Opinion Magazine
Number of visits: 9742783
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જરા એમને કહો, દેશમાં છે 80 કરોડ ગરીબો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 November 2023

રમેશ ઓઝા

સત્ય અને સાતત્યની ચિંતા કર્યા વિના જરૂરિયાત મુજબ બોલવું એ આપણા વડા પ્રધાનની ફિતરત છે. જ્યાં સુધી ભક્તો વાંક જોતા નથી અને શબ્દે શબ્દે નશાનો અનુભવ કરે છે ત્યાં વાંકદેખાઓની કોણ પરવા કરે છે. જ્યાં જેવી જરૂરિયાત એવી વાણી. વડા પ્રધાને છત્તીસગઢમાં એક ચૂંટણીપ્રચાર સભાને સંબોધતા દાવો કર્યો હતો કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ મળતું થાય એવી એક યોજના અમલમાં મુકવામાં આવશે અને પછી શું કહ્યું? છાતી ઠોકીને કહ્યું કે આ મોદીનો દાવો છે.

વાહ! પણ હજુ હમણાં વર્લ્ડ હંગર ઇન્ડેક્સ બહાર પડ્યો અને તેમાં બે ટંકનું ભોજન નહીં પામતા ગરોબો કયા દેશમાં કેટલા છે, વિશ્વના ૧૨૫ દેશોમાં ભૂખ નહીં સમાવી શકતા દેશોમાં કયો દેશ કયા સ્થાને છે, એનો ઈન્ડેક્સ બહાર પડ્યો હતો અને તેમાં ભારતનું સ્થાન ૧૧૧મા ક્રમે હતું. ગયા વરસે ભારતનું સ્થાન ૧૦૭મું હતું. માત્ર એક વરસમાં ચાર પગથિયાં નીચે ઊતરી ગયું. વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં ભારતનાં પાડોશી દેશો ભારત કરતાં આગળ છે.

આ ઇન્ડેક્સ બહાર પડ્યો ત્યારે ભારત સરકારે શું કહ્યું હતું ખબર છે? સરકારે કહ્યું હતું કે આ ઇન્ડેક્સ જ ખોટો છે અને ભારતને સ્વીકાર્ય નથી. ઈન્ડેક્સ બનાવનારાઓનાં ગણતરીના માપદંડો અને આધાર ક્ષતિયુક્ત છે. ભારતમાં આટલા બધા ગરીબો નથી અને કોઈ ભૂખ્યું સૂતું નથી. હવે વડા પ્રધાન કહે છે કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ પૂરું પાડવામાં આવશે. ભારતની વસ્તી અંદાજે ૧૪૦ કરોડ છે એમાંથી વડા પ્રધાન કબૂલ કરે છે કે ૮૦ કરોડ લોકો ગરીબ છે જે અનાજ ખરીદવાની ક્ષમતા ધરાવતા નથી અને માટે ભૂખ્યા સૂવે છે અથવા તેમને ભરપેટ ખાવા મળતું નથી. વડા પ્રધાનની કરુણા જાગી ઊઠી એ માટે આપણે તેમને ધન્યવાદ આપવા જોઈએ. પણ ૮૦ કરોડ લોકો? ભારતની કુલ વસ્તીના પંચાવન ટકા? આટલા બધા લોકો બજારમાંથી કે રેશનની દુકાનમાંથી અનાજ ન ખરીદી શકે એટલા બધા ગરીબ છે? આવો ભારત માટે કલંકીત આંકડો તો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ બનાવનારાઓએ પણ નથી આપ્યો.

પણ આંકડો નાનો ન હોવો જોઈએ. બંદા બોલે તો છોટી બાત ન બોલે. એક બાજુ નીતિ આયોગ અને નાણાં મંત્રાલય શીર્ષાસન કરીને તેમ જ વાસ્તવિકતાઓ સાથે તોડમરોડ કરીને સાચા આંકડા છુપાવવાનો પ્રયાસ કરે અને બીજી બાજુ વડા પ્રધાન સાચા આંકડામાં થોડુંઘણું નહીં બેવડું ઉમેરણ કરે. હમણાં કહ્યું એમ બંદા બોલે તો છોટી બાત ન બોલે. બીજી વાત. આવાં વચનો (અને એ પણ વાસ્તવિક, ફુગાવીને નહીં) વિરોધ પક્ષો આપે તો તેને માટે શું કહેવામાં આવે છે? રેવડી કલ્ચર. પણ વડા પ્રધાન સ્વભાવથી મજબૂર છે. સામે લોકોને જુએ એટલે નશામાં આવી જાય છે અને પછી દે ધનાધન.

અને સામે ઓડિયન્સમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હોય તો? તો વડા પ્રધાન કહેશે અને કહ્યું પણ છે કે ૨૦૨૭ સુધીમાં એટલે કે તેમની ત્રીજી મુદતમાં ભારત પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર્સ(૪૧,૬૬,૩૬,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા)નું અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. અર્થાત્ વિશાળ અર્થતંત્ર ધરાવતો વિશ્વનો ત્રીજા નંબરનો દેશ બની જશે. બેરોજગારી વધી રહી છે, સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે, આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં લોકોના હાથમાંથી કામ છૂટી રહ્યું છે અને ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર્સનું થઈ જશે. અત્યારનો જે વિકાસદર છે એ જોતા ભારતને પાંચ ટ્રિલિયન ડોલર્સનું અર્થતંત્ર બનતાં આજથી ઓછામાં ઓછા બે દાયકા લાગશે અને એ પણ કોઈ પી.વી. નરસિંહ રાવ કે ડૉ મનમોહન સિંહ જેવો દૃષ્ટિસંપન્ન વડો પ્રધાન મળે તો. નરેન્દ્ર મોદીનો એક દાયકો વીતી ગયો છે અને અર્થતંત્ર નીચે ગયું છે, ઉપર નથી ગયું.

મનરેગા(મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી)ની નરેન્દ્ર મોદીએ ઠેકડી ઊડાડી હતી; વડા પ્રધાન બનતા પહેલાં અને પછી પણ. તેમણે કહ્યું હતું કે મનરેગા કાઁગ્રેસની નિષ્ફળતાનું સ્મારક છે. દેશનો આર્થિક વિકાસ કરીને ગ્રામીણ ભારતમાં રોજગારી પેદા કરવાની જગ્યાએ કાઁગ્રેસે ગ્રામીણ બેરોજગારીનો સ્વીકાર કરી લીધો છે અને લોકોને દયા પર જીવતા કર્યા છે. અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર મનરેગના પ્રેમમાં છે અને દર વર્ષે બજેટમાં નાણાંની ફાળવણી વધારવામાં આવી રહી છે. દસ વરસ થઈ ગયા, દેશનો આર્થિક વિકાસ કરીને ગ્રામીણ ભારતમાં રોજગારી પેદા થઈ શકી નથી. આ વરસે તો મનરેગા માટે ફાળવવામાં આવેલા પૈસામાંથી ૯૩ ટકા પૈસા છ મહિનામાં જ ખર્ચાઈ ગયા. લોકોને ગમે એવું ગમે તે બોલીએ તો બુદ્ધિશાળી લોકો કાન આમળે.

વડા પ્રધાને ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની જરૂર નથી. જરૂર એ વાતની છે કે દેશમાં ગરીબોની સાચી સંખ્યા સ્વીકારવી જોઈએ (અને તે ૮૦ કરોડ તો નથી જ) અને ગરીબીનાં કારણ શોધવાં જોઈએ અને સ્વીકારવાં જોઈએ. કારણો તો જગજાહેર છે, પણ સ્વીકારવામાં આવતાં નથી. તેમને કામ મળે એ રીતની આર્થિક નીતિ અપનાવવી જોઈએ. અને સૌથી મોટી વાત એ છે કે જાહેર વિતરણ વ્યવસ્થા(પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ)ને સુધારવી જોઈએ. લોકો એટલા માટે નથી ભૂખ્યા રહેતા કે દેશમાં અનાજ ઓછું છે, લોકો એટલા માટે ભૂખ્યા રહે છે કે તેમના સુધી અનાજ પહોંચતું નથી અને જો પહોંચે છે તો તે પોષણક્ષમ હોતું નથી. લોકો પાસે રેશનીંગની દુકાનેથી અનાજ ખરીદવા પૈસા પણ છે. હા, મુક્ત બજારમાંથી અનાજ ખરીદી શકે એટલા પૈસા તેમની પાસે હોતા નથી. લોકો છતે પૈસે પોષણ પામતા નથી. શાસકો અને સ્થાપિત હિતો જાહેર વિતરણ સેવાને લકવાગ્રસ્ત બનાવીને જાણીબૂજીને ગરીબ લોકોને બજારને હવાલે કરી રહ્યા છે. આવું જ ટેલીકોમ, એસ.ટી., એર સર્વિસ, હોસ્પિટલો, શાળાઓ સાથે કરવામાં આવ્યું હતું. સરકારી સેવાઓને લકવાગ્રસ્ત કરી નાખવાની અને લોકોને વિકલ્પહીન કરીને બજારમાં ધકેલવાના. જે ટકી શકે એ ટકી જાય, અને જે ન ટકી શકે એ પોતાનું ફોડી લે. શું વડા પ્રધાન આ નથી જાણતા? ભારતની અનાજ વિતરણની સમસ્યા આખું જગત જાણે છે અને વડા પ્રધાન નથી જાણતા?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2023

Loading

અગિયાર ગીતકાવ્યો

પ્રીતમ લખલાણી|Poetry|11 November 2023

-1-

આકાશ કેમ આપું?

પાંપણથી દડતું આકાશ કેમ આપું?

સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું!….

આવતા ને જાતા ચણું સમણાંની મેડી!

મનગમતી  વેળા  લઉં  હરખથી  તેડી!

લાંબા  ટૂંકા  પડછાયે  સૂરજને  માપું!  …

સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું! ….

મધરાતે  ખોલું  હું તો  નીંદરની  ડેલી!

સુખની  સવાર  કેવી  કરતી  રે  કેલી!

સોનેરી દહાડા કંઈ આમ જ હું કાપું! …

સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું! ….

•

-2-

આભમાં ચાંદો ઊગ્યો

મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!

                 રે સખી! મારા આભલિયે ચાંદો ઊગ્યો! …

      આંખ્યું ચોળીને જોયું મુખડું એનું રે સખી!

                         અમથી જ્યાં બારી મેં ખોલી!

      વરસો પછી આ મારી ભીનેરી પાંપણ પર

                         સુખની  ખેલાઈ રહી હોલી!

રાત પડખાં ફેરવતા જાગી ‘ને મનડાંમાં સૂરજ ઊગ્યો!

                  રે સખી! મારા મનડાંમાં સૂરજ ઊગ્યો! …

મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!…….

       ધોળે  દિવસે  રે જાણે દીવો કર્યો રે મેં તો

                         મનડાંનાં  એક  એક  ગોખે!

       મને જોવાને આવ્યો ત્રિભુવનનો નાથ એવું

                         આંગણિયે લોક મને પોંખે!

લીમડાની ડાળ ડાળ મ્હોરી  કે  બાવરો ચાંદો ઝૂક્યો!

                 કે સખી! મારો બાવરિયો ચાંદો ઝૂક્યો! …

મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!…….

                રે સખી! મારા આભલિયે ચાંદો ઊગ્યો! …

•

-3-

ઉઘાડે માથે ..

ઉઘાડે માથે હું શેરીમાં નીકળું ને ખોંખારો ખાય ચોરો ઈચ્છું એવું!…

ખોંખારે  ખોંખારે  ઠેસ મને  લાગે  ને  સૈયર  કહે રે મને કેવું કેવું?…

ઓસરીની થાંભલીના ટેકે ઊભી ને જોઉં જર્જર ભીડાયેલી ડેલી!

હમણાં આવીને મને કહેશે રે સૈયર કે માણીગર આવ્યો થા ઘેલી!

આંખ્યુંમાં એક્કેયે આંસુ નથી ને તો ય કાજળ લૂછું રે કેમ જેવુંતેવું….

ખોંખારે ખોંખારે  ઠેસ  મને  લાગે  ને સૈયર  કહે રે મને કેવું કેવું?…

ચિઠ્ઠી  લખીને  ભૂંસુ, ભૂંસીને  ફરી  લખું  એવું  કાં અંદરથી થાતું?

આડી પડું તો મારું મનડું ખિલખિલ થૈ વ્હાલમનું ગીત‌ અહીં ગાતું!

એકલડી ઝૂરુ ને લાજી મરું રે મારે કોઈથી કશુંય નથી લેવું દેવું!…

ખોંખારે  ખોંખારે  ઠેસ  મને  લાગે ને સૈયર  કહે રે મને કેવું કેવું?…

•

-4-

ઊંડતા પારેવડાની પાંખો

સખી! તારી આંખોને લોકો સહુ કહેતા હતા કે,

       એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો

હું તો કહું છું તારી આંખો છે મારે મન, 

                ઊડતા પારેવડાની પાંખો! 

મળવાના કૉલ તારે દેવા જો હોય 

                તો મેના-પોપટથી કહાવજો

શેરીમાં મળવાનું થાય તો આ આંખોથી

                છાનાં ઈશારા વહાવજો  

સખી! તને મારા સોગંદ અગર  મનની વાતોને

          ગળે ટૂંપો દઈને હવે રાખો રે રાખો

     એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો

છલકાતી ગાગર ને ભીંજાતી ચોળીઃ

                 તમે એવી તે કેવી લાજ કાઢી

કે ખેતરને શેઢે તમને જોતાં રે વેંત અમે

                નજરું ઢાળી ને દીધી વાઢી

આંખોના ચેનચાળા સમજી ન શકીએ કંઈ

મનડાને મીઠા રે બોરાંની જેમ તમે ચાખો..

      એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો

•

-5-

એક છોકરી

એક રૂપાળી છોકરી મને ફૂલ ધરી ગઈ       

         ભૂલભૂલમાં કે વ્હાલમાં

                         એની ખબર ક્યાં છે?…

લાભેશુભેથી  ભીંતે લખેલા રેલાણા રે

           ઘર બધાએ નદીઓના રે વેશે!

શ્વાસોમાં ઊછળતો દરિયો હાંફતો

        ખેંચી જાય છે  મને પરીઓના

                                       કોઈ દેશે!..

હૈયા સરસું ફૂલને સૂતા જાગતા રાખ્યું

            મદમાતી હર ચાલમાં

                         એની ખબર ક્યાં છે?…

ઝાંઝરિયુથી રણકે સૂની શેરીયું એ     

        પનિહારીઓના હર પગલે પગલે

                                  તળાવ જાગે!

ઝાકળ જેવા સમણાઓ બેચાર 

      સરકતા જળમાં ત્યારે કમળથી કાં

                                    વમળ ભાગે?

મારામાંથી મુજને લઈ જાય છે ક્યાં 

                   આજ – કાલમાં

                         એની ખબર ક્યાં છે?… 

•

-6-

એક પાન લીલું

આંગણની ડાળમાં છે એક પાન લીલું!

અંબરથી  ધોધમાર  વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!…

ચારેકોર  ઊભું  છે  લીલુંછમ  વન  હું તો  એકલડું સુક્કું રે ઝાડ!

દૂર દૂરથી  મુંને   તાકીને    સંતાતા     વાદળમાં    કેવા   પહાડ!

આસપાસમાં અહીં કોઈ નથી બાઈ! હું તો સપનાં જોઈને રે ખીલું!..

અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!…

ખળખળતા ઝરણાંને કાખમાં લિયે છે રે અહીં તહીં ઊભું આકાશ!

વૈશાખી  વાયરાના  વેગીલા  તોરમાંથી  ઝંખું  હું  હરપળ ભીનાશ!

આષાઢી  લાગણીના  એકાદા વરતારે જીવતર થઈ જાયે રંગીલું!…

અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!….

•

-7-

કરવી નથી રે જાતરા …

શિયાળુ સવારના કુમળા આ તડકાઓ લાગે છે કેમ અહીં આકરા?

ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…

ચકાનો હાથ ઝાલી ચકી આવી છે મારા ફળિયામાં ચણવાને ચણ!

આભે અકારો થઈ વેરે સૂરજ એની ખફગીની સહુને સમજણ!

મનમાં ને મનમાં  હું  મલકું  ને  ખેરવે  છે માથા પર કેસુડો વાયરા!…

ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…

ટપટપ ટપ એક પછી એક ખર્યાં પાંદડાંને લિલ્લેરી ડાળ કેમ સાંધે?

ક્રાઉં ક્રૌઉં વચ્ચે ક્યાં એકકેયે ટહુકો મારી ચૂંદડીના છેડલાને બાંધે?

ઉંબરા ભરોસે ઘર  રેઢું  મૂકીને  ક્યાંય  કરવી  નથી રે મારે જાતરા!…

ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…

•

-8-

કરશું રે પ્રીત   

ચારેપા ભીંતો છે ભીંતો છે ભીંત!..

બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને

                     કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…

કલબલતી ડાળોમાં ઝાકળ આવીને આજ

                      કળીઓની પાંપણને ખોલે!

એક પછી એક એક ડોલંતી પાંદડીઓ,

                         પવન સાથે રે કૈંક બોલે!

ખળખળતાં ઝરણાં પર ભૂરા રે આભનું

                    વરસે છે હેત એની નોખી રે રીત!…

બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને

                      કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…

આખીયે રજનીમાં ચાંદનીથી વાત કરી

                      નેવાં સૂરજ ને જગાડતા!

ઓસરીમાં ગોટમોટ પોઢ્યા અંધારને તો

                    ટમટમતા દીવડા ભગાડતા!

બારીએ  બેઠેલું  લહેરે  પારેવડું  રે

                  તરસે છે આજ ભીનું ભીનું સંગીત!…

બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને

                      કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…

ચારેપા ભીંતો છે ભીંતો છે ભીંત!…                    

•

-9-

કાનમાં કહેવું શું રે?

કાનમાં કહેવું શું રે સજન એટલા ક્યાં છો દૂર?

છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!…

ફળિયે બેસી એમ વિચારું તાકતી મને કેમ હવે આ ઓસરી પળેપળ?

અજવાળાની આંગળી ઝાલી નીકળી પડું સાવ રે ડેલી સોંસરી પળેપળ!

ભરબપોરે ઘેન ચડે ને નવરાશે હું લથબથ ભીનાં સપનામાં ચકચૂર!

છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!….

અંતરિયામાં વાંસળી સાથે હાથતાળી દઈ જાય છે કેવું સાંજલ ટાણું!

સાવ બસુરું તરબતર નભ હોય એમાં ક્યાં છેડવું મારે પ્રીતનું ગાણું?

આભલું પણ મલકીને અહીં કંઈ ન કહે કેવળ છેડે આતમ ભીના સૂર!

છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!

•

-10-

કેમ હરિ ના બોલે?

બોલાવું  પ્રેમે  જો આજે  કેમ  હરિ ના બોલે?

મનડું  મારું  નાહકનું  શું  એમ  મૌનમાં  ડોલે!…

એના પગલે પગલે શોધે

                મંઝિલ મારગ મારો!

હેતે  હેતે સાંધું  ડગલો

                જીવતરનો પરબારો!

ઝાકળ ન્હાતી કળીકળીઓ ઊડવા પાંખો ખોલે!..

મનડું   મારું   નાહકનું   શું  એમ  મૌનમાં  ડોલે!…

લીલાં વનનાં સૂડાને શીદ

                  સૂનો વગડો લાગે?

પાન ખર્યાંની વેળા જંગલ

                  દઝાડતી કાં આગે?

સુખદુઃખની હર પળેપળો તો ચડી ગઈ છે ઝોલે!..

મનડું   મારું  નાહકનું   શું  એમ  મૌનમાં  ડોલે!…

•

-11-

કોરી પાંપણે વરસાદ

કોરી પાંપણે પડ્યો વરસાદી છાંટો!

કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..

         એકલતા પજવે દિનરાત મને એવી કે

                            મેળો પણ લાગે અકારો!

          પળે પળે વ્હાલમને યાદ કરી ઝૂરું શું

                     આમ જ આ વીતશે જન્મારો?

          રોજ રોજ જોઉં મારી કોરી હથેળિયું  તેં     

                 સખીયું ને કેમ કહું મહેંદી રે વાટો?…..

કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું  દખડાનો પાટો?…..

           ગાતાં પવનનું ગીત વાયરાના હોઠોથી

                            કેમ કરી આંચકું રે બોલો?

           હું તો બજારે આજ નીકળી છું વેચવાને

                          દખનાં એંધાણ તમે તોલો?

           કમખાના મોરલા જો ગમતીલું બોલે તો

                પૂરો થૈ જાય મારા જીવતરનો આંટો!….

કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ચાર ગઝલ

સાહિલ|Poetry|11 November 2023

(1)

અમે ડૂબી જવા કૂદ્યા અને દરિયો તરી બેઠા

અને જખ્મી કરી ગઈ એ જ પળને ઓતરી બેઠા 

ઘણાં વર્ષો પછી આજે અચાનક એમને જોયા

ફરી વર્ષો પછી રૂઝ્યા જખમને ખોતરી બેઠા 

હવે શી રીતે ઓઝલ અમારાથી થઈ શકશો

હવાની આંખમાં ચહેરો તમારો કોતરી બેઠા 

નથી ચાલ્યાં કદીયે આંગણાથી દૂર ડગલુંયે

છતાંયે જાતને ક્યાં ક્યાં અમારી જોતરી બેઠા 

જખમની સાથ સાહિલ જીવતાં શીખી જવું પડશે

અમે ખુદ સામે ચાલી ખંજરોને નોતરી બેઠા

(2)

મારા જ હાથે રાત ‘દિ ખાલીપા ઠાલવ્યા

પાછા વળી મેં જીવની માલીપા ઠાલવ્યા 

પૂછી રહી છે ઘરની દિવાલો મને હજી

કે ટેરવાંમાં કોણે આ ઓળીપા ઠાલવ્યા 

અંધાર ઓઢી બેઠા છે જનમોજનમથી જે

મેં એવાં ઓરડાઓ મહીં દીપા ઠાલવ્યા 

વર્ષોથી સામસામે છીએ આપણે પછી

કોણે મિલનના માર્ગમાં ખોટીપા ઠાલવ્યા 

સાહિલ મેં છિન્ન સ્વપ્નને પાંપણની પાળથી

ઓલીપા ઠાલવ્યા કદી આણીપા ઠાલવ્યા 

(3)

પરિણામ એક સરખા મળ્યા અમને પ્રીતમાં

છે જીત હારમાં અને છે હાર જીતમાં 

એ બાગ એ ઘટા અને એ મૌન બાંકડો

જોઈ બિચારો જીવ સરે છે અતીતમાં 

મન મારીને રહેવું પડે છે તો ય સર્વને

જીવ્યાં છે કોણ ચૈનથી દુનિયાની રીતમાં 

ના કેમ થાબડું કવિની પીઠને કહો

જખ્મીને જે ઉતારે છે સૂરીલા ગીતમાં

સાહિલ મેં કાંચળીને ઉતારી નથી હજી

શું એટલે ગણાયો છું હું યે પુનીતમાં 

(4)

હાથવા હોવા છતાં પણ હાથમાં આવ્યા નહીં

જેમને અંગત ગણ્યા એ આથમાં આવ્યા નહીં 

એમના અવતારને અવતાર માનું કેમ હું

નામ જેઓના સમયની ગાથમાં આવ્યા નહીં 

હાથ ફેલાવી વીતાવ્યો બાગમાં મનખો છતાં

એક બે વાસી ફૂલો પણ બાથમાં આવ્યાં નહીં 

જિંદગાનીની સફરમાં સેંકડો આવ્યા છતાં

કોઈ મનગમતાં ઉતારા પાથમાં આવ્યા નહીં 

શ્વાસની જેમ જ રહ્યા જે સાથ સાહિલ ઉમ્રભર

એ ય પણ અંતિમ સફરમાં સાથમાં આવ્યા નહીં 

નીસા 3/15 દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com

Loading

...102030...935936937938...950960970...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved