Opinion Magazine
Number of visits: 9663186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણ જતન અને વધતા જતા પ્રદૂષણ પ્રત્યેનું દુર્લક્ષ મનુષ્યનો ભોગ લઈ શકે છે, જો આપણે બચવું હશે તો પર્યાવરણનું જતન કરવું જ પડશે!

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|28 November 2025

હિતેશ રાઠોડ

આજકાલ સમાચારોમાં સૌથી પ્રમુખ મુદ્દો દિલ્હીની હવાનો છે. દિલ્હીની હવા હવે શ્વાસમાં લેવા લાયક રહી નથી. સામાન્ય રીતે ‘૦’ થી ‘૫૦’ સુધીના અંક વચ્ચે સારો અને ૫૦થી ઉપર જોખમી ગણાતો વાયુ ગુણવત્તા આંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ દિલ્હીમાં ૪૦૦ અને બીજા ઘણા શહેરોમાં તે ૨૦૦ના આંકને વટાવી ગયો છે. આના પરથી કલ્પી શકાય કે દિલ્હીમાં રાજકારણની હવાની સાથે સાથે વાતાવરણની હવા પણ કેટલી હદે બગડી ગઈ છે! દિલ્હીની હવા હવે પ્રાણવાયુ ગણાય એવી નથી રહી પણ પ્રાણઘાતક કે જીવલેણ બનતી જઈ રહી છે. આ સ્થિતિ એકલા દિલ્હી શહેરની નથી. ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં હવા-પ્રદૂષણની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. હવાનું પ્રદૂષણ તેમ જ બીજા અનેક પ્રકારના પ્રદૂષણોનો તોડ હજી સુધી સરકાર કે પર્યાવરણવિદોને મળ્યો નથી, અથવા તો એમ પણ કહી શકાય કે આ સ્થિતિનો હલ તો હશે પણ એને હલ કરવાની હામ અને ઇચ્છાશક્તિનો અભાવ વર્તાય છે. વિકાસની આંધળી દોટમાં માણસના અસ્તિત્વ સાથે સીધી રીતે સંકળાયેલ બીજી ઘણી બધી બાબતો અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વિકાસ તો પછીનો મુદ્દો છે પહેલા આપણે નાગરિકોને ચોખ્ખી હવા, પાણી અને ખોરાક આપી શકીએ તો પણ ઘણું છે. આ પરિબળોની અવગણના કરીને સાધવામાં આવતા વિકાસનું ટકાઉપણું અને ઉપયોગિતા કેટલી એ મહત્ત્વપૂર્ણ સવાલ છે.

માનવ અસ્તિત્વ સાથે સીધી રીતે સંકળાયેલ આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર પક્ષે હવે વિશ્વ સ્તરીય પર્યાવરણ નિષ્ણાતો, શહેરી વિકાસ ક્ષેત્રના તજજ્ઞો અને સ્થાનિક લોકોને સાથે રાખી સુનિયોજિત રીતે નક્કર પગલાં ભરવાં પડશે. હવામાં પ્રદૂષણ ફેલાવતા તમામ પરિબળો સામે કડક હાથે કામગીરી કરવી પડશે, પછી ભલે એ વિકાસના ભોગે પણ કેમ ના હોય, અન્યથા નજીકના ભવિષ્યમાં બહુ માઠાં પરિણામો ભોગવવાનો વખત આવી શકે છે.

હવાની ગુણવત્તા બગડવા સાથે દેશમાં સતત વકરી રહેલા વિવિધ પ્રકારનાં પ્રદૂષણો માટે કોઈ એક નહિ પણ અનેક કારણો જવાબદાર છે. સામાન્ય રીતે વાહનો, ઉદ્યોગો, કારખાનાઓ અને બીજી અનેક નાની-મોટી ધંધાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઓકવામાં આવતો ઝેરી ધુમાડો, ઝેરી કચરો, જોખમી રસાયણો, કાર્બન, વગેરે, મોટા પાયે પાક તેમ જ બીજા અન્ય કચરાને બાળી નાખવાની પ્રવૃત્તિ, સુવિધાઓના અભાવે લોકો દ્વારા ફેલાવવામાં આવતો કચરો, ચારેબાજુ ઊંચી-ઊંચી ઈમારતોને કારણે અવરોધાતા હવા અને સૂર્યપ્રકાશ, શહેરોમાં સતત ચાલતા રહેતા બાંધકામને કારણે હવામાં સતત ભળતા રહેતા ધૂળના સૂક્ષ્મ રજકણો, વધુ ને વધુ લોકોનું શહેરોમાં સ્થળાંતર, શહેરોની વધતી વસતી, લોકોની લાપરવાહ જીવનશૈલી, વૃક્ષો અને વનરાજીનો નાશ, ખેતીની જમીનનો નાશ, ખેતીની જમીનમાં થતા બાંધકામ, આ બધાં પરિબળો ભેગા મળીને હવા અને પર્યાવરણનાં પ્રદૂષણની પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. આ સ્થિતિ ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં જોવા મળે છે. અમુક ચોક્કસ લોકોના લાભાર્થે શહેરોમાં આડેધડ નગર આયોજન યોજનાને આપવામાં આવતી મંજૂરી, સતત વધતી જતી વસતીના પ્રમાણમાં અપૂરતી પ્રાથમિક સુવિધાઓ જેના લીધે લોકો બિનઆરોગ્યપ્રદ રીત-રસમો અપનાવે છે જેની  વિપરીત અસર હવા અને પર્યાવરણ પર થાય છે. શહેરોમાં અવિચારીપણે કરવામાં આવતાં વિકાસ કાર્યો બીજી અનેક આડઅસરોને જન્માવે છે જેનાં કારણે પ્રદૂષણની સ્થિત વિકટ બને છે. ભવિષ્યનો વિચાર કર્યા વિના વિકાસના નામે મન ફાવે તેમ ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવે છે, જેના પરિણામે હવા, પાણી અને ઘન કચરાના નિકાલને લઈને પ્રદૂષણની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. દિવસે ને દિવસે ખેતીની જમીનનો નાશ બીજી અનેક વણનોતરી સમસ્યાઓ ઊભી કરે છે. 

પરિસ્થિતિ હજી વધુ ગંભીર બને એ પહેલા જો આપણે (સરકાર અને નાગરિકો બંને) આમાંથી કોઈ ધડો નહિ લઈએ અને આપણાં આચરણ, રોજિંદા વ્યવહારો અને જીવનશૈલીમાં પર્યાવરણને સાનુકૂળ ફેરફારો નહિ કરીએ અને પર્યાવરણના જતનની જવાબદારી સામૂહિક રીતે નહિ સ્વીકારીએ, પર્યાવરણને લગતી નીતિઓ અને કાયદાઓનો કડક રીતે અમલ નહિ કરાવીએ તો પર્યાવરણ પ્રત્યેનું આ દુર્લક્ષ જ માનવનો ભોગ લેશે એમાં બેમત નથી. વળી, પર્યાવરણના જતન માટે એકલી હવાની જ વાત શા માટે! દેશના લગભગ તમામ મોટાં શહેરોમાં શુદ્ધ હવા, પાણી અને ખોરાક દુર્લભ બન્યાં છે. હવા, પાણી અને ખોરાક વધુ દૂષિત થવાને કારણે જ જાહેર સ્વાસ્થ્યનું સ્તર કથળ્યું છે. જવાબદારીપૂર્વક કહેવું હોય તો કહી શકાય કે પર્યાવરણને ગંભીર હાનિ પહોંચાડવા માટે આપણે પોતે, આપણા વિરાટકાય ઉદ્યોગો, આપણી લાપરવાહ જીવનશૈલી અને સરકારોની અવિચારી વિકાસ નીતિઓ જવાબદાર છે. વિકાસનો અર્થ એ નથી કે કુદરત નિર્મિત સ્થાયી સૃષ્ટિના ભોગે અવિચારી, અણઘડ અને આડેધડ રીતે તેમ જ પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં લીધા વિના વિકાસનાં કામો કરવામાં આવે. વિકાસ કાર્યો હાથ ધરતી વખતે લોકોની જરૂરિયાતની સાથે સાથે પર્યાવરણ જતન ધ્યાનમાં લેવું પણ એટલું જ જરૂરી છે. વિકાસના નામે ગામ, સીમ, પહાડો, કુદરતી સજીવ-સૃષ્ટિ, વૃક્ષો, વનરાજી, લીલોતરી, તળાવ, કૂવા, નદી-નાળા, સરોવર આ બધાને જે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે એ માટે આપણે બીજા કોઈને દોષ આપી શકીએ નહીં. 

નદીઓનાં પાણીની સુરક્ષા, ખેતીની જમીનની સુરક્ષા, વૃક્ષો અને વનરાજીના જતનને કાયદાથી સુરક્ષા, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર પ્રતિબંધ, બાંધકામ સાઈટો પર કડક પ્રતિબંધો, અમુક ચોક્કસ ઊંચાઈ સુધી જ ઈમારતોને મંજૂરી વગેરે જેવી સીધી કે આડકતરી રીતે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંકળાયેલ બાબતો પર સરકારે લોકભાગીદારીથી નક્કર આયોજન સાથે કામ કરવું પડશે. લોકોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનિવાર્ય અને પર્યાવરણની સુરક્ષા માટેનું સૌથી મોટું પરિબળ એવી ખેતી અને ખેતીની જમીનને બચાવવા માટે સરકારે ચોક્કસ નીતિ ઘડી ખેતી અને ખેડૂતોને રક્ષણ આપવું પડશે.

પ્રદૂષણ ફેલાવવામાં વિરાટકાય ઉદ્યોગો પણ એટલા જ જવાબદાર છે. સરકારે ઉદ્યોગોની સામાજિક જવાબદારી એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નક્કી કરી પ્રદૂષણ નિયંત્રણની જવાબદારી મોટા-મોટા ઉદ્યોગગૃહો પર લાદવી જોઈએ. ઉદ્યોગો ઘણા બધાં સામાજિક-આર્થિક અને માનવીય સંસાધનોનો ઉપયોગ કરે છે તો બદલામાં પ્રદૂષણ સામે સમાજની અને સમાજના સંસાધનો તેમ જ પર્યાવરણ  સુરક્ષાની જવાબદારી એમના માથે નાખવી જોઈએ. જે ઉદ્યોગો આવી જવાબદારી લેવા તૈયાર ન થાય એવા ઉદ્યોગોને તેમની કામગીરી ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહિ, અથવા તો આપેલ મંજૂરી પાછી ખેંચી લેવા અંગે પણ વિચારી શકાય. 

બીજી તરફ લોકોએ પણ હવે સરકાર પર વધુ પડતા નિર્ભર રહેવાને બદલે પોતાના વિવેકબુદ્ધિ અને સમજણપૂર્વક પ્રદૂષણની આ જીવલેણ સમસ્યાના નિરાકરણની દિશામાં સ્વ-સુરક્ષાના ઉપાયો હાથ ધરવા પડશે અને પ્રદૂષણ ફેલાવવામાં પોતે નિમિત્ત ન બને એ સુનિશ્ચિત કરવું પડશે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી અંગત વાહનનો ઉપયોગ ન કરતા જાહેર પરિવહનનો ઉપયોગ, ઘન અને પ્રવાહી કચરાનો સુવ્યવસ્થિત નિકાલ કરવાની સસ્તી, ટકાઉ અને પર્યાવરણને સાનુકૂળ વ્યવસ્થા લોકોએ ભેગા મળીને વિકસાવવી પડશે, નોકરી-વ્યવસાય, બાળકોના શિક્ષણ, અન્ય સુવિધાઓ વગેરે કારણોસર લોકોની શહેરો તરફની આંધળી દોટ શહેરી સમસ્યાઓને વધુ વકરાવે છે. વિકલ્પે શહેર આસપાસનાં નાનાં-ગામોમાં વસવાટ કરવા અંગે પણ વિચાર કરી શકાય. પર્યાવરણ થકી આપણે છીએ પર્યાવરણ આપણા થકી નથી એ સિદ્ધાંતને યાદ રાખીને જ્યાં પણ વસવાટ કરીએ પર્યાવરણને સાનુકૂળ જીવનશૈલી અપનાવવાથી જ પર્યાવરણનું જતન કરી વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવામાં આપણે યોગદાન આપી શકીશું. 

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

ગઢસરાઈથી જાપાન વાયા પેરિસ

સુરેશ જાની|Opinion - Opinion|28 November 2025

ભોપાલની સંસ્થા ભારત-ભવનના સ્થાપક જગદીશ સ્વામીનાથન્‌, આદિવાસી કલાનો અભ્યાસ કરવા મધ્ય પ્રદેશના દિન્દોરી જિલ્લાના પાટણગઢની મુલાકાતે આવ્યા હતા. ત્યાંથી ૨૦ કિલોમિટર દૂર આવેલા ગઢસરાઈ ગામમાં  તેમણે એક ૧૬ વર્ષના યુવાન જાંગડ શ્યામને છાણ અને માટીના ગારાથી લીંપેલ દીવાલ પર ચાકથી ચિત્ર કરતો જોયો. અને એમની ખોજ પૂરી થઈ. તેમણે આ યુવાનને ભોપાલ લાવીને થોડીક વિશેષ તાલીમ આપી. પછી તેને ભારત ભવનના પ્રવેશ પાસેની દીવાલને સુશોભિત કરવાનું કામ સોંપ્યું. અને આ અદ્દભુત રચનાએ આકાર લીધો.

ત્યાર બાદ તો શ્યામનો સૂર્ય સોળ કળાએ ખીલી ઊઠ્યો. બહુ ટૂંકા ગાળામાં તેની ગોંડ કળાની જાણ આખા વિશ્વમાં પહોંચી ગઈ.

જાંગડ શ્યામ (૧૯૬૨ – ૨૦૦૧)

એક ગામના મકાન પર ગોંડ કળા

કરોળિયાના જાળાને કેન્દ્રમાં રાખીને તેણે કેન્વાસ પર બનાવેલ એક ચિત્ર તેના અવસાન બાદ  $ ૩૧,૨૫૦/-માં વેચાયું હતું.

ભારત ભવનમાં કામ શરૂ કર્યા બાદ પાંચ જ વર્ષમાં તેને મધ્ય પ્રદેશનો શિખર-સન્માન એવોર્ડ એનાયત થયો હતો. મધ્ય પ્રદેશની વિધાનસભામાં પણ તેના દીવાલ ચિત્રો મોજૂદ છે. તેણે વિશ્વના ઘણા દેશોની મુલાકાત લીધી હતી, અને તેનાં અઢળક ચિત્રો કલાસંગ્રહકારો અને મ્યુઝિયમોમાં મોજૂદ છે.

ભોપાલમાં તે સ્વામીનાથન્‌ની નજીક જ, પતરાંના એક ઝૂંપડામાં રહેતો હતો. આખા જીવન દરમિયાન તેમની દોરવણી અને સાથ તેને મળતાં રહ્યાં હતાં. પણ પછાત જાતિના હોવાના કારણે તેને સામાજિક મોભો કદી પ્રાપ્ત થયો ન હતો. તેનાં ચિત્રો ખાસ વેચાતાં ન હતાં. આ કારણે તે હમ્મેશ તંગીમાં જ રહેતો. અદ્દભુત આંગળીઓનો આ સ્વામી કમભાગ્યે નાણાં કમાવાની કળામાં કદી માહેર થઈ શક્યો ન હતો.

૨૦૦૧ની સાલમાં જાપાનના તોકામાચી રાજ્યના નિલગતા ખાતે આવેલા મિથીલા મ્યુઝિયમમાં વિશેષ કેળવણી મેળવવા તે ગયો હતો. ફીનાં નાણાં ન હોવાના અને બીજા કોઈક અજ્ઞાત કારણસર કમનસીબે તેણે આત્મહત્યા કરી અને તેના અદ્દભુત જીવનનો અંત આવી ગયો. પણ તેની શૈલી અને કળા જાંગડ કલામ તરીકે ચિરંજીવી બની ગયાં છે.

તેની થોડી કલા કૃતિઓ –

સંદર્ભ –

https://www.mptourism.com/gond-painting-and-the-story-of-jangarh-singh-shyam.html

https://timesofindia.indiatimes.com/india/from-patangarh-to-japan-the-gond-art-that-became-jangarh-kalam-and-the-boy-who-carried-it-to-the-world/articleshow/125504774.cms

https://www.indianmasterpainters.com/artist_des.php?detl=113

e.mail : surpad2017@gmail.com

Loading

ધર્મેન્દ્રનો વિકલ્પ ધર્મેન્દ્ર જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 November 2025

તુમ્હેં જિંદગી કે ઉજાલે મુબારક, અંધેરે હમે આજ રાસ આ ગયે હૈં,

તુમ્હે પા કે હમ ખુદ સે દૂર હો ગયે થે, તુમ્હે છોડ કર અપને પાસ આ ગયે હૈં … (પૂર્ણિમા)

રવીન્દ્ર પારેખ

ગુલઝારના શબ્દો ને કલ્યાણજી આણંદજીનું સંગીત. મુકેશના અવાજમાં ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલું આ ગીત ગમે છે. ફિલ્મમાં, પ્રેમમાં હતાશ ધર્મેન્દ્ર વૃક્ષો વચ્ચેથી ગાતો ગાતો ચાલ્યો જાય છે. તેણે પ્રેમિકા(મીનાકુમારી)ને છોડી દીધી છે, એમ કહેતા કે તને હવે જિંદગીનું અજવાળું મુબારક, અંધારું મને માફક આવી ગયું છે. તને મેળવીને હું પોતાનાથી દૂર થઈ ગયો હતો, હવે તને છોડીને પોતાની પાસે આવી ગયો છું. ધર્મેન્દ્ર અને દેવેન વર્મા અભિનીત એક ફિલ્મ આવેલી, ‘દેવર’. રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પરથી એ ફિલ્મ બનેલી. નાનપણમાં બંને વચ્ચે મૈત્રી હતી, એવાં ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર મોટાં થઈને અજાણતાં જ દિયર-ભાભી બનીને એકબીજાની સામે આવે છે. નાનપણમાં નાનકડી મિત્રને મોઢે સાંભળેલું ગીત ‘દુનિયા મેં ઐસા કહાં સબ કા નસીબ હૈ, કોઈ કોઈ અપને પિયા કે કરીબ હૈ …’ પરણ્યા પછી શર્મિલાને ગાતી સાંભળે છે ને તેને આઘાત લાગે છે કે એ નાનકડી મિત્ર તો ભાભી થઈ ગઈ છે … એ પીડા ધર્મેન્દ્રે તંતોતંત પ્રગટ કરી હતી, ‘આયા હે મુઝે ફિર યાદ વો જાલિમ ગુજરા જમાના બચપન કા …’ (મુકેશ-રોશન) હકીકતે બનેલું એવું કે ધર્મેન્દ્રના આગ્રહથી જ દેવેન વર્મા ધર્મેન્દ્ર માટે છોકરી (શર્મિલા) જોવા ગયેલો ને તેને જ એ ગમી ગઈ, એટલે ધર્મેન્દ્રની બુરાઈ કરીને એ શર્મિલાને પરણી ગયેલો. આ રમતની જાણ થાય છે, ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે, પણ દેવેનને સંભળાવાય છે, ‘બહારોં ને મેરા ચમન લૂંટ કર ખિજાં કો યે ઈલ્ઝામ ક્યૂં દે દિયા ….’(મુકેશ-રોશન). વક્રતા એ છે કે જેની નાનેથી ઝંખના હતી એ શર્મિલા, દેવેનની પત્ની બનીને પાર્ટીમાં એની સાથે બેઠી છે ને એ ચહેરો હસતો રાખીને પોતાની પીડા ગાઈ રહ્યો છે. એક બીજી ફિલ્મ પણ હતી, ‘દિલ ને ફિર યાદ કિયા …’ પ્રિયતમા નૂતન, ધર્મેન્દ્રની જાણ બહાર જ ગુજરી ગઈ છે ને તે રહમાનની સાથે દેખાય છે. તેને એ પોતાની પ્રિયતમા માનીને નજીક જવા કોશિશ કરે છે, પણ એ રહમાનની પ્રિયતમા છે ને રહમાન એ વાત એનાથી સંતાડે છે. નૂતન રહમાનની હોવાથી ધર્મેન્દ્રથી દૂર રહે છે. આ દૂરી ધર્મેન્દ્ર સમજી શકતો નથી ને ગીત ચિત્કારની હદે પ્રગટે છે, ‘યે દિલ હૈ મુહબ્બત કા પ્યાસા ઇસ દિલ કા તડપના ક્યા કહીએ ….’ (મુકેશ, સોનિક-ઓમી)

ધર્મેન્દ્ર

એવી જ પીડા, ‘અનુપમા’ની. આંખોથી જ બોલતી પ્રેમિકા શર્મિલા માટે હેમંતકુમારના સંગીતમાં એમણે જ ગાયેલા ગીતમાં, એક પાર્ટીમાં ધર્મેન્દ્ર આમ વ્યક્ત કરે છે, ‘યા દિલ કિ સુનો દુનિયાવાલોં, યા મુઝ કો અભી ચૂપ રહને દો, મૈં ગમ કો ખુશી કૈસે કહ દૂં, જો કહતે હૈં ઉન કો કહને દો …’ હેમંતકુમાર સિવાય મોહમ્મદ રફીના ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલાં ગીતોમાં ‘જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ …(શોલા ઔર શબનમ), ‘મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે …’ (આયે દિન બહાર કે), ‘મૈં કહીં કવિ ન બન જાઉં તેરે પ્યાર મેં અય કવિતા …’ (પ્યાર હી પ્યાર), ‘આજ મૌસમ બડા બેઈમાન હૈ … (લોફર), ‘ક્યા મિલિયે ઐસે લોગોં સે, જિનકી ફિતરત છુપી રહેં … (ઈજ્જત), ’હુઈ શામ ઉન કા ખયાલ આ ગયા … (મેરે હમદમ મેરે દોસ્ત) જેવાં ઘણાં ગીતો છે, તો કિશોરકુમારના ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલાં ગીતોમાં ‘દુનિયા હો દુનિયા, તેરા જવાબ નહીં …’ (નયા ઝમાના), ‘પલ પલ દિલ કે પાસ તુમ રહતી હો …’ (બ્લેકમેઈલ), ‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ …’ (કહાની કિસ્મત કી), ‘કિસી શાયર કી ગઝલ ડ્રીમગર્લ … (ડ્રીમગર્લ) … જેવાં ઘણાં યાદ આવે.

ધર્મેન્દ્રની એક વિશેષતા એ હતી કે નિષ્ફળ, પણ સ્વમાની પ્રેમીની ભૂમિકા તેને ઘણી અનુકૂળ આવી હતી, એટલે તે પીડાનો ચહેરો સ્મિતથી ફરકતો રાખી શકતો. ‘સત્યકામ’માં એ સ્મિત સત્યનું સ્વમાની રૂપ થઈને પ્રગટે છે. હૃષિકેશ મુકરજીની તો એ હતી જ, પણ ધર્મેન્દ્રની પણ એ શ્રેષ્ઠ ફિલ્મ હતી. એનાં કેટલાં ય દૃશ્યોમાં ધર્મેન્દ્રનું ‘સત્યપ્રિય’ રૂપ સહજ-સ્વાભાવિક રીતે પ્રગટ્યું હતું, પણ એ દર્શકો સુધી બહુ પહોંચી ના શક્યું. ભ્રષ્ટાચારના ઉઘાડ વચ્ચે, પોતાનાં સત્ય અને સ્વમાન સાથે ઝઝૂમતી વ્યક્તિની વાત કેન્દ્રમાં હતી. એ જ હૃષિકેશ મુકરજીની ફિલ્મ ‘ચુપકે ચુપકે’માં ધર્મેન્દ્ર અધ્યાપકની હળવી ભૂમિકામાં પ્રસ્તુત થાય છે ને ધર્મેન્દ્રની જુદી જ આભા એમાં પ્રગટે છે. ઓમપ્રકાશ સાથેનો એક સંવાદ ડ્રાઈવરના છદ્મરૂપમાં ધર્મેન્દ્ર અંગ્રેજીની ટીકા કરતા કહે છે, ‘ટીઓ to, ડીઓ do તો જીઓ gu ક્યૂં નહીં ?’ ને ઓમપ્રકાશ જે રીતે ચહેરે સૂગ પ્રગટ કરે છે તે દૃશ્યને વધારે હળવું કરે છે. (‘નૌકર બીવીકા’ જેવી હળવી ફિલ્મ પણ યાદ આવે) હૃષિકેશની જ એક ફિલ્મ ‘ગુડ્ડી’માં ધર્મેન્દ્ર, ધર્મેન્દ્રના રોલમાં દેખાય છે. વક્ર્તા એ છે કે એમાં ધર્મેન્દ્ર પોતાને ફિલ્મી ધર્મેન્દ્રની આભામાંથી જયા માટે મુક્ત કરે છે, જેથી તે ફિલ્મી ઘેલછામાંથી છૂટે.

‘ફાગુન’ રાજેન્દર સિંહ બેદીની ફિલ્મ હતી. અમીર અને ઘમંડી સસરાની ઉપેક્ષાનો ધર્મેન્દ્ર એવી રીતે ભોગ બને છે કે પત્ની વહીદા રહેમાનની સાડી રંગોત્સવમાં રંગે છે ને એ દૃશ્ય એનો સસરો ક્રોધથી જોઈ રહ્યો છે એ ધ્યાને આવતાં તે ધર્મેન્દ્રનું એમ કહીને અપમાન કરે છે કે જે સાડી પોતે ખરીદીને આપી શકતો નથી તે રંગવાનો શો હક છે? એ હક કમાવવા તે બધું છોડીને નીકળી પડે છે ને વર્ષો પછી એ સાડીઓ લઈને આવે છે જેથી વહીદાને હકથી રંગી શકે ને એ રંગે પણ છે. ‘ગુડ્ડી’નો હીરો ધર્મેન્દ્ર ‘ફાગુન’માં પિતાની ભૂમિકામાં દેખાય છે. ‘બંદિની’ આમ તો બિમલ રોય અને નૂતનની રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ફિલ્મ હતી. એમાં ધર્મેન્દ્ર જેલના કેદીઓના ડોક્ટર તરીકેની ભૂમિકા ભજવે છે ને નૂતનની નજીક આવે છે. ‘રઝિયા સુલતાન’માં તે હબસી ગુલામ જમાલુદ્દીન યાકૂતની ભૂમિકા ભજવે છે, તો ઓ.પી. રાલ્હનની ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’માં સશક્ત, ખડતલ નાયકને એ ભજવે છે. એનાં આ પાત્ર માટે કોર્ટમાં છેલ્લે મીનાકુમારી કહે છે, ‘જજ સાહેબ, જો આ ખરાબ માણસ છે, તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા ખરાબ માણસ હજારો વાર રોજ પેદા કરે … શાકા મારો દેવતા છે …’ આ ફિલ્મથી ધર્મેન્દ્રની ઈમેજ હી-મેનની બની. ‘યાદોં કી બારાત’, ‘શોલે’, ‘કયામત’, ‘મેરા ગાઉં મેરા દેશ’, ‘ધર્મવીર’, ’યકીન’, ‘શાલીમાર’ … જેવી ફિલ્મોમાં ધર્મેન્દ્રની ભૂમિકા એક્શન હીરોની રહી. ઘણાંને જાણ નહીં હોય, પણ ‘આઈ મિલન કી બેલા’માં ધર્મેન્દ્રે નકારાત્મક ભૂમિકા પણ કરેલી.

જીવનની સહજતા જ તેની શરૂઆતની ફિલ્મોમાં રહી, પણ જે ફિલ્મો હિટ નીવડી તેમાં એવી ફિલ્મો ગણતરીમાં ન લેવાઈ. આ એક સાચુકલો માણસ હતો, પણ તે ક્યારે ય ફિલ્મોમાં નંબર એક પર ન આવ્યો. ટોપ પર રહેવા જે બધું મેનેજ કરવું પડે તે ધર્મેન્દ્રને આવડ્યું જ નહીં. 65થી વધુ વર્ષો ફિલ્મી જગતને આપીને તેણે 300 જેટલી ફિલ્મો કરી હશે. તેણે થોડું મેનેજ કર્યું હોત તો ઘણું મેળવી શક્યો હોત, પણ એ લોહીમાં જ ન હતું. હવે તો એ નથી. 89ની ઉંમરે એણે જીવવા પર પૂર્ણવિરામ મૂક્યું છે અને એ મુકાયેલું જ રહેવાનું છે. ખૂટશે તો તેની સહજતા ને સંવેદનશીલતા ! તે પણ બધાંને કદાચ ન ખૂટે, હા, કેટલાકને ખૂટશે જરૂર !

ટૂંકમાં, આ માણસ ફિલ્મની ચમકદમકમાં હોવા છતાં દંભ ન કરી શક્યો ને ફિલ્મી જગત ને પ્રેક્ષકો પણ એની જોઈએ એવી કદર ન કરી શક્યાં. ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી 1960માં શરૂ થયેલી ધર્મેન્દ્રની ફિલ્મી કારકિર્દી, ડિસેમ્બર, 2025માં ‘ઇક્કીસ’ ફિલ્મ રિલીઝ થતાં પૂરી થાય તો નવાઈ નહીં ! આ માણસને ફિલ્મની બહાર પણ રડતાં આવડતું હતું, પણ એમાં રોતલપણું ન હતું. 62 વર્ષની ઉંમરે 37 વર્ષની ફિલ્મી કેરિયર પછી 1997માં પહેલો એવોર્ડ ફિલ્મફેરે ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ’નો આપ્યો, ત્યારે તેની આંખો છલકાઈ ઊઠી હતી, કારણ ઘણાં નોમિનેશન્સ ઘણી વખત મળવા છતાં નાયક તરીકેનો એકાદ એવોર્ડ પણ તેને નસીબ થયો ન હતો. એ કમનસીબી જ હતી કે ‘સત્યકામ’, ‘ફાગુન’ જેવી ફિલ્મો છતાં આ અભિનેતાની અભિનય ક્ષમતા કોઈની આંખે ચડી જ નહીં ! એમાં ક્ષતિ હોય તો તે કમ સે કમ ધર્મેન્દ્રની તો નથી જ નથી !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 નવેમ્બર 2025

Loading

...102030...60616263...708090...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved