૨૬ એપ્રિલ, ૧૯૩૭માં જન્મેલા ફાધર સ્ટૅન સ્વામી એસ.જે. (સ્ટૅનિસ્લૉસ લૉર્દુસ્વામી), આદિવાસી અધિકાર કર્મશીલ આજે ૫ જુલાઈ, ૨૦૨૧ના દિને ફાની દુનિયાને ૮૪ વર્ષે અલવિદા કરી ગયા છે. તેઓ હોલી ફેમિલી હૉસ્પિટલમાં પલ્મનરી ઇન્ફૅક્શન, કૉવિડ પશ્ચાત્ થયેલા ફેફસાંના કૉમ્પ્લિકૅશન્સ અને ન્યુમોનિયા માટે સારવાર હેઠળ આઈ.સી.યુ.માં હતા. ૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ સવારે ૪.૩૦ વાગે એમને કાર્ડિયૅક અરૅસ્ટ આવ્યા બાદ વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાનમાં આવ્યા નહીં.
ફાધર સ્ટૅન ૩૦ મે, ૧૯૫૭ના રોજ ઈસુ સંઘમાં (જેસ્યુઈટ ઑર્ડર) જોડાયા હતા. ૨૨ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે એમણે દીક્ષા ગ્રહણ કરી હતી. ઝારખંડના આદિવાસીઓ વચ્ચે રહી એમના હક માટે કર્મશીલતા કરતાં ફાધર સ્ટૅનની જાન્યુઆરી, ૨૦૧૮માં ઍલ્ગર પરિષદ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં રાખવામાં આવેલા. અહીં વિગતો આપવાનો આશય નથી, પરંતુ એક વયોવૃદ્ધ અને પાર્કિન્સન, વગેરે બિમારીઓથી ગ્રસ્ત વ્યક્તિ કારમા જેલવાસ દરમ્યાન વિષમ પરિસ્થિતિમાં પણ સાધુને છાજે એવા ધૈર્ય, શાંતિ, પ્રેમ, અનુકંપા અને આશાનો અમૂલ્ય સંદેશો આપતા ગયા છે, એ નોંધવાનો છે. તલોજા જેલમાંથી પત્ર મારફતે મોકલેલા સંદેશામાં એમણે લખેલું :
પ્રિય મિત્રો,
મારા અને મારા સાથી આરોપીઓ માટે દાખવેલા સુદૃ ઢતાભર્યા સમર્થન માટે તમારો ખૂબ આભાર માનું છું. હું સાચે જ કૃતજ્ઞ છું.
જેલ પ્રશાસન મને સવારનો નાસ્તો, દૂધ, બપોર અને રાતનું ભોજન પૂરું પાડે છે. તે સિવાયની ખાદ્ય સામગ્રી જેલની કેન્ટીનમાંથી મહિનામાં બે વખત ખરીદી શકાય છે. દૈનિકો, સાબુ, વગેરે, લેખન સામગ્રી અને બીજી જરૂરી ચીજો પણ જેલની કેન્ટીનમાં વેચાતી મળે છે.
મારી જરૂરિયાતો સીમિત છે. આદિવાસીઓ અને સોસાયટી ઑફ જીસસે મને સાદગીભર્યું જીવન જીવવાનું શિખવાડ્યું છે, પરંતુ મારે ચા-પાણી પીવાં માટે સિપર-ટમ્બલર લાવવું પડ્યું હતું. ૯ ઑક્ટૉબરે જેલના ઝાંપેથી મારી પાસેથી એ લઈ લેવાયું હતું.
હવે હું જેલની હૉસ્પિટલમાંથી બાળકો માટેનું સિપર ખરીદીને વાપરું છું. મેં મારી આ જરૂરિયાત મારા વકીલને જણાવી છે. સિપર મને મળે એની રાહ જોઉં છું.
વરવરા રાવ ઘણા બિમાર છે, એમના માટે પ્રાર્થના કરજો. તલોજામાં મારા સાથી કેદીઓની જીવન-કહાણીઓ સાંભળવાથી આનંદ મળે છે. એમની પીડા અને સ્મિતમાં મને ઈશ્વરના દર્શન થાય છે.
courtesy : Satish Acharya, Cartoonist
ફાધર સ્ટૅન સ્વામી એસ. જે. જેલમાં ૧૦૦ દિવસ પૂરા થયાના ટાણે ફાધર સ્ટૅને પત્રના અંતે લખેલું : “પિંજરમાં કેદ પંખી પણ ગાઈ શકે છે.”*
પૉલ લૉરૅન્સ ડનબારના કાવ્ય ‘Sympathy’માં ‘caged bird’ના રૂપકથી અશ્વેત કવયિત્રી માયા ઍન્જલો પ્રભાવિત થયેલાં. એમની આત્મકથાનું શિર્ષક છે : ‘I know why the caged bird sings’. એમના એક કાવ્ય ‘Caged Bird’નો અનુવાદ નીચે મુજબ છે :
પિંજરનું પંખી
મુક્ત પંખી પવનની પીઠ પર ઉછળે છે
અને વહેણ અટકે નહીં ત્યાં સુધી
નીચે તરફ વહે છે
કસુંબી સૂર્યકિરણોમાં પાંખ બોળીને
આકાશ હસ્તક કરવાની હિંમત કરે છે.
પરંતુ સાંકડા પિંજરમાં ફરતું પંખી
એના આક્રોશના સળિયાની આરપાર
ભાગ્યે જ નજર કરી શકે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.
પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.
આઝાદ પંખી કોઈ બીજા જ પવનનો વિચાર કરે છે
એક જ દિશામાંથી વાતા પવનો નિસાસા નાખતાં વૃક્ષો વચ્ચેથી અને
પરોઢના પ્રકાશમાં ઘાસ પર રાહ જોતી જાડી ઈયળો મધ્યેથી વહે છે
અને આકાશને એ પોતાના નામે કરે છે.
પરંતુ પિંજરે પૂરાયેલું પંખી સ્વપ્નની કબર પર ઊભું રહે છે
દુ:સ્વપ્નની ચીસ પર એનો પડછાયો બરાડે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.
પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.
~
e.mail: rupaleeburke@yahoo.co.in