કેરળમાં એસ. હરીશ નામના સાહિત્યકાર છે. તેઓ કેરળના લોકપ્રિય સાપ્તાહિક ‘માતૃભૂમિ'માં ‘મિશા’ નામની ધારાવાહિક નવલકથા લખતા હતા. નવલકથામાં બે પુરુષો વચ્ચે રોજ મન્દિર જનારી એક યુવતી વિશે કાનાફૂસી કરતા સંવાદો આવે છે. બસ, કેટલાક લોકો માટે દિલ દુભાવા માટે આટલું પૂરતું હતું. એક તો સ્ત્રી અને એ પણ મન્દિર જેવા પવિત્ર સ્થળે જતી હોય ત્યારે લેખક આવી વાતો લખે? મલિયાળી ભાષા જાણનારાઓ કહે છે કે નવલકથામાં જે સંવાદો આવે છે અભદ્ર નથી. અશ્લીલ તો જરા ય નથી. યુવાસહજ શૃંગારિક સંવાદો છે. પણ દિલના દલાલો રસ્તા પર ઊતરી આવ્યા. એસ. હરીશને એટલા હેરાન કરવામાં આવ્યા કે તેમણે નવલકથા આટોપી લેવાની જાહેરાત કરી. હવે પછી તેઓ આ નવલકથાને ગ્રંથસ્થ નહીં કરે એવું પણ તેમણે ડરીને કહ્યું છે.
જી હા, ડરીને. લેખકે પોતે જ કહ્યું છે કે તેઓ લેખક છે એટલે કોઈ વધારાની શક્તિ નથી ધરાવતા. નાગરિક તરીકે કોઈ પણ કલાકાર કે સાહિત્યકાર દેશના બીજા કોઈ પણ નાગરિક જેવા નિર્બળ છે. રાજ્ય ટોળાંથી ડરે છે કારણ કે તેને મત જોઈએ છે. અદાલત નાગરિકને કોઈ રક્ષણ આપી શકતી નથી કારણ કે ન્યાયતંત્ર નિર્બળ છે. આ દેશમાં એવી કઈ શક્તિ બચી છે, જે સર્જકના અવાજનું રક્ષણ કરી શકે? આ ઘટના કેરળમાં બની હતી અને બાકીના ભારતને તેની જાણ પણ નહોતી, પરંતુ લેખકે નવલકથા આટોપી લેતાં જે નિવેદન કર્યું છે તેણે રાષ્ટ્રીય ચર્ચા જગાવી છે.
શા માટે સ્વતંત્ર અવાજોને રુંધવામાં આવી રહ્યા છે? શા માટે શાસકો ચૂપ છે? શા માટે ન્યાયતંત્ર દેશને બચાવવાનું તો બાજુએ રહ્યું પોતાને ઉગારવા માટે પણ કોઈ પ્રયત્ન નથી કરતું? શા માટે છેલ્લાં ચાર વરસમાં ટોળાંશાહીએ આખી વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે? ટોળાંઓ કાયદો હાથમાં લઈને કોઈને મારી નાખે અને શાસકો મોં ફેરવી લે. આ શાસકોની નિર્બળતા છે કે પછી ટોળાં સાથેની ભાગીદારી છે? કેરળની ઘટના રાષ્ટ્રીય ઊહાપોહનો વિષય બની છે. સૌથી મહત્ત્વની વાત: જો દેશની સ્થિતિ આવી હોય તો એમાં તમારું સંતાન સુરક્ષિત હશે? વિચારી જુઓ. કિકિયારીઓ પાડતા પહેલાં, ઉન્માદની સિટીઓ વગાડતા પહેલાં અને અનુમોદનની તાળીઓ પાડતા પહેલાં એક નજર તમારા સંતાનની આંખમાં નાખી જુઓ.
આ ભય અસ્થાને નથી. આવો દેશ આકાર લઈ રહ્યો છે જેનો અનુભવ ગઈ સદીમાં જર્મની અને ઇટાલીને થઈ ચુક્યો છે. દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની કિકિયારીઓ, સિટીઓ અને તાળીઓની કિંમત કેટલી મોટી હતી એ જાણવું હોય તો એ બે દેશના ઇતિહાસ પર એક નજર કરી જુઓ. હવે તો લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર નથી, ગૂગલ પર વિગતો મળી જશે. ત્યારે જે લોકો માર્યા ગયા એમાં પ્રત્યેક પાંચમો માણસ એવો હતો, જેના મા-બાપે દેશપ્રેમથી દોરવાઈને કિકિયારીઓ દ્વારા, સિટીઓ વગાડીને અને તાળીઓ પાડીને ફાંસીવાદી રાજ્યનું સ્વાગત કર્યું હતું. મા-બાપોએ તાળીઓ પાડીને સંતાનોની થનારી હત્યાઓનો કેડો કંડારી આપ્યો હતો. એ પહેલાં કેટલાક લોકોની આંખ ઊઘડી હતી, પરંતુ એ પહેલાં ઘણું મોડું થઈ ગયું હતું.
તમારો પક્ષપાત કોઈ પણ પક્ષ માટે હોય એની સામે વાંધો નથી, આગ્રહ માત્ર એટલો જ છે કે શાસન બંધારણની અને કાયદાની મર્યાદામાં થવું જોઈએ. દેશપ્રેમના નામે મૂલ્યો સાથે, નૈતિકતા સાથે, મર્યાદાઓ સાથે, કાયદાઓ સાથે સમાધાન કરવાનું ન હોય. અદના નાગરિકની આ જ એક માત્ર શક્તિ છે અને એ ટકી રહે એમાં આપણો સ્વાર્થ છે. પાકિસ્તાન પર એક નજર કરી જુઓ. પાકિસ્તાનમાં નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો, ઇમરાન ખાન એમ દરેક વૈકલ્પિક નિવાસ અને સંપત્તિ વિદેશમાં ધરાવે છે. ઇસ્લામના નામે જે રાજ્યની નિર્મિતિ ત્યાંના શાસકોએ કરી છે તેનું આ પરિણામ છે. પાકિસ્તાનમાં જે કોઈ શક્તિશાળી છે તેમણે દરેકે વિદેશમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખી છે. માત્ર પાકિસ્તાન નહીં, જ્યાં અશાંતિ છે એ તમામ મુસ્લિમ દેશોમાં શાસકોની વૈકલ્પિક નિવાસની વ્યવસ્થા પશ્ચિમના દેશોમાં છે. ગઈ સદીમાં સામ્યવાદી દેશોના શાસકો પણ અમેરિકા અને યુરોપના લોકશાહી દેશોમાં વૈકલ્પિક વ્યવસ્થા રાખતા હતા. મૂડીવાદને એક રાક્ષસ તરીકે ઓળખાવીને તેમ જ ગરીબ વિરોધી શોષક તરીકે ઓળખાવીને સામાન્ય પ્રજાને ડરાવી રાખવાની પણ જો બાજી ઊલટી પડે તો નાસી જવા માટે એ જ મૂડીવાદી લોકતાંત્રિક દેશોમાં તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખતા હતા.
તો અદનો પાકિસ્તાની નાગરિક ક્યાં જાય? એ બિચારો મસ્જિદમાં ઈબાદત કરવા જાય છે ત્યારે ત્યાં ઇસ્લામના નામે થતા બૉમ્બ વિસ્ફોટમાં માર્યો જાય છે. અત્યારના પાકિસ્તાનીઓનાં મા-બાપોએ જો પાંચ દાયકા પહેલાં ઇસ્લામના નામે કિકિયારીઓ ન પાડી હોત તો પાકિસ્તાનની હાલત આજ જેવી ન હોત. કોમી હુલ્લડોમાં કે કોઈ શાસકના સંતાનોએ જાન ગુમાવ્યા હોય, એવું આજ સુધી તમારા વાંચવામાં આવ્યું છે? માર્યો એ જાય છે જેણે પોતે અથવા તેના સ્વજનોએ કે પડોશીએ હરખની કિકિયારીઓ પાડી હતી. અરાજક રાજ્યમાં સામાન્ય માણસની આ અને માત્ર આ જ નિયતિ છે. જગતનો ઇતિહાસ જોઈ જાઓ. એટલે તો મલિયાળી સાહિત્યકાર એસ. હરિશે કહ્યું છે કે ટોળાંને શરણે જવા સિવાય માટે મારી પાસે વિકલ્પ શુ છે? બંધારણે નાગરિકને જે શક્તિ આપી છે એની રક્ષા કોણ કરે છે? હું અસુરક્ષિત છું અને મારી રક્ષા કરનાર કોઈ નથી.
કેરળની બાજુમાં કર્ણાટકમાં બસનગૌડા પાટીલ નામના બી.જે.પી.ના વિધાનસભ્ય છે. અટલ બિહારી વાજપેયીની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે તેઓ કેન્દ્રીય પ્રધાન પણ હતા. તેમણે બે દિવસ પહેલા જાહેરમાં કહ્યું હતું કે કોણ છે આ લોકો? ક્યાંથી આવે છે? તેઓ પોતાને શું સમજે છે? જ્યાં ત્યાં વિરોધ કરીને વચ્ચે ટેં ટેં કરનારા વિદ્વાન, બુદ્ધિજીવી, સર્જક, વિચારકોને તો વીણીવીણીને ગોળીએ મારવા જોઈએ.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનનું આ નિવેદન છે.
એક વાત નક્કી : વિચારમાં અને સર્જકતામાં એવી કોઈ શક્તિ છે જેનાથી ટોળાંઓ અને ટોળાંના આક્કાઓ ડરે છે. આનું શુ કરવું? હજુ સુધી શાસકોને એવો કોઈ કીમિયો હાથ નથી લાગ્યો કે સોક્રેટિસો જન્મે જ નહીં, અને જન્મે તો વિચારે નહીં, અને વિચારે તો પ્રશ્નો પૂછે નહીં. જે માણસ ઝેર પીવા રાજી હોય એનું કરવું પણ શું?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 જુલાઈ 2018