Opinion Magazine
Number of visits: 9560749
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરીબોનો ઈશ્વર 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|17 October 2023

પ્રીતમ લખલાણી

વાતને આગળ ચલાવતાં તે બોલી, ‘પાંડુભાઈની રેસ્ટોરન્ટ પર એક ફકીર જેવો માણસ રોજ બેઠો રહેતો હતો. તેનું નામ શંકરદાદા હતું.’

શંકરદાદાનું નામ સાંભળતા સંકેતે તેને અઘવચ્ચેથી બોલતી અટકાવીને કહ્યું : ‘અરે! શંકરદાદા તો મારા એક ખાસ વડીલ બંઘુસમા હતા.’

‘બાબુજી, હું તે જ બાબાની પાલક પુત્રી શયદાબાનુ છું.’ સંકેતની આંખોમાં શંકરદાદાની એક પ્રેમાળ છબિ તરવા માંડી.

શંકરદાદાને ભલા કોણ ઓળખતું ન હતું! તે દીનદુખિયાનો બેલી, ગરીબોનો ઈશ્વર. ફકીરના લિબાસમાં તે એક શહેનશાહ હતા. તેમની ધાક આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં કયાં ય સુઘી ફેલાયેલ હતી. વસ્તીમાં હર કોઈ દાદાના સંબોઘનથી બોલાવતું. દાદા પણ એટલી જ પ્રેમાળ આંખે દરેકને માન-મોભાથી જોતા. આજ સુઘી સંકેતને સમજાતું નથી કે દાદાનો ધંધો દારુનો કેમ હતો? સંકેતે તેની ત્રીસ વર્ષની જિંદગીમાં શંકરદાદાના પીઠા પર કયારે ય કોઈ જાતની ધાંધલધમાલ કે કોઈ આલતુફાલતુ લફરાં જોયાં નથી.

પીઠાની સામેના પીપળા હેઠે દાદા ખુરશી નાખીને સવારથી સાંજ સુઘી બેઠા હોય. આસપાસના ગરીબ દુખિયા દાદા પાસે કોઈને કોઈ કામ માટે આવીને સલાહસૂચન માંગતા હોય. શંકરદાદાના પીઠાનો કાનૂન આજુબાજુના દારુવાળા કરતાં સાવ જુદા જ પ્રકારનો. સાંજે આઠના ટકોરે દાદાનું પીઠું બંઘ થાય. પછી ગમે તે શહેનશાહ આવે તો પણ તેને દારુ ન મળે. ઘરાક જો દાદાના માણસો સાથે રકઝક કરતો દેખાય તો દાદા ખુરશી પરથી હાક મારે ‘ચાલ ભાઈ, રસ્તો પકડ.’ શંકરદાદાના પીઠામાં ઘરાકે મર્યાદામાં રહીને પીવું પડે. જ્યારે દારુ ઘરાકને પીવા માંડે ત્યારે પૈસા આપતાં પણ દારુ ઘરાકને ન મળે. દાદાનો હુકમ છૂટે, ‘ચાલ, બહુ થયું, હવે સીઘો ઘર ભેગો થા.’ પીઘેલા ઘરાકે પછી કયાં ય આડેઅવળે રસ્તે જવાને બદલે સીઘો ઘરનો જ માર્ગ પકડવો પડે. ભૂલેચૂકે ભાઈ પીધેલ હાલતમાં ગમે ત્યાં જઇને ધાંધલધમાલ કરે તો બસ પછી દાદાનું કોલ્હાપુરી ત્રણ ઈંચ સોલવાળું ચંપલ અને તેનું નસીબ!

કયારેક કોઈ મા-દીકરી રડતી ક્કળાટ કરતી દાદા પાસે ફરિયાદ લઈને આવે કે પતિ કે દીકરો છોકરાના દૂઘના પૈસા તમારે પીઠે આવીને દારુ પીવામાં વાપરી નાખે છે, તો આજુબાજુની વસ્તીમાં દાદા તરફથી આરોપીના નામનું તાત્કાલિક વૉરંટ છૂટે. તાબડતોબ આરોપીએ ગમે તે સમયે દાદાની અદાલતમાં હાજર થવું પડે. એકવાર ભાઈ સાહેબ દાદાના દરબારમાં હાજર થાય એટલે દાદા તેની પદ્ઘતિ પ્રમાણે કેસ ચલાવે. આરોપીએ પૂછાતા સવાલનો જવાબ ફકત ‘હા’ અથવા “ના”માં જ આપવાનો હોય. દાદા પાસે ખાસ કોઈ દલીલનો અવકાશ નહીં ફકત બે-ચાર સવાલ-જવાબ બાદ દાદા ગુનેગારને તેના ગુના પ્રમાણે ધોલધપાટ કરી ભાઈસાહેબને સમજાવી, ધમકાવી બે-ચાર શિખામણ આપી તેને તે દિવસે દારુ આપ્યા વિના ઘરે તગડી મૂકે. મહિનાઓ સુઘી દાદા તેમ જ તેના માણસો તે વ્યકિત પર નજર રાખે. દાદાને જ્યારે એના ઘરેથી તેના સુઘારાનો સાચો રિપોર્ટ મળે પછી જ તેની સજામાં કંઈક ઘટાડો થાય, નહીંતર સવાર-સાંજ ગુનેગારે દાદાની અદાલતમાં હાજરી આપવા અચૂક આવવું પડે.

દાદાની યાદે સંકેતે એક નજર શયદાબાનુ સામે નાખી તેનો ભૂતકાળ સંકેતની આંખ સામે તરવા માંડ્યો.

શયદાબાનુ લગભગ બે-ચાર વર્ષની હશે ત્યારે તેનાં માતપિતા કોલ્હાપુરમાં પ્લેગની ભયંકર બીમારીનો શિકાર બનતાં અલ્લાહમિયાંને પ્યારા થઇ ગયાં. શયદાનું પરિવાર શંકરદાદાનું પડોશી હતું. માબાપે મરતાં પહેલાં આ માસૂમ બાળકીનો હાથ શંકરદાદાને સોંપ્યો. દાદાને કોઈ સંતાન ન હોવાથી તેને આ બાળકીને પોતાના હ્રદયના ટુકડા સમી પ્રેમથી જતન કરી પોતાનું વહાલુ સંતાન ન હોય એટલાં લાડકોડથી ઉછેરી.

કોઈ રાતે સંકેત અને તેના મિત્ર વિનોદ પટેલ ગામદેવી લેનના બગીચામાં સિગારેટના કશ લેતાં અલકમલકની વાતો કરતાં બેઠા હોઈએ ત્યારે તેમને શયદાબાનુનો ભેટો અચૂક થઈ જતો.

શયદાનું નેહ નીતરતું રૂપ ભલભલાને પાગલ કરી દેતું. જેવી તે બગીચામાં પ્રવેશતી ત્યારે પવન વસંતની મહેક થઈને તેની આસપાસ ઘુમરાતો. તેના આગમનની ખબર બાગમાં ચારે બાજુ કરી દેતો. કાજળ ભરેલ તેની ચકોર આંખો, લાંબા ઘટાદાર કાળા વાળ, ગળામાં લટકતું માદળિયું અને હાથમાં લહેરાતી ખમ્મીશ કુરતાની ઓઢણી … અને તેનાં ઝાંઝરની તો વાત જ શી કરવી! બગીચામાં ડાળે ડાળેને પાંદડે પાંદડે પોઢેલ ફૂલ પતંગિયાંને સ્વપ્નમાંથી જગાડતાં જોઈને સંકેત વિનોદભાઈને કહેતો કે આ છોકરીને જ્યારે પણ જોઉં છું ત્યારે મને જીસ દેશ મે બહીતી ગંગાની પહ્મિનીની યાદ અપાવે છે. વિનોદભાઈ સંકેતને હસતાં હસતાં કહેતા, ભલા ઘેલા, તું એમ કહે કે પહ્મિની આ ભોળીભટાક છોકરી સમી લાગતી હતી …..

શયદાનું રૂપ જેટલું માદક હતું એવું જ તેનું મન રૂપલે મઢેલ આભના નિખરતા તારલા સમું ભોળું હતું. આ ભોળીભટાક શયદા જ્યારે વીફરતી ત્યારે રણચંડી બની જતી.

એક રાતે બગીચામાં શયદાને એકલી ફરતી જોઈને પાસેની દરગાહના યુવાનિયાનું એક ટોળું દૂરથી ચેનચાળા કરતું તેને પજવતું બગીચામાં પ્રવેશ્યું. ત્યારે આ જોગમાયા મોઢેથી આગ વરસતી વીજળીના ગોળા જેવી બબ્બે કટકા ગાળો કાઢતી હાથમાં ખુલ્લી તલવાર સમી લાંબી લોઢાની સાંકળ ઝુલાવતી, વાઘણ સમી છોકરાની પાછલ છલાંગ મારતી દોડી.

છોકરાઓ જીવ બચાવવા, પડતા આખડતા, બગીચાની વાડ કૂદતા ભાગ્યા. છોકરાઓની યુવાની પર થૂકતી, આખો બગીચો સાંભળે તેમ તે બરાડી ઊઠી, ‘ભડવાઓ, કયારેક મારા હાથમાં તમે એકલા આવી ગયા ને તો દીકરાવ, તમને જો તમારી નાની યાદ ન કરાવું તો મારું નામ શયદાબાનું નહીં.’

‘શયદા, હું તને હવે બરોબર ઓળખી ગયો. મને સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે તું આટલી મોટી થઈ જઈશ.’ સંકેતથી તેને પૂછાઈ ગયુંઃ ‘અરે! અમારા શંકરદાદા આજકાલ શું કરે છે?’ સંકેતના સવાલ પર તેની આંખોમાંથી ટપ ટપ આંસુ ટપકવાં માંડ્યાં.

થોડીવાર ખામોશ રહ્યા બાદ તે રૂંઘાતે સ્વરે બોલીઃ ‘દાદા, તો છ-સાત વર્ષ પહેલાં આ જગતમાંથી ચાલ્યા ગયા. આ દુનિયામાં મારે દાદા સિવાય કોણ હતું?

‘શયદા, તું દિલ નાનું ન કર. જેનું કોઈ નથી હોતું તેનો અલ્લાહ હોય છે.’ તેમની વાતચીત ચાલતી હતી એટલામાં તેનો નાનો દીકરો ઋષિ કયાંકથી દોડતો આવી તેમની વચ્ચે ટપકી પડ્યો.

‘અમ્મી, અમ્મી, મારા અબ્બુ તમારી કયારના ઘરે રાહ જુએ છે. તેમને બહાર જવાનું મોડું થાય છે.’  બાંકડેથી ઊભા થતાં સંકેતે શયદાને કહ્યુંઃ ‘ઘણાં વરસો બાદ જાણે હું કોઈ મારા સ્વજનને મળ્યો હોઉં એટલો આનંદ તને મળીને થયો. અલ્લાહની ઈચ્છા હશે તો ફરી ક્યારેક પાછાં મળીશું.’

‘અરે! ભાઈ સાહેબ, તમે પણ કમાલના માણસ છો! કેટલાં વરસો બાદ આપણે મળ્યાં. શું હું તમને મારા ઘરનો દરવાજો બતાવ્યા વિના એમ જ પાછા ઘરે જવા દઈશ? તમારે બે-પાંચ મિનિટ માટે પણ મારે ઘેર આવવું જ પડશે!’ આ પ્રમાણે સંકેતને કહી તેણે તેના દીકરા ઋષિને હુકમ કર્યો, ‘તું મામાનો હાથ પકડી આપણે ઘરે લઈ આવ.’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

મતપત્રક રવાના

તન્મય તિમિર|Opinion - Opinion|17 October 2023

નાનાં નાનાં માણસોના

મોટા મોટા ઈગો હર્ટ થવાના,

કારણકે મતપત્રક રવાના.

પેલા કવિ ને પેલા વાર્તાકાર

માત્ર શબ્દો આમતેમ થવાના,

કારણકે મતપત્રક રવાના.

હું જ કાગળ અને હું જ કલમ!

ઘેર ઘેર લખવા જવાના;

હારશે એના ભાવ ઘટવાના

ને જીતશે તેના વધવાના;

કારણકે મતપત્રક રવાના.

મતોની જ બધી રામાયણ છે!

પેલાના હાતસો ને મારા તૈણસો જ?

કવિઓએ સાથ ન આપ્યો

ને જોડે રહીને હરાવવાના,

કારણકે મતપત્રક રવાના.

ભાષા અને સાહિત્ય નેવે મૂકી,

સત્તાના ગુણગાન ગવાવાના!

હું મંત્રી ને તુ મહામંત્રી,

વહેંચીને રાજ ચલાવવાના;

માત્ર શબ્દો આમતેમ થવાના,

કારણકે મતપત્રક રવાના.

(ગુજરાતી સાહિત્ય પરિષદ ચૂંટણી… ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩)
સૌજન્ય : તન્મયભાઈ તિમિરની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

ચાલો, હરારી પાસે -34 : શું ‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણી શકીએ? 

સુમન શાહ|Opinion - Opinion|17 October 2023

ફ્રૅન્ચ ફિલસૂફ ઝાં-ફ્રાન્સ્વા લ્યોતાર એવો દાવો કરે છે કે આધુનિક સમયનાં ઍન્લાઇટન્મૅન્ટ, માર્ક્સિઝમ, અને ક્રિશ્ચ્યાનિટી વગેરે ગ્રાન્ડ નૅરેટિવ્ઝ અથવા મૅટાનૅરેટિવ્ઝ  – મહાવૃત્તાન્તો – આ પોસ્ટમૉડર્નિસ્ટ – અનુઆધુનિક – સમયમાં ઝાઝાં વિશ્વસનીય નથી રહ્યાં. એમનું મન્તવ્ય છે કે એ નૅરેટિવ્ઝ અત્રેતત્રે રજૂ ભલે થાય છે, પણ તે અતિ સરળ અને વિભાજનકારી છે તેમ જ માનવઅનુભવના વૈવિધ્યને લક્ષમાં નથી લઈ શકતાં, નિષ્ફળ જાય છે.

એ નિષ્ફળતામાં લ્યોતાર ટૅક્નોલૉજિકલ પ્રોગ્રેસને, અધિકૃત પરમ્પરાઓના પતનને તેમ જ અનેકવચનીય વિચારધારાઓના ઉદયને કારણભૂત ગણે છે.

મને એમની વિચારધારાના બે મુદ્દા અત્રે પ્રસ્તુત જણાયા છે :

એક મુદ્દો ભાષાનો છે. વૃત્તાન્ત, વાર્તા કે કથા, ભાષા દ્વારા કહેવાતાં હોય છે, એથી વિવિધ ભાષા-લીલા સંભવે છે, લૅન્ગ્વેજ ગેમ્સ. એને કારણે પણ મહાવૃત્તાન્તો સફળ નીવડવાની સંભવિતતા વધી જાય છે. જે તે જ્ઞાનક્ષેત્રમાં પ્રવર્તતાં વિધાનો ભાષાના નિયમોને અનુસરવાથી જનમ્યાં હોય છે. મતલબ, વૃત્તાન્તો ભાષાના નિયમન હેઠળ આવી ગયાં હોય છે. ભાષા પ્રયોજવાની અમુક નવી પદ્ધતિને કારણે જ્ઞાનમાં વૃદ્ધિ કરનારાં નવાં વિધાનો જનમે છે બલકે એ વિધાનોની કે તે વડે સૂચવાતાં સત્યની પ્રમાણભૂતતાનો પ્રશ્ન પણ નથી રહેતો.

લ્યોતારનું મન્તવ્ય છે કે અનુઆધુનિક સ્થિતિ-પરિસ્થિતિમાં આવી અનેકવિધ ભાષાલીલા જોવા મળે છે. એથી બે પરિણામો આવે છે, તમે એક સત્યની બીજા સત્ય જોડે તુલના નથી કરી શકતા, કેમ કે બન્ને સરખેસરખાં પૂર્ણ ભાસે છે, અને કોઇપણ સત્યને સાર્વત્રિક ઠેરવવાનું કે નહીં ઠેરવવાનું તમારા માટે કઠિન થઈ પડે છે.

એક મહત્ત્વનો મુદ્દો લ્યોતાર એ રજૂ કરે છે કે મહાવૃત્તાન્તોને સ્થાને સ્મૉલ કે માઇક્રો નૅરેટિવ્ઝની – લઘુ વૃત્તાન્તોની – રચનાઓ કરી શકાય છે, બહુવચનીય રીતની વિચારધારાઓ સરજી શકાય છે.

લઘુ વૃત્તાન્તની વિશેષતા એ છે કે માણસના જીવનની સુવ્યાપ્ત વાત કરવાને સ્થાને એ અવ્યાપ્ત અને મર્યાદિત વાત કરે છે; વિશ્વમાનવનની નહીં પણ માનવની વાર્તા માંડે છે, એ વાર્તા યુનિવર્સલ નહી પણ લોકલ હોય છે. ટૂંકમાં, એ આપણા વડે કહેવાતાં આપણા વિશેનાં આપણાં વૃત્તાન્ત હોય છે. એથી સીધી હેતુસિદ્ધિ થાય છે, એમાં ભાષિક વ્યાપારો ઝાઝા નથી હોતા. લ્યોતાર લઘુ વૃત્તાન્તોનું જરા જેટલું ય ઓછું મૂલ્ય નથી આંકતા.

“The Postmodern Condition : A Report on Knowledge” (Tr. by Geoff Bennington and Brian Massumi) -માં લ્યોતારે ગ્રાન્ડ નૅરેટિવ વિશે કરેલું આ વિધાન સુવિદિત છે :

A grand narrative is a totalizing narrative that provides a comprehensive and unified view of reality, and explains the meaning and purpose of human life. 

લ્યોતારનો આ ગ્રન્થ ફ્રૅન્ચમાં ૧૯૭૯-માં અને આ અનુવાદ ૧૯૮૪-માં પ્રકાશિત છે. તે દરમ્યાન, અને તે પછી, ‘એ.આઈ.’ નિરનન્તર વિકસતું રહ્યું છે. એ જોતાં, મને સવાલ થયો છે કે શું આપણે ‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણી શકીએ -?

‘એ.આઈ.’ મારી દૃષ્ટિએ ગ્રાન્ડ નૅરેટિવનાં ઘણાં લક્ષણો ધરાવે છે. ‘એ.આઈ.’ આપણે જોયું છે કે સર્વગ્રાહીતા અને સમ્પૂર્ણતાની દિશામાં ધપી રહ્યું છે. માનવજીવનની દૃશ્યમાન વાસ્તવિકતામાં એ એક અપૂર્વ અને અપ્રતિમ વાસ્તવિકતા રૂપે ઉમેરાઈ ગયું છે, ખાસ તો એ, વર્ચ્યુઅલ અને ઍકચ્યુલ રીયાલિટીઝ વચ્ચેના ભેદ ભૂંસી રહ્યું છે.

પરિણામે, માણસની ખાણીપીણી, પહેરવેશ, એકબીજા સાથેનો સંદેશાવ્યવહાર, વગેરે જીવનશૈલી ઘણી પ્રભાવિત થઈ રહી છે. જીવનના દરેક સંવિભાગમાં અવનવા સંકેતકો અને સંકેતાર્થો સરજાતા જાય છે, અને એ દિશામાં માણસ ખુશી ખુશી જઈ રહ્યો છે.

‘એ.આઈ.’ આજે વિશ્વને જોવાની નૂતન દૃષ્ટિ અર્પી રહ્યું છે. માણસ સહજોપલબ્ધિ અને સ્વાનુભવે વિશ્વને જોતો-પામતો હતો, પણ એની એ રીઢી ટેવને ડેટા અને ઑલ્ગોરીધમ્સથી ઘડાયેલી દૃષ્ટિમતિએ બદલી નાખી છે. ‘એ.આઈ.’ આપણી શારીરિક અને જ્ઞાનવિષયક મર્યાદાઓથી ઊભી થયેલી જીવનવિષયક રૂઢ સમજને પણ બદલી રહ્યું છે. સમાજની પણ નવરચના થઈ રહી છે. ઉદ્યોગો સાથેની પ્રવર્તમાન સિસ્ટમ્સમાં બદલાવ આવી ગયા છે; એને પરિણામે નૈપુણ્ય અને ઉત્પાદનોમાં વૃદ્ધિ થઈ રહી છે.

વધારે ચૉંકાવી મૂકે એવી હકીકત એ છે કે ‘લાર્જ લૅન્ગવેજ મૉડેલ્સ’ વિશ્વની અનેક ભાષાઓના ડેટા વડે તાલીમ પામી રહ્યાં છે. દાખલા તરીકે, GPT-3 ૧૭૫ બિલિયન શબ્દોના ડેટાસૅટથી તાલીમ પામી રહ્યું છે. એમાં ૨૦૦થી વધુ વિશ્વ ભાષાનાં પુસ્તકો, લેખો, કોડ્સ વગેરેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, LaMDA ૧.૫૬ ટ્રિલિયન શબ્દોના ડેટાસૅટથી તાલીમ પામી રહ્યું છે. એમાં પણ દુનિયાભરની ૨૦૦ ભાષાઓની સામગ્રીનો સમાવેશ થાય છે.

એટલે સંચિત સાહિત્યો, ધર્મપરક વૃત્તાન્તો, પુરાણગાથાઓ, મહાત્માઓ અને મનીષીઓના ગ્રન્થો વગેરે માનવ-સંસ્કૃતિમાં સરજાયેલા તમામ ડેટાના નિર્મર્યાદ જથ્થાથી એ મૉડેલ્સ બળવાન બની રહ્યાં છે, તેના વિવિધ વિનિયોગ માટેનાં વિવિધ ઑલ્ગોરીધમ્સ વિકસી રહ્યા છે.

પરન્તુ, એને પરિણામે, સંસારમાં નવ્ય વિચારધારાઓ નહીં, પણ ટૅક્નોલૉજિઝ અને ટૅક્નોલૉજિઝને કારણે નવ્ય વસ્તુઓનો જ વસ્તુસંસાર વિસ્તરી રહ્યો છે.

વસ્તુઓ પાસે શબ્દાર્થો દેખીતું છે કે ગૌણ ભાસે. અને ‘એ.આઈ.’-ની સત્તાએ કરીને ભાષિક અર્થની ધૂંધળાશ ઘટી રહી છે, મનુષ્યજીવનના અર્થ કે હેતુ વિશેના પ્રશ્નોની તીવ્રતા પણ ઘટી રહી છે; એને સદ્દનસીબ ગણવું કે કમનસીબ એ પ્રશ્ન ઊભો રહે છે, પણ એ જુદી ચર્ચાનો વિષય છે.

આપણે કલ્પના કરીને વિચારવું જોઈશે કે એ સંજોગોમાં સાહિત્ય અને કલાઓનું શું સ્વરૂપ ઘડાયું હશે, ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ કેવુંક ઘડાયું હશે.

આ પછી, ‘ચાલો, હરારી પાસે’ લેખશ્રેણીનો અન્તિમ લેખ રજૂ કરીશ. 

= = =

(10/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...895896897898...910920930...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved