Opinion Magazine
Number of visits: 9955038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૮) 

સુમન શાહ|Opinion - Opinion|27 November 2024

સુમન શાહ

સ્વિત્ઝર્લૅન્ડનું કૅપિટલ સિટી બર્ન અને બીજું સિટી ઝૂરિક મને હમેશાં યાદ હોય છે કેમ કે ચિ. મદીરનાં એ બન્ને નગરોમાં શ્વસુરગૃહ આવેલાં છે. મારાં એ વેવાઈ-વેવણ ઝૂરિકમાં વસે છે.  

પણ આજે સ્વિત્ઝર્લૅન્ડનું જીનીવા ઘણાં કારણે યાદ આવી ગયું : 

વરસો પહેલાં, કદાચ ૨૦૦૧માં, હું અને રશ્મીતા મદીરના મિત્રવર્તુળની યુવતી ત્રિન્ન સાથે જીનીવા ફરવા ગયેલાં. ત્રિન્નનાં બેન-બનેવી જીનીવામાં રહેતાં હતાં એ અનુબન્ધને કારણે ત્રિન્ન શ્હૅરની ભોમિયણ હતી. ફરતાં ફરતાં અમે વિશ્વના ઊંચામાં ઊંચા વિખ્યાત ફાઉન્ટેઇન Jet d’Eau પ્હૉંચી ગયેલાં. એ ફુવારો લગભગ ૫૦૦ ફીટ ઊંચે ઊછળે છે, ને ચોપાસ પાણીની સોડમ આવે છે, અનેરાં રમણીય દૃ઼શ્ય રચાય છે. અમે જોતાં રહી ગયેલાં. આછી ઠંડકભરી વાછંટ જેવું પણ અનુભવેલું. દૂર Jura Mountains-ની ગિરિમાળા દેખાતી હતી. 

Jet d’eau Geneve ––

એ પછી, ત્રિન્નનાં બેન-બનેવીને ત્યાં ભોજન લીધેલું. તેઓ માંસાહારી અને અમે બે ગુજ્જુ શાકાહારી બ્રેડ-બટર ને કૉફી સાથે, એક જ ડાઇનિન્ગ ટેબલ પર જમેલાં. એકાદ વાર રશ્મીતાને ઊબકો આવી ગયેલો. શું કરી શકાય એ વિમાસણમાં એ દમ્પતી અને ત્રિન્ન હાંફળાંફાંફળાં થઈ ગયેલાં; ત્રિન્ને રશ્મીતાનો વાંસો પંપાળી આપેલો, વગેરે. 

એ પછી અમે Red Cross-નું બિલ્ડિન્ગ જોવા ગયેલાં. ICRC-નું, એટલે કે, ઇન્ટરનેશનલ કમિટી ઑફ રેડ ક્રૉસનું, એ હેડ ક્વાર્ટર છે. ત્યાં રેડ ક્રૉસનું આન્તરરાષ્ટ્રીય સંગ્રહાલય છે. એ આ વિશ્વસંસ્થાની સુવ્યાપ્ત પ્રવૃત્તિઓનો આપણી સમક્ષ એક ચૉક્કસ ચીતાર ખડો કરે છે.   

પ્રવાસમાં હમેશાં ટાઇમટેબલને અનુસરવું પડે, નહિતર ટ્રેન કે પ્લેન છૂટી જાય. સમય ખૂટી ગયેલો એટલે અમે નીકળી ગયેલાં, જીનીવાના ગણાતા જગવિખ્યાત ફિલસૂફ અને પ્રભાવક સમાજવિજ્ઞાની વૉલ્ટેર રૂસોની પ્રતિમાના સ્થળે જવાનું રહી ગયેલું. 

કદાચ ૨૦૧૦ દરમ્યાન મેં જાણેલું કે યુનિવર્સિટી ઑફ જીનીવા સાથે જોડાયેલી ‘જીનીવા ઍકેડૅમી ઑફ ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ ઍન્ડ હ્યુમન રાઇટ્સ’, એક જાણીતી જગ્યા છે. એ સ્વરૂપના અધ્યયન માટે એ વિશિષ્ટ ગણાય છે. એથી શાન્તિ તો શેની સ્થપાઈ જાય, પણ મારે ફરી જીનીવા જવું હતું અને બને તો ત્યાં રહીને ભણવું’તું, પણ થઈ શકેલું નહીં. વિદેશે ભણવા જવાના મનસૂબા જાગ્યા હોય પણ ન જવાયું હોય એના વસવસાની યાદીમાં એ પરોવાયેલું છે. 

પણ હું અવારનવાર એનાં પ્રકાશિત જર્નલ્સ જોતો હોઉં છું. ઍકડૅમીનું એક ઑનલાઇન પોર્ટલ છે, RULAC – rule of law in armed conflicts. એનો તાજેતરનો અંક જણાવે છે કે વિશ્વમાં આજે બે મોટાં યુદ્ધ તો ચાલે છે, પણ ૧૧૦-થી પણ મોટી સંખ્યામાં આર્મ્ડ કૉન્ફ્લીક્ટસ ચાલુ છે — સશસ્ત્ર સંઘર્ષો.

જેમ કે –

મધ્ય પૂર્વમાં અને ઉત્તરી આફ્રિકામાં ૪૫. 

એમાં છે, સાયપ્રસ, ઇજિપ્ત, ઇરાક, ઇઝરાઇલ, લિબિયા, મોરક્કો, પૅલેસ્ટાઇન, સિરિયા, તુર્કી, યેમન, અને પશ્ચિમી સહારા.

આફ્રિકા સમગ્રમાં ૩૫. 

એમાં છે, બર્કિન ફાસો, કૅમેરૂન, સૅન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક, ડૅમોક્રેટિક રીપબ્લિક ઑફ ધ કૉન્ગો, ઇથિયોપિયા, માલિ, મોઝામ્બિક, નાઇજિરિયા, સેનેગલ, સોમાલિયા, દક્ષિણી સુદાન, અને સુદાન.

એશિયામાં ૧૯.

એશિયા બિન-આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીએટર કહેવાય છે. એટલે? એમ કે એમાં દેશ અને અન્ય સશસ્ત્ર દળો વચ્ચે સંઘર્ષ થતા હોય. 

એમાં છે, અફઘાનિસ્તાન, ઇન્ડિયા, મ્યન્માર, પાકિસ્તાન, અને ફિલિપાઇન્સની ઘટનાઓ.

યુરપમાં ૭.

યુરપ આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીયેટર કહેવાય છે. એટલે? એમ કે એમાં બે કે વધુ દેશો વચ્ચે સંઘર્ષ થતા હોય. 

એમાં છે, રશિયા-યુક્રેઇન. યુક્રેઇન બિન-આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીએટર કહેવાય છે, જેમાં, ડોનેત્સ્ક અને લુહાન્સ્કનાં ‘પીપલ્સ રીપબ્લિક્સ’ સંગઠનો સરકારી પરિબળો સામે લડી રહ્યાં છે. 

આટલું લખીને હું બીજા કામોમાં પરોવાયેલો, પણ સમાચાર વહેતા થયેલા કે જો પુતિન ન્યુક્લીયર વેપન્સ છોડશે તો વર્લ્ડ વૉર ૩ સરજાશે! 

યુદ્ધ અને સંઘર્ષની વૃત્તિ કદાચ દરેક સજીવની પ્રકૃતિમાં છે, પણ માણસની કરુણતા એ છે કે યુદ્ધ અને સંઘર્ષને એ પોતાની બુદ્ધિશક્તિથી ખૂબ જ વિકસાવી શક્યો છે. સાર એ છે કે બન્ને પક્ષે સૈનિકો મરે છે, જેમને બન્ને પક્ષનાં રાષ્ટ્રો ‘શહીદ’ કહે છે. બાકી, એ કોઈનો પુત્ર, કોઈનો પતિ, પ્રેમી કે કોઈનો પિતા કે ગાઢ મિત્ર હતો. અને એ સ્વજનો જ જાણતાં હતાં કે કઈ વિશેષતા કે કઈ વિવશતાનો માર્યો એ સેનામાં જોડાયેલો …  

+ + 

હું એ પણ ઉમેરવા જતો’તો કે જીનીવા મને, ‘જીનીવા સ્કૂલ’-ને કારણે પણ યાદ આવી ગયું. જીનીવામાં જનમેલા અને ભાષાવિજ્ઞાની સવિશેષે સંકેતવિજ્ઞાની રૂપે જાણીતા સૉસૂર તેમ જ વિવેચનમાં ફીનૉમિનોલૉજિ – પરક પરિપ્રેક્ષ્યથી કામ કરતા વિવેચકો યાદ આવી ગયા. ‘ચાળીસીના દાયકાથી સ્કૂલ સાથે કોઈ-ને-કોઈ કારણે જોડાયેલા વિવેચકોમાં મુખ્ય છે, Georges Poulet. એમણે સાહિત્યવિવેચનમાં રૂપનિર્મિતિની શોધને બદલે સર્જકચેતનાના અનુસરણ પર ભાર મૂક્યો હતો. તેઓ માનતા હતા કે સાહિત્યિક મૂલ્યોની તપાસ ઑબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ્ઝથી ન થઈ શકે. અમેરિકામાં એવું જ બીજું મહત્ત્વનું નામ હતું J. Hillis Miller-નું; કહેવાય છે કે પાછળથી તેઓ ડીકન્સ્ટ્રક્શન અનુસારની વિઘટનશીલ વિચારધારા સાથે જોડાયેલા. 

બીજાં નામો છે, Jean Rousset, Jean Starobinski, and Jean-Pierre Richard. આ વિવેચકોનું મન્તવ્ય હતું કે સાહિત્યકૃતિ એના કર્તાની ચેતનાની પ્રસ્તુતિ છે. કૃતિ એવી ‘વસ્તુ’ નથી કે અર્થ એમાં બેસી રહ્યો હોય; અર્થ જાણવા માટે કર્તાની ચેતનાને પામવી પડે. એટલે તેઓ બધા ‘ક્રિટિક્સ ઑફ કૉન્સ્યસનેસ’ કહેવાયેલા. 

જો કે, આ અભિગમ રૂપનિર્મિતિ – પરક ગુજરાતી વિવેચકોને નહીં ગમેલો, કેમ કે ચેતનાને પામવા સર્જકના જીવનમાં ઊતરવું પડે, અને તેથી, સંભવ છે કે વિવેચન બહુશ: જીવનકથાલક્ષી પણ બની જાય; બલકે એમાં એમને ફીનૉમિનોલૉજિની ભૂમિકા પણ ખાસ નહીં દેખાયેલી. સંરચનાવાદી, અનુસંરચનાવાદી કે વિઘટનશીલ વિચારધારાના આવિષ્કારો પછી ચેતનાના આ વિવેચકોનો ખાસ કશો મહિમા ન રહ્યો.  

+ +

હરારી કહે છે, વાર્તાઓ અને તમામ માહિતી શૃણ્ખલાઓની જેમ લિખિત દસ્તાવેજો પણ વાસ્તવિકતાની ચૉક્કસ રજૂઆત નથી કરતા. જો કે એથી નવી વાસ્તવિકતા સરજાય છે. સમ્પત્તિની યાદીઓ, વિવિધ કર-માળખાં, ચૂકવણાં વગેરેની લિખિત નૉંધણીઓને કારણે, એવા દસ્તાવેજીકરણને પ્રતાપે, વહીવટી તન્ત્રો, સામ્રાજ્યો, અને ધાર્મિક સંગઠનોની રચનાઓ આરામથી કરી શકાય છે. સ્પષ્ટપણે એમ કહેવાય કે દસ્તાવેજોએ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓના સર્જનની પદ્ધતિ જ બદલી નાખી!

મુખોમુખ પરમ્પરાઓ ધરાવતી સંસ્કૃતિઓમાં, આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ વાર્તાઓ અને લોકોનાં મુખે તેનાં પુનરાવર્તનોથી સરજાતી હતી, ઉપરાન્ત, મગજમાં સંઘરાતી હતી. પણ હકીકત એ છે કે માણસો યાદ રહેવાની ન હોય એવી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ નથી સરજી શકતા. 

હરારી દેવો, ચલણી નાણાં કે રાષ્ટ્રોને પણ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ કહી ચૂક્યા છે. હમણાં કહ્યું એમ, આગળ વધીને એમાં દસ્તાવેજોને પણ ઉમેરે છે; એટલું જ નહીં, માહિતી-પ્રસરણના મામલામાં સાહિત્યને પણ જવાબદાર ગણે છે. 

+ +

તો, જરા નિરાંતે સમજાવું કે આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા છે શું. 

આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા intersubjective reality-નો  મેં આપેલો ગુજરાતી પર્યાય છે. (અગાઉ મેં ‘આન્તરસ્વલક્ષી’ કહેલું, પણ એ બરાબર નથી)

કેટલીક વાસ્તવિકતાઓ માત્રઆત્મલક્ષી કે માત્રપરલક્ષી છે. જેમ કે, હું છું એ આત્મલક્ષી વાસ્તવિકતા છે, પણ ટેબલ ખુરશી પલંગ અરે આખો વસ્તુસંસાર પરલક્ષી છે. પણ કેટલીક વાસ્તવિકતાઓ એમ નથી, એ સહિયારી અને વ્યાપ્ત શ્રદ્ધાઓ છે, સ્વીકૃતિઓ છે, સાર્વત્રિક માન્યતાઓ છે. પરન્તુ એમનું ભૌતિક અસ્તિત્વ નથી. 

લાલ પીળી અને લીલી લાઇટ્સનો થાંભલો પરલક્ષી વાસ્તવિકતા, પણ સર્વસ્વીકૃત સ્ટોપ, કૉશન, અને ગો-ના સંકેતાર્થ આન્તરઆત્મલક્ષી. રૂપિયા ૧૦૦-ની નોટ પરલક્ષી વાસ્તવિકતા, પણ એનું એ સર્વસ્વીકૃત મૂલ્ય આન્તરઆત્મલક્ષી. 

ચલણી નાણાનો, રૂપિયા ૧૦૦-ની નૉટનો, દાખલો વિસ્તારથી સમજાવું. એ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા છે. એટલે કે મેં કે તેં કે તેણે જ નહીં પણ ભારતવાસી સૌએ સ્વીકારેલું છે કે એ કાગળ નામની વસ્તુ નથી, પણ નક્કી મૂલ્ય ધરાવતું નાણું છે. હું એ ધરીશ તો એ રકમનો માલ આપવાની દુકાનદાર મને ના પાડી શકશે નહીં. એ એક સુનિશ્ચિત કરાર છે. એ રૂપે એ ચાલે છે એટલે ચલણી કહેવાય છે. 

ગુજરાતી ભાષાનો આ ‘ચલણી’ શબ્દ આ વાસ્તવિકતાને સરસ રીતે વ્યક્ત કરે છે. આપણે સૌ એને ચલાવીએ છીએ, કેમ કે આપણે સૌ એ સમજના સહભાગી છીએ. આપણે સૌ જો ભૂલી જઈએ કે એનું મૂલ્ય ૧૦૦ રૂપિયા નથી, તો એ વાસ્તવિકતાનો નાશ થશે, એ કાગળિયું બની જશે. 

આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાનું અસ્તિત્વ એટલે છે કે એ એક સહિયારી માન્યતા છે, એક સમજ છે. જેમ કે, અતિપ્રાકૃતિક હસ્તીઓ કે દેવો એમ છે કેમ કે એ છે એમ આપણે સૌએ સ્વીકારેલું છે. સહિયારાં પૂજાપાઠ અને કર્મકાણ્ડને કારણે એ સ્વીકૃતિઓ દૃઢ થાય છે. 

ભારતમાં અને વિદેશે વધી રહેલાં હિન્દુ મન્દિરો અને એમાં અપનાવાયેલા વારતહેવારલક્ષી ક્રિયાકાણ્ડ એનું વર્તમાન દૃષ્ટાન્ત છે. 

ઇતિહાસ, સંસ્કૃતિ કે ભાષા સહિયારાં છે એ કારણે ભારત રાષ્ટ્ર છે. મારા કે કશીક ભૌતિક વસ્તુના ટેકે એ નથી, આપણે માનીએ છીએ, એટલે છે. અન્યથા એ, પૃથ્વીના અમુક ભાગની જમીન છે. એના અસ્તિત્વને જાળવી રાખવાનું આપણે કબૂલેલું છે, એ સામુદાયિક કબૂલાત છે. 

એ જ રીતે કૉર્પોરેશન્સ, જે વિશે હરારી તીવ્ર ટીકાઓ કરતા હોય છે, એટલે અસ્તિત્વ ધરાવે છે, કેમ કે સરકારમાં એની કાયદેસરની નૉંધણી થઈ છે; તેમછતાં સ્પષ્ટ છે કે એ ભૌતિક હસ્તી નથી. 

હરારી ભારપૂર્વક સૂચવે તો એ છે કે આ બધી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ લાભપ્રદ બની શકે, જો એના સ્વરૂપને સમજીને આપણે આપણી માન્યતાઓનું કે શ્રદ્ધાઓનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કરીએ. અન્યથા, એ અતિ સામર્થ્યવાન એ અર્થમાં છે કે એ આપણી વર્તણૂકોને અને આપણા નિર્ણયોને એવા પ્રકારે ઘડશે, જેના પરિણામે, અન્તે બધું અનિચ્છનીય પુરવાર થાય … 

= = =

(26Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કારગિલ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion|27 November 2024

દીપા રેસ્ટોરેન્ટની બારીમાંથી કારગીલના બર્ફીલા પહાડોની ચોટીઓને બાયનોક્યુલરથી નિરખી રહી હતી. ક્યાં ય સુધી નિરખતી રહી, પછી ઉદાસ ચહેરે ટેબલ ઉપર કોફીનો ઓર્ડર આપીને બેઠી. કોફીનો કપ પૂરો કરી નીકળી ગઈ. દૂર ખુરશી પર બેઠેલા ત્રણ મિત્રો દીપાને અને દીપાની ચેષ્ટાને જોઈ રહ્યા હતા. એક મિત્રએ કહ્યું, “યુવતી સુંદર છે. તેની સાથે દોસ્તી કરવા જેવી છે. મને એ બહુ ગમી ગઈ છે.”

બીજે દિવસે દીપા રેસ્ટોરેન્ટમાં આવી. બાયનોક્યુલરથી કારગીલને નિરખી રહી હતી. એક મિત્રએ કહ્યું, “એમ દૂરથી કારગીલ નિરખવાથી શું વળે, સાચી મજા લેવી હોય તો સાથ સંગાથ લઈને કારગીલની બરફીલી પહાડીઓમાં ધુમવું પડે.” દીપાએ કંઈ જવાબ ન આપ્યો, રોજની જેમ કોફી પીને ચાલી ગઈ. ત્રણ મિત્રમાંથી એક મિત્રએ કહ્યું, “આ અઘરો દાખલો છે એમ આપણી દાળ ગળે એવું લાગતું નથી. અહીયાં છીએ ત્યાં સુધી પ્રયત્ન કરવામાં શું જાય છે પછી જેવા આપણા નસીબ.” આ શબ્દો દીપાએ સાંભળ્યા પણ જવાબ ન આપ્યો.

“મેડમ, તમે રોજ અહીંથી બાયનોક્યુલરથી કારગીલની પહાડીઓ નિહાળો છો, એમાં શું આનંદ મળે છે. તમે કંપની આપો તો રૂબરૂ કારગીલને ખૂંદી લઈએ.”

દીપાએ એક તીવ્ર નજર ત્રણે ઉપર નાખી, “પછી બારી પાસે બોલાવ્યા, દૂર શું દેખાય છે?” “કારગીલની બરફીલી પહાડીઓ.” “હજી ધ્યાનથી જુવો, ત્યાં ઊંચી ચોંટી ઉપર તિરંગો ધ્વજ લહેરાતો દેખાય છે? એ આપણો તિરંગો છે. ભારતની આન, બાન અને શાન છે. હું અહીં દર વર્ષે ચાર દિવસ માટે આવું છું અને આજનો દિવસ મારા માટે ખાસ છે. એ એટલા માટે છે કે આજના દિવસે મારા પતિ … હા .. તમે બરોબર સાંભળ્યું છે, મારા પતિ યુદ્ધમાં લડતાં લડતાં શહીદ થયા હતા. એટલે પહેલા બે દિવસ તેમની યાદમાં વિતાવું છું. આજ તેનો શહીદીનો દિવસ છે. આ દિવસ, હું, મારા પતિને, તેની શહીદીને નમન કરવા અને એક શહીદની વિધવા તરીકે ગૌરવ અનુભવવા માટે અહીયાં વિતાવું છું. કાલે છેલ્લી વખત કારગીલ પહાડીને નિરખીને જતી રહીશ. મારા જીવનને, મારા પતિએ દેશ માટે શહીદ થઈને ગૌરવશાળી બનાવી દીધું છે. આજે સમાજમાં શહીદની વિધવા તરીકે મારું મુઠ્ઠી ઊંચેરું સ્થાન છે. પણ, આ વાત તમારી સમજણ બહારની છે. તમને ઠઠ્ઠા, મશ્કરી સિવાય બીજું આવડે છે શું?”

દીપાની વાત સાંભળી ત્રણેય મિત્રોના હોંશ ઉડી ગયા. અવાક થઈ ગયા. દીપા ક્યારે ચાલી ગઈ એ ખ્યાલ પણ ન રહ્યો.

દીપા રેસ્ટોરેન્ટમાં આવી. આજનો દિવસ છેલ્લો દિવસ હતો. તેણે જોયું તો ત્રણેય મિત્રોનું ટેબલ ખાલી હતું પણ તેના ટેબલ ઉપર પુષ્પનો ગુલદસ્તો અને નીચે કાગળની ચબરખી હતી. તેમાં લખ્યું હતું, “આપની ભાવનાને શત શત નમન, દેશ ખાતર શહીદી વહોરનારને દિલથી વંદન. આ સાથે પુષ્પનો ગુલદસ્તો અર્પણ કરીએ છીએ એ સ્વીકારી અમને માફ કરશો અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપવા માટે ખૂબ ખૂબ આભાર.”

દીપા સજળ આંખે એક નજર કારગીલ પહાડી ઉપર નાખી રેસ્ટોરેન્ટમાંથી કોફી પીધા વગર નીકળી ગઈ. દૂર કારગિલની ચોંટી ઉપર ભારતની શાન, શહીદોની આનનો પ્રતીક તિરંગો લહેરાઈ રહ્યો હતો …

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 November 2024

ચંદુ મહેરિયા

જુલાઈ, ૨૦૨૨માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીને વાય.એસ.આર. કાઁગ્રેસ(યુવજન શ્રમિક રાયથ કાઁગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.

રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ (ખરેખર તો વડા પ્રધાન કે સર્વોચ્ચ નેતા) કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું છે. તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થતાં હતાં અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલ પ્રદેશમાં કાઁગ્રેસના સુખ્ખુની સી.એમ. તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય મંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડા પ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.

દેશના બે મોટા રાજકીય પક્ષો ભા.જ.પ. અને કાઁગ્રેસ મુખ્ય મંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી. વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતાં નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.

ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંશથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.

વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી(કન્જર્વેટિવ પાર્ટી)એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે.

કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોકતાંત્રિક સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે.

ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કાઁગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કાઁગ્રેસ, એન.સી.પી. અને વાય.એસ.આર. કાઁગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્ત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેતૃત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.

કાઁગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી. અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી ? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્ય મંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ. પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.

૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સી.એમ. તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઇન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઇન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?

ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ્દ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...555556557558...570580590...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved