આમ તો આખા દેશમાં જીવતી પ્રજાનો અનુભવ થતો નથી, પણ ગુજરાતમાં પણ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો જીવંત હોય એવું લાગતું નથી. બહુબહુ તો ફી ઘટાડવાને મુદ્દે ક્યારેક સળવળે છે, પણ શિક્ષણને નામે જે ચાલે છે એની સામે કોઈને કોઈ ફરિયાદ નથી. આચાર્યો કે શિક્ષકો ક્યાંક કચવાતા હશે, પણ મોટે ભાગે તો વિદ્યાર્થીઓ, વાલીઓ માથે પડે છે તે વેઠી લે છે. કોરોનાને કારણે સરકાર પણ મૂંઝવણ અનુભવે છે ને એવા નિર્ણયો લે છે કે તઘલખ ઓછો તરંગી લાગે. ગયું આખું વર્ષ લગભગ એકમ કસોટી કે સત્રાંત કસોટીઓ લેવામાં જ ગયું. ઓનલાઈન શિક્ષણ બધે નથી જ થયું ને જ્યાં થયું ત્યાં નિયમિતતા કે ગંભીરતા ઓછી જ હતી. પરીક્ષાઓમાં વર્ગખંડોમાં જે વ્યવસ્થાઓ હોય છે એનો લાભ ઓનલાઈન પરીક્ષાઓને મળ્યો નથી એટલે વિદ્યાર્થીઓએ મોટે ભાગે ઉતારાઓથી જ ઉત્તરવહીઓ ભરી છે. એમાં જે ખરેખર ભણવા બાબતે ગંભીર હતા એ વિદ્યાર્થીઓ ઓછાં માર્ગદર્શને જાતે પ્રયત્ન કરીને અપડેટ થવા મથ્યા હશે, બાકી તો બધાંએ આ વર્ષ માંડી જ વાળ્યું હતું.
નાછૂટકે બધાં જ ધોરણમાં માસ પ્રમોશન અપાયું. એમાં 10, 12માં આગલાં વર્ષનાં પરિણામોની ચોક્કસ ટકાવારી નક્કી કરીને પરિણામ તૈયાર કરવાનું ઠરાવાયું ને 10નું તો પરિણામ પણ જૂનને અંતે જાહેર થઈ ગયું, જેમાં રાજયમાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. તેમાં પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 2,991 A1 ગ્રેડમાં પાસ થયા. 2020માં એ આંકડો 350નો હતો. 8.57 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ન આપી તો પણ પાસ જાહેર થયા. પરીક્ષા લેવાઈ જ નહીં ને બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. પરીક્ષા ન આપવાથી 100 ટકા પરિણામ આવે છે એ કોરોનાએ સાબિત કરી આપ્યું.
એ ખરું કે પરીક્ષા લેવાય એવી સ્થિતિ જ ન હતી ત્યારે માસ પ્રમોશન પણ ન લાગે ને વિદ્યાર્થીઓને આગલી પરીક્ષાઓને આધારે પરિણામ પણ મળે એ માટે ફોર્મ્યુલા નક્કી કરાઈ અને તેને આધારે પરિણામ જાહેર થયું, પણ તે આશ્વાસનથી વિશેષ કૈં નથી, કારણ આ, જે તે વર્ષની બોર્ડની ન લેવાયેલી વાર્ષિક પરીક્ષાનું પરિણામ હતું. એ જ એક માત્ર સત્ય હતું. આમાં કોઈનો સીધો વાંક કઢાય એમ નથી, કારણ જે સંજોગોમાં જે થઈ શકે તે જ થયું હતું. વાંક હોય તો ફોર્મ્યુલાનો હતો. આ ફોર્મ્યુલા બધે એક સરખી રીતે લાગુ કરાય એમ ન હતું, કારણ ઘણા વિસ્તારોમાં તો શિક્ષણ કાર્ય કે પરીક્ષા થાય એવી સગવડો જ ન હતી, ત્યાં કેવી રીતે પરિણામ તૈયાર થયું હશે તે તો કદાચ ઈશ્વર પણ નહીં જાણતો હોય ! વારુ, કોઈને નાપાસ તો કરવાના જ ન હતા ને કોઈ થાય તો દરેક વિષયના પાસિંગ 33 ટકા આપવાનો ઇજારો બોર્ડે પોતાની પાસે રાખ્યો હતો, એટલે એક પણ પરીક્ષા આપી ન હોય એવા વિદ્યાર્થીઓના દરેક વિષયમાં પાસિંગ માર્કસ બોર્ડે ઉમેરીને માસ પ્રમોશનનો હેતુ જાળવી રાખ્યો છે.
એ સાથે જ ઓનલાઈન શિક્ષણ 11માં ધોરણનું શરૂ થઈ ગયું છે ત્યારે શિક્ષણ વિભાગને નવો તુક્કો સૂઝયો છે. સાડા આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ તો થઈ ગયા, પણ તેમનું આગલા વર્ષનું શિક્ષણ અધૂરું રહ્યું છે, તો તે વર્ષનું શિક્ષણ પણ થાય એ માટે ચાલુ વર્ષની સાથે જ ગયા વર્ષની પરીક્ષાઓ નિદાન કસોટીને નામે યોજવાનું વિભાગે નક્કી કર્યું છે. આ પરીક્ષાઓ દ્વારા હેતુ લર્નિંગ લોસ જાણવાનો છે. એ જાણવા ધોરણ 9, 10 અને 12માં નિદાન કસોટીઓ 10થી 12 જુલાઈ દરમિયાન યોજાશે. ખરેખર તો નવું સત્ર શરૂ થાય તે સાથે પાછલા વર્ષનો અભ્યાસ 1 મહિનો કરાવવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હતો, પણ સ્કૂલોએ ભણાવ્યું નથી ને 10થી 12 જુલાઈ દરમિયાન પરીક્ષા તો આવી લાગી છે. એટલે આ પરીક્ષાઓ પણ નથી ભણાવાયું એની જ લેવાશે. વેલ, નવા વર્ષનું ભણવાનું ચાલુ હોય ત્યાં પાછલા વર્ષની પરીક્ષાનો બોજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મુશ્કેલીઓ વધારે એમ બને. શિક્ષણ વિભાગ પરિપત્રો તો બહાર પાડી દે છે, પછી એનો અમલ થાય છે કે કેમ તેની પરવા કરતો નથી. એ હિસાબે, વિભાગે તો ભણાવ્યા વગર જ ધોરણ 9 માટે 8માંની, 10 માટે 9ની, 12 માટે 11ની ચોક્કસ વિષયની નિદાન કસોટીઓ લેવાનું નક્કી કર્યું છે.
બોર્ડ 7 જુલાઈએ મેઈલથી ડી.ઇ.ઓ.ને પ્રશ્નપત્રો મોકલશે. એ પછી 8મીએ બધી સ્કૂલોને પ્રશ્નપત્રો મોકલવાની વ્યવસ્થા થશે અને 12મી સુધી વિદ્યાર્થી રોજનું એક પેપર લખશે. પછી 13-14 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તરવહીઓ મેળવી લેવાશે, જેનું પરિણામ 30 જુલાઈ સુધી સ્કૂલો તૈયાર કરીને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે અપલોડ કરશે. ટૂંકમાં, ઓગસ્ટના પહેલાં અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓ અને સ્કૂલો આગલા વર્ષની પરીક્ષામાં બિઝી રહેશે ને એટલો સમય ચાલુ વર્ષનું ભણતર ઘોંચમાં પડશે. એમ લાગે છે કે બોર્ડમાં પ્રશ્નપત્રો તૈયાર કરવાનું કારખાનું ચાલે છે. એ કોઈને કોઈ પ્રશ્નપત્ર કાઢ્યાં જ કરે છે ને છાશવારે પરીક્ષાઓ લીધે રાખે છે. ગયા વર્ષનો અભ્યાસ આ વર્ષે પાકો કરાવવાનો હેતુ સારો, પણ તે નવો અભ્યાસ શરૂ થાય તે પહેલાં કરાવવાનો હતો, તે થયું નહીં અને હવે પરીક્ષાનો ખેલ પડવામાં છે. ગયું આખું વર્ષ વિભાગે કસોટીઓ જ લીધે રાખી છે ને જે પરીક્ષા લેવાવી જોઈતી હતી, ત્યાં માસ પ્રમોશનથી ચલાવવું પડ્યું છે. શિક્ષણ વિભાગમાં ગંભીર વિચાર કરી શકે એવું કોઈ છે કે કેમ તે નથી સમજાતું. માત્ર તુક્કાઓ પર આ વિભાગ ટક્યો હોય એવું લાગે છે. બીજું બધું જવા દઈએ ને માત્ર પાછલાં વર્ષોની પરીક્ષાનો જ મુદ્દો વિચારીએ તો તે સમયના દુર્વ્યયથી વિશેષ કૈં નથી. હા, વેકેશનમાં કે નવા સત્રની શરૂઆતમાં પાછલાં વર્ષનો અભ્યાસ કરાવાયો હોત અને પછી નિદાન કસોટીઓ થઈ હોત તો આ આખો ઉપક્રમ લેખે લાગ્યો હોત, તેને બદલે પરીક્ષા લઈને જ સંતોષ માનવો પડે એ સ્થિતિ છે. આ પરીક્ષાઓ પણ વર્ગખંડમાં લેવાય તે રીતની નથી જ, એટલે એ કેવી રીતે લેવાશે તે કલ્પવાનું અઘરું નથી. આ વર્ષની પરીક્ષાઓએ એક નવું સૂત્ર આપ્યું છે ને તે એ કે પરીક્ષા એટલે ઉઠાંતરી. એ પણ કરતાં ન આવડે તેવાઓને પાસ કરવાની જવાબદારી બોર્ડની છે. શિક્ષણને કોઈ ધોરણ હોય તે વાતનો પૂરેપૂરો છેદ આ વર્ષે ઊડી ગયો છે.
ગયા વર્ષનો અભ્યાસ કાચો રહી ગયો હોઈને અભ્યાસ કરાવીને પરીક્ષા લેવાનો ઉપક્રમ પ્રશંસનીય છે જ, પણ તે શિક્ષણ વિભાગની પોલને જ ઉઘાડી પાડનારો છે. અહીં પ્રશ્ન એ થાય કે જો અભ્યાસ કાચો રહ્યાની વિભાગને ખાતરી હોય તો 10માંનું પરિણામ જેને આધારે નક્કી થયું તે કેટલું પાકું હતું? ગયે વર્ષે ઓનલાઈન થયેલો અભ્યાસ પૂરો ને પૂરતો ન હતો તેવું તો વિભાગને પોતાને લાગ્યું છે, એટલે તો વાત નિદાન કસોટી સુધી આવી છે, તો 10માંની પરીક્ષામાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા એ અભ્યાસમાં રહેલી કચાશનું પરિણામ છે? ક્યાં તો અભ્યાસ ન થયો એ સાચું છે અથવા તો 17,186 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ શંકાસ્પદ છે ને સાચું તો એક જ છે.
બોર્ડ તો આ જાણે જ છે, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો પણ જાણે છે કે હકીકત શું છે, પણ કોઈ બોલતું નથી. આચાર્યો જૂની, નવી પરીક્ષાઓ લેવાની વાતે મૂંઝાય છે, પણ તેઓ પણ વેઠ ઉતારીને રાજી છે. ખૂણેખાંચરે બબડે છે, પણ દેખાય છે તો એવું કે તેમને પગાર સિવાય બીજા કશામાં રસ નથી. એવું નથી કે સાચું શું છે તે શિક્ષકો જાણતા નથી, વાલીઓ ને વિદ્યાર્થીઓ પણ જાણે છે કે જે મળ્યું છે તેમાં સાચું કેટલું છે, પણ વગર મહેનતે મળ્યું તે ગજવે ઘાલીને સૌ ટાબોટા ફોડે છે. ના, છૂટકે માસ પ્રમોશન લેવું પડે તે લાચારી છે, પણ વગર પરીક્ષાએ આટલા A1 ગ્રેડ આવે તે બરાબર નથી એવું એક વિદ્યાર્થી, એક શિક્ષક, એક વાલી કે એક આચાર્ય કહેતો નથી, એ જ સૂચવે છે કે શિક્ષણનું ધોરણ શું અને કેટલું છે?
10થી 12 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષા લર્નિંગ લોસ જાણવા માટે લેવાઈ રહી છે. એ પણ કમાલ છે ને કે બધાં જાણે છે કે સિલકમાં લર્નિંગ લોસ જ છે, પણ શિક્ષણ વિભાગને જ ખબર નથી. એ પણ ભણાવીને પછી નક્કી થાય તો લેખે લાગે, પણ આ તો ભણાવ્યા વગર માત્ર પરીક્ષાથી નક્કી થાય છે. ઓકે, પરીક્ષા લેવાય અને ઉતારા પણ બરાબર ન થાય ને કોઈ નાપાસ થાય તો તેનું માસ પ્રમોશન રદ્દ થશે? ના, એવું નથી. જે પાસ જાહેર થયા છે તે તો પાસ જ છે. તો, પ્રશ્ન એ થાય કે આ આખો વ્યાયામ કરવાનો કોઈ અર્થ ખરો?
છોડો, અનર્થમાં અર્થ શોધવાનો કોઈ અર્થ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જુલાઈ 2021