Opinion Magazine
Number of visits: 9665806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભા.જ.પ. અબ કી બાર દક્ષિણ ભારત કે પાર? 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 April 2024

રાજ ગોસ્વામી

સળંગ ત્રીજીવાર સત્તામાં વાપસી કરવાના સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના સ્લોગન ‘અબકી બાર ચારસો પાર’માં, આ વખતે તમિલનાડુ અને અન્ય દક્ષિણી રાજ્યો પર વિશેષ ફોકસ છે. દક્ષિણના સાથ વગર ચારસોનો સાથ શક્ય નથી અને પાર્ટી દક્ષિણના મતદારોને રીઝવી શકી નથી તે બંને હકીકતથી ભા.જ.પ. અજાણ પણ નથી. લોકસભાની પ્રથમ તબ્બકાની ચૂંટણીમાં, 19મી એપ્રિલે અન્ય રાજ્યો સહિત તમિલનાડુની 39 લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.

2019માં એન.ડી.એ.એ 543 બેઠકોમાંથી 350 બેઠકો જીતી હતી. ભા.જ.પ.ને એકલા હાથે 303 બેઠકો મળી હતી. આ 350 બેઠકોમાંથી 10 રાજ્યોમાં ભા.જ.પે. સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ 11 રાજ્યોમાં ભા.જ.પ.ને એક પણ બેઠક મળી નથી. ભા.જ.પે. તમિલનાડુ, કેરળ, પુડુચેરી, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, આંધ્ર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ અને દાદરા અને નગર હવેલીમાં ખાતું ખોલાવ્યું નથી.

ભા.જ.પ. આ ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવા માટે આ 11 રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશ (25 બેઠકો), તમિલનાડુ (39 બેઠકો), કેરળ (20 બેઠકો), મેઘાલય (2 બેઠકો) અને મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દાદરા અને નગર હવેલીમાં 1-1 લોકસભા બેઠકો સાથે ભા.જ.પ.ના નિશાના પર છે. આ 11 રાજ્યોમાં કુલ 93 બેઠકો છે. જો લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 93 બેઠકો દૂર કરવામાં આવે તો 450 બેઠકો બાકી રહે છે, તેથી ભા.જ.પ. માટે 400નો આંકડો પાર કરવો પડકારજનક લાગે છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં, દક્ષિણમાં ભા.જ.પ.નો દેખાવ કંગાળ રહ્યો હતો, અને 2024માં પણ જો તેનું પુનરાવર્તન થાય તો, દક્ષિણ ભારત અને ઉત્તર ભારત વચ્ચેની ખાઈ વધુ પહોળી થશે, જ્યાં પાર્ટી અભૂતપૂર્વ વર્ચસ્વ ધરાવે છે.

છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભા.જ.પે. પ્રચંડ બહુમતીથી જીત મેળવી હતી. દેશનો રાજકીય નકશો જુઓ તો દેખાય છે કે ભા.જ.પ. દક્ષિણ ભારતના રાજ્યોમાં પોતાનું સ્થાન બનાવી શક્યું નથી, જ્યારે તમે જ્યારે ઉત્તર તરફ જોશો, ત્યારે તમને મોટા ભાગના રાજ્યો ભગવા રંગથી રંગાયેલા જોવા મળશે.

ભા.જ.પ. ઉત્તર ભારતની પાર્ટી છે તેવી છાપનો જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે આજ તક ન્યૂઝ ચેનલના કાર્યકમમાં દાવો કર્યો હતો કે ઉત્તર-દક્ષિણ વિભાજનની ચર્ચા 2024ની ચૂંટણી પછી સમાપ્ત થઈ જશે. આ જ કારણથી જ ભા.જ.પ.ના ટોચના નેતાઓ તમિલનાડુ અને દક્ષિણના અન્ય રાજ્યોની અવારનવાર મુલાકાત લેતા રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ 10 વખત તમિલનાડુમાં પ્રચાર કરી આવ્યા છે તે બતાવે છે કે પાર્ટીની 2024ની વ્યૂહરચનામાં દક્ષિણ કેટલું મહત્ત્વનું છે.

2019ની પ્રચંડ જીત છતાં, ભા.જ.પ.ને દક્ષિણના પાંચ રાજ્યોની 129 બેઠકોમાંથી માત્ર 29 બેઠકો મળી હતી. આ 29 બેઠકોમાંથી 25 બેઠકો એકલા કર્ણાટકમાં અને બાકીની ચાર બેઠકો તેલંગાણામાં હતી. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભા.જ.પ.ને એક પણ બેઠક મળી નથી. પાર્ટીને કેરળમાં ક્યારે ય એક પણ બેઠક જીતી નથી.

2014માં ભા.જ.પે. દક્ષિણની 21 બેઠકો, 2009માં 19, 1999 અને 2004માં 18 અને 1998માં 20 બેઠકો જીતી હતી. તે પહેલાંની ચૂંટણીઓમાં આ રાજ્યોમાં તેની સંખ્યા સાતથી ઓછી રહી હતી. દક્ષિણ ભારતમાં લોકો ભા.જ.પ.ને હિન્દી, હિંદુ અને હિંદુત્વના પક્ષ તરીકે જુએ છે અને આ ધારણાએ તેને ચૂંટણીમાં નુકસાન પહોંચાડ્યું છે.

તમિલનાડુ અને દક્ષિણ ભારત પરંપરાગત રીતે ભા.જ.પ.ની છાપ ધરાવતા ધર્મ-સંચાલિત રાજકારણથી મુક્ત રહ્યું છે. તમિલનાડુની રાજનીતિએ દાયકાઓથી બ્રાહ્મણ વિરોધી લાગણીઓએ આકાર આપ્યો છે. તમિલનાડુની સત્તાધારી ડી.એમ.કે. પાર્ટીનો જન્મ દ્રવિડ ચળવળમાંથી થયો હતો. રાજ્યનું રાજકારણ પણ એક હદ સુધી પેરિયાર આંદોલનની આસપાસ ફરતું રહ્યું છે અને ભા.જ.પ.ની કટ્ટર હિંદુત્વવાદી રાજકારણ રમી રહેલા પક્ષ તરીકેની છબી પણ તમિલનાડુમાં અવરોધ બની છે.

કર્ણાટકને બાદ કરતાં, આ પક્ષો, વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીઓમાં, રાષ્ટ્રીય મુદ્દાઓ કરતાં પ્રાદેશિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ભા.જ.પ. માટે તેની હાજરી સ્થાપિત કરવાનું અઘરું બનાવે છે. કર્ણાટકમાં ભા.જ.પ.ના અપવાદરૂપ પ્રદર્શનનું શ્રેય પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાને જાય છે, જેમણે લિંગાયત મતને ભા.જ.પ.ની ઝોળીમાં સાચવી રાખ્યા છે.

કર્ણાટક અને તેલંગાણાના કેટલાક શહેરી વિસ્તારોમાં નરેન્દ્ર મોદીની અપીલ છે. પરંતુ, મજબૂત રાજ્ય એકમો અને કાર્યકર્તાઓના અભાવે ભા.જ.પ. પાછળ હટી ગયું છે. ઉપરાંત, દક્ષિણના દરેક રાજ્યમાં એક કે બે પ્રબળ પ્રાદેશિક પક્ષો રહ્યા છે – જેમ કે ડી.એમ.કે., એ.આઈ.એ.ડી.એમ.કે., ટી.ડી.પી., વાય.એસ.આર.સી.પી. અને બી.આર.એસ.

તમિલનાડુને લઈને ઘણાં મીડિયા ગૃહોએ સર્વેક્ષણ એજન્સીઓના સહયોગથી સર્વેક્ષણો બહાર પાડ્યા છે. એન.ડી.ટી.વી.એ તમામ પોલનો અભ્યાસ કરીને આગાહી કરી છે કે રાજ્યમાં કૉંગ્રેસની આગેવાની હેઠળનું ઇન્ડિયા ગઠબંધન સરસાઈ મેળવશે, જેમાં મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ (ડી.એમ.કે.) પાર્ટીને ને 33 બેઠકો મળશે. ઓપિનિયન પોલ્સના અનુમાન મુજબ એ.આઈ.એ.ડી.એમ.કે.ને માત્ર ચાર બેઠકો મળી શકે છે. એ.આઈ.એ.ડી.એમ.કે. અગાઉ ભા.જ.પ.ની છાવણીમાં હતું, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તેણે છેડો ફાડી નાખ્યો હતો, જે ભા.જ.પ. માટે એક ફટકા સમાન હતું.

રાજ્યમાં ભા.જ.પ.ના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓથી એ.આઈ.એ.ડી.એમ.કે. નેતૃત્વ નારાજ હતું. ભા.જ.પ. નેતૃત્વ દ્વારા આ નેતાઓને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. આનાથી એ.આઈ.એ.ડી.એમ.કે. ગુસ્સે થઈ ગયું હતું. 2019ની ચૂંટણી પછી ઘણા પક્ષોએ એન.ડી.એ. છોડી દીધું છે. એ.આઈ.એ.ડી.એમ.કે. એન.ડી.એ.માંથી બહાર નીકળનાર ચોથો પક્ષ છે.

એ.આઈ.એ.ડી.એમ.કે.ના નિર્ણયની અસર તમિલનાડુના રાજકારણ પર પડશે. પક્ષ હવે તેની વોટ બેંક સાથે ફરીથી જોડાવાનો પ્રયાસ કરશે. આમાં લઘુમતીઓનો પણ સમાવેશ થશે, જેમનાથી પાર્ટીએ 2019ની લોકસભા અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં અંતર જાળવ્યું હતું. એન.ડી.એ.માંથી નીકળી જવાનું બીજું એક કારણ ભા.જ.પ.નું કટ્ટર હિન્દુત્વ પણ છે, જેણે એ.આઈ.એ.ડી.એમ.કે.ના લઘુમતી મતોને અસર કરી હતી.

એ.આઈ.એ.ડી.એમ.કે. અલગ થવાથી, રાજ્યમાં ત્રિપક્ષીય લડાઈ થઇ છે; ઇન્ડિયા ગઠબંધન તરફથી ડી.એમ.કે., એ.આઈ.એ.ડી.એમ.કે. અને ભા.જ.પ. જાણકારો કહે છે કે મતો વહેંચાઇ જવાથી ડી.એમ.કે.ને ફાયદો થશે અને ચૂંટણી પછી જો ગઠબંધન કરવાની સ્થિતિ આવે તો એ.આઈ.એ.ડી.એમ.કે. ફરી એન.ડી.એ.માં જશે.

તમિલનાડુમાં નાના પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલી ભા.જ.પ. એ.આઈ.એ.ડી.એમ.કે.ની નબળાઈનો ફાયદો ઉઠાવવા માંગે છે. ભા.જ.પ.ને લાગે છે કે રાજ્યનાં લોકપ્રિય મુખ્ય મંત્રી જે. જયલલિતાના અવસાનને કારણે ઊભા થયેલા વેક્યુમને તે ભરી શકે છે. તમિલનાડુમાં ભા.જ.પે. બે વર્ષ પહેલા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી.

2022માં મોદી સરકારે ‘કાશી તમિલ સંગમમ’ની શરૂઆત કરી હતી. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, મોદી સરકારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ‘કાશી તમિલ સંગમમ’નું અભિયાન શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ તમિલનાડુના લોકોને પ્રધાન મંત્રી મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી સાથે ભાવનાત્મક રીતે જોડવાનો હતો.

28 મે 2023ના રોજ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં, વડા પ્રધાન મોદીએ સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કર્યા પછી મંત્રોના જાપ સાથે અધ્યક્ષની બેઠક નજીક પવિત્ર સેંગોલ સ્થાપિત કર્યું હતું. તે પણ તમિલ મતદારોને રીઝવવા માટેની જ કવાયત હતી. મોદીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી વખત તમિલનાડુની મુલાકાત લીધી છે અને રાજ્યના લોકો સમક્ષ ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓ રજૂ કરી છે.

2019માં 350 બેઠકો મેળવ્યા પછી ભા.જ.પ. પાસે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિસ્તરણ માટે બહુ ઓછા વિકલ્પો છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો પર જીત મેળવી હતી. હરિયાણામાં પણ ભા.જ.પ. પાસે તમામ 10 બેઠકો છે. 

તે જ રીતે, મધ્ય પ્રદેશની 29 બેઠકોમાંથી ભા.જ.પે. 28 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં ભા.જ.પે. 25માંથી 23 બેઠકો પર જીત મેળવી હતી. પાર્ટીએ રાજસ્થાનની 25 બેઠકોમાંથી 24 બેઠકો જીતી હતી. ઉત્તર પ્રદેશમાં 80 બેઠકોમાંથી ભા.જ.પ.ને 62 બેઠકો મળી હતી. ઝારખંડની 14 બેઠકોમાંથી ભા.જ.પે. 11 અને કાઁગ્રેસે 13 બેઠકો જીતી હતી. છત્તીસગઢમાં 11માંથી 9 બેઠકો પર ભા.જ.પ.ને જીત મળી છે. 

ભા.જ.પે. મણિપુર અને મેઘાલયમાં પણ એક-એક બેઠક જીતી હતી. ભા.જ.પે. નાગાલેન્ડ અને મિઝોરમમાં એક-એક બેઠક જીતી હતી. એ જ રીતે હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, દિલ્હી અને ઉત્તરાખંડની તમામ લોકસભા બેઠકો જીતી હતી. આ સ્થિતિમાં ભા.જ.પ. પાસે હવે વિસ્તરણ માટે દક્ષિણના રાજ્યોનો એક માત્ર વિકલ્પ છે.

એ વિકલ્પ કેટલો કારગત નીવડશે એ 4થી જૂને મતગણતરી પછી ખબર પડશે.

લાસ્ટ લાઈન :

“તમિલનાડુ દક્ષિણ ભારતનું ઉત્તર પ્રદેશ છે.”

– પ્રશાંત કિશોર, રાજકીય વ્યૂહરચનાકાર

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 21 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઈ સદીમાં થયેલાં બે વિશ્વયુદ્ધો પશ્ચિમના સ્પર્ધાત્મક રાષ્ટ્રવાદનાં પરિણામ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહનો મારો લેખ વાંચીને એક વાચકે સવાલ કર્યો કે જો નકશો, ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ પ્રજાને બરડ બનાવવા માટે, આગ્રહી બનાવવા માટે, આક્રમક બનાવવા માટે થતો હોય તો પછી તેની જરૂર જ શું હતી? શા માટે તેને વિકસાવવામાં આવ્યાં અને ભારતે અપનાવ્યાં? શિવાજી મહારાજે અપૂર્વ બહાદુરી બતાવી ત્યારે તેમની પાસે ક્યાં કોઈ નકશા, ધ્વજ અને રાષ્ટ્રગીત હતાં? સિકંદર પણ હાથમાં ધ્વજ અને કોઈ ગ્રીક રાષ્ટ્રગીત લઈને દુનિયાને જીતવા નહોતો નીકળ્યો. તેમની વાત સાચી છે. શિવાજી મહારાજના હાથમાં ભગવો ધ્વજ અને મુસ્લિમ આક્રમણકારોના હાથમાં ચાંદવાળો લીલો ધ્વજ પાછળથી જે તે સમુદાયોની વર્તમાન રાજકીય જરૂરિયાતના ભાગરૂપે પકડાવવામાં આવ્યા છે.

માત્ર નકશા, ધ્વજ અને રાષ્ટ્રગીત જ નહીં, આખેઆખો રાષ્ટ્રવાદ જ આધુનિક યુગની પેદાશ છે અને એની પાછળનું પ્રેરકબળ આ જગતમાં “આપણા” માટે જગ્યા બનાવવાનું હતું. યુરોપની પ્રજાને પુનર્જાગરણના કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીની સહાય મળી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સહેલું બનવા લાગ્યું ત્યારે ત્યાંની પ્રજાએ વધારે વિસ્તારમાં જગ્યા બનાવવાનું શરૂ કર્યું. જેમ જેમ જગતની ભૂમિ જડતી ગઈ તેમ તેમ ધીરે ધીરે તેમની વચ્ચે હરીફાઈ શરૂ થઈ. હવે એ તો દેખીતી વાત છે કે હરીફાઈને ઉત્તેજના સાથે સંબંધ છે એટલે એશિયા અને આફ્રિકાની જમીન શોધાનારા સાહસિકોને અને લાભાર્થી પ્રજાને કેફ ચડાવો, નશો કરાવો, લલકારો વગેરે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે રાષ્ટ્રવાદનાં મૂળ આમાં છે. જગતનાં સાંસ્થાનિકરણ(કોલોનાઈઝેશન)માં આગળ નીકળી જવા માટે અને હરીફને પાછળ ધકેલવા માટે રાષ્ટ્રવાદ પેદા કરવામાં આવ્યો હતો અને તેને માટે ધ્વજ અને રાષ્ટ્રગીત હાથવગાં અને સહેજે નજરે પડે એવાં પ્રતિકો હતાં. નક્શાનું વિજ્ઞાન પાછળથી વિકસ્યું. ગઈ સદીમાં થયેલાં બે વિશ્વયુદ્ધો પશ્ચિમના સ્પર્ધાત્મક રાષ્ટ્રવાદનાં પરિણામ છે. ટૂંકમાં આ લૂંટનાં સાધનો હતાં અને આજે પણ છે. દસ ફૂટ મોટો રાષ્ટ્રધ્વ લહેરાતો જોઇને પ્રજા ગેલમાં આવી જાય અને તેના ધ્યાન બહાર પાછળ ઘણું બધું થતું રહે!

અહીં પેલો સવાલ ઉપસ્થિત થાય છે કે પ્રજાને ગુલામ બનાવનારાં, પ્રજાને કેફમાં રાખનારાં અને પ્રજાને છેતરનારાં સાધનોને ભારત જેવા આઝાદ થયેલા દેશોએ શા માટે અપનાવ્યાં? જવાબ છે, ગુલામીથી મુક્ત થવા માટે. સાંસ્થાનિક યુગમાં આઝાદ થવા માગતા દેશોના નેતાઓને પણ લાગ્યું કે પ્રજાને જાગૃત કરવા માટે એવાં કોઈ સાધનો હોવાં જોઈએ જે જોઇને પ્રજામાં ગરમી પેદા થાય, ઉત્તેજના પેદા થાય, પ્રજા બેઠી થાય. પ્રજાની અંદર આઝાદ થવાનાં અરમાન પેદા કરવા માટે અને તેને આંદોલિત કરવા માટે કોઈક અવલંબન જરૂરી હતાં અને તેમણે તે માટે રાષ્ટ્રગીત, ધ્વજ અને નકશાઓનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત સગુણ અને સાકાર એવા રાષ્ટ્રની એક કલ્પના પણ વિકસાવવામાં આવી જે લોકોને પોરસ ચડાવે. સાચી-ખોટી અને ચકાસ્યા વિનાની મહાનતાનાં વરખ ચડાવવામાં આવ્યાં, જેને જાણીતા સમાજવિજ્ઞાની બેનેડિક્ટ એન્ડરસન “ઈમેજીન્ડ કોમ્યુનિટીઝ” તરીકે ઓળખાવે છે. આ બધું સંસ્થાનોની પ્રજાને ગુલામીથી મુક્ત થવા જરૂરી લાગ્યું હતું.

આ જ્યારે કરવામાં આવતું હતું ત્યારે પણ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ વગેરેને આનાં જોખમની જાણ હતી. રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચે રાષ્ટ્રવાદને લઈને મોટી ચર્ચા થઈ હતી અને કવિની તાકીદને ગાંધીજીએ “કવિની ચોકી’ (ચોકીદારી) તરીકે ઓળખાવી હતી. એક તો પોતાની (એટલે કે બહુમતી કોમની) મહાનતાના કલ્પનાવિલાસનો કોઈ અંત નથી અને બીજું પોતાની મહાનતા કે સર્વોપરિતા સિદ્ધ કરવા માટે બીજાને હલકા ચીતરવા પડે. ઈમેજીન્ડ કોમ્યુનિટીઝને કોઈ ઈમેજીન્ડ એનીમીઝની પણ જરૂર પડે. એમાં જો કોઈને ઈમેજીન્ડ કોમ્યુનિટીઝ આધારિત રાષ્ટ્રવાદના મહાનાયક બનવું હોય તો તે શું ન કરે? એક તરફ બહુમતી કોમને ખોટાં પોરસ ચડાવવામાં કાંઈ બાકી ન રાખે અને બીજી તરફ લઘુમતી કોમને ધીકારવામાં કાંઈ બાકી ન રાખે. બન્ને તરફ જૂઠાણાં અને જૂઠાણાંમાં અતિશયોક્તિ.

રાષ્ટ્રવાદનું આ જોખમ તો હતું જ અને દેશમાં કેટલાક લોકો, ખાસ કરીને ઉપર જેમનાં નામનો ઉલ્લેખ કર્યો એ ત્રણ જણ આ જાણતા હતા. આ વાત ધ્યાનમાં રાખીને ગાંધીજીનું મુખ્યત્વે ‘હિન્દ સ્વરાજ’ નામનું નાનકડું પુસ્તક વાંચવું જોઈએ. એમાં તેમણે આપણી શક્તિ (ખરી શક્તિ, ઈમેજીન્ડ નહીં) અને મર્યાદા બતાવી આપ્યાં છે. જવાહરલાલ નેહરુનાં ભારતનાં અને વિશ્વનાં ઇતિહાસનાં બન્ને પુસ્તકો અને રવીન્દ્રનાથ ટાગોરનાં નિબંધો, ભાષણો અને ‘ઘરે બાહિરે’ જેવાં પુસ્તકો વાંચવા જોઈએ. તેમનું ૧૯૧૮માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘નેશનાલીઝમ’ ખાસ વાંચવું જોઈએ. આ ત્રણમાંથી ગાંધીજી અને નેહરુ વિવેકી રાષ્ટ્રવાદના પુરસ્કર્તા હતા અને રવીન્દ્રનાથ ટાગોરને તેમાં જોખમ નજરે પડતું હતું. જે સ્વભાવત: જોખમી છે અને માનવ સમાજને બરબાદ કરી નાખવાની પ્રચંડ સંહારક ક્ષમતા ધરાવે છે તેમાં વિવેકની અથવા મર્યાદાની અપેક્ષા રાખવી એ વધારે પડતું નથી? રવીન્દ્રનાથ ટાગોરે ચિંતા વ્યક્ત કરી હતી. આજે આપણે અને વિશ્વસમાજ ઓછાવત્તા પ્રમાણમાં આનો અનુભવ કરી રહ્યા છીએ.

જતા જતા અહીં એક ફરક નોંધી લો : યુરોપની પ્રજાએ વિશ્વદેશો કબજે કરવા માંડ્યા ત્યારે તેમની પાસે વિજ્ઞાન, ટેકનોલોજી, સાહસ, ઉત્સાહ, કુતૂહલ, વધુને વધુ સુખ તેમ જ સમૃદ્ધિ માટેનો પુરુષાર્થ વગેરે ઐશ્વર્ય મેળવવાનાં તમામ ગુણો અને સાધનો હાથવગાં હતાં. માત્ર હરીફાઈ માટે અને આગળ નીકળી જવા માટે પોરસ ચડાવવાનો હતો અને એટલા પુરતો જ રાષ્ટ્રવાદનો તેમને ખપ હતો. તેઓ વર્તમાનમાં ઐશ્વર્ય ભોગવતા હતા એટલે તેમને ઈમેજીન્ડ કોમ્યુનિટીઝની જરૂર નહોતી. જૂઠી કે વરખ ચડાવેલી આપઓળખની જરૂર નહોતી. જેમને મુક્ત થવું હતું તેમને ઐશ્વર્ય શોધવા ઈમેજીન્ડ કોમ્યુનિટીઝની જરૂર પડી અને અત્યારે તે તેની ચરમસીમાએ છે. ચરમસીમાએ એટલા માટે છે કે કેટલાક લોકો રાષ્ટ્રવાદનો ઉપયોગ કરીને મુક્ત થયેલી પ્રજાને અમલ પીવડાવીને પાછી ગુલામ બનાવવા માગે છે. જે ફિલ્મો અને સિરિયલો બની રહી છે તેનાં પર એક નજર કરો. ઇતિહાસના નાયકોનાં સાચાખોટા ઐશ્વર્યને વેચવામાં આવી રહ્યું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 ઍપ્રિલ 2024

Loading

અર્થશાસ્ત્રીઓ સ્થાપિત હિતોને વૈજ્ઞાનિક ભાષાના વાઘા પહેરાવે છે

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|21 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર : ભાગ-૮

રોબર્ટ સ્કિદેલસ્કી

વિચારોનું જે ઉપરી માળખું ઊભું થાય છે તે માર્ક્સવાદીઓ કહે છે તેવું એક જ સ્વરૂપનું હોતું નથી. વ્યવહારમાં તે સામાન્ય રીતે પરસ્પર વિરોધી એવાં હિતોમાં વહેંચાયેલું હોય છે : આર્થિક જીવનમાં તે નિકાસકારો અને આયાતકારો, દેણદારો અને લેણદારો, ધિરાણ અને ઉદ્યોગ એમ વહેંચાયેલું નજરે પડે છે. અમેરિકાની એક ઘટના નોંધનીય છે : ઉદ્યોગપતિઓની વિચારધારા સરકાર સાથે મેળ ખાતી નથી. પરંતુ તેમને સરકારના સંરક્ષણ સામગ્રી અને સંશોધન અંગેના કોન્ટેૃક્ટ મળે છે અને તેઓ સમૃદ્ધ થાય છે એટલે તેઓ સતત સરકારને તાબે થાય છે.

મહત્ત્વની બાબત તેથી એ છે કે સત્તા કેવી રીતે વહેંચાયેલી છે. રાજ્ય અને સ્થાપિત હિતો વચ્ચે, રાજકીય અને સામાજિક જૂથો વચ્ચે તેમ જ મૂડીપતિઓ અને કામદારો વચ્ચે સત્તાનું સંતુલન કેવું સધાયેલું છે તે અગત્યનું છે. આ બળો વચ્ચે જેટલું સમાન રીતે સંતુલન સાધાયેલું હોય તેટલા ઓછા પ્રમાણમાં અર્થતંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે તેને વિશેની એક જ વાર્તા અર્થશાસ્ત્રીઓ પાસેથી સાંભળવા મળે.

લગભગ ૧૯૨૦ના દાયકાથી ૧૯૭૦ના દાયકા સુધી મૂડી અને શ્રમનાં બળો વચ્ચેનું સંતુલન એવું હતું કે સામાજિક સમાધાનની નીતિ અપનાવી શકાતી હતી. છેલ્લાં ૪૦ વર્ષમાં સત્તા જૂના કામદાર વર્ગથી ખસીને એવા વર્ગ તરફ ગઈ છે કે જેઓ જન્મ, સંપત્તિ અને શિક્ષણની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ છે. વળી, જૂના ધંધાદારીઓ પાસેથી સત્તા ખસીને નવા નાણાકીય ભદ્ર વર્ગ પાસે જતી રહી છે.

હેમન્તકુમાર શાહ

આ કારણોસર આર્થિક દલીલ અને રાજકીય દલીલ વચ્ચે કદી પણ સમાનતાનો સંબંધ નથી રહ્યો. એ અર્થશાસ્ત્રને અન્ય સમાજવિદ્યાઓની સાથે સાથે રાજકીય બળોની તુલનાએ થોડી સ્વાયત્તતા બક્ષે છે, કારણ કે રાજકીય બળોમાં તો અધિકારિતા પડેલી હોય છે.

અર્થશાસ્ત્ર તેની પાસે તુલનાત્મક રીતે સ્વાયત્તતા હોવા છતાં, ત્રણ રીતે ધંધાદારીઓ કે ઉદ્યોગપતિઓનાં હિતો સાચવે છે :

પ્રથમ રીત એ છે કે, અર્થશાસ્ત્ર વિજ્ઞાન જેવી અધિકૃતતા સાથે ઉદ્યોગપતિઓનાં હિતોને પોષે છે; અને એ રીતે તે પોતાનું સ્વહિત સાધે છે અને એમ સમજે છે તે વધુ પ્રબુદ્ધ થયું છે. વ્યવહારુ લોકોને તો વૈજ્ઞાનિક ભાષામાં તેમના પૂર્વગ્રહોને વાઘા પહેરાવવામાં આવે એ બહુ ગમે છે. આવી ભાષામાં જે ખરેખર એક અભિપ્રાયની બાબત છે તેને પ્રકૃતિની હકીકતમાં બદલી નાખવાની તાકાત ધરાવે છે.

બીજો પ્રભાવ આવે છે તેની અધિકર્તા સત્તા(agenda power)માંથી. જ્હોન કેનેથ ગાલબ્રેથ લખે છે કે, “આધુનિક કંપનીઓના બચાવમાં સત્તાનું અસ્તિત્વ જ નથી એવી દલીલ સૌથી વધુ અગત્યની બની જાય છે. એમાં તો એમ કહેવામાં આવે છે કે બધી જ સત્તા બજારની અવૈયક્તિક રમતને ચરણે ધરી દેવામાં આવી છે. યુવાન લોકોના દિમાગમાં આ બાબત એવી ઘૂસાડી દેવામાં આવી છે કે વાત ના પૂછો!”

ગાલબ્રેથ વધુમાં એમ કહે છે કે, “આધુનિક કંપનીઓના ઉદયને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે કે જે રાજકીય સત્તા સાથે સ્પર્ધા કરી શકે છે …… રાજ્ય કોઈક રીતે કંપનીઓ પર નિયમન કરવા ઈચ્છે છે, પરંતુ કંપનીઓ સતત વધુ ને વધુ તાકતવર બનતી જ જાય છે; અને તેઓ આવાં નિયમનોને અતિક્રમી જવાનો દરેક પ્રયત્ન કરે છે. જ્યાં કંપનીઓનાં પોતાનાં હિતો સાથે છેડછાડ થતી હોય ત્યાં તેઓ રાજ્ય ઉપર પણ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે.”

આર્થિક જીવનને સ્પર્ધાત્મક બજારમાં પ્રાપ્ત થતા વ્યક્તિગત સંતોષને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્રમાં મોડેલ બનાવાયાં છે. એમ કરીને અર્થશાસ્ત્ર દેખીતા ઇજારા સિવાય જે સત્તા પ્રવર્તમાન છે તેને અદૃશ્ય બનાવે છે. દા. ત. શ્રમની સીમાંત ઉત્પાદકતા કરતાં જે વેતન ઓછું છે તે કામદારનું શોષણ કરનારું છે એમ તે કહે છે. પરંતુ બજારમાં સ્પર્ધા છે એમ ધારી લેવામાં આવે છે. તેવે સમયે શ્રમને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન મળશે જ એવું તારણ કાઢવામાં આવે છે. એટલે કાર્લ માર્ક્સ કહે છે તેમ શોષણ બજાર વ્યવસ્થામાં અંતર્નિહિત નથી રહેતું પણ એક પ્રકારની પેથોલોજી બની જાય છે! 

સ્રોત : 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...724725726727...730740750...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved