એક વર્ષ પહેલાં, આપણાં દેશના એક બહુ મોટા ગજાના કળાકાર સૈયદ હૈદર રઝાનું નિધન થયું હતું, તે સમયે ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈએ મને રઝા સાહેબ અંગે યોગ્ય નોંધ લખી આપવા કહ્યું હતું. જો કે રઝા સાહેબનું કામ, ખાસ કરીને તેમની બિંદુ સિરીઝનાં ચિત્રો મને ખૂબ જ ગમતા હતા. પરંતુ તેમને રૂબરૂ મળવાનો અવસર એક જ સમયે મળેલો, તે પણ માત્ર ઔપચારિક સ્તરે, એથી ‘નિરીક્ષક’ માટે હું કાંઈ લખી શકેલો નહીં. પરંતુ છેલ્લા છ-સાત મહિના દરમિયાન ગયેલ જીવ્યા સોમા, અમૃત લાલ વેગડ તથા કૃષ્ણ રેડ્ડીના નિધન સમયે મેં અંજલિ નોંધ મોકલેલી ત્યારે પ્રકાશભાઈ એ મને કહેલું કે આ પ્રમાણે કહ્યા વિના પણ મોકલતા રહેજો. જો કે, કમ ભાગ્યે એ ત્રણેય નોંધ કલાકારોના મૃત્યુ માટે લખવી પડેલી.
૧૯૪૭માં ભારતને આઝાદી મળી, ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, આચાર્ય કૃપાલાણી જેવા સાચા પંડિતો તથા નેતાઓ રાજકારણમાં હતા. પંડિત નહેરુને ભારતના વિકાસમાં ખરેખર સાચો રસ હતો, પરંતુ ભારતની નિરક્ષરતા તથા જૂની રૂઢિવાદી અંધશ્રદ્ધા જેવી બાબતો ઓછી થાય અને ટેકનોલોજીની મદદ લેવાય, તો વિકાસ શક્ય તથા ઝડપી બને તેવું તે ખરેખર માનતા હતા, તેથી ટેક્નોલોજી તથા વિજ્ઞાન સાથે જોડાયેલી બાબતોને પ્રાથમિકતા આપી, તેમ છતાં ૧૯૫૫ દરમિયાન ત્રણ રાષ્ટ્રીય સ્તરની કલા અકાદમીઓ શરૂ કરાઈ. રવીન્દ્રનાથ ટાગોરની માન્યતા પ્રમાણે લલિતકલા (ચિત્ર, મૂર્તિ વગેરે), સાહિત્ય તથા સંગીત-નાટક અકાદમી – એમ ત્રણ અકાદમીઓ રાષ્ટ્રીય સ્તરે શરૂ કરાઈ. રવીન્દ્રનાથનું પોતાનું યોગદાન આ બધા જ વિષયોમાં ખૂબ મહત્ત્વનું રહ્યું હતું. તેથી એક જ સ્થળે ત્રિપાંખિયા (વિંગ્સ) ધરાવતી રવીન્દ્ર ભવન નામની ઇમારત બનાવાઈ. જેથી પૂર્વોક્ત કોઈ પણ દરેક વિષયના કલાકારો, અભ્યાસુઓ એક જ સ્થળે બધું મેળવી શકે તથા એકબીજા સાથે તેમનું સંપર્ક જાળવવું સહેલું થાય.
તે સમયે અકાદમીમાં બધા કળાકારો સરકાર નિયુક્ત કરતી હતી, પરંતુ એ બધા ખૂબ ઊંચા દરજ્જાના કળાકારો હોય તેનો ખાસ ખયાલ રખાતો હતો. કળાકારોને પણ દેશના અને કલાના વિકાસમાં પોતાનો ફાળો આપવાની તક મળી જેનો ખૂબ સારી રીતે ઉપયોગ થયો. ૧૯૫૬ના જાન્યુઆરીમાં અકાદમીનું બીજું રાષ્ટ્રીય પ્રદર્શન યોજાયેલું. તેમાં મને (આ લખનારને) પ્રથમ પુરસ્કાર તથા તત્કાલીન રાષ્ટ્રપતિજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદનાં સુવર્ણપદક પણ એનાયત થયેલો, આવું પહેલી જ વખત બન્યું. આને કારણે અકાદમીમાં નિયમ પ્રમાણે દેશના (ભારતના) ઉત્તમ નવ-કલાકારોની કૅટેગરીમાં મારા નામનો પણ સમાવેશ કરાયેલો, પરંતુ મારી ઉંમર ૨૧ વર્ષ અને અનુભવ લગભગ શૂન્ય, એમ માનવાને કારણે મેં મારી નિયુક્તિ સ્વીકારેલી નહીં. મારા આવા નિર્ણયને લીધે મારા એક શિક્ષક પ્રાધ્યાપક નારાયણ શ્રીધર બેન્દ્રે ખૂબ નારાજ પણ થયેલા કેમ કે મને મળેલ સુવર્ણપદક તથા પ્રથમ પુરસ્કાર માટે તે પોતે એક સાચા ગુરુ તરીકે પણ ખૂબ ગૌરવ અનુભવતા હતા. પરંતુ પછી જેમ બધા ક્ષેત્રે બન્યું એમ આ ત્રણેય અકાદમીઓમાં પણ સત્તા માટે તેનો લાભ લેનારા ઘૂસવા લાગ્યા અને ત્યાર પછી ‘લોકશાહી ઢબે ચૂંટણી’ તથા સત્તા ધરાવતા હોદ્દા માટે રસ લેનારાઓની હાજરી, સંખ્યા તથા જોર પણ વધવા લાગ્યા. છેલ્લા પંદરેક વર્ષથી હવે લલિતકલા અકાદમીમાં પ્રમુખને બદલે સરકારે નીમેલા આઈ.એ.એસ. ઑફિસર અકાદમીની કાર્યવાહી સંભાળે છે!
આઝાદી પછી કેરળમાં સામ્યવાદી સરકાર બનેલી. તેના કેટલાક દેશના વિકાસ માટે ખૂબ ઉપયોગી વલણો પણ નહેરુ સરકારે સ્વીકાર્યાં ન હતા. ફેમિલી પ્લાનિંગ ફરજિયાત બને અથવા અપનાવે તેને સરકાર પ્રોત્સાહન આપે તેવી પ્રથા ૧૯૫૭માં કેરળ સરકારે અપનાવી તો તે જ તેના પતનનું કારણ બન્યું. સામ્યવાદીઓ અંગે અમેરિકન સેનેટર ફૂલ બ્રાઇટનો પ્રંસગ બહુ જાણીતો છે. તેણે અમેરિકન સેનેટમાં કહેલું કે, “આપણે એટલે કે અમેરિકનો એવી ગેરસમજ ધરાવીએ છીએ કે, સામ્યવાદ એ ખરાબ અને ખોટી બાબત છે, બીજી ગેરસમજ એ છે કે, આપણે એવું માનીએ છીએ કે દુનિયાને સામ્યવાદથી બચાવવી એ આપણી જવાબદારી છે. ત્રીજી ગેરસમજ એ છે કે દુનિયાને સામ્યવાદથી બચાવવા સામ્યવાદીઓના માથામાં ડંડો મારવાનો આપણો અધિકાર છે અને ફરજ પણ છે. અને આથી ચોથી ગેરસમજ એ છે કે, જેના માથામાં ડંડો મારવાની ઇચ્છા થાય તેને આપણે સામ્યવાદી કહીએ છીએ.” લગભગ આવું જ વર્તન આપણી રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની લલિતકલા વગેરે અકાદમીઓમાં ઘણા સમયથી જોવા મળવા લાગ્યું છે.
આ વર્ષે કેરલમાં વરસાદના ભયંકર પરિણામો અતિવૃષ્ટિને લીધે અપૂર્વ તારાજી જોવા મળી. દેશના કાળાકારોએ એકઠા થઈ એક કલા – પ્રદર્શનનું આયોજન કર્યું. બધાએ પોતાની કલા-કૃતિઓ એ પ્રદર્શન માટે ડોનેટ કરી (આપી), જેની બધી આવક કેરલના લોકોને મદદરૂપ થાય એ જ તેનો મુખ્ય હેતુ હતો. આપણા યુવાન કલાકારોમાં આગવું સ્થાન ધરાવતા ત્રણ કલાકારો શ્રી જતીન દાસ, શ્રી વિવાન સુન્દરમ તથા રાજ્યસભાના સભ્ય શ્રી જોગેન ચૌધરીએ ત્રણેય આ પ્રદર્શનની જવાબદારી સ્વીકારેલી. પોતે હોસ્પિટલમાં હોવા છતાં વિવાને પણ કલાકારોને આ પ્રદર્શન માટે પોતાનું કામ આપવા માટે એકઠા કરવામાં ખૂબ સક્રિય ભાગ ભજવ્યો. શરૂઆતમાં તો રવીન્દ્ર ભવનની લલિતકલાની ગૅલેરીઓ આ માટે અપાશે તેમ અકાદમીએ કબૂલ કરેલું. પરંતુ પછી અચાનક તે કાર્યક્રમ બદલાઈ ગયા (એવું તો નહિ હોય ને કે, કેરળવાસીઓ સામ્યવાદી વિચારસરણીને ટેકો આપતા હોવાથી તેઓને ભારત સરકારની લલિતકલા અકાદમી મદદરૂપ થવા અચકાટ અનુભવતી હોય?)
આમ છતાં નિરાશ થયા વિના અને હિમ્મત રાખીને આ ત્રણ મિત્રોએ એન.જી.એમ.એ.(નૅશનલ ગૅલેરી ઑફ મોડર્ન આર્ટ)ના ડાયરેક્ટરને આ પ્રદર્શન કરવા વિનંતી કરી. સદ્ભાગ્યે એન.જી.એમ.એ.ના નિયામકશ્રીએ આ કામ સ્વીકાર્યું અને કર્યું. કળા-કૃતિઓના વેચાણમાંથી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી મદદ કળાકારોએ તેવો કેરળવાસી દેશબંધુઓને કરી. આ અનુભવથી થાકી તથા ત્રાસીને જતિને બધા કળાકારોને આખી ઘટનાની માહિતી આપતો મરશિયાં જેવું પત્ર લખેલો.
છેલ્લાં છ અઠવાડિયાંથી નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે મારું સરનામું એકથી બીજી અને બીજીથી ત્રીજી હોસ્પિટલો તથા નર્સિંગ હોમ જેવાં સ્થળોએ બદલાતું રહ્યું છે. વારંવાર થતી બ્લડ (લોહી), યુરિન (પેશાબ) જેવી ડોક્ટરી તપાસો અને મીઠાની કમી, ક્યારેક સોડિયમનું પ્રમાણ ઓછું કે વધારે, તેવા રિપોર્ટ છેલ્લા ત્રણ અઠવાડિયાંથી જોવા તથા સાંભળવા મળી રહ્યા છે. આથી, થોડા સમયથી અખબારોમાં પ્રસિધ્ધ થતા લેખો સાથે જોવા મળેલું “મી ટૂ” પ્રકારના લખાણો અંગે સમજતાં બહુ વાર લાગી. કેમ કે, મને “મી ટૂ”ને સ્થળે મીઠું સંભળાયા કરતું રહ્યું હતું.
“મી ટૂ” અંગેના લેખ માં શ્રી ઉર્વીશ કોઠારીએ આરંભ માં જ કહ્યું છે કે “દિમાગની રચનામાં હોય એના કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષના સંબંધોમાં હોય છે.” – એ સાચું જ છે. જતીન દાસે જે જે કર્યું તેવું કહેવામાં આવે છે તે છેલ્લા એક અઠવાડિયા, કે મહિનો કે વરસો કે તેથી પણ વધુ સમયને આવરી લેતાં વિધાનો છે. પરંતુ કેરળના પીડિતો ને મદદરૂપ થવા જતિને કરેલી અનુકરણીય પ્રવૃત્તિ તથા મહેનત તો અપૂર્વ જ કહેવી જોઈએ. લલિતકલા અકાદમીની અપેક્ષિત મદદ ના મળી તેની જાહેર સ્વરૂપે તેણે ફરિયાદ કરી, તેનું તો આ પરિણામ નહીં હોય! અને જો આ સિલસિલો હવે કાયમી સ્વરૂપ ધારણ કરી લે તો આપણા દેશમાં હજુ પણ ક્યારેક જોવા મળતાં સારાં કાર્યો થતાં બંધ થઈ જશે.
હિન્દુસ્તાન મુર્દાબાદ – એ જ શબ્દો જરા બીજી રીતે "ખય હિન્દ" પ્રમાણે છેલ્લા સાતેક વર્ષથી ભારત સરકારની પોતાની સંસ્થા પ્રસાર ભારતી પરથી અવારનવાર દૂરદર્શન પર રજૂ થયા કરે છે! એ ભૂલ તરફ ધ્યાન દોરવા મેં છેલ્લાં સાત વર્ષથી સતત પ્રયત્નો કર્યા છે. દિલ્લીમાં કૉંગ્રેસની સરકાર હતી અને ગુજરાતમાં શ્રી નરેન્દ્રમોદી મુખ્યમંત્રી હતા ત્યારથી દૂરદર્શન સાથે સંકળાયેલા ઘણા અધિકારીઓ તેમ જ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા લેખકો/સાહિત્યકારો અને મહાનુભાવોનું ધ્યાન દોરવા પ્રયત્ન કરતો રહ્યો છું. છેલ્લે છેલ્લે રાજ્ય સભાના નવા નિમાયેલા સભ્યો સુશ્રી સોનલ માનસિંહ દ્વારા પણ આ માહિતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા પ્રયત્ન કર્યો છે, પરંતુ પરિણામ હતું, તેનું તે જ હજુ પણ જોવા મળે છે. સાત વર્ષ લગાતાર પ્રયત્નો કરવા છતાં મારી આ હૈયાવરાળ તેમ જ નિષ્ફળતાનો શોક મનમાંથી હટાવી શક્યો નથી. મારા સદ્ભાગ્યે હું મોબાઈલ ફોન તથા તેની સાથે સંકળાયેલ સોશિયલ મીડિયા નેટવર્કથી તદ્દન અભણ છું. તેથી "ખય હિન્દ"વાળી વાત સોશિયલ મીડિયા પર રજૂ કરી શક્યો નથી, પરંતુ જો તેવું કરી શકું અને સરકારને એમાં મેં તેનું અપમાન કર્યું છે તેવું જણાય તો મારી ઉપર "મી ટૂ" પ્રકારનો આક્ષેપ મુકાતા કેટલો સમય લાગશે!
આ સંદર્ભે મને એક લોકવાર્તા યાદ આવે છે. કચ્છના માંડવી બંદરેથી એક ભાટિયા શેઠ પોતાના લાકડાના વાહનમાં લાંબી મુસાફરી માટે જવાના હતા. વહેલી સવારે જ્યારે શેઠ નીકળ્યા ત્યારે તેના ચોકીદારે શેઠને મુસાફરી બંધ રાખવા વિનંતી કરી. કારણમાં ચોકીદારે શેઠને કહ્યું કે, તેને રાત્રે સપનું આવેલું કે શેઠનું વહાણ સમુદ્રના ઝંઝાવાતમાં ફસાઈને ડૂબી ગયું. આથી શેઠે પોતે વહાણ સાથે જવાનું બંધ રાખ્યું. ત્યારપછી માલ-સામાન ભરેલું વહાણ સમુદ્રમાં પ્રવાસ દરમિયાન વાવાઝોડામાં ફસાઈને ખરેખર ડૂબી ગયું. એ સમાચાર જાણ્યા પછી શેઠે ચોકીદારને બોલાવીને પોતાનો જીવ બચાવવા માટે આભાર માન્યો અને મોટું ઈનામ પણ આપ્યું. પરંતુ સાથોસાથ ચોકીદાર તરીકેની ફરજ બજાવી નહીં અને સૂઈ ગયેલ એટલે તો સપનું આવ્યું, તેથી નોકરીમાંથી પાણીચું પણ પકડાવી દીધું! શેઠે આ બંને બાબતને એકબીજા સાથે જોડ્યા વિના બે જુદા જુદા નિર્ણયો લીધા. આવું આજકાલ પણ થાય તે મને જરૂરી લાગે છે.
E-mail : jotu72@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 15 અને 14