Opinion Magazine
Number of visits: 9666982
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પદ્મભૂષણ પંડિત સુખલાલજીનું પોસ્ટલ કવર શો સંદેશ લાવે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 October 2023

એમણે કેવળ પરંપરાગત શાસ્ત્રજ્ઞાનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્રથી માંડી નૃવંશવિદ્યા સહિતનાં નવખેડાણ પણ સેવ્યા અને ધર્મચિંતનને ‘નિવૃત્તિ‘નું ક્ષેત્ર નહીં માનતા નાગરિક પ્રવૃત્તિઓમાંયે રસ લીધો

પ્રકાશ ન. શાહ

સુપ્રતિષ્ઠ પર્યુષણ વ્યાખ્યાનમાળાના સુવર્ણજયંતી ઉત્સવના શુભ આરંભ રૂપે હમણાં પંડિત સુખલાલજીનું વિશેષ પોસ્ટલ કવર બહાર પડ્યું તે નિશ્ચે જ આ મોસમના સારા સમાચારો પૈકી છે.

પંડિતજી વિશે ને મિશે વિશેષ લખું તે પહેલાં બે પાંચ શબ્દો આ ‘મોસમ’ના બારામાં કહું. ‘ધર્મ’ એ સંજ્ઞા એના અસલ અર્થથી વિખૂટી પડી ગઈ છે, અને લોકો સામસામી રાજનીતિ સહિતનો મિથ્યાવ્યાપાર ‘ધર્મ’ને નામે કરે છે, એવા આ વસમા દિવસો છે.

આ વસમા દિવસોમાં પં. સુખલાલજીનું જીવનકાર્ય ચોક્કસ જ માર્ગદર્શક ને પ્રેરક અનુભવાય એવું છે. નાની ઉંમરે આંખ ખોયા પછી વિદ્યાજ્ઞાનમાં ઊંડા ઊતરવું ને નાનાવિધ શાસ્ત્રો તેમ જ એથીયે અધિક તો વિવિધ દર્શનોના અરણ્યમાં અકુંતોભય વિહરવું તે અલબત્ત એક અસાધારણ વાત હતી અને છે. કાશી-મિથિલાની એમની વિદ્યાસાધના તેમ જ તે પછી ગૂજરાત વિદ્યાપીઠ, બનારસ હિન્દુ યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન, ભો.જે. વિદ્યાભવન(ગુજરાત વિદ્યાસભા)માં અધ્યાપનની અનેરી પરંપરા ખિલવવી એ પોતે ખસૂસ એક મોટી વાત છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એ મુક્ત થવાના હતા ત્યારે ઉપકુલપતિ સર્વપલ્લી રાધાક્રિષ્ણને એમને પોતાની પસંદગીના ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવા માટે ખાસ જોગવાઈની ઓફર કરી અને એમણે નકારી હતી. એ પૂર્વ કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્યામાપ્રસાદ મુખરજીએ પણ એમને આશુતોષ મુખરજી ચેર પર પસંદગીનું કામ કરવા સબહુમાન નિમંત્ર્યા હતા, પણ એમણે સાભાર અસ્વીકાર કર્યો હતો.

પંડિત સુખલાલ સંઘવી

આ સાભાર અસ્વીકારનું કારણ કેવળ એટલું ને એટલું જ હતું કે, વતન, ગાંધીભૂમિ ગુજરાત એમને ખેંચતું હતું. અહીં ગુજરાત આગળ ગાંધીભૂમિ એ વિશેષણ મેં સાભિપ્રાય પ્રયોજ્યું છે, કેમ કે, પં. સુખલાલજીની ધર્મદૃષ્ટિએ આપણા સમયમાં એક વિભૂતિ લેખે ગાંધીજીમાં કશુંક ભાળ્યું હતું. સુખલાલજીનું પોતાનું વિભૂતિમત્વ કેવુંક હશે એનો અંદાજે અહેસાસ દર્શકની મનહર-મનભર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના નાયક સત્યકામ પરથી આવશે. કહે છે કે, આ પાત્રનિર્માણનો ધક્કો દર્શકને પંડિતજી પરથી લાગ્યો હતો. સુખલાલ સંઘવી આમ તો નાના શા લીમલી ગામનું ઝાલાવાડનું સંતાન. ઝાલાવાડનું જ ગુજરાત પ્રતિષ્ઠ એવું અન્ય સંતાન તે દલપતરામ. મોટી ઉંમરે દલપતરામે આંખ ખોઈ હતી. પણ અંતર એથી કદાચ વધુ જ ઊઘડ્યું હશે. શું સરસ કહ્યું હતું એમણે કે મનુષ્યથી થઈ શકે તે કામ પ્રભુને ભળાવવા નહીં. દર્શકનો સત્યકામ, કેમ કે એને લેખકની કલ્પનાશક્તિ અને ઇતિહાસદૃષ્ટિનો લાભ મળેલો છે, વિશ્વસ્તરે હિટલરી પરિબળો સાથે ધોરણસર કામ પાડી અહીં ખુદ ગાંધીને ઝકઝોરી સહજ ક્રમે વાડીમાં વિરમે છે. પં. સુખલાલજી કેવળ શાસ્ત્રજ્ઞાનમાં ને દર્શનસેવનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્ર, નૃવંશવિદ્યા જેવા મુકાબલે નવખેડાણોનું પણ સેવે છે અને ધર્મચિતનને ‘નિવૃત્તિ’નું ક્ષેત્ર નહીં માનતાં રચનાત્મક પ્રવૃત્તિઓમાંયે રસ લે છે.

ગાંધીજીને જે રીતે જોવામૂલવ્યા એમણે – પરિચય તો કે’દીનો હતો – કોચરબ આશ્રમના આરંભદિવસોમાં સામે બેસી સાથે સાથે ઘંટી તાણવાનો લહાવો લીધો હતો. હાથમાં મેડલ પેઠે ફરફોલા – ઊઠ્યા હતા. એમણે કહ્યું કે પૂજામાં બેસેલ ગૃહસ્થ એના મહેલમાં આગ લાગ્યાનું જાણતે છતે પૂજામાં અવિચલ રહે છે અને આપણે એને વિદેહી કહીએ છીએ. એક બાપુજી (ગાંધીજી) એવા નીકળ્યા કે એમણે બળતા ઘરમાં આગ ઓલવવામાં દરમિયાન થવાના પોતાનો ધર્મ જોયો, ‘સંસાર શું સરસો રહે ને મંત મારી પાસ, એક આપણાં સમયના વિદેહી છે.’

પંડિતજીના શાસ્ત્રતપ વિશે ન કહેતાં વિવિધ શાસ્ત્રો ને દર્શનો આરપાર એમણે જ વલણ કેળવ્યું ને જેનું પ્રતિપાદન કર્યું તે સારરૂપે કહું તો ‘મિત્તિ મે સવ્વ ભૂએસુ'(સમગ્ર વિશ્વ સાથે અદ્વૈત)નું હતું. તત્ત્વચિંતનને ધર્મ અને શાસ્ત્રોની શૃંખલામાંથી મુક્ત કરવું અને ક્રિયાકાંડમુક્ત સમન્વયદર્શી ધર્મની અનુમોહતા કરવી એ એમની સહજાવસ્થા હતી.

પ્રર્યુષણ વ્યાખ્યાન માળા એમણે ખીલવી તે વ્યાપક નાગરિકતાની કેળવણીની ધર્મભાવનાથી … કાશ, આ પોસ્ટલ કવરનો ઉપક્રમ એવો પ્રકાશ પાથરી શકે !

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 ઑક્ટોબર 2023

Loading

ગાંધીજીને પત્ર

વિપુલ કલ્યાણી|Gandhiana, Opinion - Opinion, VK - Ami Ek Jajabar|18 October 2023

હેરૉ

02 ઑક્ટોબર 2023

પ્રાત:સ્મરણીય બાપુ,

સાદર પ્રણામ.

બાપુ, અબીહાલ માનવતાને હંફાવતો સવાલ પ્રદૂષણનો છે, આબોહવાના ફેરફારોના ય અનેકવિધ પડકારોનો છે. અને તેમ છતાં, તમે એ વિશે ઝાઝું કહ્યું જ નથી ! જો કે આ સમજાય છે. તમારા સમયમાં એ આવા આકરા તો નહોતા, નહીં ? તેમ છતાં તમને જરૂરી લાગ્યું ત્યારે અંગૂલિનિર્દેશન કર્યાં જ રાખ્યું છે. પરિસરની વિકૃતિઓનો પડકાર ઝીલવાનો આ સમય છે. જાણું છું, તમારા વખતમાં આવી હાલત નહોતી. ઘણી હળવાશ હતી. અને તેમ છતાં, તમે જ કહેલું ને, ‘The earth has enough resources for our need, but not for our greed’. (જરૂરતમંદોને સારુ આ પૃથ્વી પરે પૂરતી સાધનસામગ્રી છે, પરંતુ લોભને સારુ નથી.) ‘હિન્દ સ્વરાજ’માં, બાપુ, તમે કેટકેટલા ઈશારા કરી આપ્યા છે !

કાઓરી કુરીહારા જપાનથી ગુજરાત ભણવા આવેલાં અને ગૂજરાત વિદ્યાપીઠમાંથી એમણે ગાંધી વિચારમાં અનુપારંગતની પદવી હાંસલ કરેલી. નારાયણભાઈ દેસાઈના વ્યાખ્યાનોને શબ્દદેહ આપી ‘ગાંધીની શક્તિનું મૂળ એકાદશ વ્રત’ નામે મજેદાર પણ અગત્યનું પુસ્તક એમની કનેથી મેળવી શકાયું છે. તે ચોપડીના ઉપસંહારમાં નારાયણભાઈની રજૂઆત છે :

‘આજની અને આવતીકાલની દુનિયાના માણસ, પછી એ ગમે તે ખંડના હોય કે ગમે તે મુલકના, ગમે તે વર્ણના, ધર્મના કે સંપ્રદાયના, એમની સામે ત્રણ પ્રકારના પ્રશ્નો મોં વકાસીને ઊભા છે. એક માણસના પોતાની જાત સાથેના આ પ્રશ્નો. …..

‘ત્રીજા પ્રકારના પ્રશ્નો અંગે તો માણસ નજીકના ભૂતકાળમાં જ સભાન થયો છે. પણ કદાચ એ પ્રશ્નો આ [પેલા] બે કરતાં વધારે ખતરનાક છે. તે છે માણસ જાતના કુદરત સાથેના પ્રશ્નો. જે પ્રકૃતિનો માણસ અવિચ્છિન્ન અંગ છે તે પૃથ્વીને થોડા સૈકાઓથી એ પોતાના શોષણનું હાથવગું સાધન માનતો થઈ ગયો છે. જેને માતા સમજતો હતો તેનો એ ધણી થવા જાય છે. તેના રક્ષણના, પ્રદૂષણના ને મરણના પ્રશ્નો ઉત્પન્ન થયે જ જાય છે. ઝડપથી કપાતાં જંગલો, વેગે આગળ વધતાં રણો, અકરાંતિયા થઈને ખોદી કાઢાતાં ખનિજો, લગભગ તળિયે પહોંચવા આવેલી કેટલી ય જાતની પ્રાકૃતિક સંસાધન અને સંપત્તિ વગેરેને લીધે પૃથ્વી ઉપર, ભૂમિની નીચે અને પૃથ્વીની આસપાસના પર્યાવરણના નવા નવા પ્રશ્નો ડાચાં ફાડીને માણસ સામે ઊભા છે. જેના ઉપાયો જડ્યા નથી તેવી હોનારતો વધતી ને વધતી રહે છે એવી માણસની હરકતો નિરંતર ચાલુ જ છે.’

બાપુ, નારાયણભાઈના મત અનુસાર, આ પ્રશ્નના ઉકેલ સારુ માણસે સજ્જ થવું રહ્યું. પરંતુ, કેમ કરવું ? શું કરવું ? નારાયણભાઈ કહેતા હતા, તમારું જીવન આવી સજ્જતા પૂરી પાડવાના નમૂનારૂપ થઈ શકે. મુખ્યત્વે તમે દીધા એકાદશવ્રતો દ્વારા આવી સજ્જતા સાધી શકાય, એવી દલીલ એ કરતા હતા.

સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમ તથા એકાદશવ્રત તમારી સૌથી મોટી દેણ છે, તેમ નારાયણભાઈ દેસાઈ લખે છે. અને તેમાં અધીકાંશે તથ્ય છે.

નારાયણભાઈએ, બાપુ, ‘ગાંધીકથા ગીતો’ આપ્યાં છે, તેમાંનું ‘અગિયાર વ્રતોનું વિવરણ’ ગીતનો આ આદર સંભળાવું કે ?

પાયામાં પૂરે જે વ્રતનિષ્ઠા તેના મંદિરિયે સતની પ્રતિષ્ઠા

વ્રત આધારે એ ચડતી જાય, ષડ્‌રિપુ સાથે લડતો જાય.

નમ્રપણે ચિત્તને સંશોધે તીવ્રપણે નિજને ઉદ્દબોધે. ……… પાયામાં પૂરે.

પહેલું વ્રત છે સત્યનું પાલન

કરણી ને કથનીના ભેદોનું છેદન.

જેવું વિચારે તેવું ઊચરે, જેવું ઊચરે તેવું કરે તે.

મન, વાણી જેના કર્મ સમાન સત્ય-પૂજારી એને જ જાણ.

સત્ય શોધતાં લાધી અહિંસા, અન્યના સત્યની કર ન ઉપેક્ષા

સરજનકારી પ્રેમની શક્તિ, પથ્થર દિલ પિગળાવે એ શક્તિ

ના એ જાણે કદીયે પલાયન, કાયરતાનું કરતી ઉન્મૂલન

ક્રોધ ન કરતી, દ્વેષ ન કરતી, વેરભાવના ના સંઘરતી.

આ એકાદશવ્રતોમાં, બાપુ, તમે પ્રથમ સ્થાન સત્યને આપ્યું છે, અને બીજે સ્થાને અહિંસાને લીધી છે. મૂળ પાંચ વ્રતોનો વિચાર, બાપુ, તમારા જીવનમાં કેવી રીતે વિકસ્યો, ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી પહોંચ્યો એનો ઊંડાણે અભ્યાસ કરવો રહ્યો. નારાયણભાઈ કહે છે તેમ, બાપુ, ‘સત્યની શોધમાંથી નીપજેલું સૌથી પહેલું અને સૌથી અગત્યનું વ્રત, તમારી દૃષ્ટિએ, અહિંસા હતું. … સત્ય જોવામાં પોતાની મર્યાદાની સમજમાંથી અને બીજા પાસે સત્ય હોઈ શકે એવી શક્યતાની માન્યતામાંથી અહિંસાનો વિચાર જન્મ્યો છે.’

બાપુ, તમારા ખુદના જીવનમાંથી અહિંસાના બે પાયાગત પાઠ મળ્યા હોવાનું સમજાય છે. તમારી આત્મકથામાં આના ઉદાહરણો વાંચવા જડે છે : તમને બીડીની પડેલી ખોટને લીધે છેવટે ચોરી કરી હતી અને દેવું ચૂકવવા ભાઈનું સોનાનું કડું કપાવ્યું હતું. વળી, તમારી આત્મકથામાં ‘ધણીપણું’ નામે ચોથું પ્રકરણ છે. તેમાં બીજી ઘટનાની વાત છે. તમે જ ખુદ, બાપુ, લખ્યું છે : ‘એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમાં રમી રહ્યું. સત્યનો શોખ તો હતો જ. એટલે પત્નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. … … આ વિચારથી હું અદેખો ધણી બન્યો. ‘પાળવું જોઈએ’માંથી ‘પળાવવું જોઈએ’ એ ઉપર આવ્યો.’ તમે કસ્તૂરબાને આ વાત કહી. પરંતુ બા એવી કેદ સહન કરે એમ હતાં જ નહીં. ટૂંકમાં બાએ આ સૂચનાઓ અમાન્ય રાખી. બાપુ, તમે જ લખો છો કે તમને નવું સત્ય લાધ્યું. કોઈની અજુગતી આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઈએ ! બાપુ, આગળ જતાં આમાંથી જ ‘નીપજ્યો સત્યાગ્રહમાં સવિનય કાયદાભંગનો સિદ્ધાન્ત. અન્યાયનો અસ્વીકાર અને પ્રતિકાર’.

આજે, બાપુ, જગતના ચોકમાં ‘હિંદ સ્વરાજ’ને ચરિતાર્થ કરવાનું વિચારાવાનું રહ્યું. આજે મૂડીવાદની પેદાશે અમારે ગ્રાહકવાદ અને બજારને સહેવા પડે છે. ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન’ નામે ખાસું અગત્યનું પુસ્તક આપનાર જાણીતા વિચારક, લેખક અને સર્વોદયી આગેવાન કાન્તિભાઈ શાહના મતે આ વિપરીત પરિસ્થિતિને બુલંદ પડકાર તમારી આ ચોપડીમાં જ છે. તમે, બાપુ, ‘સ્વરાજ’ની વ્યાખ્યા કરેલી : મનુષ્યનું પોતાની ઉપર પોતાનું રાજ. આપણે આપણી જાત ઉપર રાજ ભોગવીએ, એ જ સ્વરાજ. કેમ કે તમે કહેતા હતા તેમ, ‘ભોગવાદ તો માણસને ગુલામ બનાવશે અને ઘણી અદૃશ્ય કેદોમાં માણસને જકડી લેશે.’ એરિક ફ્રોમ, બર્ટૃાન્ડ રસેલ, ઍલ્વિન ટૉફલર, તોલ્સતોય, જ્હોન રસ્કિન, વગેરે સરીખા વિચારકોએ આપણને જાગૃત કર્યા છે; જાગૃત જો થઈ શકીએ તો.

હકીકતે તો બાપુ, જાગતિક સ્તરે જોઈએ તો આ ભોગવાદથી આજે માણસ પીડાતો રહ્યો છે. સન 1945 વેળા જવાહરલાલ નેહરુને ઉદ્દેશીને લખાયેલા એક પત્રમાં તમે જ કહેતા હતા :

‘1909માં ‘હિન્દ સ્વરાજ’માં જે કાંઈ લખ્યું, તેની સત્યતાની પુષ્ટિ મારા અનુભવોથી થઈ છે. તેમાં આસ્થા ધરાવનારો કેવળ હું એક માત્ર જ બાકી રહું, તોયે મને તેનો અફસોસ નહીં થાય. સત્યને હું જેમ જોઉં છું, તે મારા માટે એનું પ્રમાણ છે.

‘આખી દુનિયા તેનાથી વિપરીત દિશામાં જઈ રહી હોય એમ લાગે છે. મને તેનો ભય નથી. કેમ કે પતંગિયો જ્યારે એનો અંત નજીક આવી રહ્યો હોય, ત્યારે દીવાની ચારે તરફ વધુ ને વધુ ચક્કર ચક્કર ઘૂમવા લાગે છે. સંભવ છે, પતંગિયા જેવી આ હાલતમાંથી ભારતને આપણે ઊગારી ન શકીએ. તેમ છતાં ભારત અને તેની મારફત આખાયે વિશ્વને આ નિયતિમાંથી બચાવવાની છેલ્લા શ્વાસ સુધી કોશિશ કર્યે રાખવી એ મારો ધર્મ છે.’

વારુ, બાપુ, આજના અવ્વલ વિચારક પ્રકાશભાઈ ન. શાહ, હાલે, લખતા હતા : ‘વાત એમ છે કે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના કૃપાકટાક્ષથી ગાંધીજીવન અને ગાંધીવિચાર વિશે જે બધું અનાપશનાપ ફેક્ટરી એક્ટની તમા વગર બાગે બહાર માલૂમ પડે છે એની સામે ગાંધીને એમના સમયમાં સમજી એમના ચિરકાલીન અર્પણ પરત્વે દેશજનતાને સભાન ને સહૃદય બનાવવાના ઉજમનું ચોક્કસ મહત્ત્વ છે. એમાં ચાલુ કથાનકમાં સુધારની તેમ એ સુધારા ઓછા પડતા જણાય તે સંજોગોમાં નવીન કથાનકની સંભાવના રહેલી છે.’

બીજી પાસ, સૂરતના જાણીતા સાહિત્યકાર – પત્રકાર રવીન્દ્ર પારેખના તાજાતર એક લેખમાંથી નજીવા ફેરફાર સાથે આટલું ઉદ્ધૃત કરીએ :

પ્રિયકાંત મણિયારનું એક કાવ્ય છે :-

એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,

‘તમે ગાંધીજીને જોયા હતા?’

ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,

અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને

અને બબડી ગયો –

‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં

પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’

હું હવે કોને કહું કે ‘ના તમે,

એ તો અમે !’

કાવ્યમાં મોટાભાઈએ તમને જોયા હોવાનું કહ્યું, તો નાનો ભાઈ એમને જોવાનું ચૂકી ગયો એ વાતે ઓશિયાળાપણું અનુભવતા કહે છે કે અમે તો ત્યારે એકડો ઘૂંટતા હતા, તો મોટાભાઈ કહે છે કે તમે જ નહીં, અમે ય એકડો જ ઘૂંટતા હતા ! મતલબ કે તમને જોવાનું નસીબ તો ઘણાંને મળ્યું હતું, પણ તમને બધાં સમજ્યા જ હતાં એવું ન હતું. એ બધાં ઉંમરે મોટાં હતાં એટલું જ, બાકી, બાપુ, તમને સમજવામાં તો એ પણ એકડો જ ઘૂંટતા હતા. આજે પણ તમે બધાંને સમજાઈ જ ગયાં છે એવું નથી, તે એટલે પણ કે સત્યનો મહિમા ઘટતો આવે છે ને હિંસાની કોઈને હવે છોછ રહી નથી, જ્યારે તમારે મન તો સત્ય જ ઈશ્વર છે ને નૈતિક કારણોસર પણ તમે હિંસાને સ્વીકારી નથી. એ સ્થિતિમાં અમને સમજાઈ જવાનું સહેલું નથી, એટલે એકડો ઘૂંટનારા પણ હવે તો તમારો એકડો કાઢવાની પેરવીમાં છે. પોતાની લીટી મોટી થાય એમ નથી, એટલે તમારી લીટી નાની કરીને ઘણાં વ્હેંતિયાઓ વિરાટ થવા મથે છે.

વિરામ લઉં તે પહેલાં, એક અગત્યના મુદ્દે નિર્દેશ કરવાની રજા લઉં છું. વિવિધ સ્તરોનાં નાનાંમોટાં કામો અંગે તમારું ‘તાવીજ’, બાપુ, યાદ રાખવા જેવું છે. તેમ કરવાથી કોઈ પરાયા નહીં હોય, સૌ કોઈ પોતીકા હશે. તળ ગુજરાતે તેમ જ બૃહદ્દ ગુજરાતે પણ. તેમ જ સમગ્ર જગતે પણ. ખરું ને ?

બાપુ, સન 1948માં તમે એક પત્રમાં લખેલું,

“તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?

“ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”

આમ જનતાની, ગરીબાઈની વાત, બાપુ, તમે અહીં નથી છેડતા; વિસ્તારે વિસ્તારે, કસબે કસબે, ગામે ગામે જ શા માટે, ખંડે ખંડે ય વિસ્તરેલી આપણી જમાતની વાત કરતા હો તેમ વર્તાય છે. તે દરેક પરાયી નહીં રહેવી જોઈએ. આ ‘તાવીજ’ આપણા દાયરામાં કેન્દ્રસ્થાને રહેવું જ રહ્યું. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં તમે કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો : ‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

બાપુ, આ પત્ર ખૂબ લં-બા-ઈ ગયો. તમારો ઝાઝેરો સમય લેવા સારુ મને ક્ષમા આપજો. 

લિ. વિપુલ કલ્યાણીનાં સાદર પ્રણામ.

પાનબીડું :

ગાંધીયુગ આવ્યો અને ગયો એમ ભલે તમે કહો,

હું તો કહું છું કે ગાંધીયુગ આવશે.

                                          − ઉમાશંકર જોશી

[1,540 શબ્દો]
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : “પ્રબુદ્ધ જીવન”, ગુજરાતી અંગ્રેજી વર્ષ 11 [કુલ વર્ષ 95] : અંક – 07 : ઑક્ટોબર 2023; પૃ. 06-08

Loading

તર્પણ  

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|18 October 2023

પ્રીતમ લખલાણી

કામ પરથી રોજ રાતે બે અઢી વાગે ઘરે પાછા ફરું ત્યારે અમારી ડેલીમાં સાવ સોપો પડી ગયો હોય. આડોશીપાડોશી ખાટલે પડ્યા નસકોરાંની જુગલબંઘી બોલાવતા સુખિયા જીવ ઘોર નિદ્રામાં હોય. સાયકલને ઘીમેથી ડેલીમાં લઈ એક ભીંતને ટેકે મૂકું, જેથી કોઈને નીંદરમાં ખલેલ ન પડે!

મારી બાજુમાં ખોરડે ઓસરીમાં પડેલ બાપદાદાના જમાનાનાં ટેબલ ખુરશી પર દીવાને અજવાળે કાગળ વાંચવામાં ડૂબી ગયેલ હોય બસ, એક દિનુકાકા. ડેલીમાં મને સાયકલ મુકતો જુવે એટલે રોજની આદત મુજબ દિનુકાકા પૂછે, ‘અરે બચુ, કેટલા વાગ્યા? દિનુકાકાને આમ તો ખબર, રોજ હું મારા સમયે જ ઘરે આવું છું. પણ તેમની આ એક આદત થઈ ગઈ હતી. મને ડેલીમાં જુવે એટલે તરતજ પૂછે, ‘કેટલા વાગ્યા?’

દિનુકાકા પૂછે એટલે મને આનંદ થાય કે હું ઘરે પહોંચી ગયો! ક્યારેક જો, બા જાગતાં હોય તો સમી સાંજે જે કંઈ રાઘ્યું હોય તે મને ગરમ કરી, એક થાળીમાં પીરસી જમવા બેસાડે. પરંતુ મારી રાહ જોતાં થાકીને ઓસરીમાં ખાટલે, જો બાને ઝોકું આવી ગયું હોય તો તેમને ઉઠાડવાને બદલે ક્યારેક પ્રાઈમસ પેટાવી એકાદ ગ્લાસ દૂઘ ગરમ કરી પી લઉં. વહેલી સાંજથી બાએ તૈયાર કરી રાખેલ ખાટલે લંબાવું, ત્યારે અચૂક દિનુકાકા વિષે મનમાં એક સાથે અઢળક સવાલ પેદા થાય! વરસોથી દિનુકાકા આટલી મોડી રાત્રે, ભલા, કોના પત્રોમાં ખોવાઈ જતા હશે?

રોજ કરતાં એક રવિવારે જરા વહેલો ઊઠી ગયો હતો. બા વાસીદાંપાણી કરી, ગાય દોહી ઓસરીના એક ખૂણે બેસીને દાતણ કરતી હતી. રોજ રાતે દિનુકાકાને કાગળ વાંચતા જોઈ મનમાં ઊઠતો સવાલ મેં બાને તે સવારે પૂછી નાખ્યો!, ‘બા, દિનુકાકા રોજ આમ મોડી રાત લગી દીવાને અજવાળે કોના કાગળ વાંચતા હશે?’

બાએ કહ્યું, ‘અરે બચુ, સવાર સવારમાં ભગવાનનું નામ લેવાને બદલે તને આજ ગામને ચોરે બેઠેલા ચૌદશિયાની જેમ આડોશીપાડોશીની પંચાત કરવાનું મન ક્યાંથી થયું? દીકરા, બઘાં પોતપોતાનાં કરમ ભરે! કારણ વગર આપણે કોઈની નિંદામાં, સવાર બગાડવી એના કરતાં ભગવાનનું નામ લે!’

બાના જવાબથી મને ખાતરી થઈ ગઈ કે બાને વાતની ખબર છે. બા, મને કહેવાને બદલે આંખ આડા કાન કરે છે! મેં બાને કહ્યું, ‘બા, જો તમે મને એકવાર નિરાંતે બઘી વાત કરી દેશો તો આજ પછી ક્યારે ય તમને આટલી વહેલી સવારમાં નિંદામાં નહિ સંડોવું!’

મારી વાત પર બા હસી! મને કહ્યું, ‘બચુ, ખાટલેથી ઊભો થઈ અહીં ઓસરીમાં, હિંડોળે આવીને બેસ તો તને એકડે એકથી બઘી વાત કહું.’ આમ કહી, બાએ આજુબાજુમાં એક નજર કરીને જોઈ લીઘું કે  ડેલીમાં ક્યાં ય કોઈ બેઠું તો નથી ને! બાને કોઈ નજરે ચડ્યું નહીં, ગોખલે પડેલ બજરનો ડબ્બો લઈ દાંતે બજર દેતી મારી બાજુમાં હિંડોળે આવીને બેઠી અને પછી હળવેકથી વાત શરૂ કરી.

‘બચુ, તને તો ખબર છે, કે તારા બાપુ અને દિનુકાકા બાળપણના લંગોટિયા દોસ્ત! એક જ ફળિયે રમતા, ઝઘડતા અને ગામની નિશાળમાં ભણતા. મેટ્રિક થઈ અમદાવાદ આગળ ભણવા કોલેજમાં દાખલ થયા! બંને દોસ્તો એક જ હોસ્ટેલમાં એક જ રૂમમાં સાથે રહેતા હતા!

‘તારા બાપુને આપણી પરિસ્થિતિનો પૂરે પૂરો ખ્યાલ. તેમને ખબર હતી કે કોલેજમાં આવતા ઘનવાન નબીરાની વાદે ચડીને જો મોજ મજા કરીશ તો મારા બાપાને પરવડશે નહીં! આ વિચારે તારા બાપુ તો દિનરાત ઘ્યાન રાખીને ભણતા. પોતાનો ભણવાનો ખર્ચ કાઢવા અમદાવાદની એકાદ હોટેલમાં સાંજે કામ કરવા પણ જતા. દિનુકાકાને આગળ પાછળની કોઈ જવાબદારી હતી નહીં! ભોગી બાપાને પાંચ દીકરીઓ પછી દિનુકાકા આવેલ. ભોગી બાપાએ દિનુકાકાને લાડકોડથી ઉછેરેલા!

ઘરમાં તેમનો પડ્યો બોલ ઝીલાતો! ભાઈ, પાણી માંગે તો દૂઘ આપતા! ભોગી બાપાનું ઘર ખાઘે પીઘે ગામમાં જરા વઘારે સુખી! ગામમાં ઘમઘોકાર બે હાટડી ચાલે! વળી ભોગી બાપાને વ્યાજ વટાવનો ઘંઘો! મોસમ ટાણે બાપા કાલા માંડવીનો ઘંઘો કરે તે નફામાં!

‘દિનુકાકા અમદાવાદથી જેટલા પૈસા મંગાવે તેના કરતાં થોડાક વઘારે ભોગી બાપા મોકલે. ગામમાં ચોરે બેઠા બડાશ મારતા કહે રાખે કે, દિનુએ આમ તો સો રૂપિયા જ મંગાવ્યા હતા. મેં સમજી વિચારી બસો મોકલ્યા, છોકરાને શહેરમાં કયાં ય ખાવા પીવામાં અગવડ ન પડે!

‘બચુ, પછી તો પૂછવું જ શું? દિનુકાકને છૂટથી પૈસા વાપરવા મળતા. ભણવા કરતાં શહેરના જલસામાં વઘારે રસ લીઘો! હોસ્ટેલમાં દાખલ થતાં જ દિનુકાકાએ ગામના પહેરવેશ, રિતરિવાજ તેમ જ વાળને રજા આપી. એ વખતના સિનેમાના નાયકોની આબેહૂબ નકલ કરવા માંડી! ટૂંક સમયમાં તો ગામડાના દિનુભાઈ, કોલેજમાં દિનકર શેઠના નામે વિખ્યાત થઈ ગયા! દિનકરભાઈની આગળ પાછળ બે પાંચ હજુરિયા ભમતા હોય. કોલેજમાં ભણવા જવાનું માંડી વાળી મિત્રો જોડે કૉલેજની કેન્ટીનમાં કે પછી શહેરના ખૂણે ખાંચરે રેસ્ટોરન્ટમાં દિનકર શેઠ બેઠા હોય. રોજ નતનવી ફેશનનાં કપડાં પહેરે. મોડી રાત્રે અને બપોરે શહેરનાં છબી ઘરોમાં સિનેમા જોઈ આનંદ પ્રમોદ કરે! 

‘થોડા જ વખતમાં દિનકર શેઠ નામના આ કોલેજના યુવાન રોમિયોના પરિચયમાં લીના દલાલ નામની એક રૂપવંતી કન્યા આવી. લીના બહુ જ રુપાળી અને દેખાવડી. બચુ તારા બાપુ મને ઘણીવાર કહેતા, કે લીના દલાલ તો એ વખતની ફિલ્મી અભિનેત્રીઓ કરતાં પણ વઘારે મોહક ને કામણગારી! લીનાના પ્રેમમાં પાગલ થઈ ગયેલ દિનુકાકાને સૂતાં ને જાગતાં લીના સિવાય કોઈ દેખાતું નહીં.

‘દિવાળી કે નાતાલની રજામાં ભોગીબાપાએ દિનુકાકાને જો ગામમાં બોલાવ્યા હોય તો દિનુભાઈને લીના વિના કયાં ય ચેન ન પડે! સવારથી ટપાલની રાહ જોતા ડેલીએ ઊભા હોય! બસ મનમાને મનમાં વિચારે કે ક્યારે જલદી રજા પૂરી થાય અને જલદીથી અમદાવાદ ભેગો થઈ જાઉં! મારા વિના મારી લીના કરમાઈ જતી હશે!

‘બચુ, તું નહીં માને જેટલા દિવસો દિનુભાઈ ગામમાં હોય ત્યારે ન તો કોઈ જોડે બોલે કે ચાલે, બસ સવારથી મોડી રાત લગી સૂનમૂન મેડીએ પોતાના ઓરડામાં બેઠાબેઠા લીનાનાં દિવાસ્વપ્નાં જોતાં લીનાને કવિતા અને કાગળો લખે રાખે!

‘દિનુભાઈ કોલેજમાં બે વર્ષ રહ્યા પણ ખાસ કંઈ પ્રગતિ કરી નહીં. ગામ આવતા ત્યારે તેમના હાલ હવાલ જોઈ ભોગીબાપા અને સવિતા મા’ને દીકરાના લફરાની ગંઘ આવી ગઈ હતી.

‘ભોગીબાપાને રાતદિવસ મનમાં ને મનમાં દિનુભાઈની ચિંતા થવા લાગી. દિનુ કંઈ આડું અવળું પગલું ભરી બેસશે તો, ગામમાં અને સમાજમાં જે બે પાંચ માણસમાં પૂછાઉં છું ત્યાં મોઢું બતાવવા જેવો નહીં રહું!

‘પણ સવિતામાની ચિંતા ભોગીબાપા કરતાં સાવ જુદી જ હતી. દિનુ, જો શહેરમાં કઈ નવા જૂની કરી બેસશે તો મારે પેટે ચાર દીકરીઓ પડી છે હું તેને કયાં પરણાવવા જઈશ!

‘આ વિચારે જ ભોગીબાપાએ અને સવિતામાએ, દિનુકાકાને કંઈ પૂછ્યા વિના જ પોતાના સમાજમાં એક સારું ખાનદાની ખોરડું જોઈ મુક્તાકાકી સાથે કંકુના કરી નાખ્યા!

‘દિનુકાકાના મનમાં તો લીના જ હતી! બચુ,એ જમાનો આજના જેવો બાપ સાથે યુદ્ધે ચડવાનો ન હતો! દિનુભાઈએ માબાપની ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપી દીઘું, તે સાનમાં સમજી ગયા કે, જો લીના જોડે લગ્ન કરીશ તો ગામમાં અને સમાજમાં બાપદાદાનું નાક કપાશે! અને જો માબાપ, ખોરડાની ઈજ્જત રાખવા કદાચ મારી સાથે સંબંઘ તોડી નાખશે તો મારામાં કોઈ એવી તાકાત કે આવડત નથી કે અમદાવાદમાં લીના જોડે મારો સુખી સંસાર ચલાવી શકીશ!

‘દીકરા, દીનુકાકાએ હસતાં હસતાં માબાપની ખુશી સારુ મુકતાકાકી સાથે સાત ફેરા ફર્યા. તે દિવસથી દિનુકાકાએ જગતને દેખાડવા લીનાને ભૂલી ગયા!

‘લીનાને ભૂલી જવા અને મુક્તાકાકી વફાદાર બનવા પ્રયત્ન કરતા રહ્યા પણ મનમાં એક ખૂણે લીનાની યાદોનો દીવો બળતો હતો.

‘બચુ, આજે સાઠ વરસે મુક્તાકાકી કેવાં જાજરમાન લાગે છે! તું કલ્પના કર કે પરણીને આવ્યાં હશે ત્યારે કેવાં દેખાવડાં લાગતાં હશે! મુક્તાકાકીને જો આપણે ભૂલથી પણ ક્યાં ય અડકી જઈએ તો તેમની રૂપાળી કાયામાં ડાઘ લાગી જાય, એવી તેમની સુંદર રૂપવતી કાયા! ગામ આખું તો સવિતા માને કહેતું હતું કે, ‘માડી, તમે તો દિનુભાઈ માટે સ્વર્ગમાંથી અપ્સરા લઈ આવ્યાં! મુક્તાકાકી જેવાં દેખાવડાં હતાં તેવાં જ ઘરકામમાં પણ પાવરઘાં અને હોંશિયાર! સવિતામા તો દિ’ આખો દાંતે બજર દેતા ઓસરીની કોરે બેસીને ગામની બાઈઓ જોડે વાતોના તડાકા જ મારતાં રહે!

‘સીમ ખેતર અને ઘણી જવાબદારી તો ઠીક પણ બે ચાર વરસમાં તો ચારે જુવાન નણંદોને સારું ઠેકાણું ગોતીને પરણાવી મુક્તાકાકીએ સાસુ સસરાને ચિંતામાંથી મુકત કરી દીઘા!’

આટલી વાત કરી બા, જરા અટકી ગયાં, પછી એક નિસાસો નાખતાં બોલ્યાં, ‘બચુ, હવે વઘારે તને હું શું કહું! તું બઘું સમજી ગયો હોઈશ! ભલે! દિનુકાકાને મુક્તાકાકી જેવું સુંદર અને સુશીલ પાત્ર મળ્યું, પરતું દિનુકાકાનું મન તો કોલેજકાળમાં ખોઈ દીઘેલ લીનામાં જ ચોંટેલું હતું.

‘મને અને તારા બાપુને દિનુકાકાની એક વાત પર સદા માન રહ્યું. દિનુભાઈએ મુક્તાકાકીને જિંદગીમાં કયાં ય કોઈ પ્રકારનું દુઃખ પડવા નથી દીઘું. મુક્તાકાકીને કોઈ દિવસ સ્વપ્ને ય ખ્યાલ નહીં આવ્યો હોય કે દિનુભાઈના મનમાં કોઈ બીજી સ્ત્રી રહી હશે!

‘ઈશ્વર ઈચ્છાથી તારી ઉંમરના મનહર અને શોભિતને લાડકોડથી ઉછેરી, ભણાવી ગણાવીને સારે ઘરે પરણાવી બંને દીકરાનાં ઘર વસાવી દીઘાં છતાં, આજે પાંસઠ વર્ષે પણ રોજ રાતે દિનુકાકા, ઘર આખું સૂઈ ગયું હોય ત્યારે દીવાને અજવાળે ઓસરીમાં બેસીને પ્રેમિકા લીનાને કોઈ કાળે લખેલા કાગળો વાંચતા આંખેથી તેની યાદમાં બે ચાર આસું વહાવી દે છે.’

**************

એક રાત્રે મેં ડેલી બંઘ કરી, સાયકલ ભીંતને અડાડીને મૂકી. દિનુકાકાએ આદત મુજબ મને પૂછ્યું પણ ખરું, ‘બચુ, કેટલા વાગ્યા!’

આજે સાંજે શાંતિલાલની રેકડીએ લંચમાં બે ચાર દોસ્તો જોડે પેટ ભરીને ઉસળ પાઉં ખાઘેલ એટલે ખાવાની તો કોઈ ફિકર હતી નહીં, બાએ તૈયાર રાખેલ ખાટલામાં ભગવાનનું નામ લઈ મેં લંબાવી દીઘું.

દિવસ આખો ખેડૂત જોડે કપાસ-માંડવીની લેવડદેવડની માથાકૂટ કરીને થાકી ગયેલ દિનુકાકાએ મને ખાટલે સૂતેલો જોયો. આજે તેમણે રોજ કરતાં પહેલાં ટેબલ પર પાથરેલ લીનાના કાગળો ભેગા કરી, એ જ વરસો જૂની લાલ રેશ્મી થેલીમાં ઘડી કરીને મૂકી, પછી હાથમાં દીવો લઈ મુક્તાકાકી સૂતાં હતાં તે ઓરડાના પટારામાં મૂકવા ગયા!

મુક્તાકાકી, કાલા કપાસની ગુણો વચ્ચે પાથરેલા ખાટલે ઘસઘસાટ ઊંઘતા હતાં. કાલાં કપાસની મોસમ વખતે મુક્તાકાકીનો ઓરડો એક ગોદામમાં ફેરવાઈ જતો. શરૂઆતમાં દિનુકાકા અને કાકી આ ઓરડાને પોતાના શયનગૃહ તરીકે વાપરતાં પણ વરસો જતાં કાકાએ પોતાનો ખાટલો ઓસરીમાં ફેરવી નાખ્યો હતો. બસ પછી આ ઓરડાને કાકી પોતાના શયનગૃહ તરીકે વાપરતાં.

બા, મને ઘણીવાર કહેતાં, ‘મુક્તાકાકી જેવો સુખી જીવ ગામમાં કોઈ નહીં હોય. બસ એકવાર ખાટલે પડ્યા પછી, જો કાકી સવાર પહેલાં ઊઠી જાય તો મુક્તાકાકી નહીં! ભલે, પછી દિનુકાકા રાત આખી ઘરમાં ઢોલ નગારાં વગાડે રાખે! કાકી તો બસ ઘસઘસાટ ઊંઘતાં જ રહે.’

મુક્તાકાકી ખાટલે પડયાં નસકોરાં બોલાવતાં હતાં. દિનુકાકાએ પટારો ઉઘાડીને કાગળની થેલી મૂકી. થાકી ગયેલ દિનુકાકા દીવો રામ કરીને ઓસરીમાં પોતાની સાથે લાવવાને બદલે, બાજુમાં પડેલ એક બીજા નાના પટારા પર બળતો મૂકી ઓરડાની બહાર આવી, ઓસરીમાં મુક્તાકાકીએ તૈયાર રાખેલ ખાટલામાં ભગવાનનું નામ લઈને ઝંપલાવી દીઘું.

ઓસરીમાં અંઘારું જોઈ, પડોશના મંછા માની બિલાડી આદત મુજબ અમારી મેડી કૂદી. દિનુકાકાના ઘરમાં આવી ચઢી. મુક્તાકાકી ખાટલે સૂતાં હતાં. બાજુમાં પટારા પર દીવો બળતો હતો. બિલ્લીબાઈ, ઉંદરની રાહ જોતી દીવાની બાજુમાં જઈને બેસી ગઈ. અચાનક તેની નજરમાં, એકાદ બે ઉંદરડી કયાંક માંડવીની ગુણો વચ્ચે દીવાના પ્રકાશમાં રમતી દેખાઈ! ક્યારની શિકારની રાહ જોતી બિલાડીએ ઉંદરડીને પકડવા પટારા પરથી છલાંગ મારી. બાજુમાંનો દીવો પટારા પરથી ગબડી કાલાની ગુણ પર પડ્યો! બે ચાર મિનિટમાં તો ઓરડામાં ચારેકોર આગ ફેલાઈ ગઈ. ઘસઘસાટ ઊંઘતાં મુક્તાકાકી આગમાં સપડાઈ ગયાં.

રાતના લગભગ ત્રણ સાડા ત્રણ થયા હશે! અમારી ડેલી અને આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, એવામાં મારા કાને મુક્તાકાકીની ચીસો પડી! આંખો ચોળતો ખાટલેથી ઊભો થયો તો મારી આંખ સામે દિનુકાકાનું ઘર ચારેકોરથી ભડભડ બળતું હતું. મુક્તાકાકી આગમાંથી બહાર નીકળવા વલખાં મારતાં ચીસો પાડી રહ્યાં હતાં. દિનુકાકા મુક્તાકાકીને બચાવવા ગામને મદદ કરવા બૂમો પાડતા ફળિયે ઊભા હતા.

દિનુકાકાની બૂમો સાંભળી ગામ આખું હાથમાં જે કઈ વાસણ આવ્યું. તેમાં પાણી લઈ દિનુકાકાના ઘરની આગને હોલવવા દોડી આવ્યું. બાજુના શહેરમાંથી થોડીવારમાં બંબા પણ આવ્યા, તે પહેલાં તો આગે જોત જોતામાં કાકીના દેહને પોતાના વિકરાળ પંજામાં લઈ લીઘો!

**************

સોણ ગંગાના કાંઠે મુક્તાકાકીનું બારમું સરાવી, દીકરા, સગાંસંબંઘી અને ગામની હાજરીમાં દિનુકાકાએ મુક્તાકાકીનાં અસ્થિફૂલને સોણગંગાના વહેતા પ્રવાહમાં તરતાં મૂકી, ખિસ્સામાંથી અર્ઘ બળી ગયેલ લાલ રેશમી થેલી કાઢી લીનાની યાદોના કાગળોને પણ સોણગંગાના વહેતા જળમાં પઘરાવી દીઘા!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...935936937938...950960970...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved