Opinion Magazine
Number of visits: 9736339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિયાધ વિરુદ્ધ અબુ ધાબી : વિશ્વનો નકશો બદલી નાખવા સક્ષમ યુદ્ધ છેડાયું છે ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 January 2026

IMEC કોરિડોરથી માંડીને ઊર્જા સુરક્ષા સુધી, અખાતી ગઠબંધનનું પતન ભારત માટે છેલ્લા એક દાયકામાં ખડી થયેલી સૌથી મોટી કૂટનીતિક કસોટી છે

ચિરંતના ભટ્ટ

યમનના મુકલ્લા પોર્ટ પર ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જે દૃશ્યો સર્જાયા તેણે દાયકાઓ જૂની ઔપચારિક મિત્રતાના ભ્રમને બાળીને ખાખ કરી દીધો છે. સાઉદી વાયુસેનાએ યુ.એ.ઈ.(UAE)ના શસ્ત્રોના જથ્થા પર બોમ્બમારો કરીને અખાતી સ્થિરતાના પાયારૂપ ગણાતા રિયાધ અને અબુ ધાબી વચ્ચેના ગઠબંધનમાં “માળખાકીય ભંગાણ” (structural rupture) ખડું કર્યું. અત્યાર સુધી ચાલતી મુંગી હરીફાઈ હવે ખુલ્લા લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. આ કોઈ સામાન્ય રાજદ્વારી ખટરાગ નથી; આ મધ્ય પૂર્વની સત્તાનું મૂળભૂત પુનર્ગઠન છે, જેની પર આખી દુનિયાએ તો ધ્યાન આપવું જ પડશે પણ આપણી કેન્દ્ર સરકારે પણ આ મામલા પર ધ્યાન આપવું પડશે.  

ભાઈઓમાં ભંગાણ

સાઉદી અરેબિયા અને યુ.એ.ઈ. આ પહેલાં ક્યારે ય એકબીજાની સામે નથી થયા, તેમની વચ્ચે ક્યારે ય કોઈ યુદ્ધ નથી થયું. એક સરખી સુન્ની (જો કે શિયા મુસલમાનો પણ ત્યાં છે જ પણ સુન્નીઓની પકડ વધારે છે) ઓળખ અને ભૌગોલિક નિકટતાથી બંધાયેલો આ સંબંધ ‘ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ'(GCC)ની એકતાનો આધારસ્તંભ હતો. છતાં આજે એવી હાલત એ છે કે : સાઉદી જેટ્સ અમીરાતી લશ્કરી પુરવઠાને નિશાન બનાવી રહ્યા છે, અને સાઉદી-સમર્થિત ‘પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલ’ (PLC) એ યુ.એ.ઈ.ના દળોને ચોવીસ કલાકમાં યમન છોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

અનુભવી વિશ્લેષકો અને જીઓપૉલિટિકલ ફેરફારોના નિરીક્ષકો આ આખી ઘટનાથી દંગ થઇ ગયા છે. આ ટકરાવ યમનમાં પ્રોક્સી (proxy) દળોને કારણે થયો છે, જ્યાં બંને રાષ્ટ્રોના એક સરખા દુ:શ્મન ઈરાન-સમર્થિત હૂથી બળવાખોરો છે. આ તો એવી વાત થઈ કે બે અગ્નિશામકો આગ ઓલવવાને બદલે એકબીજા પર પાણીનો મારો ચલાવવા માંડે. સાઉદી મંત્રાલયે યુ.એ.ઈ. પર “અત્યંત ખતરનાક” વર્તણૂકનો આરોપ મૂક્યો, તો અબુ ધાબી માને છે કે સાઉદી અરેબિયાએ સાથી દેશ પર બોમ્બમારો કરીને સહયોગને બદલે વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો.

મુકલ્લામાં વિસ્ફોટ: શતરંજની બાજી કેમ પલટાઈ?

આ ઘટના પાછળની અકળામણને અને ટ્રીગરને સમજવા માટે નકશો સમજવો જરૂરી છે. આ સંઘર્ષનું કારણ ‘સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ’ (STC) એ હદરમૌત અને મહરા પ્રાંતો પર કબજો જમાવ્યો—જે યમનની અંદાજે 80 ટકા તેલ સંપત્તિ ધરાવે છે અને સાઉદી અરેબિયા સાથે 425 માઈલ લાંબી સરહદ શેર કરે છે. મુકલ્લાનું મહત્ત્વ આગવું છે. તે અરબી સમુદ્રનું પ્રવેશદ્વાર છે, જે બાબ અલ-મન્ડેબ અને રાતા સમુદ્ર(Red Sea)ના સાંકડા માર્ગો (choke points)ને બાયપાસ કરીને દરિયા વાટે વેપારનો રસ્તો આપે છે. 

દક્ષિણ યમનને સ્વતંત્ર દેશ બનાવવા માટે STCના પ્રયાસને ટેકો આપીને, પોતાની અતિશય લશ્કરી મહત્ત્વાકાંક્ષાઓને કારણે “લિટલ સ્પાર્ટા”તરીકે ઓળખાતા અબુ ધાબીએ, ગલ્ફ દેશોમાં “મોટા ભાઈ” ગણાતા સાઉદી અરેબિયાને સીધો પડકાર આપ્યો. તેણે સાઉદીની સમુદ્ર સુધીની પહોંચમાં અવરોધ નાખ્યા, તેને કાપવાનો પ્રયાસ કર્યો. કોલિશનના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે 80થી વધુ લશ્કરી વાહનો લઈ જતી બે નૌકાઓ રિયાધને જાણ કર્યા વિના અમીરાતી સૈન્ય મથકોમાં મોકલાઈ હતી. રિયાધે લશ્કરી વાહનોના આ હસ્તાંતરણને ભૂલ તરીકે નહીં પણ જાણીજોઈને કરાયેલી વ્યૂહાત્મક ઘેરાબંધી તરીકે જોયું.

વિચારધારાનો સંઘર્ષ: મુત્સદ્દી વિરુદ્ધ રણનીતિકાર

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને અમીરાતી રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ (MBZ) વચ્ચેની અંગત તિરાડ અસ્તિત્વ ટકાવી રાખવાની બે અલગ અલગ વ્યૂહરચના દર્શાવે છે.


  • સાઉદી મોડેલ (સત્તાનું કેન્દ્રિકરણ):

    • યમનના કાદવમાં હાથ બગાડ્યા બાદ, MBS ‘વિઝન 2030’ માટે સરહદો સુરક્ષિત કરવા “કાયદા આધારિત મુત્સદ્દીગીરી” અપનાવી રહ્યા છે. જો કે, આ કોઈ લિબરલ અભિગમ નથી પણ “સાઉદી ફર્સ્ટ” સિદ્ધાંત છે જે સંપૂર્ણ પ્રાદેશિક વર્ચસ્વની માંગ કરે છે અને કોઈ નાના ભાગીદારની દખલગીરી સાંખી લેવા તૈયાર નથી.

  • અમીરાતી મોડેલ (નેટવર્ક):

    MBZ “હોબ્સિયન (Hobbesian) દૃષ્ટિકોણ” અપનાવે છે, જે સુદાનના RSFથી લઈને સોમાલિયાના સોમાલીલેન્ડ સુધીના બિન-રાજકીય જૂથોને સશક્ત બનાવે છે. આ કારણે રાજ્ય બનાવવાની જવાબદારી લીધા વગર જ પોતાનો  પ્રભાવ વધારી શકાય છે, જેને સાઉદી અરેબિયા પોતાની રાજ્ય-કેન્દ્રિત વ્યવસ્થા માટે પડકાર માને છે.

આર્થિક હરીફાઈ આ આગમાં ઘી હોમનારી સાબિત થાય છે. યુ.એ.ઈ.ને ઓપેક પ્લસ(OPEC+)માં ઉત્પાદન ક્વોટા તોડવા બદલ “serial cheater”નું લેબલ મળ્યું છે. એ યુ.એ.ઈ. “મધ્ય પૂર્વના સિંગાપોર”નો તાજ મેળવવા રિયાધ સાથે સ્પર્ધામાં ઉતર્યું છે. હવે એ લોકો ભાગીદાર નથી પણ એક જ લક્ષ્ય મેળવવા હોડમાં લાગેલા બે સ્પર્ધકો છે.

ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ અહીં ખડું થશે?

એમ થવાની શક્યતા નથી પણ એવું નહીં જ થાય એવું માની લેવું પણ મુર્ખામી ગણાશે. સૌથી મોટું જોખમ પ્રાદેશિક વિભાજન છે.

ના, આનાથી ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. પરંતુ તેને અવગણવું મુર્ખામી ગણાશે. સાચો ખતરો પ્રાદેશિક વિભાજન છે.

૧. પ્રોક્સી અરાજકતા: હૂથી-વિરોધી દળો અંદરોઅંદર લડી મરશે, જેનાથી ઉત્તર યમન ઈરાનને ભેટમાં મળી જશે.

૨. “અકળાયેલા રાષ્ટ્રોનું ગઠબંધન”: વિશ્લેષકોનું માનવું છે કે યુ.એ.ઈ.ને અલગ કરવા સાઉદી અરેબિયા ઇજિપ્ત અને તુર્કીની નજીક જઈ શકે છે.

૩. વૈશ્વિક સ્તરના ગુંગળામણના મુદ્દાઓ: રાતા સમુદ્રના કોરિડોરમાંથી 12% વૈશ્વિક વેપાર થાય છે. એ પ્રવેશદ્વાર એ કોરિડોર હવે દારૂગોળાનો ઢગલો બની ગયો છે. અહીં કંઇપણ ઊંચનીચ થશે તો તે ઊર્જાના ભાવમાં ભડકો કરશે જેના કારણે એવા આર્થિક આંચકા થશે કે કોઈ સેના તેને રોકી નહીં શકે. 

ભારતે કયા મામલે વ્યૂહાત્મક રહેવાની જરૂર છે?

વાર્ષિક 162 અબજ ડોલરના અખાતી વેપાર અને આ પ્રદેશમાં વસતા 90 લાખ ભારતીયો સાથે, ભારત માટે આ અસ્તિત્વનો પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર આ મામલે મૂક પ્રેક્ષક નહીં બની શકે.

૧. IMECને અત્યારે વેન્ટિલેટર પર મૂકો (અને પ્લાન B શોધો):  ઇન્ડિયા મિડલઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) મરણ પથારીએ છે. આ કોરિડોર સાઉદી-યુ.એ.ઈ.ના રેલવે જોડાણ પર આધારિત છે. જો આ બંન્ને વચ્ચે જ કંઇ ઠેકાણે ન હોય તો બંન્ને દેશો વચ્ચેની ટ્રેનો ચાલવાની નથી. આ તબક્કે ભારતે તાત્કાલિક ઈન્ટરનેશનલ નોર્થ–સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ને પુનર્જીવિત કરવો જોઈએ અથવા ઓમાન સુધીના સીધા દરિયાઈ માર્ગો શોધવા જોઈએ.

૨. ઊર્જા સુરક્ષાનું રક્ષણ: બંને રાજધાનીઓ સાથે સક્રિય સંપર્ક સાધીને ઊર્જા કરારો સુરક્ષિત કરવા જરૂરી છે. આપણે એ ચોકસાઈ રાખવી જોઈએ કે તેલના આપણા પુરવઠાનો ઉપયોગ તેમના આંતરિક ઝઘડામાં હથિયાર તરીકે ન થાય. એ લોકો બાખડે અને આપણને ઈંધણ ન મળે એ તો પાડાને વાંકે પખાલીને ડામ જેવી હાલત થશે.

૩. પ્રવાસી ભારતીયોની સુરક્ષા: MEA (વિદેશ મંત્રાલય) એ તાત્કાલિક કટોકટી પ્રોટોકોલ સ્થાપિત કરી દેવા જોઈએ. યુ.એ.ઈ.માં 35 લાખ અને સાઉદીમાં લાખો ભારતીયો છે આવામાં સંજોગો તંગ થાય તો આપણી પાસે ઇવેક્યુએશન પ્લાન હોવો જોઇએ. 

૪. વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવવી જોઈએ: આ સંજોગોમાં કોઈપણ એકનો પક્ષ લેવાનું દબાણ કરાશે તો આપણે તેનો પ્રતિકાર કરવો જોઇએ. ભારતે પોતાની જાતને બે દેશો વચ્ચેનો તણાવ ઘટાડવામાં મદદ કરનારા કડી કે સેતુ તરીકે પોતાનુ્ સ્થાન બનાવવું જોઇએ. આપણે એવા દેશોમાંથી એક છીએ જે MBS અને MBZ બંને સાથે નિખાલસતાથી વાત કરી શકીએ તેમ છે.

૫. સંરક્ષણ ભાગીદારીમાં સંતુલન: બંને સાથે નૌકાદળનો સહયોગ ચાલુ રાખવો જોઇએ, પરંતુ કોઈ એક પક્ષ તરફી દેખાવાનું ટાળવું જોઇએ. અત્યારે યુ.એ.ઈ. નેવી સાથેનો કોઈ પણ સંયુક્ત અભ્યાસ રિયાધ ચોક્કસ શંકાની નજરે જોશે એટલે આપણે સાવચેતી રાખવી જરૂરી છે.  

૬. પાકિસ્તાનના પરિબળને નજરમાં રાખવું જોઇએ: બંને કિંગડમ્સ પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. વિભાજિત ગલ્ફ ઇસ્લામાબાદને તેની સુરક્ષા સેવાઓ સૌથી વધુ બોલી લગાવનારને વેચવાની તક આપે છે, જે ભારતની પ્રાદેશિક સલામતનીની ગણતરીને જટિલ બનાવી શકે છે.

૭. આર્થિક મુત્સદ્દીગીરીનો ઉપયોગ: FTA વાટાઘાટોને વેગ આપવો જોઇએ પણ સંતુલન પણ જાળવવું જોઇએ. ભારતીય વ્યવસાયોને તટસ્થ પક્ષો તરીકે સ્થાપિત કરો જે બંને રાજ્યોના આર્થિક વૈવિધ્યકરણ (diversification) માટે જરૂરી છે, પછી ભલે તેમની વચ્ચેના રાજકીય સંબંધો ગમે તેવા હોય.

સાઉદી-યુ.એ.ઈ. વચ્ચેના “વ્યૂહાત્મક લગ્ન” હવે હાઈ-વૉલ્ટેજ છૂટાછેડામાં ફેરવાયા છે. ભારતે અત્યારે વ્યૂહાત્મક ધીરજ રાખવાની જરૂર છે. ઊર્જા, પ્રવાસી ભારતીયો અને વેપાર જેવા ભારતના મુખ્ય હિતો કાયમી રહેવાના છે, પરંતુ આ તમામને સુરક્ષિત કરવાનો રસ્તો અત્યારે બારૂદી સુરંગોથી ભરેલો છે.

બાય ધી વેઃ  

હવે “મોટા ભાઈ” આંખ આડા કાન કરવા તૈયાર નથી, અને “લિટલ સ્પાર્ટા”ને હવે ઓર્ડર નથી લેવા, પણ સત્તા જોઇએ છે. વર્તમાન પરિસ્થિતિ બે શક્તિશાળી શિકારીઓ જેવી છે, એવા શિકારીઓ જે એક સમયે એક જ જંગલમાં શિકાર કરતા, જંગલમાં પોતાની મર્યાદાઓ સમજીને કામ કરતા પણ હવે તેમને શિકાર કરવા માટે આ જંગલ નાનું પડે છે. સાઉથ બ્લોક, સમજદારીપૂર્વક રસ્તો કાઢજો. ભલે બે ભાઈઓ ઝઘડી રહ્યા હોય, પરંતુ ભારતનું હિત એ સુનિશ્ચિત કરવામાં છે કે આપણે અંદર હોઈએ ત્યારે તેઓ ઘરને આગ ન લગાડી દે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04  જાન્યુઆરી 2026

Loading

ભારતના ભાગલા થયા જ નહોતા કારણ કે ભારત હતું જ નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|4 January 2026

વિમુક્તા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા એક તાલીમ શિબિરમાં આજે આપેલા દોઢ કલાકના વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

(૧) બજાર એનું જ કલ્યાણ કરે કે જેના ખિસ્સામાં પૈસા હોય. જેની પાસે પૈસા ન હોય એને બજાર મારી નાખે છે કારણ કે બજાર નિર્દય છે. એટલે વંચિતો, ગરીબો, દલિતો, પીડિતોનું કલ્યાણ કરવાની જવાબદારી રાજ્યની એટલે કે સરકારની છે. એ જવાબદારી બંધારણમાં પ્રકરણ-૪માં જ લખવામાં આવેલી છે. 

(૨) બધા જ ધર્મો અસમાનતા ઘટાડવામાં અને ગરીબી દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. ભગવાનની ભક્તિ કરવાથી અસમાનતા ઘટતી નથી કે ગરીબી દૂર થતી નથી, કારણ કે ભગવાન કશું કરતો જ નથી. અન્યાય દૂર કરવા માટે તો ભગવાન સામે પણ લડવું પડે તેમ છે કારણ કે ભગવાને બધા ધર્મોમાં તેના ઢગલાબંધ ઠેકેદારો પેદા કરેલા છે.

(૩) ભારતનું બંધારણ બધા ધર્મોને અને એમના ભગવાનોને કોરાણે મૂકીને મનુષ્યના કલ્યાણ અને તેના સુખ પર ભાર મૂકે છે અને એની વ્યવસ્થા કરે છે. ભારતના રાજ્યને કોઈ ભગવાન સાથે કશી લેવાદેવા છે જ નહીં. 

(૪) ભારત નામનો દેશ હતો જ નહીં, એટલે એના ભાગલા થયા એમ કહેવું જ ખોટું છે. છેલ્લાં ૫,૦૦૦ વર્ષના ઇતિહાસમાં આજે છે તેવો ભારતનો કોઈ નકશો હતો જ નહીં, અને એ જૂના નકશા જોઈએ તો ક્યાં ય કોઈ રાજ્યનું નામ ભારત હોય એવું મળતું નથી, ભગવાન રામના રાજ્યનું પણ નહીં.

(૫) આપણે પહેલી વાર ભારત ૧૯૫૦માં બનાવ્યું છે અને તેને લોકશાહી દેશ બનાવ્યો છે અને તેનો ઉદ્દેશ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ સ્થાપવાનો રાખ્યો છે. આપણે અત્યારે એ સિદ્ધ કરવાની દિશામાં જઈ રહ્યા નથી પણ એનાથી ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ.

(૬) લોકશાહી મહત્ત્વની છે કારણ કે એમાં જ નાગરિકોના અધિકારો ટકે છે. બીજી કોઈ જ રાજવ્યવસ્થામાં નાગરિકો હોતા જ નથી, એમાં પ્રજા હોય છે. ભારતે ૧૯૫૦માં બંધારણ રચીને લોકોને પ્રજામાંથી નાગરિક બનાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી છે. આપણને ફરીથી પ્રજા બનાવવાની કોશિશ અત્યારે થઈ રહી છે. આપણે આપણી નાગરિકતા માટે લડવાનું છે. જો નહીં લડીએ અને લોકશાહીને નહીં ટકાવીએ તો આપણે ફરી રાજાશાહી સ્વરૂપની તાનાશાહીમાં સરી પડીશું. 

(૭) કોઈ પણ નેતાની ભક્તિ આપણને તાનાશાહી તરફ લઈ જાય. આંબેડકરે નેતાની ભક્તિથી લોકોનું અને દેશનું  પતન થાય એમ એમના સંવિધાન સભાના છેલ્લા ભાષણમાં કહેલું. 

(૮) મહાત્મા ગાંધીએ દેશની આઝાદી પર નહીં દરેક વ્યક્તિની આઝાદી પર ભાર મૂક્યો હતો. દેશની આઝાદી તો તેમને માટે માણસની આઝાદી તરફ આગળ વધવાનું સાધન હતું. ભારત તો અત્યારે આઝાદ છે જ, એ હવે અંગ્રેજોનું ગુલામ હતું તેમ કોઈનું ગુલામ બનવાનું નથી. એ જમાના જતા રહ્યા. એટલે દેશની આઝાદીની નહીં, પણ દેશના નાગરિકોની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે. 

તા.૦૪-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાષ્ટૃની કલ્પનામાં શરતનું ઉમેરણ એ રાષ્ટૃના પતનનું કારણ બને !

રમેશ ઓઝા|Opinion - Opinion|4 January 2026

રમેશ ઓઝા

વાત બંગલાદેશની કરવી છે, પણ એ પહેલાં પાકિસ્તાનની વાત કરવી જરૂરી છે, કારણ કે બંગલાદેશ પાકિસ્તાનનાં વિભાજનનું પરિણામ છે અને પાકિસ્તાન ભારતનાં વિભાજનનું. અનુભવજન્ય સત્ય એ છે કે રાષ્ટ્રની કલ્પનામાં શરતો ઉમેરાય એટેલે એ દેશનું પતન નિશ્ચિત સમજવું. પાકિસ્તાન અને પાકિસ્તાનની કોખમાંથી જન્મેલા બંગલાદેશનો આ ઇતિહાસ છે. ભારત જ્યારે અવિભાજિત દેશ હતો ત્યારે અંગ્રેજો અને પશ્ચિમના લોકો પ્રશ્ન કરતા હતા કે અને ટોણો પણ મારતા હતા કે ભારત રાષ્ટ્ર કેવી રીતે બનશે એ કહો? ભારત કોનું રાષ્ટ્ર હશે અને એમાં મુસલમાનોનું, દલિતોનું અને અન્ય લઘુમતી કોમ તેમ જ હાંશિયામાં રહેલી પ્રજાનું સ્થાન ક્યાં હશે? કાઁગ્રેસના નેતાઓ જવાબ આપતા હતા કે ભારત સહિયારું રાષ્ટ્ર હશે, કાઁગ્રેસ સહિયારા રાષ્ટ્રની કલ્પનાનું અને તેમાં માનનારી ભારતીય પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. જે લોકો કૉન્ગ્રેસની સહિયારા રાષ્ટ્રની કલ્પનાનો અને તેના સહિયારા પ્રતિનિધિત્વના દાવાનો વિરોધ કરતા હતા તેમને અંગ્રેજો મદદ કરતા હતા. 

મુસ્લિમ લીગ અને તેના નેતાઓએ દાવો કર્યો કે મુસ્લિમ હોવાપણું સ્વયં એક રાષ્ટ્રીયતા છે અને મુસ્લિમ લીગ એ રાષ્ટ્રીયતાની કલ્પનાનો અને ભારતનાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરે છે. અંગ્રેજોને લીગના નેતાઓની વાત માફક આવતી હતી એટલે તેમણે લીગને મદદ કરી. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી, બક્ષીસમાં નહીં, લડીને મેળવી પણ વિભાજન સાથે.  

કસોટી હવે શરૂ થઈ. ભારત સામે કસોટી હતી સહિયારી રાષ્ટ્રીયતા વિકસાવવાની અને ટકાવી રાખવાની. પાકિસ્તાન સામે કસોટી હતી મુસ્લિમ રાષ્ટ્ર (દાવો કરવામાં આવતો હતો એમ જો હોય તો) આકાર આપવાની. પાકિસ્તાનની સ્થાપના સાથે જ ધર્મઝનૂનીઓ મેદાનમાં આવ્યા કે ઇસ્લામ ધર્મ વિના મુસ્લિમની કલ્પના જ કઈ રીતે થઈ શકે? આનો અર્થ એ થયો કે ઇસ્લામિક રાષ્ટ્ર એ જ મુસ્લિમ રાષ્ટ્ર. હિંદુત્વ એ જ ભારતીયત્વ એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કહે છે એમ જ. અને પછી શરતો આવવા લાગી. ગૈર મુસલમાનોનું સ્થાન, સુન્ની બહુમતી દેશમાં શિયાઓ અને અહમદિયાનું સ્થાન, સ્ત્રીઓનું સ્થાન, અર્ધ મુસ્લિમ કબિલાઈ પ્રજાનું સ્થાન, શિક્ષણમાં ઇસ્લામ, હિંદુસંસ્કૃતિનો પ્રભાવ, ભારતીય સંસ્કૃતિનો સહિયારો વારસો, મુસલમાનોની અલાયદી ભાષા (પર્શિયન અરેબિક મિશ્રિત ઉર્દૂ), પાકિસ્તાનમાં સ્થાનિક ભાષાઓનું સ્થાન, સેકયુલરિઝમ, ઇસ્લામ પહેલાની સભ્યતા અને તેનો ઇતિહાસ વગેરે વગેરે. આજકાલ હિન્દુત્વવાદીઓ જે કરતા જોવા મળે છે એ બધું જ પાકિસ્તાનમાં શરૂ થયું. 

૨૪મી માર્ચ ૧૯૪૮ના રોજ મહમ્મદ અલી ઝીણા પૂર્વ પાકિસ્તાનમાં ઢાકા યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં તેમણે છાત્રો સમક્ષ ભાષણ કર્યું કે કોઈ પણ રાષ્ટ્ર માટ એક રાષ્ટ્રભાષા જરૂરી છે અને પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ હશે. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને સૂચવ્યું કે ઉર્દૂ અને બંગાળી બન્નેને એક સમાન રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવે. ઝીણાએ ગુસ્સે થઈને કહ્યું નો, ઉર્દૂ એન્ડ ઓન્લી ઉર્દૂ. એ પછી એમની સામે જ તાજા અસ્તિત્વમાં આવેલા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા સામે વિદ્યાર્થીઓએ બળવો કર્યો અને ઝીણાનો હુરિયો બોલાવ્યો. સ્વતંત્ર બંગલાદેશની લડતનું નેતૃવ કરનારા મુજીબુર રહેમાને ઝીણાની સામે કરવામાં આવેલા દેખાવોનું નેતૃત્વ કર્યું હતું. પાકિસ્તાનના વિભાજનની અને તેના પતનની શરૂઆત તેની સ્થાપના સાથે જ થઈ ગઈ હતી, કારણ કે શરતો હતી. હિન્દુસ્તાન મેં રેહના હો તો … એમ જે હિન્દુત્વવાદીઓ કહે છે એમ પાકિસ્તાન મેં રહેના હો તો … અને પછી શરતોની વણઝાર. 

પાકિસ્તાનનું વિભાજન અને પતન અનિવાર્ય હતાં અને એમ જ થયું, પણ બંગલાદેશમાં પણ એ જ ઇતિહાસનું પુનરાવર્તન થયું. ફરી શરતો. એક શરત બંગાળી તરફીઓની હતી તો સામે બીજી શરત ઇસ્લામ તરફીઓની હતી. બંગલાદેશ મેં રેહના હો તો… શરૂ થયું. ઇસ્લામ સર્વોપરિ કે બંગાળી અસ્મિતા? બન્ને પોતાને અનુકૂળ પ્રજાને ડરાવતા હતા બને પ્રકારના નેતાઓ એકબીજાનો છેદ ઉડાડતા હતા અને ડરાવવાનું રાજકારણ કરતા હતા. શરતો, શરતો અને શરતો. ૧૯૪૭થી પાકિસ્તાનમાં આ ચાલે છે અને ૧૯૭૧થી બંગલાદેશમાં. શરૂઆતના બે દાયકા પછી શ્રી લંકામાં પણ બૌદ્ધ સિંહાલા બહુમતી પ્રજાએ શરતો લાદવા માંડી અને શ્રી લંકાના જે હાલ થયા એ તમે જાણો છો. 

પરિવારો તૂટે છે શરતોનાં કારણે. શક્તિશાળીઓને એવો ભ્રમ હોય છે કે તે યાવદ્ચન્દ્ર દિવાકરો પોતાની શરતો મનાવી લેશે, પણ એવું બનતું નથી. શક્તિ પણ યથાસ્વરૂપ કાયમ રહેતી નથી. સમય બદલાય એટલે દબાયેલા લોકો માથું ઊંચકે. આવું પાકિસ્તાનમાં, બંગલાદેશમાં શ્રી લંકામાં, મ્યાનમાર(બર્મા))માં અને જ્યાં જ્યાં શરતો લાદવામાં આવી રહી છે ત્યાં આવું બની રહ્યું છે. બંગલાદેશમાં દોઢ દાયકાથી બંગાળી અસ્મિતાની શરતો લાદીને, બંગાળી ભાષાપ્રેમીઓને ડરાવીને, વિરોધીઓને દબાવીને શેખ હસીના એકહથ્થુ રાજ કરતાં હતાં. એ તાનાશાહી શાસન હતું જેને ન્યાયી ઠરાવવા બંગાળી અસ્મિતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. શેખ હસીનાના પતન પછી ઇસ્લામવાદીઓએ માથું ઊંચક્યું છે અને અત્યારે ગૃહયુદ્ધની સ્થિતિ બની છે.

દેશ અંતર્ગત પ્રજાકીય શરતોએ કોઈ દેશને ન્યાલ કર્યો નથી એમ જગતનો ઇતિહાસ કહે છે, ભારતનાં સાખ પાડોશી દેશોનો અનુભવ કહે છે.

આગળ કહ્યું એમ ભારત સામે કસોટી હતી સહિયારી રાષ્ટ્રીયતા વિકસાવવાની અને એને ટકાવી રાખવાની. આઝાદીનાં આંદોલન દરમ્યાન ગાંધીજીના નેય્તૃત્વમાં સહિયારી ભારતીય રાષ્ટ્રીયતા તેનો વિરોધ કરનારા હોવા છતાં ઠીક ઠીક પ્રમાણમાં વિકસી હતી અને જવાહરલાલ નેહરુએ તેને શાસકીય સ્વરૂપ આપ્યું હતું. આઇ.આઇ.ટી., આઈ.ઈ.એમ., ઈસરો, સાહિત્ય અકાદમી જેવી એક ડઝન સંસ્થાઓ સ્થપાઈ અને તેણે દેશને પ્રતિષ્ઠા આપી એ એ અરસામાં. પણ એ પછી કાઁગ્રેસે સત્તા માટેનું રાજકારણ કરવા માંડ્યું અને એ માટે સહિયારી ભારતીય રાષ્ટ્રીયતા સાથે ચેડાં કરવા માંડ્યા અને કાઁગ્રેસનું પતન થયું. અત્યારે એ લોકો શાસન કરી રહ્યા છે જેઓ શરતો લાદવામાં અને કોઈને દબાવીને રાખવામાં મને છે. તેમની પૂરી શક્તિ આમાં ખર્ચાઈ રહી છે અને શાસન કરવા માટે તેમની પાસે સમય અને શક્તિ જ બચતાં નથી. સમર્થકોને પકડી રાખવામાં અને વિરોધીઓને મેનેજ કરવામાં પૂરી શક્તિ ખર્ચાઈ જાય છે. જવાહરલાલ નેહરુ સામે આ સમસ્યા નહોતી. 

હું ખાતરીપૂર્વક કહું છું કે જો હિંદુ રાષ્ટ્રવાદીઓ આઝાદી પછી તરત સત્તામાં આવ્યા હોત તો ભારતની હાલત પણ પાકિસ્તાન અને બંગલાદેશ જેવી જ હોત. “બીજા”ઓનું સ્થાન નક્કી કરવામાં, શરતો લાદવામાં, દબાવી રાખવામાં સમય અને શક્તિ વેડફાઈ ગયાં હોત. તેઓ નેહરુને ગાળો એટલા માટે આપે છે કે નેહરુનું શાસકીય મોડેલ તેમને સતાવે છે. મંદિરો આઇ.આઇ.ટી. અને ઈસરોની જગ્યા લઈ શકતાં અને મને એ વાતની પણ ખાતરી છે કે જો આ લોકોનું શાસન લાંબુ ચાલ્યું હોય તો દેશનું પતન નિશ્ચિત છે. શરતોએ કોઈ પરિવારનું, કોઈ સમજનું કે કોઈ દેશનું ભલું કર્યું નથી.        

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જાન્યુઆરી 2026

Loading

...102030...53545556...607080...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved