
હેમન્તકુમાર શાહ
વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક અને ૧૯૬૪ના સાહિત્ય માટેના નોબેલ ઈનામ વિજેતા જ્યાં પોલ સાર્ત્ર (૧૯૦૫-૮૦) દ્વારા કહેવાયેલું વાક્ય આ લેખનું શીર્ષક છે.
કેટલીક હકીકતો આ સંદર્ભમાં સમજવાની જરૂર છે :
(૧) ભારતમાં જે સૈનિકો, આતંકવાદમાં કે યુદ્ધમાં, લડે છે અને મરે છે કે ઘવાય છે તેમાંના મોટા ભાગના ગામડાંમાંથી આવે છે, ભાગ્યે જ શહેરોમાંથી તેઓ હોય છે. એક ઉદાહરણ : ઉત્તર પ્રદેશનું સરહદી ગામ છે ગાહમાર. ૨૦૨૩ના નવેમ્બરમાં પ્રસિદ્ધ થયેલા એક આંકડા મુજબ એ ગામમાંથી ૧૨,૦૦૦ જેટલા સૈનિકો અને કર્નલ ભારતના લશ્કરમાં છે. તેમાં ૧૫,૦૦૦ તો નિવૃત્ત સૈનિકો રહે છે! કેમ શહેરોમાંથી લોકો સેનામાં ભરતી થતા નથી? ગામડાંના લોકોની મજબૂરી છે ને, નોકરી મેળવવાની? એટલે?
(૨) મોદી સરકારે સૈનિકોની ભરતી માટે અગ્નિવીર યોજના જાહેર કરી ત્યારે બિહારમાં જે વિરોધ થયો એ કરનારા ગામડાંના ગરીબ યુવાનો જ હતા.
(૩) અગ્નિવીર યોજના હેઠળ નોકરી મેળવનાર સૈનિકને દર મહિને પહેલા વર્ષે ₹ ૨૧૦૦૦, બીજા વર્ષે ₹ ૨૩,૧૦૦, ત્રીજા વર્ષે ₹ ૨૫,૫૦૦ અને ચોથા વર્ષે ₹ ૨૮,૦૦૦નો પગાર મળે અને ચોથા વર્ષને અંતે ₹ ૧૦.૦૪ લાખ રોકડા મળે. આટલી રકમમાં કોણ મરવાની તૈયારી સાથે જાય? જેની મજબૂરી હોય તે જ ને? કે પછી એ બધા દેશભક્તિથી પ્રેરાઈને જાય છે સૈનિક થવા? જો દેશભક્તિ જ કરવાની હોય તો એ કેમ માત્ર ગામડાંના લોકોએ જ કરવાની? શહેરોના લોકોએ કેમ નહીં?
(૪) જેઓ સૈનિક તરીકે લડવાની નોકરીમાં જોડાય છે સેનામાં, તેમાંના મોટા ભાગના, અથવા કહો કે બધા જ, ગરીબ પરિવારોમાંથી હોય છે. કારણ એ છે કે એટલી રકમમાં મરવા કોણ તૈયાર થાય? જો કે, અગ્નિવીર મરી જાય તો ₹ ૪૮ લાખ વીમાની રકમ મળે તેના પરિવારને! જીવતો સૈનિક ઓછો મહત્ત્વનો છે એ નક્કી.
(૫) ભારતની સેનામાં ત્રણેય પાંખમાં કોણ કેવા આર્થિક કે સામાજિક દરજ્જામાંથી આવે છે તેની કોઈ માહિતી મળતી નથી. સંરક્ષણ મંત્રાલય કે સેના એની વિગતો બહાર પાડતાં નથી. પણ એ કઈ જાતિઓના હશે એની કલ્પના પણ કરી શકાય છે. શું બ્રાહ્મણો કે વાણિયાઓ યુદ્ધોમાં કે આતંકવાદમાં મરવા માટે પોતાનાં સંતાનોને મોકલે છે ખરા?
(૬) યુ.કે.ના લશ્કરમાં જે ભરતી થાય છે એને વિશે ત્યાંની સંસદમાં એમ કહેવાયું છે કે ૬૯ ટકા બહુ ઓછું ભણેલા, ૪૦ ટકા તો છેલ્લા આશરા તરીકે અને ૫૦ ટકા ભારે ગરીબ પરિવારના છે.
(૭) અમેરિકાનો એક ભય એમ કહે છે કે સરેરાશ અમેરિકન કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે નીચો દરજ્જો હોય તેવા લોકો માટે ભાગે લશ્કરમાં જોડાય છે.
(૮) જે સ્થિતિ યુ.કે. અને અમેરિકામાં છે તે જ ભારતમાં હોય ને? જેઓ યુદ્ધમાં કે આતંકવાદમાં મરે છે તેમનાં શબ કોઈ મુંબઈ, અમદાવાદ, કાનપુર, લખનઉ, ચેન્નાઈ, બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, પુણે જેવાં મોટાં શહેરોમાં ભાગ્યે જ અંતિમ ક્રિયા માટે જતાં જોયાં છે. અને તે પણ મોટે ભાગે તો સાવ સામાન્ય સ્થિતિના ઘરમાં જ જાય છે. એવું કેમ?
(૯) કેટલા IAS જેવા અધિકારીઓ, રાજકીય નેતાઓ, પ્રોફેસરો, CA, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે જેવા ધનવાનોનાં સંતાનો સેનામાં મરવા માટે ભરતી થાય છે? એમણે તો દેશભક્તિ વોટ્સએપ અને fb વગેરે પર કરવી છે, અને મરવા માટે ગરીબોને મોકલવા છે!!
‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા:’ એટલે કે યુદ્ધની વાર્તાઓ રમણીય હોય છે એમ સંસ્કૃતમાં પણ કહેવાયું છે. યુદ્ધ રમણીય નથી હોતું.
યુદ્ધનાં બણગાં ફૂંકવાનું બંધ કરીને શાંતિની વાત કરવાની જરૂર છે. કોઈ પુતિન કે ઝેલેન્સ્કી કે નેતાન્યાહૂ યુદ્ધમાં મરતા નથી. એવું જ ભારતમાં પણ અને દુનિયામાં બધે જ.
તા.૨૭-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર