Opinion Magazine
Number of visits: 9736338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હર દિલ જો પ્યાર કરેગા, વો ગાના ગાયેગા 

સોનલ પરીખ|Opinion - Opinion|6 January 2026

રાજ કપૂરનાં ગીતોની વિશેષતા એ હતી કે એક તરફ એ ફિલ્મનાં ટેમ્પરામેન્ટ અને  ફેબ્રિક સાથે અદ્દભુત રીતે વણાઈ જતાં અને બીજી તરફ એને એકલાં પણ એટલાં જ માણી શકાતાં. રાજ કપૂર માનતા કે ગીતો સિનેમાનો જ, ભાવને ઘૂંટતો, વાર્તાને આગળ વધારતો હિસ્સો છે. એની પાછળ તર્ક, બુદ્ધિ, કલા અને સંવેદનાનું સુંદર સંયોજન હોવું જોઈએ. લતા મંગેશકર રાજ કપૂરને ‘કમ્પ્લીટ મ્યુઝિશ્યન’ કહેતાં 

‘કામ નયે નિત ગીત બનાના 

ગીત બના કે જહાં કો સુનાના  

કોઈ ન મિલે તો અકેલે મેં ગાના  

કવિરાજ કહે, ન યે તાજ રહે, ન યે રાજ રહે ન રાજઘરાના  

પ્રીત ઔર પ્રીત કા ગીત રહે, કભી લૂટ સકા ન કોઈ યે ખજાના’ 

શૈલેન્દ્રના આ શબ્દોમાં આપણા સૌના ખજાના જેવા રાજ કપૂરની આખી ફિલસૂફી છુપાઈ છે. આ જ ગીતમાં એક પંક્તિ છે, ‘ડફલી ઊઠા આવાઝ મિલા, ગા મિલ કે મેરે સંગ પ્રેમ તરાના’. ચેમ્બુરના આર.કે. સ્ટુડિયોમાં રાજ કપૂરનું એક કૉટેજ હતું. આ કૉટેજ, રાજ કપૂરની સર્જનાત્મકતાનું કેન્દ્ર હતું. તેમાં એ મુકાતું જે તેના આત્મા સાથે વણાયેલું હોય. પૃથ્વીરાજ કપૂર, ‘આવારા’ની નરગિસ, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની પદ્મિની અને ‘સંગમ’ની વૈજ્યંતિમાલાની વિરાટ તસવીરો સાથે તેમાં ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ની ડફલી અને ‘સંગમ’નું ઍકૉર્ડિયન પણ હતું. 

રાજ કપૂર

14 ડિસેમ્બરે રાજ કપૂરનો જન્મદિન. થોડી વાત કરીએ એના સંગીતપ્રેમની. સંગીતશોખીનોનાં હૃદય પર જેની ફિલ્મોનાં ગીતો રાજ્ય કરે છે, એ રાજ કપૂરની સંગીતસફર પિતા પૃથ્વીરાજ કપૂરના કલકત્તાના થિયેટરકાળથી જ શરૂ થઈ ગઈ હતી. મુંબઈ આવ્યા પછી તે નારાયણરાવ વિજય ઍકેડમીમાં તબલાં, હાર્મોનિયન અને સિતાર શીખ્યો. તેને સંગીત-નિર્દેશક બનવું હતું. અનિલ બિશ્વાસ સાથે થોડો વખત કામ કર્યું અને ‘દિલ કી રાની’, ‘ચિતચોર’, ‘ચિતોડવિજય’ ‘જેલયાત્રા’, ‘ગોપીનાથ’ જેવી ફિલ્મોમાં પોતાનાં ગીતો પણ ગાયાં. 

ચોવીસ વર્ષની ઉંમરે તેણે ‘આગ’ બનાવી. તેના સંગીતકાર હતા રામ ગાંગુલી. એ વખતથી માંડીને શંકર જયકિશન ને લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો સાથે રાજ કપૂર લાંબી બેઠકો કરતા. ગીતકારને, કલાકારોને પણ બોલાવે. ગીતનું ફિલ્મની વાર્તામાં સ્થાન, આગળપાછળનાં દૃશ્યો વગેરે વર્ણવે, સૂચનો લે, જરૂરી ઉમેરા કરે અને એક ગીતની ચારપાંચ તરજો માગી તેમાંથી એક પસંદ કરે. ગીત બની રહ્યું હોય ત્યારે જ એ એને ‘દેખાતું’ પણ હોય. દરેક ગીતને પોતાનો એક ખાસ સ્પર્શ આપે. તેઓ માનતા કે ગીતો સિનેમાનો જ, ભાવને ઘૂંટતો, વાર્તાને આગળ વધારતો હિસ્સો છે. એની પાછળ તર્ક, બુદ્ધિ, કલા અને સંવેદનાનું સુંદર સંયોજન હોવું જોઈએ. લતા મંગેશકર રાજ કપૂરને ‘કમ્પ્લીટ મ્યુઝિશ્યન’ કહેતાં. 

‘દેખ ચાંદ કી ઓર’, ‘કાહે કોયલ શોર મચાયે’, ‘ઝિંદા હૂં ઈસ તરહ’ જેવાં ગીતો છતાં ‘આગ’ ખાસ ચાલી નહીં. રાજ કપૂરને તરત સમજાયું કે સરેરાશ ભારતીય પ્રેક્ષકને ગંભીર અને કલાત્મક નહીં, રોમેન્ટિક અને મનોરંજક ફિલ્મો ગમે છે. બીજી ફિલ્મ ‘બરસાત’થી ચિત્ર બદલાઈ ગયું. આર.કે. બેનરને એનો લોગો બરસાતથી જ મળ્યો, જેમાં એક યુવાન એક હાથમાં ઢળી ગયેલી સ્ત્રી ને બીજા હાથમાં વાયોલિનને સાહીને ઊભો છે. પછી તો ‘આવારા’, ‘આહ’, ‘શ્રી 420’, ‘સંગમ’, ‘કલ, આજ ઔર કલ’, ‘બૉબી’, ‘ધરમકરમ’ જેવી રોમેન્ટિક ફિલ્મો હોય, ડાકુઓના આત્મસમર્પણ પરની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ગંગા-શુદ્ધિકરણ પરની ‘રામ તેરી ગંગા મૈલી’ વિધવાવિવાહની પર ‘પ્રેમ રોગ’ કે જીવન-ફિલસૂફી સમી ‘મેરા નામ જોકર’ હોય – રોમાન્સ (‘બૂટપૉલિશ’, ‘જાગતે રહો’ સિવાય) અને સંગીત એની દરેક ફિલ્મનો આત્મા બની રહ્યાં. ‘ચોરી ચોરી’, ‘અનાડી’, આશિક’, ‘છલિયા’, ‘દિલ હી તો હૈ’, ‘ફિર સુબહ હોગી’ જેવી આર.કે. બેનર સિવાયની ફિલ્મોના સંગીતમાં પણ રાજ કપૂરનો સ્પર્શ વર્તાય જ. ‘આવારા’માં રાજ કપૂરે પહેલી ડ્રીમ-સિક્વન્સ બનાવી. એનું ‘આવારા હૂં’ બૉલિવૂડનું ‘ઓરિજિનલ રોડ સોંગ’ ગણાય છે. 

રાજ કપૂરની વીસ જેટલી ફિલ્મોના સંગીતકાર શંકર-જયકિશન હતા, જેમાંની દસ આર.કે. બેનરની હતી. જબ્બર ઑરકેસ્ટ્રા રાખતા શંકર-જયકિશને રાજ કપૂરની કલ્પનાને સંગીતની પાંખો આપી હતી. મુકેશને રાજ કપૂર પોતાનો ‘વૉઈસ’ કહેતા, પણ અન્ય ગાયકોએ પણ એમના માટે ગાયું છે. મન્ના ડેએ એમને માટે બારેક મસ્ત ગીતો ગાયાં છે (યે રાત ભીગી ભીગી, આ જા સનમ), ‘અંદાઝ’માં દિલીપકુમારનાં ગીતો મુકેશે અને રાજ કપૂરનાં ગીતો મહમ્મદ રફીએ ગાયાં હતાં. રફીજીએ રાજ કપૂર માટે 25 (સુરૈયા સાથેનું તારારી, આરારી) અને તલત મહેમૂદે 4 ફિલ્મનાં 10 ગીતો (મૈં દિલ હૂં એક અરમાનભરા) ગાયાં છે. ‘પ્યાર’ ફિલ્મમાં કિશોરકુમારે પણ રાજ કપૂરને કંઠ આપ્યો છે(એક હમ ઔર દૂસરે તુમ) 

રાજ કપૂરે પડદા પર કેટલાં વાદ્યો વગાડ્યા હશે? વાંચતા જાઓ – વાયૉલિન (મુઝે કિસીસે પ્યાર હો ગયા), બંસરી (સુન બૈરી બલમ), પિયાનો (દોસ્ત દોસ્ત ના રહા), પેની વ્હીસલ્સ (પ્યાર હુઆ ઈકરાર હુઆ), ડફલી (દિલ કા હાલ), શરણાઈ (દિવાના મુઝકો લોગ કહે), ટ્રમ્પેટ (મુડ મુડ કે ના દેખ), સારંગી (આંસુભરી હૈ), બીન (તેરે દિલ કા મકાન), ઢોલ (યે તો કહો કૌન હો તુમ), એકૉર્ડિયન (હર દિલ જો પ્યાર કરેગા) અને બેગ પાઈપર (તેરે મન કી ગંગા). 

પણ એનું પ્રિય વાદ્ય હતું એકૉર્ડિયન. ‘સંગમ’ના ‘હર દિલ જો પ્યાર કરેગા’ ગીતમાં આખો વખત તેના હાથમાં એકૉર્ડિયન હતું. ગીત પૂરું થાય છે ત્યાર પછી એ એના પર એક ખાસ ધૂન વગાડે છે, પાર્ટીનાં યુગલો અને રાજેન્દ્રકુમાર-વૈજ્યંતીમાલા બૉલડાન્સ કરે છે ને જાણે સંમોહનાસ્ત્ર છૂટ્યું હોય એમ પ્રેક્ષકો સ્તબ્ધ થઈ જાય છે. એ જ, ‘બરસાત’થી માંડીને છેક ‘બીવી ઓ બીવી’ સુધીની તેની ફિલ્મોમાં સંભળાયેલી એ જ ધૂન – ક્યાંથી આવી આ ધૂન?  

1946માં એક ફિલ્મ આવેલી ‘ધ જોલ્સન સ્ટોરી’. આ ફિલ્મ જોઈ ત્યારે રાજ કપૂરે આ ધૂન સાંભળી. પછી એનું ઓરિજિનલ વાલ્ટ્ઝ સાંભળ્યું. એ એટલો સંમોહિત થઈ ગયો કે એને લાગ્યું કે ‘બરસાત’માં આ ધૂન જોઈએ જ જોઈએ. કહે છે કે એ જમાનામાં 35,000 રૂપિયા આપી તેણે આ ધૂન વાપરવાની પરવાનગી ખરીદી હતી. મૂળ ધૂન ‘વૅવ્ઝ ઑફ ધ ડાન્યુબ’ રોમાનિયન સંગીતકાર યૉસિફ ઈવાનોવિચે 1880માં બનાવી હતી. બૉલડાન્સ માટે ખાસ બનેલી આ વિશ્વપ્રસિદ્ધ ધૂન કુલ 7 મિનિટની છે. ‘સંગમ’માં તેણે ગોવાનીઝ પૉપ સિંગર વિવિયન લોબોનું ‘ઇસ્લે બિ ડેસ’ ગીત તેના જ અવાજમાં મૂકેલું. આ સિંગર મુંબઈની ગૅલૉર્ડ હોટેલની બોમ્બીલી રેસ્ટોરાંમાં ગાતો. જર્મન ભાષાના આ શબ્દોનો અર્થ છે ‘આઈ લવ યુ’. ‘બરસાત’ના બધા વાયૉલિન સૉલો જૉ મેનેઝિસે વગાડ્યા હતા. 

રાજ કપૂરનાં ગીતોની વિશેષતા એ હતી કે એક તરફ એ ફિલ્મનાં ટેમ્પરામેન્ટ અને  ફેબ્રિક સાથે અદ્દભુત રીતે વણાઈ જતાં અને બીજી તરફ એને એકલાં પણ એટલાં જ માણી શકાતાં. ભવ્ય ફિલ્મ ‘મેરા નામ જોકર’ની ભવ્ય નિષ્ફળતા પછી એણે ‘બૉબી’માં ટીન-એજ લવસ્ટોરીનો એક આખો ટ્રેન્ડ સર્જ્યો. ‘બૉબી’માં બધું જ નવું હતું – રિશી કપૂર, ડિમ્પલ, ગાયકો નરેન્દ્ર ચંચલ અને શૈલેન્દ્રસિંઘ, સંગીતકાર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, ગીતકારો રાજકવિ ઈન્દ્રજિતસિંહ તુલસી (બેશક મંદિર મસ્જિદ તોડો) અને વિઠ્ઠલભાઈ પટેલ (ના માંગુ સોના ચાંદી). 1973-74માં ‘બૉબી’નાં ગીતોનું વાવાઝોડું સર્જાયું હતું. ‘પ્રેમરોગ’માં પણ નવી ટીમ હતી – સંગીતકાર લક્ષ્મી-પ્યારે સાથે ગાયકો સુરેશ વાડકર, અનવર, ફિલ્મોમાં ગાવાનું છોડી ચૂકેલી સુધા મલ્હોત્રા. ગીતકારો નરેન્દ્ર શર્મા, અમીર કઝલબક્ષ, સંતોષ આનંદ અને ફરી એક વાર રાજ કપૂર ટચની કમાલ. ‘હીના’ રાજ કપૂરની છેલ્લી, અધૂરી રહી ગયેલી ફિલ્મ. એનાં ગીતો રવીન્દ્ર જૈન અને નક્શ લાયલપુરીએ કર્ણમધુર તો બનાવ્યાં, પણ રાજ કપૂરના ખાસ સ્પર્શ વિના એ ફિક્કાં રહ્યાં. 

આ રાજ કપૂર. એને, એના સંગીતને વર્ણવવા માટે પુસ્તક ટૂંકું પડે. આપણે એની મસ્તમૌલા પ્રતિભાને એના જ એક ગીતમાં નીરખીને અટકીએ : 

ચલા ગર સફર કો કોઈ બેસહારા 

તો મૈં હો લિયા સંગ લિયે એકતારા, 

ગાતા હુઆ, દુ:ખ ભુલાતા હુઆ … 

મૈં આશિક હૂં બહારોં કા, ફિઝાઓં કા, નઝારોં કા  

મૈં મસ્તાના મુસાફિર હૂં જવાં ધરતી કે અન્જાને કિનારોં કા… 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 ડિસેમ્બર  2025

Loading

કોઈ હમદર્દ નહીં, દર્દ મેરા સાયા હૈ

સોનલ પરીખ|Opinion - Opinion|5 January 2026

હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ

કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ …

દિન તો ઉલઝા હી રહા ઝિંદગી કી બાતોં મેં

સાંસે જલતી હૈ કભી કભી રાતોં મેં

કિસી કી આહ પે તારોં કો પ્યાર આયા હૈ …

સપનેં છલતે હી રહે રોજ નઈ રાહોં સે

કોઇ ફિસલા હૈ અભી અભી બાહોં સે

કિસકી હૈં આહટેં યે કૌન મુસ્કુરાયા હૈ …

દોડધામભરી જિંદગીમાં સાચવવા જેવું સચવાતું નથી હોતું – કનુ રૉય એક એવી વિસારે પાડી દેવાયેલી પ્રતિભાનું નામ છે. બ્રિટિશ ભારતના બંગાળના ફરીદપુર જિલ્લાના એક ગામમાં વસતા ને પછીથી મુંબઈ આવી વસેલા રૉયચૌધરી પરિવારે ફિલમજગતને બે પ્રતિભાઓ આપી – કનુ રૉય અને ગીતા રૉય(જે પછી ગીતા દત્ત તરીકે ઓળખાઈ). કનુ રૉય હિંદી અને બંગાળી ફિલ્મોના અભિનેતા અને સંગીતકાર હતા. એમણે ઓછું પણ નક્કર કામ કર્યું છે, મોટે ભાગે બાસુ ભટ્ટાચાર્ય સાથે. એમણે સંગીતબદ્ધ કરેલી મુખ્ય ફિલ્મો ‘ઉસકી કહાની’, ‘અનુભવ’, આવિષ્કાર’, ‘ગૃહપ્રવેશ’ અને ‘સ્પર્શ’માં પહેલી ચારના દિગ્દર્શક અને ‘સ્પર્શ’ના નિર્માતા બાસુ ભટ્ટાચાર્ય હતા. આ કનુ રૉયનો જન્મદિન 9 ડિસેમ્બર અને પુણ્યતિથિ 20 ડિસેમ્બર – આજે માણીશું કનુ રૉયન સંગીતમાં મન્ના ડેએ ગાયેલું ફિલ્મ ‘આવિષ્કાર’નું અવિસ્મરણીય ગીત ‘હંસને કી ચાહ ને હિતના મુઝે રૂલાયા હૈ, કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ’ 

ગીતા દત્ત

‘આવિષ્કાર’ કાબેલ ફિલ્મસર્જક બાસુ ભટ્ટાચાર્યની પ્રસિદ્ધ ફિલ્મત્રયી ‘અનુભવ’ (1971), ‘આવિષ્કાર’ (1974) અને ‘ગૃહપ્રવેશ’(1979)માંની વચ્ચેની. આ ત્રણે ફિલ્મનાં નાયક-નાયિકાનાં નામ અમર અને માનસી છે. અમર, માનસી અને દાંપત્ય પર એમણે ઘણાં વર્ષો પછી 1997માં ‘આસ્થા’ પણ બનાવી. ‘આસ્થા’ બની ત્યારે કનુ રૉયનું અવસાન થઈ ચૂક્યું હતું, તેનું સંગીત સારંગ દેવે આપેલું. પણ આ ફિલ્મત્રયી પહેલાંની એમની ‘ઉસકી કહાની’(1966)માં કનુ રૉયનું સંગીત હતું. એ ફિલ્મ બાસુ ભટ્ટાચાર્યની દિગ્દર્શક તરીકેની પહેલી અને અંજુ મહેંદ્રુની નાયિકા તરીકેની પહેલી ફિલ્મ હતી. એનાં ગીત કૈફી આઝમીએ લખ્યાં હતાં. એ ફિલ્મના ગીતા દત્તના ગાયેલા ‘આજ કી કાલી ઘટા’માં કનુ રૉયનો ખાસ સ્પર્શ છે.  

ગુરુ દતથી અલગ થયા બાદનાં વર્ષો ગીતા દત્ત માટે શારીરિક-માનસિક-આર્થિક સંઘર્ષનાં હતાં. આ વર્ષોમાં કનુ રૉયે બહેન અને ભાણેજોને બને એટલાં સાચવી લીધાં હતાં. આત્મવિશ્વાસ અને તકો ગુમાવી બેઠેલી ગીતા  દત્ત પાસે ‘અનુભવ’નાં ગીતો ગવડાવી તેમણે સાબિત કરી દીધું કે ગીતા દત્તની કલા હજી જીવંત છે. 

આપણે ‘આવિષ્કાર’ની વાત કરતાં હતાં. ‘આવિષ્કાર’ પોસ્ટ-મેરિટલ ડિપ્રેશન – રોમાન્સને ખતમ કરી દેતાં લગ્નની કહાણી હતી. અમર (રાજેશ ખન્ના) અને માનસી (શર્મિલા ટાગોર) પ્રેમ કરીને લગ્ન કરે છે, પણ પાંચેક વર્ષમાં રોમાન્સ એવો તો હવાઈ જાય છે કે અમરને માનસીના તનમાં કે મનમાં રસ રહેતો નથી. માનસીની પણ એ જ સ્થિતિ છે. બન્ને એક્બીજા પર આનો દોષ ઢોળ્યા કરે છે. લગ્નની વર્ષગાંઠના દિવસે માનસીનો સામનો કરવાનું ટાળવા અમર મોડે સુધી ઑફિસમાં જ બેસી રહે છે. રજનીગંધાના ફૂલનો ગુચ્છો દરવાજે જ મૂકી ઘરમાં પ્રવેશે છે ને માથાના દુખાવાનું બહાનું કાઢી ભૂખ્યો રહે છે. 

એકબીજાને ટોણા મારી, આખી રાત એકબીજા તરફ પીઠ કરીને જાગતા પડેલા અમર-માનસીની કહાણી આપણને ફ્લેશબેકમાં ટુકડે ટુકડે જાણવા મળે છે. સવારે માનસી દૂધ લેવા બારણું ખોલે છે ત્યારે થોરના છોડને અઢેલીને પડેલો પુષ્પગુચ્છ જુએ છે. ફૂલોને સ્પર્શતાં જ તેના મનમાં છુપાયેલો પ્રેમ જાગી ઊઠે છે અને જાગીને પાછળ આવેલો અમર તેને સાહીને ઘરમાં લઈ જાય છે. દર્શક રાહત પામે છે, પણ તેના મનમાં પ્રશ્ન પણ જાગે છે, આ પ્રેમનું આયુષ્ય કેટલું? આ નવી શરૂઆત છે કે એક આકસ્મિક પળ? અંત સુખદ હોવા છતાં દર્શકો એક અસમંજસ સાથે થિયેટર છોડે છે.

પ્રેમીઓ પતિપત્ની બને પછી તાજી, સુગંધી, ખળખળ વહેતી જિંદગી વાસી અને બંધિયાર કેમ બની જાય છે? એ સુગંધ જે પ્રિયપાત્રના હૃદયમાંથી ઊઠતી હતી એ ક્યાં ઊડી જાય છે? લગ્નજીવનમાં સુખ શોધતાં સ્ત્રીપુરુષને લગ્ન હજારો જમેલા અને બંધનો આપે છે. કદાચ એ બધામાં જ રોમાન્સ, સુખ અને શાંતિનો ભોગ લેવાઈ જાય છે. એ મેળવવાની કોશિશ પણ એક દિવસ પૂરી થઈ જાય છે અને પછી બાકી રહે છે જે થયું તેને માટે બીજા પર દોષ ઢોળવાની વિકૃત મઝા. આવું કેમ થાય છે ને આવું થાય તો પછી શું થાય છે? દરેક ફિલ્મમાં બાસુદા આ સવાલ ફરી ફરીને દર્શકો સામે મૂકે છે. 

‘હંસને કી ચાહ ને કિતના મુઝે રૂલાયા હૈ ..’ ફિલ્મની શરૂઆત જ આ ગીતથી થાય છે અને ટાઈટલ્સ પૂરાં થાય ત્યાં સુધીમાં ફિલ્મનું વાતાવરણ બંધાઈ જાય છે. કપિલકુમારના શબ્દોમાં કનુ રૉયના શબ્દો અને મન્ના ડેના કાંઠે એવો પ્રાણ પૂરીઓ છે કે તેમાંની વ્યથા કોઈ એકની ન રહેતાં થિયેટરમાં બેઠેલા તમામની બની જાય છે. ‘અનુભવ’માં ગીતા દત્તે કનુ રૉયના સંગીતનિર્દેશનમાં ‘મુઝે જા ન કહો મેરી જાં’ અને ‘કોઈ ચુપકે સે આકે’ જેવાં કમાલનાં ગીતો ગાયાં હતાં – એ જો 1972માં મૃત્યુ ન પામી હોત તો તેના કંઠને અનુરૂપ એવું ‘આવિષ્કાર’નું ‘નૈના હી પ્યાસે મેરે’ પણ તેણે ગાયું હોત એવું ધારવું ગમે. 

બાસુ ભટ્ટાચાર્ય બિમલ રૉયના સહાયક હતા. મધ્યમ તરીકે ફિલ્મોને કલાત્મકટના સર્વોચ્ચ શિખરે પહોંચાડવામાં પોતાના ગુરુ જેવી મહારત એમને હાંસલ કરી હતી. બિમલ રૉયની પુત્રી રિંકી સાથે બધાનાં વિરોધ વચ્ચે  ભાગીને લગ્ન કર્યાં, પણ લગ્ન ટક્યાં નહીં. એ કડવા અનુભવોને ફિલ્મોમાં મૂકી તેઓ જાણે કોઈ હલ શોધે છે. 

‘આવિષ્કાર’ વિવેચકોએ ખૂબ વખાણેલું. ‘સૂરજ હૈ સૂરજ ધરતી સે, સૂરજ ફિર ભી સૂરજ હૈ; ધરતી હૈ ધરતી સૂરજ સે, ધરતી ફિર ભી ધરતી હૈ’ આ પંક્તિ રાજેશ ખન્ના બોલે છે ત્યારે એ અનંત અર્થોની વાહક બની જાય છે. રાજેશ ખન્નાને આ ફિલ્મ માટે ઍવોર્ડ મળ્યો હતો. એક સંવાદમાં અમર કહે છે, ‘પહેલા આપણે દિવસો પછી મળતા, માંડ એકાદ કલાક સાથે રહેતા. એ એક કલાકમાં આપણું બધું શ્રેષ્ઠ જ બહાર આવતું.’ માનસી કહે છે, ‘હાં, કિતને અચ્છે થે વો એક ઘંટે વાલે તુમ, વો એક ઘંટેવાલી મૈં – ઔર અબ કિતને ખરાબ હો ગયે હૈં!’ અમર નિ:શ્વાસ નાખે છે, ‘ખરાબ નહીં હૈં, બસ કુછ કર નહીં પાતે.’ એનો એ નિ:શ્વાસ થિયેટરમાં બેઠેલા તમામ પરિણીતોના હૃદયમાં પડઘાય છે. ‘આપણે’માંથી જ્યારે ‘તું’ અને ‘હું’ના બે ટુકડા જુદા પડી જાય છે ત્યારે ફિલ્મના એક પાત્રની જેમ કહેવાનું મન થાય છે, ‘શાદીશુદા આદમી જ્યાદાતર અકેલા હી હોતા હૈ’

માનસી કહે છે, ‘મારા પિતા કહેતા કે પ્રેમ પોકળ વસ્તુ છે. નક્કર ચીજ છે શ્રદ્ધા. પણ મારી મા કહે છે, પુરુષ પત્નીને શ્રદ્ધાથી જોઈ શકતો નથી. જ્યાં સુધી શરીરનું આકર્ષણ છે ત્યાં સુધી એ પત્નીનો ગુલામ થઈને રહે છે. ત્યાર પછી બની જાય છે પત્ની-સંતાનોનો માલિક. અમર, આપણે પ્રેમનો અર્થ સમજ્યાં હતાં ખરાં?’ બાંસુદાની છેલ્લી ફિલ્મ ‘આસ્થા’માં આ અર્થનો, આ શ્રદ્ધાનો વિસ્તાર છે? ક્યારેક એની પણ વાત કરીશું. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 ડિસેમ્બર   2025

Loading

દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ

સોનલ પરીખ|Opinion - Opinion|4 January 2026

દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ,
કાહે કો દુનિયા બનાઈ …

કાહે બનાયે તૂને માટી કે પૂતલે
ધરતી યે પ્યારી પ્યારી મુખડે યે ઉજલે
કાહે બનાયા તૂને દુનિયા કા ખેલા
જિસમેં લગાયા જવાની કા મેલા
ગુપચૂપ તમાશા દેખે વાહ રે તેરી ખુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …

તૂ ભી તો તડપા હોગા મન કો બનાકર
તૂફાં યે પ્યાર કા મન મેં છુપાકર
કોઈ છબિ તો હોગી આંખો મેં તેરી
આંસુ તો છલકે હોંગે પલકોં સે તેરી
બોલ ક્યા સૂઝી તુઝકો કાહેકો પ્રીત જગાઈ
કાહે કો દુનિયા બનાઈ …

પ્રીત બનાકે તૂને જીના સીખાયા
હંસના સીખાયા રોના સીખાયા
જીવન કે પથ પર મીત મિલાયે
મીત મિલાકે તૂને સપને જગાયે
સપને જગાકે તૂને કાહેકો દે દી જુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …

હસરત જયપુરી

ફિલ્મી ગીતોમાં એક અજબ આકર્ષણ છે. પણ આપણને ગીત, કલાકારો, ગાયકો, ફિલ્મ ને સંગીતકાર પણ  યાદ રહે છે, પણ ગીતનું ખરું આકર્ષણ જેમાં છે તે શબ્દોના રચનારનું નામ બહુ ઓછાને યાદ આવે છે. ઘણીવાર તો પરવા પણ નથી હોતી. એને તો નામ ને દામ બન્ને ઓછા જ મળે છે. ગ્લેમર વિશ્વના મોટા ભાગના શાયરો આવું જ નસીબ લઈને આવ્યા હોય છે. 15 એપ્રિલે હસરત જયપુરીનો જન્મદિન હતો. 1966ની ફિલ્મ ‘તીસરી કસમના ગીત ‘દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ’ નિમિત્તે હસરતે લખેલા અદ્દભુત શબ્દો સાથે એ અદ્દભુત ફિલ્મને પણ યાદ કરીએ. 

પહેલું ગીત જીયા બેકરાર હૈ 

‘તીસરી કસમ’ માટે એક વિવેચકે લખ્યું છે, ‘ઈટ ઈઝ લાઈક અ પોએમ ઓન સેલ્યુલોઈડ વિથ અ થ્રેડ ઑફ પેઇન રનીંગ થ્રુ ઈટ.’ ‘તીસરી કસમ’ના સીધાસદા, ગીત ગાતા રહેતા ગાડાવાળા હીરામન (રાજ કપૂર) અને તેની ‘સવારી’ હીરાબાઈ (વહીદા રહેમાન) વચ્ચે લાંબી મુસાફરી દરમ્યાન એક કોમળ સંબંધ ગૂંથાતો હતો, બંને એકબીજાને અને પોતાને પણ ઓળખતા જતાં હતાં ત્યારે પણ આ જ થતું હતું. બાજુમાંથી ગાડું પસાર થાય તો પડદો ખેંચી પોતાને કોઈની નજરથી બચાવી લેતા હીરામનની નિર્દોષતા જોઈ હીરાબાઈ એ ભૂલી ગઈ કે પોતે નૌટંકીની નાચનારી છે જેને ચારઆઠ આના ખર્ચી કોઈ પણ હાલીમવાલી જોઈ શકે છે. 

મુસાફરી પૂરી થયા બાદ હીરાબાઈ વાસ્તવિક દુનિયામાં પાછી ફરી ગઈ, હીરામન એમ ન કરી શક્યો. હીરાબાઈ સમજતી હતી કે એનો અને હીરામનનો કોઈ મેળ નથી. ફિલ્મના અંતે તે પોતાની જૂની કંપનીમાં ચાલી જાય છે. ખરું કારણ હીરામનથી દૂર ચાલ્યા જવાનું છે. રેલવે પ્લેટફોર્મ પર થયેલી અંતિમ મુલાકાતમાં હીરાબાઈ કહે છે, ‘તેં મને મહુવાની વાર્તા કરી હતી, જેને વેચી નાખવામાં આવેલી – મૈં ભી બિકી હુઈ હૂં હીરામન. દુ:ખી ન થા.’ કોરી આંખે છૂટા પડતાં આ બંને પાત્રોનું  દર્દ દર્શકોની આંખો ભીંજવ્યા વગર રહેતું નથી. 

‘દુનિયા બનાનેવાલે’ આ મહુવાની વાર્તા કરતા હીરામને ગાયેલું ગીત છે. મા વગરની મહુવા એક પરદેસીને દિલ દઈ બેઠી. તેણે મહુવાનો સોદો કરી નાખ્યો ને મહુવાએ આત્મહત્યા કરી. ગીતમાં ડૂબી ગયેલાં પાત્રો અને પ્રેક્ષકોને ત્યારે ખબર નથી કે આ જ ગીત એમને ક્યાં લઈ જવાનું છે. હસરત જયપુરીએ ગીતના શબ્દોમાં એક જીવતા પાત્ર જેવો પ્રાણ પૂર્યો છે. 

કહે છે શાયર મિત્ર શૈલેન્દ્રએ ‘તીસરી કસમ’ બનાવવા માંડી ત્યારે રાજ કપૂરે તેને વાર્તામાં ફેરફાર કરવા સમજાવ્યો હતો. એ ન માન્યો. રાજકપૂરે પછી માત્ર એક રૂપિયો લઈ હીરામનનું પાત્ર ખૂબ સંવેદનશીલતાથી કર્યું, વહીદા રહેમાનની સુંદરતા, અભિનય અને નૃત્યકળા ત્રણેને આ ફિલ્મમાં અવકાશ મળ્યો, ગીતો અને ગ્રામ્ય પરિવેશથી ભારતનું એક અનુપમ ચિત્ર ખડું થયું, બાસુ ભટ્ટાચાર્યએ દિગ્દર્શક તરીકેની આ પહેલી જ ફિલ્મમાં ઘણું કૌવત દેખાડ્યું અને કલાત્મકતાની દૃષ્ટિએ ફિલ્મ વખણાઈ પણ ખરી – પણ પ્રેક્ષકોને તે બિલકુલ ન ગમી અને કશી નોંધ લેવાય એ પહેલા જ એ ભુલાઈ ગઈ, ભુંસાઈ ગઈ. ત્રણ ત્રણ વર્ષથી તેની પાછળ ખુવાર થતા રહેલા શૈલેન્દ્રનો એ નિષ્ફળતાએ જીવ લીધો. પછીનાં વર્ષોમાં ફિલ્મ ઑલ ટાઈમ ક્લાસિક શ્રેણીમાં મુકાઈ અને તેના સર્જક તરીકે શૈલેન્દ્રનું નામ અમર થઈ ગયું. પણ ત્યારે રાજકપૂરની ટીમ ખરાબ રીતે તૂટી ગઈ હતી. 

હસરત જયપુરીની મુખ્ય ઓળખ રાજકપૂરની ટીમના સભ્ય તરીકેની ભલે હોય, પણ તેઓ એ સિવાય પણ ઘણું હતા. નાનાનો વારસો અને રાધાનો ઈશ્ક એમના પહેલા પ્રેરણાસ્રોતો. ‘કહીં વો આ કે મિટા ન દે ઈન્તઝારકા લુત્ફ, કહીં કૂબુલ ન હો જાયે ઇલ્તઝા મેરી’ આ સુંદર શેર એમણે એમની વિદ્યાર્થી અવસ્થામાં લખ્યો હતો અને ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ ગીત ‘સંગમ’માં લેવાયું એનાં વર્ષો પહેલા રાધાને માટે લખાયેલું. પણ ફૂટેલા નસીબમાં રાધા ન હતી, ગરીબી, મજૂરી અને કંડકટરી હતી. 

મુંબઈમાં આવ્યા બાદ 11 રૂપિયામાં મહિનો ખેંચતા, મુશાયરા ગજવતા ને પછી ફૂટપાથ પર સૂઈ જતા હસરતે ફૂટપાથના સાથી મજૂરની લાશ પર દર્દભરી રચના લખી. મુશાયરામાં એ સાંભળી પૃથ્વીરાજ કપૂરનું દિલ ડોલી ઊઠ્યું અને ‘બરસાત’ બનાવી રહેલા રાજ ક્પૂરને એક સાથી, એક મિત્ર મળી ગયો. ‘જિયા બેકરાર હૈ’ અને ‘છોડ ગયે બાલમ’ આ બંને હસરતનાં પહેલાં ગીતો. ઊંડો પ્રેમ અને દર્દ એમની રચનાઓમાં વારંવાર ઝલકે, પણ તેમની પ્રકૃતિ રોમાન્સની – ‘બહારો ફૂલ બરસાઓ’, ‘એ ગુલબદન’, ‘આ જા રે આ જરા’, ‘મસ્તીભરા હૈ સમા’, ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ ‘બદન પે સિતારે લપેટે હુએ’ એક એકથી ચડે તેવાં રોમેન્ટિક ગીતો. 

હસરત પાસે સાહિર જેવી કડવાશ કે ફૈઝ – કૈફી જેવું ગાંભીર્ય કદાચ ન મળે, પણ અનુભવોમાંથી નીતરેલું ઊંડાણ જરૂર મળે. એમની કલા કઠોર નહીં, જીવનની દરેક કડવાશમાંથી મીઠાશ શોધી લે તેવી હતી – પ્યાર સચ્ચા હો તો રાહેં ભી નિકલ આતી હૈ, બિજલિયાં અર્શ સે ખુદ રાસ્તા દિખલાતી હૈ …  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 11 ઍપ્રિલ ડિસેમ્બર 2025

Loading

...102030...52535455...607080...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved