અઢારમી સદીમાં થોમસ માલ્થુસ નામનો એક બ્રિટિશ અર્થશાસ્ત્રી થયો હતો, જેણે એમ કહ્યું હતું કે જેટલું અનાજ પાકતું હોય તેનાં કરતાં જો ખાનારાઓ વધારે હોય તો ભૂખમરો અને બીજી આફતો અનિવાર્ય છે. તેણે એમ પણ કહ્યું હતું કે ભૂખમરો અને બીજી આફતોને કારણે મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થશે અને ફરી પાછું અનાજ અને ખાનારાઓ વચ્ચે સંતુલન સ્થાપિત થઈ જશે. ખેતી માટેની જમીન તો એટલીને એટલી જ રહેવાની એટલે જે ફેરફાર થશે એ માનવવસ્તીમાં જ થશે. માલ્થુસની વિશ્વપ્રસિદ્ધ પોપ્યુલેશન થિયરી ૧૭૯૮ની સાલની છે અને એ પછી દુનિયામાં તેણે કલ્પના પણ નહોતી કરી એટલાં પરિવર્તનો થયાં છે.
અઢારમી સદીમાં દુનિયાની વસ્તી એક અબજ હતી જે અત્યારે આઠ અબજ કરતાં વધુ છે. ૧૮મી સદીમાં લોકોનું સરેરાશ આયુષ યુરોપના શ્રીમંત દેશોનું ૪૦ વરસનું હતું જે અત્યારે સરેરાશ ૮૦ વરસનું છે. ભારત જેવા દેશોમાં સરેરાશ આયુષ ત્યારે ૨૫ વરસનું હતું જે અત્યારે ૭૦ વરસનું છે. આનો અર્થે થયો કે ઈસ્વીસન ૧૮૦૦ની તુલનામાં આઠ ગણા લોકો બે ગણી લાંબી જિંદગી જીવે છે અને ભોજન કરે છે. માલ્થુસે આવું પણ બનશે એની કલ્પના નહોતી કરી. જેમ આયુર્વિજ્ઞાને આયુષ વધારી આપ્યું તો બીજી બાજુ કૃષિવિજ્ઞાને અન્ન ઉત્પાદન પણ વધારી આપ્યું. ઉદાહરણ તરીકે ભારતની જ વાત કરીએ. ભારતની વસ્તી જ્યારે ૫૦ કરોડ કરતાં ઓછી હતી ત્યારે અનાજ ઓછું પડતું હતું અને વિદેશથી આયાત કરવું પડતું હતું. કેટલુંક અનાજ તો સહાય તરીકે આવતું હતું. આજે ભારતની વસ્તી ત્રણ ગણી એટલે કે લગભગ દોઢ અબજ છે અને ભારત અન્નની બાબતમાં આત્મનિર્ભર છે, બલકે નિકાસ કરે છે.
ટૂંકમાં અનાજની અછત નથી અને એ છતાં ય ભારતમાં લોકો ભૂખ્યા સૂવે છે. સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના ૨૦૨૨ના હંગર રિપોર્ટ મુજબ દુનિયાના ૧૨૧ દેશોમાં ભારતનો ક્રમ ૧૦૭મો છે. પાકિસ્તાન (૯૯), બંગલાદેશ (૮૪), નેપાળ (૮૧), મ્યાનમાર (૭૧), શ્રીલંકા (૬૪) આપણાથી આગળ છે. ૨૦૧૪ની સાલમાં ભારતનો હંગર ઇન્ડેક્સ ૨૮.૨ હતો જે અત્યારે ૨૯.૧ છે. યુનોએ જે વર્ગીકરણ કર્યું છે એમાં ભારત “ગંભીર” સમસ્યા ધરાવનારા દેશોમાં સ્થાન પામે છે. અહીં નીતિ આયોગના અહેવાલને પણ જોઈ લઈએ. નીતિ આયોગે કબૂલ કર્યું છે કે ભારતમાં ૨૦ કરોડ ૮૦ લાખ લોકો અનેક રીતે (મલ્ટીડાયમેન્સનલી) ગરીબ છે. અનેક રીતે એટલે કે કેટલાક લોકોને ખાવા મળતું નથી, કેટલાકને પેટભર ખાવા મળતું નથી, પોષણના અભાવમાં થતાં બાળમૃત્યુ, ભણવાનું છોડીને કરવી પડતી બાળમજૂરી, રહેવા માટે મકાનનો અભાવ વગેરેને મલ્ટીડાયમેન્સનલ પોવર્ટી તરીકે ઓળખાવવામાં આવે છે.
યક્ષપ્રશ્ન એ છે કે અનાજનું ઉત્પાદન પર્યાપ્ત હોવા છતાં શા માટે લોકોને ભૂખ્યા સૂવું પડે છે? ખામી ક્યાં છે? અને ગયા સપ્તાહના લેખમાં મેં લખ્યું હતું એમ વ્યાપક માનવહિતના પ્રશ્ને કોઈ ચર્ચા જ નથી થતી. ભૂખ અને ગરીબી વિષે બે અહેવાલો આવ્યા છે, પણ કોઈ ચર્ચા કરતું નથી. ઊલટું હિંદુ–મુસ્લિમ અને એવા બીજા ફાલતુ વિષયો પર દેકારા કરીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દેશની વાસ્તવિકતા નથી? આ દેશનું કલંક નથી? દેશ અન્નની બાબતે સ્વાવલંબી તો થયો, પણ અનાજનો કોળિયો એના સુધી નથી પહોંચતો જે ભૂખ્યો છે. અને જો એ નથી પહોંચતો એ જાય છે ક્યાં? અને શા માટે અનાજ ગરીબ સુધી નથી પહોંચતું? શું ખામી છે?
કોઈકે કહ્યું છે કે રેફ્રીજરેટર આધુનિક યુગમાં ભૂખનું અને બીમારીનું એમ બન્નેનું મોટું કારણ છે. રેફ્રીજરેટર એટલે માત્ર ઘરનું રેફ્રીજરેટર નહીં, કોલ્ડ સ્ટોરેજ પણ રેફ્રીજરેટર છે. અન્નનો સંગ્રહ કરી શકાય, લાંબો સમય સુધી ટકાવી રાખી શકાય, એક સ્થળેથી બીજા સ્થળે તેની નિકાસ કરી શકાય, પ્રોસેસિંગ કરી શકાય, ફૂડ પેકેજીંગ કરી શકાય, બ્રેન્ડનેમ ડેવલપ કરીને દુનિયાભરમાં ધંધો કરી શકાય, જગત આખાને એક જ ટેસ્ટનો ચટાકો લગાડી શકાય, ફ્રોઝન ફૂડ દિવસો સુધી ખાઈ શકાય અને સૌથી મોટી વાત એ કે જે ભૂખ્યો નથી એની અંદર ભૂખ પેદા કરીને ખવડાવી શકાય. રેફ્રીજરેટર નહોતાં ત્યારે અનાજ, માંસ-મટન, માછલી, ફળફળાદિ અને શાકભાજી ખરાબ થઈ જતાં એટલે ઉપર કહી એ કોઈ ચીજ શક્ય નહોતી. આજે શ્રીમંત લોકો બે જણાના ભાગનું ખાય છે અને બીજા બે જણાના ભાગનું અન્ન વેડફે છે, ફેંકી દે છે. આ બધું બીમારીઓનું પણ કારણ છે અને એનો અનુભવ આપણને થઈ રહ્યો છે. ગાંધીજીએ બે વાત કહી હતી. એક એ કે આ ધરતી પ્રત્યેક જીવની ભૂખ સંતોષી શકે એમ છે, પણ આ ધરતી ભૂખાળવા માણસની ભૂખ સંતોષી શકે એમ નથી. તેમણે બીજી વાત એ કહી હતી કે શારીરિક શ્રમ કર્યા વિના ખાવું એ ચોરી છે. તમે આરોગો અને બીજો તમારા માટે શ્રમ કરે એ અનીતિ છે.
બીજું કારણ એ છે કે ગરીબ લોકો પાસે પેટ છે, પણ પોકેટ નથી અને જેની પાસે પોકેટ ન હોય એની બજારમાં કોઈ કિંમત નથી. આનો ઈલાજ છે પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પી.ડી.એસ.). સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે, તેને ગોદામોમાં એકઠું કરે અને એ પછી દેશભરમાં જે પ્રદેશને જેટલા અનાજની જરૂર હોય ત્યાં તે મોકલે. અનાજ રેશનીંગની દુકાને પહોંચે અને લોકોને કિફાયત ભાવે ઉપલબ્ધ કરી આપવામાં આવે. હવે આ પી.ડી.એસ.માં એટલો બધો ભ્રષ્ટાચાર છે અને વ્યવસ્થાકીય ખામીઓ છે કે જેની કોઈ સીમા નથી. દાયકાઓથી પી.ડી.એસ.માં સુધારા કરવાની માગણી કરવામાં આવી રહી છે પણ એમાં સુધારા કરવામાં આવતા નથી. લોકો માટેનું અનાજ ગરીબ લોકો સુધી પહોંચતું નથી અને જો પહોંચે છે તો ખાઈ ન શકાય એવું પહોંચે છે. ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ પ્રોડક્ટ્સનો ધંધો કરનારાઓની સંખ્યા મુઠ્ઠીભર હોવા છતાં દિલ્હીમાં લોબિંગ કરી શકવાની તાકાત ધરાવે છે, પણ ગરીબો કરોડોની સંખ્યામાં હોવા છતાં આવી કોઈ તાકાત ધરાવતા નથી.
ભારતમાં અનાજની અછત નથી, અભાવ વહેંચણીની વ્યવસ્થાનો છે. જવાબદાર અને સંવેદનશીલ વ્યવસ્થાના અભાવમાં જગતમાં દેશનું નાક કપાય એ શરમજનક નથી? આનો ઈલાજ પણ છે, પરંતુ એ માટે સંકલ્પશક્તિ હોવી જોઈએ. કૃતનિશ્ચયી બનવું પડે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 23 જુલાઈ 2023