Opinion Magazine
Number of visits: 9664936
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉરેન્સ બિશ્નોઈઃ જેલમાંથી પોતાની ક્રાઇમ સિન્ડીકેટ ચલાવી બની ગયો છે ‘હિંદુ ડોન’?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 October 2024

સુપરસ્ટારને તમે ધાકમાં રાખી શકતા હોવાની છાપ ખડી કરો તો બેરોજગારીમાં ગેરમાર્ગે દોરાયેલા જુવાનિયાઓ તમારી ‘ગેંગ’ના સભ્ય બનવા તરત તૈયાર થઇ જાય, આ લૉરેન્સ બિશ્નોઈનું ઇમેજ મેનેજમેન્ટ છે

ચિરંતના ભટ્ટ

લૉરેન્સ બિશ્નોઈ, આ નામ આપણે માટે નવું નથી. દિવાળી પહેલાં લૉરેન્સ બિશ્નોઈએ ખાસ્સા એવા ફટાકડા ફોડ્યા છે. 2014થી જેલમાં પુરાયેલો એક જુવાનિયો ભારત નહીં પણ કેનેડા અને યુ.એસ.એ.માં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પાછું સોશ્યલ મીડિયા પર લૉરેન્સ બિશ્નોઇની વાહવાહી કરનારાઓનો પાર નથી. 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસે વાલાની ગેંગવૉર સ્ટાઇલમાં હત્યા થઇ અને લૉરેન્સ બિશ્નોઇએ તેની જવાબદારી સ્વીકારી એટલે તેનું નામ લોકોને હોઠે ચઢ્યું. હમણાં કેનેડાએ ભારત સામે વિધાનો કર્યા એમાં તો કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારતીય એજન્ટો લૉરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરની મદદ લઇને તેમના દેશમાં આતંક ફેલાવે છે. આટલું ઓછું હોય ત્યાં અમેરિકાના ગુરપતવંત સિંઘ પન્નુનના મર્ડરનો પ્લોટમાં પૂર્વ ભારતીય અધિકારી વિકાસ યાદવનો હાથ હોવાનો આરોપ થયો અને તે અધિકારીની કડી લૉરેન્સ બિશ્નોઇ સાથે જોડાયેલી હોવાનો દાવો છે. ઘર આંગણાની વાત કરીએ તો મુંબઈના રાજકારણી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા થઇ અને એમાં લૉરેન્સનું નામ આવ્યું. તેના નિશાને અભિનેતા સલમાન ખાન તો છે જ પણ શું ખરેખર સલમાન ખાનને ધમકી, તેના ઘરની બહાર ગોળીબાર વગેરે લૉરેન્સનો એક માત્ર એજન્ડા છે?

નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી NIAએ ગયા વર્ષે માર્ચ મહિનામાં એક ચાર્જશીટ ફાઇલ કરી જેમાં લૉરેન્સ બિશ્નોઈ અંગે નવાઈ પમાડે એવી માહિતીઓ હતી. લૉરેન્સ બિશ્નોઈને દાઉદ ઈબ્રાહીમ સાથે સરખાવાયો કે જેલમાં બેઠા બેઠા પણ તેનું નેટવર્ક, તેની પહોંચ છેલ્લાં દસ વર્ષમાં વધી છે અને તેની નીચે 700 શૂટર્સ કામ કરે છે. ખંડણી હોય કે હત્યા – મળો યા લખો લૉરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલ – વાળી ઇમેજ છે આ ગુનેગારની, એ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે. જો આપણને એમ લાગતું હોય કે બિશ્નોઈ જાતિના લૉરેન્સ બિશ્નોઈને માટે સલમાન ખાનને નિશાને લઈને ચર્ચામાં આવવું એક અગત્યનો એજન્ડા છે તો ત્યાં જ આપણી ભૂલ થાય છે. આ સમજવા માટે આપણે લૉરેન્સની વાહવાહી કરનારા લોકોને સમજવા પડે. ગોડસે પ્રેમીઓને લૉરેન્સ બહુ વ્હાલો લાગે છે અને આ કટ્ટરવાદી હિંદુ ડોનના તેઓ ખોબલેને ખોબલે વખાણ કરે છે તે સોશ્યલ મીડિયા પર દેખાઈ આવે છે. આમે ય મનોવિજ્ઞાને એવા અભ્યાસ કર્યા છે જેમાં અમુક લોકોને ગુનાઈત પ્રકૃતિના લોકો માટે એક વિચિત્ર પ્રકારનું આકર્ષણ હોય છે. ડોન અને ગેંગસ્ટરની ફિલ્મો અમસ્તી જ હિટ જાય છે? લોરેસન્સ બિશ્નોઈ એક એવો જુવાનિયો જેની ફટકી એટલે એ ધારે એની ગોળી મારીને હત્યા કરાવી શકે છે, એનો લોકશાહી, બંધારણ, કાયદો કે વ્યવસ્થા સાથે દૂર દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી. પણ લઘુમતીના મોટા માથાઓને કાબૂમાં રાખી શકનારો ગેંગસ્ટર ચોક્કસ વર્ગને બહુ ગમી ગયો છે.  કમનસીબે આપણા સમાજમાં ગુનેગારોને ન મળવું જોઇએ એટલું માન મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં લૉરેન્સ બિશ્નોઈ વિધાનસભાની ચૂંટણી લડશે એવી અફવા આવી, તેની સરખામણી ભગત સિંહ સાથે કરાઇ તો એક સાધ્વીએ તો તેને માસૂમ બાળક એમ કહીને ગાંધીવાદી હોવાનું લેબલ પણ આપ્યું.

લોરેન્સ બિશ્નોઇ

શું લૉરેન્સ બિશ્નોઈ ખરેખર જામીન પર બહાર આવીને ચૂંટણીમાં ઝંપલાવશે? હિંદુ ડોન તરીકે માથે ચડાવાયેલા આ ગુનેગારનો ઉપયોગ કરી, તેની પાસે ધાર્યું કામ કરાવીને પછી તેને ગુમનામીની ગર્તામાં ધકેલી દેનારા ખેલંદાઓ પણ તો આપણે ત્યાં હોઇ શકે? આ લૉરેન્સ આખરે છે કોણ? 1993માં પંજાબમાં જન્મેલા બલકરણ બ્રારનું નામ એક અંગ્રેજી અધિકારીના નામ પરથી લૉરેન્સ (આ જ અધિકારીએ સનાવરમાં લૉરેન્સ સ્કૂલ સ્થાપી હતી) કરાયું કારણ કે તે દેખાવડો હતો. કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો, મોંઘા દાટ કપડાં પહેરતો લૉરેન્સ ગેંગસ્ટર બની જશે એવી તેના માતા-પિતાને કલ્પના ન જ હોય. સો એકર જમીન અને મોટો બંગલો ધરાવતો પરિવાર, લૉરેન્સના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા જે બાદમાં ફરી ખેતી કરવા માંડ્યા અને અત્યારે દીકરો જેલમાં સચવાય એટલે વર્ષે ચાળીસ લાખ રૂપિયા તો તેનો પરિવાર આરામથી ખર્ચી નાખે છે. લૉરેન્સની જિંદગીમાં પ્રેમ અને કૉલેજના રાજકારણે તેની દિશા અને દશા બદલી નાખી એમ કહેવાય છે. સ્કૂલમાં જો છોકરી ગમતી તેની સાથે કૉલેજમાં તેને પ્રેમ થયો. આ દરમિયાન તે કૉલેજના રાજકારણમાં પણ પ્રવૃત્ત થયો. સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઑફ પંજાબ યુનિવર્સિટી સ્થાપનારા લૉરેન્સને સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી જીતવી હતી પણ એમ ન થયું એટલે બળ બતાડવા તેણે બંદૂક ઉપાડી. આવતા વર્ષે ફરી ચૂંટણી થઇ ત્યારે વિરોધીઓએ તેની ગર્લફ્રેન્ડને જીવતી સળગાવી દીધી હતી હોવાનો આક્ષેપ છે અને ત્યારે જ બદલાની આગમાં લૉરેન્સે ગુનાની દુનિયામાં પગ મૂક્યો. વિરોધ પક્ષના ઉમેદવારની ગાડી સળગાવી દેવાના ગુનામાં લૉરેન્સ પહેલીવાર જેલ ગયો. વિદ્યાર્થી રાજકારણની બબાલમાં જેલમાં ગયેલા લૉરેન્સની ઓળખાણ યુ.એસ.એ.માં શસ્ત્રોનો વેપલો કરનાર સ્મગલર રણજીત દુપલા સાથે થઇ. આજે પણ રણજીત દુપલા યુ.એસ.એ.માં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જેલમાં જઇને લૉરેન્સને જાણે પોતાનું જોર બતાવાના અન્ય હજાર રસ્તા મળ્યા. જે વાત કૉલેજના રાજકારણ અને હિંસા પૂરતી સીમિત હતી તે ગોલ્ડી બ્રાર સાથેની મિત્રતા પછી અન્ય ગુનાઈત પ્રવૃત્તિઓ તરફ વધી. સંપત નેહરા, વિરેન્દ્ર પ્રતાપ સિંહ અને અમનદીપ મુલ્તાની આજે બિશ્નોઈ ગેંગના અગત્યના નામો છે, તે બધા લૉરેન્સના કૉલેજકાળના સાથીઓ છે. પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પતાવીને લૉરેન્સ ગુનાની દુનિયામાં પોતાની રીતે કાયદો વ્યવસ્થા બનાવવામાં મચી પડ્યો. દારુની હેરફેર, શસ્ત્રોનો વેપલો, બીજા ગુનેગારોને રક્ષણ પુરું પાડવાની સાથે સાથે અન્ય મોટા માથાઓ પાસેથી ખંડણી ઉઘરાવવાની કામગીરી પણ લૉરેન્સની ગેંગે શરૂ કર. 2013માં પંજાબ યુનિવર્સિટીના રાજકારણમાં લૉરેન્સ ખાસ્સો એક્ટિવ હતો. પોતાના ઉમેદવારને કોઇપણ ખટપટ વગર જીત મળે એ માટે તેણે વિરોધી ઉમેદવારને દીધો અને ત્યાંથી ભાગી ગયા. 2014માં રાજસ્થાન પોલીસે તેને પકડીને જેલભેગો કર્યો અને ત્યારથી આજ સુધી લૉરેન્સ જેલમાં જ છે. આમ તો વાત અહીં પતી જવી જોઇતી હતી પણ એવું થયું નથી. લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ માળું કોઈને કોઇ રીતે ચાલતું રહે છે. હવે આમાં શું સમજવું? સરકારની પકડ કાચી છે કે પછી લૉરેન્સને હાથો બનાવીને સરકાર પોતાના અમુક કામો કરાવી લેતી હશે?

2018માં લૉરેન્સ ચર્ચામાં આવ્યો કારણ કે એણે સલમાન ખાનને પતાવી દેવાની પ્રતિજ્ઞા કરી. કાળિયાર અને સલમાન વાળા કેસથી આપણે અજાણ નથી. એ કથિત ઘટના જ્યારે ઘટી ત્યારે લૉરેન્સ તો પાંચ વર્ષનો હતો અને એ પછી અત્યાર સુધીમાં જંગલોમાં ઘુસણખોરી કરનારાઓએ 100થી વધુ કાળિયાર માર્યા હોવાના અધિકૃત આંકડા હોવા છતાં લૉરેન્સને તો સલમાન ખાનનો જ ભોગ લેવો છે, એને બીજા કોઈ સાથે લેવાદેવા નથી. સીધી વાત છે કે સુપરસ્ટારને તમે ધાકમાં રાખી શકતા હોવાની છાપ ખડી કરો તો બેરોજગારીમાં ગેરમાર્ગે દોરાયેલા જુવાનિયાઓ તમારી ‘ગેંગ’ના સભ્ય બનવા તરત તૈયાર થઇ જાય. આ લૉરેન્સ બિશ્નોઈનું ઇમેજ મેનેજમેન્ટ છે અને એટલે જ તો બાબા સિદ્દીકીને ઉડાડી દેવા માટે પચાસ હજાર લઇને કામ કરનાર શૂટર તેને મળી ગયા.

લૉરેન્સની કામગીરાની ઢબ

જેલમાં બેઠા બેઠા લૉરેન્સે સલમાનને ધમકીઓ આપવા ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ, દિલ્હી, રાજસ્થાનમાં પોતાનું સામ્રાજ્ય પ્રસરાવ્યું. બિશ્નોઈ ગેંગ માટે કામ કરનાર દરેક માણસ પોતાના એક માત્ર કહેવાતા બૉસ સિવાય કોઇને નથી જાણતો – આ એ ગેંગનું તંત્ર છે. એક ઑપરેશનમાં કામ કરનારા લોકો એકબીજાને ઓળખતા નથી હોતા જેથી એક પકડાય તો બીજા સલામત રહે. બિશ્નોઈ ગેંગમાં જોડાવા માગનારા બેરોજગાર જુવાનિયાઓ પાસે ફોન હોય તો ય બહુ છે કારણ કે સોશ્યલ મીડિયાની મદદથી તેઓ ગેંગનો હિસ્સો બની શકે છે. લો  બોલો, ટેક્નોલૉજી અને ડિજીટાઇઝેશનનો આવો ઉપયોગ કરતાં પણ માળું ગેંગસ્ટરને જ આવડ્યું. જેલમાં બેઠા બેઠા લૉરેન્સે પોતાનું નેટવર્કિંગ એવું મજબૂત કરી દીધું છે કે તમે કલ્પી ન શકો. અનટ્રેસેબલ કૉલિંગ પણ આ ગેંગનું અગત્યનું હથિયાર છે જેના આધારે લૉરેન્સ પોતાના 700 ઑપરેટિવ્ઝ સાથે સંપર્કમાં રહે છે અને મન થાય તો મીડિયામાં ઇન્ટરવ્યુઝ પણ આપી દે છે.

યુનિયન હોમ મિનિસ્ટ્રીએ તો સાબરમતી જેલમાંથી તેને બીજા જેલમાં ખસેડવાની સાફ મનાઈ ફરમાવી છે. બાબા સિદ્દીકીની હત્યા પછી મુંબઈ પોલીસ તેની પૂછપરછ કરવા માગતી હતી પણ એ પણ નથી થઇ શક્યું. લૉરેન્સ સારી પેઠે જાણે છે કે પૈસા અને તાકાત તો એ મેળવી લેશે પણ રાજકારણીઓની ઉપર ધોંસ જમાવવા માટે એક અલગ નેરેટિવ જોઇશે. આ કારણોસર જ તેને હિંદુ રક્ષક અને હિંદુ ડોન તરીકેની ઓળખ આપીને સોશ્યલ મીડિયા પર ચગાવાઈ રહ્યો છે. એક વાત સ્પષ્ટ છે કે લૉરેન્સની પોતાની કોઇ નક્કર વિચારધારા નથી કારણ કે ભૂતકાળમાં જરૂર પડી ત્યારે ખાલિસ્તાનીઓ પાસેથી તેણે શસ્ત્રો પણ મેળવ્યા છે એટલે તેને ખાલિસ્તાની વિરોધી કહેવો ખોટું છે. પણ નક્કર વિચારધારા ન હોવા છતાં ગણપતિનું ટેટુ અને ભગતસિંઘના ફોટાવાળું ટી-શર્ટ પહેરનારા લૉરેન્સને બરાબર ખબર છે કે તેણે શું કરવાનું છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા, સુખદુલ સિંગની કેનેડામાં હત્યા, ગિપ્પી ગરેવાલના ઘરે કેનેડામાં હુમલો, સલમાન ખાનના ઘર પર ગોળીબાર, એ.પી. ઢિલ્લોંના ઘર સામે ફાયરિંગ અને છેલ્લે બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા – આ બધા પર લૉરેન્સ ગેંગની મોહર છે. આ બધું થાય છે પણ લૉરેન્સ ભાઇ તો સાબરમતી જેલની હવા ખાય છે, ન તો તેણે કઇ જમાનતની અરજી કરી છે કે ન તો કોઈ બીજી હિલચાલ છે. છતાં ય કેનેડા અને યુ.એસ.એ. સરકારે દસ વર્ષથી જેલમાં બંધ માણસનું નામ પોતાના દેશમાં થયેલા ગુનામા જોડાયેલું હોવાની વાત કરી છે. આ બધું દેખાય છે તેના કરતાં વધારે પેચીદું છે. NSAના અજીત દોવાલે ભૂતકાળમાં દાઉદ ઇબ્રાહીમને પતાવી દેવા માટે છોટા રાજનની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો એ વાત કંઇ છુપી નથી તો પછી આ છેલ્લા કેટલાક ઑપરેશન્સમાં લૉરેન્સની મદદ લેવાઈ હોય એમ બને? આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે એટલે જ જે દેખાય છે એ સ્વીકારી લેવાની ભૂલ ન કરવી જોઇએ.

બાય ધી વેઃ  

લોકો બિશ્નોઈ ગેંગને દાઉદની ડી કંપની સાથે સરખાવે છે. તેનો આતંક અને ડર દિવસે દિવસે વધી રહ્યા છે. યો યો હનીસિંગ અને સોનુ ઠકરાલ જેવા પંજાબી ગાયકોને ધમકી મળી ચૂકી છે તો દિલ્હીમાં કરોડોની ખંડણી માટે બિશ્નોઈ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હોવાના કિસ્સા છે. સલમાન ખાને પોતાની સલામતી માટે બનતા બધાં પગલાં લીધા છે અને છેલ્લા સમાચાર મુજબ તેના ફાર્મ હાઉસ પર તેને ઉડાડી દેવાની યોજના હતી. સ્ટેન્ડ અપ કૉમિક મુનાવ્વર ફારુકીને પણ ધમકીઓ મળી છે તો બાબા સીદ્દિકીના દીકરાને પણ સુરક્ષા મળી છે. અમિત ડાગર, મનદીપ ધારીવાલ, કૌશલ ચૌધરી બધા લૉરેન્સની વિરોધી ગેંગના સભ્યો છે જેમણે લૉરેન્સના ખાસ વિક્કી મિદ્દુખેરાની હત્યામાં સામેલ હતા.

લૉરેન્સ મોસ્ટ વૉન્ટેડ નહીં પણ મોસ્ટ પૉપ્યુલર છે, મહાત્મા ગાંધીના દેશમાં હાથમાં રિવોલ્વર પકડનારો ગુનેગાર હીરો બની રહ્યો હોય ત્યારે તેનાથી વધુ ચિંતાજનક કંઇ જ ન હોઇ શકે. હિંદુ ડોન તરીકે ઓળખ ખડી કરનારા લૉરેન્સને આપણા શાસ્ત્રોનું જ્ઞાન નહીં જ હોય કારણ કે આપણા શાસ્ત્રોમાં ખંડણી કે કોન્ટ્રાક્ટ કિલીંગને પ્રોત્સાહન આપતી વાત ક્યાં ય નથી.  લૉરેન્સની દાદાગીરી ખંડણીની સત્તા મજબૂત કરવા માટે છે, તેને ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી. લૉરેન્સને હીરો બનાવવામાં આપણે ન જોડાવું જોઇએ, એ ગુનેગાર છે, તેને નાયક બનાવતી વેબ સિરીઝ કે ફિલ્મો ન આવે તો સારું? બાકી મને એમ થાય કે લૉરેન્સ જેલમાં બેઠા બેઠા 700 જણાની ટીમ સાચવે છે પણ આપણે એક મેઇલનો જવાબ આપવા માટે રોજ બૉસના કહ્યે કોર્પોરેટ ઑફિસ સુધી રોજના ધક્કા ખાવા પડે છે, બોલો!

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2024

Loading

ભેંસના શિંગડાનો ન્યાય એક દિવસ ભા.જ.પ.ને પણ લાગુ પડવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 October 2024

I am passionate about politics, but when it comes to political parties, I am despondent. 

– F. Murry Abraham 

રમેશ ઓઝા

હોલીવુડના અમેરિકન અભિનેતા એફ. મરી અબ્રાહમ કહે છે કે રાજકારણની વાત આવે ત્યારે હું ઉત્તેજના અનુભવું છું, પણ જ્યારે રાજકીય પક્ષોને જોઉં છું તો નિરાશ થઈ જવાય છે. મનમાં અવસાદ પેદા થાય છે.

અબ્રાહમને જે અનુભવ થઈ રહ્યો છે એ આ લખનારને ૧૯૭૦થી રાજકારણ સમજતો થયો ત્યારથી થઈ રહ્યો છે. આમ પણ ભારતીય રાજકારણમાં ૧૯૬૦નો દાયકો મહત્ત્વનો છે. ૧૯૬૪માં જવાહરલાલ નેહરુનું અવસાન થયું. લાલબહાદુર શાસ્ત્રીનાં ટૂંકા ગાળાના શાસન પછી ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં. કાઁગ્રેસની અંદર જમણેરી અને ડાબેરી એમ બે છાવણી રચાઈ જે બહુ ઓછી વિચારધારા પર આધારિત હતી અને વધુ તો સત્તા માટેની હતી. ઇન્દિરા ગાંધી વડીલોને ગાંઠતા નહોતાં અને વડીલોને એમ લાગતું હતું કે નેહરુની દીકરી હોવાની એકમાત્ર લાયકાત ધરાવનારાં ઇન્દિરા ગાંધીએ તેમને પૂછીને શાસન કરવું જોઈએ અને માનસન્માન આપવાં જોઈએ. કાઁગ્રેસમાં વિભાજન થયું. સાઠીના દાયકામાં કાઁગ્રેસનો વિચારધારા સાથેનો સંબંધ ખતમ થઈ ગયો અને તે ચૂંટણી લડવા અને જીતવાના એક મશીનમાં ફેરવાઈ ગયો. જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ નવા આકાર પામેલા રાજકારણને કાઁગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવ્યું હતું. દેખીતી રીતે જ્યારે કાઁગ્રેસનો વિચારધારા સાથેનો સંબંધ ખતમ થતો ગયો ત્યારે વિચારધારાથી પ્રેરાઈને આવનારા કાર્યકર્તા આવતા બંધ થઈ ગયા. હવે જે કાઁગ્રેસમાં આવતા હતા તેમનું લક્ષ માત્ર અને માત્ર સત્તા હતું.

અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એક એ કે એ સમયે જે વિરોધ પક્ષો હતા તેને કાઁગ્રેસ સીસ્ટમ વિષે શું કહેવાનું હતું અને બીજો પ્રશ્ન એ કે એ પક્ષો કાઁગ્રેસ સીસ્ટમથી ન અભડાય એ માટે શું કર્યું? અહીં એફ. મરી અબ્રાહમ કહે છે એવી સ્થિતિ પેદા થવા લાગી. આઝાદી પછી તરત જ કેટલાક સમાજવાદીઓ સામે ચાલીને કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા. ઉદ્દેશ એવો હતો કે દેશને કાઁગ્રેસનો મધ્યમમાર્ગી પણ કેન્દ્રની ડાબે એવો એક વિકલ્પ મળે. તેમણે સમાજવાદી પક્ષની સ્થાપના કરી. સી. રાજગોપાલાચારી જેવા કાઁગ્રેસીઓ પણ થોડાં વર્ષ પછી કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા. તેમને એમ લાગતું હતું કે કાઁગ્રેસ સામ્યવાદની નજીક લઈ જતાં સમાજવાદી ધોરણને અપનાવી રહી છે અને એમાં દેશનું લાંબે ગાળે નુકસાન થઈ શકે એમ છે. તેમણે મધ્યમમાર્ગી પણ કેન્દ્રની જમણે એવો સ્વતંત્ર પાર્ટી નામે પક્ષ રચ્યો. નહોતા કાઁગ્રેસમાંથી સમાજવાદીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા કે નહોતા સી. રાજગોપાલાચારી જેવા જમણેરી કાઁગ્રેસીઓને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓ સ્વેચ્છાએ વિશાળ ઉદ્દેશથી પ્રેરાઈને બહાર નીકળ્યા હતા.

તેમની સામે બે પડકારો હતા. એક તો પોતાના ઉદ્દેશને વફાદાર રહેવું પછી ગમે એટલા વિઘ્નો આવે અને ગમે એટલા પરાજયો થાય. બીજો પડકાર હતો કાઁગ્રેસ સીસ્ટમથી બચવું. આખરે કાઁગ્રેસ સીસ્ટમ કારગર સીસ્ટમ હતી. વિચારધારાથી મુક્ત, વિવેક-મર્યાદાથી મુક્ત, ગમે તેની સાથે ચાલી શકાય અને ગમે તેને પગમાં આંટી મારીને પછાડી શકાય. કોઈ સગો નહીં કે કોઈ વૈચારિક સહોદર નહીં. સગી માત્ર સત્તા. જ્ઞાતિનાં સમીકરણો પ્લસ બાહુબલીઓ પ્લસ કુબેરપતિઓ. ચૂંટણીમાં અપરાધ દાખલ થયો અને પૈસાનું પ્રાબલ્ય વધ્યું. ચૂંટણી લડવાનું અને જીતવાનું કાઁગ્રેસ સીસ્ટમ નામનું એક કારગર મશીન અસ્તિત્વમાં આવ્યું હતું અને જે લોકો વિશાળ ઉદ્દેશથી પ્રેરાઈને કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા હતા તેમની સામે તેનાથી બચવું એ પડકાર હતો.

બન્નેમાંથી કોઈ બચી ન શક્યા. ન સમાજવાદીઓ કે ન જમણેરીઓ. કાઁગ્રેસ સીસ્ટમ તોડવામાં જન્મવારો નીકળી જાય એવી એ મજબૂત લોખંડી હતી. ખૂબ ધીરજ રાખવી પડે એમ હતી. કાર્યકર્તાઓ નિરાશ ન થાય અને દાયકાઓ સુધી ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહે એવો જોસ્સો પેદા કરવો પડે એમ હતો. તેઓ એ ન કરી શક્યા. તેઓ વિચારધારા સાથે અને રાજકીય સાધનો સાથે સમાધાન કરવા માંડ્યા. આ સિવાય જે લોકોને કાઁગ્રેસમાં સત્તા નહોતી મળતી એવા લોકો કાઁગ્રેસમાંથી બહાર નીકળીને સમાજવાદી કે સ્વતંત્ર પાર્ટીમાં જોડાતા હતા અને એ બન્ને પક્ષો કાઁગ્રેસને પરાજીત કરવા તેમને આવકારતા પણ હતા. એ બન્ને પક્ષો કાઁગ્રેસ સીસ્ટમને તોડવાની જગ્યાએ અને દેશમાં તેમની કલ્પના મુજબના વિચારધારા આધારિત શાસન આપવાની જગ્યાએ કાઁગ્રેસ-સીસ્ટમનો શિકાર બની ગયા. પહેલાં પ્રજાની અંદર નિરાશા અને અવસાદ પેદા થયો અને પછી કાર્યકર્તાઓમાં.

દેશમાં બે પક્ષો બીજા પણ હતા જેમાંથી ભારતીય જનસંઘ નામનો પક્ષ કેન્દ્રની છેક જમણે હતો અને બીજો ભારતીય સામ્યવાદી પક્ષ જે કેન્દ્રથી છેક ડાબે હતો. એ બન્ને પક્ષો ભારત અંગેની બંધારણમાં વ્યાખ્યાઈત કલ્પનાનો વિરોધ કરતા હતા. તેમની કલ્પનાનું ભારત જૂદું હતું. સત્તા સુધી પહોંચવામાં કાઁગ્રેસ સીસ્ટમ નામનું વિઘ્ન હતું એ તો તેમને પણ નડતું હતું. તેઓ પણ તેને તોડી નહોતા શક્તા. એક વાતનું સુખ હતું કે સત્તા નહીં મળવાને કારણે નારાજ થતા કાઁગ્રેસીઓ આ બે પક્ષોમાં નહોતા આવતા. જો જનસંઘમાં જોડાય તો મુસ્લિમ વિરોધી હિન્દુત્વવાદી બનવું પડે અને જો સામ્યવાદી પક્ષમાં જોડાય તો સામ્યવાદી બનવું પડે અને એ બન્ને વિચારધારાને ભારતની સામાન્ય જનતાએ અપનાવી નહોતી. વળી આ બન્ને પક્ષો વિચારધારાને વરેલા અને વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓની કેડર ધરાવનારા.

પણ પેલી કાઁગ્રેસને વિજય અપાવનારી અને બીજાનો પરાજય કરનારી કાઁગ્રેસ સીસ્ટમ તો તેમને પણ નડતી હતી. કેટલાં વર્ષ રાહ જોવી? શું કરવું? આ બેમાંથી સામ્યવાદીઓએ સમાધાન ન કર્યાં અને પરિણામે ધીરેધીરે ખતમ થઈ ગયા. જનસંઘના નેતાઓએ જૂદો માર્ગ અપનાવ્યો. અમે ભલે અછૂત, પણ અમારી પાસે કાઁગ્રેસ સીસ્ટમનો મુકાબલો કરી શકે એવા પ્રતિબદ્ધ કાર્યકર્તાઓની ફોજ છે અને ભલે કુલ પાંચ ટકા પણ હિન્દુત્વને વરેલા કાઁગ્રેસ વિરોધી પ્રતિબદ્ધ મતદાતાઓ છે. બોલો જોઈએ છે મદદ? સમાજવાદી પક્ષના અને સ્વતંત્ર પાર્ટીના અધીરા થયેલા નેતાઓ જનસંઘની મદદ લેવા લાગ્યા. જનસંઘ ફાયદામાં હતો. જનસંઘની ધીરે ધીરે રાજકીય જગ્યા બનતી જતી હતી, રાજકીય સ્વીકૃતિ બનતી જતી હતી અને રાજકીય ચારિત્ર્ય સમાજવાદી પક્ષના અને સ્વતંત્ર પક્ષના નેતાઓનું ખરડાતું હતું. ડૉ રામ મનોહર લોહિયા અને સી. રાજગોપાલાચારી જનસંઘીઓ સાથે? કાઁગ્રેસની જગ્યા આંચકવામાં ભલે સફળતા ન મળે, પણ વિરોધ પક્ષોની જગ્યા જનસંઘ અને પછી ભા.જ.પ. આંચકવા લાગ્યા. આને પરિણામે સહિયારા ભારત વિશેની બંધારણપ્રણિત કલ્પનામાં માનનારા અને કેન્દ્રની ડાબે કે જમણે સ્થાન ધરાવનારા વિકલ્પ ખતમ થઈ ગયા. આજે એ પ્રાદેશિક પક્ષના સ્વરૂપમાં જ્યાં ત્યાં નજરે પડે છે, પરંતુ એની જગ્યા પણ આંચકી લેવામાં આવી રહી છે. એ બધા પરિવાર આધારિત પક્ષ છે અને તેની આબરૂ બચી નથી.

ભેંસનાં શિંગડાં ભેંસને ભારે એવી કહેવત છે એમ દાયકાઓ સુધી સફળતા અપાવનારી કાઁગ્રેસ સીસ્ટમ સફળતા આપતી બંધ થઈ કાઁગ્રેસને ભારે પડવા લાગી. ૧૯૮૯થી આની શરૂઆત થઈ અને ૨૦૧૪ પછી તો સાવ વસૂકી ગઈ. પહેલાં તો કાઁગ્રેસે રાહ જોઈ કે હંમેશાં બને છે એમ મ્તાદાતાઓ ભા.જ.પ.ની સરકારથી હતાશ થઈ જશે અને કાઁગ્રેસને સ્વાભાવિક વિકલ્પ તરીકે મોકો મળશે. ૨૦૧૯ પછી રાહુલ ગાંધીને સમજાઈ ગયું કે રાહ જોઇને બેસી રહેવાથી ચાલે એમ નથી. ભા.જ.પે. કાઁગ્રેસ સીસ્ટમ જેવી જ પણ થોડી અલગ બી.જે.પી. સીસ્ટમ વિકસાવી છે જેને તોડવી મુશ્કેલ છે. એને જો તોડવી હોય તો અલગ માર્ગ અપનાવવો પડે એમ છે. કાઁગ્રેસને ત્યાં લઈ જવી પડે એમ છે જ્યાંથી તેણે માર્ગ બદલ્યો હતો. વિચારધારા સાથે પાછો નાભીનાળ સંબંધ બાંધવો પડે એમ છે. કાઁગ્રેસનું વજૂદ ભારત અંગેની વિચારધારા છે અને માત્ર આ વિચારધારા જ બી.જે.પી. સીસ્ટમનો મુકાબલો કરી શકે એમ છે.

ત્રણ પ્રશ્નો છે. એક. શું છે બી.જે.પી. સીસ્ટમ? બે. શા માટે બી.જે.પી.ને પણ તે અપનાવવી પડી જે રીતે કાઁગ્રેસે પોતાની સીસ્ટમ અપનાવી હતી? ભેંસનાં શિંગડાનો ન્યાય એક દિવસ બી.જે.પી.ને પણ લાગુ પડવાનો છે. અને ત્રણ. શું રાહુલ ગાંધીને સફળતા મળશે? છ દાયકાનો બોજો છે અને ઠીક ઠીક પ્રમાણમાં કલંકિત ઇતિહાસ છે. શું તેઓ કાઁગ્રેસનું પ્રક્ષાલન કરી શકશે? તેમનામાં આ જોશ ક્યાંથી આવ્યું? શું સપાટી નીચે કાઁગ્રેસની પ્રાસંગિકતાનાં સંકેતો મળી રહ્યા છે?

આની ચર્ચા આગળ કરશું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—270

દીપક મહેતા|Opinion - Opinion|26 October 2024

સર જમશેદજી નસરવાનજી તાતા : રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી     

આય આપરા જમશેદજી સેઠ બી સપનાના સોદાગર હુતા! એવને એક નહિ પણ બબ્બે સપનાંની વાત સ્વામી વિવેકાનંદને કરી હુતી. વાત જાને એમ છે કે સ્વામીજી અને સર જમશેદજી, બંને ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ નામની સ્ટીમરમાં સાથે ટ્રાવેલ કરી રહ્યા હુતા. ૧૮૯૩ના મે મહિનાની ૩૧ તારીખે સ્વામીજી પેનેનસુલા નામની આગબોટમાં મુંબઈથી નીકલિયા. સીધો રસ્તો લેવાને બદલે લાંબો રસ્તો લીધો. મુંબઈથી ગિયા ચીન, અને ત્યાંથી ગિયા જાપાન. તાંના યોકોહામા બંદરેથી એસ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા નામની સ્તિમરમાં વાનકુવર જવા નીકલિયા. એ જમાનામાં એરોપ્લેન તો હુતાં નહિ. એટલે એક દેસથી બીજે દેસ જવા માટે આગબોટ એક જ સાધન હુતું. આય એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા કેનેડિયન પેસિફિક સ્ટીમશિપ્સ નામની કંપનીને વાસ્તે ગ્રેટ બ્રિટનમાં ૧૮૯૦-૧૮૯૧માં બંધાઈ હુતી. કલાકના ૧૬ દરિયાઈ માઈલની ઝડપે ચાલતી આય ટ્વીન પ્રોપેલર બોટ એ વખતે સૌથી ફાસ્ટ ચાલતી સ્ટીમર હુતી. તેમાં એકુ વખતે ૭૭૦ મુસાફરો બેસી સકતા હુતા. 

એસ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા

પન પછી ૧૯૧૪માં કેનેડિયન કંપનીએ આય બોટ આપના દેસના ગ્વાલિયરના મહારાજાને વેચી દીધી. એવને બોટનું નવું નામ રાખ્યું ‘લોયલ્ટી.’ પણ તે વારે જ પહેલી વર્લ્ડ વોર સુરુ થઈ. સરકારે આ બોટમાં ફેરફાર કરી તેને સૈનિકો માટેની ઓસ્પિટલ બનાવી નાખી. વોર પૂરી થયા પછીથી ૧૯૧૯ના માર્ચમાં આપના દેસની પહેલવહેલી ‘દેશી’ શિપિંગ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશને આય શીપ ખરીદી લીધું. અને એ જ વરસના એપ્રિલ મહિનાની પાંચમી તારીખે આપના દેસના વહાનવટાના હિસ્ટરીમાં એક નવું સોનેરી ચેપ્ટર લખાયું. તે દહારે આય દેશી કંપનીની ‘લોયલ્ટી’ સ્ટીમર મુંબઈથી ગ્રેટ બ્રિટન જવા નીકલી. તે દહારા સુધી હિન્દુસ્તાન-બ્રિટન વચ્ચેની મુસાફરી પર અંગ્રેજ કંપનીઓની મોનોપોલી હુતી. 

જો કે એક વાત બહુ કમ લોકોને માલમ છે. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની કરતાં બી પહેલાં ‘દેશી’ કંપની સુરુ કરવાનો અખતરો જમશેદજીએ કીધો હૂતો. ૧૮૯૩માં જમશેદજી જાપાન કાંઈ સહેલગાહ કરવા ગયેલા નહિ. હિન્દુસ્તાન અને ગ્રેટ બ્રિટન વચ્ચે એ વખતે કપાસ અને કાપડનો ધીખતો ધંધો. પણ માલની બધી જ આવનજાવન અંગ્રેજ શિપિંગ કંપનીઓના જ હાથમાં. એટલે નૂરના ભાવ મન ફાવે તેમ લે. વલી આય કંપનીઓ ‘સર્કલ’ બનાવીને કામ કરે. એટલે સર્કલની એક કંપનીનો ઘરાક એ કંપની છોરીને બીજે જવા ચાહે તો કોઈ એનો માલ લાવવા લઈ જવા તૈયાર થાય નહિ. જાપાનની NYK નામની એક મોટ્ટી શિપિંગ કંપની સાથે જમશેદજીએ કોલ કરાર કીધા. જમશેદજીએ બે બારકસ ભાડે લીધાં અને NYK કંપનીએ પોતાનાં બે વહાણ જમશેદજીને ફાળવ્યાં. કોટન અને કાપડની લાવ-લઈ જા સુરુ કીધી. બ્રિટીશ કંપનીઓ એક ટન માલ લાવવા લઇ જવાના ૧૮ રૂપિયા લેતી હુતી. જમશેદજીએ ૧૨ રૂપિયા ભાવ રાખ્યો. વેપારીઓ તેમની કંપની તરફ દોડ્યા. પણ અંગ્રેજ કંપનીઓ કાંઈ ગાંજી જાય એવી હુતી નહિ. તેમને પોતાનો ભાવ ઘટાડીને એક ટનનો દોઢ રૂપિયો કરી નાખ્યો! પન આ ભાવ તો કોઈને બી પોસાય નહિ. એટલે કંપનીઓએ બ્રિટિશ સરકાર પાસે ધા નાખી. સરકારે કહ્યું કે ચિંતા કરુ નકો. તમુને જે ખોટ જસે તે સરકાર ભરપાઈ કરશે! (આજની સરકારો છુટ્ટે હાથે ‘પોતાના’ વેપારીઓને લહાણી કરતાં અંગ્રેજ સરકાર પાસેથી જ શીખી હશે ને!) 

જમશેદજીએ સેક્રેટરી ઓફ સ્ટેટને રાવફરિયાદ કીધી. પણ કોઈ કારી ફાવી નહિ. બીજી બાજુ અંગ્રેજ કંપનીઓએ વેપારીઓને ધમકી આપી : જો એક વાર બી તાતાની કંપનીને માલ આપીયો, તો પછી કોઈ બી બ્રિટિશ કંપની તમારા માલને ચીપિયા વરે હાથ બી નહિ લગારે. એટલે મતલબી વેપારીઓએ તાતાની કંપનીને મૂકી પડતી. છેવટે હારી-થાકીને જમશેદજીએ પોતાની કંપનીનો વીંટો વાલી દીધો. અને બીજા જ દિવસથી બ્રિટિશ કંપનીઓએ એક ટનનો ભાવ ફરીથી સોળ રૂપિયા કરી નાખ્યો! 

જમશેદજી તાતાએ સ્વામી વિવેકાનંદને લખેલો પત્ર 

સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદની વાત કરતાં આપરે જરા જુદી દિશામાં નીકલી ગિયા. હવે અસલ વાત આગળ ચલાવીએ! એસ.એસ. એમ્પ્રેસમાં બેસીને જાપાનથી કેનેડાની મુસાફરી સુરુ કીધી ત્યારે સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદ એકુમેકુને ઓલખતા હુતા નહિ. પન શીપની લાંબી મુસાફરીમાં એકુમેકુને મલિયા, વાતો કીધી. તે વારે સર જમશેદજીએ સ્વામીજીને કીધું કે આપ તો આપરા દેસનું નામ રોશન કરવા જાવ છો. પન મારાં બી બે નાલ્લાં સપનાં છે આપરા દેસ માટે. એક તો સાયન્સના ટીચિંગ અને રીસર્ચ માટે એક મોટ્ટી ઇન્સ્ટિટ્યૂટ શુરુ કરવી ચ આપરા દેસમાં. અને બીજું સપનું તે પાણીની મદદથી પાવર પેદા કરવા એકુ હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ નાખવો ચ, મુંબઈની પાસે. સ્વામીજીએ એવનની વાત સાંભલીને કીધું કે બહુ ઉમદા વિચાર છે આપના. આવું કોઈ કામ કરો અને મદદની જરૂર પડે ત્યારે મને યાદ કરજો. 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનું પહેલું મકાન

સ્વામી વિવેકાનંદ સાથેની સફર પછી પાંચ વરસે જમશેદજી શેઠે કાગજ લખિયો : ‘આજથી પાંચ વરસ પર જાપાનથી વાનકુવર જતી શીપ પર આપરે મલિયા હુતા તે આપને કદાચ યાદ હોસે. એ વખતે મેં મારાં બે સપનાં બાબત વાત કરી હુતી. મને કહેતાં ખુસી ઉપજે છ કે તેમાંથી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું કામ હવે સુરુ થૈ ગિયું છે. બેંગલોરમાં આય માટે મૈસૂરના મહારાજાએ ૩૭૧ એકર જમીન અને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. મેં બી મારી થોરી જમીન અને મકાનો આપ્યાં છે.’ નવાં મકાનો બંધાવા લાગિયાં, બીજી બધી સગવરો ઊભી થવા લાગી. આય બધી તૈયારી જોઈને જમશેદજી જરૂર હરખાયા હોસે. પન એવન પરદેશની મુસાફરી પર ગિયા હુતા ત્યારે જર્મનીમાં ૧૯૦૪ના મે મહિનાની ૧૯મી તારીખે એવન આ ફાની દુનિયા છોરીને ચાલી ગિયા. 

જમશેદજી નસરવાનજી તાતાના બીજા સપનાની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 ઓક્ટોબર 2024

Loading

...102030...508509510511...520530540...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved