નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ની લીટી નાની કરવાને બદલે આ એક થયેલા વિરોધ પક્ષો જો બહેતર રાષ્ટ્ર બનાવવાની દિશામાં નક્કર વાતો કરશે, તો તેમનું ‘નેરેટિવ’ મજબૂત બનશે. સામાજિક ન્યાયનો બચાવ, ધર્મનાં શસ્ત્રકરણનો વિરોધ, હાંસિયામાં ધકેલાયેલાઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થશે તો વિરોધપક્ષોના I-N-D-I-Aની અસર ૨૦૨૪માં દેખાઈ શકે છે
2024ની ચૂંટણીનો ગરમાવો અચાનક જ 18મી જુલાઈએ થયેલા તાપણામાંથી વર્તાવા માંડ્યો. એક તરફ શાસક પક્ષ ભા.જ.પા.એ એન.ડી.એ. – નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના 38 ભાગીદારોને ભેગા કરીને બેઠકનું આયોજન કર્યું તો બીજી તરફ 26 વિપક્ષી નેતાઓએ બેંગાલુરુમાં એક નવું જોડાણ બનાવવા માટે બેઠક કરી અને આ નવા ગઠબંધનને નામ મળ્યું INDIA – એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ. વિરોધ પક્ષોએ વર્તમાન શાસક પક્ષના વિરોધમાં નવા ગઠબંધનની જાહેરાત કરી છે ત્યારે એ વિચારવું પડે કે ગઠબંધનની સરકારથી શું ફેર પડે છે.
હવે પહેલાં તો એ સ્વીકારી લઈએ કે સાહેબને કંઇ ફેર પડતો નથી કે એ NDAની બેઠક બોલાવે અને ચર્ચા કરે પણ આ મહાગઠબંધન – INDIA-વાળું થયું એટલે બેઠક તો બોલાવવી પડે અને એમ કરીને તેમણે બતાડી પણ દીધું. ગઠબંધનની સરકાર ભારતમાં બને એ કંઈ નવી વાત નથી. ભારત દેશને અંગ્રેજોના સંકંજામાંથી મુક્તિ મળી પછી મોટાભાગના રાજ્યોમાં લગભગ 2 દાયકા સુધી તો કાઁગ્રેસનું જ રાજ હતું, 1969માં કાઁગ્રેસમાં ફાંટા પડ્યા છતાં પણ ઇંદિરા ગાંધીએ અન્ય પક્ષોની મદદથી પોતાની સરકારની આખી ટર્મ પૂરી કરી હતી. 1971માં ઇંદિરા ગાંધીની કાઁગ્રેસ પાર્ટીને પૂરી બહુમતી મળી અને એક જ પક્ષે સરકાર રચી પણ એ સરકાર 1977 સુધી ચાલી. 1975માં કટોકટીની જાહેરાત થઇ, નવેસરથી ચૂંટણીની જાહેરાત થઇ ૧૯૭૭માં કાઁગ્રેસની નાલેશીભરી હાર થઇ અને એ વખતથી રાષ્ટ્રીય સ્તરે ગઠબંધનની સરકાર એક સામાન્ય બાબત બની ગઈ. ભારતમાં ગઠબંધનની સરકારના ઇતિહાસ પર નજર નાખીએ તો સૌથી પહેલા તો 70 દાયકાની મધ્યે એવા લોકો ભેગા થયા જેમને ઇંદિરા ગાંધીની તાનાશાહી સામે વાંધો હતો. ઇંદિરાના શાસનના વિરોધીઓએ ભેગા મળીને જનતા પાર્ટી રચવામાં જરા ય વાર નહોતી લગાડી. જેને પણ ઇંદિરા ગાંધી અને કટોકટી સામે વાંધો હતો, પછી ભલેને તે વ્યક્તિ કાઁગ્રેસની સભ્ય જ કેમ ન હોય તે જનતા પાર્ટીમાં જોડાઈ જતી. કાઁગ્રેસના મોટાં નામો જ નહીં પણ જન સંઘ જેવા પક્ષો પણ પોતાની ઓળખ હટાવીને જનતા પાર્ટી સાથે એક થઈ ગયા હતા અને સાથે લોક દળના ચરણ સિંઘ પણ જનતા પાર્ટીમાં જ જોડાયા જે મોરારજી દેસાઈની માફક વડા પ્રધાન પણ બન્યા. જો કે આ ગઠબંધન બહુ લાંબુ ન ચાલ્યું કારણ કે ઉમેદવારો વચ્ચે જબરા વાંધા-વચકા હતા અને આખી ય ગોઠવણ ખોરવાઈ ગઈ.
ત્યાર બાદ ગઠબંધન વારો આવ્યો 1989-90 દરમિયાન જ્યારે જનતા દળ, તેલુગુ દેસમ પાર્ટી, દ્રવિડ મુન્નેત્ર કઝગમ, અસોમ ગણા પરિષદ અને કાઁગ્રેસ (સમાજવાદી) પક્ષ ભેગા થયા. આ વખતે નેશનલ ફ્રંટની રચના થઈ. ભા.જ.પા. અને અન્ય ડાબેરી પક્ષોએ જોડાયા વિના આ પક્ષને ટેકો આવ્યો. ઇંદિરા ગાંધીની હત્યા પછી 1984માં કાઁગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ધુંઆધાર જીત મળી હતી પણ એ જ કાઁગ્રેસ 1989માં કાઠું ન કાઢી શકી. કાઁગ્રેસ સાથે કોઈ સાથી પક્ષો નહોતા અને કાઁગ્રેસને 197 બેઠકો મળી પણ 146 બેઠકો વાળા નેશનલ ફ્રંટને ભા.જ.પા.ના ટેકાને કારણે બીજી 86 બેઠકો, ડાબેરી પક્ષોને કારણે બીજી ૫૨ બેઠકો મળી, જેને કારણે વી.પી. સિંઘ વડા પ્રધાન બન્યા. આ તરફ રથયાત્રા કરવા નીકળેલા અડવાણીની ધરપકડ થઈ એમાં ભા.જ.પા.એ ટેકો પાછો ખેંચી લીધો અને સરકારનું પોટલું વળી ગયું. ત્રીજી વાર ગઠબંધન થયું 1990-91 દરમિયાન અને વી.પી. સિંઘની સરકાર પડી ભાંગી પછી મુખ્ય જનતા દળમાંથી છૂટા પડેલા ચંદ્ર શેખરે બનાવેલી સમાજવાદી જનતા પાર્ટીમાં પરિણમ્યું જેમાં 64 સાંસદો હતા અને કાઁગ્રેસના ટેકાથી ચંદ્રશેખર વડા પ્રધાન પણ બન્યા. સાત મહિનામાં આ ગોઠવણનું બાળ મરણ થયું કારણ કે સરકાર રાજીવ ગાંધીની જાસૂસી કરે છે એવા આક્ષેપો મુકાયા અને કાઁગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. 1996-98માં યુનાઇટે ફ્રંટના નામે ગઠબંધન થયું અને બે વર્ષમાં બે વડા પ્રધાનો આવ્યા; એચ.ડી. દેવ ગૌડા અને એલ.કે. ગુજરાલ. જનતા દળ, સી.પી.આઇ., કાઁગ્રેસ (T), સમાજવાદી પાર્ટી, ડી.એમ.કે., એ.જી.પી., તમિળ માનિલા કાઁગ્રેસ (TMC), તેલુગુ દેસમ પાર્ટી આ ગઠબંધનમાં ભેગા હતા અને બહારથી કાઁગ્રેસનો ટેકો હતો. 29 પક્ષો અને 9 સ્વતંત્ર ઉમેદવારોએ લોકસભામાં હાજરી નોંધાવી. અહીં રાષ્ટ્રીય, રાજ્ય સ્તરીય પક્ષોનો ખીચડો હતો અને તત્કાલિન કાઁગ્રેસ(I)ને અત્યાર સુધીની સૌથી ખરાબ હાર વેઠવી પડી. આ બધામાં ભા.જ.પા. મજબૂત બની અને અટલ બિહારી વાજપાયીની સરકાર બની પણ ટકી નહીં જેને પગલે મળેલી બેઠકોમાં થર્ડ ફ્રંટનો વિચાર અમલમાં મુકાયો. ૧૪૦ બેઠકો ધરાવતી કાઁગ્રેસે સરકાર ચલાવવાની ના પાડી પણ ગઠબંધનને ટેકો આપ્યો, પણ ફરી એકવાર મતભેદોને પગલે સરકાર પડી ભાંગી.
1998માં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ – NDA અસ્તિત્વમાં આવ્યું જેમાં ભા.જ.પા., એ.આઇ.ડી.એમ.કે., બીજુ જનતા દળ, શિવસેના, લોક શક્તિ, અરુણાચલ કાઁગ્રેસ, સમતા પાર્ટી, અકાળી દળ, પી.એમ.કે. વગેરે જોડાયા. આ ગઠબંધને ચાર વાર લોકસભાની ચૂંટણી જીતી પણ આ ગઠબંધનમાં પક્ષોની આવન-જાવન ચાલુ રહી છે. ૨૫ વર્ષ ટક્યુ હોય એવું આ એક જ ગઠબંધન છે. યુ.પી.એ. – યુનાઇટે પ્રોગ્રેસિવ અલાયન્સ 2004થી 2014 દરમિયાન બે ચૂંટણી જીત્યું જેમાં કાઁગ્રેસ, એન.સી.પી., ડી.એમ.કે., આર.જે.ડી., એલ.જે.પી. અને પી.એમ.કે. ભેગા હતા.
આ વિગતો પરથી એ તો સ્પષ્ટ સમજાય છે કે જ્યારે પણ ગઠબંધનમાં કોઈ એક પક્ષ વધુ પડતો બળુકો હોય તો એ ગઠબંધનના બંધનો બહુ લાંબા ટક્યા નથી. અત્યારે આપણા રાજકારણમાં જે ચાલી રહ્યું છે એમાં વિરોધ પક્ષોના મુદ્દા છે બેઠકોની વહેંચણીની રૂપરેખા નક્કી કરવી, સંકલન અને સંવાદ સારી રીતે, સ્પષ્ટ રીતે થાય તેની તકેદારી રાખવી. આ તરફ ભા.જ.પા.ને નવા વિસ્તારોમાં બેઠકો જીતવાની છે કારણ કે તો જ જ્યાં આ વખતે જીત નથી મળવાની ત્યાં સંતુલન કરી શકાશે, વળી ભા.જ.પા.એ જૂના સાથીઓને રાખવાના અને નવાઓને લાવવાની તજવીજ પણ કરવાની છે. ભા.જ.પા. બીજા પક્ષોમાં તોડફોડ કરી પોતાની સાથે બધાને લાવે તો છે પણ એ પોતાના સાથી પક્ષોની કાળજી રાખવામાં કાચી પડે છે એવી છાપ બદલવામાં પણ ભા.જ.પા.ને રસ હોય. હવે આ જે વિરોધ પક્ષો ભેગા થયા છે એમાં શરૂઆતમાં જ ચણભણ શરૂ થઈ ગઇ. ક્યાંક વાંદરા અને બે બિલાડી વાળી વાર્તા જેવો ઘાટ ન થાય કે બધા પોતા પોતાની સત્તા માટે લડતા રહે અને લાભ કોઈ બીજું લઈ જાય. વળી ભૂતકાળમાં એ સ્પષ્ટ રહ્યું છે કે કાઁગ્રેસના ગઠબંધનોમાં રહેલા પક્ષોને લોકશાહી સ્વતંત્રતા રહી છે પણ ભા.જ.પા.માં આવી કોઈ ગેરંટી નથી. એન.ડી.એ.ને યાદ કરવાનો વારો ત્યારે આવ્યો જ્યારે બેંગાલુરુમાં વિરોધપક્ષોએ મિટીંગ કરી. વળી આ બધો જ બેઠકોનો ખેલ છે 26 વર્સિસ 38ના આ ખેલમાં કયો પક્ષ ખરેખર કેટલી બેઠકો લાવી આપશે એ દાખલાનો તાળો મેળવવો સૌથી અગત્યની બાબત છે.
ભારતને સર્વાંગી બહુમત ક્યારે ય સદતો નથી, સર્વાંગી બહુમતને કારણે ખડું થતું એકચક્રી શાસન લોકશાહીને માટે જોખમી છે એ પણ જાણીતું સત્ય જ છે. વિરોધપક્ષોએ જે I-N-D-I-A રચીને જાણે એવો સંદેશ આપ્યો કે તેઓ ભા.જ.પા.ના વિરોધમાં એકસાથે મળીને કામ કરશે. આમ તો અત્યાર સુધી ભા.જ.પા.ને મોટે ભાગે નબળા વિરોધ પક્ષનો ફાયદો મળ્યો છે પણ આ જે નવું ગઠબંધન છે એ જો પોતાનો એજન્ડા સ્પષ્ટ રાખે તો ભા.જ.પા.ને મજબૂત લડત આપી શકે. મણિપુરને મામલે INDIAએ મળીને તેજાબી પગલાં લેવાની દિશામાં આગળ વધશે? કે પછી ભા.જ.પા.એ કંઇ નથી કર્યું ના રાગડા તાણશે? આ પ્રકારના સંજોગોમાં જે પ્રતિભાવો આવશે તેના આધારે આ રાજકારણીઓની કટિબદ્ધતા અને નિષ્ઠાની ક્યાસ કાઢી શકાશે.
બાય ધી વેઃ
ભા.જ.પા.ને સળી કરતાં સારી પેઠે આવડે છે અને એ સળીબાજીને જવાબ આપવામાં વિરોધપક્ષો આ એકઠી થયેલી શક્તિ વેડફી ન નાખે એ જરૂરી છે. ભારત વર્સિસ ઇન્ડિયા વચ્ચેના નેરેટિવમાં વિરોધપક્ષો અને ભા.જ.પા.એ શરૂઆતમાં રમી પણ લીધું. નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ની લીટી નાની કરવાને બદલે આ એક થયેલા વિરોધ પક્ષો જો બહેતર રાષ્ટ્ર બનાવવાની દિશામાં નક્કર વાતો કરશે તો તેમનું ‘નેરેટિવ’ મજબૂત બનશે. સામાજિક ન્યાયનો બચાવ, ધર્મનાં શસ્ત્રકરણનો વિરોધ, હાંસિયામાં ધકેલાયેલાઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થશે તો વિરોધપક્ષોના I-N-D-I-Aની અસર ૨૦૨૪માં દેખાઈ શકે છે. ભા.જ.પા.ને માટે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળમાં બેઠકો મેળવવાનો પ્રશ્ન તો હતો જ એમાં આ 26 પક્ષો ભેગા થયા ત્યાં ભા.જ.પા.ને પોતાના 38 સાથી પક્ષો યાદ આવી ગયા કારણ કે અહીં એક જણથી કામ ચાલવાનું નથી. વિરોધપક્ષોને પોતાના પડકારો પણ છે કારણ કે તેમને તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ નડી શકે છે. વળી આટલું મોટું ગઠબંધન બને તો તેનો ચહેરો કોણ? હજી એવી કોઈ સ્પષ્ટતા નથી અને મોટે ભાગે ગઠબંધન હોય ત્યારે ચૂંટણી જીતે પછી જ વડા પ્રધાનનો ઉમેદવાર નક્કી થતો આવ્યો છે. વળી વિરોધપક્ષે મોદીની મીડિયા સ્ટ્રેટેજીમાંથી જરૂરી બાબતો ઉપાડીને લોકોના મનમાં ઘર કરવું પડશે, નારાઓ લોકપ્રિય કરવા પડશે, બહુ વૈચારિક રીતે બેઠકો શૅર કરવી પડશે કારણ કે આ બધું નહીં થાય તો 26 પક્ષોનું ગઠબંધન અર્થહીન રહેશે. આગામી નવ મહિનામાં આ ગઠબંધન દેશનો વિચાર કરે સ્વાર્થી માનસિકતા ન રાખે તો કંઇ જુદું પરિણામ આવવાની આશા રાખી શકાય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2023