દીકરાના અને દીકરાની વહુના આગ્રહથી નિરંજન દાદા બે વર્ષથી અમેરિકામાં આવ્યા છે. પૌત્રની પાંચમી વર્ષગાંઠ ઉજવવા ! દીકરા અને વહુના અતિ આગ્રહથી કોરોનાની બંને વેક્સીન લઈને આવ્યા છે. નિરંજનભાઈ શરૂ શરૂમાં કોરોનાના ડરથી બહાર ઝાઝું નીકળતા નહીં. પણ નજીકના એરિયામાંથી બે-ત્રણ જૂના મિત્રોની સંગત મળી એટલે સહુની સાથે મોર્નીગ કે ઇવનિંગ વોક કરવા નીકળી પડતા. કયારેક પાંચ વરસનો અરવ એમની સાથે થઈ જતો.
હવે નિરંજન દાદાને અમેરિકામાં ગમતું હતું. ધીરે ધીરે ચાર -પાંચ સિનિયર મિત્રોની દોસ્તીનો રંગ ચઢવા લાગ્યો.
એક બીજાની ખબર અંતર પૂછવાથી માંડીને દિલમાં ઢબૂરાયેલી કેટલીક વાતો એકબીજાને કહેવા લાગ્યા હતા.
નિરંજનભાઈની સાથે જ કોલેજમાં ભણતા દામોદરભાઈ સાથેની નિકટતા વધતી ગઈ. તેઓ આ દેશમાં ખાવા -પીવાથી માંડીને અહીંની રહેણી કરણીની વિસંગતતા અને ભૌતિક સુખ સગવડની વાતો કરતા, ને ક્યારેક દિલને દુભવતી વાતો પણ થઈ જતી. એક દિવસ દામોદરભાઈએ નિરંજન ભાઈને પૂછયું, ‘કેમ આમ ઉદાસ થયો છે ?’
‘ના રે ના’, નિરંજનભાઈ બોલ્યા.
‘તો પછી ઉદાસ કેમ છે ?’
‘ખાસ કાંઈ નથી, વહુને એમ થાય છે કે હું બહુ બેદરકાર માણસ છું. આજે એના ચાઇના કેબિનેટના દરવાજાનો કાચ તૂટી ગયો ! એટલે કે એમાં મોટી તિરાડ પડી !’
બીજા બે સાથીદારો એકદમ બોલી ઉઠ્યા, ‘ભાઈ આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ ! વહુનું મન સાચવી લેવાનું.’
‘જેથી કરીને દીકરાના મનને ક્લેશ ના કરાવે. બીજા બોલી ઉઠ્યા, ‘તમે એવું શું કરતા હતા ?’
નિરંજનભાઈ બોલ્યા, ‘અરે ભાઈ, હું તો કશું નહોતો કરતો, અરવ બોલ રમતો હતો ને ઘા ચુકી ગયો ! પણ પછી એની પનિશમેન્ટ અટકાવવા મેં મારે માથે લીધું.’ દામોદરભાઈ નિરંજન ભાઈની નજીક જઈને બોલ્યા, ‘આ પહેલા પણ તારાથી કાચની કોઈ વસ્તુ તૂટી હતી યાદ છે ?’
ભાઈ, આ દેશમાં આપણે સંભાળીને રહેવું. જ્યારે મિત્ર મંડળીનો શિખામણનો બોજ ઉપાડવો અઘરો થઈ પડ્યો, ત્યારે નિરંજન ભાઈ બોલ્યા, ‘અરે ભાઈ, એ પણ મારા સુપૌત્રનું જ કામ ! મારી દેખતા જ એ લોકો અરવને વઢે ને એ પોતાને બચાવવા માટે મારી સામે આશાભરી નજરે જુએ અને હું કશું કહી ન શકું ને લાચારીથી જોયા કરું? મારાથી કશું એમને અણગમતું થઇ જાય, તો એ લોકો મારા પર નારાજ થાય. મને એનો વાંધો નથી. તેઓ મને પનિશ નથી કરતા !!’ એમ કહેતા કહેતા દાદાજીના ચહેરા પર પ્રસન્નતા ફરીવળી !!
સહુ સિનિયર મિત્રો દાદાની વાત સાંભળી ખુશ થયા. પછી દાદા ગંભીર સાદે બોલ્યા, ‘પણ હવે અરવ ઘરે આવીને તોફાન નથી કરતો, મને જોઈને રાજી થાય છે ને મને ભેટી પડતા કહે છે, “આખી દુનિયામાં તમે સહુથી બેસ્ટ દાદા છો!!” – ને પછી વહુ ને દીકરાની નારાજગી હું ભૂલી જવું છું.’
સહુ સિનિયર મિત્રોના ચહેરા પણ મંદ મંદ હાસ્યથી ઝળકી ઉઠ્યા !!
સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com
![]()


પુસ્તકના કેન્દ્રમાં જુગતરામભાઈને મૂકવાનો પ્રયત્ન છે. સંપાદકે તેમની જીવનકથા આપવાનો, અને તેમાં જુગતરામભાઈએ પોતે જે જીવનકથા લખી, તેમાં છોડી દીધું તે બધું સંશોધન કરી રજૂ કરવાનો, મહાપ્રયાસ કર્યો છે. અરે ‘છાયા’ ખંડમાં ૨૫૧ ફોટા અને ખંડે ખંડના પ્રારંભે જુગતરામભાઈ અને તેમની વિશિષ્ટ વસ્તુઓ પણ રજૂ કરવાનું સજાવટ કરવાવાળા ચૂક્યા નથી. તેમ છતાં જુગતરામભાઈની વાત કરો એટલે વેડછીની જ વાત કરવી પડે. અને વેડછીની વાત એટલે ગાંધીમય જીવનની જ વાત હોઈ શકે અને તેથી ક્યારે તમે આ વાતો કરતાં કરતાં ગાંધીજીવનના રસને પીતા થઈ ગયા તેનું ભાન જ ન રહે.
છેક ૧૯૨૫ અને ૨૭ની વાતો છે. આ બે રાનીપરજ પરિષદોમાં ગાંધીજી પધારેલા – સાથે મહાદેવભાઈ હોય જ. તેમણે નોંધ્યું છે : ‘નિરાશાને ક્ષણવારમાં ઉડાવી દેવા માટે જાણે તા. ૧૬મીનાં દૃશ્યો ગોઠવાયાં હોય ! એ કોઈએ હેતુપુર:સર ગોઠવેલાં નહોતાં. એ તો ઈશ્વરની જ રચના હતી. ખાનપુર ગામે રાનીપરજનું ગરવું નામ ધારણ કરનારા ભાઈઓ ભેગા થયા હતા. એમનાં દર્શન કરીએ તે પહેલાં એમનામાં પ્રાણ રેડનારા, એમનામાં રાતદિન વાસો કરી એમના જ દાસ બનવામાં પ્રભુનું દાસત્વ માનીને બેઠેલા સેવકોના આશ્રમની મુલકાત લઈએ. આ નાનકડું ઝૂંપડું – આસપાસના પ્રદેશમાં વીજળી રેલાવનારું ‘પાવરહાઉસ’ – શક્તિ ભંડાર છે એમ કહીએ તો ચાલે. એમાં કામ કરી રહેલા ભાઈ ચૂનીલાલ મહેતા, અને એમનાં ધર્મપત્ની તથા આ આખા પ્રદેશના લોકોમાં ઓતપ્રોત થઈ એમની સેવામાં જ રામની મૂર્તિ ભાળતા ભાઈ જુગતરામ, વેડછીના આશ્રમમાં હાજર હતા. વણાટ આશ્રમનો પાયો એમણે વેડછીમાં નંખાવ્યો. જુગતરામે પોતાના પ્રિય શિષ્ય એક ચૌધરી યુવક અને ચૌધરી કોમની બહેનના ધાર્મિક વિધિથી ગાંધીજીની સમક્ષ વિવાહ કરાવ્યા અને ગાંધીજીએ તેમને આશીર્વાદ દીધા બલકે આશીર્વાદ દીધા પહેલાં તેમને દીક્ષા આપી એમ કહું તો ચાલે, કારણ એમણે તો એ બંને જણનું પાણિગ્રહણ કરાવતાં પહેલાં તેમને વિવાહનો આદર્શ સમજાવ્યો; સંયમને માટે જ વિવાહ કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા – ભોગને અર્થે નહિ પણ પ્રજા સેવાર્થે આ સહચર્ય કરીએ છીએ એવી પ્રતિજ્ઞા – લેવડાવ્યા પછી જ તેમને આશીર્વાદ આપ્યા.