Opinion Magazine
Number of visits: 9663185
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ફુલ્લિન્ગ (1) (2) અને (3)

સુમન શાહ|Opinion - Literature|12 November 2025

આ સ્થાને સ્ફુલ્લિન્ગ શીર્ષક હેઠળ વિચારવિષયક તણખા મૂકવાનું આયોજન છે. 

જાણીતું છે કે વિદ્વત્તાયુક્ત સમીક્ષા કે વિવેચના કરવી હોય તો કોઈપણ textનું સઘન વાચન – close reading – કરવું અનિવાર્ય છે. સમીક્ષક કૃતિના સઘન વાચન પછી તેનું વિવરણ અર્થઘટન અને મૂલ્યાંકન કરતો હોય છે.

ત્યારે એ પોતાની સહજસ્ફુરણા એટલે કે intuitionમાં વિશ્વાસ નથી રાખતો; 

ત્યારે એ ગુરુ કે વડીલના અભિપ્રાયને એટલે કે આપ્તજનવાક્યને નથી અનુસરતો. જ્ઞાનસમ્પાદનની એવી કોઈપણ રીતભાતની જે મર્યાદાઓ છે તેનું એને ભાન હોય છે. 

ખરેખર તો એ એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોય છે, જેનું મુખ્ય લક્ષણ વસ્તુલક્ષીતા – objectivity – છે. 

પરિણામે સમીક્ષા કે વિવેચના સંતુલિત અને શુદ્ધ રહી શકે છે, 

સાહિત્યવિચારનો સાચી દિશામાં વિકાસ થાય છે. 

પરન્તુ, 

આજકાલ સઘન વાચન થાય છે કે લોકો ગગડાવી જાય છે? 

આજકાલ objectivity નહીં પણ subjectivity જોવા મળે છે — મારાતારાવાદ; 

એ થોડાકને દેખાય છે, પણ સૌને દેખાય છે?

= = =

ટીકાટિપ્પણી કરવાની બે પદ્ધતિઓ છે :

૧

બાંધેભારે કે મભમમાં લખી શકાય, જેમ કે —

“આજકાલ ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.” 

આ વિધાન સામ્પ્રતના એક સર્વસામાન્ય વલણને વ્યક્ત કરે છે. વલણો લઢણો કે મર્યાદાઓની એક સર્વસાધારણ – general – ટીકા કરવા માટે આ પદ્ધતિ યોગ્ય છે. 

પણ બે મુદ્દા ઊભા થશે:

એક એ કે એ વિધાન કરનાર પાસે ડેટા છે કે માત્ર કલ્પના કરીને કહે છે? કેટલા સાહિત્યકારોના દાખલાની ભૂમિકાએ એવું વિધાન કરે છે? નહિતર, એ વિધાન દુ:ખદ બની રહેશે, કેમ કે આજકાલ ‘બધા’ સાહિત્યકારો એમ નથી કરતા, આદર્શોને વળગી રહી કામ કરનારા પણ ઘણા છે. 

બીજો મુદ્દો એ કે વિધાન સૌ સાહિત્યકારો વિશે છે તેથી વ્યાપક છે અને તેથી અતાર્કિક છે. વ્યવહારમાં વાતોચીતો ચાલતી હોય ત્યારે આપણે અતાર્કિક હોઈ શકીએ, પણ સાહિત્યલેખનમાં એમ ન ચાલી શકે. તાર્કિક વિધાન આ હોઈ શકે: 

“આજકાલ કેટલાક ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.”

‘કેટલાક’ શબ્દ ઉમેરવાથી વિધાન અ-વ્યાપક થઈ જાય અને દુ:ખદ નીવડવાને બદલે વિચારપ્રેરક બને. 

૨

ટીકા કરવાની બીજી રીત છે કે બાંધેભારે કે મભમમાં ન લખવું, સ્પષ્ટપણે અને નામોલ્લેખ સહિત લખવું. જેમ કે, લખી શકાય —

“કાકાસાહેબના નિબન્ધોથી સુરેશ જોષીના નિબન્ધો ચડિયાતા કે ઊતરતા નથી, પણ જુદા છે.” 

“ગોવર્ધનરામનું ગદ્ય ઘણે અંશે સહજ છે, પણ કેટલેક સ્થાને સાયાસ છે.”

૩

“સુમન શાહના સિદ્ધાન્તલેખો અઘરા પડે છે પણ એમની વાતો અને વાર્તાઓમાં  સરળતા છે.” 

અલબત્ત, આવાં વિધાનો પણ ડેટા, તર્ક અને સિદ્ધાન્તની ભૂમિકા વિનાનાં હશે તો વિખવાદ સરજશે.

ટીકાટિપ્પણી સાહિત્યહેતુથી નહીં પણ સનસનાટી કે ઉશ્કેરણીના હેતુથી હોય ત્યારે જો સાવધાની નહીં હોય, તો વિધાનો બૂમરૅન્ગ નીવડશે. એ વિધાનકર્તાને કોઈ કહેશે કે – તમે પણ વસ્તુલક્ષી આદર્શોને નેવે મેલીને લખો છો. સરવાળે, અતાર્કિકતાથી અતાર્કિકતા ફેલાયા કરશે, વાત ત્યાંની ત્યાં રહેશે.

= આજે આપણને કઇ પદ્ધતિની ટીકાટિપ્પણી જોવા મળે છે? પહેલી પદ્ધતિની કે બીજી? 

= નથી લાગતું કે અતાર્કિકતાને કારણે સામ્પ્રતમાં સાહિત્યવિચાર જેવું કશું છે જ નહીં? 

= = =

સ્ફુલ્લિન્ગ (3) Buzzword   

[ આ લેખો વાંચીને કેટલાક અધ્યેતાઓ એવા મુદ્દાઓ વિશે એવું લેખન કરવા કહે છે, જે એમના અધ્યયનમાં સીધું ઉપકારક નીવડે. એમનું એ કહેણ મને ગમ્યું છે. આજનો લેખ, આધુનિક સાહિત્યના એક પ્રમુખ લક્ષણ પર પ્રકાશ પાડે છે. ]

આધુનિક સાહિત્યની મોટામાં મોટી ઓળખ છે, સાતત્યભંગ અથવા વિચ્છેદ – discontinuity. 

આધુનિક શબ્દ ‘અધુના’ પરથી છે. ‘અધુના’ ફરતું ફરતું ગુજરાતીમાં ‘હમણાં’ થઈ ગયું છે, એવું વ્યુત્પત્તિશાસ્ત્રીઓ કહે છે. આધુનિક એટલે ‘હમણાંનું’ સાહિત્ય એમ કહેવાય, પણ થોડું બાલિશ લાગે. આધુનિક એટલે ‘આજનું’ કહીએ તો પણ, ઠીકઠાક કહેવાય. ‘વર્તમાન સમયનું’ કે ‘નવ્ય’ કહીએ તો જરા સારું લાગવા માંડે. પણ ‘અપૂર્વ’ કહીએ તો લાગે કે એકદમ બરાબર છે. પૂર્વે – પહેલાં – હતું તેવું નહીં, તે અ-પૂર્વ. પણ અ-પૂર્વ એ કારણે કે એણે ભૂતકાળ સાથે કશો સમ્બન્ધ નથી રાખ્યો, છેડો ફાડી નાખ્યો છે – એથી એ છેદાયેલું એટલે કે વિચ્છિન્ન છે. 

ગુજરાતમાં સ્ત્રીઓએ સાડી પ્હૅરવાનું છોડી દીધું. વાળ છૂટ્ટા રાખવા લાગી. વાળ કપાવા લાગી. ટીશર્ટ-જીન્સ પ્હૅરવા લાગી. એમ એ વર્તન અપૂર્વથી અપૂર્વ થવા માંડેલું. એથી ગુજરાતી સ્ત્રીઓ આધુનિક દેખાય છે. પુરુષોએ ધોતી ઝભ્ભો ટોપીને તિલાંજલિ આપી, ખમીસ-પાટલૂન પ્હૅરતા થયા, દાઢી વધારતા થયા. આપણા કેટલાકને તો એમ જ થઈ ગયું કે દાઢી વધારીએ એટલે કવિ લાગીએ. ગણી કાઢો કે વર્તમાનમાં દાઢીવાળા કવિઓ કેટલા છે. ભૂતકાળની રીતરસમો નીતિમત્તા આદર્શો મૂલ્યો સાથે વિચ્છેદ આધુનિકતાની જન્મભૂમિ છે.

સાહિત્યમાં, અનેક કવિઓએ છન્દ છોડીને કાવ્યો કર્યાં જેને ‘અછાન્દસ’ કાવ્ય કહીએ છીએ. કેટલાકોએ ગીત જેવી સદીઓ પુરાણી પણ નાજુક ચીજને ય આધુનિક કરી પાડી. ઘણા વાર્તાકારોએ ઘટનાનાં અન્ત:સ્તરોમાં ખાંખાંખોળાં કર્યાં, વર્ણનોમાં કલ્પન-પ્રતીકો રસ્યાં. ‘નિ’ એટલે વિચાર અને તેનો બન્ધ એટલે નિબન્ધ. પણ આધુનિકતામાં ‘નિ’ ગૌણ થઈ ગયો, કેટલા ય નિબન્ધકારો ‘સર્જકતા’ કહેવાતી વસ્તુને ખીલવવા લાગ્યા. મોટા ભાગના વિવેચકો નિર્ભીક થઈ ગયા અને પરમ્પરાની બેધડક ટીકા કરવા લાગ્યા. કહી શકાયેલું કે ‘ઉમાશંકરના છન્દ કાચા છે.’ સાહિત્યિક ભૂતકાળ સાથેનો આ વિચ્છેદ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અનોખો હતો. આમાં સાગમટે સૂચન એ હોય છે કે ભૂતકાળને આધારસ્રોત ન ગણો.

Discontinuity શબ્દ પ્રયોજનાર છે, અમેરિકન વિદ્વાન મૉનરો સ્પીયર્સ (1916-1998). ઇહાબ હસન (1925- 2015) નામના વિદ્વાને આધુનિકતાવાદના અધ્યયનમાં એ પ્રયોગને વિકસાવ્યો; મૂળે ઇજિપ્તના પણ અમેરિકામાં પ્રોફેસર હતા. જ્યારે જ્યારે આધુનિકતાની વાત આવે ત્યારે ત્યારે વિદ્વાનો આ પ્રયોગનો વિનિયોગ કરે છે, એ રણકતો શબ્દ છે.

રણકતા શબ્દને buzzword કહેવાય છે. એ એક ફૅશનેબલ વિભાવ હોય છે. એથી સાહિત્યચર્ચાઓમાં પ્રાણ ભળે છે, લાગે કે સાહિત્યકારોમાં ય પ્રાણ છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘આકાર’ અથવા ‘રૂપનિર્મિતિ’ તેમ જ ‘ઘટનાતત્ત્વનો હ્રાસ” બઝવર્ડ હતા. 

સામ્પ્રત ગુજરાતી સાહિત્યમાં એક પણ બઝવર્ડ નથી, બધા જીવન્ત નથી એમ નથી પણ ઊંઘી ગયા છે. એ વિચારશૂન્યતા નામની ઊંઘ છે. મનીષીઓ ઊંઘને હંગામી મૃત્યુ કહે છે.

= = =

(091125 – 101225A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ – ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

સોનલ પરીખ|Opinion - Opinion|12 November 2025

ઓમ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:, 

પૃથ્વી શાન્તિરાપ શાન્તિરોષધય: શાન્તિ: ।

વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:

સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સા મા શાન્તિરેધિ ।।

ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

વર્ષ 1981થી દર 21 સપ્ટેમ્બરના દિવસને યુ.એન. ‘ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ’ – વિશ્વ શાંતિદિવસ તરીકે ઉજવે છે. શાંતિદિવસ ખાસ ઊજવવો પડે અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના બે અર્થ થાય : એક તો શાંતિનું મહત્ત્વ આપણને સમજાઈ રહ્યું છે અને બીજું, શાંતિનું અસ્તિત્વ ખતરામાં છે. શાંતિનું અસ્તિત્વ જોખમમાં મુકાય એ કોઈને ગમતું નથી અને શાંતિનું મહત્ત્વ બધાંને ખબર છે છતાં આપણો અને શાંતિનો મેળ પડતો નથી કારણ કે આપણને તો શાંતિ માટે ને શાંતિના નામે યુદ્ધો, દાદાગીરી, મારપીટ, ધાંધલધમાલ અને કોલાહલ કરવાની ટેવ પડી છે. 

યાદ આવે છે શાંતિ માટે વિશ્વભરમાં પદયાત્રાઓ કરતા રહેનાર સતીશ કુમાર. એમની આત્મકથાનું નામ છે ‘પાથ વિધાઉટ ડેસ્ટિનેશન’. એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે, ‘રસ્તો લાંબો છે. શરીર તૂટી રહ્યું છે – એક પગલું ભરવાનો પણ ઈનકાર કરે છે પણ આત્માને પાંખો ફૂટી છે. મારો પ્રાણ શાંત અનંત આકાશમાં સ્વતંત્ર અને નિર્ભય વિહાર કરે છે.’ 

સતીશ કુમાર

1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્યસંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. 1962માં તેમણે દિલ્હીથી શાંતિ માટે પદયાત્રા શરૂ કરી. દિલ્હીથી ચાલતા ચાલતા તેઓ અણુસત્તાઓના પાટનગર સમાં મોસ્કો, લંડન, પેરિસ અને વૉશિંગ્ટન શહેરમાં ગયા. વિનોબાજીએ કહ્યું હતું તેમ વાહનમાં ન બેસતા, શાકાહાર કરતા અને પાસે પૈસા ન રાખતા. રસ્તામાં આવતાં ગામો, વસ્તીઓ અને લોકોનો જ સંપૂર્ણ આશ્રય. દરેક સ્થળે તેમણે બધાને ભેગા કરી શાંતિ વિશે વાતો કરી. તેમણે જોયું કે લોકો કોઈપણ દેશના હોય, શાંતિ જ ઇચ્છે છે, શાંતિથી જ રહે છે. તો પછી શું છે, કોણ છે જે શાંતિ તોડે છે? ભાંગફોડ કરે છે? હિંસા કરે-કરાવે છે? 8,000 માઈલની યાત્રા દરમ્યાન આ પ્રતીતિ અને આ પ્રશ્ન સતત તેમની સામે આવતા રહ્યાં. આર્મેનિયાની એક ખેડૂત સ્ત્રીએ તેમને પોતે ઊગાડેલી ચાનાં ચાર પેકેટ આપ્યાં, ‘તમે જે ચાર જગ્યાએ જવાના છો ત્યાંના નેતાઓને આ પેકેટ આપજો. ન્યૂક્લિયર મિસાઈલ છોડવાનો નિર્ણય લેતા પહેલાં તેઓ આ પેકેટમાંની ચા પીએ એવી મારી વિનંતી એમને પહોંચાડજો.’ 

પછીથી તેઓ ઇંગ્લૅન્ડમાં થોડાં વર્ષ રહ્યાં. 1991માં તેમણે શુમાકર કૉલેજ શરૂ કરી. આ શુમાકર પણ સમજવા જેવી વ્યક્તિ છે. તેમનું પૂરું નામ ઈ.એફ. શુમાકર. તેઓ જર્મન-બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા. તેમણે આધ્યાત્મિકતા, સાદગી, અર્થશાસ્ત્ર અને ઈકૉલૉજીને એકસાથે મૂકતી ‘સ્મૉલ ઈઝ બ્યુટિફૂલ’ મુવમેન્ટ શરૂ કરી હતી અને નાના દેશોને ભોગે પોતાની સુખસગવડોનું માળખું ઊભું કરતા મૂડીવાદનો વિરોધ કર્યો હતો. આ કૉલેજ શરૂ કર્યા બાદ સતીશકુમારે ઇંગ્લૅન્ડ, વેલ્સ, સ્કૉટલૅન્ડ, જાપાન અને તિબેટમાં શાંતિ માટે પદયાત્રા કરવાનું ચાલુ રાખ્યું હતું.  

1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઊર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે ‘એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.’ 

નોબલ પ્રાઇઝની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે આખો એક લેખ મૂકવામાં આવ્યો છે. તેનું શીર્ષક છે ‘મહાત્મા ગાંધી, ધ મિસિંગ લૉરેટ’ જીવનભર શાંતિવાદી રહેનાર અને 1915નું સાહિત્ય માટેનું નોબેલ મેળવનાર રહસ્યવાદી ફ્રેંચ સર્જક રોમાં રોલાં મહાત્મા ગાંધીને ‘બીજા ઈસુ ખ્રિસ્ત’ ગણતા. તેમણે આખી વાતનો બંધ વાળ્યો છે, ‘દરેક ઈનામ કરતાં ગાંધીજી અનેકગણા મહાન છે.’

શાંતિની વાત નીકળે ત્યારે યજુર્વેદનો અદ્દભુત શાંતિમંત્ર યાદ આવે : ‘હે પ્રભુ, ત્રણે ભુવનમાં, જલમાં, થલમાં ને ગગનમાં, અંતરિક્ષ, અગ્નિ ને પવનમાં, ઔષધિ, વન ઉપવનમાં, સકલ વિશ્વમાં, રાષ્ટ્ર, નગર, ગ્રામ ને ભવનમાં, જીવમાત્રના તનમનમાં, જગતના કણ-કણમાં શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’ 

હજારો વર્ષ પહેલા આની રચના થઈ ત્યારે આકાશ અને અંતરિક્ષ જુદાં છે તેનો સ્પષ્ટ ખ્યાલ લોકોને હતો! સકલ વિશ્વના કણેકણમાં શાંતિ હો એવી પ્રાર્થના પોતે જ કેટલી શાંતિમય છે! મૃત્યુ પછી આપણે શાંતિપ્રાર્થના ગાઈએ છીએ તેમાં આત્માને માટે મોક્ષ, સ્વર્ગના સુખ વગેરેની કામના કરવાના સ્થાને કહીએ છીએ, ‘પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.’  

આઈન્સ્ટાઈન કહે છે, ‘શાંતિ બળપૂર્વક લાવી શકાતી નથી. એ સમજપૂર્વક જ લાવી શકાય.’ દલાઈ લામાએ કહ્યું છે, ‘જ્યાં સુધી અંતરમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી બહારની શાંતિનો અર્થ નથી.’ મહાત્મા ગાંધી કહે છે, ‘શાંતિનો કોઈ માર્ગ નથી, શાંતિ પોતે જ માર્ગ છે.’ ઓશો કહે છે, ‘સ્વતંત્રતા વિના શાંતિ શક્ય નથી. ભય હોય ત્યાં પણ શાંતિ શક્ય નથી.’ 

ભગવાન બુદ્ધે કહ્યું છે, ‘પોતાને પણ સામેલ ન કરો ત્યાં સુધી કરુણા અધૂરી રહે છે.’ અને શાંતિ માટે ‘ભૂતને ન વળગો, ભવિષ્યમાં ન ખેંચાઓ, વર્તમાન પર એકાગ્ર થાઓ.’  

ગીતા કહે છે, ‘સત્પુરુષો સર્વથા, સર્વદા અને સર્વત્ર નિર્ભય હોય છે. તેમનાં વિચાર, કાર્ય અને સમજમાં સ્થિતપ્રજ્ઞતાનો સહજ પ્રભાવ હોય છે. તેઓ ક્યારે ય, ક્યાં ય પણ, કોઈનાથી પણ, કોઈ પણ રીતે ભય પામતા નથી. તેમનું અંતઃકરણ સદાય શાંત સરોવર જેવું નિર્મળ હોય છે. વાયુરહિત સ્થળમાં મૂકેલ દીવાની જ્યોતની જેમ તેઓની બુદ્ધિ જરા ય કંપ્યા વગર અત્યંત સ્થિરતા ધરી રહે છે.’ આવા સત્પુરુષોના ચિત્તમાં જે વસતી હોય, એનું નામ શાંતિ છે. આપણે મોટેભાગે અશાંતિના અભાવને શાંતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. 

સંત ફ્રાન્સિસે કહ્યું છે, ‘શાંતિ અને મુક્તિનો માર્ગ એ છે, કે તું તારી ઇચ્છા કરતાં બીજાની ઇચ્છાને વધારે માન આપ, થોડી ચીજોથી સંતુષ્ટ રહે, નાની જગ્યાએ નાનો થઈને રહે અને એવી પ્રાર્થના કર કે ‘મારા દ્વારા પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે પૂર્ણ થાય.’ 

જે મનુષ્ય સુખની ઇચ્છા નથી રાખતો અને અસંતોષથી નથી ડરતો તે શાંતિ મેળવે છે. જીવનમાં આવતાં દુ:ખોને સ્વીકારીએ અને વિચારીએ કે એને કારણે આત્મચિંતનનો અવસર મળ્યો, તો કોઈ ફરિયાદ નહીં રહે. એટલે તો કુંતીએ કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું હતું. ખ્રિસ્તી સંતો પણ ઈશ્વર પાસે દુ:ખની માગણી કરતા હોય છે. 

અને ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્ભવેત’ પછી અને ‘ઓમ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વીનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ’ પછી કેટલી સુંદર રીતે બોલાય છે ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ: …ક્રમશ: ધીમો પડતો અવાજ ગુંજારવ થઈને શમી જાય છે, ને પછી અસ્તિત્વમાં જે મૌન ગુંજન રૂપે આકાર લે છે, શાંતિના એ વિશ્વમાં આપણા સહુનો વાસ હો … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 સપ્ટેમ્બર  2025

Loading

નરેન્દ્ર દેવ: ભારતીય સમાજવાદના સિદ્ધાંતકોવિદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 November 2025

ભારતીય સમાજવાદના પ્રણેતા અને પ્રકાંડ પંડિત આચાર્ય નરેન્દ્ર દેવ રાજકારણના ઘોંઘાટમાં ઇતિહાસના પૃષ્ઠોમાં કેમ ખોવાઈ ગયા?

જન્મ : 31-10-1889 • મૃત્યુ : 19-2-1956

તે દિવસે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતા આચાર્ય નરેન્દ્ર દેવ નગરનો નામોલ્લેખ સાંભળી કાન સહસા સરવા થઈ ગયા : નરેન્દ્ર દેવ એટલા વહેલા ગયા, 1956માં કે જેમ જે.પી. ને લોહિયા હમણેના દાયકાઓમાં સહજ સંભારાતા રહે છે એવું એમના કિસ્સામાં નથી થતું.

પ્રકાશ ન. શાહ

જો કે, જોગાનુજોગ જ, આંબાવાડી પંથકમાં જ હિંમતલાલ પાર્કમાં બ્રહ્મકુમાર ભટ્ટને ત્યાં નરેન્દ્ર દેવની સરસ તસવીર ગભારા માંહેલી દેવમૂર્તિ પેઠે જોયાનું સાંભરે છે. 1976માં વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે સહમિસાબંદી હતા ત્યારે જેમ જે.પી.-લોહિયાની તેમ નરેન્દ્ર દેવનીયે વાત બ્રહ્મકુમાર સાથે નીકળતી. એ સંભારતા કે આ પ્રકાંડ પંડિત, છતે આકરે અસ્થમે, કર્મઠ પણ શૂરાપૂરા હતા. હંમેશ કહેતા, દસ ટકા ઈન્સ્પિરેશન ને નેવું ટકા પરસ્પિરેશન … યાદ રાખો.

31મી ઓક્ટોબરે સરદાર જયંતી છે તો ઇંદિરાજીની પુણ્યસ્મૃતિનોયે એ દિવસ છે. બંનેનાં ખરાંખોટાં બેંડવાજાં હાજરાહજૂર હશે, પણ 31મી ઓક્ટોબર 1889ના દિવસે જન્મેલા નરેન્દ્ર દેવને કોણ સંભારે, ભલા.

જો કે, નવાઈ લાગે પણ મારું પહેલું સ્મરણ 1956-60નાં ગ્રેજ્યુએટ વર્ષોનું છે. પંડિત સુખલાલજી પાસે કવચિત્ કવચિત્ જવાનું બનતું. એક વાર એમનાં બનારસ વર્ષોની વાત નીકળી તો એમાં નરેન્દ્ર દેવનીયે સાંભરણ સરી આવી. એમની ને પંડિતજી વચ્ચેની વાર્તાલાપ બેઠકોમાં જૈન ને બૌદ્ધ દર્શન આસપાસના મુદ્દા પ્રમુખ રહેતા. પણ પંડિતજીની વિદ્યાપ્રીતિ અને નવી દુનિયાની ઝંખનાનો તો છેડો નહીં એટલે એમને માર્ક્સને સમજવાની ઇચ્છા જાગી. નરેન્દ્ર દેવની સલાહ માંગી તો એમણે કહ્યું કે બુખારીનના પુસ્તક ‘એ.બી.સી. ઓફ માર્ક્સિઝમ’થી શરૂ કરો. 1988-89માં નરેન્દ્ર દેવની શતાબ્દી માટે બ્રહ્મકુમાર ભટ્ટ ને રામલાલ પરીખ ઉપરાંત વડોદરાથી સનત મહેતા અને પરાડકર વગેરે વચ્ચે વાત ચાલેલી ત્યારે બે પંડિતો વચ્ચેના સંવાદનો આ ઉલ્લેખ સૌને રસપ્રદ થઈ પડ્યો હતો.

નરેન્દ્ર દેવને કાશી વિદ્યાપીઠનું દાયિત્વ સંભારવાનું આવ્યું ત્યારથી ‘આચાર્ય’ એમની ઓળખનો અભિન્ન ભાગ બની ગયો, જેમ વન્સ અપોન અ ટાઈમ વિદ્યાપીઠ સાથે કૃપાલાનીની ઓળખનુંયે ‘આચાર્ય’ અભિન્ન અંગ બની ગયું, એમ.

1934માં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું પહેલું અધિવેશન પટણામાં મળ્યું ત્યારે એના અધ્યક્ષપદે સૌએ નરેન્દ્ર દેવને બેસાડ્યા હતા. વડા સંગઠક તરીકે ઉભરેલા જયપ્રકાશના સહાયકોમાં એક મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પણ હતા. ગાંધીજીએ વિદ્યાપીઠના પહેલા દસકામાં જ જેમને વિશિષ્ટ અતિથિ તરીકે ચહીને બરક્યા હશે તેમાં નરેન્દ્ર દેવ પણ હતા. આગળ ચાલતાં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષ ઉભરી આવ્યો ત્યારે સમાજવાદી તરુણો સાથે સંવાદ પૂર્વે શું સાહિત્ય વાંચવું, એની યાદી ગાંધીજીએ નરેન્દ્ર દેવ પાસે માગી હતી તો બીજી બાજુ મહાદેવ દેસાઈને અલાહાબાદ મોકલ્યા હતા – તું ચાર-પાંચ દિવસ જવાહર સાથે રહે અને અલકમલકની વાતોમાં સમાજવાદ વિશેનું એનું મન જાણીને આવ.

બાય ધ વે, 1934માં કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું સ્થાપના અધિવેશન મળ્યું ત્યારે જવાહરલાલ જેલમાં હતા અને નરેન્દ્ર દેવે પોતાના સંબોધનમાં ‘અમે નેહરુ બહાર આવે ને ક્યારે દિલની વાતો કરીએ’ એ ભાવથી એમને સંભાર્યા હતા. તે પછી, તરતનાં વરસોમાં, કૃપાલાનીએ સંભાર્યું છે, હું ને સુચેતા મારી મોટી ઉંમરે પરણી રહ્યાં હતાં પણ જવાહરલાલ જેલમાંથી છૂટે અને સામેલ થઈ શકે તે માટે અમે વરસ-દોઢ વરસ ખમી ખાવાનું નક્કી કર્યું હતું.

‘હિંદ છોડો’ ઠરાવની વાંસોવાંશ કાઁગ્રેસ કારોબારી જેલભેગી થઈ ત્યારે નેહરુ, મૌલાના આઝાદ, કૃપાલાની, નરેન્દ્ર દેવ, સરદાર, હરેકૃષ્ણ મહેતાબ સૌ અહમદનગર જેલમાં સાથે હતા. જવાહરલાલે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ એ મહાગ્રંથ જેલમાં લખ્યો ત્યારે સંદર્ભસ્રોતોની અછત વચ્ચે મૌલાના આઝાદ ને નરેન્દ્ર દેવની સ્મૃતિસંદૂકમાં ભરેલું કેટલું બધું કામમાં આવ્યું હશે, ન જાણે. જેલમાં હતા અને ઇંદિરાને પુત્રપ્રસવ થયાની ખબર આવી ત્યારે નરેન્દ્ર દેવે બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું એક નામ ‘રાજીવલોચન’ સંભાર્યું હતું એ ‘રાજીવ’ નામનું રહસ્ય છે.

સમાજવાદના સિદ્ધાંતકોવિદ તરીકે નરેન્દ્ર દેવ ઉભર્યા, પણ એ નકરી પ્રોફેસરી તાસીરથી ઉફરા ચાલતા હતા. માર્ક્સનું અર્થઘટન, બુદ્ધની નૈતિક પ્રેરણા, ગાંધીનો સત્યાગ્રહ, એવો એક સમન્વિત અભિગમ એમણે વિકસાવ્યો હતો. પરંપરાનું ઉત્તમ કાલવી નવાં વહેણોનું સત્ત્વ આત્મસાત્ કરી આગળ ચાલવું, એમ એ કહેતા. સમાજવાદી આંદોલનમાં જેમ પંચમઢી થીસિસ તેમ એમનો ગયા થીસિસ પણ સુપ્રતિષ્ઠ છે. 

નેહરુ ને પટેલ સ્વરાજ બેસતે રાજ્યબાંધણીમાં ગયા ત્યારે કાઁગ્રેસ પ્રમુખ પદે ગાંધીજીને સૂઝેલાં નામ નરેન્દ્ર દેવ અને જયપ્રકાશનાં હતાં. સ્વરાજ પછી કાઁગ્રેસે જ્યારે પક્ષની અંદર પક્ષ નહીં એવો નિર્ણય લીધો ત્યારે સમાજવાદીઓનું અલગ પક્ષ રૂપે છૂટા પડી ગઠિત થવું સ્વાભાવિક હતું. નરેન્દ્ર દેવ અને કેટલાક સાથીઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચુંટાયેલા સભ્ય હતા. એમણે કાઁગ્રેસની ટિકિટ પર ચુંટાયા પછી નવા પક્ષ રૂપે કામ કરવાને ધોરણે ગૃહમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. જો કે, ફેરચૂંટણીમાં મતદારોએ એમને પાછા ન મોકલ્યા … એક નૈતિક નિર્ણયની આ કદર!

આ તો થોડું ઉપલક-ઉભડક. પણ નરેન્દ્ર દેવ આદિએ પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા વિશે જે રીતે આધુનિક સંદર્ભમાં વ્યાપક પણે કામ લીધું છે, એ સમજવાની ખાસ તરેહના ‘રાષ્ટ્ર’માનસને સુધબુધ હશે? ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર  2025

Loading

...102030...79808182...90100110...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved