હિંદુસ્તાનનું પહેલું રેલવે સ્ટેશન લાકડાનું બનેલું હતું
ગવર્નરના બંગલામાં આજે ચાલે છે હાફકિન ઇન્સ્ટિટ્યૂટ
સ્થળ : મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય, દાદર, મુંબઈ
પાત્રો : ગોવિંદ નારાયણ માંડગાંવકર, સ.ગં. માલશે, નાચીઝ દી.મ.
ગોવિંદરાવ : જુઓ, આજે સૌથી પહેલા હું તમને એક સવાલ પૂછીશ : બોરી બંદરનું સ્ટેશન જ્યાં બંધાયું છે ત્યાં જ કેમ બંધાયું?
માલશે : આપ વિક્ટોરિયા ટર્મિનસની વાત કરો છો?
દી.મ. : આપ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની વાત કરો છો?
ગોવિંદરાવ : એ બધાં નામ તો પછી આવ્યાં. અસ્સલ નામ તો બોરી બંદર. પણ એ ત્યાં જ કેમ બાંધ્યું ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે કંપનીએ?
દી.મ. : એ તો કંપનીના ઈજનેરોને એ જગ્યા સારી લાગી હશે એટલે.
ગોવિંદરાવ : ના જી. તમે એક વાત નોંધ્યા નથી લાગતા : સ્ટેશન ટ્રેનનું પણ તેના નામમાં ‘બંદર’ છે. જુઓ, એ વખતે રેલવે માટેનાં એન્જિનથી માંડીને નાના સ્ક્રૂ સુધીનો બધો જ સામાન ગ્રેટ બ્રિટનથી લાવ્યા હતા, કારણ તેમાંનું કશું જ એ વખતે આપણા દેશમાં બનતું નહોતું. પણ આટલો બધો સામાન વહાણોમાં આવે તે ઉતારવો ક્યાં?
દી.મ. : વહાણમાં કેમ? સ્ટીમરોમાં કેમ નહિ?
ગોવિંદરાવ : કારણ એ વખતે સ્ટીમરો હતી જ નહિ! જ્યાં પહેલું રેલવે સ્ટેશન બાંધવાનું હતું તે જગ્યાથી થોડે દૂર ખડકાળ દરિયા કિનારો હતો. નાના મછવા ત્યાં નાંગરતા. પણ તેમાં ચડ-ઉતર કરનારાઓને ખડકોને લીધે ભારે અગવડ પડતી. એટલે પહેલાં તો એ બધા ખડકો તોડીને દૂર કર્યા. પછી ત્યાં કામચલાઉ ‘જેટી’ બનાવી. સૌથી પહેલાં રેલના પાટા લાવ્યા અને બોરી બંદરથી રેલવે સ્ટેશનની જગ્યા સુધી કામચલાઉ પાટા નાખ્યા. પછી બીજો સામાન આવતો ગયો તેમ તેમ એ પાટાની મદદથી તેને સ્ટેશન બાંધવાની જગ્યા સુધી લઈ ગયા. પછી બોરી બંદર સ્ટેશનથી થાણે સુધી પાટા નાખ્યા. પછી ટ્રેનનાં એન્જિન અને ડબ્બા લાવ્યા, વહાણમાં જ હોં! એ વખતે આજના જેવાં કોઈ સાધન-સગવડ નહિ. એટલે બધું કામ મજૂરો જ કરતા. રેલવે લાઈન નખાઈ ગઈ, સ્ટેશન બંધાઈ ગયું, પછી પેલા દરિયા કિનારાથી સ્ટેશન સુધીના પાટા ઉખેડી નાખ્યા. અને હા, એ પહેલું બોરી બંદર સ્ટેશન કાઈ ઈંટ-ચૂનાનું બનેલું નહોતું.
દી.મ. : તો શેનું બનેલું હતું?
ગોવિંદરાવ : લાકડાનું.
દી.મ. : કેમ લાકડાનું? રેલવે કંપની પાસે પાકું સ્ટેશન બાંધવાના પૈસા નહોતા?
માલશે : ના, એવા વાત નથી. પણ પહેલાં બોમ્બેમાં ઘણાં મકાન લાકડાનાં જ બંધાતાં. અને ગ્રેટ બ્રિટનમાં પણ એમ જ હતું. મહેતા, તમે જૂની અંગ્રેજી કાદમ્બરીઓ – સોરી, તમે તેને શું કહો? હા, નવલકથા – તો વાંચી જ હશે.
દી.મ. : હા, ૧૯મી સદીનું જે કાંઈ હોય તેમાં મને પહેલો રસ પડે.
માલશે : તો એક વાત તમારા ધ્યાનમાં આવ્યા જ હશે. તેમાંની ઘણી નવલકથામાં આગનો બનાવ આવતો હોય છે અને તેને લીધે પાત્રોના જીવનમાં અને તેથી કથામાં પણ, મોટો અણધાર્યો વળાંક આવતો હોય છે. પણ પછી જેમ જેમ ટાઈમ આગળ વધ્યો તેમ તેમ જીવનમાં અને તેથી નવલકથામાં આગના પ્રસંગ ઓછા થતા ગયા. જો કે ૧૮૦૩માં કોટ વિસ્તારમાં બહુ મોટી આગ લાગેલી અને તેમાં ઘણાં બધાં મકાન બળીને ખાખ થઈ ગયેલાં, કારણ એ લાકડાનાં બનેલાં હતાં.
દી.મ. : ઓકે, હવે સમજ્યો. પણ પેલા લાકડાના બોરી બંદર સ્ટેશનના ફોટા જોવા મળે કે નહિ?
ગોવિંદરાવ : ના.
દી.મ. : પણ કેમ?
માલશે : કારણ એ વખતે હજી આપણા દેશમાં ફોટોગ્રાફીની માંડ શુરુઆત થયેલી, અને તેમાં ય આઉટ ડોર ફોટોગ્રાફી તો વધુ મોડી આવી. પણ લાકડાના ભાયખળા સ્ટેશનનો એક ફોટો મેં જોયો હતો એવું યાદ છે.
લાકડાનું બનેલું ભાયખળા સ્ટેશન
દી.મ. : હા, જી. એ ફોટો તો મેં બી જોયેલો છે. પણ અમારે કેવી મજા? મોબાઈલમાં જ કેમેરા, એક નહિ, બે-ચાર! હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં બસ, મન થાય ત્યારે ફોટા પાડ્યે રાખો!
માલશે : અને પાંચ-પંદર દિવસ પછી ડિલીટ કરતા જાવ!
ગોવિંદરાવ : તમને બીજી એક મજેની વાત કહું, મહેતા. ૧૮૭૮માં જ્યાં વિક્ટોરિયા ટર્મિનસનું આલિશાન મકાન બાંધવાનું શુરુ થયું એ જગ્યાએ લાકડાનું બોરી બંદર સ્ટેશન આવેલું નહીં હતું. એ આવેલું હતું આજના સી.એસ.એમ.ટી. અને મસ્જિદ બંદર સ્ટેશનની વચ્ચે.
દી.મ. : પણ સ્ટેશનની જગ્યા બદલી કેમ?
માલશે : જેથી ટ્રેન વહેવાર ખોરવાય નહિ.
ગોવિંદરાવ : એટલે સુ કર્યા કે પહેલાં વી.ટી.નું આલેશાન મકાન બાંધ્યું, પ્લાટ ફોરમ વગેરે બાંધ્યા, અને પછી લાકડાના બોરી બંદરથી નવા વી.ટી. સુધી પાટા નાખ્યા અને ટ્રેનોને નવા સ્ટેશન સુધી દોડતી કરી. થોડા વખત પછી પેલું જૂનું, લાકડાનું સ્ટેશન તોડી પાડ્યું.
માલશે : આ મહેતાએ ભાયખળાનાં નામ લીધા તેના પરથી એક વાત યાદ આવ્યા. એક વખત હતો જ્યારે મુંબઈમાં પીવાના પાણીના ઘણા જ તકલીફ હતા. વસતી ઓછી હતી ત્યાં સુધી તો કૂવા-વાવડીના પાણીથી લોકો જેમતેમ કામ રોડવતા. પણ પછી વસતી વધતી ગઈ તેમ પાણીની હાલાકી વધવા લાગી. એટલે શહેરમાં જુદી જુદી જગ્યાએ સખી-દાની પુરુષોએ તળાવ ખોદાવ્યાં. આવા એક તળાવ ભાયખળામાં શેઠ માણેકજી ખરશેદજીએ ખોદાવેલા. એ કાંઈ મોટા શાહુકાર નહિ હતા. સ્મોલ કોઝ કોર્ટમાં તીસરા જજ હુતા.
ભાયખળા સ્ટ્રીટ ૧૯૨૩
ગોવિંદરાવ : એ જમાનામાં ધીમે ધીમે ભાયખળાના મહત્ત્વ વધતા જતા હતા. ગોરા સૈનિકોનાં છોકરા અને છોકરીને ભણાવવા માટે અહીં બે અલગ નિશાળ હતી. છેક ૧૭૧૯માં એ શુરૂ થઈ હતી. જો કે એ શુરૂ થઈ હતી કોટ વિસ્તારમાં આવેલી ગોરા સૈનિકો માટેની બરાકની પાસે. પછી ૧૮૩૮માં બે નવાં મકાન ભાયખળામાં બાંધી તેને અહીં ખસેડી. આ સ્કૂલો માટેનાં બે મકાન બાંધવાનો કુલ ખરચ ૬,૧૯૦ રૂપિયા જેટલો આવ્યો હતો. તેનાથી થોડે દૂર રણમલ લાખા નામના એક લુવાણાએ મોટું મંદિર બંધાવેલું. તેની પાછળ ૫૦-૬૦ હજાર રૂપિયા ખરચેલા એમ કહેવાય છે.
માલશે : પછી તો ભાયખળાથી માજગાંવ સુધી મોટા, સુંદર બંગલા અંગ્રેજો, પારસીઓ, ગુજરાતી વાન્યાઓ, મુસલમાનો, અને યહૂદીઓએ બંધાવ્યા. મોટો બંગલો. એની સાથે મોટો, સુંદર બગીચો. એમાં પાણીનાં ઝરણાં, ફુવારા. ક્યાંક નાનું તળાવ બનાવી તેમાં રંગબેરંગી માસળી તરતી મૂકે.
ગોવિંદરાવ : અને મલબાર હિલ પરનો ગવર્નરનો બંગલો તો પછી બન્યો. તેના અગાઉ પરળમાં આવેલા એક મોટા બંગલામાં ગવર્નર સાહેબ રહેતા.
ગવર્નર્સ હાઉસ, પરળ
દી.મ. : છેક પરળ કેમ?
માલશે : કારણ એ વખતે પરળ તો હવા ખાવાનું સ્થળ ગણાતું. ત્યાંનાં હવાપાણી એકદમ ચોખ્ખાં. બીજા કેટલાક શાહુકારોના બંગલા પણ ત્યાં આવેલા હતા.
દી.મ. : આ જગ્યા વિષે મને થોડી ખબર છે. અસલ તો અહી વૈજનાથ મહાદેવનું મોટું મંદિર આવેલું હતું. પોર્ટુગીઝોએ મુંબઈનાં ઘણાં મંદિર તોડ્યાં એમ આ મંદિર પણ તોડી નાખ્યું અને એની જગ્યાએ જેસુઈટ પાદરીઓને રહેવા માટે આલીશાન મકાન બાંધ્યું. કાર્સટેન નેબુર નામના એક પ્રવાસીને તો તે એટલું ગમી ગયેલું કે તેણે લખ્યું છે કે આ ઈમારતનું નામ The Peerless, એટલે કે ‘અપ્રતિમ’ પાડવું જોઈએ. પણ એક નાટકમાં ગીત આવતું હતું ને કે :
પીપળ પાન ખરંતાં હસતી કુંપળિયાં
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
તેમ અંગ્રેજોનું રાજ થયા પછી આ ઈમારત કંપની સરકારે લઈ લીધી. જેમના નામ પરથી હોર્નબી રોડ અને હોર્નબી વેલાર્ડ નામ પડેલાં એ ગવર્નર વિલિયમ હોર્નબી આ મહેલ જેવા મકાનમાં રહેવા આવનાર પહેલા ગવર્નર હતા. પછી ગવર્નરનું ઘર ફરી બદલાયું અને પહોચ્યું મલબાર હિલ. જ્યાં આજે પણ મહારાષ્ટ્રના ગવર્નર વસે છે.
માલશે : પરળની ઈમારતમાં પછીથી હાફકીન ઇન્સટિટ્યૂટ શુરૂ થઈ, જે આજે પણ ત્યાં જ છે.
દી.મ. : હા, આગલા ભાગમાં નવી ઊંચી ઈમારત બાંધી છે, પણ તેની પાછળ હજી સુધી તો અસલ ઈમારત જળવાઈ રહી છે.
શિવડીનો કિલ્લો
ગોવિંદરાવ : તમને એક બીજા વાત કહું. અસલ તો આ પરળનો અલગ ટાપુ હતો. એ વખતે હજી અંગ્રેજોની સત્તાના પાયા બહુ ઊંડા ગયેલા નહિ હતા. સીદીઓ, મરાઠાઓ, મોગલો, દરિયાઈ ચાંચિયાઓ અવારનવાર મુંબઈ પર ચડી આવતા. તેમનાથી બચવા માટે કંપની સરકારે જુદી જુદી જગ્યાએ નાના-મોટા કિલ્લા બાંધેલા. પરળના ટાપુને છેડે આ રીતે બાંધેલો કિલ્લો તે શિવડીનો કિલ્લો. એ બંધાયો ઈ.સ. ૧૬૮૦માં. પરળના ટાપુને છેડે આવેલી એક ટેકરી પર કંપની સરકારે એ બાંધેલો. એના પરથી પૂર્વમાં દરિયા ઉપર અને બીજી બાજુ લાંબે સુધી ભૂમિ ઉપર નજર રાખી શકાતી. ત્યાં લશ્કરના પચાસ સૈનિકો સતત પહેરો ભરતા. ઉપરાંત, ત્યાં આઠ તોપ પણ બેસાડવામાં આવી હતી. છતાં ૧૬૮૯માં સીદીઓ વીસ હજાર સિપાઇઓની સેના લઈને આવ્યા અને આ શિવરીનો કિલ્લો તો જીતી લીધો, પણ સાથોસાથ મઝગાંવ અને માહિમના કિલ્લા પણ સર કર્યા. અને તેમણે માહિમના ગામ પર હુમલો કરી લૂંટ ચલાવી. જો કે ૧૭૭૨માં પોર્ટુગીઝ સેના મુંબઈ પર ધસી આવી ત્યારે આ જ શિવડીના કિલ્લાએ તેને શિકસ્ત આપી પાછી તગેડી મૂકી હતી.
માલશે : પછી જ્યારે બહારના આક્રમણની બીક ન રહી અને કંપની સરકાર સલામત બની ત્યારે શિવડીના કિલ્લાને કેદખાનું બનાવવામાં આવ્યો. પછી ત્યાં બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ગોડાઉન બન્યા.
દી.મ. : દાયકાઓ સુધી બીજા ઘણાખરા કિલ્લાની જેમ શિવડીનો કિલ્લો પણ ખંડેર બની રહ્યો. હવે છેલ્લા થોડા વરસથી સમારકામ, રંગરોગાન કરી, થોડી નવી જરૂરી સગવડ ઊભી કરી તેને એક ‘ટુરિસ્ટ સ્પોટ’ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
માલશે : આ મુંબઈ શહેરની એક ખાસ વાત છે. એને ગઈ કાલ કરતાં આજ અને આવતી કાલમાં વધુ રસ છે. અને એટલે જ્યાં જળ ત્યાં સ્થળ, અને જ્યાં સ્થળ ત્યાં જળ એમ સતત બદલાતું રહે છે. રાજ કપૂરના પેલા જાણીતા ગીતમાં કહ્યું છે ને: ‘ચલના જીવન કી કહાની, રુકના મૌત કી નિશાની.’ અને મુંબઈ તો ફક્ત ચાલતું નથી, દોડતું રહે છે.
દી.મ. : હા જી. આપણી આ બધી વાતોમાં સમય પણ ક્યાં દોડતો ગયો તેની ખબરે ન પડી. પણ હવે વધુ વાતો કરવા મળશું આવતા શનિવારે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 19 ઓગસ્ટ 2023)