સત્ય અને સાતત્યની ચિંતા કર્યા વિના જરૂરિયાત મુજબ બોલવું એ આપણા વડા પ્રધાનની ફિતરત છે. જ્યાં સુધી ભક્તો વાંક જોતા નથી અને શબ્દે શબ્દે નશાનો અનુભવ કરે છે ત્યાં વાંકદેખાઓની કોણ પરવા કરે છે. જ્યાં જેવી જરૂરિયાત એવી વાણી. વડા પ્રધાને છત્તીસગઢમાં એક ચૂંટણીપ્રચાર સભાને સંબોધતા દાવો કર્યો હતો કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ મળતું થાય એવી એક યોજના અમલમાં મુકવામાં આવશે અને પછી શું કહ્યું? છાતી ઠોકીને કહ્યું કે આ મોદીનો દાવો છે.
વાહ! પણ હજુ હમણાં વર્લ્ડ હંગર ઇન્ડેક્સ બહાર પડ્યો અને તેમાં બે ટંકનું ભોજન નહીં પામતા ગરોબો કયા દેશમાં કેટલા છે, વિશ્વના ૧૨૫ દેશોમાં ભૂખ નહીં સમાવી શકતા દેશોમાં કયો દેશ કયા સ્થાને છે, એનો ઈન્ડેક્સ બહાર પડ્યો હતો અને તેમાં ભારતનું સ્થાન ૧૧૧મા ક્રમે હતું. ગયા વરસે ભારતનું સ્થાન ૧૦૭મું હતું. માત્ર એક વરસમાં ચાર પગથિયાં નીચે ઊતરી ગયું. વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં ભારતનાં પાડોશી દેશો ભારત કરતાં આગળ છે.
આ ઇન્ડેક્સ બહાર પડ્યો ત્યારે ભારત સરકારે શું કહ્યું હતું ખબર છે? સરકારે કહ્યું હતું કે આ ઇન્ડેક્સ જ ખોટો છે અને ભારતને સ્વીકાર્ય નથી. ઈન્ડેક્સ બનાવનારાઓનાં ગણતરીના માપદંડો અને આધાર ક્ષતિયુક્ત છે. ભારતમાં આટલા બધા ગરીબો નથી અને કોઈ ભૂખ્યું સૂતું નથી. હવે વડા પ્રધાન કહે છે કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ પૂરું પાડવામાં આવશે. ભારતની વસ્તી અંદાજે ૧૪૦ કરોડ છે એમાંથી વડા પ્રધાન કબૂલ કરે છે કે ૮૦ કરોડ લોકો ગરીબ છે જે અનાજ ખરીદવાની ક્ષમતા ધરાવતા નથી અને માટે ભૂખ્યા સૂવે છે અથવા તેમને ભરપેટ ખાવા મળતું નથી. વડા પ્રધાનની કરુણા જાગી ઊઠી એ માટે આપણે તેમને ધન્યવાદ આપવા જોઈએ. પણ ૮૦ કરોડ લોકો? ભારતની કુલ વસ્તીના પંચાવન ટકા? આટલા બધા લોકો બજારમાંથી કે રેશનની દુકાનમાંથી અનાજ ન ખરીદી શકે એટલા બધા ગરીબ છે? આવો ભારત માટે કલંકીત આંકડો તો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ બનાવનારાઓએ પણ નથી આપ્યો.
પણ આંકડો નાનો ન હોવો જોઈએ. બંદા બોલે તો છોટી બાત ન બોલે. એક બાજુ નીતિ આયોગ અને નાણાં મંત્રાલય શીર્ષાસન કરીને તેમ જ વાસ્તવિકતાઓ સાથે તોડમરોડ કરીને સાચા આંકડા છુપાવવાનો પ્રયાસ કરે અને બીજી બાજુ વડા પ્રધાન સાચા આંકડામાં થોડુંઘણું નહીં બેવડું ઉમેરણ કરે. હમણાં કહ્યું એમ બંદા બોલે તો છોટી બાત ન બોલે. બીજી વાત. આવાં વચનો (અને એ પણ વાસ્તવિક, ફુગાવીને નહીં) વિરોધ પક્ષો આપે તો તેને માટે શું કહેવામાં આવે છે? રેવડી કલ્ચર. પણ વડા પ્રધાન સ્વભાવથી મજબૂર છે. સામે લોકોને જુએ એટલે નશામાં આવી જાય છે અને પછી દે ધનાધન.
અને સામે ઓડિયન્સમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હોય તો? તો વડા પ્રધાન કહેશે અને કહ્યું પણ છે કે ૨૦૨૭ સુધીમાં એટલે કે તેમની ત્રીજી મુદતમાં ભારત પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર્સ(૪૧,૬૬,૩૬,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા)નું અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. અર્થાત્ વિશાળ અર્થતંત્ર ધરાવતો વિશ્વનો ત્રીજા નંબરનો દેશ બની જશે. બેરોજગારી વધી રહી છે, સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે, આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં લોકોના હાથમાંથી કામ છૂટી રહ્યું છે અને ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર્સનું થઈ જશે. અત્યારનો જે વિકાસદર છે એ જોતા ભારતને પાંચ ટ્રિલિયન ડોલર્સનું અર્થતંત્ર બનતાં આજથી ઓછામાં ઓછા બે દાયકા લાગશે અને એ પણ કોઈ પી.વી. નરસિંહ રાવ કે ડૉ મનમોહન સિંહ જેવો દૃષ્ટિસંપન્ન વડો પ્રધાન મળે તો. નરેન્દ્ર મોદીનો એક દાયકો વીતી ગયો છે અને અર્થતંત્ર નીચે ગયું છે, ઉપર નથી ગયું.
મનરેગા(મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી)ની નરેન્દ્ર મોદીએ ઠેકડી ઊડાડી હતી; વડા પ્રધાન બનતા પહેલાં અને પછી પણ. તેમણે કહ્યું હતું કે મનરેગા કાઁગ્રેસની નિષ્ફળતાનું સ્મારક છે. દેશનો આર્થિક વિકાસ કરીને ગ્રામીણ ભારતમાં રોજગારી પેદા કરવાની જગ્યાએ કાઁગ્રેસે ગ્રામીણ બેરોજગારીનો સ્વીકાર કરી લીધો છે અને લોકોને દયા પર જીવતા કર્યા છે. અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર મનરેગના પ્રેમમાં છે અને દર વર્ષે બજેટમાં નાણાંની ફાળવણી વધારવામાં આવી રહી છે. દસ વરસ થઈ ગયા, દેશનો આર્થિક વિકાસ કરીને ગ્રામીણ ભારતમાં રોજગારી પેદા થઈ શકી નથી. આ વરસે તો મનરેગા માટે ફાળવવામાં આવેલા પૈસામાંથી ૯૩ ટકા પૈસા છ મહિનામાં જ ખર્ચાઈ ગયા. લોકોને ગમે એવું ગમે તે બોલીએ તો બુદ્ધિશાળી લોકો કાન આમળે.
વડા પ્રધાને ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની જરૂર નથી. જરૂર એ વાતની છે કે દેશમાં ગરીબોની સાચી સંખ્યા સ્વીકારવી જોઈએ (અને તે ૮૦ કરોડ તો નથી જ) અને ગરીબીનાં કારણ શોધવાં જોઈએ અને સ્વીકારવાં જોઈએ. કારણો તો જગજાહેર છે, પણ સ્વીકારવામાં આવતાં નથી. તેમને કામ મળે એ રીતની આર્થિક નીતિ અપનાવવી જોઈએ. અને સૌથી મોટી વાત એ છે કે જાહેર વિતરણ વ્યવસ્થા(પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ)ને સુધારવી જોઈએ. લોકો એટલા માટે નથી ભૂખ્યા રહેતા કે દેશમાં અનાજ ઓછું છે, લોકો એટલા માટે ભૂખ્યા રહે છે કે તેમના સુધી અનાજ પહોંચતું નથી અને જો પહોંચે છે તો તે પોષણક્ષમ હોતું નથી. લોકો પાસે રેશનીંગની દુકાનેથી અનાજ ખરીદવા પૈસા પણ છે. હા, મુક્ત બજારમાંથી અનાજ ખરીદી શકે એટલા પૈસા તેમની પાસે હોતા નથી. લોકો છતે પૈસે પોષણ પામતા નથી. શાસકો અને સ્થાપિત હિતો જાહેર વિતરણ સેવાને લકવાગ્રસ્ત બનાવીને જાણીબૂજીને ગરીબ લોકોને બજારને હવાલે કરી રહ્યા છે. આવું જ ટેલીકોમ, એસ.ટી., એર સર્વિસ, હોસ્પિટલો, શાળાઓ સાથે કરવામાં આવ્યું હતું. સરકારી સેવાઓને લકવાગ્રસ્ત કરી નાખવાની અને લોકોને વિકલ્પહીન કરીને બજારમાં ધકેલવાના. જે ટકી શકે એ ટકી જાય, અને જે ન ટકી શકે એ પોતાનું ફોડી લે. શું વડા પ્રધાન આ નથી જાણતા? ભારતની અનાજ વિતરણની સમસ્યા આખું જગત જાણે છે અને વડા પ્રધાન નથી જાણતા?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2023