
રવીન્દ્ર પારેખ
ગુજરાત સરકારે એક સારું કામ એ કર્યું કે છ વર્ષથી લોહી પી રહેલી એકમ કસોટી બંધ કરી. GCERTના પૂર્વ પ્રમુખ નલિન પંડિતે પોતે થોડા વખત પર એકમ કસોટી નાબૂદ કરવા અંગે જાહેર વિરોધ કરેલો. શિક્ષકો ને વિદ્યાર્થીઓ પણ એનાથી છૂટકારો ઇચ્છતા હતા ને આ સ્થાનેથી પણ તેનો એકથી વધુ વખત વિરોધ થયેલો. છેવટે સરકારે એકમ કસોટી નાબૂદ કરીને ડહાપણ દાખવ્યું તેનો આનંદ છે.
એકમ કસોટી કોના ભેજાની પેદાશ હતી, તે તો નથી ખબર, પણ તેણે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને કારણ વગરની તાણમાં મૂક્યાં હતાં. રાજ્યની 40,000થી વધુ પ્રાથમિક અને માધ્યમિક, સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓ પર એકમ કસોટીનો બોજ લાદવામાં આવ્યો હતો. આ શાળાઓમાં સાપ્તાહિક, પખવાડિક અને માસિક એકમ કસોટીઓ લેવાતી હતી. આ કસોટીઓને લીધે વિદ્યાર્થીઓની કસોટી તો થતી જ હતી, પણ શિક્ષકોની ભારે કસોટી થતી હતી. અઠવાડિયાના ત્રણ દિવસ તો કસોટીમાં જ જતા હતા ને તે પછી એ કસોટીનું મૂલ્યાંકન કરવામાં, તેનું રિઝલ્ટ તૈયાર કરવામાં અને તેને એપ પર અપલોડ કરવામાં એટલો સમય જતો હતો કે રવિવારની રજાનો પણ ક્યારેક ભોગ લેવાતો હતો.
કોઈ ખાનગી કંપનીઓએ બનાવેલી એપ પર અપલોડ કરાયેલાં પરિણામો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરને મોકલવામાં આવતાં હતાં. આખા ખેલની ગમ્મત એ હતી કે આટઆટલી કસોટીઓ પછી પણ, તેને વાર્ષિક પરીક્ષા સાથે કોઈ લેવાદેવા ન હતી. વારુ, વિદ્યા સમીક્ષા કેન્દ્રને જે પરિણામો મોકલાતાં હતાં તેનું શું થતું હતું તેની જાણ બીજાને તો ઠીક, શિક્ષણ વિભાગને ય ન હતી. અધિકારીઓ પણ એ સ્વીકારે છે કે આ વેપલો ખાનગી કંપનીઓની હોજરી ભરવા જ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ પરિણામો કંપનીની એપ પર અપલોડ કરવામાં વિદ્યાર્થીઓને કોઈ લાભ ન હતો, આ ડેટાનો બીજો કોઈ ઉપયોગ ન હતો અને થાય એમ પણ ન હતું, કારણ શિક્ષણ વિભાગને જ એની કશી જાણકારી ન હતી. એનો અર્થ એ કે છ વર્ષ સુધી નાણાંનો, શિક્ષકોનો, વિદ્યાર્થીઓનો હૉલસેલમાં ભોગ જ લેવાયો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરનો લાભ પણ ‘અવિદ્યા’ સમીક્ષા જેટલો જ કોઈને થયો હોય તો નવાઈ નહીં, બાકી, તેણે શાળા કક્ષાએ કોઈ પ્રભાવ પાડ્યો નથી તે હકીકત છે. હા, 2021માં તેને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાન મંત્રી એવોર્ડ મળ્યો ને પ્રધાન મંત્રીએ તેની પ્રશંસા કરી તે સિદ્ધિ ખરી. હવે કૈં કરવાથી જ સિદ્ધિ મળે એવું જરૂરી નથી …
ધોરણ 1થી 12માં આ કસોટી બે સ્તરે લેવાતી હતી. ધોરણ 1થી 8ની કસોટી ગુજરાત શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) લેતી હતી, જ્યારે ધોરણ 9થી 12ની એકમ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેતું હતું. હવે એકમ કસોટી બંધ પડતાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પણ નવરું પડી શકે, પણ નહીં પડે, કારણ એકમ કસોટીને બદલે નવી એસેસમેન્ટ મેથોડોલોજી દાખલ કરવાની વાત શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કરી છે. મતલબ કે જૂન, 2025થી એકમ કસોટી દૂર થશે ને શિક્ષણનીતિ-2020 મુજબ નવી મૂલ્યાંકન પદ્ધતિ દાખલ થશે. એનો અર્થ એ કે (અ)ખતરાનો અંત નથી. એમાં કૈં સારું હશે તો એ ચમત્કાર જ હશે, પણ ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવું ન થાય તો સારું.
એકમ કસોટી ગઈ એ ચોક્કસ આવકાર્ય, પણ નવી પદ્ધતિ દાખલ કરવાની વાત કરીને શિક્ષણ મંત્રીએ નવી દહેશત ઊભી કરી છે. એક બાબત બહુ સ્પષ્ટ છે કે અઢળક પરીક્ષાઓએ શિક્ષણનો દાટ વાળ્યો છે. એવો સર્વે કરવા જેવો છે કે શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલા દિવસ પરીક્ષા ને પરિણામમાં જ વ્યતીત થયા છે? પરીક્ષાની વાતો બધાં કરે છે, પણ ભણાવવાની વાત તો ક્યાં ય આવતી જ નથી ને સવાલ તો એ છે કે આટલી પરીક્ષાઓ પછી વિદ્યાર્થી હોંશિયાર થયો છે? પરીક્ષા ભણતર પછી હોય તો લેખે લાગે. ભણાવવાનું ખાસ થતું ન હોય ને પરીક્ષાઓ જ ચાલ્યા કરતી હોય તો વિદ્યાર્થી હોંશિયાર કઈ રીતે થાય? આટલી પરીક્ષાઓ પછી પણ 8-9ના વિદ્યાર્થીને સરવાળા-બાદબાકીના સાદા દાખલા નથી આવડતા કે ચોથા-પાંચમાંના પાઠ સરળતાથી વાંચતાં નથી આવડતું. સતત પરીક્ષાઓથી જ શીખી શકાતું હોત તો વિદ્યાર્થીઓને વાંચવા-લખવા-ગણવાની મુશ્કેલીઓ ન પડી હોત, પણ પડી છે ને પડે છે.
આમ થવાનું એક કારણ કોરોના કાળમાં બબ્બે વર્ષ સુધી માસ પ્રમોશન અપાયું એ પણ છે. એ વખતે એ જરૂરી હતું ને કરવું પડે એમ જ હતું, પણ પછી લર્નિંગ લોસ માટે જે કરવાનું હતું તે ન થયું. દરેક વેકેશનમાં એ અભ્યાસ કરાવાયો હોત તો સ્થિતિ આટલી દયાજનક ન હોત, પણ તે ન કરતાં, 2019થી એકમ કસોટી દાખલ થઈ. કોણ જાણે કેમ પણ ‘ભાર વગરનું ભણતર’ આવ્યું છે ત્યારથી ભણતર રહ્યું નથી ને (પરીક્ષાનો) ભાર વધી ગયો છે.
એક શિક્ષક સાથેની વાતચીતમાં એ ખબર પડી કે હાલની વાર્ષિક પરીક્ષામાં, પ્રાથમિકમાં, દરેક પેપરમાં ગ્રાન્ડ ટોટલ 15થી આગળ ન જતો હોય એવા ઢગલો વિદ્યાર્થીઓ છે. આ સ્થિતિ હોય તો સવાલ એ થાય કે વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં પાસ કેવી રીતે થઈ જાય છે? એનો જવાબ એ હતો કે મોટે ભાગે તો નાપાસ કરવાના હોતા જ નથી. મૌખિક પરીક્ષાઓ કે હાજરી કે અન્ય પ્રવૃત્તિને નામે પાસ કરી જ દેવાના હોય છે. એક તરફ પાસ કરી દેવાનું આવું ધોરણ હોય ને બીજી તરફ ઢગલો એકમ કસોટીઓ લેવાતી રહે, તેનો અર્થ ખરો-ખાસ તો એનું પરિણામ વાર્ષિક પરીક્ષાનાં પરિણામ સાથે કોઈ લેવાદેવા ધરાવતું ન હોય? એ જોતાં પણ એકમ કસોટી નિરર્થક હતી. એ નિરર્થક છે એવું સમજતાં સરકારને છ વર્ષ લાગ્યાં. કમ સે કમ હવે મૂલ્યાંકનને નામે પરીક્ષાઓને બદલે ભણાવવા પર ધ્યાન અપાય તે અપેક્ષિત છે.
એમ લાગે છે કે પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી વ્યાપી વળેલી પરીક્ષાઓ મજાક બનીને રહી ગઈ છે. કોઈ જ એને વિષે ગંભીર નથી. ડમી વિદ્યાર્થી દ્વારા પરીક્ષા આપવાના, એકને બદલે બીજું પેપર આપી દેવાના, કોર્સ બહારના પ્રશ્નો પુછાવાના, એટલા બનાવો બને છે કે પરીક્ષા આપનાર કે લેનારમાંથી કોઈ જ ગંભીર નથી. એ સાથે જ પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈ જવાની પણ નવાઈ નથી. કાલના જ સમાચાર છે કે વાપીની સરસ્વતી નર્સિંગ કોલેજની પરીક્ષામાં 30 સિનિયર સ્ટુડન્ટ્સ જુનિયર્સને જવાબો લખાવતા પકડાયા. માસ કોપી થયાની કોલેજ ના પાડે છે, પણ સ્કવોડે વાપી પહોંચી માસ કોપીનો કેસ નોંધ્યો છે. એ જ વીર નર્મદ યુનિવર્સિટીની ગેરરીતિ કરતાં પકડાયેલા 180 વિદ્યાર્થીઓની સુનાવણી તો તાજી જ છે. 21 એપ્રિલે અમરેલીની સીતાપરા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-4ની પરીક્ષા 10.30 વાગે શરૂ થઈ ત્યાં તો 10.45 કલાકે જવાબો વોટ્સએપ ગ્રૂપમાં વાઇરલ કરી દેવાયા. તેની રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કરવામાં આવી, એટલે પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવાની વાત ચાલી, પણ પછી શું થયું તે ખબર નથી. સવાલ એ છે કે પરીક્ષામાં બૂટ, ચંપલ, પુસ્તકો, મોબાઈલ વગેરે બહાર મુકાવવામાં આવે છે, તો પરીક્ષા ખંડમાં વૉટ્સએપ ગ્રૂપમાં જવાબો પરીક્ષાર્થીઓ સુધી પહોંચ્યા કઈ રીતે? મુદ્દો એ પણ છે કે પરીક્ષા શરૂ થતાં જ જવાબો વાઇરલ થઈ જતાં હોય તો એનો અર્થ એ કે પેપર લીક થયું છે.
પરીક્ષા આટલી સસ્તી થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકાર શિક્ષણને ભોગે પરીક્ષણના જ અખતરાઓ કર્યા કરે એનો અર્થ નથી. સાચું તો એ છે કે નવી શિક્ષણ નીતિ-2020 લાગુ થઈ તે સાથે જ શિક્ષણ અને પરીક્ષણ એમ બંનેમાં લાલિયાવાડી જ ચાલી છે ને એને માટે સરકાર જવાબદાર છે. સરકારી શેખચલ્લીઓ સ્કૂલો, વર્ગો, શિક્ષકો વગર નવી શિક્ષણ નીતિ લાગુ કરવાનો તુક્કો લડાવી રહ્યા છે. ગુજરાતમાં અસરકારક શિક્ષણ લાગુ કરવું હોય તો કમ સે કમ થોડાં વર્ષ કોઈ અખતરાઓ શિક્ષણ વિભાગ નહીં કરે એવા સોગંદ લેવડાવવા જોઈએ. શિક્ષણ મંત્રીઓ કોન્ટ્રાક્ટ પર ન લેવાતા હોય, તો શિક્ષકો કોન્ટ્રાક્ટ પર લેવાય જ કઈ રીતે? શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયનાં તમામ કામો લઈને વર્ગશિક્ષણ ગંભીરતાથી કરે એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ સાથે જ પ્રવેશોત્સવ ને ગુણોત્સવ અને અન્ય ઉત્સવોને નામે સ્કૂલોમાં રાજકારણીઓને પેધાં પાડવાનો ખેલ તાત્કાલિક અસરથી બંધ કરવો જોઈએ. એમાં પ્રાપ્તિ કશી નથી, પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ કારણ વગર તેમની સરભરામાંથી જ ઊંચા નથી આવતા.
રાઇટ ટુ એજ્યુકેશનની વાતો તો ઘણી થાય છે, પણ તે થાય છે ‘રાઇટ’ અને ‘એજ્યુકેશન’ના અભાવમાં …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઍપ્રિલ 2025