Opinion Magazine
Number of visits: 9741578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાપતા લેડીઝ : સ્ત્રી સ્વાતંત્ર્યનો ગામડેથી પ્રારંભ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 May 2024

રવીન્દ્ર પારેખ

‘લાપતા લેડીઝ’ જોઈ. ગમવી જોઈએ તેથી વધુ ગમી. હમણાં જે થોડી સારી ફિલ્મો જોવાનું બન્યું, તેમાં આમિર ખાન પ્રોડક્શન્સની ‘લાપતા લેડીઝ’નો સહેલાઈથી સમાવેશ થઈ શકે.

જાન્યુઆરી, 2001ના અંતમાં દીપકનાં લગ્ન ફૂલકુમારી સાથે થાય છે. માનતા પૂરી કરવા દીપક અને ફૂલ રોકાઈ જાય છે ને તેના ઘરવાળા ગામ તરફ નીકળી આવે છે. માથે ઘૂમટો તાણેલી ફૂલને ઠોકર વાગે છે, તો સંબંધી સ્ત્રી બહુ સૂચક રીતે કહે છે – એક વાર માથે ઘૂંઘટ લીધો, પછી આગળ નહીં, નીચે જોઈને ચાલવાનું. ફૂલ, દીપક સાથે પ્લેટફોર્મ નથી એવાં સ્ટેશનેથી ટ્રેનમાં પ્રવેશે છે. ડબ્બામાં લાલ ઘૂંઘટમાં ત્રણ દુલ્હન છે. એક મહિલા દીપકને પૂછે છે – દહેજમાં કૈં લીધું ખરું? મારાવાળાને તો દોઢ લાખ મળ્યા. દીપક કૈં બોલતો નથી, તો પેલી બીજાના કાનમાં બબડે છે – છોકરામાં કોઈ ખામી હશે. રાત્રે ‘મૂર્તિ’ સ્ટેશને દીપક ચમકીને જાગે છે ને ફૂલને જગાડીને પ્લેટફોર્મ પર ઊતરે છે. અહીંથી છેલ્લી બસ પકડવાની છે. નવોઢા જરા અચકાય છે, પણ પછી દીપકની સાથે થઈ જાય છે. ગામનું ઘર દીકરા-વહુનાં સ્વાગતમાં લાગે છે. વહુને ચાંદલો કરવા સાસુ ઘૂંઘટ ઉઠાવવાનું કહે છે. વહુ તેમ કરે છે ને સાસુના હાથમાંથી થાળી નીચે પડે છે. દીકરો બીજા કોઇની પત્નીને ઊંચકી લાવ્યો છે. બધા વહુને ટોકે છે – તને પણ ખબર ન પડી? તે કહે છે – ઘૂંઘટમાંથી તો નીચે દેખાય, બૂટ દેખાય. ઘરની ડોશી કહે છે – બૂટ પરથી ઓળખતે ! વહુ કહે છે – પતિ નવો, બૂટ નવા, કેવી રીતે ઓળખતે? નવોઢાને નામ પુછાય છે, તો તેનું સાચું નામ જયા ન કહેતાં, પુષ્પા રાની કહે છે.

આ તરફ ફૂલ પતીલા સ્ટેશને ઊતરે છે, તો પતિ જડતો નથી. જયાનો પતિ પ્રદીપ શોધે છે તો તે મળતી નથી, પણ તેને સંતોષ છે કે જયા મળે કે ન મળે, દહેજ ને ફટફટિયું તો મળી ગયું છે. સાસુને ચિંતા વહુની નહીં, તેટલી તેને 15 તોલા સોનું ચડાવેલું તેની છે. દીપકને બે કામ આવી પડે છે. ફૂલને શોધવાનું ને પુષ્પા રાનીને તેને ઠેકાણે પહોંચાડવાનું. વાત પોલીસમાં પહોંચે છે. હાથ પર જયા નામનું ટેટૂ છે, તે પોલીસને ખબર પડશે તો તેના પતિ પાસે પહોંચાડશે એ બીકે તે જયાનું શ્રેયા કરે છે ને પોલીસ ઇન્સ્પેકટર શ્યામ મનોહરને નામ પુષ્પા જ કહે છે. કહેવાતાં સાસરામાં પણ તેની હિલચાલ ભેદી છે. તેણે પ્રદીપને પરણવું જ ન હતું, કારણ તે 800 વિદ્યાર્થીઓમાં પહેલી આવી હતી, તેણે ખેતી વિદ્યામાં નિપુણ થવું હતું, પણ મા માનતી નથી ને મરવાની ધમકી આપીને પ્રદીપને પરણાવી દે છે. પ્રદીપની પહેલી પત્ની સંતાન ન થવાથી સળગી ગઈ હતી કે સળગાવી દેવાઈ હતી, તે ખબર નથી. તે પ્રદીપને ઇચ્છતી નથી, પણ મન મારીને પરણે છે ને પ્રદીપને બદલે દીપકને પનારે પડે છે. દીપક, ફૂલની શોધમાં ને યાદમાં કરમાઈ રહ્યો છે. ઘરમાં દીપકની ભાભી છે. તેનો પતિ શહેરમાં નોકરી કરે છે. ભાભી પતિનું નામ દેતી નથી. ભાભીને જયા કહે છે કે શ્રવણકુમાર જેવું સરસ નામ છે તો ‘એજી, ઓજી’ શું કરવાનું? દીપકનો દાદો ત્રીસ વર્ષ કલકત્તામાં ‘જાગતે રહો’ ની ટહેલ નાખવામાં એવો ખર્ચાયો છે કે નિવૃત્ત થયા પછી પણ સૂરજમુખી ગામના ઘરમાં સૂચક રીતે બોલતો રહે છે, ’જાગતે રહો !’ ભાભી જોડે વાત કરનારું કોઈ નથી, તેને જયાનો સાથ મળતાં સારું લાગે છે. તેની સાસુ પણ, આ ઘરમાં બધાંની પસંદગીની વસ્તુઓ રાંધવામાં જ એટલી ખપી છે કે પોતાની પસંદગી શી હતી એ જ યાદ નથી આવતું. જયા સમજાવે છે કે ઘરમાં સાસુ, વહુ, જેઠાણી હોય છે, પણ મુશ્કેલી એ છે કે તેમની વચ્ચે મૈત્રી નથી હોતી. ભાભીને ચિત્રો દોરતાં આવડે છે, પણ તેની તેને જ પરવા નથી. જયા સમજાવે છે-આ કળા છે. ભાભી કહે છે – એ તો એમને એમ આવડી જાય. જયાનો જવાબ છે – એમને એમ આવડતી હોત તો બધાંને આવડતેને ! ભાભી પાસે ફૂલનો ચહેરો ચિતરાવી, એનું પોસ્ટર જયા બધે મોકલે છે, પરિણામે વાત ફૂલ સુધી પહોંચે છે ને એ દીપકને મળવા ટ્રેઈનમાં નીકળી પડે છે …

એ નીકળી પડે છે એ પહેલાં પતીલા સ્ટેશન પર જ ઘરડી મંજુ સાથે રેલવે સ્ટોલ પર કામે લાગે છે. ફૂલ તેને પૂછે છે કે તેનું કોઈ નથી? મંજુ કહે છે – પતિ, સંતાન બધું હતું, પણ તેની જ કમાણી ખાઈને શરાબી પતિ મારતો હતો ને કહેતો હતો કે જે પ્રેમ કરે તે મારે પણ ! એક વાર મંજુ પણ પ્રેમ કરી લે છે, મારીને. ત્યારથી તે એકલી છે. ફૂલ કલાકંદ બનાવે છે ને બધાંને તે બહુ પસંદ પડે છે, તે મંજુને ચાખવાનું કહે છે, તો કહે છે – જિંદગીમાં એવું કૈં થયું નથી કે મોં મીઠું કરવું પડે. મીઠાઇ વેચવાથી આવક વધતાં મંજુ તેને 100 રૂપિયા આપે છે. એ તેની પહેલી કમાણી છે ને તે ઉમંગથી છેડે બાંધે છે. તે લગ્નનાં કપડાં નથી બદલતી કે પ્લેટફોર્મની બહાર પણ નથી જતી, એ ભરોસે કે પતિ શોધતો અહીં જ આવશે. મંજુ, ફૂલને એને પિયર જવાનું કહી ચૂકી છે, પણ તેને શીખવાયું છે કે સારા ઘરની વહુ પતિ સાથે જ પિયર જાય. ‘સારા ઘરની’ જાણીને મંજુ સંભળાવે છે – જે સલમાન ખાનને ઘરે તેનો નોકર કદી જવાનો નથી, તેનું સરનામું તેને યાદ છે, પણ જે ઘરે ફૂલ આખી જિંદગી કાઢવાની છે, એ સાસરાનું ઠેકાણું તેને યાદ નથી. આ બધું બહુ સૂચક છે. વહુ નીચું જોઈને ચાલે એટલે ઘૂમટો તાણવાનો – એમ કરીને ઓળખ ઢાંકવાની, પતિનું નામ ન દેવાય, ક્યાં પરણાવાય છે એની પૂરી માહિતી ન અપાય, પત્ની સળગી ગઈ હોય, એવા બીજવરને દીકરી પરણાવવાનો વાંધો ન હોય, આગળ ભણવું હોય તે હોંશિયાર દીકરીને ભણવા ન દેવાય – આ બધું જ તો થાય છે સારા ઘરની છોકરીઓ જોડે અને વિચિત્ર તો એ છે કે આવું બધું સ્ત્રી જ સ્ત્રીને શીખવે છે …

વાત એટલી વધે છે કે ચોરીના મામલામાં જયાની ધરપકડ થાય છે, પણ તેણે આગળ ભણવા આ બધું કર્યું છે તેના પુરાવા મળતા તે નિર્દોષ છૂટે છે, ત્યાં તેનો પતિ ભાળ મળતાં તેને લેવા પોલીસ સ્ટેશને આવે છે. જયાએ તેની સાથે જવું નથી ને તે સગીર હોવાથી ઇન્સ્પેકટર પણ તેને પતિ સાથે જવા ફરજ પાડી શકતો નથી. એની મદદથી જ જયા તેનું સપનું પૂરું કરવા દહેરાદૂન જવા નીકળે છે. ઇન્સ્પેકટર તેનાં ઉજ્જવળ ભવિષ્ય સંદર્ભે હવાલદાર દુબેને કહે છે કે આ છોકરી ઘણે દૂર જશે. દુબે કહે છે, હા, સાહેબ ! દહેરાદૂન 800 કિલોમીટર તો હશે. ઇન્સ્પેકટર શ્યામ બહુ સૂચક રીતે હસે છે. ..

સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સશક્તિકરણ સૂત્રો, પ્રવચનો ને એન.જી.ઓ.ઝ પૂરતું સીમિત નથી. ગામડામાં તો એ હવા ખાસ પહોંચી જ નથી. કોઈ સૂત્રો, પ્રવચનો વગર સ્ત્રીને ગામડામાં સહજ મોકળાશ કેવી રીતે ઊભી થઈ શકે એની વાત જરા પણ મુખર થયા વગર ‘લાપતા લેડીઝ’ કરે છે. મૂળ વાર્તા વિપ્લવ ગોસ્વામીની, તેના સ્ક્રીનપ્લે ને સંવાદો લખ્યા છે સ્નેહા દેસાઇએ. સંવાદો કેટલા સોંસરા ને સૂચક છે તે અગાઉ આપેલાં ઉદાહરણો પરથી પણ પરખાશે. એ સાથે જ ભાષા-બોલીની એટલી કાળજી લેવાઈ છે કે તે જે તે દેશ-પ્રદેશનું સબળ પ્રતિનિધિત્વ કરી શકે. આખી ફિલ્મને દિગ્દર્શક કિરણ રાવે જે રીતે સમજ અને સંયમથી સ્વસ્થ ગતિ આપી છે તેને માટે અઢળક અભિનંદનો આપવાં ઘટે. એકે એક પાસા પર દિગ્દર્શકની છાપ ફિલ્મમાં અનુભવાય છે. જે રીતે કિરણે કલાકારો પાસેથી કામ લીધું છે તે કાબિલે તારીફ છે. બધા કલાકારોને મોડર્ન લૂકમાં પણ જોયા. એમને ફિલ્મોમાં જોયા તો એવું લાગ્યું કે એ જ એમનું જીવન છે ને ફિલ્મની બહાર જીવે છે એ એમનો અભિનય છે. ફિલ્મમાં બતાવાયેલું ગામડું, તેનાં રેલવે સ્ટેશનો, તેનો ટી સ્ટોલ, તેનાં ખેતરો, તેનાં અંધારિયાં ઘરો, ઘરનાં રીત-રિવાજો, તેની ધૂળિયા સડકો … એટલાં જીવંત છે કે પ્રેક્ષકોને ખરેખર ગામડામાં હોવાની અનુભૂતિ થાય છે.

રવિ કિસન બહુ જ મંજાયેલો અભિનેતા છે તે તેણે ઇન્સ્પેકટર શ્યામ મનોહરની ભૂમિકા કરીને ફરી એકવાર સાબિત કરી દીધું છે. તે એટલો ઘડાયેલો ઇન્સ્પેકટર પ્રસ્તુત કરે છે કે પાનનાં ડૂચા સાથે કેમ બોલવું, ચોકીમાં કોની સાથે કેમ વર્તવું તે, તે બરાબર જાણે છે. આવા જમાનાના ખાધેલ ઇન્સ્પેકટરને છેલ્લે, પ્રદીપના પંજામાંથી પોતાને છોડાવી મુક્ત કરવા બદલ જયા પોતાનાં ઘરેણાં ખુશીથી આપી દે છે તો એ પરત આપતાં કહે છે કે ખૂબ ભણજે, ત્યારે એ ચરિત્રને એક નોખું પરિમાણ પ્રાપ્ત થાય છે. પુષ્પા રાની / જયા તરીકે પ્રતિભા રત્ના ભાવ વૈવિધ્યમાં મોખરે રહે છે. તે ભેદી રીતે વર્તે છે ત્યારે કે બીજાનાં હિતમાં તે ભૂંડી બનતી હોય ત્યારે કે નવોઢા તરીકે પહેલીવાર ઘૂંઘટ ઉઠાવી ચહેરો પ્રગટ કરે છે ત્યારે કે પોલીસ ચોકીમાં શિક્ષિત હોવા છતાં ઘૂંઘટમાં જ ફોટો પડાવવાનો આગ્રહ રાખે કે અભણ વ્યક્તિ તરીકે અંગૂઠો મારે ત્યારે તે સતત સાચી લાગે છે. દીપક તરીકે સ્પર્શ શ્રીવાસ્તવ નવા અભિનેતા તરીકે એકદમ સાહજિક અભિનય કરે છે. ભૂલથી બીજાની પત્ની લઈ આવ્યો છે ને પોતાની પત્ની ભૂલી આવ્યો છે એનો આઘાત તેણે બરાબર પ્રગટ કર્યો છે, એ સાથે જ ફૂલની ચિંતામાં ને વિરહમાં તેની ઉદાસી સ્પર્શી જાય છે. ફૂલને તે ‘આઈ લવ યૂ’ કહે છે, તે વખતના તેના હાવભાવ નોંધનીય છે. ફૂલ તરીકે નિતાંશી ગોયેલે ભૂમિકામાં જીવ રેડી દીધો છે. તે એટલી માસૂમ, નિર્દોષ અને તાજગીપૂર્ણ છે કે ગામડામાં આવી ‘બાલિકા બધૂ’ હોવાનું આશ્ચર્ય થાય. છાયા કદમે પીઢ અને પીડિત, પણ બહારથી સ્વસ્થ દેખાતી મંજુને તંતોતંત પ્રગટ કરી છે.

ફોટોગ્રાફી વિકાસ નૌલખાની છે. તે એટલી અસરકારક છે કે નાનામાં નાનું દૃશ્ય પણ સ્પર્શ્યા વગર ન રહે. રામ સંપથનું ગ્રામ સંસ્કૃતિને ઉજાગર કરતું ભાવવાહી સંગીત ફિલ્મનું જમા પાસું છે. ગીતો સ્વાનંદ કિરકિરે, પ્રશાંત પાંડે અને દિવ્યનિધિ શર્માના છે. ગીતો કથાને રોકતાં આવતાં નથી, તે કથાની સાથે વહે છે. ‘સોના મહાપાત્રનું ‘બેડા પાર’ કે સુખવિન્દર સિંઘનું ‘અરે બહુત જ્યાદા શેડી હૈ, બહુત સયાની લેડી હૈ …’ માર્મિક અને રમતિયાળ રીતે ગવાય છે, તો અરિજિત સિંહનું ‘ઓ સજની રે, કૈસે કટે દિન રાત ..’ વિરહી ભાવોને પ્રગટ કરતું ગીત કરુણ મધુર રીતે ગવાયું છે. શ્રેયા ઘોષાલે ’ધીમે ધીમે ચલે પુરવૈયા ..’ હૃદયસ્પર્શી રીતે ગાયું છે.

ટૂંકમાં, સાવ નવા વિષય પર, નવાં વાતાવરણમાં, નવા કલાકારો સાથેની આ નવીનક્કોર ફિલ્મ છે, પણ તે શિખાઉ નથી, તે બોજ વધારનારી નથી, પણ એકદમ ઘડાયેલી ને તાજગીપૂર્ણ ફિલ્મ છે. તે વિચારે છે  ને વિચારતા પણ કરે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 મે 2024

Loading

આ વખતની સામાન્ય ચૂંટણીમાં આટલી વાત સ્પષ્ટ થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2024

રમેશ ઓઝા

એક તો એ કે આ વખતની સામાન્ય ચૂંટણી દરેક અર્થમાં સામાન્ય છે, અસામાન્ય નથી જે રીતની અસામાન્ય ચૂંટણી ૧૯૭૭માં, ૧૯૮૪માં, ૨૦૧૪માં અને ૨૦૧૯માં જોવા મળી હતી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને કાઁગ્રેસ વિરુદ્ધ જુવાળ હતો. ૧૯૮૪માં રાજીવ ગાંધી અને કાઁગ્રેસ તરફી જુવાળ હતો. ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી અને બી.જે.પી. તરફી જુવાળ હતો. અત્યારે આમાંનું કશું નથી. નરેન્દ્ર મોદી તરફી જુવાળ નથી તો એવો કોઈ પ્રચંડ જુવાળ તેમની વિરુદ્ધમાં પણ નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે લોકોને એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદી નામનો ઐશ્વર્યવાન પુરુષ ગુજરતનું કલ્યાણ કરીને હવે દેશનું કલ્યાણ કરવા આવ્યો છે. તેમની પાસે ઉત્સાહ છે, ધગશ છે, ઉર્જા છે, કલ્પના છે, અનુભવ છે અને ઈમાનદારી છે. આવી એક ઈમેજ વિકસાવવામાં આવી હતી અને તેણે જુવાળ પેદા કર્યો હતો. ૨૦૧૯માં બાલાકોટ અને પુલવામાંને કારણે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન લોકોના મનમાં પેદા થયો હતો અને મતદાતાઓને એમ લાગ્યું હતું કે કોઈ કૃતસંકલ્પ અને શક્તિશાળી નેતૃત્વની દેશને જરૂર છે. નરેન્દ્ર મોદીની ચાલમાં, બોડી લેન્ગવેજમાં, ભાષામાં ખુમારી નજરે પડતી હતી.

આ વખતની ચૂંટણીમાં આમાનું કશું જ નથી. રાષ્ટ્રીય સુરક્ષાની કોઈ વાત કરે છે ત્યારે લોકોને ચીનની યાદ આવે છે. ૨૦૨૦ની સાલથી ચીન ભારતમાં લડાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારતની સેંકડો ચોરસ કિલોમીટર ભૂમિ પર કબજો જમાવીને બેઠું છે અને નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં ચીનનો ચ નથી ઉચાર્યો. ઊલટું ૨૦૨૦ના જૂન મહિનામાં તો દેશની પ્રજાને જૂઠો સધિયારો આપ્યો હતો કે દેશમાં કોઈ પ્રવેશ્યું નથી કે ભારતની કોઈ ભૂમિ પર કોઈએ કબજો કર્યો નથી. ચીને માત્ર ભારતની ભૂમી પર કબજો નથી કર્યો, એ ભૂમિ પર લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. ચીને નકશા બદલી નાખ્યા છે અને અરુણાચલનાં પ્રદેશો અને કસબાઓનાં નામ પણ બદલી નાખ્યાં છે. શા માટે ભારત આ પ્રશ્ને ઊહાપોહ નથી કરતું? શા માટે વિશ્વમત ભારતની તરફેણમાં બને અને ચીન ઉપર દબાણ પેદા થાય એ માટે પ્રયત્ન નથી કરતું? કારણ કે સાહેબને એમાં ભૂંડા લાગવાની શરમ આવે છે. દેશની ભૂમિ ભલે કોઈ આંચકી જાય અને ભલે છોડાવી ન શકીએ, પણ બોલવાનું નહીં. બોલીએ તો નમાલા દેખાઈએ. તમાચો ખાઈ લેવાનો પણ સિસકારી નહીં કરવાની કે ગાલ પર હાથ નહીં ફેરવવાનો. ગમે તેમ પણ પ્રજાને નમાલાપણું દેખાઈ ગયું છે. હજુ હમણાં જ દેશના વિદેશ પ્રધાને પત્રકારોને કહ્યું હતું કે ચીન વિશ્વની બીજા ક્રમની આર્થિક તાકાત છે, એટલે તેની સામે લડવું શક્ય નથી. વિદેશ પ્રધાને સત્તાવારપણે ચીનને જણાવી દીધું છે કે અમે તમારી સામે કશું કરી શકીએ એમ નથી. હવે તમે જ કહો, ચીન આનો લાભ લેશે કે નહીં?

૨૦૧૪નો વિકાસ તો બિચારો આગળ જવાની જગ્યાએ અવળી દિશામાં પાછો જઈ રહ્યો છે. સ્માર્ટ સિટીઝ, સ્કીલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, દરેક હાથને કામ વગેરેને તો જ્યાં હવે વડા પ્રધાન જ ભૂલી ગયા છે ત્યાં બીજાની ક્યાં વાત કરીએ! વિકાસની કોઈ યાદ પણ કરાવે છે તો લોકોને મોંઘવારી અને બેકારીની યાદ આવે છે. અને જો વિકાસની યાદ આવે પણ છે તો એ ભાઈબંધ ઉદ્યોગપતિઓના વિકાસની યાદ અને સામે ઇલેક્ટોરલ બોન્ડ્સની યાદ આવે છે. એક હાથ સે લિયા એક હાથ સે દિયા. આમાં ભ્રષ્ટાચાર વિષે પણ કશું બોલવાપણું રહ્યું નથી.

તો ૨૦૧૪ અને ૨૦૨૪થી ઊલટું આ વખતની ચૂંટણી જુવાળ વિનાની, કોઈ વ્યક્તિ કે પક્ષની તરફેણમાં સ્ટ્રોંગ નેરેટિવ વિનાની સામાન્ય ચૂંટણી છે જેમાં વડા પ્રધાન દેખીતી રીતે બચાવાત્મક ભૂમિકાએ છે. વડા પ્રધાનની દશા જુઓ! ૨૦૧૪ને અને ૨૦૧૯ને તેઓ યાદ પણ કરતા નથી /કરાવતા નથી અને જો કોઈ યાદ કરાવે તો ચહેરાના રંગ બદલાઈ જાય છે. વિકાસ, બહાદુરી, નિસ્વાર્થતા અને પ્રામાણિકતા પરની કલઈ ઉખડી ગઈ છે.

આ વખતની ચૂંટણીનું બીજું લક્ષણ એ છે કે ચૂંટણી લોકોએ હાથમાં લઈ લીધી છે. વિરોધ પક્ષો કરતાં પણ લોકો વધારે સક્રિય છે. વડા પ્રધાન જે ભુલાવા માંગે છે એને લોકો ધરાર યાદ કરાવી રહ્યા છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં શાસકોએ સોશ્યલ મીડિયાનો પોતાની તરફેણમાં ઉપયોગ કર્યો હતો અને અત્યારે લોકો તેનો શાસકો સામે ઉપયોગ કરી રહ્યા છે. આને કારણે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ ઓછો નડે છે અને શાસક પક્ષની સંસાધનોની રેલમછેલ ઓછો પ્રભાવ પાડે છે. આવું આ પહેલાં કર્ણાટકમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. વિરોધ પક્ષોને લોકોની જરૂર છે એના કરતાં લોકોને વિરોધ પક્ષોની વધારે જરૂર છે.

પણ આવું કેમ બન્યું? ખોટી ગણતરી અને ગણતરી પરના વધારે પડતા ભરોસાને કારણે. ગણતરી એવી હતી કે વિરોધ પક્ષોને અને વિરોધ પક્ષના નેતાઓને અધમુઆ કરી નાખવાના. તેમની સરકાર આંચકી લેવાની, તેમની અંદર વિભાજન કરવાનું, નેતાઓને જેલમાં નાખવાના. જે જેલ જવાથી બચવા માંગતા હોય તેને ભા.જ.પ.માં લઈ લેવાના, પૈસાના સ્રોત સૂકવી નાખવાના, ઈ.ડી. અને બીજી એજન્સીઓને પાછળ દોડાવવાની, વગેરે વગેરે. જંગલી કૂતરા જેમ શિકાર કરે એમ શિકારને દોડાવી દોડાવીને અધમુઓ કરી નાખવાનો. ૨૦૨૩ના ડિસેમ્બર મહિના સુધીમાં વિરોધ પક્ષોને ખતમ કરી નાખવાના અને પછી ૨૦૨૪ના જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન અને દેશને અર્પણ કરવાનું. ચારસો સીટ તો આમ ચપટી વગાડતા મળી રહેશે. સામે મેદાનમાં વિરોધ પક્ષ નામની કોઈ ચીજ હશે નહીં અને હશે તો માંદલા હશે અને આપણા પક્ષે મેદાનમાં હશે સ્વયં ભગવાન રામ અને રામને ભારતમાં લાવનાર દેવતા સમાન નરેન્દ્ર મોદી. અને પછી લોકસભાની ચૂંટણી.

આ ગણતરી પર એટલો બધો ભરોસો હતો કે ધીરેધીરે માનમર્યાદા અને સભ્યતાનો લોપ થતો ગયો. નીચમાં નીચ માણસને ભા.જ.પ.માં લઈ લો એમાં શરમાવાની જરૂર નથી. ભા.જ.પ.માં પ્રવેશેલા માણસ સામેના ભ્રષ્ટાચારના કેસને બંધ કરી દો, ટીકા કરનારાઓની ચિંતા કરવાની જરૂર નથી. ટીકાકારો તો ભસ્યા કરે. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ અને મકાન છીનવી લો. પહેલવાન છોકરીઓ સાથે બદતમી કરનારા માણસનો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે એ અમારો આદમી છે એટેલ થાય એ કરી લો. મણિપુરની અમાનવીયતા વિષે હરફ નહીં ઉચારું, થાય એ કરી લો. આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે એ માટે રસ્તામાં ખિલા પાથરો. આવી તો દેશભરમાં અનેક ઘટનાઓ બની રહી હતી. ગોદી મીડિયા તો ગોદમાં હતા એટલે ઊહાપોહ થતો નહોતો.

પ્રજા આ બધું ચૂપચાપ જોતી હતી અને મનોમન શાસકોની નિયત અને સંસ્કાર વિષે અભિપ્રાય બનાવતી હતી. એમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન થયું અને વડા પ્રધાને છાતી ફુલાવીને કહ્યું; ઇસ બાર ચારસો પાર. અને વળી લોકસભામાં કહ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો.

આમ કહ્યું અને લોકોના મનમાં સાવધાનીની ઘંટડી વાગવા માંડી. જો ૩૦૩માં આ દિવસો જોવા મળી રહ્યા છે તો ૪૦૦ પછી શું થશે? બંધારણ બદલાશે, અનમતની જોગવાઈ જશે, ખેડૂતો લડીને ૨૦૨૧માં તો ફાવ્યા પણ ૪૦૦ પછી ખેડૂતો નહીં ફાવે અને જમીન ગુમાવશે. યુવાઓ નોકરી માગવાના નામે ઊહાપોહ કરશે તો જેલમાં જવાનો વખત આવશે બીજી બાજુ અદાણી-અંબાણીને ધરવવામાં આવશે. સ્ત્રીઓને પહેલવાન છોકરીઓ અને મણિપુરની સ્ત્રીનાં ચહેરા નજરે પડવા લાગ્યા. દેશપ્રેમના નામે, રાષ્ટ્રવાદના નામે, હિંદુ મુસ્લિમના નામે આ બધું થતું રહેશે. પ્રજાના મનમાં જે ઘંટડી વાગવા માંડી એ હવે ઘંટનાદમાં ફેરવાઈ રહ્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2024

Loading

નિર્જન કચ્ચાથીવુ દ્વીપ વિવાદમાં ધુમાડો અને પ્રકાશ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 May 2024

ચંદુ મહેરિયા

પચાસ વરસ પહેલાં, ૧૯૭૪માં,  થયેલી આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ જેના માલિકી હકનો વિવાદ સમાપ્ત થયો હતો તે કચ્ચાથીવુ દ્વીપનો મામલો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના  પ્રચારમાં ગરમાયો છે. તમિલ રાજનીતિનો આ વિવાદિત મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઉઠ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્ચાથીવુ શ્રીલંકાને આપી દેવાના કાઁગ્રેસના પગલાંને ‘મા ભારતી કા એક અંગ કાટ દિયા’થી માંડીને ‘દેશની એકતા, અખંડતા અને હિતો વિરુદ્ધનું‘ ગણાવ્યું છે. તમિલનાડુનો સત્તાપક્ષ ડી.એમ.કે.  કચ્ચાથીવુ પ્રશ્ને કાઁગ્રેસની સાથે નથી, પણ લોકસભા ચૂંટણીમાં કાઁગ્રેસ ગઠબંધનનો ભાગ છે, એટલે તેના આ બેવડા વલણને ભા.જ.પ. વખોડે છે. આ સ્થિતિમાં રાજકીય દોષારોપણથી આગળ જોઈને આ પ્રશ્ને ખરી હકીકતો જાણવાની જરૂર છે. પણ આજે તો કચ્ચાથીવુ વિવાદની આગથી ઉઠેલા ધુમાડે સૌને તાપી લેવું છે. એની પછવાડેનો પ્રકાશ કોઈને શોધવો નથી.

હિંદ મહાસાગરમાં ભારતના દક્ષિણ છેડે અને શ્રીલંકા વચ્ચે પાક જલડમરુ મધ્ય અર્થાત પાણીનો માર્ગ બને છે. તેના પર ઘણા દ્વીપ આવેલા છે. તે પૈકીનો એક કચ્ચાથીવુ છે. આ નિર્જન ટાપુ ભારતના રામેશ્વરમથી બાર માઈલ અને શ્રીલંકાના જાફનાના નેન્દુતીવુથી સાડા દસ માઈલના અંતરે આવેલો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો કચ્ચાથીવુ દ્વીપ ચૌદમી  સદીમાં જ્વાળામુખીના વિસ્ફોટથી રચાયો હતો. રેતીલા અને પરવાળાના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો અહીં પુષ્કળ પ્રમાણમાં છે. તેથી મોટા વહાણો ત્યાં લાંગરી શકતા નથી. પીવાનાં સાફ પાણીના અભાવે કચ્ચાથીવુ પર કોઈ માનવ વસ્તી નથી. માછીમારો આરામ માટે કે તેમની જાળ સુકવવા માટે તેનો ઉપયોગ કરે છે. ટાપુ પરનું એક માત્ર બાંધકામ કદાચ ખ્રિસ્તીઓ જેને નાવિકોના સંરક્ષક સંત માને છે તેવા સંત એન્થનીનું ચર્ચ છે. એટલે તેના વાર્ષિક ધાર્મિક ઉત્સવમાં એક બે દિવસ ભારત અને શ્રીલંકાના માછીમારો ત્યાં જાય છે. તે સિવાય ટાપુ પર માનવીય અવરજવર સીમિત છે. છતાં તેની માલિકીનો વિવાદ હજુ ય યથાવત છે.

૨૮૫ એકરનો કચ્ચાથીવુ દ્વીપ રામનાથપુરમ્‌ના રાજાને અધીન હતો. પછી તે મદ્રાસ પ્રેસીડેન્સીનો ભાગ બન્યો હતો. ભારતના માછીમારો અને શ્રીલંકાના તમિળો પારંપારિક રીતે તેનો માછીમારી માટે ઉપયોગ કરતા હતા. બ્રિટિશ શાસનમાં પણ બંને દેશો તેનો સંયુક્ત ઉપયોગ કરતા હતા. ૧૯૨૧માં માછીમારી માટે બંને દેશોએ એક માત્ર પોતાનો જ હક હોવાના દાવા કર્યા અને તેની માલિકીનો વિવાદ પેદા થયો. તે ઉકેલવાના પ્રયાસો બંને દેશોના રાજદ્વારીઓ ભારતના સ્વાતંત્ર્ય પછી પણ કરતા રહ્યા હતા. ૧૯૪૮માં શ્રીલંકાએ તેની અનુમતિ વિના ભારતીય નૌસેના અભ્યાસ નહીં કરી શકે એમ જણાવ્યું અને ૧૯૫૫માં ત્યાં શ્રીલંકન એરફોર્સે અભ્યાસ કર્યો. તેથી પણ તણાવ વધ્યો. ૧૯૭૪માં તત્કાલીન ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને શ્રીલંકન વડા પ્રધાન સીરીમાવો બંડારનાયક વચ્ચે સમુદ્રી સીમા સમજૂતી થઈ અને ભારતે કચ્ચાથીવુ પર પોતાના દાવો જતો કરી તેની માલિકી શ્રીલંકાને આપી દીધી. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય જળ સીમા નિર્ધારિત થઈ હોવા છતાં માછીમારોની અવરજવર અને ધાર્મિક ઉત્સવમાં વિના વિસાએ જવાનું ચાલુ રહ્યું હતુ. ૧૯૭૬માં બંને દેશો વચ્ચેની અન્ય સમજૂતીમાં એકબીજાના વિશેષ આર્થિક ઝોનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ લદાયો. તેથી તમિલનાડુના માછીમારો માટે મુશ્કેલીઓ ઊભી થઈ.

તમિલનાડુ સરકારે કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાને આપી દેવાના નિર્ણયનો ૧૯૭૪થી જ વિરોધ કર્યો હતો. તમિલનાડુની રાજ્ય સરકારને આ નિર્ણય તેમના રાજ્યના માછીમારોના હિત વિરુદ્ધનો લાગતો હતો. રાજ્યમાં રાજવટ ડી.એમ.કે.ની હોય કે એ.આઈ.ડી.એમ.કે.ની બંને પક્ષો કેન્દ્રના આ નિર્ણયને રાજ્યના હિત વિરુદ્ધનો ગણતા હતા. ૨૦૦૮ અને ૨૦૧૧માં રાજ્યની વિધાનસભામાં કચ્ચાથીવુ દ્વીપ પરત મેળવી લેવા વિનંતી કરતો પ્રસ્તાવ પણ પસાર થયો હતો. હાલના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને પણ કેન્દ્ર સરકારને પત્રો લખી વિનંતી કરી છે. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ટાપુ પરત લેવા દાદ  માંગી હતી.

શું કચ્ચાથીવુ દ્વીપ પરત લઈ શકાય ? ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીઓનો ઉદ્દેશ દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા માટેનો હતો. આ પ્રકારની સમજૂતી બંને પક્ષોની સંમતિથી અને બંનેના હિતમાં હોય તે પ્રકારે થાય છે. સમુદ્રમાં સંસાધનોનું પ્રબંધન અને કાયદાના અમલનો પણ તેનો ઉદ્દેશ હતો. એટલે કચ્ચાથીવુ પરત મેળવવો થુકેલું ચાટવા બરાબર છે. ૨૦૧૪માં સુપ્રીમકોર્ટમાં તમિલનાડુ સરકારની અપીલના સંદર્ભે ભારત સરકારનો પક્ષ રજૂ કરતા તત્કાલીન એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘કચ્ચાથીવુ દ્વીપ સમજૂતી પ્રમાણે શ્રીલંકાને આપ્યો છે. હવે તે વૈશ્વિક જળ સીમાનો હિસ્સો છે. હવે તેને પરત મેળવવા માટે શ્રીલંકા સામે યુદ્ધ કરવું પડે.’ શું આ શક્ય છે?

સીમા વિવાદો ઉકેલવાનો સ્થાપિત ચીલો જમીનની લેવડદેવડ છે. ભારતે કચ્ચાથીવુ દ્વીપ આપ્યો છે તો બદલામાં કન્યાકુમારી તરફની વાડ્જ બેંક (ઈકો સિસ્ટમ માટેનો સામાન્ય શબ્દ) મેળવી પણ છે. અહીં માછીમારી પણ થઈ શકે છે અને ખનિજ સમૃદ્ધ વિસ્તાર પણ છે. હાલની કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથેના જમીન વિવાદમાં કરેલી સમજૂતીમાં વધુ જમીન આપીને ઓછી મેળવી છે. ચીન સરહદે ભારતે જમીન ગુમાવ્યાના આક્ષેપો વિપક્ષ સતત કરે જ છે ને?

જ્યારે કોઈ મુદ્દો લોકહિતના નામે રાજકીય રૂપ ધારણ કરે છે ત્યારે સારાસાર વિવેક પણ ચૂકી જવાય છે. વડા પ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર સભાઓમાં કચ્ચાથીવુ મામલે વિરોધ કર્યા પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે પત્રકાર પરિષદમાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. વર્તમાન વિદેશમંત્રીનું પૂર્વના વિદેશ સચિવ તરીકેનું વલણ અને અભિપ્રાય અને હાલનું વલણ ધ્યાનથી ચકાસીએ તો તેમાં વિવાદનો ધુમાડો વધુ છે અને વાસ્તવિક પ્રકાશ ઓછો છે.

કચ્ચાથીવુ તરફ માછીમારી માટે જતા ભારતીય માછીમારોની ધરપકડો, તેમના વહાણોની જપ્તી અને ગોળીબારની ધમકીના બનાવો બન્યા છે. આ માછીમારોના અધિકારોનું હનન છે કે શ્રીલંકાની જોહુકમી ? તેવો સવાલ થાય ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટ જોઈ લેવી. તેમાં ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીનો હવાલો આપીને કચ્ચાથીવુ શ્રીલંકાનો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હોય કે ૨૦૧૪માં મદ્રાસ હાઈકોર્ટ સમક્ષના જવાબમાં ભારતનું વિદેશ મંત્રાલય ભારતીય માછીમારો શ્રીલંકાની જળસીમામાં જઈ શકે નહીં તેમ જણાવે તો અધિકારોનું હનન ક્યાં? તેનો જવાબ મળે છે.

રાજકીય નિરીક્ષકોના મતે કચ્ચાથીવુ વિવાદની અસર તમિલનાડુની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ખાસ થઈ નથી, તો લોકસભા ચૂંટણીમાં તેની નહિવત અસર થઈ શકે છે. પણ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠ્યો તે બંને દેશોના સંબંધોને અસર કરનારો ન નીવડે પણ ઉકેલ લાવનારો નીવડે તો સારું. કચ્ચાથીવુ પરત મેળવવાનો મુદ્દો કેટલો ભાવનાત્મક છે અને કેટલો માછીમારોની રોજીરોટીનો છે, તેનો તર્કબધ્ધ અને અભ્યાસપૂર્ણ જવાબ મેળવવાનો પણ હજુ બાકી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...731732733734...740750760...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved