Opinion Magazine
Number of visits: 9845389
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુંધતિ રોય અને સાહિત્યકારની સ્વતંત્રતા

હેમંતકુમાર શાહ|Opinion - Literature|17 June 2024

ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર

માનનીય સાહિત્યકારશ્રીઓ,

નમસ્કાર.

હેમંતકુમાર શાહ

અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી, પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.

તાજેતરમાં વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ભારતીય લેખિકા અને સાહિત્યકાર અરુંધતિ રોય પર UAPA હેઠળ કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી તે નિમિત્તે ગુજરાતી સાહિત્યકારોમાંથી કે લેખકોમાંથી કોઈ પ્રતિસાદ આવ્યો હોવાનું જાણમાં આવ્યું નથી. 

આપને દમનખોર અને રાક્ષસી એવા UAPA નામક કાયદા વિષે ઝાઝી કે કશી ખબર ન હોય એમાં આપનો વાંક ન હોય, પણ એટલી તો જાણકારી આપને હોય જ, અને ભારતના સુશિક્ષિત નાગરિક તરીકે હોવી પણ જોઈએ કે, નાગરિકોને જેમ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર કેટલીક મર્યાદાઓ સાથે છે તેમ સરકારને પણ બંધારણ હેઠળ મર્યાદાઓ સાથે જ સત્તા પ્રાપ્ત થયેલી છે.

જમ્મુ-કાશ્મીર ભારતનું અંગ નથી એવા અરુંધતિ રોયના મત કે વિધાનો સાથે આપ સંમત ન પણ હોવ, હું પણ નથી જ. પણ છતાં તેમના પર UAPA જેવા કાળા કાયદાનો ઉપયોગ કરવામાં આવે એ તો સત્તાનો નિરંકુશ ઉપયોગ જ કહેવાય.

જો સરકાર કોઈ સાહિત્યકાર સામે સત્તાનો બેફામ દંડ ઉગામે અને બાકીના સાહિત્યકારો મોંમાં જાતજાતના અને ભાતભાતના સરકારી કે બિન-સરકારી ઇનામો ઠસોઠસ ભરીને, કે પછી કોઈ પણ રીતે ખાનમાનપાન મળે એવી આશાએ, મૌન પાળે તો તે તેમણે સમાજની સૌથી મોટી કુસેવા કરી કહેવાય. 

ભારતના બંધારણમાં મર્યાદિત સરકારનો ખ્યાલ સ્વીકારાયો છે. એટલે કે સરકારો બેફામ બનીને નાગરિકોના અધિકારો ઝૂંટવી શકે નહિ તેની વ્યવસ્થા બંધારણમાં કરાઈ છે. સત્તાનો સ્વભાવ બેફામ અને બેલગામ બનવાનો છે ત્યારે તેની સામે જો જાગૃત ન રહીએ તો આપણે સૌ મનુષ્ય એવા નાગરિક તરીકે જીવી શકીએ નહિ, પણ મચ્છર જેવા તુચ્છ જંતુની જેમ શ્વાસ લેતા થઈ જઈએ અને જીવતેજીવ મરી જઈએ. 

જો સાહિત્ય અને તેના રચયિતાઓ કાયરતા ધારણ કરીને નીચ, નાલાયક, નફ્ફટ, નપાવટ, નિર્લજ્જ અને નરાધમ સત્તાનશીનો સામે અવાજ ન ઉઠાવે અને તેમની કદમપોશી કર્યા કરે તો આખો સમાજ નમાલો બની જાય, પછી ભલે ને સત્તામાં કોઈ પણ વિચારધારા ધરાવનાર નેતા કે કોઈ પણ પક્ષ હોય. 

ઉમાશંકર જોશીને યાદ કરો. ઇન્દિરા ગાંધીએ એમને રાજ્યસભાના નિયુક્ત સભ્ય બનાવેલા. પણ છતાં ઇન્દિરા ગાંધીની એકહથ્થુ જોહુકમી સામે તેઓ રસ્તા પર આવી ગયેલા. અટકાયત વેળાએ પોલિસવાનમાં એમને પોલિસ દ્વારા બાવડું પકડીને ચડાવતો ફોટો છાપામાં છપાયેલો એ પાંચેક દાયકા વીત્યા છતાં ય હજુ ય મારા માનસપટલ પર હેમખેમ તરોતાજો છે. 

સત્તા સામે ધનપતિઓ અને મૂડીપતિઓ ન બોલે તે તો સમજી શકાય. કારણ કે તેમનું ધ્યાન માત્ર નફા અને સંપત્તિના એકત્રીકરણ પર હોય છે. જે.આર.ડી. તાતા જેવા પણ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે કશું નહોતા બોલેલા અને એમની જ કાઁગ્રેસ સરકારે એમને ભારતરત્ન ખિતાબ પણ પછીથી આપેલો. 

આપને માટે તો શબ્દ જ સ્વામી છે. પરમાત્મા, જો એવું કશું હોય તો, જ આપને શબ્દની તાકાત સાથે પૃથ્વી પર મોકલે છે. આપે વળી કઈ સંપત્તિ ઘરભેગી કરવી છે? શા માટે આપ સૌ શબ્દની તાકાતની ધાર બુઠ્ઠી કરી રહ્યા છો એ સમજાતું નથી.

આશરે છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્ર્યનું સત્યાનાશ કાઢી નંખાયું છે અને છતાં આપમાંના મોટા ભાગના મૌન રહ્યા છો. આપની રાજકીય, સામાજિક અને મૂળભૂત માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા સાવ જ મરણાસન્ન હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

કોરોનાકાળ દરમ્યાન પારુલ ખખ્ખર દ્વારા લખવામાં આવેલી કવિતાને કારણે એમને જે વેઠવું પડેલું એ અત્યારે યાદ આવે છે. અરુંધતિ રોય પણ આપમાંના જ એક છે. વંચિતો, પીડિતો, દલિતો, ગરીબો અને વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાના લડવૈયાઓનો અવાજ આપ છેલ્લા અઢી દાયકામાં બન્યા નથી. હવે તો મગનું નામ મરી પાડો.

આજે અરુંધતિ છે, કાલે આપનો વારો નીકળી શકે છે. કે પછી વારો ન નીકળે એની જ ચિંતામાં રચ્યાપચ્યા છો? બરાબર યાદ રાખો, ડર અને લાલચમાંથી બહાર નીકળીએ તો જ વ્યક્તિની સ્વતંત્રતા ટકે. રાજકીય સત્તાના ગુલામ થઈને જીવવાનું પસંદ કરવાનું કે ન કરવાનું આપના હાથમાં છે. પ્રવર્તમાન સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સત્તાને શરણે ગયેલું કે પછી એની સામે ચૂપ રહેલું સાહિત્ય કદી કશો શક્કરવાર વાળી શકે નહિ એમ મારી અલ્પમતિ મને કહે છે. સત્તાની ભાટાઈ અને ચાપલૂસી એ સાહિત્યકારનું લક્ષણ કેમેય કરીને હોઈ શકે નહિ. 

આપ કંઈ કથાકાર નથી, સર્જક છો. તેથી આપ સૌ તો બુદ્ધિજીવી છો. સાથે સાથે હવે બુદ્ધિનિષ્ઠ બનો અને આઝાદ દેશના નાગરિકોની સાચી આઝાદી માટે આપ આપની કલમનો અહિંસક તલવાર તરીકે ઉપયોગ કરો એવી સાહજિક અપેક્ષા છે. ચીન આઝાદ છે પણ ત્યાંના નાગરિકો આઝાદ નથી. શું આપણે ભારત = ચીન + ચૂંટણી બનવું છે? 

ખાસ્સું મોડું થઈ ચૂક્યું છે, હજુ વધુ મોડું થશે તો ઇતિહાસ આપને કદી માફ નહિ જ કરે એની મને ખાતરી છે. આપ આઝાદ દેશના માનવીની આઝાદીનો અવાજ બનો.

જો એમ કરશો તો વધુમાં વધુ શું થશે? આપને કોઈ યુનિવર્સિટીના કુલપતિ નહિ બનાવાય, કોલેજો અને યુનવર્સિટીઓના સેમિનારમાં નહિ બોલાવાય, સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં નહિ બોલાવાય કે કોઈ પારિતોષિક નહિ આપવામાં આવે, એમનાં સામયિકોમાં આપના લેખો નહિ છપાય, ક્યારેક તમને કોલેજ કે યુનિવર્સિટીમાં બઢતી નહિ મળે; વગેરે વગેરે. આટલું જો સહન કરી શકો તો કરો અને સરકારી રીતિનીતિઓ સામે અવાજ ઉઠાવો. આવું બધું ચાલે તો પણ આપના સાહિત્ય સર્જનને ક્યાં આંચ આવવાની છે? 

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં ચર્ચા અને વાદવિવાદનો અવકાશ જ ખતમ કરી નાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠ પણ ખાડામાં ગઈ! કોલેજો અને યુનિવર્સિટીઓ સરકારનાં ખાતાં જેવી બની ગઈ છે. આપમાંના ઘણાબધા એમાં હાલ છો અથવા હતા. શું આપને એમાં critical thinking થાય એની જરૂર નથી લાગતી, કે જેનો ઉલ્લેખ ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં આઠ વખત કરવામાં આવ્યો છે? 

આપ વાણી સ્વાતંત્ર્ય એ તો રાજકારણ છે એમ કહીને છટકબારી ન શોધશો. સાહિત્ય અકાદમી એ સરકાર છે અને સાહિત્ય પરિષદમાં ચૂંટણી થાય એ પણ રાજકારણ જ કહેવાય. મૂળ મુદ્દો બંધારણમાં જે વાણી સ્વાતંત્ર્ય લખ્યું છે એના રક્ષણનો અને સરકારોને બેલગામ થતી, તાનાશાહી બનતી તથા નાગરિકોને ગુલામ બનાવતી અટકાવવાનો છે. 

આપની કલમ વેરીલી અને ઝેરીલી સત્તાને પડકાર ફેંકે અને ઝવેરચંદ મેઘાણીની જેમ શૂરવૈયાનો ડંકો વગાડે તેમ જ નર્મદનો ડાંડિયો બને, તેમ જ સર્જન અને સ્વતંત્રતા વચ્ચેના નાળસંબંધને જીવંત બનાવે એનો જ ઇંતજાર છે. છેલ્લા અઢી દાયકાના આપના મૌન છતાં ….

किसी नज़र को तेरा इंतजार आज भी है……

मेरी तलाश में शायद बहार आज भी है। 

(ભૂતપૂર્વ આચાર્ય, એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ.)
તા.૧૭-૦૬-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આખા દેશમાંથી તમામ સ્તરે એન્ટ્રન્સ એક્ઝામ્સ લેવાનું બંધ થવું જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2024

રવીન્દ્ર પારેખ

આખા દેશમાં શિક્ષણ સડી ગયું છે.

2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે, તેમાં સૈદ્ધાંતિક રીતે ઘણું સારું હશે, પણ વ્યવહારમાં તો તમામ સ્તરે ભ્રષ્ટતા જ દેખાય છે. પરીક્ષા જ શિક્ષણ હોય, તેમ આખું વર્ષ ઠેર ઠેર પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે ને એમ લાગે છે કે ભણવા કે ભણાવવાને નામે ખાસ કૈં કરવાનું રહ્યું નથી. પ્રાઈમરીથી માંડીને પીએચ.ડી. સુધી પરીક્ષા જ સર્વોપરી રહી છે. ભણતું કોઈ નથી, પણ પાસ બધાં જ થાય છે. ખરી કમબખ્તી તો બોર્ડની પરીક્ષાઓ પાસ કરો પછી શરૂ થાય છે. મેડિકલમાં કે અન્ય કોઈ વિદ્યાશાખામાં પ્રવેશ જોઈતો હોય તો એન્ટ્રન્સ એક્ઝામ આપવાની થાય છે. એમાં પાસ થાવ તો જ મેડિકલમાં પ્રવેશ મળે. એ સિવાય અન્ય વિદ્યાશાખાની પરીક્ષાઓ પાસ કરો કે નોકરી માટેની પરીક્ષાઓ આપવાની. એ પાસ થાવ પછી કામચલાઉ ધોરણે નોકરી મળે. માસ્તર થવું હોય તો વિદ્યાસહાયકની ફિક્સ પગારની અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટવાળી નોકરી મળે ને કોન્ટ્રાક્ટ પૂરો થાય કે વળી અરજી કરવાની ને પછી નોકરી મળે કે ના પણ મળે. ન પગાર વધારો, ન પેન્શન કે ન નોકરીના કોઈ લાભો. માસ્તરોને પણ કૈં ચચરતું નથી એટલે ચાલે છે. જેમાં મહેનત ને મગજ ને મનીની જરૂર પડે છે તે મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગે. એક વાર એમાં પ્રવેશ મળ્યો કે પછીનું તો ‘ફોડી’ લેવાય છે ને મની હોય તો બધું ‘મેનેજ’ પણ થઈ જાય છે.

હવે મેડિકલમાં એડમિશન લેવું હોય તો નીટ(નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ)ની એક્ઝામ આપવી પડે. એનું આયોજન 2017થી એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) કરે છે ને તે મેડિકલની ખાનગી અને સરકારી સંસ્થાઓ માટેની પરીક્ષાઓ લે છે. જો કે, આ વખતે એન.ટી.એ. નીટની એક્ઝામ લેવામાં ધરાર નિષ્ફળ નીવડી છે ને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમમાં ફરી પરીક્ષા લેવાની અરજીઓ થઈ છે, તેમાંથી હરિયાણાનાં ઝજ્જર કેન્દ્રમાં વિદ્યાર્થીઓનો સમય બગડવાને બહાને ગ્રેસ માર્કસ એન.ટી.એ. દ્વારા અપાયેલા જે યોગ્ય ન હતા, કારણ સ્કૂલની પ્રિન્સિપાલ અંશુ યાદવનું કહેવું છે કે એમનાં કેન્દ્ર પર કોઈનો એક મિનિટનો સમય પણ બગડ્યો નથી. એ ગ્રેસ માર્ક્સને કારણે જ ઝજ્જર કેન્દ્રમાંથી એક સાથે છ વિદ્યાર્થીઓ 720માંથી 720 માર્કસ લાવવામાં સફળ થયા. આ અંગે ફરિયાદ થતાં 1,563 વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો ચુકાદો સુપ્રીમે આપ્યો છે ને જે ફરી પરીક્ષા આપવા તૈયાર ન હોય તેમણે પરિણામ ગ્રેસ માર્કસ વગરનું સ્વીકારવાનું રહેશે એવી ચેતવણી પણ અપાઈ છે. નીટની 2024ની પરીક્ષાએ તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે ને તે ગેરરીતિનું અને હરામની કમાણીનું કેન્દ્ર બની ગઈ છે, બીજી તરફ સરકાર અને એન.ટી.એ. ટેવ મુજબ ‘સબ સલામત’ની ઘંટીઓ વગાડ્યાં કરે છે. પરીક્ષાનાં પેપરો લીક થયા છે ને પોલીસે તે સંદર્ભે કેટલાકની ધરપકડ કરી છે, તો ય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને એન.ટી.એ.એ એવું કૈં થયું હોવાનો ઇન્કાર કર્યો છે. એની સામે, પોલીસે અર્ધ બળેલ પેપરનાં 74 સવાલો સરખાવવા એન.ટી.એ. પાસેથી મૂળ પેપર માંગ્યું છે, તો જવાબમાં બેવકૂફી ભર્યા ખુલાસાઓ કરવામાં આવ્યા છે.

નીટની પરીક્ષા આ વખતે 5 મેએ 4,750 કેન્દ્રો પર યોજાઇ હતી ને તેમાં દેશભરમાંથી 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એનું પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું, પણ ચૂંટણીનું પરિણામ હતું એ જ દિવસે 4 જૂને જાહેર કરી દેવાયું, તે એ કારણે કે ચૂંટણીની હોહામાં બહુ ઊહાપોહ ન થાય. બન્યું એવું કે નીટમાં 67 વિદ્યાર્થીઓ 720માંથી 720 માર્કસ મેળવી પ્રથમ આવ્યા. આવું અગાઉ બન્યું ન હતું. 720માંથી 720 તો 2020માં બે, 2021માં ત્રણ, 2022માં એક પણ નહીં, 2023માં બે જણનાં જ આવ્યા હતા ને આ વખતે 67ના આવ્યા, તેમાં પણ એક જ કેંદ્ર ફરીદાબાદમાંથી એક સાથે 6 વિદ્યાર્થીઓના 720માંથી 720 આવ્યા. આ મામલે સી.બી.આઇ. કે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થાય એવી માંગ ઊઠી છે ને બિહારમાં તો પરીક્ષા જ રદ્દ કરવાની માંગ છે. નીટને મામલે પટણામાં આગજનીની ને સામે પોલીસના બળપ્રયોગની ઘટનાઓ પણ બની છે. અહીં પોલીસે પેપર ફૂટવાને મામલે 13 જણની ધરપકડ કરી છે ને તેમાં જુનિયર એન્જિનિયર સિકંદર કુમારે કબૂલ્યું છે કે 4 મેએ નીટનું પેપર ફૂટ્યું હતું અને ઉમેદવારોને ‘સેફ હાઉસ’માં ભેગા કરીને જવાબો ગોખાવવામાં આવ્યા હતા. આ સ્થિતિ હોય ને શિક્ષણ મંત્રી અને એન.ટી.એ. એ સ્વીકારવા તૈયાર ન થાય એ શરમજનક છે.

એ છે કે પટણા, ગોધરા અને ઝજજરની જે ઘટનાઓ સામે આવી છે તેણે એન.ટી.એ. પરનો ભરોસો ખતમ કરી દીધો છે. ગોધરામાં જલારામ સ્કૂલમાં નીટનું કેન્દ્ર હતું. અહીં પૈસા લઈને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે જે આવડે તે સવાલના જવાબો ઓ.એમ.આર. શીટમાં લખવા, બાકીનાને એટેન્ડ ન કરવા. એ પાછળથી ભરી દેવાશે. ગોધરામાં આવું થયું હોય, તો બીજે ન જ થયું હોય એવું કેમ માનવું? જો કે, ગોધરામાં દરોડો પડતાં વાત આગળ વધી નહીં. દરોડા દરમિયાન વડોદરાના કોચિંગ સંચાલક પરશુરામ રૉય, ગોધરાની જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્મા ને તેના શિક્ષક તુષાર ભટ્ટ વગેરેની ધરપકડ કરવામાં આવી ને પરશુરામ રૉય પાસેથી બે કરોડ ત્રીસ લાખના ચેક અને તુષાર ભટ્ટની કારમાંથી સાત લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે કોચિંગ સંચાલકે પ્રિન્સિપાલ સાથે મળીને બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યમાંથી આવેલા ત્રીસ વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો ઠેકો લીધો હતો. અન્ય રાજયોમાંથી કોઈ ગોધરાની સ્કૂલ કેન્દ્ર તરીકે પસંદ ન જ કરે, પણ અહીંનું આખું કેન્દ્ર જ પૈસા લઈને પાસ કરાવવાનું હતું. કમાલ તો એ છે કે ગુજરાતની એક વિદ્યાર્થિનીનાં 720માંથી 705 માર્કસ નીટમાં આવ્યા છે ને ધોરણ બારની પરીક્ષામાં એ વિદ્યાર્થિની ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષામાં નાપાસ થઈ છે.

આ પરીક્ષા પાંચ મે-એ હતી, પણ પટણાના એક કેન્દ્રમાં આયુષ નામના એક વિદ્યાર્થી પાસે તે પહેલાં પેપર આવી ગયું હતું. આયુષ સાથે બીજા 25 વિદ્યાર્થીઓ હતા જેમની પાસે પેપર અને જવાબો તૈયાર  હતા અને તે દરેક પાસેથી વીસ વીસ લાખ વસૂલવામાં આવ્યા હતા.

સવાલ એ છે કે નીટની પરીક્ષામાં લાખો રૂપિયા આ રીતે વાલીઓ ખર્ચે છે કેમ? એનો જવાબ એ છે કે દેશની મેડિકલ કોલેજમાં લાખ-સવા લાખ સીટ છે. તેમાંથી પચાસેક હજાર સરકારી કોલેજોમાં અને બાકીની ખાનગી કોલેજોમાં છે. હવે જો પહેલાં પચાસેક હજારમાં વિદ્યાર્થીનો નંબર લાગે તો સરકારી કોલેજોમાં એડમિશન મળે ને તેની પાંચેક વર્ષની પાંચેક લાખની ફીમાં વિદ્યાર્થી ડૉક્ટર થઈને બહાર પડે. જો, તે પછી નંબર લાગે તો ખાનગી મેડિકલ કોલેજમાં જવું પડે અને તેની પાંચ વર્ષની ફી કરોડથી સવા કરોડ થાય. એ ન ખર્ચવા પડે ને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી રહે એટલે આ રીતે પેપર ફોડીને, દલાલોને પૈસા ખટાવીને મેડિકલમાં પ્રવેશ મેળવાય છે. આ બધાંમાં જે ખરેખર સિન્સિયર છે ને તેની પાસે હરામના પૈસા નથી તેનો મરો થાય છે. એ પણ છે કે આ રીતે પૈસા વેરીને વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશે છે. જે પ્રવેશ જ ગેરરીતિથી મેળવે છે તે ડૉક્ટર કેવો થશે તે કલ્પવાનું અઘરું નથી ને વધારે શરમજનક તો એ છે કે પોતાનાં સંતાનોને વાલીઓ જ ખોટી રીતે આગળ વધવાનું ઉત્તેજન આપે છે.

નીટની આ પરીક્ષાનું ધોરણ એ હદે કથળ્યું છે કે આ આખી પરીક્ષા અને એનું સંચાલન કરતી એન.ટી.એ. તાત્કાલિક અસરથી બંધ કરી દેવી જોઈએ. મેડિકલમાં એડમિશન માટે આવી ઘાલમેલ થતી હોય એવી પરીક્ષાથી સિદ્ધ તો ભ્રષ્ટાચાર જ થાય છે, તો મેડિકલ માટે આવી ભ્રષ્ટ પદ્ધતિઓને જ પ્રમાણભૂત ગણવાની છે? એ ખરું કે દેશનાં લોહીમાં પારદર્શિતા ને વ્યવહાર શુદ્ધિ લગભગ નથી, પણ આવી રીતની પરીક્ષાઓથી તો એને જ ઉત્તેજન આપવા જેવું થાય છે. તો, એવું થવા દેવાનું છે? એક સમયે બોર્ડની પરીક્ષાઓને આધારે પ્રવેશ અપાતો હતો ને એ રીતે જે ડોકટરો કે એન્જિનિયરો થયા તે ફાલતુ હતા એવું કહી શકાય એમ નથી અને આટલી ખર્ચાળ રીતે લેવાતી નીટની પરીક્ષાઓ વિશ્વસનીય જ છે એવું આવા ભવાડા પરથી તો લાગતું નથી. વળી અમુક નિશાનીઓ કરાવીને માર્કસ આપી દેવામાં વિદ્યાર્થીઓની વર્ણનશક્તિ કે સમજશક્તિનો અંદાજ મળતો નથી. કોઈ પણ ખાલી જગ્યાઓ ભરીને કે ભરાવીને આવી પરીક્ષામાં પાસ થઈ જવાની આ રીત જ ફેર વિચારણા માંગે છે. સાચું તો એ છે કે તમામ સ્તરે એન્ટ્રન્સ એક્ઝામ્સ પૂરેપૂરી બંધ કરી દેવી જોઈએ. જ્યાં પણ પ્રવેશની જરૂર પડે ત્યાં બોર્ડની છેલ્લી પરીક્ષાનું પરિણામ જ પ્રમાણભૂત ગણાવું જોઈએ. એન્ટ્રન્સ એક્ઝામ્સ સમયનો બગાડ છે અને વાલીઓને લૂંટવાનો કારસો છે. આટલે મોટે પાયે થતો નીટની પરીક્ષાનો વેપલો એનો જીવંત પુરાવો છે. બહુ પરીક્ષાઓ લેવાથી જ વિદ્યાર્થી હોંશિયાર પુરવાર થાય એવું ક્યાંય લખેલું નથી. સાફ વાત તો એ છે કે આવી પરીક્ષાથી વિદ્યાર્થિની ગુણવત્તા પુરવાર થતી હશે કે કેમ તે નથી ખબર, પણ પરીક્ષા લેનાર સંસ્થાઓની હોજરી તો ભરાય જ છે.

અપ્રમાણિકતા અને ભ્રષ્ટતાથી જ હવે ગુણવત્તા નક્કી કરવાના દિવસો આવ્યા છે તે દુ:ખદ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જૂન 2024

Loading

દુ:ખ શીખવે છે, દુ:ખ માંજે છે, પીડાથી જ આવે છે રોશની !

રમેશ સવાણી|Opinion - Opinion|16 June 2024

2 માર્ચ 2019ના રોજ વડા પ્રધાન સ્કૂલનાં બાળકો સાથે ઓનલાઈન વાત કરી રહ્યા હતા. દહેરાદૂનની એક છોકરી ડિસ્લેક્સિયા-Dyslexia (વાંચવા લખવામાં મુશ્કેલી પેદા કરનાર માનસિક રોગ) ગ્રસ્ત બાળકોની ક્રિએટિવિટી અંગે પોતાના પ્રોજેક્ટની વાત કરી રહી હતી. વડા પ્રધાને વચ્ચે જ પૂછ્યું કે ‘એનાથી 40-50 વર્ષના બાળકોને ફાયદો થાય?’ છોકરી વડા પ્રધાન શું કહેવા માંગે છે તે અંગે થોડીવાર અટકી અને કહ્યું કે ‘હા, થાય.’ વડા પ્રધાને બીભત્સ ઢંગથી હસતા હસતાં કહ્યું કે ‘તો એની મા ખુશ થઈ જશે !’

ઈશારો રાહુલ ગાંધી તરફ હતો. ધરતી પર જન્મેલ ભાગ્યે જ કોઈ માણસ હશે કે જે જાણતો ન હોય કે અપમાન શું છે? પરંતુ રાહુલ ગાંધીથી સારી રીતે આ વાત બીજા કોઈ જાણતા નથી; કેમ કે આ દેશના ઇતિહાસમાં બીજું કોઈ ઉદાહરણ નથી; જ્યારે બધાં મીડિયા, IT Cell, અને સીસ્ટમની સઘળી મશીનરી કોઈને પપ્પૂ સાબિત કરવા લગાડી દીધી હોય. કરોડો રૂપિયાના ખર્ચે એક નેરેટિવ / ધારણા ઊભી કરવાની કોશિશ કરી હતી. નિશાન પર માત્રને માત્ર એક વ્યક્તિ હતી. અને આ એક દિવસ, દસ દિવસ, સો દિવસની વાત ન હતી, દસ વર્ષથી પૂરી તાકાત લગાવી ધારણા ઊભી કરી હતી.

માત્ર એક દિવસ ઘરમાં, ઓફિસમાં, પબ્લિકમાં આપણને કોઈ અપમાનિત કરી દે તો કેટલા ય દિવસો સુધી ટ્રેસ હોર્મોન વધતા રહે છે. કોઈ કામમાં મન લાગતું નથી.

આ માણસને તો લાખો લોકો રોજ અપમાનિત કરી રહ્યા હતા. ભલે તેઓ ગાળો આપતા ન હોય, પરંતુ જે કરી રહ્યા હતા તે શાબ્દિક ગાળથી ઘણું વધારે હતું, મન, શરીર, આત્માને વીંધનારી વાત હતી. કોઈના પૂરા વજૂદનો ઈન્કાર હતો. દિવસ-રાત એના પર ભદ્દા મીમ, ચુટકુલા બનાવવા, ટી.વી. પર પ્રાઈમ ટાઈમમાં બેસીને મજાક ઉડાવવી, એને મૂર્ખ બતાવવો ! 

કોઈએ થપ્પડ નથી મારી, પરંતુ જેટલો માર રાહુલને પડ્યો છે, આ દેશના ઇતિહાસમાં કોઈને પડ્યો નથી. 

અને જૂઓ, તેણે એનો જવાબ કઈ રીતે આપ્યો? એક એટલી ઊંચી રેખા ખેંચી દીધી કે બીજા પોતે ઠીંગુજી દેખાવા લાગ્યા. આ વાત માત્ર પોલિટિક્સની નથી, ચૂંટણી જીત અને હારની પણ નથી. આ તેનાથી કંઈક વધુ ઊંડી વાત છે.

જ્યારે રૂમી લખે છે : ‘The wound is the place where the Light enters you. ઘા એ જગ્યા છે જ્યાં પ્રકાશ તમારામાં પ્રવેશ કરે છે.’ લિઓનાર્ડ કોહન લખે છે : ‘There is a crack in everything That’s how the light gets in. દરેક વસ્તુમાં તિરાડ છે આ રીતે પ્રકાશ દાખલ થાય છે.’

દુ:ખ શીખવે છે, દુ:ખ માંજે છે, પીડાથી જ આવે છે રોશની !

આ મનુષ્યનું અર્જિત આદિમ જ્ઞાન છે. સુખના દિવસોમાં આપણે માત્ર સુખી રહીએ છીએ, સુખ સત્તાથી આવે તો અહંકારી પણ બનીએ છીએ. પરંતુ દુ:ખમાં આપણે આપણા ભીતરમાં ઉતરીએ છીએ. દુ:ખ જ શિખવે છે. પીડા આપણને મનુષ્ય બનાવે છે. 

14 વર્ષની ઉંમરે દાદીની હત્યા થઈ. બાળકોનું સ્કૂલ જવું, ઘરથી નિકળવું, સામાન્ય બાળકોની જેમ બીજાં બાળકો સાથે રમવું બધું બંધ થઈ ગયું. 21 વર્ષે પિતાની હત્યા થઈ. સુરક્ષા કરણોથી કોલેજ છોડવી પડી. નામ બદલીને, ઓળખ છૂપાવીને, અભ્યાસ કર્યો. નોકરી કરી. પ્રેમ પણ કર્યો. પરંતુ જેને પ્રેમ કરતા હતા તે ઇન્ડિયન ન હતી. પ્રેમ સંબંધમાં પરિણમે તે પહેલાં આ દેશના નફરતીઓ તેમની માને વિદેશી મૂળના છે તેનો એટલો મોટો મુદ્દો બનાવી દીધો હતો, એટલું ઝેર ફેલાવી દીધું હતું કે પછી રાહુલ એ છોકરી સાથે ક્યારે ય દેખાયા નહીં, ન આ બાબતે તેમણે ક્યારે ય વાત કરી. 

2013માં, લેખક વિક્રમ શેઠે ‘ઇન્ડિયા ટુડે’માં લખ્યું હતું : “સંસારમાં જેટલી ક્રૂરતાઓ છે, તેમાં સૌથી વધુ ક્રૂર છે પ્રેમ ન કરી શકવો. કોઈને એ કહેવું કે જેનાથી તમને પ્રેમ છે, તમે તેને પ્રેમ નહીં કરી શકો.” 

હું જાણું છું, દુ:ખ બહુ છે દુનિયામાં. ભૂખ, ગરીબી, યુદ્ધ, અસમાનતા. પરંતુ પ્રેમ ન કરી શકવાનું દુ:ખ આ બધાંથી ઊંડું છે. ખબર છે કેમ? કેમ કે મનુષ્યને દરેક દુ:ખ સાથે લડવાની તાકાત માત્ર પ્રેમથી જ મળે છે. જ્યારે બધું ખત્મ થઈ જાય તો અંતમાં માત્ર એક જ વાત મહત્ત્વની રહે છે – કેટલો પ્રેમ કર્યો અને મેળવ્યો !

કોઈ માને કે ન માને, પરંતુ આજ 52 વર્ષની ઉંમરે એ માણસના દિલમાં આ એક સૌથી અદૃશ્ય, સૌથી ઊંડી દરાર-તિરાડ છે, જ્યાંથી આવે છે રોશની !

ઇતિહાસ લખાતો-ભૂસાતો રહેશે. બાજી પલટાતી રહેશે. પરંતુ સંસારમાં આટલા અન્યાય પછી પણ જિંદગી કાયમ છે; આટલા અંધકાર છતાં જો રોશનીની આશા કાયમ છે તો તેનું કારણ માત્ર એક જ છે – પ્રેમ. રાહુલ ગાંધી પ્રેમ છે !

 [સૌજન્ય : પત્રકાર મનિષા પાંડેય, 10 જૂન 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...720721722723...730740750...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved