળથી બદલી નાખશે કે કેમ? કેન્દ્ર સરકારનો દાવો એ છે કે તેઓ દેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને મજબૂત અને સરળ બનાવવા માટે આ પરિવર્તન કરવા ઇચ્છે છે. જો કે આવા કોઇપણ બદલાવનો પ્રભાવ ત્યારે જ નાણી શકાય જ્યારે તેની શરૂઆત, ઘડતર અને આગળ જતાં તેના પ્રત્યે કેવો અભિગમ રહે છે તેનું યોગ્ય વિશ્લેષણ થાય. આપણા ન્યાયંત્રના પડકારો આ ફેરફારોને પગલે ઉકેલાઇ જશે એવું અત્યારે કહેવું યોગ્ય નહીં રહે. આમ તો આ ત્રણેય બિલ્સ ત્રણ અલગ અલગ ફોજદારી કાયદા એટલે કે ક્રિમિનલ લૉઝને બદલવાના આશયથી બનાવાયા છે.
આપણો સમાજ બહુસ્તરીય છે અને આર્થિક ભેદ પણ દેખીતા છે. આવી સ્થિતિમાં શેનું અપરાધીકરણ – ક્રિમિનલાઇઝેશન થાય છે તે અંગે સાવચેતી અનિવાર્ય છે. નવા ફોજદારી કાયદાઓમાં જે સુધારાની વાત છે તેમાં સમાનતાનો સિદ્ધાંત અનુસરાય તે જરૂરી છે કારણ કે આપણે ત્યાં અત્યાર સુધી તો ફોજદારી કાયદાઓને કારણે વર્ગ વિભાજન થતું આવ્યું છે. સાધનસંપન્ન લોકો માટે ન્યાય મેળવવું સહેલું રહ્યું છે જ્યારે વંચિતો ન્યાયને મામલે હાંસિયામાં ધકેલાતા આવ્યા છે. નાગરિકો પર લાગુ કરાતા કાયદાઓ પર નાગરિકોને પણ વિશ્વાસ બેસે એ જરૂરી છે. કાયદા અચાનક જ હળવા કે કઠોર બને એટલે લોકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ આવશે એવું માનવાનું કોઈ કારણ નથી. કાગળ પર લખાયેલો કાયદો અને તેના અમલીકરણની વાસ્તવિકતા વચ્ચેનું અંતર દૂર થાય એ પણ જરૂરી છે. આપણે ત્યાં તંત્રમાં ઘણીવાર એટલા ગાબડાં હોય છે કે તેનું અમલીકરણ પ્રભાવી રીતે કરવું અશક્ય બની જાય છે.
આ પરિવર્તનો અંગે સવાલો થવા માંડ્યા છે, આ જ સમય છે જ્યારે ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો જરૂરી પ્રશ્નો કરે. ભારતીય સંદર્ભમાં યોગ્ય સમયે થયેલી દલીલો યોગ્ય સ્રોત સુધી પહોંચશે તો જ કદાચ જે ફેરફારો નવા સૂચનોમાં જરૂરી છે તે થઇ શકશે. આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે.
બાય ધી વેઃ
મોટા ભાગના નિષ્ણાતોના મતે મકૉલેએ તૈયાર કરેલ 160 વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની 80 ટકા જેટલી બાબતો નવા સુધારાઓમાં સચવાયેલી છે. ક્યાંક તો માત્ર નવાં નામો છે જ્યારે જોગવાઈઓ જૂની છે. એવો પણ મત છે કે બધું ધરમૂળથી બદલવા કરવા તો જે છે એ સ્થિતિ સુધારી શકાઈ હોત. વળી ખાટલે મોટી ખોડ એ છે કે આ નવા કાયદા જો શિયાળુ સત્રમાં પસાર નહીં થાય તો ભૂલી જવાનું કારણ કે પછી માથે ચૂંટણી હશે અને આ બિલ્સ લૅપ્સ થશે. જો રાજ્યોને ગણતરીમાં લીધા વગર કાયદા પસાર કરવાની વાત આવશે તો વિવાદ થશે જ અને સરકારની દાનત પર પણ સવાલો ઉઠશે. વળી હજી તો બિલની રજૂઆત થઇ છે, તેને સંમતિ મળવી, તેનો કાયદો બનવો વળી દરેક રાજ્યનું તેને પોતાની રીતે બદલવું આ બધી જ કાર્યવાહી કરતાં મહિનાઓ નહીં પણ વર્ષો નીકળી જતાં હોય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2023