Opinion Magazine
Number of visits: 9553708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને

દીપક મહેતા|Gandhiana, Opinion - Opinion|2 October 2025

મનમોહન ગાંધીજીને

ગાંધી તું હો સુકાની રે:
સાચો હિન્દવાન!
હિન્દની જિંદગી અમારી –
અફળાતી અસ્થિર ન્યારી –
તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
રાજ્ય પ્રજાના હિતનું –
મન્થન દેશે છલકાતું –
નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
જનતાના જગ મહારાજ્યે –
હિન્દીજન તણા સ્વરાજ્યે –
ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
હિન્દી જાત જ જન્માવી;
જગમાં વિખ્યાત બનાવી –
ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
મનમોહન, ઉદાર ભાવે,
વીરતાના પ્રસંગ લાવે,
હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે: સાચો હિન્દવાન!
સુદામાપુરના દીપક!
શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક :
ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
ગાંધી! તુજ સુજોડ પગલે,
હિન્દ-સંતતિ સંચરિયે!
શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે: સાચો હિન્દવાન!

                                                                   — ‘લલિતજી’

જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭માં પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”

ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઈ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૧૯૧૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઈ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઈ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઈ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.

પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઈ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઈ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઈ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ હોઈ શકે નહિ.

હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે.

પુસ્તકનું નામ : ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ : ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક: “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, સ્નેહરશ્મિનાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા(નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.

આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી : “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઈ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઈ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યાં અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઈ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઈ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને નવાઈ ન લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે વધુમાં વધુ ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ છતાં એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઈ ગયું.

સંપાદકીયમાં સ્નેહરશ્મિ અને ઉમાશંકરે કહ્યું છે : “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે: “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો સાવ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ.

xxx xxx xxx

02 ઑક્ટોબર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

સંઘ શતાબ્દી અને ગાંધી જયંતી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 October 2025

પરિપ્રેક્ષ્ય

પ્રકાશ ન. શાહ

દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સદી નોંધાવતો હોય અને તાકડે એ જ દિવસે ગાંધી જયંતી (બીજી ઓક્ટોબર) પણ હોય, શું કહીશું એ જોગાનુજોગ વિશે – કેમ કે ગાંધીજી પરત્વે સંઘનો અભિગમ જ્યારે સમીક્ષાત્મક ન હોય, ત્યારે પણ સલામત અંતરનો તો રહ્યો જ છે. સંઘે એના પ્રાત:સ્મરણમાં ગાંધીજીનું નામ આમેજ કર્યાનું જાણ્યું છે, એમાં વિવેક જરૂર છે. કારોબરેટિવ એવિડન્સ(પુષ્ટિપ્રમાણ)ના અભાવે છતી સાહેદીએ ગાંધીહત્યામાં એની સંડોવણી બાબતે શંકાનો લાભ મળ્યો એ ઇતિહાસવસ્તુ છે. 

બને કે, જે સંડોવણી હોય તે સીધી સંસ્થાકીય ન હોય; પણ તે માંહેલા કે તેની સાથેનાં તત્ત્વોની જરૂર હોય. નેહરુ-સરદારના જે પત્રો સત્તાવાર સુલભ છે એણાં પ્રકાશન્તરે સરદાર તરફથી આવાં ઇંગિત છે. જો કે, સરદારે સીધી જવાબદારી હિંદુ મહાસભાની એક પાંખ પર નાખી છે. પણ આજની તારીખ અને તિથિને આપણે એ ચર્ચામાં ન સરવા દઈએ તે જ ઠીક રહેશે.

આ શતવર્ષી, સીધુ-સપાટ-સરળ બયાન કરવું હોય તો સંઘજાત, સંઘપોષિત, સંઘસમર્થિત પક્ષ દેશમાં શીર્ષ સત્તાસ્થાને હોઈ શકે તેની એક સિદ્ધિનો અવસર અને આનંદ ખસૂસ છે. જ્યાં સુધી વિચારધારાનો સવાલ છે, હિંદુત્વ અગર તો હિંદુ રાષ્ટ્ર એનો મૂળ વિચાર છે. વિચારવ્યૂહની રીતે એ ગાંધીને પણ હિંદુ ઢાંચામાં ઢળેલી છબી તરીકે આગળ કરવાની કોશિશમાં જણાય છે. સંઘપ્રેરિત ફાઉન્ડેશને એક દળદાર ગ્રંથ ગાંધી વિશે ‘હિંદુ પેટ્રિયટ’ જેવા સૂચક શીર્ષક સાથે રમતો પણ મૂક્યો છે. પણ ગાંધી એક એવા હિંદુ હતા જે હિંદુત્વ રાજનીતિને માફક આવી શકતા નહોતા!

સંઘે જનસંઘને આપેલા અને ત્યાંથી ભા.જ.પ.વરિષ્ઠ બનેલા અડવાણીએ અયોધ્યા આંદોલન વખતે ગાંધીજી ધર્મને કેવું મહત્ત્વ આપતા હતા તે આગળ કરી સમર્થન ઉપજાવવાની કે બચાવછત્રીની કોશિશ કરી હતી. પણ મુશ્કેલી એ છે કે, જે સંઘબાગ્ય પ્રતિભાઓને તે કો-ઓપ્ટ કરવા કોશિશ કરે છે, પછી તે ગાંધી હોય, સુભાષ હોય કે સરદાર અગર આંબેડકર કે ભગત સિંહ, કોઈને ય હિંદુરાષ્ટ્રનો ખયાલ સ્વીકાર્ય નથી. 

સરદાર માટે સંઘ બાબતે કૂણા હોવાની છાપછતાં વાસ્તવિકતા એ છે કે, એમને પણ હિંદુ રાષ્ટ્ર ‘એક પાગલ ખયાલ’ લાગતો હતો. સાવરકરનું ‘આઈકોન’ હોવું સરવાળે બેસતું આવતું હોય તો પણ એમાંયે એક સલામત અંતરનો મુદ્દો છે તે છે.

મુદ્દે, જે હિંદુત્વ રાજનીતિને આદ્ય સરસંઘચાલક હેડગોવારને અભિમત હશે, એની પૂંઠે જે કથિત ‘ધર્મ’ ચાલના છે તે તો 1925ની સંઘસ્થાપના પૂર્વે પણ પાછી પડતી રહી છે. 1920માં તિલકના અવસાન સાથે અને ગાંધી છવાઈ રહ્યાની પ્રતીતિ સાથે મુંજે અને હેડગેવાર અરવિંદને મળવા પોંડિચેરી ગયા હતા કે પાછા ફરો અને કૉંગ્રેસનું નેતૃત્વ કરો. અરવિંદે ઇન્કાર કર્યો હતો એની પૂંઠે એમને અભિન્ન યોગસાધનાની અગ્રતા તેમ ધર્મની સાંકડી વ્યાખ્યામાં નહીં સમાતી ભૂમિકા પણ હતી.

1965માં દીનદયાલ ઉપાધ્યાય થકી જનસંઘની ફિલસૂફીની રીતે એકાત્મ માનવ દર્શનની કોશિશ થઈ- એમાં રાષ્ટ્રની ચિતિ તરીકે ‘ધર્મ’નો નિર્દેશ છે. પણ તે હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તમતની રીતે, ‘રિલિજિયન’ની રીતે નથી. વ્યાપક અર્થમાં છે. ધર્મને નામે સાવરકર-ગોળવલકરે રાષ્ટ્રની જે લગભગ સેમેટિક વ્યાખ્યા કરી એનાથી આ જુદી ભૂમિકા છે. જનસંઘે જનતા અવતાર પછી ભા.જ.પ. રૂપે પણ એકાત્મ માનવવાદને બંધારણમાં સ્થાન આપ્યું છે. વસ્તુત: દીનદયાલ થકી શરૂ થયેલી અને એમના એકાલમૃત્યુથી અવરુદ્ધ આ પ્રક્રિયા, બને કે, હિંદુત્વ વિચારધારાને બિલકુલ ઉલટાવી પણ નાખે. 

પંચોતેરે પદત્યાગ કરાવી શકાયો કે નહીં એવાં કૌતુકમાં ન પડતાં શતવર્ષીની સિદ્ધિઓ પરત્વ સમાદરપૂર્વક પાયાગત પુનર્વિચારનો આ અવસરપડકાર ખરું જોતાં તો છે. એનાં સેવાકાર્યો કે વિવેકાનંદ સ્મારક પ્રકારની પ્રવૃત્તિ પરત્વે સમાદરપૂર્વ પણ એટલું તો અવશ્ય કહેવું રહે છે. કાશ, સાવરકર, ગોળવલકર, દીનદયાલના વિચારપુંજને સાથે અને સામે મૂકી અંતરખોજપૂર્વકની કોઈ સંગીતિ કે વિમર્શ શક્ય બને!

Editor: nireekshak@gmail.com

Loading

સંઘની વિભાજનકારી વિચારધારા

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|2 October 2025

હેમન્તકુમાર શાહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંગઠન તરીકે વિનાયક દામોદર સાવરકર અને તેના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની વિચારધારાને વરેલો છે. આ બંનેની વિચારધારામાં મુખ્ય મુદ્દા નીચે મુજબ છે :

(૧) હિન્દુત્વ હિંદુ ધર્મથી અલગ છે. હિન્દુત્વમાં હિંદુ ધર્મનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મ માત્ર એક ધાર્મિક સિદ્ધાંત છે જ્યારે હિન્દુત્વ એ સાંસ્કૃતિક, રાજકીય અને રાષ્ટ્રીય ઓળખનો સિદ્ધાંત છે.

(૨) ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના કરવાનું ધ્યેય છે. હિંદુત્વ રાષ્ટ્રીયતાનો આધાર છે. ધર્મસત્તા અને રાજસત્તા બંને એક જ હોય. એટલે કે રાષ્ટ્રની અને રાજ્યની રચનાનો આધાર ધર્મ છે.  

(૩) માત્ર હિંદુઓ જ રાષ્ટ્રના નાગરિકો બની શકે અને તેમને જ બધા અધિકારો હોઈ શકે, બીજા કોઈ ધર્મના લોકોને કોઈ અધિકારો હોઈ શકે નહિ, બીજા ધર્મોના નાગરિકો દ્વિતીય કક્ષાના નાગરિકો બને. જૈન, બૌદ્ધ અને શીખ લોકો હિંદુ છે પણ યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી હિંદુ નથી; એટલે તેઓ ‘હિંદુ રાષ્ટ્ર’ના નાગરિકો નથી. આમ, દેશના હાલના નાગરિકોને તે ‘અમે’ અને ‘તમે’માં વહેંચી નાખે છે.

(૪) હિંદુ સમાજનું જીવન જ રાષ્ટ્રજીવન છે. તે જ પૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે તેમ છે.

(૫) જેઓ હિંદુ રાષ્ટ્રની વ્યાખ્યાની બહાર છે તેઓ માત્ર હિંદુ બનીને એટલે કે હિંદુ સાથે લગ્ન કરીને અથવા ભારતને પુણ્યભૂમિ બનાવીને અર્થાત્ હિંદુ ધર્મ અપનાવીને જ ભારતની નાગરિકતા મેળવી શકે. ભારતીયતાને નામે એક થવું નથી પણ હિંદુ ધર્મને નામે એક થવું છે.

(૬) ‘હિંદુ રાષ્ટ્ર’ માટે દરેક નાગરિકે ફના થવાનું છે; રાષ્ટ્ર પિતૃભૂમિ, છે, માતૃભૂમિ છે, પુણ્યભૂમિ છે અને તેને માટે વ્યક્તિએ બલિદાન આપવાનું છે. વ્યક્તિ મહત્ત્વની નથી, રાષ્ટ્ર મહત્ત્વનું છે. રાષ્ટ્રની ભક્તિ કરો, અને તેના નેતાની ભક્તિ કરો.   

(૭) ‘હિંદુ રાષ્ટ્ર’માં માત્ર હાલના ભારતનો સમાવેશ થતો નથી પણ બીજા અનેક દેશોનો સમાવેશ થાય છે અને તેમને ‘હિંદુ રાષ્ટ્ર’માં સમાવવાના છે.

(૮) દુનિયામાં માત્ર ભારત જ મહાન છે, હિંદુઓ જ મહાન, હિંદુઓ જ સર્વશ્રેષ્ઠ છે. દુનિયાના બીજા બધા લોકો કનિષ્ઠ કક્ષાના છે, તેમની સંસ્કૃતિ નિમ્ન કક્ષાની છે.   

(૯) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓની સમાનતા માટેનાં આંદોલનો અલગતાવાદી સભાનતા ઊભી કરે છે, ઈર્ષા અને સંઘર્ષ ઊભો કરે છે. તેમને વિશેષ રાહતો આપવી એ તેમને ગુલામ બનાવવા બરાબર છે.  

આ મુદ્દાઓને આધારે જોઈએ તો આ વિચારધારામાં –

(૧) સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, માનવ અધિકારો અને વ્યક્તિનું ગૌરવ જેવાં આધુનિક મૂલ્યોનો છેદ ઉડાડવામાં આવે છે. મનુષ્ય રાષ્ટ્ર માટે જ છે એમ કહીને તેમાં મનુષ્યનું બલિદાન માગવામાં આવે છે. વ્યક્તિ એક એકમ તરીકે મહત્ત્વની છે જ નહિ, દેશ જ મહત્ત્વનો છે. એમાં એમ ભૂલી જવામાં આવે છે કે ઐતિહાસિક રીતે મનુષ્યો દેશ બનાવે છે, દેશ મનુષ્યોને બનાવતો નથી.   

(૨) ભારત નામનું રાજ્ય ધર્મનિરપેક્ષ ન બને પણ હિંદુ ધર્મથી લિપ્ત બને તેવી તેમાં ઈચ્છા છે અને તેથી રાજ્યના અસ્તિત્વના સિદ્ધાંત તરીકે ધર્મનિરપેક્ષતાનો તેમાં છેદ ઉડાડવામાં આવે છે.

(૩) લોકશાહીને અત્યાર સુધીમાં શોધવામાં આવેલી એક સારામાં સારી રાજકીય વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવતી નથી. હિંદુ ભૂતકાળ ભવ્ય હતો તેમ કહીને રાજાશાહી શ્રેષ્ઠ રાજકીય પદ્ધતિ હતી તેમ પ્રસ્થાપિત કરવામાં આવે છે. રાજાશાહી એટલે આધુનિક યુગમાં તાનાશાહી.  

(૪) અન્ય ધર્મોના લોકો દ્વિતીય કક્ષાના નાગરિક બને એમ જ્યારે સમજવામાં આવે છે ત્યારે રાજ્ય નામના સંગઠનનો આધાર ધિક્કાર બને છે; લોકો વચ્ચેનો પારસ્પરિક પ્રેમ અને સદ્દભાવ નહિ.

(૫) ‘હિંદુ રાષ્ટ્ર’ની વિચારધારા રાજકીય વિસ્તારવાદી છે. તે અન્ય દેશોને તેની ભૌગોલિક સીમાઓમાં સમાવવા માગે છે, તે એમ કહીને કે ભૂતકાળમાં એટલી સીમાઓ હતી જ. એનો અર્થ એ છે કે અન્ય દેશો જો ‘હિંદુ રાષ્ટ્ર’માં આપમેળે, સ્વેચ્છાએ સામેલ ન થાય તો તેમની સાથે યુદ્ધો કરીને ‘હિંદુ રાષ્ટ્ર’ બનાવવા માગે છે.

(૬) અત્યારે જે ભારત છે તેમાં સદીઓથી બીજા લોકો આવ્યા અને રહ્યા અને તેમણે હાલનું ભારત બનાવવામાં ભજવેલી ભૂમિકાનો સદંતર ઇન્કાર છે. એમ સમજવામાં આવે છે કે એ બધાએ અહીંના લોકો પર ત્રાસ ગુજાર્યો, એટલે હવે એનો બદલો લેવાનો સમય છે. આ બદલો હિંસક પણ હોઈ શકે.

(૭) રાજ્યે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, મહિલાઓ જેવા વંચિત વર્ગોની કાળજી ન રાખવી જોઈએ એમ માનવામાં આવે છે. એટલે કે અસમાનતા અને અન્યાય કુદરતી છે અને રહેશે, માનવસર્જિત નથી એમ સમજવામાં આવ્યું છે.              

(૮) રાષ્ટ્રની ભક્તિ કરવાની છે, તેથી તેના નેતાની પણ ભક્તિ કરવાની છે. નેતા જે કંઈ કરે છે તે રાષ્ટ્ર માટે સારું જ કરે છે એમ સમજવાનું છે અને તેથી તેની સામે કોઈ સવાલ ઉઠાવવાનો નથી. જેઓ રાષ્ટ્રની અને તેના નેતાની ભક્તિ કરતા નથી તે બધા દેશદ્રોહીઓ છે. 

આ રીતે જોતાં એમ લાગે છે કે સંઘ જે વિચારધારાને વરેલો છે તે વ્યક્તિની સ્વતંત્રતાને અને વ્યક્તિઓ વચ્ચે પ્રવર્તમાન રાજકીય, આર્થિક અને સામાજિક અસમાનતાના નિવારણને મહત્ત્વ આપતી નથી, તે વ્યક્તિઓ વચ્ચે ધર્મને આધારે ભેદભાવ ઊભો કરે છે અને ધર્મને આધારે રાષ્ટ્રની રચના કરવા માગે છે કે જે ભારત જેવા દેશ માટે વિભાજનકારી સાબિત થાય છે.

(‘અભિયાન’ સામયિકના તંત્રીશ્રી તરુણ દત્તાણીના નિમંત્રણથી તેમાં પ્રકાશનાર્થે આ લેખ તા. ૨૭-૦૯-૨૦૨૫ના રોજ મોકલવામાં આવ્યો હતો.)

તા.૩૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...75767778...90100110...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved