અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવું છે અને બી.જે.પી. તેમને બનાવવા પણ તૈયાર છે, પણ શરત એ છે કે તેઓ તેમના કાકા શરદ પવારને શાસક મોરચામાં લઈ આવે. તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવશે અને તેમને જો પ્રધાન ન બનવું હોય તો તેમની દીકરી સુપ્રિયા સુલેને કેબિનેટ પ્રધાનના દરજ્જા સાથે કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવશે. જો અજિતદાદા કાકાને ન લાવી શકે તો બી.જે.પી.ને હવે તેમની ખાસ કિંમત નથી. આ એ જ શરદ પવાર છે જેના વિષે અજિત પવારે હજી ત્રણ મહિના પહેલાં કહ્યું હતું કે કાકા વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધોએ યુવાનો માટે જગ્યા કરી આપવી જોઈએ.
ગયા અઠવાડિયે અજિત પવાર અને શરદ પવાર વચ્ચે પૂનામાં એક ઉદ્યોગપતિના ઘરે ગુપ્ત બેઠક યોજાઈ હતી. કાકા-ભત્રીજા અને યજમાન સિવાય કોઈને આની જાણ નહોતી, એટલે સંભવતઃ ગુપ્તતા જળવાઈ રહી હોત, પણ એ વાત બહાર આવી ગઈ. હોબાળો મચ્યો અને પવારના ઈરાદા વિષે અનેક પ્રકારની અટકળો કરવામાં આવી. શરદ પવારની મથરાવટી મેલી છે. પહેલીવાર મહારાષ્ટ્રમાં કાઁગ્રેસે પવારના ઈરાદા વિષે શંકા કરી અને જાહેરમાં પૂછ્યું કે તેમણે તેમની ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જોઈએ.
આ તો શરદ પવાર છે. ભમરડો જ્યાં સુધી જોરમાં ફરતો હોય ત્યાં સુધી ફરવા દે અને પછી જ્યારે ધીમો થવા લાગે ત્યારે ખુલાસો કરે. તેમણે કહ્યું કે તેઓ એન.ડી.એ.માં જોડાવાના નથી કે કેન્દ્રમાં પ્રધાન બનવાના નથી. તેઓ વિરોધ પક્ષોના મોરચામાં જ રહેશે અને ૨૦૨૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને પરાસ્ત કરવા પોતાનું યોગદાન આપશે. તેમણે અજિત પવારને કહ્યું હતું કે તેમનું જૂથ શરદ પવારનો ફોટો વાપરવાનું બંધ કરી દે અને જો એમ નહીં કરે તો કાનૂની કારવાઈ કરવામાં આવશે. તેમણે ચૂંટણી પંચને પણ કહી દીધું હતું કે તે શિવસેનાની બાબતમાં બન્યું હતું એમ અજિત પવારને પક્ષ અને પક્ષનું ચૂંટણીચિહ્ન આપી દે તો પણ કોઈ ફરક નથી પડવાનો. એ સિવાય તેમણે ગુરુવારે બીડમાં રેલી યોજવાની જાહેરાત કરી હતી જે સફળતાપૂર્વક યોજાઈ હતી. દેખીતી વાત છે કે ગુપ્ત બેઠકની વાત પવાર-જૂથે લીક કરી હોવી જોઈએ. અહીં યાદ અપાવી દઉં કે પક્ષમાં બળવો કર્યા પછી, મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન પામ્યા પછી અને પવાર હવે વૃદ્ધ થઈ ગયા છે એટલે તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ એવી સલાહ આપ્યા પછી માત્ર બે જ દિવસમાં એન.સી.પી.ના નેતાઓ સાગમટે શરદ પવારના આશીર્વાદ લેવા યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં પહોંચી ગયા હતા. તેઓ આવી રહ્યા છે તેની તેમણે પવારને જાણ પણ નહોતી કરી.
દસ અજિત પવારને લઈ જાવ, પણ એક શરદ પવાર વિના મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષનું રાવણું અધૂરું છે, એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં બી.જે.પી. માટે જીતવું અઘરું છે એ પવાર સાબિત કરી આપવા માગતા હતા અને પૂનાની ગુપ્ત બેઠક દ્વારા તેમણે તે સાબિત કરી આપ્યું. દરેક પક્ષને તોડવાની તમારી પાસે તાકાત છે, મહારાષ્ટ્રમાં બે પક્ષને તમે તોડી ચુક્યા છો, અઢળક પૈસા છે, સ્પીકર, ગવર્નર, ચૂંટણીપંચ, અદાલતો અને મીડિયા તમારા કબજામાં છે અને તમારા માટે કામ કરી રહ્યા છે તો પછી શરદ પવારને એન.ડી.એ.માં લેવા માટે આટલા ધમપછાડા શા માટે કરવામાં આવે છે? શા માટે એક વરસથી મુંબઈ સહિતની પાલિકાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં નથી આવતી? આ ચૂંટણીઓ ગયા વરસે સપ્ટેમ્બરમાં થવી જોઈતી હતી. ચૂંટણીપંચ નમાલું છે એટલે એ કહેવામાં આવશે ત્યારે ચૂંટણી જાહેર કરશે. અને હવે તો ચૂંટણીપંચના સભ્યોની પસંદગી માટેની ત્રણ સભ્યોની સમિતિમાંથી મુખ્ય ન્યાયમૂર્તિને પણ હટાવી દેવાના છે.
મહારાષ્ટ્રમાં રાજકીય અનુકૂળતા પેદા કરવા માટે બે ઓપરેશન કરવામાં આવ્યાં. ગયા વર્ષે શિવસેનામાં ફૂટ પાડવામાં આવી. ગવર્નર, સ્પીકર અને ચૂંટણીપંચની મદદથી ઉદ્ધવ ઠાકરે પાસેથી આખેઆખો પક્ષ છીનવી લેવામાં આવ્યો, બાળ ઠાકરે હયાત નથી એટલે તેમનું નામ અને તસ્વીર વાપરવામાં પણ કોઈ રોકટોક નથી, પણ એ છતાં ય એકનાથ શિંદે અને તેમનું જૂથ કશા કામનાં નથી. કારણ એ છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની આખી કેડર ઉદ્ધવ ઠાકરેની સેના સાથે છે અને લોકોની સહાનુભૂતિ પણ. જ્યારે ખાતરી થઈ ગઈ કે શિવસેના ફોડવાથી ભા.જ.પ.નો સંઘ કાશીએ પહોંચી શકે એમ નથી ત્યારે બીજું ઓપરેશન રાષ્ટ્રવાદી કાઁગ્રેસમાં કરવામાં આવ્યું. એ ઓપરેશન પણ વાંઝિયું સાબિત થઈ રહ્યું છે. શરદ પવાર ન હોય તો અજિત પવારનો કોઈ વિશેષ ખપ નથી. માટે અજિત પવારને કહેવામાં આવ્યું છે કે તમારું મુખ્ય પ્રધાનપદ પાકું, પણ પહેલાં શરદ પવારને લઈ આવો.
અજિત પવારના ધમપછાડા, એકનાથ શિંદે જૂથની ન ઘરના ન ઘાટના જેવી દયનીય અવસ્થા, ચારે બાજુ ખાતર પાડ્યા પછી પણ ભા.જ.પ.ની ઝોળી ખાલીની ખાલી એવી હાસ્યાસ્પદ સ્થિતિ તરફ શરદ પવાર મહારાષ્ટ્રની પ્રજાનું અને આખા દેશનું ધ્યાન ખેંચવા માગતા હતા. માટે પૂનામાં ગુપ્ત બેઠક યોજવામાં આવી હતી જે ગુપ્ત નહોતી રહી. પાંચ દિવસ પછી ફેંકવામાં આવેલો ભમરડો ધીમો પડ્યો ત્યારે તેમણે મોઢું ખોલ્યું. ત્યાં સુધીમાં ચર્ચાનો વિષય હમણાં કહ્યા એ ત્રણ મુદ્દા હતા. મહારાષ્ટ્રમાં ભા.જ.પ.નો સંઘ શરદ પવાર વિના અથવા ઉદ્ધવ ઠાકરે વિના કાશીએ પહોંચી શકે એમ નથી. ગમે એટલી ઘરફોડી કરવામાં આવે, ઝોળી ખાલી જ રહેવાની છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહને લોકસભાની ચૂંટણીની ચિંતા છે. મહારાષ્ટ્ર કે બીજાં કોઈ પણ રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીઓની ઝાઝી ચિંતા નથી. રાજ્યોને તો પાછળથી પણ ઘરફોડી કરીને કબજે કરી શકાય એમ છે જે રીતે ગોવા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને એ પહેલાં કર્ણાટકને કબજે કરવામાં આવ્યાં હતાં. એમાં પાછું મહારાષ્ટ્ર લોકસભાની ૪૮ બેઠકો ધરાવે છે. આજની રાજકીય વાસ્તવિકતા જોતા ઘણી મોટી સંખ્યા કહેવાય. જો દિલ્હી ગુમાવો તો ઘરફોડીની તક પણ ગુમાવો. આ સિવાય શરદ પવારને જો પટાવવામાં આવે તો વિપક્ષી એકતા અને INDIAના ફુગ્ગામાં પંક્ચર પાડી શકાય.
ઉપર કહ્યું એ બધું વિવેચન સાચું હોય અને તર્કસંગત હોય તો પણ શરદ પવાર વિષે આ દુનિયામાં કોઈ ખાતરીપૂર્વક કાંઈ ન કહી શકે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2023