Opinion Magazine
Number of visits: 9457408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૧) : ‘સંયોગાત્’ 

સુમન શાહ|Opinion - Opinion|13 December 2023

સુમન શાહ

૩૯ વર્ષ પૂર્વે, ૧૯૮૪-માં, ભરત મુનિના રસસૂત્રમાંના ‘સંયોગાત્’ વિશે મેં એક વિશિષ્ટ લેખ કરેલો. એ મારા “સંજ્ઞાન” પુસ્તકમાં સંઘરાયો છે. લેખનું શીર્ષક છે : “ભરતનું રસસૂત્ર : ‘સંયોગાત્’ વિશે નવી અર્થઘટન શક્યાતાઓ”. એ શક્યતાઓ આજે પણ નવી જ રહી છે, કેમ કે વિષયના અધિકારી જ્ઞાતાઓ એને અડેલા નહીં, ચૂપ રહેલા. બાકી, મેં તો નમ્રતાથી લખેલું કે -‘આશા છે કે આ શક્યતાઓની વિશેષ ચર્ચા કરીને અધિકારીઓ આ નવી ક્ષિતિજો આંકવામાં મારા સહભાગી બનશે’. ખૅર.

‘સંયોગાત્’ વિશેના મારા એ વિચારોમાંના કેટલાકને થોડી હળવાશ ઉમેરીને આ લેખ-શ્રેણીમાં નવેસર મૂકું :

સાહિત્યકલાનું પરિશીલન કરનાર સૌ કોઈ સ્વીકારશે કે કોઈપણ કૃતિમાં આલેખન પામેલાં વિભાવાદિ હમેશાં શબ્દ સ્વરૂપે હોય છે. એટલે કે, વિભાવાદિનો બોધ શબ્દોની સંયોજનાને આભારી હોય છે. ‘સંયોગ’ સર્જક કરે છે એમ કહેવાનો અર્થ જ એ છે કે આ શબ્દસંયોજના એની સર્જકતાનું કે લેખનશક્તિનું ફળ હોય છે. શબ્દસંયોજના એટલે શું? ભાષાકીય તત્ત્વોનું સર્જકે સિદ્ધ કરેલું લાક્ષણિક સંરચન.

કોઇ શબ્દસંયોજનાને આત્મસાત્ કરીએ એટલે એને શક્ય બનાવનારાં તત્ત્વો વચ્ચેની સમ્બન્ધભૂમિકાઓને આપણે આત્મસાત્ કરી એમ માનવું જોઈશે. એ જ રીતે એમ પણ માનવું જોઈશે કે વિભાવાદિના ‘સંયોગ’-નો મૂળ આધાર સર્જકે સરજેલું આ શબ્દસંયોજન જ છે. ‘આ દુષ્યન્ત છે, આ શકુન્તલા છે, બન્ને આવું આવું અનુભવી રહ્યાં છે’, એવા નિર્ણય  પર આપણે પ્હૉંચીએ છીએ એ આ શબ્દસંયોજના વિના અસંભવિત છે.

આપણે સમજી લેવું જોઈશે કે એ સંયોજનાને જ આપણે કૃતિનો મૂળ પાઠ – ઓરિજિનલ ટૅક્સ્ટ – કહીએ છીએ અને એ પાઠ જ કોઇપણ અર્થપ્રક્રિયાનો મહત્તમ આધાર હોય છે. પ્રારમ્ભે એ અર્થ વિભાવાદિ રૂપે હોય અને વિભાવાદિનો વિશિષ્ટ અર્થ ભલે પછી કાવ્યાર્થ રૂપે વિસ્તરીને રસાનુભવમાં ઠરતો હોય. એ મૂળ પાઠની સંયોજનાનું અપરનામ કવિકર્મ છે, અને એને જ આપણે સર્જનપ્રક્રિયા પણ કહેતા હોઈએ છીએ.

‘ભાવક-પ્રતિભાવ સમ્પ્રદાય’-ના આધુનિક વિચારકો ભાવકને સહસર્જક ગણે છે. ભાવકમાં ભાવયિત્રી પ્રતિભા રાજશેખરે પણ ભાળી હતી. એ દૃષ્ટિએ ભાવકને સર્જકસદૃશ ગણવામાં કશો દોષ નથી થતો. એટલે હું એમ ઉમેરવા માગું છું કે વિભાવાદિનો ‘સંયોગ’ ભાવક પણ કરે છે.

A child bewildered by erotic scene. – શૃંગારનુ દૃશ્ય જોઇને ડઘાઇ ગયેલો બાળક.

Pic courtesy : Shutterstock.com

આપણે જાણીએ છીએ કે સર્જનની પ્રક્રિયા છે તેમ ભાવનની પણ પ્રક્રિયા છે. ભાવક કૃતિના સમ્પર્કમાં મુકાય કે તરત ભાવનની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. એનો સાર એ છે કે ભાવક અભિપ્રેત કાવ્યાર્થને માટે સર્જકે સરજેલી એ શબ્દસંયોજનાને અનુવર્તે છે. એટલે કે સૌ પહેલાં કૃતિને તેના મુખ્યાર્થમાં, અભિધેયાર્થમાં, અત્મસાત્ કરે છે. રસસૂત્રના અર્થઘટનકાર ભટ્ટ નાયક આ અભિધાવ્યાપારને રસાનુભવનો પહેલો તબક્કો ગણે છે. એ તબક્કો કૃતિને તેના સુનિશ્ચિત મૂળ પાઠમાં સ્વીકારવાનો તબક્કો છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે એ તબક્કો સર્જકસંયોજિત શબ્દઘટકોની સમ્બન્ધભૂમિકાઓને પામવાનો એટલે કે પેલા ‘સંયોગ’-ને પામવાનો તબક્કો છે.

જુઓ, ઘટકોની સમ્બન્ધભૂમિકાઓનો નિર્ણય તો થઇ ગયો છે તેમછતાં ભાવક એ ઘટકોને હવે આપમૅળે જોડે છે. એની સમક્ષ હવે ઊપસી રહેલા અનાવૃત્ત અને સુસ્પષ્ટ વિભાવાદિને એનું ચિત્ત નવેસર સંયોજે છે. એ સંયોજના એના સ્વૈરવિહારને માર્ગ નથી આપતી પણ એના ભાષાકીય સામર્થ્યને તેમ જ એની રસકીય સૂઝસમજને પોતાનામાં ખાસ્સો પ્રવેશ આપે છે. જતિને કે બાળકને શૃંગારરસનું નાટક નથી સ્પર્શતું તેનું કારણ એ છે કે સર્જકે સંયોજેલા કૃતિપાઠને તેઓ આ્મસાત્ નથી કરી શકતા, એટલે કે, અપેક્ષિત વિભાવાદિનો બોધ નથી ગ્રહી શકતા. કૃતિની અર્થસૃષ્ટિમાં તેઓને પ્રવેશ અવશ્ય છે, પણ અપેક્ષિત ‘સંયોગ’ નથી રચી શકતા, ને તેથી નિષ્ફળતા પામે છે.

આ દૃષ્ટિદોર અનુસાર સમજાશે કે જ્યાં લગી વિભાવાદિનો ‘સંયોગ’ ભાવક ન કરે કે ન કરી શકે ત્યાં લગી રસનિષ્પત્તિ અને રસાનુભવની શક્યતા ખાસ્સી આવૃત રહે છે. અહીં ઉમેરવું ઘટે કે ‘સંયોગ’ એ જેટલો, જેવો, જ્યાંલગી રચી જાણશે, તેટલો, તેવો અને ત્યાંલગીનો એનો રસાનુભવ હશે. રસાનુભવની આ વ્યાપક સાપેક્ષતા ભાવકની ‘સંયોગ’ રચવાની શક્તિ કે અશક્તિને આભારી છે.

સાહિત્યક્ષેત્રે આપણે વારંવાર જોયું છે કે ભાવક વડે થતી ‘સંયોગ’-ની આ ઉદ્ભાવના – ફિક્શન –  સમુચિત અને સમરૂપ ન હોય ત્યારે રસાનુભવમાં વિઘ્ન આવે છે. (રસવાદીઓએ એ વિઘ્નો અને તેના ઉપાય દર્શાવ્યા છે.) ભાવકના સહૃદયત્વની સમુદાર સક્રિયતા વડે રસાનુભવ દરમ્યાન એ વિઘ્નોનું કામચલાઉ નિરસન થઈ જાય છે ખરું, પણ કેટલીક વાર ઉત્તમ ભાવકથી પણ વિભાવાદિનો સમીચીન ‘સંયોગ’ નથી જ થઈ શકતો. અને ત્યારે ‘પ્રૉબ્લેમ ઑફ મીનિન્ગ’ કે ‘પ્રૉબ્લેમ ઑફ બીલિફ’ જેવા ‘મૅટાક્રિટિકલ’ પ્રશ્નો ઊભા થાય છે.

અબુ સઇદ ઐયુબે રવીન્દ્રનાથ અને બૉદ્લેરનાં પોતાનાં ભાવન અંગે ઊભા કરેલા પ્રશ્નો આ સ્વરૂપના છે. ઍલિયટે ‘હૅમ્લેટ’ સંદર્ભે ઊભો કરેલો ‘વસ્તુલક્ષી સહસમ્બન્ધક’-નો પ્રશ્ન આ સ્વરૂપનો પ્રશ્ન છે. ઐયુબ મર્યાદાદોષ પોતામાં જુએ છે અને સાહિત્યક્ષેત્રનો ભાવનપરક કોયડો ચીંધે છે, તો ઍલિયટ મર્યાદાદોષ શેક્સપીયરમાં જુએ છે અને સાહિત્યક્ષેત્રનો સર્જનપરક કોયડો ચીંધે છે. અહીં નૉંધવું ઘટે છે કે સંભવિત રસાનુભવ પછી પણ આ કોયડાઓ કોયડા જ રહે છે. 

આનું ફલિત એ છે કે સર્જકે સરજેલો ‘સંયોગ’ એ-ને-એ રૂપમાં ઉદ્ભાવના પામશે એની કોઈ ગૅરન્ટી નથી, બલકે એમાં ઉચ્ચાવચતા રહેવાની.

પણ એટલું અવશ્ય સ્પષ્ટ થશે કે રસસૂત્રમાં નિર્દિષ્ટ ‘સંયોગ’-નો વિચાર હમેશાં સર્જન અને ભાવનનાં બેવડાં કેન્દ્રો પર થવો જોઈશે. નહિતર, સૂત્રબોધ એકાંગી થઇ જશે અને કાવ્યસમજ વિકલાંગ રહી જશે.

= = =

(12/12/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આંબેડકરની પ્રતિભા રસમી ને રાજકારણી ઉજવણાંની મોહતાજ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 December 2023

જે.એન.યુ.ના પૂર્વ પ્રોફેસર અને ઈ.પી.ડબ્લ્યુ.ના વર્તમાન તંત્રી ગોપાલ ગુરુ કહે છે કે આંબેડકર અને ગાંધી દેખીતા સામસામે હશે ત્યારે પણ સાથે નહોતા એવું નથી: એમના મતે આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી

નાસિકના કાલારામ મંદિરની લડાઈ અને ચવદાર તળાવના સત્યાગ્રહમાં ડો. બાબાસાહેબ આંબેડકરની મહત્ત્વની ભૂમિકા હતી

છઠ્ઠી ડિસેમ્બર આવી અને ગઈ : ડો. આંબેડકરે 1956માં એ દિવસે અંતિમ શ્વાસ લીધા હતા એટલે સ્વાભાવિક જ બૌદ્ધ કે નવબૌદ્ધ પરપંરામાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે એનો મહિમા છે. મુંબઈમાં ચૈત્યભૂમિ પર હકડેઠઠ ઉભરાતું લોક, ખાસ કરીને દલિતો, ઉત્તરોત્તર વધતી આંબેડકરી અપીલની એક દ્યોતક બીના છે એમ પણ તમે કહી શકો. બધા જ ફિરકાના રાજકીય પક્ષો પણ આદર ઉપચાર બખૂબી નિભાવે છે.

મુદ્દો એ છે કે ઉત્તરોત્તર વધતી આ સ્વીકૃતિની પ્રક્રિયામાં આંબેડકરને બે ઓળખ સતત વળગતી રહી છે. એમને બંધારણના ઘડવૈયા કહેવાય છે અને દલિત મસીહા તરીકે ય એમનો પાટલો મંડાય છે. નહીં કે આ બે ઓળખ ખોટી છે; પણ તે અધૂરી છે અને પૂરી નથી એ આ વરસોમાં કદાચ આપણે પાધરું સમજ્યા નથી.

બંધારણના ઘડવૈયા એ હતા, જરૂર હતા. એમણે ક્યારેક અકળાઈને પોતાને જાણે કે બીજાએ લખાવ્યું લખવું પડ્યું હોય એવીયે ફરિયાદ અલબત્ત કરેલી છે. પણ મુદ્દાની વાત એ છે કે સહિયારી ચર્ચા-વિચારણા પછી સમાનતા, સ્વતંત્રતા, બંધુતા ભણી ઝૂકતી એકંદરમતીની એ ખોજ હતી અને આ એકંદરમતીને અક્ષરરૂપ આપવાની તેમ તેના આત્માની કાળજી લેવાની જવાબદારી બેનીગલ નરસિંહરાવ વગેરેના સહયોગથી મુસદ્દા સમિતિએ આંબેડકરના નેતૃત્વમાં પાર પાડી હતી.

ગાંધીજીના સૂચનનો મર્મ અને માયનો પકડીને નેહરુ-પટેલે આંબેડકરને નિમંત્ર્યા અને લાંબા વિરોધ ઇતિહાસને ઓળાંડી જઈ કેબિનેટમાં સાથે રાખ્યા તેની પૃષ્ઠભૂ એમની પ્રકાંડ કાનૂની સજ્જતા માત્ર નહોતી. ચવદાર તળાવની ઘટના હોય કે કાલારામ મંદિરની, આંબેડકરે ચળવળનો દોર ચાલુ રાખ્યો હતો. પરિવર્તનની પ્રક્રિયામાં કાનૂનની ભૂમિકા જરૂર છે, પણ કાનૂનની પૂંઠે બંધારણીય રીતે સરકારી સેન્ક્શન હોય તે બધો વખત પૂરતું નથી. આંદોલન અને જાગૃતિ હોવાં જરૂરી છે. આંબેડકરે સાતત્યપૂર્વક એ દોર ચાલુ રાખ્યો હતો તે આપણે બધો વખત યાદ રાખતા નથી.

ગાંધી-આંબેડકર ચર્ચાને આપણે પુણે કરાર પૂરતી ગોઠવીને અટકી જઈએ છીએ. ગાંધીએ કેમ જાણે દલિત મતાધિકાર ઓળવી લીધો કે પછી સંયુક્ત મતદાર મંડળને ધોરણે વધુ અનામત બેઠકો આપી એવી વાત ચાલ્યા જ કરે છે. જે પકડાતું નથી તે એ છે કે આવી સમજૂતીઓ અને એનું કાનૂની (બંધારણીય) સ્વરૂપ લોક ચળવળ વિના ઊણાં અલૂણાં રહે છે.

સાતેક વરસ પર ઈ.પી.ડબ્લ્યુ.ના વર્તમાન તંત્રી ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં સરસ વાત કરી હતી કે ગાંધી-આંબેડકર સંવાદ અને વિવાદને બેઠક સંખ્યા જેવા મુદ્દે સીમિત નહીં કરતા એમણે લીધેલ ને લેવા ધારેલ આંદોલનના રાહની રીતે નવેસર જોવાની જરૂર છે.

લોક આંદોલન અને સુધાર ચળવળ પરનો ગાંધીનો ભાર કેટલો સાચો હતો તે આપણે ‘બીજા સ્વરાજ’ પછી તરતના દસકામાં ગુજરાતમાં ચાલેલ અનામત વિરોધી ઉત્પાતમાં જોયું છે. જેમણે રાજકીય રીતે ન્યાય ને સ્વાતંત્ર્યની લડત લડી, નવનિર્માણ-જે.પી. આંદોલનના દિવસોમાં ગુજરાતમાં, એ સૌ વ્યક્તિગત અર્થમાં નહીં પણ ફિનોમિનન તરીકે સ્વરાજના વિસ્તરણ રૂપ અનામત વિરોધી ઉદ્રેકમાં જાણે જોડાઈ ન ગયા હોય! નવનિર્માણ-જે.પી. નેતૃત્વ અલબત્ત અનામતને સ્વીકારતું સમજતું હતું, પણ તરુણોનાં ધાડિયે ધાડિયાં …. એ જ રીતે, તમને એમ પણ જોવા મળશે કે હિંસ્ર ઉત્પાતના એ દોરમાં કાઁગ્રેસ ને ભા.જ.પ. બેઉની બીજી ત્રીજી હરોળો ઓછીવત્તી સંડોવાયેલી હશે.

ગાંધી છેડેથી કે આંબેડકર છેડેથી જે પણ કોશિશ ને કામગીરી થઈ એમાંથી ખરું જોતાં એક દલિતની પૂરા કદના નાગરિક તરીકેની પ્રતિષ્ઠા થવી જોઈતી હતી. હિંદુત્વ ચળવળે માનો કે સીમિત અર્થમાં પણ દલિતને તે ‘હિંદુ’ હોવાનો દરજ્જો આપી સુખાભાસ કરાવ્યો હશે પણ સવર્ણ હિંદુ માનસનું શું. ગુજરાતના અનામત વિરોધી આંદોલન વખતે નાગપુરમાં સંઘની કાર્યકારિણીમાં જ્યારે અનામતના સમર્થનની વાત આવી ત્યારે ગુજરાતના પ્રતિનિધિઓએ ‘આપણા ગુજરાતના મિત્રોને માઠું લાગશે’ની તરજ પર વાત કરી હતી. અલબત્ત, તે વખતના સરસંઘચાલક દેવરસે અનામત તરફી મક્કમ વલણ દાખવી ઠરાવ પસાર કરાવ્યો હતો. અહીં મુદ્દો માત્ર એટલો જ છે કે સવર્ણ માનસ દલિત-સમાવેશી અર્થમાં ‘હિંદુ’ બને તે ચાર દાયકા પછી પણ અઘરું હતું.

વાયકોમ સત્યાગ્રહના શતાબ્દી વર્ષમાં આપણને યાદ હોવું જોઈએ કે કાઁગ્રેસમેન પેરિયારને આ લડત મોળી લાગી એથી એ છૂટા પડ્યા હતા. પછીનાં વરસોમાં પેરિયારની પ્રતિભા ઊંચકાતી ગઈ તો બીજી બાજુ કોઈક તબક્કે એમને પક્ષે ગાંધીની કદરબૂજ પણ વધતી ગઈ. એમણે ગાંધીહત્યા વખતે આપેલી અંજલિમાં તે શતધા જોવા મળે છે. આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે ગાંધીજીને ભાવથી સંભાર્યા હતા, એ ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં ખાસ સંભાર્યું છે. એટલે બે સામસામે હોય ત્યારે પણ સાથે નહોતા એવું નથી.

છઠ્ઠી ડિસેમ્બરના રસમી ને રાજકારણી ઉજવણાં વચ્ચે ક્યાંક તો એ પ્રકારની ચર્ચા ચાલવી જોઈએ જેનો સૂત્રપાત ગોપાલ ગુરુએ કર્યો છે. એમણે સરસ કહ્યું કે આંબેડકરને ગાંધીનો એ ગુણ વસ્યો હતો કે બીજા ઉજળિયાત નેતાઓ જ્ઞાતિપ્રથા ને અસ્પૃશ્યતાવાળી વ્યવસ્થાનો પોતે પણ ભાગ છે એવું સ્વીકારતા નથી પણ ગાંધી આ સ્વીકારે છે અને એને લાંઘી જઈ ‘હરિજન’ બનવા ચાહે છે. એ રીતે આ પ્રશ્ન પરત્વે ‘સત્ય’ને વરેલા અને ઊંચી નૈતિક ભૂમિકાએ જણાય છે. આ સંદર્ભમાં ગોપાલ ગુરુનું એક અવલોકન એ હતું કે આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી.

છઠ્ઠી ડિસેમ્બરને વળતે અઠવાડિયે આ થોડાંએક સ્મૃતિ-સ્પંદન!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 ડિસેમ્બર 2023

Loading

આધુનિક લોકશાહી : કેટલીક માળખાકીય મર્યાદાઓ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|13 December 2023

[I]t has been said that democracy is the worst form of Government except all those other forms that have been tried from time to time; but there is the broad feeling in our country that the people should rule, and that public opinion expressed by all constitutional means, should shape, guide, and control the actions of Ministers who are their servants and not their masters.

(House of Commons, 1947)

— Winston Churchill

માનવ સમાજના ઇતિહાસમાં વિવિધ શાસન વ્યવસ્થાઓના પ્રયોગથી માનવજાતે એક બોધ મેળવ્યો છે કે શાસન અનિવાર્ય છે, પણ સત્તા ક્યારેક અનિષ્ટકારક બની શકે છે. તેનાં મુખ્ય બે કારણ છે : એક, જેના પણ હાથમાં સત્તા આવે છે તેને, અમુક અપવાદો સિવાય, સત્તા ગુમાવવાની કે છોડવાની ખાસ ઇચ્છા નથી હોતી; ઊલટાનું, તે સત્તાનું વધુ ને વધુ કેન્દ્રીકરણ કરવા માગે છે. આ એક માનવસહજ વૃત્તિ છે. આવી વૃત્તિમાંથી બીજી સમસ્યા ઊભી થાય છે, જે બ્રિટિશ ઇતિહાસકાર અને રાજકારણી, લોર્ડ એક્ટન(John Dalbeng-Acton : ઈ.સ. ૧૮૩૪ -૧૯૦૨)ના શબ્દોમાં : “સત્તા ભ્રષ્ટ કરે છે, અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે. આ ઇતિહાસબોધને ધ્યાને લઈને છેલ્લાં બસો-અઢીસો વર્ષોમાં આધુનિક પ્રતિનિધિ લોકશાહીનો વિકાસ થયો છે. ન્યાયી સમાજના ઘડતર માટે આધુનિક પ્રતિનિધિ લોકશાહીને (democracy) કે પ્રજાસત્તાક(republic)ને શ્રેષ્ઠ શાસન પદ્ધતિ ગણીને આજે વિશ્વનાં લગભગ ૬૦ ટકા રાષ્ટ્રોએ તેનો સ્વીકાર કર્યો છે.

પરંતુ, કોઈપણ સિસ્ટમની માફક આધુનિક પ્રતિનિધિ લોકશાહી પણ મર્યાદાઓ વિનાની નથી. આ મર્યાદાઓને લીધે લોકશાહી ઘણી વખત ઉત્તમ પરિણામો આપવામાં નિષ્ફળ જાય છે. માટે લોકશાહી શાસન પદ્ધતિને વધુ અસરકારક બનાવવા વાસ્તે તેની મર્યાદાઓની ઓળખ પણ આવશ્યક છે. આપણે અહીં લોકશાહીની કેટલીક માળખાકીય મર્યાદાઓની ચર્ચા કરીશું. પરંતુ તે પહેલાં લોકશાહી અને પ્રજાસત્તાક વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે.

લોકશાહી અને પ્રજાસત્તાક 

લોકશાહી  અને પ્રજાસત્તાક બંનેમાં નાગરિકોને શાસનમાં ભાગ લેવાની સત્તા હોય છે. તેથી લોકશાહી અને પ્રજાસત્તાક બંને શબ્દો મહદંશે એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. જ્યારે ઈ.સ. ૧૭૮૭માં યુનાઇટેડ સ્ટેટ્સના  બંધારણની ચર્ચા થઈ રહી હતી ત્યારે પણ લોકશાહી અને પ્રજાસત્તાક શબ્દોના ચોક્કસ અર્થો વણઊકલ્યા રહ્યા હતા. પરંતુ જેમ્સ મેડિસન (James Madison : ઈ.સ. ૧૭૫૧ – ૧૮૩૬) અને એલેક્ઝાન્ડર હેમિલ્ટન (Alexander Hamilton : ઈ.સ. ૧૭૫૫-૧૮૦૪) જેવા યુનાઇટેડ સ્ટેટ્સના સ્થાપકો લોકશાહી અને પ્રજાસત્તાક વચ્ચેના તફાવત અંગે સ્પષ્ટ હતા. તેમના મત પ્રમાણે લોકશાહીમાં લોકો સ્વયં સરકારમાં ભાગ લે છે. જ્યારે પ્રજાસત્તાકમાં, લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટીને સરકારમાં મોકલતા હોય છે જે તેમના વતી સરકારનું સંચાલન કરે છે. લોકશાહી કોઈ એક નાના રાજ્ય માટે યોગ્ય હોઈ શકે, જ્યારે કોઈ એક વિશાળ પ્રદેશમાં પ્રજાસત્તાક વધુ ઉપયોગી થઈ શકે છે. ઈ.પૂ. છઠ્ઠી સદીની,  એક શહેર પૂરતી મર્યાદિત, ગ્રીસની એથેનિયન લોકશાહીને સીધી (direct) લોકશાહીનું ઉદાહરણ માનવામાં આવે છે, જેમાં તમામ નાગરિકો કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેતા. જ્યારે તે જ સમયની પ્રાચીન રોમન સામ્રાજ્યની શાસન વ્યવસ્થાને પ્રજાસત્તાકનું ઉદાહરણ ગણવામાં આવે છે, જેમાં લોકોના પ્રતિનિધિઓ શાસન કરતા હતા. આવી પ્રતિનિધિ લોકશાહીને કેટલીક વાર પરોક્ષ લોકશાહી પણ કહેવામાં આવે છે.

ભારતના બંધારણમાં જણાવ્યા  પ્રમાણે ભારત એક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, જેમાં લોકો નિયમિત યોજાતી ચૂંટણીઓમાં ગુપ્ત મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

પ્રતિનિધિ લોક્શાહીની ઉપયોગિતા

પ્રતિનિધિ લોકશાહીનો મૂળભૂત આધાર છે લોકોના સાર્વભૌમત્વ(soverignity)નો સિદ્ધાંત. અર્થાત્, પ્રતિનિધિ લોકશાહીમાં નાગરિકોને તેમના જીવનને અસર કરતા નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. પરંતુ તે અધિકાર તેઓ તેમના પ્રતિનિધિઓને સોંપે છે. પ્રતિનિધિ લોકશાહીનો મુખ્ય ફાયદો એ છે કે સામાન્ય રીતે એક વિશાળ દેશમાં વસતા બધા લોકો પાસે નિયમિત નિર્ણયો લેવા માટે સમય, ક્ષમતા,  કે રસ હોતો નથી. જ્યારે તેમના પ્રતિનિધિઓ તેમની વિવિધ માંગણીઓને વધુ સુસંગત રીતે રજૂ કરવા માટે સક્ષમ હોય છે એવી અપેક્ષા રાખવામાં આવે છે. જો કે, પ્રતિનિધિ લોકશાહીમાં નાગરિકો મતદાન કરીને, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરીને, રાજકીય ઝુંબેશ માટે સ્વયંસેવક બનીને, અથવા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. જેથી તેમના અભિપ્રાયો અથવા સમસ્યાઓ ઉપર ધ્યાન આપવા તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બાધ્ય કરી શકે છે, તેમની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર બનાવી શકે છે. એટલું જ નહીં, પણ સમાજમાં વિવિધતા હોવાથી પ્રતિનિધિ લોકશાહીમાં સમાજના વિવિધ વર્ગો કે સમૂહોનું પ્રતિનિધિત્વ થાય અને તેમના અભિપ્રાયો સાંભળવામાં આવે તેની કાળજી રાખવામાં આવે છે. તેથી, વધુ સમાવેશી નીતિ-નિર્માણ માટે ધારા મંડળોમાં મહિલાઓ અને અન્ય લઘુમતી જૂથોના પ્રતિનિધિત્વની વ્યવસ્થા કરવામાં આવે છે.

પ્રતિનિધિ લોકશાહી શાસન વ્યવસ્થાની માળખાકીય મર્યાદાઓ

આધુનિક પ્રતિનિધિ લોકશાહીની માળખાકીય ખામીઓ, સિસ્ટમની જ એવી ખામીઓ છે જે શાસનની અસરકારકતાને ઘટાડે છે. તેની મુખ્ય માળખાકીય મર્યાદાઓમાં જનતાની મર્યાદિત ભાગીદારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જવાબદારી અને પારદર્શિતાનો અભાવ, બહુમતીની જોહુકમી,  નાણાંનો પ્રભાવ,  સત્તાના વિભાજનથી ઊભો થતો તણાવ, અને નિર્ણય લેવાની ધીમી પ્રક્રિયાઓ ગણાવી શકાય.  આપણે આ બધી મર્યાદાઓની ટૂંકમાં ચર્ચા કરીશું.

જનતાની મર્યાદિત સહભાગિતા :

પ્રતિનિધિ લોકશાહીની એક મુખ્ય મર્યાદા એ છે કે ઘણા નાગરિકો તેમના હિતમાં શાસન કરે એવા પ્રતિનિધિઓ ચૂંટવા સક્ષમ નથી હોતા. આપણે ભારતમાં જોઈએ છીએ તેમ કેટલાક નાગરિકો તેમના અસલ મુદ્દાઓને બદલે જ્ઞાતિ, ભાષા, ધર્મ જેવી સામાજિક પહેચાન અથવા ટૂંકા ગાળાના વ્યક્તિગત સ્વાર્થના આધારે તેમના પ્રતિનિધિઓને ચૂંટતા હોય છે. તદુપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો મહત્ત્વના સામાજિક-આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિશિષ્ટ ધાર્મિક, જાતિ, અથવા પ્રાદેશિક જૂથોની મત બેંકને અપીલ કરીને ઓળખ આધારિત રાજનીતિ કરે છે. અથવા નાણાં કે બાહુ બળનો પ્રયોગ કરીને ચૂંટણી જીતી જતા હોય છે.

 વધુમાં, ચૂંટણી લડનાર ઉમેદવારની પસંદગી કરવા મતદારો સ્વતંત્ર નથી હોતા. ભારત જેવા દેશોમાં ઉમેદવારોની પસંદગી રાજકીય પક્ષો કરતા હોવાથી લોકોની તેમાં કોઈ ભૂમિકા હોતી નથી. તેમણે તો રાજકીય પક્ષોએ નક્કી કરેલા ઉમેદવારમાંથી જ કોઈ એકની પસંદગી કરવાની હોય છે. અને રાજકીય પક્ષો પણ ઉમેદવારોની આવડત કે લાયકાતને બદલે મહદંશે તેમની ‘યેન કેન પ્રકારેણ’ ચૂંટણી જીતવાની ક્ષમતાને ધ્યાને લઈને તેમને પસંદ કરતા હોય છે.

તેથી સંસદમાં કે રાજ્યોની વિધાન સભાઓમાં કેટલાક ઉમેદવારો તેમના ગુનાહિત રેકોર્ડ હોવા છતાં ચૂંટાઈ જતા હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૨૩ના ભારતના એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ વર્તમાન સંસદના ૬૫ ટકા સાંસદો કોઈ ને કોઈ નાના-મોટા અપરાધિક મામલામાં સંડોવાયેલા છે. વિડંબના એ છે કે કાનૂનનો ભંગ કરનારાઓ કાનૂન બનાવવાનો અધિકાર મેળવે છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જવાબદારી અને પારદર્શિતાનો અભાવ :

ઘણી વખત લોકશાહીમાં શિક્ષિત, નીતિમાન, અનુભવી, હોંશિયાર કે સક્ષમ ઉમેદવારોની ખોટ વર્તાય છે. જર્મન ફિલસૂફ નિત્ઝે (Friedrich Nietzsche : ઈ.સ. ૧૮૪૪-૧૯૦૦) માનતા હતા કે લોકશાહીમાં સમાનતા અને જનતાની ઇચ્છાનું મહત્ત્વ વધુ હોવાથી સમાજની શ્રેષ્ઠ અને સૂઝ ધરાવતી અસાધારણ વ્યક્તિઓની અવગણના થવાનો ભય રહે છે. વળી, ચૂંટણીની મોસમ દરમિયાન જનતાના સીધા સંપર્કમાં રહેતા ઉમેદવારો ચૂંટણી બાદ હંમેશાં તેમના બધા જ મતદાતાઓના સતત સંપર્કમાં રહેતા નથી. ચૂંટણી પછી નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો સંવાદ ઘણી વાર પ્રતિનિધિઓના મતવિસ્તારની કચેરીઓ કે સ્ટાફ દ્વારા થાય છે.

વધુમાં, પ્રતિનિધિ-લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના મતદાતાઓની ઇચ્છાને જ વ્યક્ત કરવા કાયદા દ્વારા બંધાયેલા નથી હોતા. તેઓ અમુક ચોક્કસ મુદ્દત માટે ચૂંટાતા હોવાથી એક વાર ચૂંટાયા પછી તેમનું સ્થાન પ્રમાણમાં સુરક્ષિત હોય છે. તેથી તેમના મતદારોના પ્રશ્નો ઉપર પૂરેપૂરું ધ્યાન આપવા માટે ઓછું દબાણ અનુભવે છે, ખાસ કરીને જો આગામી ચૂંટણી દૂર હોય તો. તદુપરાંત, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ ચોક્કસ સમય સુધી મર્યાદિત હોવાથી તેમના ટૂંકા શાસન કાળ દરમ્યાન તેઓ બીજી વાર ચૂંટણી જીતવા માટે તાત્કાલિક રાજકીય લાભ આપે તેવાં અને નજરે દેખાય એવાં પરિણામો લાવી શકે તેવાં ટૂંકા ગાળાનાં લોકરંજક લક્ષ્યોને પ્રાથમિકતા આપવા લલચાય છે. તેથી જેને સતત અને વ્યૂહાત્મક આયોજનની જરૂર હોય અને લાંબા ગાળે પરિણામ આપતા હોય તેવા શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ, માળખાકીય વિકાસ, અથવા આબોહવા પરિવર્તન જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવામાં તેમનો ઉત્સાહ ઓછો હોય છે.

વળી, ઘણા ઉમેદવારો મહદંશે ચૂંટણી પછી તેમના મતદાતાઓ કે મત વિસ્તારના હિતોની ચિંતા કરવાને બદલે પોતાના પક્ષને વધુ વફાદાર રહે છે. ક્યારેક પક્ષ કરતાં પણ તેમના અંગત એજન્ડા વધુ મહત્ત્વના બની જતા હોય છે. ઘણી વાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષની વિચારધારા કે જનતાની મૂળભૂત જરૂરિયાતો માટે નહીં પણ સત્તા અથવા અન્ય પ્રલોભનોથી પ્રેરાઈને પક્ષપલટો કરીને તેમના મતદાતાઓના વિશ્વાસનો ભંગ કરે છે. ઈ.સ. ૨૦૧૬માં ઉત્તરાખંડમાં, ઈ.સ. ૨૦૧૯માં કર્ણાટકમાં, અને ઈ.સ. ૨૦૨૩માં મહારાષ્ટ્રમાં થયેલ આવા પક્ષપલટા તેનાં તાજાં ઉદાહરણો છે. કેટલાક  પ્રતિનિધિઓ સીધી કે આડકતરી રીતે ભ્રષ્ટાચાર કરે છે. ભારતમાં આઝાદી પછી તરત જ થયેલ જીપ કાંડ(ઈ.સ. ૧૯૪૮)થી આજ સુધી બહાર પડેલ અનેક ગોટાળાઓ આ હકીકતનું સમર્થન કરે છે.

આમ સરકારનું આ સ્વરૂપ છેતરપિંડી માટે અનુકૂળતા ઊભી કરે છે. આવા સંજોગોમાં જો મતદારોને લાગે કે તેમનો પ્રતિનિધિ યોગ્ય નથી તો તેમની સમક્ષ તેને બદલવા માટે એકમાત્ર વિકલ્પ આગામી ચૂંટણીની રાહ જોવાનો હોય છે.

બહુમતીની જોહુકમી :

પ્રતિનિધિ લોકશાહીમાં ઉમેદવારો ચૂંટણી જીતવા માટે જે સમુદાયો બહુમતિમાં હોય તેમની ઉપર વધુ ધ્યાન આપે છે. તેથી ધાર્મિક કે વંશીય લઘુમતી જૂથો, ઓછી આવક ધરાવતા સમુદાયો, મહિલાઓ, સમલૈંગિક અને વિકલાંગ વ્યક્તિઓ જેવાં લઘુમતી જૂથોની અવગણના થતી હોય છે. લઘુમતીઓને સતાવતી બીજી સમસ્યા એ છે કે ધારા મંડળોમાં નિર્ણયો બહુમતીના આધારે લેવાતા હોય છે. જો લઘુમતીનો કોઈ ઉમેદવાર ધારા મંડળમાં ચૂંટાઈ આવે તો પણ તેની પાસે બહુમતીના પ્રતિનિધિઓને હરાવવા માટે જરૂરી મત નથી હોતા. આથી આવાં લઘુમતી જૂથોની જરૂરિયાતો અને સમસ્યાઓ ઉપર પર્યાપ્ત ધ્યાન અપાતું નથી. એટલું જ નહીં, પણ આવી પરિસ્થિતિમાં બહુમતી સમુદાયોની અસાધારણ તરફેણ કરતાં સંસાધનો અને તકોની અસમાનતા ઊભી કરે એવા નિર્ણયો લઈ શકાય છે.

પ્રતિનિધિ લોકશાહીમાં નાણાંનો પ્રભાવ :

ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચાર માટે જાહેરાતો, સભા-સરઘસો અને અન્ય ઝુંબેશ-સંબંધિત ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે મહદંશે ભરપૂર નાણાંકીય સંસાધનોની જરૂર પડે છે. ભારત સહિત અનેક દેશોમાં ચૂંટણી પાછળ લખલૂટ ખર્ચ થાય છે. ઉદાહરણ તરીકે, અમેરિકાની વિશ્વ વિખ્યાત પ્યુ રીસર્ચ સેન્ટર નામની સંસ્થાના ઈ.સ. ૨૦૨૩ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ૮૫ ટકા ઉત્તરદાતાઓ માને છે કે રાજકીય ઝુંબેશ એટલી ખર્ચાળ થઈ ગઈ છે કે સારા લોકો માટે ચૂંટણી લડવાનું મુશ્કેલ છે. ભારતમાં પણ ચૂંટણીઓ અત્યંત ખર્ચાળ બની ગઈ છે. ભારતના ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચ પેટે સંસદના ઉમેદવારો માટે રૂ. ૭૦થી ૯૫ લાખ અને રાજયોના વિધાન સભાના ઉમેદવારો માટે રૂ. ૨૮થી ૪૦ લાખની મર્યાદા બાંધી છે. પણ વાસ્તવમાં આ મર્યાદાથી અનેકગણો વધુ ખર્ચ થતો હોય છે. ભારતના સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અહેવાલ મુજબ ઈ.સ. ૨૦૧૯ની સંસદની ચૂંટણીમાં લગભગ રૂ. ૫,૫૦૦ કરોડ જેટલો ખર્ચ થયો હતો, જે વિશ્વમાં સૌથી વધુ હતો. સ્વાભાવિક રીતે જ વધુ નાણાંકીય સંસાધનો ધરાવતા ઉમેદવારો પોતાની વ્યાપક જાહેરાત કરીને જાહેર જનમતને પ્રભાવિત કરી શકે છે. તેથી કાં તો ઉમેદવારો ધનવાન હોવા જોઈએ અથવા તેમણે શ્રીમંત દાતાઓ, કોર્પોરેશનો, અથવા વિશેષ હિત જૂથો પર નિર્ભર થવું પડતું હોય છે. નાણાંકીય ફાળો આપનારાઓ પોતાને અનુકૂળ થઈ શકે તેવા ઉમેદવારને મદદ કરીને બદલામાં તેમના રોકાણ પર વળતરની પણ અપેક્ષા રાખતા હોય છે. આથી, જાહેર જનતાની ભલાઈને બદલે ધનપતિઓનાં હિતોને પ્રાથમિકતા આપતા નિર્ણયો લેવાય તેમ બનતું હોય છે. પ્યુ રિસર્ચ સેન્ટરના ઉપર્યુક્ત સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૮૦ ટકા અમેરિકનોને લાગે છે કે તેમની સરકારના નીતિગત નિર્ણયો પર મોટા દાતાઓનો પ્રભાવ ઘણો વધારે છે. જ્યારે નીતિઓ શ્રીમંતોની તરફેણમાં ઘડાતી હોય છે, ત્યારે સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ વધતું હોય છે. પરિણામે, હાંસિયામાં ધકેલાઈ ગયેલાં જૂથોને વધુ નુકસાન થાય છે, સામાજિક અસમાનતા વધે છે.

સત્તાનું વિભાજન અને સંવૈધાનિક સંસ્થાઓનો આપસી સંઘર્ષ :

પ્રતિનિધિ લોકશાહીમાં ચેક અને બેલેન્સની સિસ્ટમ દ્વારા કારોબારી, ધારાકીય, અને ન્યાયિક શાખાઓ વચ્ચે સત્તા વહેંચવામાં આવે છે. પરંતુ, જ્યારે સરકારની કોઈ એક શાખા વધુ પડતી સક્રિય બનીને વધુ શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે સિસ્ટમમાં અસંતુલન પેદા થાય છે અને ક્યારેક સંઘર્ષ થતો હોય છે.

જો કારોબારી શાખા અતિશય શક્તિશાળી બનીને અનિયંત્રિત નિર્ણયો લેવા માંડે તો ધારા મંડળ હાંસિયામાં ધકેલાઈ શકે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર કાપ મુકાઈ શકે. જેને કારણે તે બંનેની કારોબારી ઉપર નિયંત્રણ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય. ભારતમાં ઈ.સ. ૧૯૭૫-૧૯૭૭ની કટોકટી દરમિયાન કારોબારીએ લગભગ અમર્યાદ સત્તાઓ મેળવીને સંસદ તથા ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડી હતી.

તે જ રીતે, ઈ.સ. ૨૦૦૬માં પ્રકાશસિંહ વી. ભારત સરકારના કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે સક્રિય ભૂમિકા ભજવીને પોલીસ અધિકારીઓને રાજકીય હસ્તક્ષેપથી બચાવવા માટે રાજ્યોમાં પોલીસ મહાનિર્દેશક અને અન્ય અધિકારીઓ માટે બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ ફરજિયાત કર્યો હતો. તથા દરેક રાજ્યમાં પોલીસ અધિકારીઓની નિમણૂકો, બદલીઓ, અને બઢતી માટે ભલામણો કરવા માટે પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આવા ચુકાદાઓથી ધારામંડળ અને કારોબારી સત્તાઓ ઉપર અતિક્રમણ થાય છે તેવી ટીકાઓ થતી હોય છે.

જો કે અહીં એ નોંધવું જરૂરી છે કે ન્યાયતંત્રે  તેની સીમાઓ વટાવી છે કે નહીં તે અંગે મતભેદ હોઈ શકે છે. કારણ કે, ન્યાયતંત્રની સક્રિયતા અને ન્યાયિક અતિક્રમણ વચ્ચે એક પાતળી રેખા છે. ન્યાયિક સક્રિયતા દ્વારા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા માટે ન્યાયાધીશો તેમની શક્તિનો ઉપયોગ કરે છે. પરંતુ, જ્યારે ન્યાયતંત્ર તેની સત્તાની બહાર જઈને ધારા મંડળ કે કારોબારીના ક્ષેત્રમાં દાખલ દઈને કાયદો અથવા નીતિ બનાવવાની બાબતો અંગે આદેશો જારી કરે છે ત્યારે ન્યાયિક દખલ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.

કારોબારી અને ન્યાયતંત્રની સક્રિયતાની માફક ધારા મંડળોની સક્રિયતાથી પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે, ન્યાયતંત્ર કે એક્ઝિક્યુટિવની ક્ષમતા નબળી થતી હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ ૨૦૧૪માં સંસદે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન એક્ટ પસાર કર્યો હતો. જેમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સરકારી હસ્તક્ષેપની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે ઈ.સ. ૨૦૧૫માં આવું પ્રાવધાન ન્યાયતંત્રની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે તેમ કહીને આ કાનૂનને ફગાવી દીધો હતો. તે જ રીતે ભારતીય સંસદ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીને કે તેની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેવી જુદી જુદી તપાસ કમિટીઓ દ્વારા કારોબારીની સત્તા ઉપર કાપ મૂકી શકે છે. તદુપરાંત, સંઘીય ઢાંચાને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ક્યારેક સત્તાનો ટકરાવ અને સંઘર્ષ થતો હોય છે. દિલ્હીની  રાજ્ય સરકાર અને કેન્દ્રિય સરકાર વચ્ચે વારંવાર થતો ટકરાવ આવા સંઘર્ષનું એક ઉદાહરણ છે.

પ્રતિનિધિ લોકશાહીમાં નિર્ણયો લેવામાં મુશ્કેલી અને બિનકાર્યક્ષમતા :

લોકશાહીમાં વિવિધ હિત જૂથો સામેલ હોય છે અને સૌને સાથે લઈને તથા નિયમોનું પાલન કરીને ચાલવાનું હોય છે. તદુપરાંત, લોકસભા અને રાજ્યસભા જેવી સંસદની દ્વિગૃહ વ્યવસ્થા હોવાથી પ્રસ્તાવિત કાયદાઓ અથવા બિલોને ઘણી વાર બંને ચેમ્બરમાંથી પસાર થવાની આવશ્યકતા હોય છે. વધુમાં, કેટલાક સૂચિત કાયદાના મુસદ્દાની વિગતવાર ચકાસણી માટે કેટલીક સમિતિઓના કે સમાજના વિવિધ હિસ્સેદારો અને નિષ્ણાતોના અભિપ્રાયો મેળવવાનું પ્રાવધાન હોય છે. આમ અનેક કારણોસર નિર્ણય લેવાની પ્રક્રિયા લંબાઈ જતી હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૯ના પ્યુ રિસર્ચ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૨૭ લોકશાહી દેશોના સરેરાશ ૫૧ ટકા લોકો માનતા હતા કે તેઓ તેમના દેશમાં નિર્ણય લેવામાં થતા વિલંબને કારણે સંતુષ્ટ નથી.

સમાપન

આવી માળખાકીય મર્યાદાઓને લીધે ઘણા દેશોમાં લોકોનો પ્રતિનિધિ – લોકશાહી સરકારમાં વિશ્વાસ ઘટે છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૨૩ના પ્યુ રીસર્ચ સેન્ટરના સર્વેક્ષણમાં ૬૫ ટકા અમેરિકન ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેમને ફેડરલ સરકારમાં ઘણો ઓછો વિશ્વાસ છે અને તેઓ તેમના દેશના રાજકારણથી કંટાળી ગયા છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટનો ઈ.સ. ૨૦૨૨નો ગ્લોબલ ડેમોક્રસી ઇન્ડેક્સ પણ વૈશ્વિક લોકશાહીમાં સતત ઘટાડો દર્શાવે છે. આવાં બીજાં અનેક સર્વેક્ષણો આ હકીકતનું સમર્થન કરે છે.

તેથી પ્રતિનિધિ લોકશાહીની મર્યાદાઓ ઉપર ધ્યાન આપીને તેને વધુ જવાબદાર, પારદર્શક, સર્વસમાવેશક, અને સક્ષમ બનાવવા માટે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાત્કાલિક પ્રયત્નો કરવા જરૂરી છે.

૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – ૩૯૦ ૦૦૨
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 06 – 08

Loading

...102030...731732733734...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved