Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 

સોનલ પરીખ|Opinion - Opinion|6 December 2025

બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એવી સાદી વાત આપણે પચાવવાની હજી બાકી છે. બાળકનો આનંદ, બાળકની સર્જનાત્મકતાનો વિકાસ થાય, સરખામણી–હરીફાઈથી મુક્ત અને મોજ પડે એવી શિક્ષણ–પ્રક્રિયા બનાવવાની હજી બાકી છે. બાલદિન આવી રહ્યો છે ત્યારે ગિજુભાઈ બધેકાએ જોયેલું ‘દિવાસ્વપ્ન’ આપણે સૌ જોઈએ અને સાકાર કરીએ …

ઓગણીસમી સદીનો અંત નજીક હતો. દુનિયામાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. આપણા દેશ પર પણ બ્રિટિશ શાસનની પૂરી પકડ હતી. શિક્ષિત ભારતીયો રાજકીય નિર્ણયોમાં સહભાગી થઈ શકે એ હેતુથી દાદાભાઈ નવરોજી, દિનશા એદલજી વાચ્છા અને એલન ઑક્ટોવિયન હ્યુમે 28 ડિસેમ્બર 1885માં ‘ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ’ની સ્થાપના કરી. તેનું પહેલું અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે મુંબઈ(ત્યારના બૉમ્બે)માં ભરાયું હતું. 

ગિજુભાઈ બધેકા

આ ઘટનાના એકાદ મહિના પહેલા, સૌરાષ્ટ્રના ચિતલ ગામમાં ગિરિજાશંકર નામના એક બાળકનો જન્મ થયો. એ વખતે ચિતલથી 100 કિલોમીટરના અંતરે આવેલા રાજકોટમાં સોળ વર્ષના મોહનદાસ ગાંધી જીવનનો માર્ગ શોધી રહ્યા હતા. આ બાળક ગિજુભાઈ નામથી બાલશિક્ષણની દુનિયામાં વિખ્યાત થવાનો હતો. ગિજુભાઈનો જન્મદિન 15 નવેમ્બરે – બાલદિનના બીજા દિવસે છે. આ બન્ને નિમિત્તે આજે વાત કરીએ ગિજુભાઈની અને એમના વિખ્યાત પુસ્તક ‘દિવાસ્વપ્ન’ની.  

ગિજુભાઈનો ઉછેર અને અભ્યાસ ભાવનગરમાં. ધંધાર્થે આફ્રિકા ગયા. પછી મુંબઈમાં વકીલાતનું ભણ્યા અને વઢવાણ કૅમ્પમાં વકીલાત શરૂ કરી. દરમ્યાન પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. ગિજુભાઈ તેને ચીલાચાલુ નિશાળોની બદીથી મુક્ત રાખવા માગતા હતા. મોતીભાઈ અમીને તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં અને ગિજુભાઈને બાલકેળવણીનો સાચો રસ્તો મળ્યો. 

ભાવનગરમાં હરજીવન પંડ્યા તથા નાનાભાઈ ભટ્ટે સ્થાપેલા છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે જોડાવા આમંત્રણ મળતાં ત્રીસ વર્ષના ગિજુભાઈ વકીલાત છોડીને ‘દક્ષિણામૂર્તિ’માં જોડાઈ ગયા. બે વર્ષ પછી છાત્રાલય સાથે કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈ તેના આચાર્ય બન્યા. નવું નવું વાંચે, વિચારે ને શાળામાં પ્રયોગ કરે. 1920ના ઑગસ્ટમાં રમાબહેન પટ્ટણીના હસ્તે બાલમંદિર ખુલ્લું મુકાયું. 1922માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ત્યારથી માંડીને 1936 સુધી ગિજુભાઈ ‘દક્ષિણામૂર્તિ’ સાથે જોડાયેલા રહ્યા. એમના પ્રતાપે ગુજરાતની કેળવણીનાં દશા-દિશા બદલાયાં.

ગિજુભાઈએ 200 જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ચરિત્રો, બાળસાહિત્ય-કિશોરસાહિત્યનાં પુસ્તકો, ગ્રંથમાળાઓ, બાળશિક્ષણને લગતાં પુસ્તકો, ચિંતન વગેરેનો સમાવેશ થાય છે. એ વખતે સંયુક્ત કુટુંબોમાં અને શાળાઓમાં બાળકો હડધૂત થતાં, માર ખાતાં ને ગમેતેમ ઊછરી જતાં. ગિજુભાઈએ સમગ્ર સમાજને બાળકોનું અને બાળકેળવણીનું મહત્ત્વ સમજાવ્યું. સહકાર્યકરો કેળવ્યા; શિક્ષકો, માબાપો અને વાલીઓની સભાઓ કરી. પત્રિકાઓ કાઢી. બાળકોના હાથમાં ‘અમને મારશો નહિ’, ‘અમને બિવરાવશો નહીં’ જેવાં સૂત્રો લખેલાં પૂંઠાં મૂકી સરઘસો કાઢ્યાં. મૉન્ટેસૉરી સંઘ સ્થાપ્યો, મૉન્ટેસૉરી પદ્ધતિનાં સાધનો બનાવવાના પ્રયોગ કર્યા. બાળકોને સ્વતંત્રતા મળે, તેઓ સ્વયંસ્ફુરણાથી પ્રવૃત્તિઓ કરે, સ્વાવલંબી બને, જીવનવિકાસને પોષક વાતાવરણ મળે, સહકારથી જીવતાં શીખે વગેરેની તેમણે હિમાયત કરી. આ સંદર્ભમાં તેમણે ‘મૉન્ટેસૉરી પદ્ધતિ’, ‘પાઠ આપનારાંઓને’, ‘આ તે શી માથાફોડ ?’, ‘મા-બાપ થવું અઘરું છે’, ‘વાર્તા કહેનારને’ વગેરે પુસ્તકો પણ આપ્યાં છે. આ બધા થકી ગુજરાતમાં બાલકેળવણી અંગે એક વિશાળ મોજું ઉત્પન્ન થયું. 

બાલશિક્ષણ અંગે સોળ વર્ષના ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાતની પ્રજાએ ગિજુભાઈનું રૂપિયા 11,000ની થેલી વડે સન્માન કર્યું. એ વખતે મોટી ગણાતી એ રકમ ગિજુભાઈએ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા સંયોજકોને સુપરત કરી. ‘દક્ષિણામૂર્તિ’માંથી છૂટા થયા પછી તેમણે રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. 1939માં ત્રેપન વર્ષની વયે અવસાન થતાં એમની બાલવિદ્યાપીઠ(ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી)ની સ્થાપના, બાલજ્ઞાનકોશની રચના અને આત્મદર્શન આ ત્રણ ઇચ્છાઓ અધૂરી રહી.

‘દિવાસ્વપ્ન’ પુસ્તકમાં ગિજુભાઈએ વાર્તાના માધ્યમથી બાલશિક્ષણનું શાસ્ત્ર અત્યંત રસમય અને અસરકારક રીતે સમજાવ્યું છે. રૂઢિચુસ્ત શિક્ષણપ્રથાના વિરોધી યુવાન શિક્ષક લક્ષ્મીરામ વિદ્યા-અધિકારી પાસે શિક્ષણના પ્રયોગો કરવાની મંજૂરી માગે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અધિકારી એમને ચોથા ધોરણનો વર્ગ સોંપે છે. ‘પ્રયોગો ભલે કરો, પણ પરીક્ષા માટે છોકરાઓને તૈયાર કરવા પડશે.’ ‘જરૂર સાહેબ. મારી વિનંતી છે કે આપ જાતે જ એમની પરીક્ષા લો.’

અને પ્રયોગો શરૂ થાય છે. બે મહિના તો બાળકોને સ્વચ્છતા અને સ્વયંશિસ્ત શીખવામાં જ જાય છે. આ બાજુ લક્ષ્મીરામ માબાપોના અવિશ્વાસ અને શિક્ષકોની ઈર્ષા, મજાક અને ઉપેક્ષાનો ભોગ બને છે. પણ હાર્યા વિના તેઓ બાળકોને વાર્તાઓ, ગીતો અને રમતો દ્વારા ભાષા, વ્યાકરણ, વિજ્ઞાન, ઇતિહાસભૂગોળ, ગણિત અને કલાઓ શીખવે છે. બાળકોને શિક્ષાની બીક વિના, કોઈ ભાર વિના હસતાંરમતાં શીખતા જાય છે અને તેમનામાં સમાનતા, સંપ, ખેલદિલી, ન્યાય, સહકાર જેવાં મૂલ્યો પણ વિકસતાં જાય છે. 

લક્ષ્મીરામે રેન્કિંગ સિસ્ટમના બદલે જેને જે આવડતું તે બહાર કાઢવા પ્રોત્સાહન આપ્યું. તેમના વર્ગે કોઈ પૂર્વતૈયારી વિના મેળાવડામાં નાટકો કર્યાં. આ નાટકો જે વાર્તાઓ તેમને ગમતી તેનાં નાટ્યરૂપો હતાં અને તેઓ વર્ગમાં દર અઠવાડિયે વાર્તાઓ ‘ભજવતા’ તેનું પરિણામ હતાં. તેનાથી વિદ્યાર્થીઓની સ્મૃતિ, આત્મવિશ્વાસ, જાહેરમાં પોતાને વ્યકત કરવાની કળા, અભિનય અને ચાતુર્યનો વિકાસ થયો. 

એક દિવસ તેમણે તેમના સર્વેક્ષક મિત્રને આમંત્રણ આપ્યું. સર્વેક્ષકે વિદ્યાર્થીઓને વર્ગનું માપ કેવી રીતે લેવાય અને કાગળ પર મકાનની યોજના કેવી રીતે બને તે બતાવ્યું. પછી મોજણીદારની ઓફિસમાં લઈ શેરીઓ, ગામો, જંગલ વિસ્તારો વગેરેનાં નકશા કેવી રીતે બને તે બતાવ્યું. એક દિવસ હાઈ સ્કૂલમાંથી દૂરબીન લાવ્યા. છોકરાઓએ દૂરબીનથી બધું જોવામાં આખો દિવસ ગાળ્યો. ગ્રહો અને તારાઓ અવલોકન માટે એક રાત્રે એક ટેલિસ્કોપ પણ લાવ્યા. 

વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચતાં થયાં હતાં. એક નોટબુકમાં કોણે કયું પુસ્તક વાંચ્યું, કયાં પુસ્તકો વિદ્યાર્થીઓને વધુ ગમ્યાં અને કયાં નહીં તેની નોંધ રાખી હતી. વિદ્યાર્થીઓ એક હસ્તલિખિત સામયિક કાઢતા અને તેમાંની સામગ્રી પણ જાતે જ તૈયાર કરતા. તેઓ જે લખતા તેને ‘સુધારવા’ના પ્રયત્નો ન થતા. 

પ્રયોગોની આખી ઘટમાળ બહુ રસપ્રદ છે. વાંચતા જઈએ તેમ પ્રતીતિ થતી આવે કે ત્યારની શાળાઓ ને શિક્ષણપદ્ધતિ અત્યારની શાળાઓ અને શિક્ષણપદ્ધતિ કરતાં ભલે જુદાં હોય, પણ બાળકનો આનંદ, બાળકની સર્જનાત્મકતાનો વિકાસ, શિક્ષણને સરખામણી-હરીફાઈથી મુક્ત મોજ પડે એવી પ્રક્રિયા બનાવવી, એ માટેની મોકળાશ સર્જવી અને શિક્ષકોની એ પ્રકારની માનસિકતા કેળવવી આ બધાની ખૂબ ઉપેક્ષા ત્યારે પણ થતી હતી, અત્યારે પણ થાય છે. કારણ કદાચ એ છે કે આવા પ્રયોગો માટે સિસ્ટમ અને શિક્ષક બન્નેમાં બાળકો પત્યે નિરવધિ પ્રેમ, સર્જનાત્મક પ્રતિભા અને મહેનત કરવાની તૈયારી હોવાં જોઈએ – ક્યાંથી કાઢવાં ?

વર્ષના અંતે વિદ્યાધિકારી ખુશ થઈને શાળામાં પુસ્તકાલય કરવા માટે રકમ આપે છે અને કહે છે, ‘લક્ષ્મીરામના વિદ્યાર્થીઓ ઘણું શીખ્યા છે. વ્યવસ્થિત, તંદુરસ્ત, ચપળ અને આનંદી છે. માબાપોને સંતોષ થયો છે. તેમનો પ્રયોગ સફળ રહ્યો છે. મારા વિચારોમાં પલટો આવ્યો છે. જૂની ઘરેડનો અંત હવે આવવો જોઈએ …’ આ શબ્દો સાથે 112 પાનાનું પુસ્તક પૂરું થાય છે અને વાચક અનોખી પ્રસન્નતા સાથે પોતાનાં ઘરમાં ઉછરતાં બાળકો પ્રત્યે એક નવી દૃષ્ટિ પામે છે.  

‘દિવાસ્વપ્ન’ 1932માં લખાયું. તે જ વર્ષે તેનું હિંદી થયું. પછી અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ આવૃત્તિઓ થઈ. બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એ એમનું બાલશિક્ષક તરીકેનું મુખ્ય વિચારકેન્દ્ર છે. જ્ઞાનકોષોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસની પરિચિત સામગ્રીમાંથી સરળ વાર્તાઓ દ્વારા ગિજુભાઈ બાળકોને તેમના પરિસરમાં આવતી વસ્તુ, સ્થળ, ભાષા વગેરે સાથે સાહજિકતાથી સાંકળતા અને એમને આનંદ આપતાં આપતાં માનસઘડતરનું સુંદર કાર્ય કરતા. એ માટે તેમણે પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત કાકાસાહેબ જેવા પાસેથી ‘બાલસાહિત્યના બ્રહ્મા’ જેવી ઉપાધિ પણ મેળવી. આ પુસ્તક ઈ-બુક તરીકે અવેલેબલ છે.

બાલશિક્ષકો અને બાલહિતચિંતકોની પેઢીઓ તૈયાર કરવામાં ગિજુભાઈનું ચિરંજીવ પ્રદાન છે. તેમણે પોતાના જ્ઞાનદીપથી તારાબહેન મોડક, મોંઘીબહેન બધેકા, નર્મદાબહેન રાવળ, ચંદુભાઈ ભટ્ટ, રામનારાયણ નાગરદાસ પાઠક, નરેન્દ્ર બધેકા, વિમુબહેન બધેકા, શેષ નામલે, સોમાભાઈ ભાવસાર, વજુભાઈ દવે, મૂળજીભાઈ ભગત, ભોગીભાઈ પારેખ, સરલાદેવી સારાભાઈ, યશસ્વતીબહેન ભટ્ટ, વીરસૂત મહેતા, કાશીનાથ ત્રિવેદી જેવાં અનેક દીવડાઓ પ્રગટાવ્યા હતા. 

બાળક પ્રત્યે સાચા પ્રેમનો એક દીવો આપણા અંતરમાં પણ પ્રગટાવીએ …             

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 નવેમ્બર  2025

Loading

વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

નેહા શાહ|Opinion - Opinion|6 December 2025

નેહા શાહ

૨૦૨૪માં દુનિયામાં આશરે ૮૩,૦૦૦ મહિલા કે છોકરીની ઈરાદાપૂર્વક હત્યા થઇ! તેમાંથી લગભગ ૫૦,૦૦૦થી વધુ એટલે કે ૬૦ ટકા હત્યા કરનાર પતિ / પાર્ટનર કે કુટુંબના કોઈ સભ્ય હતા, એટલે કે લગભગ દર દસ મિનિટે એક ! ૨૫ નવેમ્બરે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી’ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પ્રસંગે બહાર પાડેલા રિપોર્ટમાં આપેલા આ આંકડા ચોંકાવનારા છે. નારી-હત્યા એ સ્ત્રી વિરુદ્ધ હિંસાનું સૌથી ભયાનક સ્વરૂપ છે. ઉત્તરોત્તર સ્ત્રીઓની પ્રગતિ વધી રહી હોવા છતાં મહિલા વિરુદ્ધની હિંસા ઓછી થવાનું નામ લેતી નથી !

‘નારી-હત્યા’ માટે વપરાતો શબ્દ ‘ફેમીસાઈડ’નો આધુનિક ભાષામાં પ્રયોગ ૧૯૭૦ના દાયકામાં વૈશ્વિક નારીવાદી ચળવળની સાથે શરૂ થયો. એને લિંગ-સંબંધિત પ્રેરણા સાથે ઇરાદાપૂર્વકની હત્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મહિલાઓની હત્યા પાછળ પુરુષપ્રધાન માનસિકતામાંથી ઊભા થતા સત્તાનાં સમીકરણ કામ કરતાં હોય છે. ભારતમાં પ્રશ્ન પેચીદો છે. માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા તો મા-બાપ કે ભાઈ નારાજ થઇ જાય, પતિના અહંકારને પડકારે એવી કોઈ વાતથી પતિ કે પાર્ટનર ગુસ્સે થઇ જાય, દહેજ સંબંધી હત્યા બંધ નથી થઇ, દીકરાને જન્મ આપવાની જવાબદારી પત્નીને જ ખભે હોય તો દીકરીને જન્મ આપતી પત્ની બોજો બની જાય, બળાત્કારનો ભોગ બનતી સ્ત્રી ગુનાની સાક્ષી બની જુબાની આપે તો ખતરો બની જાય, સેક્સ વર્કરની ગણતરી તો ઘણી વાર ‘માણસ’ તરીકે જ નથી થતી એટલે તેમને અવારનવાર હિંસક વૃત્તિનો સામનો કરવો પડે. આમ, સ્ત્રી વિરુદ્ધની હિંસા માટે એમનું સ્ત્રી હોવું પૂરતું હોય છે. એની પાછળ સ્પષ્ટ સામજિક-રાજકીય ચિત્ર ઊભું થાય છે એ ફેમીસાઈડને અન્ય હત્યા કરતાં અલગ તારવે છે. ભારતમાં દરેક હત્યાને ‘માનવ-વધ’ ગણવામાં આવે છે, પોલીસના રેકોર્ડમાં નારી-હત્યાનું અલગ નોંધ નથી એટલે કુલ હત્યામાંથી ફેમીસાઈડને અલગ તારવી એનું પ્રમાણ સમજવું અઘરું બને છે. વળી, ભારતમાં મહિલાઓ ઘરેલું હિંસા અંગે ખૂલીને વાત પણ નથી કરતી – એ અંગે ફરિયાદ કરવી તો દૂરની વાત છે.

ડીજીટલ ટેકનોલોજીના યુગમાં સ્ત્રી સામેની હિંસા નવા રૂપ લઇ રહી છે. સંમતિ વિના ફોટા શેર કરવા, ડોક્સિંગ અને ડીપફેક વીડિયો જેવી હિંસાનાં નવાં સ્વરૂપોને પણ જન્મ આપ્યો છે. અજાણી વ્યક્તિ સાથેની સોશ્યલ મીડિયા પરની આછી પાતળી વાતચીત બાદ ટ્રોલીન્ગ થાય કે ફોન પર સતામણી થાય એ તો ઘણું સામાન્ય બની ગયું છે, ઘણીવાર સતામણી ડીજીટલ માધ્યમ પૂરતી મર્યાદિત ના રહેતા મહિલાનો પીછો પણ શરૂ થઇ શકે છે! કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ કરી તમે શું પહેર્યું છે, કે તમે કોને મળ્યા છો જેવી વિગતો આપી તમને જણાવતી હોય કે એ સતત તમારા પર નજર રાખે છે તો ડરવું જરૂરી બની જાય છે. ઘણીવાર પીછો કરતી વ્યક્તિ જ પછી મોતની ધમકી આપવા લાગે છે! નામ-ઠામ વગરની વ્યક્તિ સામે કોઈ પગલાં લેવામાં પોલીસ પણ ઝાઝી મદદ કરી શકતી નથી, કારણ કે ડીજીટલ હિંસા સામે હજુ સ્પષ્ટ કાનૂની પાયા અને નિયમો નથી. આ પરિસ્થિતિ દુનિયાના બધા દેશોમાં છે.

ફેમીસાઈડના સંદર્ભે શ્રદ્ધા વાલકર-વાળો કિસ્સો યાદ કરવો અગત્યનો છે. “લવ – જીહાદ’નું એ સીમા ચિહ્ન બની રહેલો આ કિસ્સો કોઈ ભૂલ્યું નહિ હોય. આંતર ધર્મ લગ્નને રોકવા આ કિસ્સાને ટાંકીને વિરોધ કરવામાં આવે છે. બદનસીબી એ છે કે શ્રદ્ધાના અપમૃત્યુની ચર્ચા માત્ર એના કોમી રંગને લીધે થઇ. એનું પોતાના પાર્ટનર પર નિયંત્રણ રાખતા વર્તનને એટલું પ્રાધાન્ય ના મળ્યું. શ્રદ્ધાની જગ્યાએ કોઈ સમ્-ધર્મી પાર્ટનર હોત, તો પણ આફતાબનું વર્તન આ જ રહ્યું હોત, કારણ કે હત્યાનું કારણ ધર્મ નહિ, પણ બંને વચ્ચે વધી રહેલા મતભેદ હતું. એ જ અરસામાં બીજા કેટલા બધા કિસ્સા બન્યા. અંકિતા ત્યાગીની હત્યા એના પુરુષ મિત્રએ કરી કારણ કે એણે લગ્ન કરવાની ના પાડી! કોન્ગરા નાગમણી કે ઐશ્વર્યાની હત્યા એમના માતા-પિતાએ કરાવી કારણ કે તેમણે દલિત પુરુષ સાથે લગ્ન કર્યા! મનોજ સાને નામના આધેડ પુરુષે એની પાર્ટનરની હત્યા કરી કારણ કે એણે એની સાથે શારીરિક સંબંધ બાંધવા ઇનકાર કર્યો ! રાધિકા યાદવની હત્યા એના પિતાએ કરી કારણ કે એની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માંગતા હતા! 

આવા કિસ્સાઓની યાદી હજુ ઘણી લાંબી છે. આ દરેક કિસ્સામાં હત્યા ઘરમાં જ થઇ છે અને નજીકની વ્યક્તિ દ્વારા થઇ છે. ઘરની ચાર દીવાલ જ સ્ત્રીઓ માટે જોખમી સાબિત થઇ છે, જ્યારે હિંસા તેમને ડરાવવા, અપમાનિત કરવા અને ખાસ કરીને ચૂપ કરાવવા માટે થઇ છે. જો પ્રશ્નનું નિદાન યોગ્ય હશે તો એનો ઉકેલ યોગ્ય દિશામાં શોધીશું. નારી-હત્યાને પુરુષ-પ્રધાન સામાજિક ઢાંચાના ભાગ તરીકે સમજવો પડશે, એનું યોગ્ય રીપોર્ટીંગ કરવું પડશે, આંકડાઓનું યોગ્ય દસ્તાવેજીકરણ કરી એ આધારે જરૂરી કાયદા ઘડી યોગ્ય પાલન કરવું પડશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાં વ્યાપેલું મીંઢાપણું ઘાતક છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 December 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ વેન્ટિલેટર પર હોવાનો વહેમ પડે છે. તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં કહેલું કે હું તો પાર્ટ ટાઈમ રાજકારણી છું. તેમનો ઈશારો એ હતો કે સાહિત્યકારો ફૂલ ટાઈમ રાજકારણી છે. એમાં અતિશયોક્તિ હોય તો પણ, એ ઈશારો તથ્ય વિહીન ન હતો. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ વચ્ચે સ્વાયત્તતાને મુદ્દે વર્ષોથી ગજગ્રાહ ચાલે છે, એથી અકાદમીનો તો કાંગરો ય ખર્યો નથી, પણ પરિષદ છાશવારે તેના સભ્યોને, પદાધિકારીઓને પદ પરથી દૂર કરતી આવી છે. તેનું કારણ એટલું જ છે કે જે તે સભ્યે અકાદમીના કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય કે કોઈ ઇનામ અકરામ લીધાં હોય. એમાં પાછા અપવાદો છે. પરિષદના કોઈ ટ્રસ્ટી કે પૂર્વપ્રમુખ અકાદમીમાં ઉપસ્થિત રહે તો તે ક્ષમ્ય છે.

આ જ કારણથી છેલ્લે પરિષદના ચૂંટાયેલા ઉપપ્રમુખને અકાદમીમાં હાજરી પુરાવવા બદલ ખદેડી મૂકવામાં આવ્યા ને ગમ્મત તો એ થઈ કે એ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એ જ ઉપપ્રમુખની સામે હારી ગયેલા સભ્યને ઉપપ્રમુખ પદે આરૂઢ કરવામાં આવ્યા. આવા તો ઘણાં સભ્યોને અકાદમીના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ભૂતકાળમાં હાંકી કાઢવામાં આવ્યા છે. એ જ ગુજરાત સાહિત્ય અકાદમીની લાખોની સહાય પરિષદે ભૂતકાળમાં લીધી છે ત્યારે, અકાદમી સામે વાંધો નથી પડ્યો. અકાદમીમાં ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા હોદ્દેદારો પરિષદમાં હાલ હોદાઓ પર છે, તે પણ પરિશુદ્ધ થયા હોય તેમ ચાલે છે, પણ બીજું કોઈ કામ ન હોય તેમ થોડે થોડે વખતે સ્વાયત્તતાનું ભૂત પરિષદમાં ધૂણતું રહે છે. અકાદમી સ્વાયત્ત હોય તે અપેક્ષિત છે, પણ તેને માટે પરિષદની સ્વાયત્તતા દાવ પર ન લાગવી જોઈએ, એ તો ખરું કે કેમ ?

એક બાબત સ્પષ્ટ છે કે એક વખતે પરિષદમાં અધ્યાપકો પણ ચૂંટાઈને આવતા હતા, (અત્યારે પણ હશે જ) એ વખતે (ને અત્યારે પણ) પરિષદ, કોઈ અધ્યાપકે તેની સંસ્થામાં સાહિત્યિક કાર્યક્રમો  કરવા હોય તો આર્થિક સહયોગ કરી શકતી નથી, એવે વખતે જે તે અધ્યાપકે આર્થિક સહયોગ મેળવવા અકાદમી તરફ જ હાથ લંબાવવો પડે. એવું થાય તો તે પરિષદને પરવડે નહીં, કારણ અકાદમીમાં હાજરી આપવાથી જ જો પરિષદના સભ્યોને હાંકી કઢાતા હોય, તો પરિષદનો કોઈ સભ્ય તેની આર્થિક સહાય લે તે તો સાંખી જ કેમ શકે? પરિષદે જરૂર પડે તો બંધારણમાં સુધારા કરીને પણ આ મામલે ગંભીર વિચારણા કરવા જેવી છે.

પરિષદના જ મુખપત્ર ‘પરબ’ના ઓક્ટોબર, 2025ના અંકમાં ચંદ્રકાંત ટોપીવાળાનો એક પત્ર પ્રગટ થયો છે. એમાં તેમણે ‘છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાત ક્ષેત્રે નોબેલ ગણાતા ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અપાતો અટકી ગયો છે’, એવું યાદ અપાવતાં ઉમેર્યું છે, ‘૨૦૧૬માં છેલ્લે કુમારપાળ દેસાઈએ નાટ્યાત્મક રીતે લીધેલા રણજિતરામ ચંદ્રક પછી આ ચંદ્રક અદૃશ્ય થઇ ગયો છે.’ આ વિધાન સૂચક છે. રણજિતરામ ચંદ્રક ગુજરાત વિદ્યાસભા તરફથી અપાય છે. 2015 પછી રણજિતરામ અને ચંદ્રકનો હેતુ પૂરો થઈ ગયો હોય તેમ ચંદ્રક અપાવો બંધ થઈ ગયો છે. ગુજરાતના નીવડેલાં સર્જકોનું એ રીતે સન્માન થતું અટકી જાય તે ચિંત્ય છે. એવું નથી કે ગુજરાતમાં 2015 પછી સર્જકો નથી થયા. 2025 સુધીના બીજા દસેક સર્જકો ચંદ્રકથી પોંખી શકાયા હોત, પણ કમનસીબે તેવું થયું નથી. 2015 સુધીમાં દર વર્ષે 1928થી માંડીને 88 સર્જકોને રણજિતરામ ચંદ્રક એનાયત થયો હોય ને પછી 10 વર્ષ સુધી એક પણ ચંદ્રક જાહેર જ ન થાય, એ કેવું? વારુ, ગુજરાત સાહિત્ય સભા તરફથી ચંદ્રક ન આપવા પાછળનાં કોઈ કારણો પણ જાહેર થયાં નથી, એ બાબત સંસ્થા વિષે અને ચંદ્રક વિષે અનેક તર્કવિતર્ક કરવા પ્રેરે છે. ટોપીવાળાના પત્રમાં અપાયેલી વિગતમાં એવું જણાવાયું છે કે, ‘વિશ્વકોશ આ નવી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.’ એ પરથી પણ વિશ્વકોશે ચંદ્રક ન આપવા પાછળનાં કારણોનો ખુલાસો કરવો જોઈએ. 88 ચંદ્રકો જાહેર થયા પછી એવું તે શું થયું કે એકાએક ચંદ્રકો જાહેર કરવાનું બંધ થયું?

ટોપીવાળાએ પરિષદ પાસેથી ચંદ્રકને ‘જીવતદાન’ મળે એ અંગે સક્રિયતા દાખવવાની વાત કરી છે, પણ પરિષદ નાનાંમોટાં અનેક ઇનામો જાહેર કરે છે, એ પરથી નથી લાગતું કે તે રણજિતરામ ચંદ્રક જાહેર કરવાની નવી જવાબદારી તે ઉપાડે. ખરેખર, તો આ જવાબદારી ગુજરાત સાહિત્ય સભાએ જ ઉપાડવી જોઈએ અથવા તો જવાબદારી ન ઉપાડી શકવાનાં કારણોની જાહેરાત કરવી જોઈએ. એ તો થાય ત્યારે ખરું, પણ અત્યારે તો ચંદ્રક ખાડે ગયો હોય એવું લાગે છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી ચંદ્રક’ પણ અપાય છે, એ પણ જાહેર થતો હોય એવું લાગતું નથી. એ અંગેની પણ જે સ્થિતિ હોય તેનો ખુલાસો ગુજરાત સાહિત્ય સભાએ કરવો જોઈએ. શક્ય હોય તો આ ચંદ્રકોની બધાં વર્ષની જાહેરાત એક સાથે જ થવી જોઈએ, જેથી લાભાર્થીઓએ વધુ ટટળવું ન પડે.

સમય સર ચંદ્રકો અને પારિતોષિકો જાહેર કરવાની ઉદાસીનતા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓમાં જગજાહેર છે. ‘કુમાર ચંદ્રક’, કુમાર ટ્રસ્ટ, અમદાવાદ તરફથી 1944થી અપાય છે. એમાં પણ 2016 પછી ચંદ્રક જાહેર થયો હોય તો તેની વિગતો વિકિપીડિયા પર નથી. બને કે વિગતો અપડેટ કરવાની રહી ગઈ હોય, પણ એક કિસ્સો ડો. મહેબૂબ દેસાઈનો, તેમના જ બ્લોગ પર વાંચવામાં આવ્યો. તે વખતના ‘કુમાર’ના તંત્રી ડો. ધીરુ પરીખની પ્રેરણાથી મહેબૂબ દેસાઈએ ‘કુમાર’માં ગાંધીજીને અપાયેલાં માનપત્રોની શ્રેણી શરૂ કરી. ત્રણેક વર્ષ ચાલેલી એ શ્રેણી, પછી પુસ્તક આકારે પ્રગટ થઈ ને એ પુસ્તકને 2019નો ‘કુમાર’ ચંદ્રક જાહેર થયો. તેની જાહેરાત ‘કુમાર’ના 1118ના અંકમાં એપ્રિલ, 2021માં કરવામાં આવી. એ વાતના ઉલ્લેખ સાથે બ્લોગમાં જ મહેબૂબ દેસાઈ લખે છે, ‘આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી ‘કુમાર’ ચંદ્રક મળ્યો છે, ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે.’ એ અંગે ખાતરી કરવા ડો. દેસાઈને મોબાઈલ પર પૂછ્યું, તો તેમણે રોકડું કર્યું કે એ ચંદ્રક અપાયો જ નથી. ‘કુમાર’ની આ ઉદાસીનતા બધી રીતે શરમજનક છે.

ખબર નથી પડતી સાહિત્યિક સંસ્થાઓને કયા પ્રકારનો લૂણો લાગ્યો છે? મોટે ઉપાડે સાહિત્યિક સંસ્થાઓ પારિતોષિકો, ચંદ્રકો, એવોર્ડ્સની જાહેરાતો કરે છે, શરૂઆતમાં તે નિયમિતપણે અપાય પણ છે, પછી ખબર નહીં, હોદ્દેદારો બદલાતા કે પ્રમાદને કારણે પ્રવૃત્તિઓ સંદર્ભે મેલી ઉદાસીનતા પ્રવર્તે છે ને બધું જ  ખોરંભે ચડે છે. સુરતની સાહિત્યિક સંસ્થા ‘નર્મદ સાહિત્ય સભા’ પણ પાંચેક પ્રકારમાં નર્મદચંદ્રક આપે છે. તે ઉપરાંત જ્યોતીન્દ્ર દવે ચંદ્રક કે મનહરલાલ ચોકસી પારિતોષિક જેવાં પારિતોષિકો પણ આપે છે. એમાં પણ વચમાં ઘણી લાલિયાવાડી ચાલી. ચંદ્રકોની અંદરોઅંદર લહાણી થઈ, તો જે પ્રકારમાં ચંદ્રક એનાયત કરવાનો હતો, તેને બદલે અન્ય પ્રકારમાં જાહેર થયો, તો પણ 2022 સુધીનો ચંદ્રક જાહેર થયો છે, એટલું આશ્વાસન જરૂર લઈ શકાય.

ઘણી સાહિત્યિક સંસ્થાઓ પ્રવૃત્તિને નામે વેઠ જ ઉતારે છે. ક્યાં તો કાર્યક્રમો થતા જ નથી ને થાય છે તો તેમાં વિત્ત હોતું નથી. કાર્યક્રમો થાય જ નહીં, એ ખોટું છે, એમ જ સંખ્યા વધારવા કાર્યક્રમોનો ખડકલો થતો રહે એ પણ બરાબર નથી. સાચી વાત તો એ છે કે હવે કાર્યક્રમોમાં કોઈને રસ જ રહ્યો નથી. ગંભીર ભાષણો કોઈને માફક આવતાં નથી. સાહિત્યિક પ્રકારો વિષે કે તેનાં સ્વરૂપ વિષે જાણીને લખનારો વર્ગ ઘટતો આવે છે. સોશિયલ મીડિયા પર આવતાં લખાણોને સાહિત્ય ગણનારો ને ગણાવતો વર્ગ નવાં માપદંડો ઊભાં કરી રહ્યો છે, એવે વખતે સાહિત્યિક સંસ્થાઓનું શૈથિલ્ય ઘાતક પુરવાર થાય એમ બને. બાકી હતું તે AIનું આક્રમણ જુદી જ વિભાવનાઓ વિકસાવી રહ્યું છે, ત્યારે સાહિત્યિક સંસ્થાઓને મીંઢાપણું પરવડવું ન જોઈએ … વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ડિસેમ્બર 2025

Loading

...102030...52535455...607080...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved