Opinion Magazine
Number of visits: 9736392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાઈવસી કેમ જરૂરી છે – ભલે તમારી પાસે છુપાવવા જેવું કશું ન હોય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 December 2025

રાજ ગોસ્વામી

ટેકનોલોજીના આવ્યા પછી, દુનિયાભરમાં લોકોની પ્રાઈવસીને લઈને સવાલો વધી ગયા છે. તાજેતરમાં ભારત સરકારની ‘સંચારસાથી’ એપને લઈને દેશભરમાં ભયાનક હોબાળો થયો અને સરકારે તેના ‘ફરજિયાતપણા’ અંગે ખુલાસો કરવો પડ્યો, તે બતાવે છે કે ભારતના લોકો પણ આ બાબતને લઈને કેટલા સંવેદનશીલ છે. દુનિયાની અનેક કંપનીઓ લોકોના પ્રાઈવેટ ડેટા ‘ચોરવા’નું કામ કરતી હોય છે, અને ભારત સરકાર તો ઊલટાની તે ડેટાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.

જો કે દેશમાં એક વર્ગ એવું પણ માને છે કે ‘તમારી પાસે કશું છુપાવા જેવું ન હોય, તો ડરવાનું શું કારણ છે?’ આ તર્કમાં એવો અર્થ અભિપ્રેત છે કે જે લોકો ‘ચોખ્ખા’ નથી અથવા જે લોકો ‘આપરાધિક’ કામો કરે છે તેમને જ પ્રાઈવસીના ઉલ્લંઘનની ચિંતા હોય છે.

આ વાસ્તવમાં કોઈ ઉચિત તર્ક નથી – બલકે કુતર્ક છે અને આત્મસંતોષ માટે છે. સૌથી પહેલાં તો, પ્રાઈવસી ‘ખોટું કામ છુપાવવા માટે’નું સાધન નથી. દરેક વ્યક્તિના જીવનમાં એવી બાબતો હોય છે, જેને તે સાર્વજનિક કરવા ન ઇચ્છતા હોય – જરૂરી નથી કે તે અપરાધ હોય કે અનૈતિક હોય કે સમાજ વિરોધી હોય. 

દાખલા તરીકે, સ્વાસ્થ્યને લઈને તમને શું સમસ્યાઓ છે, તમે કેવાં પુસ્તકો વાંચો છો, તમારા અંગત શોખ શું છે, તમારા સંબંધોમાં કેવી ગડબડ છે, આ બધું પ્રાઈવસીના દાયરામાં આવે છે. તમે ન ઇચ્છો કે તમે બીજા લોકોને તેની જાણ કરો, અને જાણ કરો તે પણ તમારી ઇચ્છા અનુસાર હોવું  જોઈએ. કોઈ સોફ્ટવેર તમારા ફોન કે કોમ્પ્યુટરમાં બેસીને રોજે રોજની ડાયરી બનાવે એ તમને મંજૂર હોય?

તમે જેવું ‘કશું છુપાવવા જેવું નથી’ કહીને દરવાજા ખોલી નાખો છો, તો તમે ધીમે ધીમે તમારી પ્રાઈવસીના અધિકારને છોડવાનો સંકેત આપો છો. બેશક, તમે તમારી કોઈ અંગત બાબત કોઇથી છુપાવી નથી, પણ શું તમે બીજાઓને એ અધિકાર આપી દીધો છે કે તે તમારી દરેક નાની-મોટી અંગત બાબતો એકઠી કરીને તેનું પિષ્ટપેષણ કરે? કદાચ તમારી અનુમતિ વગર?

કોઈ તમારી પર જબરદસ્તીથી નિગરાની રાખે, તમારી દરેક ગતિવિધિ જોયા કરે (ભલે તમે ખોટું ન કરી રહ્યા હોવ), ત્યારે પણ તમારી પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. આ એક સંવેદનશીલતાનો પ્રશ્ન છે, કારણ કે ‘તમે જોવામાં આવી રહ્યા છે’ એવો અહેસાસ તમારા આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાને દબાવે છે. 

ક્યારેક, એવી વ્યક્તિગત માહિતીઓ, જેને આપણે સામાન્ય સમજીએ છીએ – જેમ કે પુસ્તકોની પસંદગી, શોપિંગ, દવાઓ – જો મોટા ડેટાબેસમાં જોડાઈ જાય, તો તેનો અર્થ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તાજેતરમાં કેન્સર વિશેનાં પુસ્તકો ખરીદ્યાં હોય, અથવા દવાઓ લીધી હોય, તો તેનો એવો સંકેત જાય છે કે તમે સ્વાસ્થ્ય બાબતે સંઘર્ષ કરી રહ્યા છો. બીજાને આ ખબર પડે તેવું તમે ઇચ્છો?

તે ડેટા જે તમે કોઈ ઉદ્દેશ્ય માટે આપ્યો હતો, તે અન્ય કોઈ ઉદ્દેશ્ય માટે પણ વપરાઈ શકે છે, અને શક્ય છે તમારી તેમાં સહમતી ન હોય. એટલે, પ્રાઈવસીનું મહત્ત્વ કેવળ ‘ખોટા’ કામને છુપાવવા માટે નથી હોતું, તે તમારા આત્મ-નિર્ણય, તમારી અંગતતા, તમારી ગરિમા અન તમારી આઝાદીની  ગૌરવ રક્ષા માટેનું સાધન છે. પશ્ચિમના દેશોમાં આને લઈને બહુ ચર્ચા-વિવાદ થાય છે કે જ્યારે સરકાર અથવા મોટી સંસ્થાઓ – ભલે તે ટેક કંપનીઓ હોય કે ગુપ્તચર એજન્સીઓ હોય – એકત્રિત માહિતીઓને સંઘરવા લાગે છે, ત્યારે શક્તિનું અસંતુલન ઊભું થાય છે.

તે પછી તેમના પર વધુ પડતી નિર્ભરતા આવી જાય છે કે તેઓ તેમનો ડેટા સુરક્ષિત રાખે. જો કોઈ કારણવશ ડેટા લીક થઇ જાય તો કોઇપણ વ્યક્તિની અંગત જાણકારી સાર્વજનિક થઇ જાય છે. 2025ની શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે આઈ,આઈ,ટી, – રૂરકીના લગભગ 30,000 વિદ્યાર્થીઓ અને એલુમનાઈનો ખાનગી ડેટા – જેમ કે સંપર્કની વિગતો, જાતિ, આર્થિક માહિતી વગેરે – ઘણાં વર્ષોથી ઓનલાઈન ઉપલબ્ધ છે.  

અર્થાત વિદ્યાર્થીઓનો ભૂતકાળ, તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ, તેમની સંવેદનશીલ માહિતી, બધું જાહેર થઈ ગયું, શક્યતઃ તેમની અનુમતિ અથવા જાગરૂકતા વગર.

2025નો રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં ‘ડેટા ભંગ’ની સરેરાશ કિંમત 22 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે! સાથે જ, એક અન્ય સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે 87% ભારતીયોને ડર છે કે તેમનો ખાનગી ડેટા પહેલેથી જ જાહેર અથવા લીક થઈ ગયો છે – લોકો ચિંતિત છે કે તેમની આધાર કાર્ડ, પાન કાર્ડ, અને અન્ય અંગત માહિતી અસુરક્ષિત હોઈ શકે છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે ડેટા રાખનારા સંસ્થા – ભલે તે શૈક્ષણિક સંસ્થા હોય, કંપનીઓ હોય, કે સર્વિસ-પ્રોવાઈડર હોય – જો તેઓ તેના પર નિયંત્રણ અથવા સુરક્ષા ન રાખે, તો કોઈને પણ નુકસાન થઈ શકે છે, ભલે તે વ્યક્તિ સામાન્ય હોય અથવા ‘કંઈ છુપાવવા જેવું ન હોય.’

ભારતમાં હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025 (2025) જાહેર થઇ ચુક્યા છે, જેને ડેટાની સુરક્ષાના પ્રથમ મજબૂત પગલાં તરીકે જોવામાં આવે છે. પરંતુ, ઘણા નિષ્ણાતો અને વપરાશકર્તાઓ કહે છે કે ‘કાયદો તો છે – પરંતુ તેની પર વિશ્વાસ કરવો હજુ મુશ્કેલ છે, કારણ કે ડેટા પ્રોસેસિંગ, ઉપયોગ, અને સુરક્ષાના વ્યવહારિક પડકારો હજુ યથાવત છે.’

પ્રાઈવસી કેવળ ખોટું કરતા લોકોના હક્ની વાત નથી, તે દરેક નાગરિકનો અધિકાર છે. જો આપણે પ્રાઈવસીને જતી કરીએ છીએ, તો આપણે ખાલી આઝાદી જ જતી નથી કરતા, પરંતુ એવી દુનિયા માટે દરવાજા ખોલી દઇએ છીએ જ્યાં દરેક પગલે આપણી દરેક ગતિવિધિ સંસ્થાઓ કે કંપનીઓના હાથમાં હોય છે.

તો, ભલે તમે એમ માનતા હોવ કે તમારી પાસે છુપાવવાનું કંઈ નથી, પરંતુ તેમ છતાં પણ પ્રાઈવસી તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રાઈવસી કંઇક અંશે ‘પર્યાવરણ’ જેવી છે; તેમાં એટલી બધી બાબતોનું મિશ્રણ હોય છે તે ક્યારેક ધૂંધળી થઈ જાય છે, અને પરિણામસ્વરૂપ દરેક નાની-નાની સુવિધાઓ અથવા લાલચોના કારણે તે કચડાતી જાય છે. તેનું પરિણામ એક એવી દુનિયાના રૂપમાં સામે આવે છે જે બગડેલી, કઠોર અને આપણી વિરુદ્ધ થઇ ગયેલી હોય છે – એવી દુનિયા, જે આપણે પસંદ નથી કરી પણ તેનાં દૂરગામી પરિણામો આપણને પહેલેથી જ સાફ-સાફ દેખાઈ જાય છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે !

રમેશ સવાણી|Opinion - Opinion|28 December 2025

પ્રતાપ ભાનુ મહેતા

27 ડિસેમ્બર 2025ના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે, ‘અચ્યુત યાજ્ઞિક સ્મૃતિ વ્યાખ્યાન’માં પ્રતાપ ભાનુ મહેતાએ ‘સિવિલાઇઝેશન’ (સભ્યતા) અને ‘સિવિલાઇઝેશનલ સ્ટેટ’ની વાત કરી. 

તેમણે કહ્યું કે ‘સિવિલાઇઝેશનલ સ્ટેટ’ યુરોપથી આવેલા ‘નેશન સ્ટેટ’થી પણ આગળનું પગથિયું છે, જેમાં પોતાની જૂની સભ્યતાને જ કેન્દ્રમાં રાખવાની અને આધુનિક નેશન સ્ટેટનાં બંધારણથી માંડીને બીજાં બધાં અંગોને ગૌણ ગણવાની વાત હોય છે. સિવિલાઇઝેશનલ સ્ટેટ ભૂતકાળની સભ્યતાની મૂડી લઈને આગળ નથી વધતું; તે ભૂતકાળમાં જ ગોંધી રાખવા ઇચ્છે છે. 

આમ તો એવું થાય કે જૂની સભ્યતાને કેન્દ્રમાં રાખવામાં વાંધો શો છે? પણ વાંધો એ છે કે સભ્યતા એટલે શું? તે નક્કી કરવાની આપખુદશાહી સત્તા કેવળ સત્તાધીશ પાસે હોય છે, જે નેશન સ્ટેટના માળખા પ્રમાણે ચૂંટાઈને આવે છે, પણ ત્યાર પછી એ માળખાને બદલે સભ્યતાની સગવડિયા માળા જપે છે. હકીકતમાં તેને સભ્યતાના બહાને પોતાની સત્તા ટકાવવા-વધારવામાં જ રસ હોય છે. અમુક હજાર વર્ષની સભ્યતાના એક માત્ર પ્રતિનિધિ અને તેના અર્થઘટનનો ઇજારો ધરાવતા જણ તરીકે શાસકો બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સહિતની બધી જ બાબતોનો છેદ ઉડાડતા જાય છે. 

શરૂઆતમાં તે લોકસમર્થન(ચૂંટણીમાં મળેલા મત)ના જોરે પોતાનો દંડો પછાડતા હોય છે, પણ પછી તો તેનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે અને મુખ્ય જોર ‘અમુક હજાર વર્ષ જૂની સભ્યતાના એકમેવ પ્રતિનિધિ’ તરીકેનું જ બની જાય છે. તેના જોરે તે ગમે તેવાં બિનલોકશાહી, સરમુખત્યારી પગલાં પણ સભ્યતાને આગળ કરીને લોકોના માથે મારી દે છે. 

અત્યારની સરકાર અને RSS; મુસ્લિમ આક્રમણ, અંગ્રેજોનું આક્રમણ અને નહેરુ સરકાર — આ ત્રણને આપણી જૂની સભ્યતામાં પડેલાં મોટાં ભંગાણ માને છે (જે તેમનું સગવડિયું અને ઐતિહાસિક – તથ્યાત્મક રીતે ટકી ન શકે એવું વિકૃત અર્થઘટન છે.) એટલે તેને ભૂંસવા માટે તે બધા પ્રયાસ કરે છે. (અત્યારના ભાઈલોગના કહેવાતા સભ્યતા-પ્રેમમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખીએ તો શું બચે, એ વળી અલગ સવાલ છે.)

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે. કારણ કે હિંદુત્વે હિંદુ ધર્મને કોલોનાઇઝ કર્યો છે. ગુજરાતીમાં કહીએ તો, હિંદુત્વે હિંદુ ધર્મને બથાવી પાડ્યો છે.

આપણા બંધારણમાં આણેલાં મૂલ્યો વિશે ડાબેરીઓ અને જમણેરીઓ એવી ટીકા કરતા રહ્યા કે આ બધાં ઉછીનાં પશ્ચિમી મૂલ્યો છે. તેની સામે, આ મૂલ્યો હકીકતમાં ભારતીય સભ્યતામાંથી જ આવેલાં છે – એ હકીકત ભારપૂર્વક સ્થાપિત કરી શકાઈ નહીં. 

આખું વ્યાખ્યાન બાકાયદા પોલિટિકલ સાયન્સના લેક્ચર જેવું હતું, એ તેની ખૂબી તરીકે, અને મર્યાદા તરીકે પણ, કહી શકાય. 

[સૌજન્ય : ઉર્વીશ કોઠારી]
28 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિનોદ કુમાર શુક્લઃ એ માણસ જેણે ભીંતોમાં બારીઓને જીવાડી અને ક્ષણોનાં પંખી પસવાર્યાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 December 2025

સત્તા, પ્રસંશા અને મોહથી ઘેરાયેલા સાહિત્યિક વિશ્વમાં વિનોદ કુમાર શુક્લના શાંત અવાજની આજે પહેલાં કરતાં વધુ જરૂર છે

વિનોદ કુમાર શુક્લની એક કવિતા છે;

हताशा से एक व्यक्ति बैठ गया था


व्यक्ति को मैं नहीं जानता था


हताशा को जानता था 


इसलिए मैं उस व्यक्ति के पास गया


मैंने हाथ बढ़ाया


मेरा हाथ पकड़कर वह खड़ा हुआ 


मुझे वह नहीं जानता था


मेरे हाथ बढ़ाने को जानता था


हम दोनों साथ चले 


दोनों एक दूसरे को नहीं जानते थे


साथ चलने को जानते थे।

આ કવિતાની સરળતા ભ્રામક છે પણ તેમાં રહેલી લાગણીઓ માણસની અંદર કંઇ તોડી નાખે તેવી, ઢંઢોળી નાખે તેવી છે – આ સાદગી જ તેની વંટોળિયા સમી તાકાત છે અને આ અને આવાં અનેક કારણોને પગલે સમજી શકાય કે વિનોદ કુમાર શુક્લ શા માટે હિન્દી સાહિત્યના સૌથી અનોખા લેખકોમાંના એક બન્યા. મંગળવારે, રાયપુરમાં 89 વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યારે હિન્દી સાહિત્યએ માત્ર એક લેખક નહીં, પણ દુનિયાને જોવાનો એક દૃષ્ટિકોણ ગુમાવ્યો – એવો દૃષ્ટિકોણ જે સાધારણ બાબતોના ગુંજનને એક કળી ન શકાય તેવા મહત્ત્વ સાથે ગણગણી શકતો.

1 જાન્યુઆરી 1937ના રોજ છત્તીસગઢના રાજનંદગાંવમાં જન્મેલા વિનોદ કુમાર શુક્લએ સાહિત્યિક વર્તુળોથી દૂર રહેવાનો એક સજાગ નિર્ણય લીધો હતો. તેમને મોટા શહેરો, દોડતી ભીડ, ઠઠ્ઠા મશ્કરી કરતાં લોકો, એકબીજાને વખાણતાં લોકો, ધીમા અવાજે સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરતાં લોકો, માણસોમાં જીતવાની લાગણીની હાંફતી સ્પર્ધાની દુનિયા માફક નહોતી આવતી. તેમણે ખેતીવાડીની તાલીમનું શિક્ષણ લીધું હતું – જબલપુરથી એમ.એસસી. કરનારા વિનોદ કુમારે નિવૃત્ત થયા તે પહેલાં ગ્રામીણ સમુદાયોને ખેતીની તકનીકો શીખવી હતી. મૂળિયાંસોતા જીવવું એક સભાન પસંદગી હતી, કોઈ પ્રાદેશિક મર્યાદા નહોતી. તેમણે એકવાર કહ્યું હતું કે, ‘સ્થાનિક બન્યા વિના હું સાર્વત્રિક નથી બની શકતો.’

તેમનું રાયપુર, તેમનું નાનકડું છત્તીસગઢ તેમના આગવા પ્રયોગો અને શાંત ક્રાંતિનો મંચ બન્યું. મૂશળધાર શબ્દો અને રાજકીય વાકબંધના વજનમાં રચાતા હિન્દી સાહિત્યના વિશ્વમાં વિનોદકુમાર શુક્લ એવા વાક્યો, એવા શબ્દો લઇને આવ્યા જેમાં વધારાનું કોઈ વજન નહોતું.

સાહિત્યિક ટીકાકારો તેમના કામનું વર્ગીકરણ નહોતા કરી શકતા, તેને કઇ શ્રેણીમાં મૂકવું તે કળવું તેમને માટે મુશ્કેલ હતું. ‘મેજિકલ રિયાલિઝમ’ શબ્દનો ઉપયોગ ઘણીવાર કરાયો પણ તે હંમેશાં બંધબેસે તેવું ય નથી થતું. વિનોદ કુમાર શુક્લનું જાદુ, ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝના ‘વન હન્‍ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ’નાં પીળાં પતંગિયાં કે પછી સલમાન રશ્દીના ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’થી સાવ વિપરીત છે. તેમની રચનાઓનું જાદુ ધામધુમથી પોતાની હાજરી નથી નોંધાવતું પણ વાસ્તવિકતા ધીરે ધીરે હકીકતની મર્યાદાઓ પાર કરે છે, સરિયલ (Surreal) તરફ જાય છે; જેમ કે, દીવાલમાં જીવતી બારી, વૃક્ષમાં જીવતો ઓરડો, ગરમ ઊની કોટ પહેરીને ચાલી નિકળતો વિચાર.

તેમના ગદ્ય સર્જનો વિશે અનુવાદકોનું કહેવું હતું કે તેમનાં લખાણોમાં પરિચિત હોય, જે વિશે ખબર હોય તેવી સાધારણ બાબત પર એટલું ધ્યાન કેન્દ્રિત કરવામા આવતું કે તેમાં એક અજીબ વિચિત્રતા ભળતી અને તે સાવ ઓળખાય તેવું, નજીકનું હોવા છતાં તે અપરિચિત લાગતું. કવિ રાજેશ જોશીએ તેમની આ શૈલી વિશે એમ ટાંક્યું હતું કે, “વિનોદ કુમાર શુક્લએ હિન્દી સાહિત્યનું પરંપરાગત માળખું તોડી નાખ્યું.” કુમાર અંબુજે તેમના અવસાન બાદ લખ્યું કે, “તેમનું જવું હિન્દી સાહિત્યના શુક્લ પક્ષનો અંત છે.”
સત્ય સરળ અને વિચિત્ર છે : વિનોદ કુમાર શુક્લ એ રીતે લખતા જાણે તે પહેલીવાર ભાષા શોધી રહ્યા છે, દરેક શબ્દનું વજન, તેનું બંધારણ ચકાસતા હોય તે રીતે તે કસોટી કરીને પછી તે શબ્દને પોતાના વાક્યમાં પ્રવેશવાની મંજૂરી આપતા. તેમને વાંચવા માટે વાચકે પહેલાં તો પોતાની સાહિત્યિક અપેક્ષાઓનું સંતુલન કરવું પડે. તેમના વાક્યો ત્યાં સુધી જ સરળ લાગે છે જ્યાં સુધી તમે પોતે એવું કંઇક લખવાનો પ્રયાસ ન કરો.

1979માં પ્રકાશિત ‘નૌકર કી કમીઝ’, હિન્દી સાહિત્ય, ફિક્શન શ્રેણીમાં તેમનું પહેલું પુસ્તક, આજે પણ સૌથી પ્રભાવી ડેબ્યુ (પ્રથમ પ્રયાસ) ગણાય છે. આઝાદી પછીના શરૂઆતી વર્ષોમાં એક સાધારણ સરકારી કારકુન વર્ગ અને માન-અપમાનની ગૂંચમાં પોતાનો રસ્તો કેવી રીતે કરે છે તેની વાત કરે છે. આ વાર્તામાં કોઇ પરંપરાગત વાસ્તવવાદ અને સમાજની વાત નથી. નવલકથા વાત કરે છે કે માણસ પોતાના પહેરેલાં કપડાં કાઢે તે પહેલાં તેને ગરીબી નિર્વસ્ત્ર કરે છે, કે પછી કપડાં બદલાશે તો ઓળખ પણ બદલાશે. આ વાર્તા આપણને કહે છે કે શાલીનતા કે ગૌરવ એક પરફોર્મન્સ છે, એક દેખાડો છે જે ઊંચ-નીચના ને દેખાતા માંચડાઓ પર ઊભેલા સમાજમાં ટકી જવા માટે જરૂરી છે.

પુસ્તકનો વાર્તાકાર નોંધે છે કે બૌદ્ધિક ગલગલિયાં ભૂખ્યા માણસને હસાવશે; કમનસીબે ભારતમાં લાખો લોકો આ બૌદ્ધિક ગલગલિયાંના ખેલનો શિકાર છે. 1979માં જે લખાયું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે.

સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નવલકથા, ‘દીવાર મેં એક ખિડકી રહતી થી’માં શાળાના શિક્ષક રઘુવર પ્રસાદ અને તેમની પત્ની સોંસીની વાત છે, એવા પાત્રો જે વર્તમાનમાં એવું વસ્યા છે કે એમ લાગે જાણે ભવિષ્ય સ્થગિત છે. “આજની સવાર”થી શરૂ થતી વાર્તા બસ એ સવારમાં જ રહે છે. બારીમાંથી દેખાતાં વૃક્ષો ‘આજનાં વૃક્ષો’ છે. પ્રિયજન સામેની દરેક નજરમાં કંઇક એવું દેખાય છે જે પહેલાં નહોતું દેખાયું. વિનોદ કુમાર શુક્લના હાથમાં સમય શાશ્વત, તદ્દન કામચલાઉ અને કોઇ રબરબેન્ડની માફક ખેંચી-તાણી શકાય એવો બની જાય છે.

માર્ક્સવાદી ટીકાકારોએ પહેલાં તો નવલકથામાં રાજકીય સંલગ્નતા ન હોવાથી તેને જાકારો આપ્યો, નકારી કાઢી. તેઓ એ ચૂકી ગયા કે વિનોદ કુમાર શુક્લનું રાજકારણ નાની બાબતો પર ધ્યાન આપવાના નીતિશાસ્ત્રમાં સમાયેલું હતું. તેમણે નાના શહેરના શિક્ષક અને તેની પત્નીની જિંદગીને પણ એ ચકાસણી કે અવલોકનને લાયક ગણાવ્યા જે અવલોકન મોટે ભાગે સત્તા ધરાવતા કે આર્થિક રીતે શક્તિશાળી લોકો પૂરતું મર્યાદિત રહ્યું હતું.

લેખકને અંગત રીતે મળનારા લોકોએ તેમને વિશે ખૂબ નમ્રતાથી વાત કરી. તે કોઈ સોશ્યલ મીડિયા પર નહોતા, તેમને ટેકનોલૉજી માફક ન આવતી. એક જૂજ ઘટના ગણાય તેવા એક ઓનલાઇન સેશનમાં તેમણે કબૂલ્યું હતું કે, “કહેવા માટે ઘણું છે, બધું એટલું વેરવિખેર છે કે હું પોતે તે બધું એકઠું નહીં કરી શકું.” જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા તે છત્તીસગઢના પહેલા લેખક હતા અને તેમણે ટિપ્પણી કરી હતી કે, “મેં ઘણું જોયું છે, ઘણું સાંભળ્યું છે, અને ઘણું અનુભવ્યું છે પણ હું થોડું જ લખી શક્યો છું.”

આ કોઈ ઉપરછલ્લી નમ્રતા નહોતી પણ એવા લેખકના શબ્દો હતા જે સમજતા હતા કે અભિવ્યક્તિ કરતાં અનુભવ વધારે હોય છે. એંશીની વયે પહોંચ્યા પછી પણ તે રોજના સાતથી આઠ કલાક કામ કરતા, તેમની ઘરડી આંખો થાકી જતી તો તેમનાં પત્ની તેમનું બોલેલું ટાઇપ કરતાં. તેમના લખાણોમાં રહેલા જાદુ તત્ત્વ વિશે જ્યારે પુછાયું હતું ત્યારે તેમણે એમ જવાબ વાળેલો કે, “જિંદગી પ્રત્યેના તમારા પ્રેમમાં જાદુ અને આનંદ તમને મળી આવે છે.”

તેમને આંતરરાષ્ટ્રીય સાહિત્યિક પ્રવાહોનો બહુ પરિચય નહોતો, તે માત્ર હિન્દીમાં વાંચતા છતાં પણ 2023 PEN / નાબોકોવ એવોર્ડ ફોર અચીવમેન્ટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર મેળવનારા તે પહેલાં ભારતીય લેખક બન્યા. વિનોદ કુમાર શુક્લની પ્રાંતિય ભૂગોળમાં જીવતા અનેક સ્તરો, વાર્તાઓ બાબતો એવોર્ડ કમિટિની આંખે ચઢ્યા, લેખકની સ્થાનિક દૃષ્ટિની સાર્વત્રિકતાની સિદ્ધિ તેઓ કળી શક્યા.

તાજેતરમાં એવા સમાચાર આવ્યા કે તેમના પુસ્તક ‘દીવાર મેં એક ખિડકી રહતી થી,’ની છ મહિનામાં નેવું હજાર નકલો વેચાઈ જેની રોયલ્ટી ૩૦ લાખ જેટલી થઇ. હિન્દી પ્રકાશન વર્તુળોમાં હલચલ થઇ ગઇ. વાચકો સાહિત્યને નામે થતા દેખાડા, રાજકીય ઝૂકાવોથી કંટાળ્યા હોવાનો આ પુરાવો હતો. વિનોદ કુમાર શુક્લના લખાણોમાં વિલંબિત તાલમાં જિદંગીનું થતું ઉત્ખનન, સાધારણની મહાનતા અને કોમળ નજરથી જોવાતી દુનિયા વાચકોને પોષણ આપનારી સાબિત થઇ. તે ધીરજથી ક્ષણોમાં રહી શકતા જ્યારે બીજા લેખકોનાં કામોમાં આ મામલે ઉતાવળ વર્તાતી રહી છે.

ઘણાં યુવાન હિન્દી લેખકો પર તેમના કામનો પ્રભાવ છે, જેનો સ્વીકાર પણ બહુ કરાતો નથી. તેમનાં લખાણોએ શીખવ્યું કે વાક્યો સરળ અને અખૂટ બંને હોઈ શકે છે. ઓછું હોવાનો અર્થ લાગણીઓની ગરીબી નથી થતો, અને જેમાં કંઇ ખાસ છે જ નહીં તેની પર ધ્યાન આપવું એ એક આગવું રાજકારણ છે.

આપણો દેશ ચળકાટ, ઘોંઘાટ, અનિષ્ટથી ખદબદતા ભવિષ્ય તરફ દોડી રહ્યો છે ત્યારે ક્ષણોમાં જીવાડતું વિનોદ કુમાર શુક્લનું સાહિત્ય, આજનાં વૃક્ષો, આજની સવાર અને આજની કડીઓ પર ધ્યાન આપવા કહે છે – આપણે ભવિષ્ય પાછળ દોડવામાં શું ગુમાવી રહ્યા છે તેની આ ચેતવણી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમનાં લખાણોએ વાચકોને નોંધ લેતા શીખવ્યું, બારી કોઈ બાકોરું નથી પણ એક રહેવાસી છે, તેની આગવી ઓળખ છે. તેમનાં લખાણો એ શીખવ્યું કે અંધારામાં હાથ લંબાવાયો છે એ પારખવું, એ હાથ કોનો છે તે જાણવાના મોહ કરતાં વધારે અગત્યનું છે.

વિનોદ કુમાર શુક્લએ એકવાર કહ્યું હતું કે જ્યારે તેઓ લખવા બેઠા હતા ત્યારે મનમાં એક જાણીતું પક્ષી આવ્યું, લખવાની ક્રિયા એ મનમાં રહેલા પંખીને મુક્ત કરવાનો તેમનો પ્રયાસ હતો. ઘણીવાર તેઓ શરૂ ન કરતા ત્યાં સુધી તે પોતે પણ ન જાણતા કે તે શું લખશે? લખવાની પ્રક્રિયાને શરણે જવું, તેને સમર્પિત થવું, ભાષા જ્યાં લઇ જાય ત્યાં તેને અનુસરવાની તેમની આ ઇચ્છાએ આધુનિક હિન્દી સાહિત્યમાં અવિસ્મરણીય ગદ્યો સર્જ્યાં.

એ પંખી હવે મુક્ત છે. પરંતુ એ પંખીને રહેવા માટે વિનોદ કુમાર શુક્લએ જ નવલકથાઓ, કવિતાઓ અને વાર્તાઓ રચ્યાં એ તમામ મનના પંખીને આવકારતા આમંત્રણો છે. તેમાં પ્રવેશ કરવો એટલે એ શોધવું કે વાસ્તવિકતા આપણે કલ્પી હતી તેના કરતાં વધુ વિચિત્ર અને નાજુક છે, એ શોધવું કે લંબાવેલો હાથ નિરાશા દૂર કરી શકે છે, કે ઓળખાણ વિના સાથે ચાલવું પણ આગવી સમજણ રચે છે.

બાય ધી વેઃ

સત્તા, પ્રસંશા અને મોહથી ઘેરાયેલા સાહિત્યિક વિશ્વમાં વિનોદ કુમાર શુક્લના શાંત અવાજની આજે પહેલાં કરતાં વધુ જરૂર છે. તેમનું સઘળું કામ એક કપરા સત્યનો પુરાવો છે કે ખરું ધ્યાન, જે ધીરજાવાન, પ્રેમાળ, ઝીણવટભર્યું હોય તે માત્ર સાહિત્યને જ નહીં પણ તમારી આંતરીક સૂધને પણ બદલી શકે છે. આપણી બારીઓમાંથી દેખાતાં વૃક્ષો આજનાં છે, આપણને જેમ વિનોદ કુમાર શુક્લએ શીખવ્યું છે એમ આશ્ચર્ય, અહોભાવ, ચોકસાઈ અને અખૂટ કાળજીથી આપણે ‘આજ’ને, ‘અત્યાર’ને, જોઈશું તો બહેતર જીવીશું. તેમના જ શબ્દોમાં તેમના જવાને વર્ણવીએ તો તેમની રચના ટાંકવી પડે;

वह आदमी नया गरम कोट पहिनकर चला गया विचार की तरह।
रबड़ की चप्पल पहनकर मैं पिछड़ गया।
जाड़े में उतरे हुए कपड़े का सुबह छः बजे का वक़्त
सुबह छः बजे का वक़्त, सुबह छः बजे की तरह।
पेड़ के नीचे आदमी था।
कुहरे में आदमी के धब्बे के अंदर वह आदमी था।
पेड़ का धब्बा बिलकुल पेड़ की तरह था।
दाहिने रद्दी नस्ल के घोड़े का धब्बा,
रद्दी नस्ल के घोड़े की तरह था।
घोड़ा भूखा था तो
उसके लिए कुहरा हवा में घास की तरह उगा था।
और कई मकान, कई पेड़, कई सड़कें इत्यादि कोई घोड़ा नहीं था।
अकेला एक घोड़ा था। मैं घोड़ा नहीं था।
लेकिन हाँफते हुए, मेरी साँस हुबहू कुहरे की नस्ल की थी।
यदि एक ही जगह पेड़ के नीचे खड़ा हुआ वह मालिक आदमी था
तो उसके लिए
मैं दौड़ता हुआ, जूते पहिने हुए था जिसमें घोड़े की तरह नाल ठुकी थी।

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ડિસેમ્બર 2025

Loading

...102030...60616263...708090...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved