Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા

સોનલ પરીખ|Opinion - Opinion|14 July 2025

મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા 

તુમ જો મેરે દિલ મેં હંસે દિલ કા કમલ દેખો ખિલ ગયા 

યે ભીગતી હુઈ ફિઝા, બરસ રહી હૈ ચાંદની

તારોં ને મિલ કે છેડ દી, મધુર મિલન કી રાગિની 

લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા 

જિસપે ચલ રહે હૈં હમ હૈ પ્યાર કા યે રાસ્તા 

ચાંદ ઔર સિતારોં કા, બહાર કા યે રાસ્તા 

લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા 

મેરે સુહાને ખ્વાબ સી તુમ મેરે સામને રહો 

ઐસી હસીન રાત હૈ દિલ કહે સહર ન હો 

લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા

આ પહેલાના લેખમાં મેં લખેલું કે ગીતા દત્ત પાસે ‘અનુભવ’ ફિલ્મનાં ‘મુઝે જા ન કહો મેરી જાં’ અને ‘કોઈ ચૂપકે સે આ કે’ ગીત ગવડાવનાર સંગીતકાર કનુ રૉય ગીતા દત્તના ભાઈ હતા. સોરી, એ મારી ભૂલ હતી. ગીતા દત્તના ભાઇનું નામ કનુ રૉય નહીં, મુકુલ રૉય હતું. મુકુલ રૉય પણ સંગીતકાર હતા. એમણે ગીતા દત્ત પાસે કેટલાંક સુંદર ગીતો ગવડાવ્યાં હતાં, જેમાંના એક સદાબહાર ગીત ‘મુઝકો તુમ જો મિલે’ને આજે માણીશું. ગીતકાર હતા શૈલેન્દ્ર, ફિલ્મ હતી ‘ડિટેક્ટિવ’. એમાં ગીત દત્ત ઉપરાંત હેમંતકુમારનો કંઠ હતો. 

‘આરાધના’ અને ‘અમર પ્રેમ’ જેવી ચિરસ્મરણીય ફિલ્મો આપનાર શક્તિ સામંતે શરૂઆત સસ્પેન્સ થ્રીલર્સથી કરી હતી. 1957માં એમણે ‘શક્તિ ફિલ્મ્સ’ની સ્થાપના કરી. પછીના વર્ષે એમની બે ફિલ્મો રિલિઝ થઈ, ‘ડિટેક્ટિવ’ અને ‘હાવડા બ્રિજ’. પહેલી ફ્લોપ, બીજી અત્યંત સફળ. ‘ડિટેક્ટિવ’માં આઠ ગીતો હતાં જેમાંથી પાંચ ગીત દત્તે ગાયાં હતાં. ફિલ્મ રજૂ થઈ ત્યારે ગીતા દત્ત માંડ અઠ્ઠાવીસ વર્ષની હતી. ‘મુઝકો તુમ જો મિલે’ શાંતિથી સાંભળીએ તો મુકુલ રોયની ધૂન પર હેમંતકુમારના કંઠની ગહનતા સાથે ગીતા દત્તના કંઠની મીઠાશનું જે મધુર સંયોજન રચાય છે તેનો ખ્યાલ આવે. આજે પણ આ ગીત તાજુંમાજું અને મસ્તમીઠું લાગે છે એનું કારણ એ ધૂન અને એ કંઠનું કામણ છે.

મુકુલ રૉય ગીતા દત્તના પ્રતિભાશાળી ભાઈ, સંગીતકાર અને પ્રોડ્યુસર. એમનો ઘોષ રૉય ચૌધરી પરિવાર બ્રિટિશ ભારતના બંગાળના ફરીદપુર જિલ્લાના એક ગામનો શ્રીમંત જમીનદાર પરિવાર હતો. આ સ્થળ હવે બાંગ્લાદેશમાં છે. 1942માં પરિવાર મુંબઈ આવ્યો ત્યારે ગીતા 12 વર્ષની અને મુકુલ 16 વર્ષના. દસ ભાઈબહેનોમાં આ બંને વચ્ચે અજબ નિકટતા અને મૈત્રી હતાં, જે છેક સુધી ટક્યાં.

ઉપલબ્ધ સ્રોતો અનુસાર મુકુલ રૉયે ત્રણ હિન્દી, બે બંગાળી અને એક ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. એમનું કામ જથ્થામાં ભલે ઓછું પણ ગુણવત્તામાં મોટું છે. એમના સંગીતમાં શાંત, પ્રવાહી, લાગણીનીતરતા બંગાળી સંગીતની સુગંધ છે. ‘ગીતા દત્ત – ધ સ્કાયલાર્ક’ પુસ્તક લખવા માટે હેમંતી બેનર્જીને મુકુલ રૉયે ઘણી મદદ કરી હતી. મુકુલ રૉયની હિન્દી ફિલ્મો છે ‘ભેદ’, ‘સૈલાબ’, અને ‘ડિટેક્ટિવ. ‘સૈલાબ’ના નિર્માતા ગીતા દત્ત અને મુકુલ રૉય બંને હતાં. ‘ડિટેક્ટિવ’ના ‘મુઝકો તુમ જો મિલે’ અને ‘સૈલાબ’ના ગીતા દત્તે ગાયેલા ‘હૈ યે દુનિયા કૌન સી’ સહિત મુકુલ રૉયનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં હતાં. 

પશ્ચિમી સંગીતમાંથી પ્રેરણા લેવી મુકુલ રોયને ગમતી. ‘ડિટેક્ટિવ’ના અન્ય ગીત ‘દો ચમકતી આંખો સે’ હેરી બેલફોન્ટના ‘જમૈકા ફેરવેલ’નું મજાનું એડેપ્ટેશન છે. મહંમદ રફીએ ગાયેલું ‘છોડીયે ગુસ્સા હુઝુર’નો ઉપાડ અને ઈન્ટરલ્યુડ પર જિમ રીવ્ઝના 19050ના ‘બિમ્બો’ની અસર હતી. મહંમદ રફી અને ગીતા દત્તે ગાયેલું ‘આ જા કર લે મુકાબલા’ સ્પેનિશ ‘રેડ બુલ’ પ્રેરિત હતું. મૂળ સ્પેનિશ મ્યુઝિક ભારતભરમાં ઘણું લોકપ્રિય થયું હતું કારણ કે બિનાકા ગીતમાલાની સિગ્નેચર ટ્યુનમાં એનો ઉપયોગ થયો હતો. ગમી ગયેલી ધૂનમાંથી પ્રેરણા લઈ પછી એને ભારતીય રંગ અને ઓપ આપવાની કલામાં મુકુલ રૉય માહેર હતા.

પછીથી તેઓ નાસિકમાં સ્થિર થયા હતા. ગીતા દત્ત અને ગુરુ દત્ત અલગ રહેવા લાગ્યા ત્યારે તેમણે મધ્યસ્થી તરીકે એમને ફરી મેળવવા પ્રયત્ન કર્યો હતો. ગીતા જ્યારે જિંદગીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી – એક તરફ અંગત જીવન ભાંગી પડ્યું હતું, બીજી તરફ આર્થિક તકલીફ હતી, ત્રીજી તરફ કામ મળતું ન હતું – ત્યારે મુકુલ રૉય એની પડખે જ હતા. એ સમયને યાદ કરતાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘દાંપત્ય તૂટ્યું એમાં ગીતાએ ખૂબ સહન કર્યું. જેની સાથે જોડાઈ તેનાથી અલગ થઈ, વ્યાવસાયિક રીતે ફરી શરૂઆત કરવા પ્રયત્ન કર્યો તો એમાં સફળ ન થઈ. બાળકોને સંભાળવાનાં હતાં. તે એટલી સંવેદનશીલ હતી કે આટલી બધી માનસિક તાણ સહન કરી શકતી ન હતી. મારો પ્રયત્ન કોઈક રીતે સમાધાન કરાવવાનો હતો. ગીતા અને ગુરુ બંને કદાચ પાછા જોડાત. એમની મળવાની તારીખ પણ નક્કી થઈ હતી. પણ મુલાકાત થાય એ પહેલા જ એક રાતે ગુરુ દત્તે ઊંઘની ગોળીઓ લીધી, સારો એવો શરાબ પણ પીધો અને સવારે ઊઠ્યો નહીં. ગીતાને એવો નર્વસ બ્રેકડાઉન થયો કે છ-સાત મહિના એ પોતાનાં બાળકોને પણ ઓળખી શકતી નહીં. ગુરુ દત્તે એના પરિવાર માટે કોઈ આર્થિક જોગવાઈ કરી ન હતી.’ 

1964માં ગુરુ દત્ત ગયા, 1972માં ગીતા દત્તે વિદાય લીધી. ત્યાર પછી મુકુલ રૉયે બાળકોનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. દત્ત દંપતીનાં ત્રણ સંતાનોમાંનાં બે દીકરાઓમાંના એકે 35 વર્ષની ઉંમરે અને બીજાએ 54 વર્ષની ઉંમરે વિદાય લીધી. દીકરી નીના હયાત છે, તેમની ઉંમર 62 વર્ષની છે. 

‘સૈલાબ’ના દિગ્દર્શક ગુરુ દત્ત હતા. નિર્માતા અને સંગીતકાર મુકુલ રૉય. દસમાંથી આઠ ગીત ગીત દત્તે ગાયાં હતા. ‘ડિટેક્ટિવ’ના આઠમાંથી પાંચ ગીત ગીતા દત્તે ગાયાં હતા. એક ખૂનીને પકડવા કલકત્તા આવેલા પોલીસ અધિકારી લૂન પેની હત્યા થાય છે. મરતા પહેલા સ્ટીમરમાં મળેલી મા શીન (માલા સિંહા) નામની યુવતીને તે એક રિપોર્ટ સોંપે છે. મુસાફરોમાં રાજા (પ્રદીપ કુમાર) પણ છે. મા શીન અને રાજા એકબીજાને ચાહવા લાગે છે, પણ લૂન પેની હત્યા કરનાર ગેંગ હવે મા શીન પાછળ પડી છે. રોમાન્સ, સંગીત અને સસ્પેન્સનું ત્યારની ઘણી ફિલ્મોમાં જોવા મળતું સુંદર મિશ્રણ ‘ડિટેક્ટિવ’માં પણ છે. ફિલ્મમાં જોની વોકર અને બાળકલાકાર ડેઈઝી ઈરાનીની પણ મજાની ભૂમિકાઓ છે.

ગીતકાર તરીકે શૈલેન્દ્રએ મુકુલ રૉય સાથે બે ફિલ્મો કરી, ‘સૈલાબ’ અને ‘ડિટેક્ટિવ’. ‘ભેદ’નાં ગીતો મધુકર રાજસ્થાનીએ લખ્યાં હતાં. એ એમની પહેલી ફિલ્મ હતી. ‘સૈલાબ’માં બીજા બે ગીતકાર પણ હતા, હસરત જયપુરી અને મજરુહ સુલતાનપુરી. આ ત્રણ દિગ્ગજોએ સાથે કામ કર્યું હોય એવી બીજી ફિલ્મ ભાગ્યે જ કોઈ હશે. ‘સૈલાબ’નું ગીત દત્તે ગાયેલું ‘યે રુત યે રાત જવાં’ શૈલેન્દ્રનું લખેલું હતું. શૈલેન્દ્રએ ગીતા દત્ત (અને મહંમદ રફી, ફિલ્મ ‘કાલા બાઝાર’) માટે લખેલા ગીતની પંક્તિઓ યાદ આવે છે, ‘જબ મિલતે હો તુમ ક્યોં છિડતે હૈં દિલ કે તાર, મિલને કો તુમસે મૈં ક્યોં થા બેકરાર, રહ જાતી હૈ ક્યોં હોઠોં પે આ કે દિલ કી બાત..’ કેટલાક ‘ક્યોં’ના જવાબ હોય છે અને નથી હોતા – પણ પ્રશ્નો થવાનું કારણ ગીતમાં જ છે – ‘રિમઝિમ કે તરાને લે કે આઈ બરસાત’  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 20 જૂન  2025

Loading

ગુરુદત્ત શતાબ્દીએ –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 July 2025

રવીન્દ્ર પારેખ

9 જુલાઈ, 1925ને રોજ બેંગ્લોરમાં જન્મેલા વસંતકુમાર શિવશંકર પદુકોણેને, પછી તો ગુરુદત્ત પોતે પણ નહીં ઓળખતા હોય ! એ ખરું કે વસંતકુમારને ગુરુદત્તની ઓળખ મળવાનું કલકત્તામાં શરૂ થયેલું. શિવશંકર અને વાસંતીનું એ પહેલું સંતાન. તેની બીજી વર્ષગાંઠે એવી રીતે ઘાયલ થયા કે બચવાની તકો ઓછી હતી. એ વખતે એક સાધુએ કહ્યું કે છોકરાનું નામ બદલો તો એ ઠીક થઇ જશે. વસંત, ગુરુવારે જન્મ્યા હતા એટલે તેમનું નામ ગુરુદત્ત રાખવામાં આવ્યું. પિતાની નોકરી કલકત્તા લાગવાને કારણે ૫ વર્ષનાં ગુરુદત્ત પણ કલકત્તા આવ્યા. કલકત્તામાં ભવાનીપુરમાં રહેતા હતા, ત્યાં તેમને રામાયણ, મહાભારત અને કઠપૂતળીના ખેલ જોવાનું બન્યું. કદાચ એ જ કારણે તેમની રુચિ ગાયન-નર્તનમાં રહી હશે. ૧૯૩૫માં ઉદયશંકર કલકત્તા આવ્યા ત્યારે ૧૦ વર્ષના ગુરુદત્તને તેમની કલામાં શું સમજ પડે એમ માનીને માતા સાથે ન લઇ ગયાં, તો ગુરુદત્તે ત્રણ દિવસ ખાવાનું છોડીને અણગમો પ્રગટ કરેલો. ગુરુદત્તનું શિક્ષણ કલકત્તામાં થયું. બંગાળી સંસ્કૃતિનો એવો પ્રભાવ ગુરુદત્ત પર પડ્યો કે તેની અસર છેવટ સુધી તેમના પર રહી. દત્ત નામ જોડાયેલું હોવાને કારણે ઘણા તેમને બંગાળી જ માનતા હતા. તેઓ સારા ડાન્સર હતા ને અસલ બંગાળીની જેમ જ બંગાળી બોલતા હતા.

બાળપણમાં જેમનો પ્રભાવ ગુરુદત્ત પર પડ્યો તેમાંના એક બાલકિશન બેનેગલ, સંબંધમાં મામા થતા. આ બાલકિશન, શ્યામ બેનેગલના કાકા થાય. મામા બેનેગલનું સાપનું  ચિત્ર જોઇને ગુરુદત્તે ‘સપેરા ડાન્સ’ કર્યો તો તેની નોંધ લેવાઈ. ગુરુદત્તને અંગ્રેજી અને બંગાળી વાર્તાઓ વાંચવાનો શોખ હતો. મજાની વાત એ છે કે માતા અને પુત્રે મેટ્રિકની પરીક્ષા એક જ વર્ષમાં સાથે પાસ કરી હતી. આમ છતાં કોલેજ જવાનું સપનું તો અધૂરું જ રહ્યું. આર્થિક સ્થિતિ એવી હતી કે ગુરુદત્તને નોકરી કરવા સિવાય છૂટકો ન હતો. ૧૬ વર્ષની ઉંમરે ટેલિફોન ઓપરેટરની નોકરી કરી. ૧૯૪૧માં ડાન્સ, ડ્રામા ને મ્યુઝિક શીખવા તેઓ અલમૌડા પહોંચ્યા. અહીં તેમને ૫ વર્ષ માટે વાર્ષિક ૭૫ રૂપિયાની સ્કોલરશિપ પણ મળી, પણ બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં અલમૌડા સેન્ટર બંધ કરવામાં આવ્યું, એટલે ટ્રેનિંગ છોડીને ગુરુદત્તે મુંબઈ આવવું પડ્યું. કારણ, બેંક ક્લાર્કના દીકરાનો ભાગ્યોદય અહીં હતો. વસંતકુમાર તો ઘણા હશે, પણ ગુરુદત્ત એક જ હશે એ અહીં સિદ્ધ થવાનું હતું.

ગુરુ દત્ત

ગુરુદત્તને પ્રભાત સ્ટુડિયોમાં આસિસ્ટન્ટ ડાન્સ ડાયરેક્ટરનું કામ મળ્યું, તે સાથે બે દિલોજાન મિત્રો પણ  મળ્યા. રહમાન અને દેવઆનંદ. એક વખત ધોબીની ગરબડને કારણે ગુરુદત્ત બીજાનું શર્ટ પહેરીને સ્ટુડિયો પહોંચ્યા. ૧૯૪૬માં પી.એલ. સંતોષી ‘હમ એક હૈ’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેના હીરો દેવઆનંદ હતા. ગુરુદત્ત એ ફિલ્મના ડાન્સ ડાયરેક્ટર હતા. દેવઆનંદે જોયું કે ગુરુદત્તે તેમનું જ શર્ટ પહેર્યું છે. તેમણે યાદ અપાવ્યું કે તેઓ એમનું શર્ટ પહેરીને આવ્યા છે. ગુરુદત્તે ધોબીની ગરબડને કારણે આમ બન્યું હોવાનો ખુલાસો કર્યો. દેવઆનંદે એ શર્ટ ભેટ આપી દીધું. બંને પછી એ વાતે બંધાયા કે જે કોઈ મોટી વ્યક્તિ બને તેણે બીજાને ફિલ્મમાં તક આપવી. પછી તો દેવઆનંદે ‘નવકેતન’ નામની ફિલ્મ કંપની ખોલી અને ‘બાઝી’(1951)નું દિગ્દર્શન ગુરુદત્તને સોંપ્યું. એ જ રીતે ગુરુદત્તે ‘સી.આઈ.ડી.’ બનાવી તો તેમાં હીરો તરીકે દેવઆનંદને લીધા.

એ પછી તો ‘જાલ’ (1952), ‘આર-પાર’ (1954), ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ (1955), ‘પ્યાસા’ (1957), ’12 O’ કલોક’ (1958), ‘કાગઝ કે ફૂલ’ (1959), ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ (1960) જેવી ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી, લખી, તેનું દિગ્દર્શન કર્યું ને અભિનય પણ કર્યો. તેમાં ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મો તો ક્લાસિકથી ય વધુ ક્લાસિક ગણાય છે. જો કે, ‘બાઝી’, ‘સી.આઇ.ડી.’, ‘જાલ’ જેવી ફિલ્મો તો અપરાધને વિષય કરતી સફળ ફિલ્મો હતી, પણ તે ટ્રેન્ડ ચાલુ ન રાખતાં ‘આર-પાર’ કે ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ જેવી હળવી ફિલ્મો બનાવી, પણ તેઓ આવીને ઠરે છે, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ જેવી સંવેદનાત્મક, કાવ્યાત્મક અભિવ્યક્તિમાં. આવું થવામાં અંગત સંબંધો અને લગ્નજીવનની નિષ્ફળતાએ ભાગ ભજવ્યો હોય એમ બને.

ગાયિકા ગીતા રાય સાથે ગુરુદત્તનો પરિચય વધ્યો ને ‘રાય’, ‘દત્ત’ બની. ત્રણ સંતાનો થયાં. ગીતા દત્તે કેટલાક યાદગાર ગીતો ગુરુદત્ત માટે ગાયાં છે. કંઇ નહીં તો ‘આજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે ….’, કે ‘વક્ત ને કિયા ક્યા હંસી સિતમ, તુમ રહે ન તુમ, હમ રહે ન હમ ….’ માટે તે હંમેશ યાદ રહેશે. એ પણ કેવી વક્રતા છે કે ‘આજ સજન….’નું પ્લેબેક ગીતા દત્તનું હતું ને ફિલ્મમાં તેના ભાવ વહીદાએ પ્રગટ કર્યા હતા. ગુરુદત્તના વહીદા રહેમાન સાથે વધતા સંબંધોની વાતે ગીતા બાળકો સાથે અલગ રહેતી થઈ. આશા ભોંસલે સાથેની છેલ્લી વાતોમાં રાત્રે બાર વાગે ગુરુદત્તનો સવાલ હતો, ‘તારી પાસે ગીતા તો નથી આવીને?’ આશાએ કહ્યું, ‘એ તો ચાલી ગઈ. હમણાં અહીં નથી.’

એ કેવી વિચિત્રતા હતી કે છેલ્લે ન તો ગીતા એમની સાથે હતી કે ન તો વહીદા. એ પછીની 10 ઓક્ટોબર, 1964ની સવારે ગુરુદત્તનું અકાળ મૃત્યુ થયું. એમણે શરાબમાં વધારે પડતી ઊંઘની ગોળીઓ નાખીને મોતને નોતર્યું હતું એમ કહેવાય છે, પણ આજ સુધી ગુરુદત્તનું મ્રત્યુ રહસ્ય જ રહ્યું છે. કારણ ગમે તે હોય, પણ એક શ્રેષ્ઠ ફિલ્મકારે ખૂબ નાની વયે દુનિયા છોડી દીધી. 39 વર્ષની ઉંમર કંઇ મરવાની ઉંમર ન હતી. કૈફી આઝમીએ ગુરુદત્ત માટે લખેલી નઝમમાં યોગ્ય રીતે જ કહ્યું છે, ‘તુમ જૈસે ગયે વૈસે તો જાતા નહીં કોઈ …’ ગુરુદત્ત હોત ને તેમની પાસેથી જે ફિલ્મો મળી હોત, તેનાં પર મૃત્યુએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મ માટે તો રાજકપૂરે સ્પષ્ટ કહ્યું હતું કે આ ફિલ્મ તેના સમય કરતાં ઘણી વહેલી બની હતી. કચકડાની આ કવિતાએ ગુરુદત્તને કચડવામાં કંઇ બાકી ન રાખ્યું. એ જ હાલત રાજકપૂરની ‘મેરા નામ જોકર’ વખતે થઇ હતી. બંને ફિલ્મો સાવ નિષ્ફળ રહી. એનો આઘાત એવો લાગ્યો કે ગુરુદત્તે દિગ્દર્શન હંમેશને માટે છોડી દીધું. એમ મનાય છે કે ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતાએ ગુરુદત્તનો જીવ લીધો. એ એક જ કારણ હોય એવું એટલે લાગતું નથી કે તે પછી એમણે દિગ્દર્શન ન કર્યું, પણ ‘ચૌદહવી કા ચાંદ’ (1960) જેવી મુસ્લિમ સમાજની કથા કહેતી ઉત્તમ ફિલ્મ આપી ને તેમાં અભિનય પણ કર્યો. રાજકપૂર પણ નિરાશા ખંખેરી ‘બોબી’ જેવી અત્યંત સફળ ફિલ્મ આપે છે ને તેનું દિગ્દર્શન પણ કરે છે. ગુરુદત્ત અને રાજકપૂરમાં સામ્ય એ છે કે તેમની ‘કાગઝ કે ફૂલ’ અને ‘મેરા નામ જોકર’ની કદર તે વખતે ન થઇ, પણ પછી તે ઘણી જોવાઈ અને ચર્ચાઈ પણ ! ‘કાગઝ કે ફૂલ’ તો પછી દુનિયાની 11 યુનિવર્સિટીઓમાં શીખવવામાં પણ આવી. ગુરુદત્ત અને રાજકપૂરની સંગીત અંગેની સૂઝ-સમજ પણ દાદ માંગી લે એવી હતી. આશા ભોંસલેનું કહેવું છે કે રેકોર્ડિંગ વખતે ગુરુદત્ત પોતે હાજર રહેતા ને એવી રીતે સમજાવતા કે ગાયકને ખબર પડી જતી કે ગીત કેવી રીતે ગાવાનું છે. ‘ભંવરા બડા નાદાન હાય, બગીયન કા મહેમાન હાય …’ ગીતના રેકોર્ડિંગ વખતે હાવભાવથી જ ગુરુદત્તે ગીત એમ સમજાવ્યું કે તે સફળ રહ્યું.

ફિલ્મોમાં લાઈટિંગનું પણ આગવું મૂલ્ય છે, તે ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં ગુરુદત્તે પુરવાર કર્યું. ‘પ્યાસા’માં ‘યે દુનિયા અગર મિલ ભી જાયેં તો ક્યા હૈ ….’ ગીત વખતે ગુરુદત્ત થિયેટરનું મુખ્ય પ્રવેશદ્વાર રોકીને ઊભા છે. થિયેટરમાં પ્રેક્ષકો અંધારામાં બેઠા છે અને પાછળથી લાઈટિંગ એ રીતે સેટ છે કે પ્રવેશદ્વાર પર ગુરુદત્તની ઓળખ નહીં, પણ આકૃતિ ઉપસે. ‘કાગઝ કે ફૂલ’ આમ તો ઉત્તમ લાઈટિંગનો પણ નમૂનો છે, પણ છેલ્લાં દૃશ્યોમાં ‘બિછડે સભી બારી બારી ….’ ગીતમાં ગુરુદત્તની પીઠ પાછળથી ફેંકાતો પ્રકાશનો શેરડો ઉદાસી અને કારુણ્યનું હૃદયસ્પર્શી વાતાવરણ રચે છે. ફોટોગ્રાફર વી.કે. મૂર્તિની પણ એમાં કમાલ છે જ ! ગુરુદત્તના એ બન્ને ફિલ્મોના નાયકો ગુરુદત્તની જિંદગીનો પણ પડઘો પાડે છે, તે સાથે જ તેમના મિત્ર અને લેખક અબરાર અલવીની જિંદગી પણ ક્યાંક ડોકાય છે.

ગુરુદત્તને બીજાની પાસેથી તો ઠીક, પોતાની પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી. તેમને કોઈ વાતે ઝડપથી સંતોષ થતો ન હતો. ‘પ્યાસા’નાં ઘણાં દૃશ્યો ફાઈનલ થઇ ચૂક્યાં હતાં, તો ય તેમણે કેટલાં ય દૃશ્યો ફરી શૂટ કર્યાં. ‘પ્યાસા’ માટે દિલીપકુમારને લેવાની વાત હતી, પોતાની શરતે દિલીપકુમારે ડેટ્સ આપી, પણ સેટ પર મોડા પડ્યા. ખૂબ રાહ જોઇને ગુરુદત્તે મેકઅપ કર્યો ને ફિલ્મ પૂરી કરી. ‘કાગઝ કે ફૂલ’માં પણ તેઓ અશોક કુમારને લેવા માંગતા હતા, પણ ઘાટ ન પડ્યો, તો ચેતન આનદનો સંપર્ક કર્યો. તેમણે એવી રકમ માંગી કે રોલ માટે ગુરુદત્તે પોતાને જ નક્કી કર્યા.

ગુરુદત્તના ઘણા નાયકોને સમાજ સામે ફરિયાદ છે. તેમનો સૂર વિદ્રોહનો છે. બધું બદલવું છે, પણ કશું પોતાના હાથમાં નથી એ લાચારી છે, એટલે નિષ્ફળ છે, પીડાય છે ને વેઠે છે. આ વેઠવું ફિલ્મમાં ને જીવનમાં સમાંતરે રહ્યું ને ફિલ્મોની સાથે જીવન પણ અકાળે પૂરું થયું.

ગુરુદત્ત શતાબ્દીએ સ્મૃતિ વંદના !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જુલાઈ 2025

Loading

PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 July 2025

ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશીપ, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મૂકે છે.

ચિરંતના ભટ્ટ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ પાંચ દેશોનો પ્રવાસ પૂરો કર્યો છે—ઘાનાથી ગયાના સુધી, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, નામિબિયા અને છેલ્લે રિયોમાં બ્રિક્સ સમિટમાં તેમણે હાજરી આપી—જેમાં ભારતે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) સાથેના સંપર્કને સફળતાપૂર્વક વિસ્તાર્યો છે. આ પ્રવાસ એક કૂટનીતિક પગલું છે, જે ભારતને ઉભરતી શક્તિ તરીકે નહીં, પરંતુ વિકાસશીલ વિશ્વના અગ્રણી સ્વર તરીકે સ્થાપિત કરવાની દિશામાં છે. પરંતુ શું આ વ્યૂહરચનામાં કશું નક્કર છે ખરું, તેનો કંઇ સાર નીકળશે કે પછી તે માત્ર પ્રતીકાત્મક છે? આ પ્રવાસ પાછળની તકો, પડકારો અને વ્યૂહાત્મક ગણતરીને સમજીએ.

સૌથી પહેલાં તો આ પ્રવાસથી દક્ષિણી દેશો વચ્ચે સહયોગ મજબૂત બને તે વડા પ્રધાનનો અગ્રિમતા ભર્યો ઉદ્દેશ છે. 2 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન મોદીએ જે દેશોની મુલાકાત લીધી તેમાં એક સ્પષ્ટ અને સુઆયોજિત વિચારનું બીજ છે કે ભારત એવા દેશો સાથે છે જે વિકાશીલ હોવા છતાં પણ ઉપેક્ષિત છે – ખાસ કરીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં – ભારત પોતે આ દેશો સાથે એક સમાન ભાગીદારી દર્શાવવવા માગે છે. ભારત પોતે એક મજબૂત દેશ છે અને અન્ય વિકાસશીલ દેશો પાછળ ન રહી જાય એ માટે તેમની સાથે હાથ મેળવી તેમના અર્થતંત્રને પણ ગતિ આપવા ધારે છે, તેવું આ પ્રવાસ દરમિયાનના ઘણાં નિર્ણયો પરથી સ્પષ્ટ થયું. ઘાનામાં, ભારતે વેપારને ૩ અબજ ડોલરથી વધારીને ૬ અબજ ડોલર કરવાનું વચન આપ્યું, સંરક્ષણ, ડિજિટલ આરોગ્ય, આયુર્વેદ અને ધોરણો જેવા ક્ષેત્રોમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા, અને વડા પ્રધાન મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. નામિબિયામાં, હાઇડ્રોકાર્બન, ક્રિટિકલ મિનરલ્સ, ડિજિટલ હેલ્થ અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે ઊંડાં આર્થિક અને વ્યૂહાત્મક જોડાણ માટે અનિવાર્ય આધાર બને તેવી બાબતો છે. આ તમામ વિકાસને લગતી બાબતો દક્ષિણના દેશોના સાથે આવવાના અભગિમનું સ્પષ્ટ ચિત્ર ખડું કરે છે – અહીં લેવડ-દેવડ સમાન સ્તરે થઇ રહી છે. ટૂંકમાં બન્ને દેશોની રેખાઓ સાથે લાંબી કરવાની હેતુ સાફ છે, બીજા દેશને ઓછો કે ઊણો દર્શાવીને સહયોગ આપવાનું વલણ નથી વર્તાતું. 

રિયોમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પ્રધાન મંત્રીએ ભારતની ભૂમિકાને મજબૂત બનાવી અને ભારત સક્રિય રહેશે તો સાઉથ બ્લોકમાં તેનું નેતૃત્વ મજબૂત બનશે. સંસ્થાગત સુધારણાઓને મામલે ભારત પર આધાર રાખવાની વિશ્વસનીયતા બ્રિક્સે વધારવી જોઇએ તેમ કહી તેમણે મલ્ટિપોલરાઇઝ્ડ એટલે કે બહુધ્રુવીય વિશ્વના દૃષ્ટિકોણને અપનાવવા અને અમલમાં મુકવા પર ભાર મૂક્યો. બ્રાઝીલનો બ્રિક્સ મલ્ટીલેટરલ ગેરંટી ફંડનો પ્રસ્તાવ અન્ય સભ્ય દેશોમાં નિવેશના જોખમ ઘટાડીને આર્થિક વિકાસને વેગ આપશે અને આ અને આવા પરિવર્તનોમાં ભારતનું વલણ તેના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે. આપણે એક રાષ્ટ્ર તરીકે વસુધૈવ કુટુંબકમના વિચારને અનુસરીએ છીએ એ બાબત અહીં વધુ ઘાટી થશે. 

ભારત ક્લાઇમેટ જસ્ટિસ એટલે કે પર્યાવરણીય ન્યાયની બાબત પર ભાર મૂકી રહ્યો છે જેમાં ધનિક રાષ્ટ્રોને તેમનાથી ગરીબ દેશોનો પર્યાવરણીય બાબતોમાં સંઘર્ષ ઓછો થાય તે માટે આર્થિક મદદ કરવાની વાત કરાઇ છે. નરેન્દ્ર મોદીને સંદેશો સ્પષ્ટ છે કે પર્યાવરણ – આબોહવા અને વ્યાપારમા ધનિક દેશોએ સમાન ધિરાણ કરવું જોઇએ, પુરવઠાની જે કડી હોય તેમાં વૈવિધ્ય લાવવનુ જોઇએ અને નાણાકીય નવીનતા પણ લાવવી જોઇએ જેમ કે બ્રિક્સ ગેરંટી ફંડ – આ અભિગમ એ વાતનો પુરાવો છે કે ગ્લોબલ સાઉથના હિતોને ધ્યાનમાં રાખીને સંસ્થાકીય સ્તરે નવી પહેલને ભારતનું પૂરું સમર્થન છે. 2025માં રિયોના સમિટનું વિસ્તરણ ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, યુ.એ.ઇ. સહિત અન્ય નવ રાષ્ટ્રો સુધી થયું છે પરંતુ છ અગ્રણી દેશો એ આ સમિટમાં હાજરી ન આપી – તેમાં ચીનના શી ઝિનપિંગની ગેરહાજરી તો વર્તાઇ જ પણ યુક્રેન અને ગાઝા જેવા રાષ્ટ્રો જે પોતે હાલમાં સંઘર્ષમાંથી પસાર થઇ રહ્યા છે તે મામલે ગ્લોબલ સાઉથના બધા રાષ્ટ્રો એક વિચારધારા નથી ધરાવતા તે બ્રિક્સની વિવિધતાની નાજુક પરિસ્થિતિ દર્શાવે છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વિચારના આયામ અને વિરોધાભાસી પ્રાથમિકતાઓને કારણે પાંખું પડે તેવું જોખમ આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે ખડું થાય. ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા ડેટ એટલે કે કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશી, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મુકે છે. ચીન અન્ય દેશોને પરાવલંબી બનાવવા માગે છે જ્યારે ભારત તેમનો હાથ ઝાલી તેમને બેઠા કરવા માગે છે, તેમનામાં બળ પુરવા માગે છે. આફ્રિકામાં, જ્યારે ચીન 2000 થી $160 અબડનું નિવેશ કર્યું છે, ત્યારે ભારતનો અભિગમ સોફ્ટ લોન, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને આરોગ્ય સેવાઓ જેવા “લો-કોસ્ટ, હાઇ-ઇમ્પેક્ટ” મોડલ પર આધારિત છે. કેરિબિયનમાં, ભારતે ગયાના અને ત્રિનિદાદ સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી કરારો પર હસ્તાક્ષર કર્યા, જ્યારે ચીનનું પ્રભુત્વ પોર્ટ્સ અને માઇનિંગ પર છે. પરિણામે ભારતની “ડેવલપમેન્ટ વિથ ડિગ્નિટી”ની ફિલસૂફી ગ્લોબલ સાઉથમાં વધુ આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પ બ્રિક્સ સાથે જોડાયેલા રાષ્ટ્રોને દંડાત્મક ટેરિફની ધમકીઓ આપતા રહ્યા છે, જે આખા બ્લોકમાં ભારતની ગતિ અને પ્રગતિ માટે અવરોધ સાબિત થાય તેવી શક્યતા છે. ભારત પશ્ચિમ સાથે વેપારમાં વધારો કરવા ઇચ્છે ત્યારે આવી ખુન્નસભરી કાર્યવાહી  થાય તો ન ગમે એવા નીતિગત સમાયોજનો કરવાની નોબત આવી શકે છે. આફ્રિકા ને લેટિન અમિરકામાં ભારતની હાજરી વધી રહી છે પણ સામે ચીન પણ પોતાનો પ્રસાર કરી રહ્યો છે. તાન્ઝાનિયા સાથે ભારતે નૌકા દળનાં તોતિંગ ડ્રિલ્સ કર્યા છે જેમાં આઠ આફ્રિકી દેશો પણ છે – એક રીતે તે ચીનના દરિયાઇ પ્રસારની સીધો જવાબ છે. આખી બાબતમાં ભારતનો વ્યૂહાત્કમ દૃષ્ટિકોણ મજબૂત અને ગહેરો હોવા છતાં આફ્રિકા સાથે ભારતનો વેપાર 83 અબજ ડોલરનો છે, જે ચીનની પકડની વિસ્તારના અડધાથી પણ ઓછો છે. દ્વિપક્ષીય મુલાકાતો એ ક્ષણને ગતિ તો આપી દે છે પણ ત્યારે લેવાયેલા નિર્ણયો લાંબા ટકે એ માટે પહોંચ, ઝડપ અને ટાઇમલાઇન પણ જરૂરી છે. 

ભારત માટે સ્વાભાવિક રીતે જ આ પ્રવાસનું જિઓ-પૉલિટીકલ એટલે કે ભૌગોલિક રાજકીય મહત્ત્વ છે. ભારત પોતાનું સ્થાન સાવચેતીથી બનાવી રહ્યું છે –  G7, G20 અને WTO સાથેના સંબંધો આપણે જાળવ્યા છે. મોદીએ બેવડાં ધોરણોની ટીકા કરી સાબિત કર્યું કે ભારત પશ્ચિમ નિયંત્રિત મંચને આંતરિક રીતે પ્રભાવિત કરવા માગે છે.  G20 પ્રમુખપદે ભારત-મધ્યપૂર્વ-યુરોપ કોરિડોર(IMEC)ની સફળતા ચીન-નિયંત્રિત સપ્લાય નેટવર્ક્સને વિકલ્પ આપવાની ભારતની મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. આફ્રિકન નૌકાદળની ડ્રિલ્સથી માંડીને મિનરલ સિક્યોરીટી માટે થયેલા સંવાદ ભારતની આર્થિક કૂટનીતિમાં રહેલા લશ્કરી દૃષ્ટિકોણની ઝલક પણ આપે છે. આ બહુપરિમાણીય અભિગમ એ સૂચવે છે કે ભારત સાઉથ-સાઉથ કૂટનીતિને ઉપરછલ્લી કે પ્રતીકાત્મક રીતે નહીં પણ એક સંકલિત ભૌગોલિક વ્યૂહરચના તરીકે જુએ છે. જલવાયુ ન્યાય (BRICS હેઠળ) અને ડિજિટલ સહયોગ (UPI/ડિજિટલ હેલ્થ) દ્વારા ટકાઉ વિકાસમાં નેતૃત્વ ભજવતા ભારતને આ વ્યૂહરચનાને સાંગોપાંગ પાર પાડવા માટે વેપાર કરારો, સંસ્થાગત સુધારા (WTO/UNSC) તો જોઇશે જ પણ સાથે ભારતમાં આંતરિક સ્તરે પણ ખર્ચ અને રાજકીય મૂડીને ન્યાયી ઠેરવવાના પ્રયાસ પણ કરવા પડશે. 

બાય ધી વેઃ 

વિષ્લેશકો એવી ચેતવણી પણ આપી રહ્યા છે કે આ પ્રવાસમાં જે મજબૂતાઇ કે પ્રભાવ દેખાય છે ત્યારે તે પરિણામોમાં નહીં દેખાય તો ભારે પડશે. વડા પ્રધાને જે રીતે આ રાજકીય પ્રવાસમાં શક્તિ પ્રદર્શન કર્યું છે તેના વાસ્તિવક પરિણામો જ ખરી કસોટી સાબિત થશે. ખરો લિટમસ ટેસ્ટ હશે સંસ્થાકીય મજબૂતાઇ એટલે કે વ્યાપારને લગતા કરાર, સંશોધનમાં સહયોગ અને જાહેર-ખાનગી ભાગીદારી – યોજનાઓ અને ટાસ્ક ફોર્સ આ પ્રવાસમાં વર્તાયેલા પ્રવાહને ટકાવી રાખે એ માટે અનિવાર્ય પગલાં છે. ભારતની લોકશાહી, આર્થિક વૃદ્ધિ, પ્રવાસને કારણે બનતાં નેટવર્ક્, અને તકનીકી કુશળતાઓ આ જોખમો ઘટાડશે પણ અમલીકરણનું નક્કર માળખું નહીં હોય તો ભારતના ગ્લોબલ સાઉથના પ્રયાસ અને પ્રવાસ બન્ને માત્ર ડિપ્લોમેટિક શો બનીને રહી જશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2025

Loading

...102030...80818283...90100110...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved