Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ દૂર સે આવાઝ દે, ચલે આઓ …

સોનલ પરીખ|Opinion - Opinion|6 August 2025

જિયા બુઝા બુઝા નૈના થકે થકે

પિયા ધીરે ધીરે ચલે આઓ, ચલે આઓ

કોઈ દૂર સે આવાઝ દે ચલે આઓ …

રાત રાત ભર ઈન્તઝાર હૈ

દિલ દર્દ સે બેકરાર હૈ 

સાજન ઈતના તો ન તડપાઓ … 

આસ તોડ કે મુખ મોડ કે 

ક્યા પાઓગે સાથ છોડ કે 

બિરહન કો યું ન તરસાઓ … 

‘તમે અભિનય કેમ નથી કરતા? ફોટોજેનિક છો.’ ‘હા, પણ એક્ટોજેનિક ન યે હોઉં.’ ‘એક્ટિંગ કરી તો જુઓ.’ આ સંવાદના પરિણામે આપણને એક ઉત્તમ ફિલ્મસર્જકની અંદર રહેલો મજાનો અભિનેતા મળ્યો, જેનું નામ હતું ગુરુ દત્ત. એમને અભિનય કરવાનું કહેનાર હતા અબ્રાર અલ્વી. ગુરુ દત્તની ફિલ્મોના લેખક જ નહીં, ગુરુ દત્તની સમગ્ર સર્જનપ્રક્રિયાનો હિસ્સો એવા અબ્રાર અલ્વી અને ગુરુ દત્તના જન્મદિન તાજા પસાર થયાં છે ત્યારે વાત કરીએ ગુરુ-અબ્રાર ટીમની, ‘સાહબ, બીબી ઔર ગુલામ’ ફિલ્મની અને ‘કોઈ દૂર સે આવાઝ દે’ એ ગીતની. 

ગુરુ દત્ત અબે અબ્રાર અલ્વી

અબ્રાર અલ્વીના નામ સાથે આપણને સત્યા શરણનું પુસ્તક યાદ આવે, ‘ટેન યર્સ વિથ ગુરુ દત્ત.’ વાત કરનાર છે અબ્રાર અલ્વી, પણ વાત કરે છે ગુરુ દત્તની. અબ્રાર અલ્વી અંગ્રેજીમાં એમ.એ. થયેલા. પિતાની ઈચ્છા એવી કે દીકરો વકીલ બને, પણ અબ્રાર અલ્વી અભિનેતા બનવા મુંબઈ આવ્યા. દૂરના ભાઈ જશવંત ફિલ્મોમાં કામ કરતા, એમની પાસે આવે જાય. એક વાર ગુરુ દત્તની ફિલ્મ ‘બાઝ’નું શૂટિંગ ચાલતું હતું, અબ્રાર હાજર હતા, કોઈ સૂચન કર્યું અને ગુરુ દત્તના ધ્યાનમાં આવી ગયા. 1954ની ‘આરપાર’ અબ્રાર અલ્વીએ લખી ત્યાર પછીનો દસકો આ બેનો હતો : ‘મિ. એન્ડ મિસીસ 55’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌદહવીં કા ચાંદ’, ‘સાહબ બીબી ઔર ગુલામ.’ છેલ્લી ફિલ્મ તો એમણે ડાયરેક્ટ પણ કરી. 

બિમલ મિત્રનું પુસ્તક હોય કે અબ્રાર અલ્વીની ફિલ્મ, ‘સાહબ બીબી ઔર ગુલામ’ પોતાનામાં એક અદ્દભુત રચના હતી. શિક્ષિત મધ્યમ વર્ગનો ઉદય અને જમીનદારી યુગનો અંત – આ સંધિકાળ આ કૃતિમાં એવો જીવંત થયો છે કે આપણે પોતાને એ સંધિકાળના સાક્ષી અનુભવીએ. કલકત્તામાં રહેતા, બહારની દુનિયાને તુચ્છ ગણતા, ખેડૂતોને રોળવતા, ગામોના ગામોની ઉપજ ખાતા ને કબૂતરબાજી, નોકરચાકરોનો કાફલો, નાચગાનની મહેફિલો અને આત્યંતિક ડોળદમામમાં મગ્ન રહેતા જમીનદારોની ભવ્ય હવેલીમાં ગામથી આવેલો ભૂતનાથ (ગુરુ દત્ત) આશરો લે છે. તેને મોહિની સિંદૂરના કારખાને નોકરી મળે છે અને પતિનો પ્રેમ ઝંખતી હવેલીની નાની વહુ (મીનાકુમારી) એની પાસે મોહિની સિંદૂર મગાવે છે એ છે ભૂતનાથ અને છોટી બહુની પહેલી મુલાકાત. આપણે પણ તેને ત્યારે જ પહેલી વાર જોઈએ છીએ, ફિલ્મની લગભગ 40 મિનિટ વીત્યા બાદ. વિધવા મોટી વહુની જેમ પૂજાપાઠથી કે વચેટ વહુની જેમ ઘરેણાંકપડાં અને દાસીઓની ફોજથી છોટી બહુને ચાલે તેમ નથી. તેને જોઈએ છે પતિ. પતિનો પ્રેમ.  

આ છોટી બહુ પડદા પર ભલે 40 મિનિટ પછી દેખાઈ હોય, ભૂતનાથ તો છોટી બહુને એ આવ્યો તે રાતથી ઓળખે છે. એ રાત … રાત ઘણી વીતી ગઈ છે, હવેલીની ધૂમધામ શાંત પડી છે, દરવાન ઝોકાં ખાય છે. હવેલી અસંખ્ય દીવાઓથી ઝગમગી રહી છે. અચાનક છેવાડાની અંધારી મેડી પરથી દર્દભર્યો સૂર ઊઠે છે: જિયા બુઝા બુઝા, નૈના થકે થકે, પિયા ધીરે ધીરે ચલે આઓ … આટલા શબ્દોમાં જ વાતાવરણ બંધાઈ જાય છે અને ગીત ઉપડે છે, ‘કોઈ દૂર સે આવાઝ દે ચલે આઓ’ શકીલ બદાયુનીના શબ્દો અને હેમંત કુમારના સંગીતમાં ગીતા દત્તના કંઠની કસક ભળ્યાથી ગજબ જાદુ થયો છે – ‘ન જાઓ સૈંયા’ અને ‘પિયા ઐસો જિયા મેં’ પણ ભૂલ્યા નહીં જ હો. 

‘ચલે આઓ’નાં આવર્તનો પ્રેમ અને પીડાની સૃષ્ટિ રચી રહ્યાં છે, અને જેને એ પોકારે છે એ આવે છે. નાચનારીને ત્યાંથી. શરાબના નશામાં ચૂર. ચાર ઘોડાની સુંદર બગીમાંથી નોકરો તેને ઊંચકીને ઉતારે છે ને ઢોલિયા પર સુવાડે છે. પ્રતીક્ષા કરનાર હતાશ થઈ ખસી જાય છે. દર્દભર્યો સૂર વિલાઈ જાય છે. એ જ છે છોટી બહુ. ત્યારે તેની માત્ર છાયા દેખાઈ છે – ઘણે દૂરથી, અંધકારથી વીંટળાયેલી – છતાં ગીત, એ હતભાગી સ્ત્રીની આખી કહાણી એની સમગ્ર વ્યથા સાથે વ્યક્ત કરી દે છે.  

પછી? પતિને પોતાનો કરવા છોટી બહુ પહેલા મોહિની સિંદૂરને અને પછી શરાબને શરણે જાય છે. ભૂતનાથ હવે એક કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી કરે છે ને કલકત્તા આવે ત્યારે છોટી બહુ અને જબા(વહીદા રહેમાન)ને મળે છે. યુગપરિવર્તનને પચાવી નહીં શકેલો જમીનદાર પરિવાર આ દરમ્યાન બરબાદ થતો ગયો છે. ભેંકાર હવેલીમાં બીમાર પતિની સેવા કરતી છોટી બહુ, ‘તું આવ્યો છે તો મને લઈ જા’ કહી એક સાધુનાં આશીર્વાદ લેવા ભૂતનાથ સાથે જાય છે. મેડી પરથી જેઠ જુએ છે – જમીનદારોની કુળવધૂ રાતના વખતે પરાયા પુરુષ સાથે? બગી પર હુમલો થાય છે, ભૂતનાથ ઘાયલ થાય છે, છોટી બહુ ગાયબ. શું થયું હતું તેનું? એ જાણવા માટે ફિલ્મ જોવી પડે. 

‘સાહબ બીબી ઔર ગુલામ’ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોમાં ગઈ હતી અને અનેક અવૉર્ડ મેળવી ક્લાસિકલ ગણાઈ હતી. નાનામોટા વિવાદો પણ સર્જાયા હતા. એ બધી વાતો પણ અખૂટ રસથી ભરેલી છે, પણ ‘સાહબ બીબી ઔર ગુલામ’ના નામ સાથે મન સમક્ષ ખડી થઈ જાય છે પતિને સર્વસ્વ માનતી ને એને પામવા સર્વસ્વ લૂંટાવી દેતી છોટી બહુ. બગી પર હુમલો થયા પહેલા તેણે કહ્યું હતું, ‘ભૂતનાથ, જબ મૈં મર જાઉં, ખૂબ સજાના મુઝે. તાકિ લોગ યે કહે, સતીલક્ષ્મી ચલ બસી …’ મીનાકુમારી, ગુરુ દત્ત અને ગીતા દત્ત ભાગ્યમાં સિદ્ધિ અને દર્દ બંને લખાવીને આવ્યાં હતાં. ‘સાહબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુનું દર્દ કદાચ એથી જ અનેકગણું થઈ દર્શકના હૃદયમાં હાહાકાર કરી મૂકે છે. 

‘સાહબ બીબી ઔર ગુલામ’ એટલી સમૃદ્ધ ફિલ્મ હતી કે એના એક એક પાસા પર, એની સાથે સંકળાયેલા એક એક વ્યક્તિત્વ પર ઘણું લખી શકાય અને તો પણ બધું અધૂરું રહે. ફિલ્મ રિલિઝ થઈ પછી ગુરુ દત્તે એનું ક્લાઇમેક્સ ગીત ફિલ્મમાંથી હટાવી દીધું હતું, કેમ કે એમાં છોટી બહુને ભૂતનાથના ખોળામાં માથું મૂકીને સૂતેલી બતાવી હતી. એને થયું કે દર્શકો આ દૃશ્યને પચાવી નહીં શકે. આ ગીતની ધૂન ત્યાર પછી હેમંત કુમારે 1966ની ફિલ્મ ‘અનુપમા’માં ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ ગીતમાં વાપરી હતી. ‘યા દિલ કી સુનો’ કૈફી આઝમીએ લખ્યું હતું, પણ અહીં શકીલ બદાયુનીએ ‘સાહબ બીબી ઔર ગુલામ’ માટે લખેલા મૂળ ગીતની પંક્તિઓ મૂકવાનું મન થાય છે, ‘સાહિલ કી તરફ કશ્તી લે ચલ, તૂફાં કે થપેડે સહના ક્યા, તૂ આપ હી અપના માઝી બન, લહરોં કે સહારે બહના ક્યા … કુછ નીંદ ભી હૈ કુછ હોશ ભી હૈ, ના જાને યે આલમ કૌન સા હૈ, યા ડૂબ જા યા ચલ સાહિલ પર, તિનકે કે સહારે રહના ક્યા’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 11 જુલાઈ  2025

Loading

પીડિતાને દોષિત ઠેરવતી પિતૃસત્તાત્મક માનસિકતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 August 2025

ચંદુ મહેરિયા

સુરતના કોંચિંગ ક્લાસમાં અધ્યાપન કાર્ય કરતી પાટીદાર યુવતી પર નીલ દેસાઈ નામનો સગીર તેની સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો. તેની સતત હેરાનગતિ અને ધાકધમકીથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી. આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાના આરોપસર સગીરની અટકાયત પછી, ‘સંદેશ’ના ખબરપત્રીના અહેવાલ પ્રમાણે કથિત આરોપી સગીરના કુટુંબીજનો અને જ્ઞાતિજનોએ યુવતીના મેસેજિસ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના બનાવને હજુ તો વરસ પણ થયું નથી અને કોલકાતાની કાયદાની કોલેજમાં ચોવીસ વર્ષિય કોલેજ છાત્રા પર કોલેજ પરિસરમાં જ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારીઓ  પૈકીનો એક રાજ્યના સત્તાપક્ષ તૃણમૂલ કાઁગ્રેસનો સક્રિય કાર્યકર છે. ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પડ્યા તો તૃણમૂલ વિધાયક મદન મિત્રાએ કહ્યું કે જો યુવતી ઘટનાસ્થળે ગઈ જ ના હોત, જતાં પહેલાં કોઈને વાત કરી હોત કે  કોઈ બહેનપણીને સાથે લઈ ગઈ હોત તો બળાત્કારની ઘટના જ ન બની હોત. પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજીએ એથી પણ આગળ વધીને એમ કહ્યું કે શું દરેક સ્થળે પોલીસ પહેરો હોઈ શકે? બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર દોષનો ટોપલો ઢોળી દેવાનું આ તે કેવું વલણ?

ઓડિશાના બાલાસોરની ફકીર મોહન અધ્યાપન કોલેજની બી. એડની વિદ્યાર્થિની સાથે કોલેજના પ્રોફેસર સમીર રંજન સાહુ જાતીય સતામણી કરતા હતા. છાત્રાએ તેની ફરિયાદ કોલેજના આચાર્યને કરી પણ તેની ફરિયાદ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું. ઉત્પીડનના આરોપી અધ્યાપક સામે પગલાં લેવા છાત્રાએ  ધરણાંનો માર્ગ અખત્યાર કર્યો. એ વેળા પ્રોફેસરને નિર્દોષ દર્શાવી ફરિયાદી છાત્રાને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી તેના ૭૧ સહછાત્રોએ કરી. લાંબા સંઘર્ષ છતાં  ન્યાયની કોઈ આશા ન જણાતાં યુવતીએ કોલેજમાં જ આત્મદાહ કર્યો અને સારવાર પછી તેનું અવસાન થયું. આ ઘટનામાં પણ કોલેજ અને સહપાઠીઓનું વલણ પીડિતાનો જ દોષ  જોવાનું રહ્યું હતું. 

ગરીબ, આદિવાસી, દલિત, કાળા અને મહિલા જેવા પીડિતોને દોષી ગણવાનું વલણ જાણે કે સહજ અને સાર્વત્રિક છે. જો તમે ગરીબ છો તો તમને કામચોર, આળસુ, વ્યસની ગણીને તમારી આર્થિક હાલતનું કારણ સંસાધનોની અસમાન વહેંચણી છે તે ભૂલવી દઈને તમને જ જવાબદાર ગણવામાં આવે છે. રંગભેદ, જ્ઞાતિભેદ , લિંગભેદ જેવા અનેક ભેદભાવનો શિકાર બનેલા લોકોને સામાજિક પૂર્વગ્રહો તથા સાંસ્કૃતિક માપદંડોના આધારે બ્લેઈમ કરી તેમણે કંઈક એવું કર્યું છે કે જે તેમણે ભોગવવું પડે છે એવું ઠસાવવામાં આવે છે. કાળાઓ પ્રત્યેના ધોળિયાઓના અન્યાય અને રંગભેદ છતાં તેમને જ દોષિત ગણવા સંદર્ભે  અમેરિકી મનોવૈજ્ઞાનિક અને માનવ અધિકાર કર્મશીલ વિલિયમ રયાને (જન્મ-૧૯૨૩, અવસાન-૨૦૦૨) ૧૯૭૧માં લખેલ પુસ્તક ” BLAMING THE  VICTIM’ માં આ પ્રકારના કૃત્યને કોઈ માનસિકતા કે વલણને બદલે વિચારધારા ગણાવી છે. પીડિતોને  દોષિત ઠેરવવા તે ફાસીવાદી ચરિત્રનું સૌથી ભયાવહ સ્વરૂપ છે. 

આ સૌમાં મહિલા પીડિતને દોષિત ગણી લેવાનો ચાલ તો રોજેરોજનો છે. યૌન અને ઘરેલુ હિંસા, શારીરિક છેડછાડથી બળાત્કાર જેવી હિંસાનો ભોગ બનેલી પીડિતાઓને તેમની સાથે થયેલા ખરાબ વર્તન કે બળાત્કાર માટે એ પોતે જ દોષિત હોય તેવું વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે. મહિલાઓ સાથે હિંસા આચરતા પુરુષો તો જાણે દેવના દીકરા હોય તેમ ‘લડકે હૈ કભી કભી ભૂલ હો જાતી હૈ’  કહીને તેમને છાવરવામાં આવે છે કે તેમનો બચાવ કરવામાં આવે છે. જ્યારે મહિલાઓને માથે એ તો છે જ એવી, આવા અડધા ઉઘાડાં દેખાવાય એવાં કપડાં તે પહેરાતા હશે ? પણ એ અડધી રાતે ગઈ જ શું કામ ? એવા સવાલો, આરોપ, દોષથી માંડીને એ જ લાગની છે સુધીના જજમેન્ટ અપાય છે. પીડિતાને દોષિત ઠેરવવી તે આપણી જડબેસલાક પિતૃસત્તાત્મક માનસિકતાને કારણે છે. જે કુટુંબ, સમાજ, રાજકારણ,મીડિયા અને અદાલતો એમ  ઠેરઠેર જોવા મળે છે.

વિનયભંગની પીડિતાને અવિશ્વસનીય ગણવી, તેના પર આચરાયેલ જુલમને હળવાશથી લેવો  એ તો ખરું જ પણ આવા બનાવ પછી પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને કોર્ટામાં ટ્રાયલ દરમિયાન તેને બળાત્કાર કે જાતીય સતામણી કરતાં ય  વધુ મોટો આઘાત સહેવો પડે છે. બળાત્કારની તપાસ માટે પ્રતિબંધિત ટુ ફિંગર પરીક્ષણ, પોલીસ ફરિયાદમાં વિલંબ કે નહીં નોંધવાનું વલણ અને ટ્રાયલ દરમિયાન વકીલોના આક્ષેપો અને અંગત સવાલોથી જાણે કે તેના પર બીજો બળાત્કાર થાય છે. 

જ્યાં ન્યાયની આશા લઈને પીડિતા જાય છે ત્યાં પણ તેને ઘણીવાર અન્યાય થાય છે. ૨૦૨૦માં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ દીક્ષિતે બળાત્કારના આરોપીને મુક્ત કરતાં બળાત્કાર પછી સર્વાઈવર સૂઈ ગઈ હતી તે બાબતને ગંભીર ગણી હતી અને તેને પરંપરાગત ભારતીય મહિલાના વલણ કરતાં જૂદું ગણાવી ફરિયાદને ખોટી માની હતી. તહેલકાના તરુણ તેજપાલ સામેની ફરિયાદ અંગે ગોવા હાઈકોર્ટે ઘટનાના આગલા દિવસની તસવીરોમાં પીડિતાના ચહેરા પર કોઈ પરેશાની જણાતી નથી અને તે ખુશ જણાય છે, તે બનાવ પછી ગોવામાં રોકાઈ હતી અને આખા કાર્યક્રમમાં હાજર રહી હતી તે બાબતને પણ ધ્યાનમાં રાખી ફરિયાદને અવિશ્વસનીય ગણાવી તેજપાલને આરોપ મુક્ત કર્યા હતા. ૧૯૯૫માં રાજસ્થાનના ભંવરી દેવી બળાત્કાર કાંડના ચુકાદામાં પણ અદાલતે કથિત નિમ્ન જ્ઞાતિની મહિલા પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો કે કાકા-ભત્રીજા સાથે કે વિવિધ વયજૂથના પુરુષો એક સાથે બળાત્કાર કરે તેને અસ્વીકાર્ય બાબત ગણી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે પીડિતાઓ પ્રત્યેનું અદાલતોનું વલણ ક્યારેક ખાપ પંચાયતો જેવું હોય છે. 

મહિલાઓને વસ્તુ નહીં પણ વ્યક્તિ માનવાની માનસિકતા હજુ કેળવાઈ નથી. મધ્ય પ્રદેશના એક બળાત્કાર કેસમાં જ્યારે સર્વોચ્ચ અદાલતે સ્ત્રીના શરીરને મંદિર જેવું ગણાવ્યું ત્યારે પણ તેમની માનસિકતા મહિલાને દેવી ગણાવાની, તેના શરીરને પવિત્ર ગણવાની હતી. જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાને કલંકિત ગણી તેનો ત્યાગ કરવો, અલગ પાડી દેવી, હડધૂત કરવી જેવી બાબતો સમાજમાં સહજ છે તેના મૂળમાં સ્ત્રીના શરીરને મંદિર કે પવિત્ર માનવાનું વલણ છે. 

શારીરિક અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીએ થાકીને સૂઈ જવાનું નથી પણ રડવાનું છે, ગભરાવાનું છે, બૂમો પાડવાની છે, ન્યાયની ભીખ માંગવાની છે – જેવા માપદંડો સમાજે તેના પર થોપ્યા છે. જ્યારે મહિલા તેના કરતાં જૂદું વલણ અપનાવે છે ત્યારે તેને દોષિત ગણવામાં આવે છે. હવે આ વલણ બદલવાનું છે. મહિલાનું શરીર મંદિર કે પવિત્ર નથી. બળાત્કારથી તે કલંકિત થઈ જતી નથી. તેણે જાતીય અત્યાચાર પછી દુ:ખી, બાપડી, બિચારી થવાનું નથી. પરંતુ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો સામનો કરવાનો છે. તો જ પીડિતાને દોષી માનતી માનસિકતામાં પરિવર્તન આવશે.  

e.mail : maheriyachandu@gmail.com

Loading

વક્ત કા હસીન સિતમ – ગુરુદત્તથી ગુરુદત્ત સુધી

સોનલ પરીખ|Opinion - Opinion|5 August 2025

ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતાં બનાવવા જોઈતાં.’  

ગુરુ દત્ત

દાદી પ્રાર્થના કરતાં હોય અને એ કિશોર દીવાના પ્રકાશમાં આંગળીઓ હલાવી ભીંત પર આકારો રચે. ત્યારે તેને કે કોઈને ખબર ન હતી કે સમયની દીવાલ પર એની છબી કાયમ માટે અંકિત થઈ જશે. 

મૂળ નામ વસંત. બાળપણમાં અકસ્માત થયો, એક સાધુના સૂચનથી નામ બદલી ગુરુદત્ત રાખ્યું – ગુરુદત્ત પદુકોણ. આ નામ સમયાંતરે ગુરુ નામ અને દત્ત અટક હોય એ રીતે ફિલ્મ-ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયું. ગુરુ દત્તની અગ્નિશિખા જેવી સર્જકતા, ચકિત કરી મૂકનારાં સર્જનો, બેચેન વ્યક્તિત્વ અને કરુણ અંતનો કલ્પનાની કે વાસ્તવની દુનિયામાં કોઈ જોટો નથી. 9 જુલાઈ 2025ના દિવસે તેમનો સોમો જન્મદિન છે. 

જન્મ બેંગલોરમાં, શિક્ષણ કોલકાતામાં. બંગાળી સંસ્કૃતિ જીવનમાં વણાઈ ગઈ. શ્યામ બેનેગલના કાકા અને ગુરુ દત્તના મામા બાલકૃષ્ણ બેનેગલના એક ચિત્ર પરથી કિશોર ગુરુએ ‘સપેરા’ નૃત્ય બનાવ્યું અને ઈનામ પણ મેળવ્યું. પિતા ખૂબ વાંચતાં. ગુરુ અઠંગ વાચક બન્યા. આર્થિક સ્થિતિને લીધે કોલેજ ન જઈ શક્યા, સોળ વર્ષની ઉંમરે 20 રૂપિયાના પગારથી કોલકાતાની લીવર બ્રધર્સની ફેક્ટરીમાં ટેલિફોન ઓપરેટર બન્યા. 

મોકો મળતાં ગુરુ દત્તે અલમોડા જઈ ઉદય શંકરની નૃત્ય એકેડમીમાં તાલીમ લીધી. પાંચ વર્ષ માટે સ્કોલરશીપ પણ મળી. વિશ્વયુદ્ધને લીધે એકેડમી બંધ થતાં ગુરુ દત્ત મુંબઈ આવ્યા અને ત્રણ વર્ષ માટે પૂણેના પ્રભાત સ્ટુડિયોમાં કોરિયોગ્રાફર તરીકે નોકરી લીધી. પછીથી કંપનીમાં અભિનેતા અને સહાયક દિગ્દર્શક પણ બન્યા. થોડો વખત ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’ માટે ટૂંકી વાર્તાઓ લખી.

પ્રભાતમાં દેવ આનંદ અને રહેમાન સાથે દોસ્તી થઈ જે જીવનભર ટકી. ત્યારે દેવ આનંદ સાથે થયેલા કરાર પ્રમાણે તેણે દેવ આનંદની પ્રોડક્શન કંપની નવકેતન હેઠળ ‘બાઝી'(1951)નું દિગ્દર્શન કર્યું. બીજે વર્ષે ‘જાલ’ આવી. આ બંને અને ત્યાર પછીની કેટલીક ફિલ્મો 40-50ના દાયકાની ‘ફિલ્મ નોઈર’ શૈલીથી પ્રેરિત હતી. નૈતિક રીતે અસ્પષ્ટ એવો નાયક, અપરાધ, સાયરન અને છાયા-પ્રકાશની યોજના એ આ શૈલીની વિશેષતાઓ છે. હિન્દી ફિલ્મોમાં નોઈર શૈલીની ફિલ્મો લાવનાર ગુરુદત્ત પહેલા હતા.  

દર્શકોની નાડ પારખતાં તેને આવડતું. ‘બાઝી’, ‘જાલ’, ‘મિ. એન્ડ મિસીસ 55’ અને ‘સી.આઇ.ડી.’ની સફળતા પછી ગુરુ દત્તે પોતાનામાં રહેલા કલાકારને બહાર કાઢ્યો અને સાહસિક-જોખમી વિષયોને મેદાન આપ્યું. સંતોષ ન થાય તો પ્રોજેક્ટને અભેરાઈ પર ચડાવતા તેને વાર લાગતી નહીં. ગુરુ દત્તે કુલ 8 હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંથી 1957ની ‘પ્યાસા’, 1959ની ‘કાગઝ કે ફૂલ’ અને 1962ની ‘સાહબ, બીબી ઔર ગુલામ’ની આંતરરાષ્ટ્રીય ઓળખ છે. 

શ્યામ બેનેગલે કહ્યું છે, ‘ગુરુ દત્તની ફિલ્મો અર્થપૂર્ણ રહેતી. સેટ પર પૂરી તૈયારી સાથે જાય. કેમેરાનો એંગલ, એક એક મુવમેન્ટ પરફેક્ટ જોઈએ. સંતોષ ન થાય ત્યાં સુધી ઓકે ન કહે. “પ્યાસા” માટે પોતે પણ સો કરતાં વધારે  રિટેક આપ્યા હતા. ગીતને વાર્તા સાથે જોડી દેવા અને ખાસ રીતે ફિલ્માંકિત કરવામાં ગુરુ દત્ત અજોડ હતા.’ અદ્દભુત લાઇટ એન્ડ શેડો ઇફેક્ટ માટે જાણીતા ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ ગીતના સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્તિ કહે છે, ‘ગુરુદત્તને હું “ઓબ્સેસિવ ડિરેક્ટર” કહું. અત્યંત ઊર્જાભર્યા, તીક્ષ્ણ બુદ્ધિ અને કામમાં ઓતપ્રોત. “કાગઝ કે ફૂલ”ના ગીત “વક્ત ને કિયા”ને હું “ક્લાસિક મોમેન્ટ ઑફ સેલ્યુલોઈડ હિસ્ટરી” ગણું છું. આ ગીત નટરાજ સ્ટુડિયોમાં ફિલ્માવ્યું હતું. એક વેન્ટિલેશનમાંથી પ્રકાશ આવતો હતો તેને એક અરીસામાં ઝીલી અમે પ્રકાશકિરણ રચ્યું અને નાટ્યાત્મક અસર આપવા થોડો ધુમાડો ઉમેર્યો.’ 

ગુરુ દત્તનાં બહેન લલિતા લાજમી કહે છે, ‘મારા પિતા ક્રિએટિવ રાઇટર બનવા માગતા હતા, ન બની શકયા. એ કારણે એમનામાં કટુતા આવી ગઈ. ગુરુમાં મારા પિતાની સર્જનાત્મકતા અને બેચેની બંને હતાં. ‘પ્યાસા’માં તેણે એક કવિના સંઘર્ષનું આલેખન કર્યું છે એ મારા પિતાના જીવન પર આધારિત છે.’ 

વિદેશી સિનેમાસ્કોપ ફિલ્મોને જોઈને ગુરુદત્તને પોતાની ફિલ્મોમાં આ નવી ચીજ લાવવી હતી. ‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોકસ’ની ભારત-ઓફિસના મેનેજર મિ. પ્રભુ પાસેથી સાધનો અને લેન્સિઝ મેળવી ગુરુદત્તે સિનેમાસ્કોપમાં બનેલી પહેલી ભારતીય ફિલ્મ બનાવી, ‘કાગઝ કે ફૂલ’. એ ફ્લોપ થઈ. કરોડો રૂપિયાનું નુકસાન થયું. પોતાની સર્જનાત્મક આકાંક્ષાઓના અસ્વીકારનું દુ:ખ એનાથી પણ મોટું હતું. રાજ કપૂરે કહ્યું હતું તેમ ‘કાગઝ કે ફૂલ’ સમય કરતાં ઘણી વહેલી બની હતી. ‘ચૌદહવીં કા ચાંદ’થી આર્થિક ખુવારી સરભર થઈ, પણ એ પછી ગુરુ દત્તે ફિલ્મોનું દિગ્દર્શન ન કર્યું. ‘ચૌદહવીં કા ચાંદ’ના દિગ્દર્શક હતા એમ. સિદ્દિકી અને ‘સાહબ બીબી ઔર ગુલામ’ના અબ્રાર અલવી. ‘ટેન યર્સ વિથ ગુરુ દત્ત’માં અબ્રાર અલવી કહે છે કે આ બંને ફિલ્મોનાં ગીતો ગુરુદત્તે કર્યાં હતાં અને નામ ગમે તેનું હોય એ ફિલ્મો પર ગુરુદત્તનો સઘન સ્પર્શ હતો.’ આ ફિલ્મના રમતિયાળ ગીત ‘ભંવરા બડા નાદાન’ના રેકોર્ડિંગને યાદ કરતાં ગાયિકા આશા ભોંસલે કહે છે, ‘મુઝે યાદ હૈ, દત્ત સાહબ મેરે સામને ખડે હો ગયે ઔર હર એક લફ્ઝકો કૈસે ગાના હૈ વહ મુંહ બના બના કે દિખાને લગે – કિતની કલેરિટી, કિતના પરફેક્શન!’ આ જ ફિલ્મનાં ગીત દત્તે ગયેલાં ગીતોમાં વિરહ, પીડા અને કસક ટોચ પર પહોંચ્યાં હતાં.

ગીતા દત્ત

ગીતા દત્ત આત્મવિશ્વાસભરી એ સફળ સુંદર ગાયિકા અને આ સંઘર્ષરત પ્રતિભાશાળી ફિલ્મમેકર વચ્ચે પ્રેમ તો થવાનો જ હતો. પણ લગ્ન – ત્રણ વર્ષના સંવનન પછી ગીતાના પરિવારના વિરોધ વચ્ચે 1953માં બંને પરણ્યાં. શરૂઆતનાં વર્ષો સુંદર-મધુર હતાં. ત્રણ સંતાનોમાં અરુણનો જન્મદિવસ ગુરુની જેમ 9 જુલાઈએ અને તરુણનો 10 જુલાઈએ આવતો. ગીતા ઊમળકાથી ત્રણેનો જન્મદિન સાથે ઊજવતી. પછી બધું બગડતું ચાલ્યું. છૂટાં પડ્યાં ત્યારે ગુરુદત્ત સફ્ળતાનાં શિખરે હતા, ગીતા દિશાહીન, નિર્ભ્રાંત. 

શું ખૂટ્યું હશે આ સુંદર યુગલના જીવનમાં? લગ્ન પછી માત્ર ગુરુદત્તની ફિલ્મોમાં ગાવાનું બંધન ગીતા દત્તને ન ફાવ્યું? પોતે આ બંધન, ત્રણ સંતાનો અને સંસારમાં બદ્ધ હતી અને પતિ નવી પ્રેરણામૂર્તિ વહીદા રહેમાન સાથે પ્રસિદ્ધિનાં સોપાનો ચડતો હતો – આ સ્થિતિ સંભાળી ન શકાઈ? ગુરુ દત્ત ફિલ્મસર્જનમાં જેટલો ઓતપ્રોત હતો, એટલો જ અંગત જીવનમાં અનુશાસનહીન હતો એમ કહેવાય છે તે સાચું હતું? ગમેતેમ, બંને છેક સુધી એકબીજાને ચાહતાં. આત્મહત્યાના બીજા નિષ્ફળ પ્રયત્ન પછી ભાનમાં આવેલા ગુરુદત્તે સૌથી પહેલા ગીતાને યાદ કરી હતી. નસરીન મુન્ની કબીરે ગુરુ દત્તના પત્રોનું પુસ્તક કર્યું છે, ‘યોર્સ, ગુરુ દત્ત.’ આમાંના મોટા ભાગના પત્રો ગીતા પર લખાયેલા છે અને ગુરુ દત્તના મૂડ સ્વિંગ્સ, પ્રેમ, ગુસ્સો, મુંઝવણ અને હતાશાને આલેખે છે. ગીતા અને વહીદા બંનેને ગુમાવ્યા પછી શરાબ, ડિપ્રેશન, એંક્ઝાયટી, સર્જનાત્મક બેચેની અને મેલાન્કોલિક ટેન્ડનસી(ખિન્ન પ્રકૃતિ)એ ભરડો લીધો અને 39 વર્ષના જીવનનો, 18 વર્ષની ફિલ્મકારકિર્દીનો અકાળે અંત આવ્યો. 

આ ગાળામાં ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ ગુરુ દત્ત ઘણું કરી શક્યા હોત, પણ તેઓ ખૂબ વહેલા ચાલ્યા ગયા. કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતા બનાવવા જોઈતા.’

‘કાગઝ કે ફૂલ’નો સુરેશ સિંહા કહે છે, ‘એક હાથ સે દેતી હૈ દુનિયા, સૌ હાથોં સે લેતી હૈ, યે ખેલ હૈ કબ સે જારી, બિછડે સભી બારી બારી’ પ્યાસાનો વિજય કહે છે, ‘હમ ગમજદા હૈં લાયેંગે કહાં સે ખુશી કે ગીત, દેંગે વહી જો પાયેંગે ઇસ ઝિંદગી સે હમ’ ‘સાહબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુનો ચિત્કાર ‘હાં, હાં, મૈં અલાયદા હૂં’ ગુરુ દત્તનો પોતાનો પણ નથી શું? દુનિયાથી અલગ હોવાની એક કિંમત હોય છે અને એ ચૂકવવી પડે છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 જુલાઈ  2025

Loading

...102030...52535455...607080...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved