Opinion Magazine
Number of visits: 9665172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્કૃતિ અને પ્રાચીન વિદ્યાનું જતન કર્યું કોણે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2024

રમેશ ઓઝા

ઉત્તર પ્રદેશ સરકારના પક્ષપાતી અને બેશરમ કહી શકાય એવા આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો છે. સરકારનો આદેશ એવો હતો કે કાવડયાત્રા કરનારા કાવડિયાઓના માર્ગમાં આવતી હોટેલોની બહાર મોટા અક્ષરમાં લખેલું એક બોર્ડ મૂકવું જરૂરી છે કે આ હોટલનો માલિક કોણ છે અને તેને કોણ ચલાવે છે. અહીં પહેલાં બતાવી દઉં કે જેમ અમરનાથ યાત્રાનો કે પંઢરપુરની દિંડીનો માર્ગ નિશ્ચિત હોય છે એમ કાવડિયાઓનો હોતો નથી. ચારે બાજુએથી તેઓ પોતાને સુગમ પડતા માર્ગે ચાલે છે. બીજું, અમરનાથની યાત્રા કરવાવાળાઓનું લક્ષ કેવળ અમરનાથ હોય છે કે દિંડી માત્ર અને માત્ર પંઢરપુર જતી હોય છે. કાવડિયાઓનું એવું હોતું નથી. કોઈ કાશી જાય, કોઈ ઓમકારેશ્વર જાય, કોઈ મહાકાલેશ્વર જાય અને કોઈ વૈજનાથધામ જાય. આ સિવાય પણ બીજા અનેક સ્થળે. આનો અર્થ એ થયો કે સમગ્ર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,  મધ્ય પ્રદેશ અને બિહારમાં કોઈ સ્થળે મુસલમાનો મુક્ત રીતે ભોજનાલય ન ચાલાવી શકે. કાવડિયાઓ તેમની હોટેલમાં જાય નહીં.

અહીં પહેલો સવાલ તો એ ઉપસ્થિત થાય છે કે આ લોકો પાસે મુસલમાનોને સતાવવા સિવાય, તેમને નુકસાન પહોંચાડવા સિવાય, તેમની પાસેથી કશુક છીનવી લેવા સિવાય હિંદુરાષ્ટ્રનો કોઈ એજન્ડા જ નથી? દસ વરસમાં મુસલમાનો પાસેથી છીનવી લેવાનું કામ તો ઘણું કર્યું છે, હિંદુઓને આપ્યું છે શું? અયોધ્યામાં રામમંદિર, મફતમાં તીર્થયાત્રા અને સ્ટેશનો તેમ જ શહેરોનાં નામમાં પરિવર્તન. અલ્હાબાદની જગ્યાએ પ્રયાગરાજ અને રાજી થાવ. આનાથી પેટ ભરાવાનું છે? આનાથી તમારાં સંતાનનું ભવિષ્ય સુરક્ષિત થવાનું છે?

એકવાર ફુરસદે એક કામ કરો. સંસ્કૃત તો હિંદુઓની દેવભાષા છે. ઈંટરનેટ પર જઇને આઝાદી પછી સ્થાપાયેલી સંસ્કૃત કોલેજો, વિશ્વવિદ્યાલયો અને શોધસંસ્થાનોની યાદી બનાવો. એ કોણે શરૂ કરી, કોણ સ્થાપકો હતા, સરકારી સંસ્થા હોય તો તેની સ્થાપના કયા પક્ષની સરકારે કરી હતી, કોણ કોણ વિદ્વાનો હતા વગેરે પોતાને સગે હાથે અને સગે દિમાગે તપાસી જુઓ. અને એ પછી આ લોકોએ આ પ્રકારનું કામ કેટલું કર્યું એ તપાસી જુઓ. તમને પોતાને જમા-ઉધારનો ખ્યાલ આવી જશે. કોણ નાદાર છે અને કોણ નક્કર છે તેનો ખ્યાલ આવી જશે.

એમ. પતંજલિ શાસ્ત્રીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેઓ ૧૯૫૧-૫૪નાં વર્ષોમાં ભારતના બીજા મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને સંસ્કૃતના પંડિત હતા. મહામહોપાધ્યાયની કક્ષાના. તેમને સંસ્કૃત અને ભારતીય વિદ્યાઓના પ્રચાર-પ્રસારમાં ખૂબ રસ હતો. સોમનાથમાં મંદિર બંધાયું એ પછી ડૉ. રાજેન્દ્રપ્રસાદ, કનૈયાલાલ મુનશી અને બીજાઓએ મળીને સંસ્કૃત વિશ્વપરિષદની સ્થાપના કરી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદ ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતા, કનૈયાલાલ મુનશી કેન્દ્રીય પ્રધાન હતા અને પતંજલિ શાસ્ત્રી દેશના (સર્વોચ્ચ અદાલતના) મુખ્ય ન્યાયમૂર્તિ હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તો દેશમાં સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓનો પ્રચાર-પ્રસાર કેમ કરાય અને તેના માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપતી એક માર્ગદર્શિકા સંસ્કૃત વિશ્વ પરિષદ વતી તૈયાર કરી હતી અને કનૈયાલાલ મુનશીએ કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન મૌલાના આઝાદને અને દેશભરની રાજ્ય સરકારોને તે મોકલી હતી. આ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સંપૂર્ણાનંદ જેવા મુખ્ય પ્રધાનો અને સી.પી.એન. સિંહ જેવા રાજ્યપાલો જેવા બીજા પણ અનેક કૉંગ્રેસીઓ સંસ્કૃત વિશ્વ પરિષદ સાથે જોડાયેલા હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તૈયાર કરેલી માર્ગદર્શિકાને અનુસરીને ભારતનાં કેટલાંક રાજ્યોમાં સંસ્કૃત માટે શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ હતી. કુરુક્ષેત્ર યુનિવર્સિટી આનું એક ઉદાહરણ છે.

અત્યારની પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી અને કોણે કરી હતી એ જાણો છો? આવી જ રીતે અત્યારે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી તરીકે ઓળખાતી રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી એ જાણો છો? પહેલી ૧૯૬૨માં જવાહરલાલ નેહરુએ અને બીજી ઇન્દિરા ગાંધીએ ૧૯૭૦ની સાલમાં. કોઈને ય જવાહરલાલ નેહરુએ કે ઇન્દિરા ગાંધીએ રોક્યા નહોતા, બલકે તેઓ પોતે તેમાં રસ લેતા હતા, કારણ કે તેઓ અભણ નહોતા. લઘુતા ગ્રંથિથી પીડિત નહોતા. આ સિવાય જેઓ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના મહાઅભિયાનમાં જોડાયા હતા એમાંથી કોઈ મુસ્લિમદ્વેષ્ટા નહોતા. કોઈ કોમવાદી નહોતા. બીજાનું બુરું એ ઈચ્છે જેનામાં પોતાનું ભલું કરવાની ત્રેવડ ન હોય.

હજુ એક ઉદાહરણ આપું, કારણ કે એ મનુસ્મૃતિ વિશેનું છે. ૧૯૭૨માં ભારતીય વિદ્યા ભવને નવ સંસ્કૃત ટીકાઓ સાથે મનુસ્મૃતિનું પ્રકાશન કરવાનું કામ હાથ ધર્યું હતું અને તેના સંપાદક હતા, મહામહોપાધ્યાય જયંતકૃષ્ણ હ. દવે. તેઓ મનુસ્મૃતિના પહેલા ખંડની પ્રસ્તાવનામાં લખે છે: “ભારત સરકારના શિક્ષણ ખાતાના સંસ્કૃત બોર્ડની ઈચ્છા હતી કે મનુસ્મૃતિની ઉપલબ્ધ તમામ મહત્ત્વપૂર્ણ ટીકાઓ સાથે મનુસ્મૃતિની સંપૂર્ણ વિસ્તૃત આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે જેથી સુગમતાથી એક જ સ્થળે મનુસ્મૃતિનો અભ્યાસ થઈ શકે. આ સંપાદકને આ કાર્ય સોંપવામાં આવ્યું અને ભારતીય વિદ્યા ભવન દ્વારા ભારત સરકારની ઉદાર આર્થિક સહાયથી મનુસ્મૃતિ પ્રકાશિત થઈ રહી છે.” કોણ હતું ૧૯૭૨ની સાલમાં વડા પ્રધાન? ઇન્દિરા ગાંધી. અને શિક્ષણ પ્રધાન? એસ. નરુલ હસન. એક મુસ્લિમ. જેમને મનુસ્મૃતિ વહાલી છે એમને તો એ પણ ખબર નહીં હોય કે ભારતમાં સ્મૃતિસાહિત્યમાં કોની કોની સ્મૃતિ ઉપલબ્ધ છે અને તેના પર કોણે કોણે ટીકાઓ લખી છે.

માટે યોગી આદિત્યનાથ માત્ર આવું જ કશુંક કરી શકે. બહુ બહુ તો મુસલમાનોના ઘર પર બુલડોઝર ચલાવી જાણે. જેના દ્વારા મુસલમાનો તો છોડો હિંદુઓનું ભલું થાય એવું રચનાત્મક કામ કરવાનું કોઈ ગજું આ લોકો નથી ધરાવતા. એ બધું “હિંદુધર્મવિરોધી”, “ધર્મદ્રોહી”, દેશદ્રોહી “સેક્યુલરિયા”ઓ કરી ગયા જેને બરબાદ કરવાનું કામ તેઓ કરી રહ્યા છે. સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓના જતન અને સંવર્ધન માટે પહેલાં અંગ્રેજોએ સ્થાપેલી અને આઝાદી પછી કૉંગ્રેસીઓએ સ્થાપેલી શિક્ષણ સંસ્થાનોની આજની સ્થિતિ પર નજર નાખી જુઓ. તેઓ સંસ્કૃત યુનિવર્સિટીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફેરવી રહ્યા છે કે જેથી તેને કેન્દ્ર સરકાર નિયંત્રિત કરી શકે. એમાં કોણ બેઠા છે એ જોઈ જુઓ. દિવસમાં એક પાનું વાંચતા હાંફી જાય એવા “વિદ્વાનો”ને ત્યાં બેસાડવામાં આવ્યા છે. ત્યાં શું કામ થઈ રહ્યું છે એ તપાસી જુઓ. પશ્ચિમમાં બેઠેલા ગૈર હિંદુ વિદ્વાનો જેટલું કામ કરે છે તેની સામે આ લોકો ચરકવા જેટલું પણ કામ નથી કરી શકતા. કૂવામાં હોય તો હવાડામાં આવે ને! જ્યાં વિચારવાની અને શંકા કરવાની મનાઈ હોય ત્યાં કદાપિ વિદ્વતા હોય!

ટૂંકમાં જે વિષયો તેમને વહાલા છે એ વિષયો પર મુસલમાનો માટે દ્વેષ નહીં ધરાવતા સેક્યુલર વિદ્વાનોએ નક્કર કામ કર્યાં છે અને કરે છે. ૧૭૮૪માં સર વિલિયમ જોન્સે કોલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી અને ૧૭૯૧માં જોનાથન ડંકને બનારસમાં ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજ(આજે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી)ની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધીમાં અઢીસો વરસમાં ભારતીય પ્રાચીન ભાષાઓ અને વિદ્યાઓના સંવર્ધન માટે ઉદારમતવાદી સેક્યુલર વિદ્વાનોએ જેટલાં કામ કર્યાં છે એનો એક ટકો કામ પણ હિંદુહિતનો ઝંડો લઈને ફરનારાઓ નથી કરી શક્યા.

જગતમાં હિંદુઓ ગર્વ સાથે માથું ઊંચું કરી શકે એવા રચનાત્મક કામો કરવાનું તેમનું ગજું પણ નથી અને તેમને તેમાં રસ પણ નથી. મુસલમાનોને સતાવો અને હિંદુઓના એક વર્ગને રાજી કરો. પરપીડનમાં આનંદ અનુભવનારા લોકો દરેક સમાજમાં હોય જ છે. એમાં માથે તવાઈ છે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સહિત કેટલાક લોકો યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી હટાવવા માગે છે. ઓછામાં પૂરું વિધાસભાની દસ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે જેમાંથી પાંચ બેઠકોમાં ૨૦૨૨ની ચૂંટણીમાં પરાજય થયો હતો. યોગી માટે આકરાં ચઢાણ છે અને પક્ષમાં તેમની સામે બળવો થઈ રહ્યો છે. નબળો નર નારી પર શૂરો એના જેવું છે.

સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારના વકીલોને હસતા હસતા સવાલ કર્યો હતો કે રાંધનારા,  પીરસનારા, સાફ કરનારા, અનાજ ઉગાડનારા, ખરીદનારા, વેચનારા, સપ્લાય કરનારા એમ પવિત્ર હિંદુઓ કોના કોનાથી બચશે? અને એક સવાલ જજોએ નથી કર્યો પણ લોકો કરે છે. પવિત્ર હિંદુઓએ હવેથી અમરનાથની યાત્રાએ તો ન જ જવું જોઈએ. ત્યાં ડોળી ઊંચકનારાઓ અને ઘોડાવાળાઓ અપવાદ વિના મુસલમાન છે.

એક હિંદુ એ છે જે રાતના દીવા બાળીને અને આંખો ફોડીને હિંદુઓની (ભારતની) મહાન પરંપરાના ઉજ્વળ પતાકા જગતમાં લહેરાવે છે અને બીજા હિંદુ એ છે જે ભડકા કરીને હિંદુને જગતમાં બદનામ કરે છે. અને હા, મુસલમાનો વિના દેશ અધૂરો છે એમ હજુ મહિના પહેલા કહેનારા અત્યારે ચૂપ છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 જુલાઈ 2024

Loading

બજેટ 2024: રાજનૈતિક લાભને અગ્રિમતા આપતા બજેટમાં નાગરિકો વખારે નખાયા?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 July 2024

મધ્યમવર્ગ જ બચત અને રોકાણ માટે રસ્તા શોધતો હોય છે પણ આ માટે જેટલા વિકલ્પો હતા તે બધાં પર ટેક્સ વધારાયા છે

ચિરંતના ભટ્ટ

બજેટ જાહેર થયું એ પછી સરકાર અને નાણાં મંત્રી પર છાણાં થાપવાનું કામ પૂરજોશમાં ચાલ્યું છે. આમ જનતા, પગારદાર, નોકરિયાત, મધ્યમવર્ગને બજેટ બહુ ખુંચ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણે 1લી ફેબ્રુઆરીએ જે વચગાળાનું બજેટ રજૂ કર્યું અને 23મી જુલાઇએ જે યુનિયન બજેટ રજૂ કર્યું તેની વચ્ચે એક મોટી ઘટના ઘટી. આ ઘટના એટલે, લોકસભાની ચૂંટણી અને સ્વાભાવિક છે કે ચૂંટણીનાં પરિણામોને મામલે ભા.જ.પા.ની પોતાની પાસેથી જે અપેક્ષા હતી તેનાથી ઓછા હોવાને કારણે ઘટનાનો પ્રભાવ નાટ્યાત્મક રહ્યો છે. ચારસો પાર એવું કોઇ ભૂલમાં ય આજુબાજુ બોલી દેતું હશે તો ભા.જ.પા. વાળાની ફટકી જતી હશે. ઘટી ગયેલા બહુમત પછી જે બજેટ જાહેર કરાયું તે 1લી ફેબ્રુઆરીના બજેટ કરતાં ઘણું જુદું છે અને આ સાબિત કરે છે કે ધાર્યાં કરતાં ઓછી બેઠકો સાથે અને ટેકેદારોની મદદથી સરકાર બનાવ્યા પછી કેન્દ્રમાં સત્તા પર બેઠેલાઓની પ્રાથમિકતાઓ બદલાઇ ગઇ છે. ગઠબંધનની સરકાર હોય ત્યારે જે રાજ્યો સાથે હાથ જોડ્યા હોય, જેનો ટેકો જરૂરી હોય એમને વધારે નાણાં ફાળવવા પડે એ સ્વાભાવિક છે. મોંઘવારી ઘટાડવા માટે અમુક કમોડિટીઝને ધ્યાનમાં રાખીને પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન ફંડ – PSF – યોજનામાં પણ સારું એવું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આમ તો વચગાળાના બજેટના વિસ્તરણ જેવું જ બજેટ છે અને એમાં ફરી એકવાર સોસાયટીને નાકે લેંઘો અને સદરો પહેરીને ઊભા રહી “મધ્યમવર્ગની હાલત ખરાબ છે”નું ગાણું ગાનારાઓને સારો એવો મસાલો મળી ગયો છે.

વાસ્તવિક્તા એ છે કે ટૂંકા પગારની નોકરી કરનારા માણસને ટેક્સ ભરવો જ પડે છે અને કોઇ ગામડાંમાં ખેતી કરીને મહિને દોઢ લાખ કમાઇ લેનારા ખેડૂતને ટેક્સ ફ્રી હોવાનો દરજ્જો મળી જાય છે. આ કંઇ એક બજેટની વાત નથી પણ લાંબા સમયથી નોકરિયાત મધ્યમવર્ગ આ જ સ્થિતિમાં રહ્યો છે. આપણે કરચોરીના કિસ્સા સાંભળીએ છીએ પણ પગારદાર વર્ગને એવી કરામત કરવાનો મોકો નથી મળતો અને પગાર મળે એ પહેલાં તેમાંથી ટેક્સ કપાઇ જતો હોય છે. જૂનો રેજિમ અને નવો રેજિમ વગેરેની માથાકૂટ સમજવાની અને પછી રાત-દિવસ એક કરીને, લોકલ ટ્રેનના ધક્કા કે પછી ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે ઑફિસ જઇને, કામ કરીને કરેલી કમાણી જતી જોવાની. માળું ટેક્સને નામે જેટલા પૈસા સરકાર આપણી પાસેથી લે છે એટલી તો આપણને સેવાઓ પણ નથી મળતી. બીજા દેશો પણ છે જ્યાં ભારત કરતાં ટેક્સનો દર વધારે હોય પણ એ એવા દેશો છે જ્યાંની માળખાકીય સુવિધાઓથી માંડીને બીજી સરકારી સેવાઓનો લાભ મેળવવાનું તેમને માટે શક્ય છે એટલું જ નહીં પણ સરળ પણ છે.  એ રાષ્ટ્રોમાં જાહેર શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ સારામાં સારી હોય છે. આપણે ત્યાં બન્ને જાહેર ક્ષેત્રનાં હોય તો રેઢિયાળ હોય અને ખાનગી ક્ષેત્રના મોંઘાદાટ છે. વળી આપણી સરકાર પોતાના સ્વાર્થ માટે થઇને અમુક પ્રકારના લોકો પર કરવેરો લાદવા જ નથી માંગતી. ખેડૂતોની હાલત બહુ કફોડી છે પણ આપણા ખેતી પ્રધાન દેશમાં પૈસાદાર કહી શકાય એવા ખેડૂતોની કમી નથી.  મોટા મોટા અભિનેતાઓ પોતાની જાતને ખેડૂતના વર્ગમાં મુકાય એવી ગોઠવણ કરતા હોય છે.  આવા નાણાં અને વગથી મજબૂત ખેડૂતો કરમુક્તિની મજા લે છે. પૈસા ભરે કોણ? – મધ્યમ વર્ગ – નોકરિયાત વર્ગ. ખેતીની આવક બતાડીને ટેક્સ ન ભરનારાઓનો આંકડો લાખોમાં છે. અમુક સરકારી પેનલ્સે એવો પ્રયાસ કર્યો કે અમુક હદથી ઉપરની ખેતીની આવક પર ટેક્સ લાદવામાં આવે પણ રાજકારણની સંદિગ્ધતા આવા વિચારોને ક્યારે ય અમલમાં નથી આવવા દેતી.

હવે બજેટના બખડજંતરને જરા નજીકથી નાણવાનો પ્રયાસ કરીએ તો મધ્યમવર્ગને ટેક્સમાં કોઇ રાહત નથી મળી. ‘લોંગ ટર્મ’ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ બન્નેમાં એક સાથે ટેક્સ વધારાયો છે. મધ્યમવર્ગ જ બચત અને રોકાણ માટે રસ્તા શોધતો હોય છે પણ આ માટે જેટલા વિકલ્પો હતા તે બધાં પર ટેક્સ વધારાયા છે. ઇન્ડેક્સેશન એક એવી સવલત છે જે મોંઘવારીને ધ્યાનમાં રાખી કોઇ પણ ખરીદ કે વેચાણની કિંમતોને સમતોલ બનાવે. ઇન્ડેક્સેશનને કારણે કરદાતાઓનો બોજ ઘટતો. પણ ગયા વર્ષે ડેટ ઇન્વેસ્ટમેન્ટ પરથી ઇન્ડેક્સેશન હટાવ્યું તો આ વર્ષે રિયલ એસ્ટેટનો વારો કાઢ્યો. રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય અથવા તો અમુક વર્ષો જૂની મિલકત વેચવાની હોય તો પહેલાં આ મિલકતને ‘લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ’માં ગણાતી અને ખરીદ-વેચાણ વખતે કરદાતાઓને થોડી રાહત મળતી. પણ હવે એ ઇન્ડેક્સેશન કાઢી નખાયું છે – દર ભલે ઘટાડી નખાયા હોય પણ લોકોને એમાં કોઇ ફાયદો નથી. પહેલાં ઇન્ડેક્સેશનને કારણે રિયલ એસ્ટેટમાં ટેક્સ ઓછા ભરવાના આવતા પણ હવે એ ઇન્ડેક્સેશન હટાવી દેવાને કારણે ટેક્સનો બોજો તો વેંઢારવો જ પડશે. ટેક્સના તંત્રને સરળ કરવાને નામે સરકારે મધ્યમ વર્ગ પાસે પારંપરિક રોકાણનાં જે પણ વિકલ્પો હતા તે બધામાં મળતી રાહત હવે નહીં મળે.

કેન્દ્ર સરકાર બહુ સલુકાઇથી પોતાનું ધાર્યું કરે છે. સોના-ચાંદીના ભાવ ઘટ્યાં, લોકો ખુશ થયાં પણ જેમણે સોવરિન ગોલ્ડ બોન્ડ લીધા હશે એમને ગેરલાભ છે. તેમના ખરીદેલા બોન્ડ્ઝ પરથી તેમને જેટલું વળતર મળવાનું હતું તે હવે ઓછું થઇ જશે. વળી ગોલ્ડ બોન્ડનો લોકિંગ પીરિયડ પણ હોય એટલે એ પરિબળ પર પણ આધાર રાખવાનો.

વળી જેમ ખેડૂતોને કર મુક્તિ હોય છે એ જ રીતે વકીલો, ડૉક્ટરો અને કોચિંગ સેન્ટર્સ સર્વિસ ટેક્સમાંથી બચેલા છે. સાંસદોને પણ ઘણીબધી બાબતે કર મુક્તિ મળતી હોય છે. વળી તેઓ પોતાના પગાર કર ન કપાય એ રીતે નક્કી કરી શકતા હોય છે. સાથે સાંસદોને મળતા મફતિયા લાભની યાદી પણ કંઇ નાની સૂની નથી, જેમાં ટ્રેન કે વિમાની પ્રવાસ, સ્વાસ્થ્ય સેવાઓ, ભાડું ભર્યાં વિના રહેવા મળતું ઘર અને પેન્શન્સ. સાંસદો આટલું બધું મેળવ્યા પછી નાગરિકો પ્રત્યેની પોતાની સેવાઓ ગુપચાવી જાય છે. ભારતના મતદાતાઓમાંથી માત્ર સાત ટકા લોકો કરવેરો ભરે છે. નોર્વેમાં સો ટકા લોકો વેરો ભરે છે તો યુ.એસ.એ.માં સિત્તેર ટકા લોકો વેરો ભરે છે.  સેલ્ફ એમ્પ્લોયડ લોકો કરતાં નોકરિયાત માણસને માટે ટેક્સનો બોજ વધારે હોય છે. આ અસંતુલન સુધરે એ જરૂરી છે.

મધ્યમ વર્ગ માટે સામાન્ય જીવનશૈલીની કિંમતોમાં વધારો જ ઝિંકાયો છે. બચત કરવાના થોડાઘણા રસ્તા માંડ શોધ્યા હોય ત્યાં સરકાર સાણસામાં લઇને બધા રસ્તા જાણે બ્લૉક કરી દે છે. આ એ જ મધ્યમવર્ગ છે જેણે ભા.જ.પા. સરકારને પ્રેમથી મત આપ્યા છે, ખાસ કરીને શહેરોમાં રહેતા મધ્યમ વર્ગે. હવે લોકો થાક્યા છે અને ભા.જ.પા. – મોદી સરકાર સાથેનો સબંધ મતદારો માટે ‘એક તરફા પ્યાર’ બની ગયો છે. વળી ભા.જ.પા. સરકારનું ગેસલાઇટિંગ અને પોતાની જાતને મોટાભા બતાવવાનો તબક્કો પણ નથી અટકતો. લોકોને રાહત મળતી નથી એટલે સરકાર કેટલી સારી છેનાં ગાણાં સાંભળવામાંથી પણ લોકોને છટકબારી નથી મળતી.

નાણાં મંત્રીએ કાઁન્ગ્રેસનાં 2024ના મેનિફેસ્ટોમાંથી અમુક બાબતો સ્વીકારીને બજેટ જાહેર કર્યું છે પણ તેને કારણે કોઇ નક્કર પ્રશ્નો ઉકેલાયા નથી. બેરોજગારીનો પ્રશ્ન ઉકેલવા ન્યુ એમ્પલોયમેન્ટ જનરેશન સ્કીમને 10 હજાર કરોડ અને ન્યુ ઇન્ટર્નશીપ પ્રોગ્રામને 2 હજાર કરોડ અપાયા પણ કંપનીઓની એટલે માગ જ નહીં હોય તો આ જાહેરતો કંઇ કામની નથી. ખરીદ શક્તિ ધરાવનારો મધ્યમવર્ગ ગુંચવણમાં છે કારણ કે ખાનગી બચત અને ખરીદી ક્ષમતા પર મળતા લાભ તંગ થઇ ગયા છે. ખાદ્ય પદાર્થો પરની મોંઘવારી આસમાને પહોંચી છે. બજેટ નાગરિકલક્ષી નહીં રાજકારણ લક્ષી છે. મોદી સરકાર મજબૂત છે એવું બતાડવા માટે બનેલું બજેટ મતદાતાઓને નિરાશ કરનારું સાબિત થયું છે. આર્થિક સ્થિતિને કળ વળે એ નહીં પણ રાજકીય લાભ આ બજેટની અગ્રિમતા છે.

બાય ધી વેઃ

કેન્દ્ર સરકાર જે બજેટ જાહેર કરે એમાં આપણે મોટે ભાગે શું આપવું પડશે એની જ યાદી લાંબી થતી હોય એવું લાગે છે. વળી સામાન્ય નાગરિક તરીકે આપણને જ્યારે સારા રસ્તા કે પાણી કે શિક્ષણ કે પછી સ્વાસ્થ્યને લગતી સરખી સેવાઓ ન મળે ત્યારે એમ થાય કે આટલો બધો વેરો ભરવાનો અર્થ શું? એ યાદ રાખવું જરૂરી છે કે આ સવલતો આપણને સ્થાનિક સરકાર – મ્યુનિસિપાલિટી પાસેથી મળવી જોઇએ અને કેન્દ્ર સરકારની એમાં સીધી જવાબદારી નથી. છતાં પણ સર્વાંગી દૃષ્ટિકોણથી જોવા જઇએ તો એક સામાન્ય નાગરિક કેન્દ્ર અને સ્થાનિક સરકારો વચ્ચે પિસાય એ પણ યોગ્ય નથી. આપણે જો આપણી ફરજ પૂરી કરતાં હોઇએ તો આપણને આપણાં અધિકારો મળવા જ જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2024

Loading

બાંગલાદેશમાં ખરેખર દંગા પાછળનો મુદ્દો શું છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2024

રમેશ ઓઝા

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વાઝેદ માટે લગભગ દોઢ દાયકાની સુખશાંતિ પછી બંગલાદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી અનામતની જોગવાઈના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે અને કહેવાની જરૂર નથી કે આંદોલનકારીઓ યુવાનો છે. તાત્કાલિક અને નિમિત્ત કારણ છે અનામતની જોગવાઈ. બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં બે પ્રકારની અનામતની જોગવાઈ છે. એક છે ઇનામી કે કદરદાની અને બીજી છે ન્યાયલક્ષી. ૩૦ ટકા જોગવાઈ ઇનામી કે કદરદાની પ્રકારની છે જે ત્રીજી પેઢીને પણ વારસામાં મળી રહી છે. બીજી ૨૦ ટકા જોગવાઈ એવા લોકો માટે છે જેઓ વિકાસની સીડી પર નીચે છે અને ઉપર ચડાવવા જેમનો હાથ પકડવો જરૂરી છે અથવા જેમનો અવાજ બુલંદ નથી. એમાંની દસ ટકા વાંશિક લઘુમતીઓ માટે છે (જેમ કે ચટ્ટગાંવના પહાડી પ્રદેશના બૌદ્ધ ચકમા) અને દસ ટકા આર્થિક રીતે પછાત જિલ્લાઓ માટે. એક ટકો બેઠકો શારીરિક રીતે વિકલાંગો માટે છે. કુલ મળીને ૫૬ બેઠકો અનામત છે.

આંદોલનકારીઓના નિશાન પર છે, કદરદાનીની ૩૦ ટકાની જોગવાઈ. ૧૯૭૧માં બંગલાદેશ પાકિસ્તાનથી અલગ થઈને આઝાદ થયું એ પછી ૧૯૭૨માં બંગલાદેશના પહેલા વડા પ્રધાન અને એ સમયના નિર્વિવાદ સર્વોચ્ચ નેતા (જેમને અત્યારે બંગલાદેશના રાષ્ટ્રપિતા તરીકે સ્થાપવામાં આવી રહ્યા છે) શેખ મુજીબુર રેહમાને કહ્યું હતું કે જે લોકો જોખમ ઉઠાવીને અને અંગત ભોગ આપીને બંગલાદેશની મુક્તિ માટે લડ્યા હતા તેમની કદર કરવી જોઈએ. ત્યારે એક કાયદો કરીને તેમને માટે અને તેમનાં સંતાનો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી હતી.

દેશ લોહી વહાવીને તાજો આઝાદ થયો હતો એટલે મુક્તિબાહિનીમાં જોડાઈને જે લોકો લડ્યા હતા તેમના માટે લોકોના મનમાં એક આદર હતો. તેમની કદર કરવામાં આવે એ વાતનો ત્યારે કોઈએ વિરોધ નહોતો કર્યો. પણ દરેક વાતનો એક અંત હોય છે અને કદર ક્યાં સુધી કરવાની? વંશજોની પણ કદર કરવાની? પહેલી બે પેઢીની તો કરી, હવે ત્રીજી પેઢીની પણ કરવાની? બીજું બંગલાદેશની આઝાદીની લડત ભારતની આઝાદીની લડત કરતાં સાવ અલગ હતી. ભારતમાં એ લોકોને સ્વાતંત્ર્ય સૈનિકનો દરજ્જો આપવામાં આવ્યો હતો જે લોકોએ કમ સે કમ છ મહિનાની જેલ ભોગવી હોય અને જેલનો રેકર્ડ હોય. બીજું, કદરદાની રૂપે માત્ર તામ્રપત્ર, મફતમાં રેલવે મુસાફરી કરવાનો પાસ અને આજીવન નાણાંકીય પેન્શન આપવામાં આપતાં હતાં. જેલોનો બ્રિટિશકાલીન રેકર્ડ લાવવો જરૂરી હતો એટલે બોગસ સ્વાતંત્ર્ય સૈનિકોની સંખ્યા ઓછી હતી. સામે કોઈ મોટા લાભ પણ નહોતા. આની સામે  બંગલાદેશમાં લાભ મોટો આપવામાં આવ્યો અને કોણ મુક્તિ બાહિનીમાં હતું અને કોણ નહોતું એનો કોઈ રેકર્ડ જ નથી. એમાં પાકિસ્તાનના લશ્કરના આજી-માજી જવાનો હતા, પોલીસદળના આજી-માજી લોકો હતા, આઝાદી માટે લડનારા યુવાનો અને તરુણો હતા વગેરે. રેકોર્ડ કોઈ પ્રકારનો નહોતો. ૧૯૭૨માં જ્યારે પહેલીવાર અનામતની જોગવાઈ આપવામાં આવી ત્યારે જ હોબાળો મચ્યો હતો. મેં ભી ડીચની માફક દરેક પોતાને આઝાદીના લડવૈયા બતાવીને તેમાં ઘૂસવા લાગ્યા હતા. હવે જો આવો કદરદાનીનો સંદિગ્ધ વારસો પચાસ વરસ સુધી, એ પણ ત્રીજી પેઢી સુધી અને એ પણ ઓછો નહીં, ૩૦ ટકા સુધી આપવામાં આવે તો વિરોધ થાય કે ન થાય!

શેખ હસીના વાઝેદ

બંગલાદેશમાં અનામતની જોગવાઈનો જે વિરોધ થઈ રહ્યો છે એ કદરદાનીવાળી જોગવાઈનો વિરોધ થઈ રહ્યો છે, ન્યાયનિષ્ઠ અનામતની જોગવાઈનો વિરોધ નથી થઈ રહ્યો. અલબત્ત થોડા લોકો એવા પણ છે જે બાકીની ૨૧ ટકાની ન્યાયલક્ષી જોગવાઈનો પણ વિરોધ કરી રહ્યા છે. પણ તમે જોયું હશે કે ભારતનાં ગોદી મીડિયા એવી રીતે બંગલાદેશના આંદોલનને રજૂ કરી રહ્યા છે કે જાણે બંગલાદેશમાં સમૂળગી અનામતની જોગવાઈનો વિરોધ થઈ રહ્યો હોય. તેમનો ઉદ્દેશ ભારતમાં અનામતવિરોધી હવા પેદા કરવાનો છે. સાચું કહું, નરેન્દ્ર મોદીને આજ સૌથી વધુ નુકસાન ગોદી મીડિયા પહોંચાડી રહ્યા છે, જે તેમણે પોતે પેદા કર્યા છે. જો બી.જે.પી.ને ચારસો બેઠક મળશે તો તે બંધારણ બદલશે અને અનામતની જોગવાઈ હટાવશે એવી એક ધારણા બની હતી, જેને કારણે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માર પડ્યો હતો. પણ ગોદી મીડિયાને તો ખિસ્સા ભરવા સાથે સંબંધ છે.

પાંચ દાયકાથી સંદિગ્ધ લોકોને ૩૦ ટકા અનામત નોકરીઓ આપવામાં આવી રહી છે તેની સામે લોકોનો અસંતોષ છે. બંગલાદેશની હસીના વાઝેદની સરકારે યોગ્ય રીતે જ ૨૦૧૮ની સાલમાં સ્વાતંત્ર્ય સૈનિકો માટેની અનામતની જોગવાઈ રદ્દ કરી હતી. એ પછી બન્યું એવું કે કેટલાક લોકોએ તે નિર્ણયને અદાલતમાં પડકાર્યો અને રાજશાહીની વડી અદાલતે સરકારના નિર્ણયને ગેર બંધારણીય ઠરાવીને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી લાગુ કરી. આની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી અને સર્વોચ્ચ અદાલતે અનામતનું પ્રમાણ ઘટાડીને પાંચ ટકા આઝાદીના લડવૈયાઓના ત્રીજી પેઢીનાં સંતાનો માટે, એક ટકો વાંશિક લઘુમતી કોમ માટે અને એક ટકો વિકલાંગ માટે એમ કુલ સાત ટકા અનામતની જોગવાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પ્રમાણ ઘટાડ્યું હોવા છતાં પણ આંદોલન શમતું નથી, કારણ કે આઝાદીના લડવૈયાઓની ત્રીજી પેઢીના સંતાનો માટેની પાંચ ટકાની જોગવાઈ પણ બેહુદી છે. હવે તેનો સમૂળગો અંત આવવો જોઈએ.

એની વચ્ચે ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશમાં ત્યાંની લોકસભાની ચૂંટણી યોજાઈ. હવે એ તો તમે જાણતા જ હશો કે બંગલાદેશમાં લોકતંત્ર નામનું છે, દેખાવ પૂરતું છે અને લગભગ એકપક્ષીય છે. બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાનો બંગલાદેશ નેશનાલિસ્ટ પક્ષ લગભગ ખતમ થઈ ગયો છે. આ સિવાય બેગમ ઝિયા બીમાર છે, પુત્ર વંઠેલ છે અને તેઓ પોતે ભ્રષ્ટાચારના સાબિત થઈ ચૂકેલા ગુના માટે જેલ ભોગવી ચુક્યાં છે. આનો લાભ અત્યારના શાસક પક્ષને મળી રહ્યો છે. શેખ હસીના વાઝેદ ૨૦૦૯ની સાલથી બંગલાદેશનાં વડાં પ્રધાન છે અને ગયા જાન્યુઆરી મહિનામાં ચોથી વાર તેમની સરકાર બની છે. જો કોઈ મોટું વિઘ્ન નહીં આવે તો વીસ વરસનો લાંબો તેમનો કાર્યકાળ નીવડશે.

પણ વિઘ્નો છે અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ કદાચ એ વિઘ્નનું પરિણામ છે. પ્રારંભમાં કહ્યું એમ અનામત તો એક નિમિત્ત છે. બંગલાદેશમાં એક વર્ગ એવો છે જે ઈસ્લામને વરેલો છે અને તે એમ માને છે કે બંગાળી અસ્મિતા કરતાં ઇસ્લામની અસ્મિતા સર્વોપરી છે. ઇસ્લામ એક સંપૂર્ણ ધર્મ છે અને બંગાળી હોવાપણું તેમાં સમાહિત છે. ૧૯૭૧માં બંગલાદેશ મુક્તિ સંગ્રામ ચાલતો હતો ત્યારે મોટી સંખ્યામાં ઇસ્લામવાદી બંગાળીઓ સ્વતંત્રતાનો વિરોધ કરતા હતા અને પાકિસ્તાનને મદદ કરતા હતા. ઇસ્લામ સારુ પાકિસ્તાનની રચના થઈ અને બંગાળી ભાષા અને બંગલા અસ્મિતા માટે પાકિસ્તાનનું વિભાજન થાય એ તેમને સ્વીકાર્ય નહોતું. તેમણે પાકિસ્તાનના લશ્કરને મદદ કરી હતી અને એ મદદ કરનારાઓ ત્યારે રઝાકાર તરીકે ઓળખાતા હતા. રઝાકાર અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે, સ્વયંસેવક જે કોઈ ઉદ્દેશ માટે સામેથી વગર વેતને મદદ કરે. હૈદરાબાદના નિઝામે ભારતમાં જોડવા બાબતે આડોડાઈ કરી ત્યારે હૈદરાબાદના કહેવાતા ઇસ્લામિક રાજ્યને ટકાવી રાખવા નિઝામને મદદ કરવા કેટલાક મુસલમાનો આગળ આવ્યા જે રઝાકાર તરીકે ઓળખાતા હતા.

હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારે રઝાકાર નેતાઓ ડરીને પાકિસ્તાન ભાગી ગયા અને બાકીના રઝાકાર મુસલમાનો સમય વર્તીને શાંત થઈ ગયા, પરંતુ બંગલાદેશમાં એવું નથી થયું. ત્યાં આજે પણ ઇસ્લામવાદીઓ સક્રિય છે અને તેઓ એમ ઈચ્છે છે કે બંગલાદેશ બંગાળી દેશ નહીં, પણ ઇસ્લામિક દેશ હોવો જોઈએ. છેલ્લાં વર્ષોમાં તેમની પ્રજાની અંદર સ્વીકૃતિ વધી રહી છે અને આજે જે મઝહબી સ્વીકૃતિ છે એ આવતીકાલે રાજકીય સ્વરૂપ પણ લઈ શકે છે. શેખ હસીનાને આ વાતનો ડર છે. એટલે જ્યારે સાવ નાબૂદ કરવામાં આવેલી અનામતની જોગવાઈને પાંચ ટકા કરીને સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી એ જોઇને શેખ હસીના ગેલમાં આવી ગયાં હતાં. એક તો ચૂંટણીમાં ત્રીજી વાર વિજય અને ઉપરથી અનામતની જોગવાઈને મળેલી મંજૂરી. વિરોધીઓને ભૂંડા લગાડવા તેમણે કહ્યું કે “દેશને આઝાદી અપાવનારા નરબંકાઓનાં સંતાનોને અનામત નહીં આપી એ તો શું રઝાકારોના સંતાનોને આપશું?”

આપણે ત્યાં જેમ હિન્દુત્વવાદીઓ હિંદુઓનું દેશપ્રેમી અને દેશદ્રોહી એવું વિભાજન કરે છે એમ બંગલાદેશમાં શેખ હસીના બંગાળીઓનું સાચા બંગાળી અને રઝાકાર બંગાળી એવું વિભાજન કરે છે. ૨૦૦૯થી જ્યારે પણ મોકો મળે ત્યારે રઝાકારોને નીંદવાનો અને દંડવાનો મોકો તેઓ ચૂકતા નથી. બંગલાદેશ આઝાદ થયું એ પછી ચાલીસ વરસે રઝાકારોને મૃત્યુદંડ આપવાની ઘટના પણ બની છે. પણ આ વખતે રઝાકારની રમત ઊંધી પડી રહી છે. ક્યાં સુધી ડરાવીને રાજ કરશો? ક્યાં સુધી કોઈના પર ગદ્દારીના લેબલ ચોડીને રાજ કરશો? ક્યાં સુધી ઠેકેદાર બનીને રાજ કરશો? દરેક રમતનો અંત હોય છે અને શેખ હસીનાનાં બંગાળી અસ્મિતાના રાજકારણનો પણ કદાચ અંત આવી રહ્યો છે.

રોજગારી વિનાની બંગાળી અસ્મિતા શા કામની? યુવાનોનો આ સવાલ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2024

Loading

...102030...617618619620...630640650...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved