ત્રેવડ વિનાનાં માણસોનાં બે લક્ષણ હોય છે. એક તો તેને વિધવા ડોશીની મરણમૂડી પર નજર કરવામાં અને ખાવામાં કોઈ શરમ નથી આવતી, અને એ પછી પણ દળદર ફીટે એમ ન હોય તો લડી લેવાની જગ્યાએ ધર્મનો કે ભગવાનનો આશરો લઈને ટૂંટિયું વળીને બેસી જવામાં પણ કોઈ શરમ નથી આવતી. આજકાલ આ બંને લક્ષણ એક સાથે જોવાં મળી રહ્યાં છે એ જોઇને જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ.
પહેલાંના યુગમાં વિધવા ડોશીઓ થોડીક મરણમૂડી અલગ મૂકી દેતી. એમાં આદર થાય એવી ખુદ્દારી હતી. જ્યારે મરણ થાય ત્યારે ભાઈ-ભત્રીજા કે સગાં-વહાલાંઓએ ડોશીનું કારજ કરવા પૈસા ન કાઢવા પડે એટલે ડોશીઓ એ મૂકીને જાય. મરવામાં પણ કોઈનું ઋણ ન જોઈએ. કેવી મોટી વાત! એ મહાન માતાઓને કોટિ-કોટિ પ્રણામ! આપણી પરંપરામાં અને રીતિ-રિવાજોમાં ગર્વ લેવા જેવા આવાં ઘણાં નરવાં ઉદાહરણો હતાં અને છે, જો સમાજને તેમ જ સામાજિક પરંપરાઓને જોતાં-સમજતાં આવડતું હોય તો.
તો વિધવા ડોશીઓ મરણમૂડી અલગ મૂકીને જતી, અને ગણ્યાગાંઠ્યા અપવાદ છોડીને કોઈ એના પર નજર નહોતું કરતું. ગમે એવું આર્થિક સંકટ હોય, લોકો વાસણ વેચી નાખે, મજૂરી કરે; પણ ડોશીની મરણમૂડી પર નજર કરવી એ પાપ ગણાતું, નમાલાપણું ગણાતું. પણ આ તો સમાજ છે. એમાં અનેક પ્રકારના લોકો હોય અને કેટલાક લોકો ડોશીને પટાવીને કે જબરદસ્તી કરીને મરણમૂડી ખાઈ જતા. અત્યારે રિઝર્વ બેન્ક સાથે આ જ થઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક પાસે જે નાણાં છે એ વિધવા ડોશીની મરણમૂડી છે. કોઈ અણધાર્યા કે અસાધારણ સંકટમાં કામ આવે એ માટે અલગ રાખવામાં આવેલી મૂડી. ૧૯૩૪માં રિઝર્વ બેન્કની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી કોઈ શાસકોએ મરણમૂડી પર નજર કરી નહોતી. ૧૯૩૬ના બિહારના ધરતીકંપ વખતે નહીં, ૧૯૪૩ના બંગાળના દુકાળ (ફેમિન) વખતે નહીં, બીજા વિશ્વયુદ્ધ વખતે નહીં, ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે નહીં, ૧૯૭૨ના દુષ્કાળ વખતે નહીં અને ૧૯૯૧ની પેમેન્ટ ક્રાઈસિસ વખતે પણ નહીં. મરણમૂડીને હાથ ન લગાડાય, એની એક મર્યાદા પાળવામાં આવતી હતી. એને હાથ લગાડવા માટે ઘીસુ અને માધોનું કલેજું જોઈએ જે પ્રેમચંદની ‘કફન’ વાર્તામાં તેનાં બે પાત્રો ધરાવે છે.
એ પછી પણ દળદર ન ફીટે અને સંઘર્ષ કરવાની હામ ન હોય, તો ભગવાન તો છે જ. ધર્મને શરણે થઈ જવાનું. જાતને અને બીજાને છેતરવા માટે ધર્મ એક હાથવગું સાધન છે. આશ્રમમાં ઝાડું મારીને સદાવ્રતમાં જમી લેનારાઓને મેં મારા ગામમાં જોયાં છે. ખબર નહીં કેમ પણ કહેવાતા ધાર્મિક માણસોને લોકો શંકાનો લાભ આપતા રહે છે અને તેમને સહન કરતા રહે છે. બહુ ઓછા ધાર્મિક માણસો ઈશ્વરપરાયણ આધ્યાત્મિક હોય છે. મોટા ભાગના ધાર્મિક માણસો ત્રેવડ વિનાનાં, રોતલાં, દાધારન્ગા, મતલબી અને ઢોંગી હોય છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ રહી છે. એ પછી લોકસભાની ચૂંટણી માથે છે અને કર્તુત્વની મૂડી જમા થઈ શકી નથી, એટલે રામલલ્લાને શરણે જવાની તૈયારી ચાલી રહી છે. રામલલ્લાને પણ હવે ગુસ્સો આવતો હશે કે આ શું માંડ્યું છે, વચ્ચે તો ક્યારે ય યાદ કરવામાં આવતો નથી અને ચૂંટણી ટાણે ત્રિશૂળ લઈને નીકળી પડે છે. શું અયોધ્યા સેનેટોરિયમ છે કે રાજકીય ક્ષય થાય ત્યારે તબિયત સુધારવા આવી જવાનું? ૧૯૯૨માં મસ્જિદ તોડવામાં આવી, એ પછીનાં અઢી દાયકા પર નજર કરો, રામલલ્લાની યાદ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે ચૂંટણી નજીકમાં હોય અને ઊગરવા માટે કોઈ આરો ન હોય. ૨૦૧૪નો એક અપવાદ છોડીને દરેક વેળાએ આ પેટર્ન જોવા મળશે.
૨૦૧૪માં વૈતરણી સહેજે તરી શકાય એમ હતી એટલે રામલલ્લાને યાદ નહોતો કરવામાં આવ્યો. ડૉ. મુરલી મનોહર જોશીએ બી.જે.પી.નો ચૂંટણીઢંઢેરો તૈયાર કર્યો હતો. હંમેશ મુજબ તેમાં અયોધ્યા, આર્ટિકલ ૩૭૦ અને સમાન નાગરિક ધારાનો આગળનાં પાનાંઓમાં સમાવેશ કરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પાસે ઢંઢેરાનો ડ્રાફ્ટ આવ્યો, ત્યારે તેમણે રામલલ્લાને, આર્ટિકલ ૩૭૦ને અને સમાન નાગરિક કાયદાને પાછળ ધકેલી દીધા હતા. ખાતરી કરવી હોય તો ૨૦૦૯ અને ૨૦૧૪નાં ચૂંટણીઢંઢેરા સરખાવી જુઓ. ૨૦૧૪માં રામલલ્લાની જરૂર નહોતી. સબ કા સાથ સબ કા વિકાસને નામે મુસલમાનોના અને પ્રગતિશીલ ઉદારમતવાદીઓના મત જોતા હતા એટલે રામલલ્લાને વનવાસ આપવામાં આવ્યો હતો. તેમને મત મળ્યા પણ હતા, પણ આ વખતે વિધર્મીઓ અને ઉદારમતવાદી તો બાજુએ રહ્યા, ધાર્મિક હિન્દુઓના મત પણ મળે એમ નથી, એટલે રામલલ્લાને વનવાસમાંથી પાછા બોલાવવામાં આવ્યા છે.
મહિના પહેલા સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગજેન્દ્રસિંહ ચોહાણ અને અન્નુ કપૂર જેવા પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ્સ સમક્ષ ઉદારમતવાદી ભાષણ આપ્યું ત્યારે કેટલાક લોકો ભરમાઈ ગયા હતા. કેટલાકને તેમાં ગ્લાસનોત અને પેરેસ્ત્રોઈકા નજરે પડવા લાગ્યા હતા. મેં ત્યારે લખ્યું હતું કે આ તો ૯૫ વરસની યાત્રામાં આલાપવામાં આવેલો હજારમો રાગ છે. ગુલાંટના અંતિમ પ્રમાણ તરીકે જવાહરલાલ નેહરુનાં કેવાં વખાણ કરવામાં આવ્યાં હતાં એ વિષે મેં લખ્યું હતું. જ્યારે નેહરુ પીગળ્યા નહીં ત્યારે તેઓ મુસલમાનોના એજન્ટ બની ગયા હતા.
જો આવડત હોય તો રાજકાજના ટકોરાબંધ માપદંડ દ્વારા રાજ કરી બતાવે. ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે તેને મદદરૂપ થવાનું છે. યુવાનો માટે રોજગારી પેદા કરવાની છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવાની છે, ચીનનો રાજકીય-આર્થિક મુકાબલો કરવાનો છે, પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાના છે કે જેથી ચીનને મોટા પાયે પ્રવેશ ન મળે, ડોલર સામે રૂપિયાને પડતો બચાવવાનો છે, ફુગાવાને અંકુશમાં લેવાનો છે, નિકાસનો દર વધારવાનો છે, વ્યવસ્થામાં અનેક સુધારા કરવાના છે, વગેરે. કરવા માટેનાં કામ કાંઈ ઓછાં નથી. આ બધાં શાસક માટેનાં રાજકાજનાં ટકોરાબંધ કામો છે. સામે પક્ષે ડોશીની મરણમૂડી પર નજર કરવી, ધર્મનું રાજકારણ કરવું, સમાજમાં વિભાજનો પેદા કરવાં, સરદાર પટેલ કે સુભાષચન્દ્ર બોઝના ખબે ચડી બેસવું, પૂતળાંનો સહારો લેવો, નેહરુપરિવારની સાત પેઢીને યાદ કરીને સરસ્વતી સંભળાવવી, વગેરે આત્મવિશ્વાસથી છલકાતા શક્તિશાળી રાજાનાં લક્ષણ નથી. આ આવડતના અભાવનાં અને પરાજયનાં લક્ષણો છે.
૨૦૦૯માં ડૉ. મનમોહન સિંહે રાજકાજના ટકોરાબંધ માપદંડો દ્વારા શાસનક્ષમતા સાબિત કરીને બીજી મુદ્દત મેળવી હતી. ૨૦૧૪માં તેઓ નિષ્ફળ નીવડ્યા તો પરાજય સ્વીકારી લીધો હતો. તેમણે ડોશીની મરણમૂડી વાપરી નહોતી, ધર્મનો આશ્રય લીધો નહોતો, સમાજમાં વિખવાદ પેદા કર્યા નહોતા, કોઈના ખભે ચડ્યા નહોતા, કોઈના કુળને ગાળો આપી નહોતી, પૂતળાં બંધાવ્યા નહોતા; અને છતાં ય ડૉ. મનમોહન સિંહ સસલું અને સાહેબ સિંહ. વાહ!
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 નવેમ્બર 2018