Opinion Magazine
Number of visits: 9553022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 October 2025

રમેશ સવાણી

વડા પ્રધાન મોદી / ગૃહ મંત્રી અમિત શાહ ‘ઘૂસપેઠિયા’ વિશે બોલે તો સમજવું કે ચૂંટણી સાવ નજીક છે !

આ ‘ઘૂસપેઠિયા’ એટલે કોણ? ભક્તો ‘ઘૂસપેઠિયા’નો શું અર્થ કરે છે? ‘ઘૂસપેઠિયા’ શબ્દ સાંભળતાં જ ભક્તોના માનસમાં કેવાં રાસાયણિક ફેરફારો થાય છે? તે મહત્ત્વનું છે. 1857માં દેશની પ્રથમ આઝાદીની ચળવળમાં અંદાજે 2 લાખ મુસ્લિમો શહીદ થયાં હતા. સ્વાતંત્ર્ય સેનાની અશફાક ઉલ્લાહ ખાનને 19 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી આપવામાં આવેલ. સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા લોકોમાંથી લગભગ 30% મુસ્લિમ હતા. તેમ છતાં ભક્તો તો દેશના બધા મુસ્લિમોને ઘૂસપેઠિયા જ માને છે ! જો કે આસામમાં ઘૂસપેઠિયા હિન્દુ પણ છે. ઘૂસપેઠિયા મ્યાનમાર, નેપાળ અને અન્ય દેશોમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે.

જમીન માર્ગે / જળ માર્ગે / હવાઈ માર્ગે દેશની બોર્ડર ક્રોસ કરીને કોઈ ન આવે તે માટે સુરક્ષા એજન્સી BSF-બોર્ડર સિક્યોરિટી ફોર્સ કેન્દ્ર સરકાર પાસે છે. બોર્ડરનું સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે છે. જો ‘ઘૂસપેઠિયા’ દેશમાં ઘૂસી જતા હોય તો તેની જવાબદારી રાજ્ય સરકારની નથી પણ કેન્દ્ર સરકારની છે. 

દેશમાં એક પણ ઘૂસપેઠિયો ન હોવો જોઈએ. એને દેશમાંથી કાઢીએ મૂકવા 11 વરસનો સમય ઓછો ન કહેવાય.

2024 પહેલા કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા હતા? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? 2014થી 2025 દરમિયાન કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા છે? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? આ વિશે ચોક્કસ આંકડાકીય માહિતી સરકાર જાહેર કરતી નથી !

2004માં, ગૃહ રાજ્ય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કહ્યું હતું કે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 12,053, 950 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસપેઠિયા છે. 2016માં, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ભારતમાં આશરે 20 મિલિયન બાંગ્લાદેશી ઘૂસપેઠિયા ગેરકાયદેસર રીતે રહે છે, જે ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલાં છે. અગાઉ, UPA સરકારે 2004માં 1.2 કરોડનો આંકડો આપ્યો હતો.

રાજ્ય મુજબ જોઈએ તો, પશ્ચિમ બંગાળમાં માન્ય દસ્તાવેજો વિના રહેતા ઘૂસપેઠિયાની સંખ્યા સૌથી વધુ 5.7 મિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. આસામ બીજા ક્રમે છે, આશરે 50 લાખ ઘૂસપેઠિયા છે.

22 ઓગસ્ટ 2025ના રોજ વડા પ્રધાન મોદીએ બિહારમાં કહ્યું હતું કે “દેશમાં ઘૂસપેઠિયાની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. બિહારના સરહદી જિલ્લાઓની વસ્તી વિષયક સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તેથી, NDA સરકારે ઘૂસપેઠિયાને દેશનું ભવિષ્ય નક્કી ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. અમે ઘૂસપેઠિયાને બિહારના યુવાનોની નોકરીઓ છીનવી લેવા દઈશું નહીં. આ ખતરાને પહોંચી વળવા માટે, મેં ડેમોગ્રાફી મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ખૂબ જ ટૂંક સમયમાં તેનું કાર્ય શરૂ કરશે.”

2011માં 6,761 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2012માં 6,537 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2013માં 5,234 ઘૂસપેઠિયાને તેમના દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા 2014માં કુલ 989 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2015માં 474 ઘૂસપેઠિયાને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2016માં 308 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને 2017માં 51 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા ! આ રીતે ‘ઘૂસપેઠિયા’ સામે કામ થાય તો સદીઓ વીતી જશે ! જો ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી છીનવી રહ્યા હોય તો તેમની સામે ગોકળ ગાય કરતાં પણ ધીમી ગતિએ કામ કેમ થઈ રહ્યું છે? શું વડા પ્રધાન / ગૃહમં ત્રીને નેહરુ રોકતા હશે? 

આ ઘૂસપેઠિયાઓને રોજગારી આપે છે કોણ? એ કાંઈ હવા ખાઈને જીવી શકે નહીં ! ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી કઈ રીતે છીનવી શકે? ઘૂસપેઠિયાઓને સસ્તા દરે કામે રાખનાર માલિક તો હિન્દુઓ જ છે ને? ઘૂસપેઠિયાઓ માટે જવાબદાર હિન્દુઓ કહેવાય કે નહીં?

વડા પ્રધાન મોદીજી કહે છે : “ઘુસપેઠ પર તાળું મારવાની NDAની પાક્કી જવાબદારી છે !” તો ગૃહ મંત્રી અમિત શાહ કહે છે : “મારી જવાબદારી છે ભાઈ, એક વખત દેશની સીમા જોઈને આવો. ત્યાંથી ઘૂસપેઠ કોઈ રોકી ન શકે !” આ બેમાંથી કોને સાચા માનવા? મોદીજીએ 11 વરસમાં ઘૂસપેઠિયાની સમસ્યા હલ કરી નથી હજુ ચાર વરસમાં આ સમસ્યા હલ થાય તેવા અણસાર નથી. 

આ ‘ઘૂસપેઠિયા’ મોદીજીને સત્તામાં ટકાવી રાખનાર મહત્ત્વનું પરિબળ છે. ‘ઘૂસપેઠિયા’ વિશે બોલનાર ઓટોમેટિક દેશભક્ત બની જાય છે. એટલે દેશભક્તિનો ‘ડોળ’ મતોનો ધોધમાર વરસાદ આપે છે. ‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે; જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ‘ઘૂસપેઠિયા’ આવે છે અને તે ભા.જ.પ.ને જીતાડીને ચાલ્યા જાય છે !

22 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં !

રમેશ સવાણી|Opinion - Opinion|22 October 2025

ઉત્તર પ્રદેશનાના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 19 ઓક્ટોબર 2025ના રોજ ‘X’ પર ટ્વિટ કર્યું  છે : “આજે, ‘રામમય’ શ્રી અયોધ્યા ધામમાં 26 લાખ 17 હજાર 215 દીવાઓના ઝળહળતા પ્રકાશે એક વિશ્વ વિક્રમ સર્જ્યો છે અને સનાતન સંસ્કૃતિના અમર મહિમાને ફરીથી જાગૃત કર્યો છે. ‘દીપોત્સવ- 2025’ એ શ્રદ્ધા, ભક્તિ અને નિશ્ચયનો ઉત્સવ છે, જ્યાં 2,128 વેદચાર્યો, અર્ચકો અને સાધકોએ સાથે મળીને માતા સરયુની આરતી કરી અને ધર્મ અને સંસ્કૃતિનો એક અનોખો રેકોર્ડ બનાવ્યો. પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ અને ભગવાન રામના અસંખ્ય ભક્તોના સામૂહિક પ્રયાસો દ્વારા સાકાર થયેલ આ દૃશ્ય ભારતના આત્માનો પ્રકાશ છે. આજે આખું વિશ્વ એક સ્વરમાં કહી રહ્યું છે. જય જય સિયારામ !”

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  ‘X’ પર ટ્વિટ કર્યું છે : “આજે, ભગવાન શ્રી રામનું ઘર, અયોધ્યા શહેર, અસંખ્ય દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. 26 લાખથી વધુ દીવાઓના પ્રકાશે માત્ર વિશ્વ વિક્રમ જ નહીં પરંતુ સનાતન ધર્મના શાશ્વત આભાને પણ પ્રકાશિત કર્યા છે. આ દીપોત્સવ રામરાજ્યની ભક્તિ, શ્રદ્ધા અને આદર્શોની અમર ગાથાની સાક્ષી પૂરે છે. જય શ્રી રામ.”

26.17 લાખ દીવાઓ પાછળ જેટલો ખર્ચ કર્યો તેટલો ખર્ચ શિક્ષણ પાછળ કર્યો હોત તો હજારો ગરીબ બાળકો ઝળહળી શક્યા હોત ! દર વર્ષે દિવાળી નિમિત્તે સરયુ નદીના કિનારે કરોડો રૂપિયાના ખર્ચે આ ઝળહળાટ થાય છે. 2014 પહેલા અનેક મુખ્ય મંત્રીઓ આવ્યા / અનેક વડા પ્રધાનો આવ્યા તેમને આવા ઝળહળનો વિશ્વ વિક્રમ સ્થાપો ન હતો. ભગવા કપડાં ધારણ કરનાર યોગી આદિત્યનાથ આવા ખર્ચની મંજૂરી આપે છે તેનું આશ્ચર્ય થાય છે. ભગવા વસ્ત્રો એટલે મોહ / માયા / ઝળહળાટનો ત્યાગ ! શું મુખ્ય મંત્રી / વડા પ્રધાન ધર્મના કર્મકાંડો પાછળ લખલૂટ ખર્ચ કરે છે તે ધાર્મિક ભાવનાથી કરે છે કે મત લણવાની રાજકીય ચાલાકીથી કરે છે? શું તેમનો ઈરાદો સાત્ત્વિક છે ખરો? 

આ ઝળહળાટ દરેક ધર્મના, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ GST ભર્યો છે, તેમાંથી થાય છે. આ ખર્ય યોગી આદિત્યનાથ કે કમલમ્‌ તરફથી થતો નથી. પરંતુ જશ બધો મુખ્ય મંત્રી / વડા પ્રધાન અને કમલમ્‌ને જાય છે ! આ જ ચાલાકી છે. શ્રદ્ધાળુ લોકોને આમાં ધર્મનો / સંસ્કૃતિનો / સનાતનનો વિજય દેખાય છે. ભારતના આત્માનો પ્રકાશ લાગે છે ! કેટલાંકને લાગે છે કે આ દીપોત્સવ રામરાજ્યની ભક્તિ, શ્રદ્ધા અને આદર્શોની અમર ગાથાની સાક્ષી પૂરે છે ! 

માત્ર દિવાળીએ જ નહીં, પણ રોજે આવો ઝળહળાટ કરો તો પણ ધર્મનો / સંસ્કૃતિનો / સનાતનનો વિજય ન થાય. વર્ષોથી આવો ઝળહળાટ કરો છો છતાં આપણા યુવાનો જ્યાં ઝળહળાટ થતો નથી તે દેશોમાં જવા માટે લાઈનમાં કેમ ઊભા રહે છે? જો આ ઝળહળાટ / વિશ્વ વિક્રમ કોઈ પરિણામ આપી શકતો ન હોય તો પુનઃ વિચાર કરવાની જરૂર નથી? 

ઝળહળાટ તો આંખોને ગમે, પણ વિવેક જરૂરી છે. જેવો આ ઝળહળાટ પૂરો થાય પછી દિવડાઓમાં વધેલું તેલ એકત્ર કરતાં ગરીબ બાળકો અને તેમને રોકતા પોલીસ / સિક્યોરિટીના માણસોના ફોટાઓ જોઈને વિચલિત થઈ જવાય છે. એ ગરીબ બાળકોના ચહેરા પર ફેલાયેલા અંધકાર તરફ જોવાની આપણી હિંમત નથી. જ્યાં સુધી આવાં દૃશ્યો અસ્તિત્વમાં છે, ત્યાં સુધી આપણી ઉજવણી ખોટી છે, આપણી સભ્યતા અધૂરી છે, અને આપણો પ્રકાશ ફક્ત ઢોંગનો ધુમ્મસ છે જે અસમાનતાના અંધકારને વધુ ગાઢ બનાવે છે. તેલ એકત્ર કરતાં બાળકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તે માટે ‘સંવેદનશીલ સરકારે’ દિવાઓ વાળીચોળીને નદીમાં જ ફેંકાવી દીધાં !

કવિ કરસનદાસ માણેકે 1935માં એક અદ્દભુત કવિતા લખી હતી. 2025માં આવી કવિતા કોઈ લખે તો તેને ‘ધર્મદ્રોહી-દેશદ્રોહી’ ઘોષિત કરી દે ! 1935માં આપણે પ્રગતિશીલ મૂલ્યોની વાત કરી શકતા હતા. સવાલ એ છે કે આપણે માત્ર મિથ્યાભિમાનનો જ વિકાસ કર્યો છે? આ સંદર્ભમાં કરસનદાસ માણેકની આ રચના યાદ આવી ગઈ : 

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો 

અન્નકૂટની વેળા,

ચાંદીની ચાખડીઓએ ચડી 

ભક્ત થયા’તા ભેળા !

શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, 

ઝાલરું ઝણઝણતી:

શતશગ કંચન આરતી 

હરિવર સન્મુખ નર્તંતી

દ્રરિદ્ર, દુર્બળ, દીન અછૂતો 

અન્ન વિના અડવડતા,

દેવદ્વારની બહાર ભટકતા 

ટુકડા કાજ ટટળતા,

તે દિન આંસુભીનાં રે

હરિનાં લોચનિયાં મેં દીઠાં !

21 ઓક્ટોબર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દિવાળી, ઘરવાળી ને કામવાળી ….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 October 2025

રવીન્દ્ર પારેખ

દિવાળીમાં દેવાળું ન ફૂંકવું હોય તો માણસ પાસે ઘરવાળી ને કામવાળી હોવી જ જોઈએ એવું હું અંગત રીતે માનું છું. એક વાર ઘરવાળી ન હોય તો ચાલે, પણ કામવાળી ન હોય તો વેન્ટિલેશન બંધ થઈ જાય ને વેન્ટિલેટર પર હોઈએ એવું લાગે. કામ છે ત્યાં સુધી કામવાળી છે. એ રીતે કામવાળી સનાતન છે. સદ્દભાગ્યે મને ઘરવાળી અને કામવાળી, એમ બંને છે. થાય છે શું કે દિવાળીમાં ઘરવાળી અને કામવાળી સાચવ્યાં સચવાતાં નથી. વારતહેવારે ઘરવાળી પિયર જવાની વેતરણમાં હોય ને કામવાળી ગામ જવાની ઉતાવળમાં હોય ! એવું કેટલી ય વખત બન્યું છે કે ધૂળેટીએ ઘરવાળીને રંગવી હોય ને એ પિયરમાં રંગાતી હોય ને કામવાળી પણ એન મોકે મોબાઈલ મારીને કહી દે કે વધારે રંગાઈ જવાને કારણે રજા પર છે. ખરે ટાણે જ આપણું કોઈ ન હોય એ ઓછી કમનસીબી નથી, પણ મૂળે હું માણસ ભલો એટલે મારી ભલમનસાઈનો લાભ એ બન્ને ઉઠાવતાં રહે છે.

જો કે, આ વખતે સરાધિયામાં જ મેં અલ્ટિમેટમ આપી દીધેલું કે જેણે જ્યાં જવું હોય ત્યાં દિવાળી પહેલાં જઈ આવવું, દિવાળી વખતે બન્ને હાજર જોઈએ. પત્નીએ તો સાંભળી લીધું, પણ કામવાળી તડૂકી, ‘દિવાળીમાં આવા કે ની આવા તે અત્તારથી કેવી રીતે કે’મ? કોઈ માંદુંચાંદું પઈડું તો ની બી અવાય.’

‘માંદી પડવાની હોય તો કાલથી જ પડી જા ! દિવાળી પર કોઈ બા’નું ના જોઈએ, સમજી?’

‘આ હારું, મરવા પે’લાં જ ખભે ધોતિયું નાખી દેવાનું !’

‘ધોતિયું કે ટુવાલ, જે નાખવું હોય તે નાખ, પણ દિવાળીમાં રજા પાડી તો બોણી, દોણી ભૂલી જજે !’

બોણીનું નામ પડતાં જ કામવાળી ઢીલી પડી ગઈ. બોલી, ‘હારુ, બાપા ! મરી જવા તો હો દિવાળીમાં આવા, પછી છે કંઇ?’

‘ના આવવું હોય તો ના આવતી, પણ આમ છેક જ ‘બાપા’ તો ના કહે ! હું તને બાપા જેવો લાગું છું?’

‘તો હું, દાદા કે’મ?’

વધારે ફજેતી ન કરાવવા હું નહાવા ભરાઈ ગયો.

૦

એક વાર વાતમાંથી વાત નીકળી તો ઘરવાળીએ પૂછ્યું પણ ખરું, ‘દિવાળીમાં શું કરવું છે તે મને પિયર નથી જવા દેતા?’

‘નથી જવા દેવાનો.’

‘ સારું, નહીં જાઉં, પણ અહીં રહીને કરવાનું શું છે, તે તો કહો.’

‘આ વખતે દિવાળીના નાસ્તા બનાવ.’

‘જે ખાવું હોય તેનું લિસ્ટ આપો. કાલે લઈ આવીશ.’

‘લાવવાનું કંઇ નથી, બધું ઘરે બનાવવાનું છે.’

‘હવે ઘરે કોણ બનાવે છે? જે જોઈએ તે મોલમાં મળી રહે -’

‘બહારનો નહીં, નાસ્તો ઘરમાં ખાવો છે.’

‘બહાર થોડો ખાઈશું? ખાઈશું તો ઘરમાં જ ને !’

‘એક વાર કહ્યું ને ! ઘરમાં બનાવ, ઘરમાં ખાઈશું.’

‘સારું. ઘરમાં બનાવીશ, પણ કામવાળીને રજાની કેમ ના પાડી?’

‘તે એટલે કે એ ન આવે તો એનું કામ તું કરે ને એમાં મારું કામ ન થાય.’

‘મહાલુચ્ચા છો -’, હું તેને રોકવા જ જતો હતો, ત્યાં મને અટકાવતાં એ જ બોલી, ‘સારું, એ કહો કે શું ખાવું છે?’

મારે તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવું થયું. મેં તેને એક પછી એક આઇટેમ ગણાવવા માંડી. ઘણાં વખતથી ખડખડિયાં, થાપડાં, મઠિયાં, ચોળાફળી, ચણાની ઘારી, રવાના ઘૂઘરા, નાનખટાઈ …. વગેરે ખાવું હતું તે કહી દીધું. ઘરવાળી થોડી ગિન્નાઈ, પછી સામે તેની આઇટેમ બનાવવાની દરખાસ્ત મૂકી. મને એની આઈટમ જરા ય ભાવતી ન હતી, પણ મારો નાસ્તો થતો હોય તો ભલે એ એની પણ વાનગી ખાઈ લેતી, મને વાંધો ન હતો. દિવાળીને અઠવાડિયું બાકી રહ્યું એટલે મેં તેને નાસ્તાનો જેન્ટલ રિમાઈન્ડર આપ્યો, તો તે બબડી, ‘આવો નાસ્તો હવે કોઈ ખાતું નથી. ‘ખડખડિયાં, હં !’ નામ જ કેવું ખરબચડું છે? બોલતાં જ જીભ છોલાઈ જાય.’

‘એવું હોય તો તું એને સુંવાળી કહેને !’

‘થાપડાં ! આવું તે નામ હોય? બોલતાં જ કોઈએ થાપડ મારી હોય એવું લાગે.’

‘થાપડા નહીં બનાવે તો થાપડ ખાવાની જ આવશે.’

‘મારે?’

‘ના, મારે !’

‘થાપડાં ખવડાવીશ, પણ મને મદદ કરવી પડશે.’

મેં હકારમાં ડોકું ધૂણાવ્યું, ત્યારે ખબર નહીં કે દિવાળી સુધીમાં મારું ડોકું ધૂણેલું જ રહેશે. સારું છે કે ઘરવાળી એક જ છે, વધારે હોત તો ડોકું જ રહ્યું ન હોત ! આમે ય પરિણીતને પછી ડોકું નથી રહેતું તેવું હું અનુભવે કહી શકું છું. એની વે, કામવાળી તો આવતી રહી નિયમિત, પણ ઘરવાળી, મારી પાસે ઘર વાળીને સાફ કરાવતી રહી. મને હતું કે આજે નહીં તો કાલે, મારો નાસ્તો બનશે, પણ એ તો મારો નાસ્તો કરતી રહી. ખબર ન પડી કે ઘર ચોખ્ખું થયું કે હું સાફ થયો ! એ પછી પણ મારો નાસ્તો તો ટલ્લે જ ચડતો ગયો. બહુ બબડ્યો તો થાપડાં થયા, ચોળાફળી થઈ, પણ ઘારી-ઘૂઘરાનું તો સૂરસૂરિયું જ થયું. એક દિવસ તો ખુદ કામવાળી બોલી, ‘ભાભી, ભાઈને માટે કંઇ કઈરું કે ની?’

ઘરવાળી બોલી, ‘આ બધું એમને માટે જ તો છે, આજે સાંજે તો પિત્ઝા કરવાની છું.’ કામવાળી તો એવી હરખાઈ કે તેનું મોં અડધો પિત્ઝા ઠૂંસ્યો હોય તેમ આખું ભરાઈ ગયું. રોટલા થાપતી હોય તેમ તાળીઓ વગાડતી એ તો ગઈ ને હું ટોપિંગ બાકી હોય તેવા પિત્ઝાના રોટલા જેવો ફેલાઈને પડી રહ્યો. પડ્યે પડ્યે મેં જોયું તો ઘર ભરાય એટલો નાસ્તો ઘરવાળીએ કર્યો હતો. મસાલાની પૂરી તળાતી હતી, પણ મને ગમતું કંઇ થતું ન હતું ને થાય એમ લાગતું ન હતું. તે એક જ કારણે કે ઘરવાળીને ગળપણ જોડે બાપે માર્યાં વેર હતાં. તેને એમ જ હતું કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય. એ વહેમ મારા એકના એક સસરાએ તેને ભરાવેલો હતો. એ ખરું કે મને ડાયાબિટીસ હતો જ ને હવે ફરી થવાનો ન હતો ને દવાથી કાયમ ૧૦૦ની નીચે રહેતો હતો, પણ મારા સસરા સ્વયં ‘દોઢડા’યા’બિટીસ હતા એટલે મારી ઘરવાળીને ભરમાવતા રહેતા કે ઘરમાં ગળ્યું કશું કરવું જ નહીં કે ડાયાબિટીસનું જોખમ રહે.

ઘરવાળીનું ચાલે તો એ ગોળ-ખાંડમાંથી પણ ગળપણ કાઢી લે ને મારું એવું હતું કે હું નખશિખ ગળપણનો બનેલો હતો. નાનો હતો ત્યારથી મને ગળ્યું ખૂબ ભાવતું. ખૂબ એટલે ખૂબ જ ! દિવાળીમાં કોઈ ઘરે નાનખટાઈ પાડતું તો તેની સુવાસથી મારું નાક ગળ્યું ગળ્યું થઈ જતું. હું ગંભીરપણે માનતો કે ગળપણ, ઘડપણને દૂર રાખે છે. તક મળતી ત્યાં હું બોલતો ય ખરો, ‘જે ની ખાય ગળ્યું, તેનું જીવતર બળ્યું.’ ઘરવાળીને એમ જ લાગતું કે આ હું તેને સંભળાવું છું ને તેનું પરિણામ એ આવતું કે મારી વાતમાંની મીઠાશ પણ એ કાઢી લેતી. એ કાઢતી વખતે એની નજરમાં એવી મીઠાશ વધતી કે એને કોઈ જુએ તો પણ ડાયાબિટીસ થઈ જાય !

સાચું કહું તો આ વખતે મારે ચણાના દાળની ઘારી ખાવી હતી. ઘૂઘરા તો બજારમાં મળી રહે, પણ આ ઘારી દિવાળી વખતે જ ઘરમાં બનતી. માવાની ઘારી પણ મીઠાઈની દુકાનમાં મળી જાય, પણ દળનો સાંજો ભરીને મારી બા એ ઘારી બનાવતી ને ફરતે એવી ઝીણી કાંગરી કરતી કે આજે એ યાદ કરું છું તો આંખે ઝૂલ પડે છે. ખબર નહીં પણ કેમ, કાળીચૌદસે વહેલી સવારે ઘરવાળી ઘારી બનાવતી દેખાઈ. એક ઘારી મારી સામે ધરતાં એ બોલી, ‘આવી જ બનાવવાનું કહો છો ને?’

હું એને જોઈ રહ્યો.

દૂર ક્યાંક કનકતારાનું સોનેરી અજવાળું થયું ને તે ઘરવાળી પર પડ્યું ને પડેલું જ રહ્યું ….

000

e.mail : ravindra21111946@gmail.com
“અભિયાન” સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રગટ હાસ્યલેખ

Loading

...102030...53545556...607080...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved