Opinion Magazine
Number of visits: 9736335
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

કિરણ કાપુરે|Gandhiana|17 December 2025

પ્રભુદાસ ગાંધી

ગાંધીસાહિત્યનું ઘરેણું કહેવાય તેવું પ્રભુદાસ ગાંધી લિખિત પુસ્તક ‘જીવનનું પરોઢ’નું અંગ્રેજી હાલમાં પ્રકાશિત થયું છે. અંગ્રેજીમાં પુસ્તકનું નામ છે : ‘ધ ડૉન ઑફ લાઇફ : એમ. કે. ગાંધી ઇન સાઉથ આફ્રિકા’. પ્રભુદાસ, ગાંધીજીના ભત્રીજા થાય. તેમનો જન્મ પોરબંદરમાં થયો તે પછી તેમનું બાળપણ દક્ષિણ આફ્રિકામાં વીત્યું. વિશેષ તો ત્યાંના ગાંધીજીએ સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં. જીવનનું પ્રાથમિક ઘડતર ત્યાં જ થયું અને તે પછી તેઓ ગાંધીજી જ્યારે 1915માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેઓ પણ તેમની સાથે પાછા ફર્યા. ગાંધી અને અન્ય સાથે આઝાદીની અનેક લડતોમાં તેઓ જોડાયા; જેલવાસ ભોગવ્યો અને જીવનના ઉત્તરાર્ધમાં અલ્મોડા ખાતે ખાદી સંશોધન અને ગ્રામ પ્રવૃત્તિમાં જીવન સમર્પિત કર્યું. પ્રભુદાસ ગાંધીનો આ અત્યંત ટૂંકો પરિચય છે. તેમના દ્વારા લિખિત પુસ્તકોમાં ‘જીવનનું પરોઢ’ તો છે જ; સાથે તેમણે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની આત્મકથાનો અનુવાદ પણ કર્યો છે. એ ઉપરાંત, ‘ગીતા કા સમાજધર્મ’ (હિંદીમાં); ‘ઓતાબાપાનો વડલો’, ‘આશ્રમ ભજનોનો સ્વાધ્યાય’ અને ‘બાપુના જુગતરામભાઈ’ પણ તેમના લેખનમાં સમાવિષ્ટ સાહિત્ય છે. 

‘જીવનનું પરોઢ’ પુસ્તકની વાત તો આપણે કરીએ છીએ; પરંતુ સૌથી પહેલાં આ પુસ્તકનો સાડા સાત દાયકા બાદ અનુવાદ જેમનાં કારણે અંગ્રેજીમાં થઈ શક્યો તે હેમાંગ અશ્વિનકુમાર વિશે પણ ટૂંકમાં જાણી લેવું જોઈએ. હેમાંગ અશ્વિનકુમારની ઓળખ કવિ, અનુવાદક, સંપાદક અને ગુજરાતી-અંગ્રેજી ભાષામાં વિવેચક તરીકેની પણ છે. તેમની કવિતા અને અનુવાદ દેશ અને વિશ્વના પ્રતિષ્ઠિત સામયિક-અખબારમાં પ્રકાશિત થયા છે. એટલું જ નહીં, ગુજરાતીમાં ‘જીવનનું પરોઢ’ જેવી કેટલીક ઉત્તમ કૃતિઓ તેમના જ કારણે અંગ્રેજી ભાષામાં વાંચી શકાય છે. ગુલામ મોહમ્મદ શેખ, હિંમાંશી શેલત, બાબુ સુથાર, દલપત ચૌહાણ, કાનજી પટેલ, રાજેશ પંડ્યા, રાજેન્દ્ર પટેલ ઉપરાંત પણ અનેક મૂળ ગુજરાતી લેખકોનાં લખાણ તેમના દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થયાં છે. હેમાંગ અશ્વિનકુમારે સર્જેલા સાહિત્યને વિસ્તારથી લખી શકાય એટલું છે. 

હવે ‘જીવનનું પરોઢ’ વિશે. આ પુસ્તક પ્રથમ વાર 1948માં નવજીવન દ્વારા પ્રકાશિત થયું હતું. જો કે પુસ્તક પ્રકાશિત થયું તે અગાઉ 25 વર્ષ અગાઉ સાબરમતી આશ્રમ અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓનું ‘મધપૂડો’ નામનું એક હસ્તલિખિત માસિક ચાલતું હતું – તેમાં સૌથી પહેલાં ‘જીવનનું પરોઢ’ના પ્રકરણ પ્રકાશિત થયા હતા. તે વખતે તેના વાચકોમાં મહદંશે સાબરમતી આશ્રમના નિવાસીઓ હતા; પરંતુ આ પ્રકરણો એટલાં રસાળ શૈલીમાં લખાયા કે તે પછી તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવાનો વિચાર સાકાર થયો. પ્રભુદાસ ગાંધીએ જ્યારે આ પ્રકરણો લખ્યાં ત્યારે તેમની ઉંમર 12 વર્ષની હતી. તેમણે આમાં દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમના અનુભવો અને આફ્રિકામાં સત્યાગ્રહ ચાલતાં ત્યારે તેની ચહલપહલ આશ્રમમાં કેવી હતી તે પણ આલેખ્યું છે. આ પ્રકરણો ‘મધપૂડો’માં લખાયા ત્યારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ લખ્યો નહોતો, તેથી સાબરમતી આશ્રમના નિવાસીઓ અને દક્ષિણ આફ્રિકાથી ગાંધી સાથે પાછા ફરનારા ફિનિક્સવાસીઓને પણ પ્રભુદાસ ગાંધીનું આ લખાણ વાંચવું ખૂબ ગમ્યું. 

આ પુસ્તકના લેખકની, તેના અનુવાદકની અને પુસ્તક કેવી રીતે પ્રથમ વાર પ્રકાશિત થયું તે પછી કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકને કેવી રીતે વધાવ્યું છે તે વિશે પણ જાણવું જોઈએ. કાકાસાહેબે પુસ્તકની પ્રસ્તાવનાને સરસ નામ આપ્યું છે : ‘સાધનાનું પરોઢ’. કાકાસાહેબ તેમાં સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી અને તેમની સાથેના આશ્રમવાસીઓ 1915ના અરસામાં કેવી રીતે આવ્યાં અને બંગાળમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર સ્થાપિત શાંતિનિકેતનમાં કેવી રીતે રહ્યા તેનો ઉલ્લેખ કરે છે. ત્યાં તેમનો ભેટો પ્રભુદાસ સાથે થયો હતો. તે પછી તો ત્યાંથી કાકાસાહેબ મહારાષ્ટ્રમાં ગયા, અને તે પછી વડોદરા આવીને ગ્રામસેવાનું કામ ઊપાડ્યું. પરંતુ કાકાસાહેબનો અનુબંધ ફિનિક્સવાસીઓ સાથે શાંતિનિકેતનમાં એટલો ગાઢ થઈ ચૂક્યો હતો કે તેઓ ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલા પ્રથમ આશ્રમ કોચરબમાં આવી ગયા અને એ રીતે તેમનો ગાંધી સાથેનો કાયમનો નાતો બંધાયો. 

કાકાસાહેબે પ્રભુદાસ ગાંધીના વ્યક્તિત્વ વિશે પ્રસ્તાવનામાં ઘણી વાતો લખી છે. સાહિત્યની દૃષ્ટિએ આટલું ઉત્તમ પુસ્તક લખનારા પ્રભુદાસ ગાંધી વિશે કાકા લખે છે : ‘છેક નાનપણથી પ્રભુદાસને કહેવામાં આવ્યું હતું કે ‘એ ઠોઠ છે. જરા ય કશી હોશિયારી એનામાં નથી? દેવદાસ જેટલી હોશિયારી પ્રભુદાસમાં, ભલે ન હોય, નાના કચા (કૃષ્ણદાસ) [પ્રભુદાસના ભાઈ] જેટલી ચતુરાઈ પણ એનામાં ન હોય, પણ મેં તો એને બુદ્ધિ વગરનો જોયો કે માન્યો નથી. પણ ઘરના મુરબ્બીઓએ, ભલે અત્યંત સદ્બુદ્ધિથી પણ એનામાં જે आत्मनि अप्रत्यय ઠોકી બેસાડ્યો તે એના સ્વભાવનું એક અંગ જ બની ગયું અને વિદ્યાનિષ્ઠા, કર્મનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા ઇ. સમર્થ સદ્દગુણો એની પાસે હોવા છતાં એક આત્મવિશ્વાસને અભાવે એની આખી કારકિર્દી જાણે કરમાઈ ગઈ.’ 

કાકા પ્રભુદાસને સામાન્ય સાહિત્યકાર માનતા નથી. છતાં પૂરા પુસ્તકમાં કાકા કહે છે તેમ ‘હું ઠોઠ છું, હું જડ છું, બીજા જેવો હોશિયાર નથી’ તેવું ધ્રુવપદ આપણે સાંભળ્યા કરીએ છીએ. પુસ્તકની વિશેષતા સંદર્ભે કાકા નોંધે છે કે, ‘ભૂગોળનાં વર્ણનો અને કુદરત સાથે ઘાસપાન, ફૂળફૂલ, પંખી અને વાદળાં સાથે તદાકાર થવાનો આનંદ જ્યારે પ્રભુદાસ વર્ણવે છે, ત્યારે તો એની કલમનું સામર્થ્ય સોળે કળાએ પ્રગટ થાય છે. સમોવડિયા અને મોટેરાઓ તરફથી જે પોષણ બાળ પ્રભુદાસને મળતું નહીં તે એણે કુદરત પાસેથી મેળવ્યું. તેથી જ આ વર્ણનશક્તિ એનામાં આટલી જીવતી થઈ છે. કુદરતના વર્ણનમાં પ્રભુદાસ જેટલો ફાવે છે, તેટલો જ મનોવિશ્લેષણમાં પણ ફાવે છે.’ પુસ્તકની આવી અનેક વિશેષતા કાકાએ પ્રસ્તાવનામાં આલેખી આપી છે. 

આ પુસ્તકમાં લેખક તરીકેનું જે નિવેદન ‘પ્રસ્તાવ’ના મથાળેથી પ્રભુદાસે લખ્યું છે તેમાં તેઓ આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની થોડી વિગત લખે છે. તે આમ છે : ‘‘મધપૂડો’ના અંકો વડે અમારું વિદ્યાર્થીમંડળ સારી પ્રતિષ્ઠા પામ્યું હતું. શિક્ષકોના લેખોને અભાવે એ પ્રતિષ્ઠા ભાંગી પડે એ મને અસહ્ય લાગ્યું. મધુકર રાજા [તંત્રી] તરીકેની જવાબદારી મારી; મારો ભાર બીજા વિદ્યાર્થીઓ પણ શા માટે ઉપાડે? मुखरस्तत्र हन्यते એ આપણા હિંદી સ્વભાવનો પ્રચીન વારસો મને પણ વળગ્યો. આખા અંકો એકલે હાથે રસભર્યા બનાવવાનું સંકટ મારે માથે આવી પડ્યું. ઉપદેશભર્યા લેખો લખવાની હિંમત તો મને મળે ક્યાંથી? તેમ જ ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય કે બીજા કોઈ શાસ્ત્રોનો મને એવો પરિચય ન હતો કે જેમાંથી મજાના લેખો નિપજાવી લઉં. વાચકોને રસ પાડવા માટે વાર્તાઓ અને કવિતાઓ જોઈએ એટલું હું જાણતો હતો, પણ ન છંદ બેસાડવાનું ફાવે કે ન વાર્તાની કોઈ સરસ વસ્તુ મગજમાં આવે. વિચારતાં વિચારતાં મને ફિનિક્સની વાતો લખવાનું સૂઝ્યું.’

‘જીવનનું પરોઢ’ ચાર ભાગમાં લખાયેલું છે. તેના ત્રણ ભાગમાં 21 પ્રકરણ છે અને આખરના ભાગમાં 20 પ્રકરણ છે. પુસ્તકના પરિશિષ્ટોમાં ગાંધીજીના પોરબંદરના ઘરનું આલેખન છે. સંભવત્ ગાંધીજીના પોરબંદરના ઘરનું આવું શબ્દચિત્ર ક્યાં ય મળતું નથી. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આફ્રિકાનો એ હિસ્સો જ્યાં ગાંધીજીનો ફિનિક્સ આશ્રમ હતો તે ધીરે ધીરે પ્રભુદાસ ગાંધીના શબ્દ થકી આપણી આંખ સમક્ષ ખડો થાય છે. ફિનિક્સની અસંખ્ય ઘટનાઓ એવી છે – જેની નોંધ આ પુસ્તકમાં જ મળે છે. ગાંધીજીએ પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને લોકોનું વર્ણન બખૂબી કર્યું છે, પરંતુ પ્રભુદાસ ગાંધીએ તે વર્ણન વધુ વિસ્તારથી અને રસપૂર્વક કર્યું છે. અહીં પ્રભુદાસ ગાંધીના થોડાંક શબ્દો ન મૂકીએ તો આ લેખની અધૂરપ છતિ થશે. ‘કુદરતના ખોળે’ પ્રકરણમાં પ્રભુદાસ લખે છે : ‘કુદરત અને માતાનો એ સ્વભાવ જ છે કે તમે ભલે એની કિંમત ન સમજતા હો પણ એ તો તમને પોતાના અમીરસથી નવડાવ્યે જ રાખે. ફીનિક્સમાં જ્યારે અમે એકલા પડ્યા. અમારાં માબાપ ને બાપુજી જેલ ગયાં અને મગનકાકા છાપખાનામાં ગોંધાઈ ગયા ત્યારે એ સૂના જંગલમાં કુદરત સાથેની અમારી દોસ્તી વધી ગઈ. કોઈ કોઈ વાર તો એ અમને ખૂબ રમાડતી. અનેરાં પંખીઓના ટહુકા ભેગો સાદ પુરવવામાં ને તેમની સાથે એકલાં એકલાં ગપ્પાં મારવામાં મને એટલી બધી મજા આવતી કે કલાકોના કલાકો સુધી હું પંખીગીત સાંભળતો અને કોઈક વાર એમાં ઝીણો સાદ પુરાવતો બેસી રહેતો.’

છસ્સોથી વધુ પાનાંનું આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે અને હવે તે અંગ્રેજીમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે. અંગ્રેજી વાચકો તો આ પુસ્તકને પ્રથમ વાર વાંચી શકશે, પણ ગુજરાતી વાચકો આ ટાણે ફરી જો પુસ્તકને હાથમાં લેશે તો પણ તેમને દક્ષિણ આફ્રિકાની ગાંધીજીનું જીવન સુપેરે મળી રહેશે, સાથે સાથે દક્ષિણ આફ્રિકાનો તે સમયનો માહોલ પણ તેમાં તાદૃશ્ય દેખાશે. અંગ્રેજીમાં આ પુસ્તક પેન્ગિન પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું છે. 

 e.mail : kirankapure@gmail.com 

Loading

હવે અખબારોને અખબાર ન માનો !

રમેશ સવાણી|Opinion - Opinion|17 December 2025

રમેશ સવાણી

ગુજરાતમાં મોંઘવારી બિલકુલ નથી, ઘી દૂધ બની નદીઓ વહે છે. બેરોજગારી નથી. શાળા કોલેજોની સમસ્યા નથી. સરકારી હોસ્પિટલોમાં સારવારની બધી સુવિધાઓ છે. દરેક નદી ખનિજ માફિયાઓથી અને પ્રદૂષણ માફિયાઓથી મુક્ત છે ! એટલે અખબારો ક્રિકેટની રમત અને ખેલાડીઓની હરરાજીના સમાચાર પ્રથમ પાને આઠ કોલમમાં છાપે છે ! 

ભલે ગુજરાતમાં ફૂટબોલની રમતનું ઠેકાણું ન હોય પરંતુ વૈશ્વિક ફૂટબોલ આઈકોનિક લિયોનેલ મેસી અનંત અંબાણીના વનતારાની મુલાકાત લે તેથી અખબારો આખું પાનું ભરી દે છે !

વિપક્ષો મતચોરી સામે દિલ્હીના રામલીલા મેદાનમાં લાખો લોકો સમક્ષ જે વાત કરે છે, તે ‘મેટર’ અખબારોને સમાચાર લાગતી નથી ! એટલું જ નહીં ખેડૂતોની સમસ્યા પણ અખબારોને દેખાતી નથી. 

અખબારો લોકોને ગેરમાર્ગે દોરે છે, વાસ્તવિક સમસ્યાઓને નકારે છે, કેમ કે એથી તંત્રને સરકાર દિગમ્બર થઈ જાય છે. 

હવે અખબારોને અખબાર ન માનો, તે સરકારના પાવરફૂલ હથિયાર છે. ધારે તે નેરેટિવ ઘડે છે અને લોકોને ભ્રમિત કરે છે. નોન-ઈશ્યુને ઈશ્યુ બનાવે છે. 

ગાંધીજીની દૃષ્ટિએ અખબારોનાં મુખ્ય કર્તવ્યો આ પ્રમાણે છે : 

[1] લોકોની લાગણીઓને સમજવી અને તેનો પડઘો પાડવો. અખબારે લોકોના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવી જોઈએ. 

[2] સારા વિચારો અને આદર્શોને જગાડવા. લોકોમાં ઇચ્છનીય ભાવનાઓ (જેમ કે સત્ય, અહિંસા, સ્વાવલંબન) પ્રગટાવવી અને તેને પ્રોત્સાહન આપવું. 

[3] લોકોની ખામીઓને નિર્ભયતાથી ઉજાગર કરવી. સમાજના દોષોને બિન્દાસ્ત વ્યક્ત કરીને સુધારાનો માર્ગ બતાવવો. અખબારો એ મહાન શક્તિ છે, પરંતુ જેમ વહેતા પાણીનો પ્રવાહ નિયંત્રણ વગરનો હોય તો ખેતરોને ડૂબાડી દે છે, તેમ નિયંત્રણ વગરની કલમ પણ વિનાશ કરે છે !

ડૉ. બાબાસાહેબ આંબેડકરની દૃષ્ટિએ અખબારોનું મુખ્ય કર્તવ્ય સમાજમાં ન્યાય, સમાનતા અને જાગૃતિ ફેલાવવાનું છે. તેઓ માનતા હતા કે દલિતોનું કોઈ અખબાર નથી અને મુખ્યધારાના અખબારો તેમના અત્યાચારોને આવરી લેતા નથી અથવા તો તેમને દબાવી દે છે. અખબારોએ તથ્યો આધારિત રિપોર્ટિંગ કરવું જોઈએ, સનસનાટીભર્યા સમાચારો કે વ્યક્તિપૂજા નહીં. અખબારોએ જાતિવાદ, સાંપ્રદાયિકતા અને અંધશ્રદ્ધાનો વિરોધ કરીને રાષ્ટ્રવાદ અને તર્કશક્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ માનતા કે અખબારોએ લોકોની લાગણીઓને ઉશ્કેરવાને બદલે તેમના વિવેકને જગાડવો જોઈએ. પત્રકારત્વ હવે વેપાર બની ગયું છે. તે જાહેર જનતાના જવાબદાર સલાહકાર તરીકે પોતાને માનતું નથી. 

હસમુખ ગાંધી ગુજરાતી પત્રકારત્વના પ્રખર અને નીડર તંત્રી હતા. તેઓ કહેતા કે અખબારોનું કર્તવ્ય મુખ્યત્વે સત્યની વાત કરવી, નીડરતાથી વિવેચન કરવું અને કોઈની પરવા કર્યા વિના સમાજના પ્રશ્નો ઉઠાવવાનું છે. 

અખબારોનું મુખ્ય કર્તવ્ય લોકોને સચોટ, નિષ્પક્ષ અને સમયસરની માહિતી પૂરી પાડવાનું છે. અખબારોને લોકશાહીનું ચોથો સ્તંભ કહેવામાં આવે છે, કારણ કે તે સરકાર અને સત્તાધીશોને જવાબદાર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અખબારોએ ભ્રષ્ટાચાર, અન્યાય, સામાજિક સમસ્યાઓ વગેરેને બહાર લાવીને લોકોને જાગૃત કરવા જોઈએ. શું અખબારો આ ભૂમિકા ભજવે છે?

16 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|17 December 2025

जो वादा किया सो निभाना पड़ेगा એ RSSને લાગુ પડતું નથી! જય શ્રી રામ! 

મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂકેલો. સાથે સાથે અનેક સંઘીઓની અને  RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની ધરપકડ કરીને સરકાર દ્વારા જેલમાં નાખવામાં આવેલા. આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે સરકાર પર દબાણ લાવવા સંઘના લોકો દ્વારા સત્યાગ્રહ અને જેલ ભરો આંદોલન કરવામાં આવ્યાં હતાં. એ નિષ્ફળ ગયેલાં. ગોલવલકર પોતાની જેલમુક્તિ માટે હકીકતમાં તરફડતા હતા.

એવા માહોલમાં તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર પટેલે તા.૨૯-૦૧-૧૯૪૯ના રોજ તે વખતના પ્રાંતોની એક પરિષદ બોલાવી હતી. આ પરિષદમાં RSS પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અને સંઘીઓને જેલમાંથી છોડવા માટે આ ચાર શરતો મૂકવામાં આવી હતી :

(૧) RSS તેનું બંધારણ ઘડશે અને તે જાહેર કરશે.

(૨) RSS તમામ ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓનો ત્યાગ કરશે.

(૩) તિરંગા રાષ્ટ્રધ્વજ પ્રત્યે RSS પોતાની સ્પષ્ટ સ્વીકૃતિ જાહેર કરશે. 

(૪) ધર્મનિરપેક્ષ લોકશાહી રાજ્ય તરીકેની ભારતની વિભાવનાને RSS સ્વીકારશે. 

આ શરતો પોતે સ્વીકારે છે એવો જે પત્ર ગોલવલકર દ્વારા લખવામાં આવ્યો હતો તે સરદાર પટેલને તા.૧૧-૦૭-૧૯૪૯ના રોજ સુપરત કરવામાં આવ્યો હતો. સરદાર તે બરાબર વાંચી ગયા અને તેમણે નેહરુને ફોન કર્યો અને એમ કહ્યું કે ગોલવલકર સરકારની બધી શરતો સાથે સંમત છે. અને પછી બીજે દિવસે સવારે એટલે કે તા.૧૨-૦૭-૧૯૪૯ના રોજ પ્રતિબંધ હટાવી દેવાયો અને ગોલવલકરને ૧૩મી જુલાઈએ જેલમુક્ત કરાયા હતા. 

આ ચાર શરતો માટે ગોલવલકરે લેખિત સંમતિ આપીને પોતાની સહી કરી હતી. છતાં શું RSS દ્વારા એ શરતોનું પાલન થયું ખરું? ના, સહેજે નહીં. 

જવાહરલાલ નેહરુએ તા.૨૬-૦૧-૧૯૪૯ના રોજ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે જંગી જાહેર સભામાં  આપેલા પ્રવચનમાં RSSના સત્યાગ્રહીઓને જેલમુક્ત કરવા તત્પરતા દાખવી હતી કારણ કે એમાં શાળાઓ અને કોલેજોમાં ભણતા યુવાનો હતા. પરંતુ ત્રીજી ફેબ્રુઆરી-૧૯૪૯ના રોજ નેહરુએ જે પત્ર રાજ્યોના મુખ્ય પ્રધાનોને લખ્યો હતો તેમાં આમ લખ્યું હતું :

“આપણે એટલું યાદ રાખવું જોઈએ કે RSS એક એવું સંગઠન છે કે જે હંમેશાં બોલે છે કંઈક અને કરે છે કંઈક.”

બોલો, નેહરુ સાચા હતા કે નહીં? 

જે ચાર શરતો પાળવાનું ગોલવલકર દ્વારા સરદાર પટેલને વચન આપવામાં આવ્યું હતું, એ ખુદ ગોલવલકરે જ પાળ્યું નહોતું. તો પછી એમના ચેલાઓ કેવી રીતે પાળે? અને આ ચેલાઓ હવે સરદાર પટેલના નામનું ભજન ગાતાં થાકતા નથી! 

જુઓ, શું થયું છે એ ચાર શરતોનું :

(૧) સંઘ ટ્રસ્ટ કાયદા હેઠળ એક નોંધાયેલી સંસ્થા છે જ નહીં, માટે એનું કોઈ બંધારણ છે જ નહીં. કાયદાની ભાષામાં કોઈ સંસ્થાના બંધારણને આર્ટિકલ્સ ઓફ એસોસીએશન કહેવામાં આવે છે અને તેનું એવું કશું છે જ નહીં. 

(૨) ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓ અમલમાં છે જ, કારણ કે સંઘની સંસ્થાઓ હિંસાની વકીલાત કરે જ છે.

(૩) કહેવાય છે કે બાવન વર્ષ સુધી સંઘના નાગપુર ખાતેના વડા મથકે તિરંગો લહેરાવવામાં આવ્યો નહોતો.

(૪) હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની વાત કર્યા કરવી એ ભારતના બંધારણીય મૂલ્યોનો અનાદર અને ઇનકાર છે. 

संघकुल रीति सदा चली आई

वचन जाई पर प्राण न जाई। 

તા.૧૬-૧૨-૨૦૨૫
(સ્રોત: ‘Golwalkar: The Myth Behind The Man and Man Behind The Machine’, લેખક: ધીરેન્દ્ર કે. ઝા)
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...70717273...8090100...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved