Opinion Magazine
Number of visits: 9955799
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રને સમર્પિત અનોખાં ગાંધીજન ડૉ. ઉષા મહેતા

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|18 September 2024

‘હિંદ છોડો’ આંદોલન વખતે અંગ્રેજ સરકારે એક તરફ મહાત્મા ગાંધી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી, બીજી તરફ દમનનો કોરડો વીંઝ્યો ને ત્રીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. 22 વર્ષની એક ગુજરાતી યુવતી અને એના સાથીઓએ લડતના, અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા અને ભારતીયોને અંગ્રેજ શાસન સામે એક કરવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન શરૂ કર્યું …

થોડા દિવસ પહેલા ઉષાબહેન મહેતાના ‘કોંગ્રેસ રેડિયો’ પરની ફિલ્મ ‘એ વતન મેરે વતન’ એમેઝોન પર રિલિઝ થઈ. માધ્યમ તરીકે ફિલ્મને અમુક મર્યાદાઓ નડે ને ક્રિએટિવ લિબર્ટીના નામે ઇતિહાસ સાથે છૂટ લેવાય એવું આમાં પણ બન્યું છે. પણ આપણે યાદ કરીએ એ મહાન દેશસેવિકાને.

યુવાવયે ઉષાબહેન મહેતા

ઉષાબહેનનો જન્મ 25-3-1920માં સુરતના સરસ ગામે. પિતા જજ હતા. સાયમન કમિશનના વિરોધમાં પોકારાતા ‘સાયમન ગો બેક’ સૂત્રોચ્ચારમાં આઠ વર્ષનાં ઉષાબહેનનો કોમળ અવાજ પણ સામેલ હતો. પરિવારના અન્ય સભ્યો સાથે ઉષાબહેન નાની ઉંમરથી જ પિકેટિંગ, સરઘસ, ખાદીસેવા, બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ, પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું જેવા કાર્યક્રમોમાં ભાગ લેતાં. ગાંધીજીની પ્રેરણાથી છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને માંજરસેના બનાવી. થોડાં વર્ષ પછી, 1942ની આઠમી ઑગસ્ટે મુંબઈના ગોવાળિયા ટેંક મેદાનમાં મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ભાષણ આપતાં કહ્યું, ‘હું તમને આજે એક મંત્ર આપવા માગું છું. તમારા શ્વાસેશ્વાસમાં, નસેનસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે – ‘ડુ ઓર ડાય. કરેંગે યા મરેંગે.’ કૉલેજમાં ભણતાં ઉષાબહેનના હૃદયમાંથી પણ પોકાર ઊઠ્યો, ‘અંગ્રેજો, ભારત છોડો!’

બીજા દિવસે અંગ્રેજ સરકારે ગાંધીજી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી. દેશ ખળભળી ઊઠ્યો. અંગ્રેજોએ એક તરફ દમનનીતિ અપનાવી, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. ત્યારે લડતના અને અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા અને ભારતીયોને અંગ્રેજ શાસન સામે એક કરવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન ખોલવા એક મંડળી તત્પર થઈ. આ મંડળી એટલે 22 વર્ષનાં ઉષા મહેતા, 20 વર્ષના બાબુભાઇ ખખ્ખર, 28 વર્ષના વિઠ્ઠલદાસ ઝવેરી, 23 વર્ષના ચંદ્રકાંત ઝવેરી, 40 વર્ષના નરીમન પ્રિન્ટર અને સાથીઓ. પણ કામ મુશ્કેલ હતું. સાધનો ખરીદવા, માળખું ઊભું કરવા, ટેકનિકલ બાજુ સંભાળવા, એક જ જગ્યાએથી બ્રોડકાસ્ટિંગ થાય તો પકડાઈ જવાય તેથી સ્થળ બદલતા રહેવા નાણાં અને લોકોનો સાથ બંને જોઈએ. છેવટે મુંબઈમાં ચોપાટી પાસે ‘સી વ્યૂ’ ઇમારતમાં એક ગુપ્ત રેડિયોસ્ટેશન શરૂ થયું ‘કૉંગ્રેસ રેડિયો.’ ટેકનિકલ બાજુ ‘શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની’ના નાનક મોટવાણીએ સંભાળી.

14મી ઑગસ્ટ 1942. નેતાઓની ધરપકડને અઠવાડિયું પણ નહોતું થયું. રાત પડી અને કોઈ અજાણ્યા ટ્રાન્સમિશન પરથી એક સ્પષ્ટ, મક્કમ અને મીઠો અવાજ ગુંજી ઊઠ્યો, ‘ધીસ ઈઝ ધ કૉંગ્રેસ રેડિયો કૉલિંગ ઑન 42.34 મીટર્સ ફ્રોમ સમવ્હેર ઈન ઇન્ડિયા’. અંગ્રેજ સરકારે દબાવી દીધેલા સમાચારોને પાંચ મિનિટમાં દેશની જનતા સમક્ષ મૂકી અવાજ બંધ થઈ ગયો. દેશવાસીઓ આનંદમાં આવી ગયા. અંગ્રેજો સ્તબ્ધ થઈ ગયા.

પછી તો સિલસિલો ચાલ્યો. દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે સમાચાર મેળવાતા. મુંબઈથી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી પણ સમાચાર મોકલતી. ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં કૉંગ્રેસ રેડિયોએ બ્રૉડકાસ્ટ કરી હતી. જે વિષયોને અખબારો અડવાની પણ હિંમત ન કરતાં, સરકારના આદેશોની અવગણના કરીને કૉંગ્રેસ રેડિયો એ સમાચાર લોકો સુધી પહોંચાડતો. આ રેડિયો સ્ટેશનેથી અનેક દિગ્ગજ નેતાઓ પ્રેરણાભર્યાં ભાષણો આપતા, ‘અત્યાર સુધી આપણે ચળવળ કરતા હતા. હવે ક્રાંતિ કરવાની છે. ભારતવાસીઓ, એક થાઓ – મુક્ત થાઓ.’ રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી થતું. શરૂઆતમાં અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં, પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો. ‘હિંદુસ્તાન હમારા હૈ’થી શરૂઆત થતી, પછી સમાચાર, ભાષણ વગેરે અને અંતે ‘વંદેમાતરમ્‌’ ગવાતું.

લોકો ‘કૉંગ્રેસ રેડિયો’ના પ્રસારણની રાહ જોઈને બેસતા. બહોળો પ્રતિસાદ મળતો. પ્રસારણની રેન્જ મોટી હતી. સિંગાપુર અને કટક સુધી તેમનું બ્રોડકાસ્ટિંગ પહોંચ્યું હોવાના ઉલ્લેખ મળે છે. રેડિયો-પ્રસારણ ઉપરાંત તેઓ ગુપ્તપણે પત્રિકાઓ પણ છાપતાં અને વહેંચતાં. પોલિસ અને જાસૂસોથી બચતા રહેવું સૌથી મુશ્કેલ હતું. એક સાથીને ફોડીને બ્રિટિશ પોલિસ બાબુભાઈ ખખ્ખરની ઑફિસ સુધી પહોંચી ત્યારે ઉષા મહેતા અગત્યનું સાહિત્ય અને ફાઈલો લઈ ભાગી નીકળ્યાં ને નવા ટ્રાન્સસમિશન પરથી પ્રસારણ શરૂ કર્યું.

12 નવેમ્બર 1942ની રાત્રે પ્રસારણ ચાલતું હતું ત્યારે જ પોલિસે છાપો માર્યો અને ઉષાબહેન અને સાથીઓની ધરપકડ કરી. ટ્રાન્સમિશન સેટ, સાતથી દસ હજારની કિંમતની 120 ગ્રામોફોન રેકર્ડ્સ, 22 ધાતુની પેટીઓમાં રખાયેલી એ.આઈ.સી.સી.ની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી. બે મહિના સુધી વિશેષ અદાલતમાં મુકદ્દમો ચાલ્યો. ઉષાબહેનને ચાર વર્ષ, બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની સખત કેદની સજા થઈ. ઉષાબહેનને આઈસોલેશન સેલમાં રખાયાં. સી.આઈ.ડી. દ્વારા પૂછપરછ કરાતી, માનસિક ત્રાસ અપાતો, લાલચ અપાતી. ઉષાબહેન મનથી ડગ્યાં નહીં, પણ તબિયત ખખડતી ગઈ. કોઈ પૂછે કે, ‘તમને જેલ થઈ ત્યારે દુ:ખ થયેલું? ખરાબ લાગેલું? અન્યાય થયો હોવાની લાગણી થયેલી?’ ‘ના.’ તેઓ શાંતિથી કહેતાં, ‘અમે અમારું કામ કર્યું હતું, જજે એનું.’

સિક્રેટ રેડિયોનાં આ ત્રણ મહિના પર પુસ્તકો લખાયાં છે. ફિલ્મ પણ આ મહિનાઓને કેન્દ્રમાં રાખીને જ બની છે. 1946માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં અને 2000ની સાલમાં તેમનું નિધન થયું. આ 54 વર્ષમાં ઉષાબહેન શું કરતાં હતાં? આ વર્ષોમાં તેમણે ‘મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર’ વિષય પર પીએચ.ડી. કર્યુ, 30 વર્ષ સુધી વિલ્સન કૉલેજમાં અધ્યાપન કર્યું, પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ તરીકે નિવૃત્ત થયાં, ગાંધી પીસ ફાઉન્ડેશનનું પ્રમુખપદ સંભાળ્યું. બોમ્બે યુનિવર્સિટીએ એમને ડી. લિટ. આપ્યું હતું. યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સિટીમાં તેમણે પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચ કર્યું હતું. તેઓ યુ.જી.સી.(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) અને યુ.પી.એસ.સી.(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)નાં સભ્ય, પી.યુ.સી.લ.(પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી)નાં વાઇસ પ્રેસિડેન્ટ, મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન અને અનેક સામાજિક સંસ્થાઓમાં સક્રિય હતાં. અનેક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન લડેલાં. ભારત સરકારે તેમણે પદ્મવિભૂષણ સન્માન આપેલું. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં હિંદ છોડો ચળવળની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં 80 વર્ષનાં ઉષાબહેન હાજર હતાં. રાજકારણમાં ગયાં હોત તો ક્યાંનાં ક્યાં પહોંચ્યાં હોત, પણ એમણે શિક્ષણ અને સમાજસેવાને કાર્યક્ષેત્ર બનાવ્યું.

સ્વતંત્ર ભારતની અડધી સદીની મજલ તેમણે જોઈ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ ક્યારેક દુ:ખી અને હતાશ થતાં. ‘ઇન્ડિયા ટૂડે’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘આ એ સ્વતંત્રતા નથી જેનું સ્વપ્ન અમે જોયું હતું. નવી પેઢીમાં અને વધુ તો રાજકારણના ક્ષેત્રમાં મહાત્મા ગાંધીના વિચારો – ખાસ કરીને સત્ય, અહિંસા, સાદાઈ, સેવા માટેનો આદર ઘટતો જાય છે એ જોઈને દુ:ખ થાય છે. જો રસ્તો બદલીશું નહીં તો આપણે ફરીથી ગુલામીના નવી જાતના ચોકઠામાં પુરાઈ જઈશું.’

ઉષા ઠક્કર

છેલ્લે બીજાં ઉષાબહેન – ઉષાબહેન ઠક્કરની વાત. મણિભવનનાં પ્રમુખ, પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરેટ-પોસ્ટ ડૉક્ટરેટ કરનાર, વિદેશની યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે કામ કરી ચૂકેલાં, દેશના જૂજ તેજસ્વી ગાંધીસ્કૉલરોમાંના એક અને ‘ગાંધી ઈન મુંબઈ’, ‘અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી, ‘વિમેન ઈન ઇન્ડિયન સોસાયટી’, ‘ઝીરો પૉઈન્ટ બૉમ્બે’ જેવાં સુંદર અને માહિતીસભર પુસ્તકો આપનાર ઉષાબહેન ઠક્કરે ‘કૉંગ્રેસ રેડિયો: ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’ નામનું પુસ્તક લખ્યું છે. આ બન્ને ઉષાબહેને વર્ષો સુધી સાથે કામ કર્યું છે. ઉષાબહેન મહેતા કહેતાં, ‘વાતાવરણ જ એવું હતું કે દેશભક્તિના રંગમાં રંગાઈ જવાય. અમે કેટલાં નસીબદાર કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈ શક્યાં!’ અને ઉષાબહેન ઠક્કર કહે છે, ‘ઉષાબહેન મહેતા જેવી અનન્ય સ્વાતંત્ર્યપ્રેમી, લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારી અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ કોઈપણ કાળે દુર્લભ છે.’ બંને ઉષાબહેન સાથે સંમત થવું પડે.

  e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 એપ્રિલ  2024

Loading

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ [1] 

સુમન શાહ|Opinion - Literature|17 September 2024

સુમન શાહ

આપણને સૌને ખબર છે, યાદ પણ છે, કે આકાશમાં ઊડતું એક પંખી ‘વિટુઇ વિટ્ વિટુઇ વિટ્’ કરતું જતું હોય છે. એ પક્ષીના સંદર્ભનું રાજેન્દ્રભાઈએ એક કાવ્ય કરેલું, હાઇકુના કદનું, નાનું કાવ્ય; મેં એ નાનકડા કાવ્યનો દીર્ઘ આસ્વાદ લખેલો, વરસો વીતી ગયાં. એ આસ્વાદલેખ કોઈક સામયિકમાં પ્રકાશિત થયેલો, કયા સામયિકમાં, યાદ નથી.

અમે રૂબરૂ મળ્યા ન્હૉતા. કપડવણજ એમનું વતન. ૧૯૬૬-થી ૭૨ દરમ્યાન હું કપડવણજ કૉલેજમાં પ્રૉફેસર હતો. એમના એ વતનના ઘરે મળવાનું થયેલું. મળ્યા ત્યારે કહે, સુમન, હું તમને મળવા કેટલો આતુર હતો, મેં કહેલું કે હું પણ. ત્યારે એ કાવ્યાસ્વાદલેખની પણ ચર્ચા થયેલી. એમની દીકરી મારા ક્લાસમાં ભણતી’તી. મેં રાજેન્દ્રભાઈને હમેશાં સફેદ લૅંઘા-ઝભ્ભામાં જોયા છે. સાહિત્યના રાજકારણથી સદા મુક્ત જોયા છે. હમેશાં મને પ્રેમાળ અને ચિરપરિચિત સજ્જન સમા લાગ્યા છે. મૂળની અને ધરમૂળની જાણવા જેવી ખૂબ વાતો કરે.

મુમ્બઇના ઘરે પણ હું અને જયન્ત પારેખ એક વાર નિરાંતે મળેલા. રાજેન્દ્રભાઈ વાત માંડે પછી તમારે બોલવાનો વારો આવે ખરો પણ સમય એકાદ પ્રશ્ન કરવા જેટલો જ મળે. કહે, કાવ્ય સીધું મારા ચિત્તમાં આવે છે, પછી ઉતારી લેવાનું જ બાકી હોય છે. પ્રાસ, છન્દ કે લય એથી જુદાં નથી હોતાં.

મોરારિ બાપુની કેન્યામાં રામકથા હતી, ત્યારે અમે સાથે ગયેલા – કહે, સુમન, મારી સાથે રહેજો.

એક વાર, સાહિત્ય અકાદમી, દિલ્હીની ઍડવાઇઝરી બૉર્ડની મીટિન્ગમાં, મુમ્બઇમાં, નિરંજન ભગતનાં કાવ્યોના સમ્પાદનનો મુદ્દો આવેલો. નિરંજનભાઈનાં કાવ્યો, એ સમ્પાદનની અમુકથી અમુક સાલની નિયત મર્યાદામાં બેસે એવાં ન્હૉતાં. એટલે અમારા સૌની ના હતી. પણ સમ્પાદકના મિત્ર મોટાભા હતા તે કહે, નિરંજનનાં કાવ્યો કોઈપણ સમ્પાદનમાં લેવાવાં જોઈએ. રાજેન્દ્રભાઈએ ધરાર ના પાડેલી, ઘાંટો પાડીને બોલેલા – મારો મિત્ર છે છતાં કહું છું કે એનાં કાવ્યો એ સમ્પાદનમાં ન હોઈ શકે.

એક વાર પૂનામાં એક કાર્યક્રમમાં, કે. શિવરામ કારન્થ, ગુલાબદાસ બ્રોકર અને રાજેન્દ્ર શાહના સાન્નિધ્યમાં સાહિત્યની વાતો કરવાની મને ખૂબ મજા આવેલી.

એક વાર એમના ‘શાન્ત કોલાહલ’ કાવ્ય વિશે મારા ‘ખેવના’ સામયિકમાં પરિચર્યા પ્રકાશિત કરેલી, છ-સાત મિત્રોએ એ એક જ કાવ્ય વિશે પોતપોતાના દૃષ્ટિબિન્દુથી રસપ્રદ સમીક્ષાઓ લખેલી. (‘ખેવના’ -ના બધા જ અંક હવે “એકત્ર ફાઉન્ડેશન” પર ઑનલાઈન ઉપલબ્ધ છે.)

રાજેન્દ્રભાઈનો જન્મ ૧૯૧૩-માં, અવસાન ૨૦૧૦-માં; ૯૭ વર્ષનું આયુષ્ય. ઍમ.ઍસ. યુનિવર્સિટી, વડોદરાથી ફિલૉસૉફી સાથે બીએ થયેલા. વડોદરામાં બંગાળી ભાષા કોઈ પાડોશી પાસેથી શીખેલા.

રાજેન્દ્રભાઈ ૧૯૩૦-માં, ૧૭ વર્ષની વયે, મૅટ્રિકનું ભણવાનું છોડીને દાંડીકૂચમાં જોડાયેલા! બહુ ઓછાઓને ખબર છે કે આઝાદી પૂર્વે, રાષ્ટ્રધ્વજ ફરકાવવા કપડવણજના ટાવરે ચડી ગયેલા અને જુલમી પોલીસ સામે ત્યાંથી ભૂસકો મારેલો! તેઓ સ્વાતન્ત્ર્ય સૈનિક પણ હતા, કારાવાસ પણ ભોગવેલો.

વેપારધંધામાં ખાસ ફાવટ નહીં આવેલી. અમદાવાદમાં કરિયાણાની દુકાન કરી. પછી મુમ્બઈ ગયા. ત્યાં લાકડાંનો વેપાર કરનારાને ત્યાં નોકરી કરી, ત્યારે થાણાનાં વનવિસ્તારમાં જવા-આવવાનું બહુ બનેલું. એ પછી મુમ્બઇમાં પ્રિન્ટિન્ગ પ્રેસ શરૂ કર્યું -‘લિપિની પ્રિન્ટરી’. ત્યાં દર રવિવારે કવિમિત્રો મળતા ને સાહિત્યકલાની વાતો થતી. એમના જાણીતા સામયિક ‘કવિલોક’-નો પ્રારમ્ભ ત્યાંથી થયેલો. એક દિવસ એ પ્રેસમાં આગ લાગેલી …

૨

જ્ઞાનપીઠ

૨૦૦૧-માં એમને દેશનો સર્વોચ્ચ સાહિત્યિક ઍવૉર્ડ ‘જ્ઞાનપીઠ’- અપાયો હતો. ત્યારે, હિન્દી ‘સહારા સમય’-ના ખબરપત્રીએ એમની મુલાકાત લીધેલી. એ મુલાકાત પછી બકવાસ જેવી ચર્ચા ચાલેલી, એટલે લગી વાત ચગેલી કે – આ ઍવૉર્ડ ખોટી વ્યક્તિને અપાયો છે. કારણ? કારણ એ કે ગોધરા-કાણ્ડ વિશે કવિ તટસ્થ રહેલા. ‘સહારા સમયે’ ઇન્ટ્રો બાંધીને લખેલું -“આખું ગુજરાત જ્યારે કોમી દાવાનળની આગમાં સળગતું હતું ત્યારે કવિ રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ પુરસ્કારની પ્રતીક્ષામાં પ્રેમની કવિતાઓ રચતા હતા.” — આથી હલકટ અને મૂર્ખતાભર્યું પત્રકારત્વ મેં આજ દિન લગી જોયું નથી. દુખદાયી આશ્ચર્યની વાત એ છે કે દેશના નામી-અનામી અનેક સાહિત્યકારો એમાં જોડાયેલા, મહાશ્વેતા દેવી પણ. ‘સમકાલીન’ દૈનિક અને ‘નિરીક્ષક’ પખવાડિક એ બકવાસની વીગતવાર માહિતી આપણે ત્યાં લાવેલા, જેથી આપણ સૌ ગુજરાતીઓને એની ખબર પડેલી. 

એવું સનસનીખેજ પત્રકારત્વ બાલિશ રાષ્ટ્રભક્તિ દાખવતું હોય છે અને કિન્નાખોરીથી લખતાં ખંચકાતું નથી. એવા સાહિત્યકારો પણ જાગ્રત પ્રજાજન હોવાનો દાવો કરતા હોય છે. પણ એ દાવો જેટલો વાચામાં હોય છે એટલો કદી કર્મમાં હોતો નથી. રેલો નીચે આવે ત્યારે ઉંદરડાની જેમ દરમાં પૅસી જતા હોય છે.

સર્જકની સમ્પ્રજ્ઞતા, પ્રતિબદ્ધતા કે સમાજાભિમુખતાનાં લેખાંજોખાં અમુક જાતના ખબરપત્રીઓનાં ગંદાં કાટલાંથી ન જોખાય. કાટલાં ગંદાં એટલા માટે કે મોટાભાગનાં છાપાં સરકારોની કુરનિશ બજાવતાં હોય છે. 

એ ‘સહારા સમય’ સંદર્ભે ૨૦૦૩-માં ‘રાજેન્દ્રભાઈની એ મુલાકાત નિમિત્તે’ શીર્ષકથી મેં લેખ કરેલો. એ વર્ષમાં, ‘મૂર્ધન્ય ગુજરાતી-ભારતીય કવિ રાજેન્દ્ર શાહ’ શીર્ષકથી ૧૯ પાનનો બીજો લેખ કરેલો. બન્ને લેખ મારા “નિસબતપૂર્વક” (૨૦૧૧) પુસ્તકમાં સંઘરાયા છે.

(ક્રમશ:)
(16 Sep 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૮)  

સુમન શાહ|Opinion - Literature|16 September 2024

(‘આત્માનાં ખંડેર’ વિશે, અહીં પૂરું.)

ઉમાશંકર : 1937 : વય : 26

હવે કાવ્યનાયક ભ્રાન્તિમુક્ત છે, સ્વ-સ્થ છે. હવે નથી ગાંધી કે નથી નિશીથ. કહે છે, ‘ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપા ય ના’. એટલું જ નહીં, કોઈ ‘પ્રબલ સત્ત્વ’ પાસે ‘શક્તિની યાચના’ પણ નથી. એને આદર્શોની અસલિયત પણ પરખાઈ ગઈ છે; એટલે કહે છે, ‘ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની’, કેમ કે, હવે એને સમજાયું છે કે એ તો ‘રમ્ય ભ્રાન્તિતણા’ ‘અસત્યચક્ર રચી’ ‘ભમાવતી’ હોય છે. વળી, હવે ‘દુરિતલોપ’-ની ‘વાંછના’ ય નથી રહી’; ‘સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની’ ‘ધગશ’ પણ નથી રહી, અને, ‘ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસતી’, તો, શાન્તિ માટેનાં, એટલે કે ‘ચિત્તસૌખ્ય’ માટેનાં, ‘મંથન’ પણ હવે નથી ‘ડ્હૉળવાં’. હવે, ‘બસ સમજ્યે જવું છે’. અને તે કેવા પ્રકારે? કહે છે, ‘સમજવું રિબાઇય તે’.

યથાર્થને સમજવા નીકળેલાને રીબામણ ઓછી ન હોય. રીબાવું તે સમજનો જ એક ભાગ. સમજની જ છટા. સમજનું પરિણામ પણ. એવું સમજવું તે અખૂટ અવિરામ તિતિક્ષા, અને તે, કાવ્યનાયક યુવકને લગીર આધુનિક દર્શાવે છે.

જીવનના યથાર્થનો સ્વીકાર બરાબર, પણ જ્યાં લગી એ સ્વીકાર ‘હું’-ના અધ્યાત્મની આકરી કસોટીમાંથી પસાર નથી થતો, ત્યાંલગી એ સ્વીકાર શ્રદ્ધા-આશા અને ભાવનાઓના આદર્શોથી ઘુંટાયા કરે છે. કશી અન્તિમ આધ્યાત્મિકતા વિના, સમષ્ટિ કાજેનો સમર્પણભાવ, સંભવ છે કે કશી ઘેલછાની કોટિએ જ અટકી પડતો હોય.

આ સૉનેટમાળામાં, ચિન્તનની પરિભાષા પરમ્પરાગત છે, કાવ્યપ્રકાર કાવ્યમાધ્યમ કાવ્યબાની પણ પરમ્પરાદત્ત છે, તેમછતાં, કાવ્યનું વસ્તુ અને તેનું સત્ત્વ આધુનિક છે; તેની દાર્શનિક પીઠિકા વ્યક્તિવાદી છે, જેનું પ્રમાણ છે, કાવ્યનાયકના આત્માને વાચા આપતો ‘હું’; કહો કે, ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’-થી નિરૂપણ પામેલી પોતાને વિશેની અભિવ્યક્તિ.

સંસ્કૃતિદત્ત સત્ય અહીં વૈયક્તિક સત્ય બને છે. કાવ્યનો રચનાપટ સત્યના એ રૂપાન્તરની પ્રક્રિયા બને છે. કાવ્ય આપણને દર્શાવે છે કે મનુષ્ય-આકાંક્ષા અને આકાંક્ષાની અશક્યતાના ભાનને કારણે છેવટે તો માનવનિયતિનું જ્ઞાન પ્રગટે છે.

મને કાવ્યનાયક યુવક ડહાપણને વરેલો, સમજુ વરતાયો છે – પણ એટલે જ કદાચ ધીમે ધીમે તૂટતો, નિર્ભ્રાન્ત થતો, અને છેલ્લે પોતાના અધિકૃત – ઑથેન્ટિક – અસ્તિત્વની શોધમાં વ્યસ્ત જણાયો છે. એવું ભાસે છે કે એ આધુનિકતાશીલ પ્રૅડિકામૅન્ટમાંથી ગુજર્યો છે.

આવા વસ્તુને કે કવિની વૈયક્તિક વેદનશીલતાને એકમાત્ર ધૉરણ ગણી લઈએ, તો એમ કહેવાનો વારો આવે કે આધુનિક ગુજરાતી કવિતાનો ઉઘાડ નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’-થી નહીં, પણ ઉમાશંકર જોશીના ‘આત્માનાં ખંડેર’ -થી થયો હતો.

પ્રકૃતિ અને સંસ્કૃતિ વિશેનો ઉમાશંકરનો લગાવ, મને લાગે છે કે શરૂઆતનાં વર્ષોમાં દ્ન્દ્વાત્મક રહ્યો છે, પછી એમાં દ્વિધા સ્ફુરી છે, અને તે પછીનાં વર્ષોમાં, એમાં મનુષ્ય અને મનુષ્યકૃતિવિષયક એક-ચિત્ત ધ્યાન પ્રગટ્યું છે. તેમછતાં જણાશે કે ઝઘડો સદાનો રહ્યો છે. કવિ અને અદકા મનુષ્ય વચ્ચેના એ નિત્યના ઝઘડાનું બીજ આ સૉનેટમાળા છે. એમાં એ ઝઘડાનો અન્ત કે ઉકેલ એ છે, જેને યથાર્થમૂલ સમજ કહી શકાય, એવી સમજ કે જેમાંથી સમ્પ્રજ્ઞતાની સ્થિરદ્યુતિજ્યોત પ્રગટે, જે આધ્યાત્મિક સમર્પણનો અધિકૃત પાયો બની શકે.

મનુષ્યકલ્યાણને વિશેના પોતાના આવેશને કાવ્યનાયકે ખાળ્યો છે. સૃષ્ટિરચનામાં પોતાનો હસ્તક્ષેપ વિઘાતક પુરવાર ન થાય એ ચિન્તાથી એ સાવધ છે. ‘અકિંચન’-માં, એણે પોતાનું બધું ખોવાની તૈયારી બતાવી છે. હતું ‘અણબોટ ઉર’, પણ જગતથી ચંચુપ્રહારની એને ભીતિ છે. છતાં, આપણે જોઈ શકીએ છીએ કે પોતાના ખરા વિત્તનો પરચો તો એ આપે જ છે. એની પાસે અણબોટાયેલું ઉર છે તેમ ભાવનાનાં મોતીની લૂમ છે. પણ એને પોતાની મર્યાદાનો અને કદાચ લાચારીનો અહેસાસ છે, તેથી નમ્રતાથી કહે છે : ‘દેજો ક્ષમા, નવ ગૂંથી જ શક્યો હું માલા’. પોતે ભાવનાઓને સૂત્રબદ્ધ ન કરી શક્યો તેમાં પણ વિવેક અને નમ્રતાથી દોરવાયો છે :

‘શોચ્યું -થશે ટપકતાં મુજ અંગુલિથી

એ પુષ્પ સુરભિહીણ વિવર્ણ મ્લાન’. (૨૩૫).

ઇતિહાસમાં થઈ ગયેલા વિજેતાઓથી એ, આમ, જુદો દીસે છે. લાગશે કે આત્મસત્યને વિશેની એની એવી અહિંસક બુદ્ધિ એને ગાંધીયુગનું સન્તાન ઠેરવીને રહે છે. આ ભૂમિકાએ ગાંધી અને તે કોટિ સમેતના સૌ નાયકો સમષ્ટિ-પ્રતિબદ્ધ છતાં નિરામય સંવિત્તિનો પરચો આપે છે. એવા કોઈ સત્ત્વ વડે જ દ્વન્દ્વો અને દ્વિધાઓના જગતમાં સમતુલા પ્રગટી આવે. ઉમાશંકરની કવિતા જેને તાકે છે, તે છે, પ્રતિબદ્ધ છતાં નિરામય સંવિત્તિનો પ્રસાર. 

સંવિત્તિનો લુપ્ત થઈ રહેલો ‘ફાઇબર’ કોઈપણ સમયના કોઈપણ કલાકારની પહેલી અને છેલ્લી ચિન્તા છે. 

આઠમા, નવમા અને દસમા સૉનેટમાં જોઈ શકાય છે કે નાયકને પોતાના જીવનકાર્ય અંગે દૃષ્ટિ સાંપડી છે, એમાં એને છે કે પોતાની સીમિતતાનો ‘સંતોષ’ ઠર્યો છે : 

‘દેશકાલ વિધિવક્રતા ભાંડવી

તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું’. (૨૩૬). 

‘અનંત ક્ષણ’-માં, એ સંતોષ વિસ્તર્યો છે. ‘સમયતૃષા’-માં, નાયક એ સમજ અને એ સંતોષનો હિસાબ આપે છે. એ એમ માનતો અને મનાવતો લાગે છે કે પોતાની કાર્યરીતિનું આત્મનીતિ સાથેનું સાતત્ય તૂટ્યું નથી, બલકે સમયમાં એનો શુદ્ધ પ્રસાર થઈ શક્યો છે : 

‘ફરી ક્યહીંયથી ઊગી જોતો નવી કો ઉષા,

ફરી સમયની હૈયે જાગે અદમ્ય ચિરંતૃષા’. (૨૩૭).

તેમછતાં, ઊંડે ઊંડે વંચના અને આત્મવંચનાની ભાત બચી જ હોય છે. ‘આશાકણી’-માં, મનુષ્યના એ ‘બૅડ ફેઇથ’-નો દર્દસભર નિર્દેશ કરતાં કાવ્યનાયક યુવક કહે છે : 

‘અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો;

મૃત્યુથી ત્રાસતાં તો યે જિંદગી અર્ક મૃત્યુનો’. (૨૩૭).

“વિશ્વશાન્તિ”-કાળની ઉદ્ગીતિથી જુદી જ સાંકેતિકતામાં ઠરતી આ વાસ્તવદર્શી અભિવ્યક્તિ ઉમાશંકરના કાવ્યનાયકનો ચૈતસિક વિકાસ સૂચવે છે. એના મૃત્યુચિન્તન અને આત્મહત્યાચેષ્ટાની નિરૂપણા કરતી બારમી અને તેરમી રચનાઓ પૂર્વોક્ત પ્રક્રિયામાં સંભવેલી પરાકાષ્ઠારૂપ અવશ્યંભાવિ અને સમુચિત ઘટનાઓ છે. એ વિનાનો ચિન્તનવ્યાપાર અધૂરો ભાસત, નાયક કહે છે તેવા અસત્ આનન્દની મદિરા બની રહેત. 

જે પ્રકૃતિમૈયાને હક્કપૂર્વક પયઘૂંટ માટે પ્રાર્થી હતી તે કેવી ક્રૂર કે તટસ્થ છે તેની પ્રતીતિ કાવ્યનાયક યુવકને ત્યારે થઈ જ્યારે એને ફગાવી દેવાયો, હડસેલી દેવાયો – એવું કહીને કે 

‘જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે’. (૨૩૮). 

મનુષ્યને વિશેનું કુદરતનું એ ‘ઇન્ડિફરન્સ’ તીવ્રતાથી અનુભવતો એ હવે નિર્ભ્રાન્ત છે. મનુજ એને ‘બિચારો’ લાગે છે; કહે છે, એ ‘વિધિની રેત’ અમથો નિચોવે છે, ‘મૃગજળની રમ્ય ભ્રમણા’ ખુવે છે. આત્માનુભૂતિનું બળ પ્રસરતાં, એની સંવિત્તિ એને મનુષ્યની અકાટ્ય સ્થિતિનું દર્શન કરાવે છે. 

એ દર્શન આહાર્ય, પૂર્વદૃષ્ટ કે પૂર્વશ્રુત નથી, વિભૂતિમત્ કે ઊર્જિતને વિશેના ઉદ્રેકનું પરિણામ પણ નથી, એ અદૃષ્ટપૂર્વ અશ્રુતપૂર્વ છે, કેમ કે એ નિતાન્તપણે વૈયક્તિક છે. એવી વૈયક્તિક દર્શનાના દૃષ્ટાઓ રૂપે બુદ્ધ, ઇસુ કે ગાંધીનો હવાલો ભલે આપી શકાય, પણ આ તો એક અદનો આદમી છે જેને સામ્પ્રત સમયોની ભીંસ વચ્ચે પોતાની સંવિત્તિના પ્રતાપે આ દર્શન લાધ્યું છે. એ આપણા જમાનાનો અ બ ક સ્વરૂપ વેદનશીલ મનુષ્ય છે; વિજય નહીં પણ લાક્ષણિક પરાજય એની નિયતિ છે; એટલે તો એને ‘દૃગજલ’ ‘ભલાં’ દીસે છે. 

‘ભલે શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં’ – એવો ઉપસંહાર ઉચ્ચારતા કાવ્યનાયકે અહમ્-ના નિર્લોપનની ‘ના’ પાડીને, મને લાગે છે કે એણે પોતાના અધિકૃત અસ્તિત્વનું મમત્વ પ્રગટાવ્યું છે. એને કારણે, ખણ્ડેર અને એવા અનેકશ: યથાર્થ સંદર્ભોની લબ્ધિને વિશે એ પાત્ર ઠર્યો છે. હવે એનામાં સ્વીકાર, સમજ અને સમતાને પામવાની સજ્જતા આવી ગઈ છે. એ તટસ્થ છે; છતાં એનું તાટસ્થ્ય જડતા નથી, સમજનિહિત સમ્પ્રજ્ઞ એવી સ્વીકૃતિ છે; એ સ્વીકૃતિ પાસે પૂર્ણવિરામ નથી, નવપ્રસ્થાનની તૈયારી છે.

(ક્રમશ:)
(15 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...645646647648...660670680...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved