Opinion Magazine
Number of visits: 9557282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુદ્ધત્વ એટલે જ્યાં છો ત્યાં જ મુક્તિનો અનુભવ

સોનલ પરીખ|Opinion - Opinion|27 September 2024

બુદ્ધત્વ મેળવવાનું નથી. એ આપણી અંદર છે જ. એને જોવાનું, ખોલવાનું, પ્રતીત કરવાનું છે – અત્યારની ક્ષણમાં, અત્યારના સ્વમાં. આપણે સૌએ પોતપોતાના વાસ્તવમાં જીવવાનું છે. સમસ્યાઓ ને તકલીફો એનો એક ભાગ છે. પણ જેમ માણસ મજબૂત હોય તો વજન સાથે પણ પર્વત ચડી જાય છે તેમ બુદ્ધત્વનો યાત્રી પોતાના વાસ્તવમાં ડૂબતો નથી, એને તરી જાય છે. સારાં-માઠાં પરિવર્તનો વચ્ચે સ્થિર, નિર્ભય, અસ્પર્શ્ય રહે છે. બધાની વચ્ચે રહીને પણ એ અ-સંગ, મુક્ત હોય છે અને પોતાનામાંથી જ જન્મેલા અચલ અમિશ્ર આનંદને જીવે છે.

ધ્રુવ ભટ્ટની નવલકથા ‘અતરાપી’નો નાયક એક શ્વાન છે, જે મુક્ત આત્માનું પ્રતીક છે. ગલૂડિયું હતો ત્યારથી મૃત્યુ પામ્યો ત્યાં સુધી એ ઘણું ફરે છે, ઘણાને મળે છે. જ્યાં હોય ત્યાંનો થઈને રહે છે, જેની સાથે હોય તેને જવાબદારીપૂર્વક ચાહે છે. પણ કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ, કોઈ સલામતી-સગવડ, કોઈ મહત્ત્વાકાંક્ષા, કોઈ સંબંધ, કોઈ અપેક્ષામાં તે બંધાતો નથી. મૃત્યુ પામ્યા પછી તેનો ભાઈ તેને સ્વર્ગમાં અને નરકમાં શોધે છે. જવાબ મળે છે, ‘તે ક્યાં ય નથી.’ પૃથ્વી પર હતો ત્યારે પણ તે ક્યાં ય ન હતો, તેથી મૃત્યુ પછી પણ તે ક્યાં ય નથી. મુક્તિ આ છે.

અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રએ ઉત્તરાના ગર્ભનો નાશ કર્યો ત્યારે કૃષ્ણએ કહ્યું, ‘જો હું અખંડ ને આજીવન બ્રહ્મચારી હોઉં તો હે આત્મા, તું આ બાળકના મૃત શરીરમાં પ્રવેશીને એને જીવતો કર.’ અને ઉત્તરાનો બાળક જીવતો થયો. કૃષ્ણને પ્રિયતમા હતી, પત્નીઓ હતી, સંતાનો હતાં; છતાં તેઓ ‘અખંડ અને આજીવન બ્રહ્મચારી’ હતા? કેવી રીતે? ઓશોએ એનો સુંદર જવાબ આપ્યો છે કે કૃષ્ણએ જીવનમાં જે આવ્યું તે સ્વીકાર્યું અને પછી એમાંથી નીકળી ગયા. પ્રેમ, રાસલીલા, રાજનીતિ કે યુદ્ધ – એમનું મન, એમની ઇન્દ્રિયો અ-લિપ્ત જ રહ્યાં. ગીતામાં કહ્યું છે, ત્યક્તવા કર્મફલાસંગ નિત્યતૃપ્તો નિરાશ્રય, કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિંચિત્કરોતિ સ: (4, 20)

23 મેના દિવસે બુદ્ધપૂર્ણિમા છે. બૌદ્ધ દર્શન અનુસાર બુદ્ધ કોઈ માણસનું નામ નથી. બુદ્ધત્વ એક અવસ્થા છે. અંદરથી જન્મ-મરણમાં હોવા કે ન હોવાનો ફરક પડે નહીં, મુક્તિની ઈચ્છા પણ ખરી પડે અને બહારથી જિંદગી જે આપે તે જવાબદારી અને સુખદુ:ખનો સમત્વપૂર્ણ સ્વીકાર થાય આવી અવસ્થામાં જીવે તે ‘બુદ્ધ’ છે. માણસ પોતાની અવસ્થાને સમજે અને તેને પરિવર્તિત કરવાની ક્ષમતા મેળવે તો તે આ જ જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે.

નિચિરેન દાઈશોનિન

આ સંદર્ભમાં નિચિરેન બુદ્ધિઝમની ‘ટેન વર્લ્ડ થિયરી’ સમજવા જેવી છે. જાપાનમાં બારમી સદીના અંતે નિચિરેન દાઈશોનિન નામના બૌદ્ધ વિદ્વાન સાધુ થઈ ગયા. તેઓ બોધિસત્વનો  અવતાર ગણાતા. તે વખતે પ્રવર્તતું તમામ બૌદ્ધ જ્ઞાન મેળવી તેમણે નિચિરેન બુદ્ધિઝમની સ્થાપના કરી, જે મહાયન બૌદ્ધ ધર્મની એક શાખા છે. બુદ્ધત્વનું બીજ વાવવું, આ જ જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવું અને અન્યોને પણ બુદ્ધત્વ પ્રાપ્ત કરવા પ્રેરિત કરવા એ તેનું ધ્યેય છે. બૌદ્ધ ધર્મના સ્થાપક, જેમને આપણે ભગવાન બુદ્ધ કહીએ છીએ તેને નિચિરેન બુદ્ધિઝમ શાક્યમુનિ કહે છે, જેમણે લોકોનાં દુ:ખોને પોતાનાં દુ:ખ તરીકે જોયાં અને એનો ઉપાય શોધવા મહાભિનિષ્ક્રમણથી લઈ બુદ્ધત્વપ્રાપ્તિ સુધીની યાત્રા કરી.

નિચિરેને કહ્યું છે કે આપણી અંદર દસ વિશ્વો કહેતા દસ અવસ્થાઓ છે છે. એના અંગ્રેજી નામ જ આપું છું – હેલ, હંગરી સ્પિરિટ્સ, એનિમલ્સ, અસુર, હ્યુમન બિઈંગ્સ, હેવનલી બિઈંગ્સ, વૉઇસ હિયરર્સ, કૉઝ અવેકન્ડ વન્સ, બોધિસત્વ અને બુદ્ધ. આ વિશ્વોને સમજીએ તો આપણને આપણા અત્યારના ‘સ્ટેટ ઓફ લાઈફ’ની ખબર પડે અને એમાં પરિવર્તન કરવાની દૃષ્ટિ પણ ખૂલે.

હેલ સૌથી નિમ્ન વિશ્વ છે. એમાં વસતો માણસ દુ:ખોમાં કેદ, ચારે બાજુથી બદ્ધ, એક પ્રકારની આગથી ઘેરાયેલો અને તેથી ઉગ્ર, હતાશ, અસંતોષી હોય છે. હંગરી સ્પિરિટ્સ એટલે પોતાનાં સંતાનોને પણ ખાઈ જાય એવી ભૂખ-અતૃપ્તિ અને એનું શમન ન થતાં અનુભવાતી પીડાથી ઘેરાયેલા, લોભી આત્માઓ. ઈચ્છા અને ભૂખ કુદરતી છે. પણ એના ગુલામ થવું એટલે હંગરી સ્પિરિટ્સના વિશ્વમાં રહેવું. એનિમલ્સ એટલે વિચારહીન અને આવેગોને વશ લોકો. તાત્કાલિક લાભ જોવો, બળવાનથી ડરવું, નિર્બળનો શિકાર કરવો. ટકવા માટે અન્યનો નાશ કરવો ને મારવું કે મરવું. અસુરનો સ્વભાવ છે ક્રોધ, અહંકાર, સ્વકેન્દ્રીપણું, સરખામણી અને સૌથી ચડિયાતા થવાનો નશો. તેઓ ઊતરતા સાથે અભિમાન, ચડિયાતાની ઈર્ષા અને શક્તિશાળી સામે કાયરતા બતાવે છે. હ્યુમન બિઈંગ્સ એટલે કે મનુષ્ય. પરિસ્થિતિ બરાબર હોય તો ખુશ નહીં તો દુ:ખી એવો તેનો સ્વભાવ હોય છે. હેવનલી બિઈંગ્સમાં સુખની ઈચ્છા, કલાપ્રેમ હોય છે. તેનું પોષણ થતાં તેને આનંદ થાય છે. આ આનંદ સારો છે, પણ દુન્યવી છે. સમય જતાં ઝાંખો પડે છે. જે શાશ્વત આનંદની પ્રાપ્તિ આપણું ધ્યેય છે તે આનંદ આ નથી.

આ છ ‘માર્ગ’ ગણાય છે. માણસના કાબૂ બહાર હોવાથી તે પૂર્ણ સ્વતંત્ર કે સ્વ-શાસિત નથી. તેનાથી ઉપર ઊઠવાનું છે, આગળ જવાનું છે; જેથી આનંદ બહારના અંકુશોથી મુક્ત થાય.

વૉઇસ હિયરર્સ વિશ્વમાં વસતો માણસ જાગૃતિની દિશામાં પ્રયાણ કરે છે. કૉઝ અવેકન્ડ વન્સનું વિશ્વ પોતાનાં નિરીક્ષણ અને પ્રયત્નોથી બધું ભંગુર છે એ પ્રકારની જાગૃતિ મેળવે છે. આ બંને આટલી પ્રાપ્તિથી સંતોષ પામે છે. પૂર્ણ જાગૃતિ -બુદ્ધત્વ શોધવામાં પડતા નથી. ઉપરાંત એમને પોતાની જ જ્ઞાનપ્રાપ્તિમાં રસ હોય. બીજાને મદદ ન કરે. આ સ્વકેન્દ્રીપણું આ બે વિશ્વોની સીમા છે. બોધિસત્વ બુદ્ધત્વપ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહે. બીજા પણ જાગૃત થાય એવો પ્રયત્ન કરે. તેનામાં કરુણા, પ્રેમ અને ભલાઈ હોય. બુદ્ધોનું વિશ્વ ઉચ્ચતમ શિખર છે. બુદ્ધ સિંહ જેવા હોય છે – ભવ્ય, નિર્ભય, સ્વસ્થ, આત્મવિશ્વાસથી ભરપૂર. સાથે સ્થિર, પ્રસન્ન, કરુણાપૂર્ણ.

હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’માં સિદ્ધાર્થ બુદ્ધ સાથે વાત કરે છે, પછી અનુભવે છે કે કાંચળીની જેમ જૂનું જીવન ખરી ગયું છે. શીખવા-સાંભળવાની ઈચ્છા પણ ખરી ગઈ છે. આ સ્વને ક્યાં લઈ જવાનો છે? તેને થાય છે, ‘આટલું બધુ શીખ્યો, સૌએ આટલું જ્ઞાન આપ્યું, છતાં એ શું છે જે નથી તેઓ શીખવી શક્યા, નથી હું શીખી શક્યો. હું જીવું છું, જાણું છું કે હું સૌથી જુદો છું પણ હું મારા વિષે જગતમાં સૌથી ઓછું જાણું છું. હું મારાથી અજાણ્યો છું … કદાચ તેથી હું મારાથી ડરું છું. બ્રહ્મની, આત્માની શોધના રસ્તામાં હું જ ક્યાંક રહી ગયો છું – પણ હવે હું મારાથી નહીં ભાગું. હું મારો જ શિષ્ય બનીશ. મારી પાસેથી જ મારું-સિદ્ધાર્થનું રહસ્ય પામીશ.’ અને  ચહેરા પર સ્મિત સાથે, લાંબા સ્વપ્નમાંથી જાગેલા અને અને ક્યાં જવાનું છે – શું કરવાનું છે એ જાણતા માણસની જેમ તે પગ ઉપાડે છે.

તો, બુદ્ધત્વ મેળવવાનું નથી. એ આપણી અંદર છે જ. એને જોવાનું, ખોલવાનું, પ્રતીત કરવાનું છે – અત્યારની ક્ષણમાં, અત્યારના સ્વમાં. આપણે સૌએ પોતપોતાના વાસ્તવમાં જીવવાનું છે. સમસ્યાઓ ને તકલીફો એનો એક ભાગ છે. પણ જેમ માણસ મજબૂત હોય તો વજન સાથે પણ પર્વત ચડી જાય છે તેમ પરમ આનંદમાં જીવતો માણસ પોતાના વાસ્તવમાં ડૂબતો કે ફસાતો નથી, એને તરી જાય છે. વળી પર્વતારોહી જેમ વધારે કપરું ચઢાણ ચડે તેમ વધારે સંતોષ અને આત્મવિશ્વાસ મેળવે છે તેમ બુદ્ધત્વનો યાત્રી જેમ વધુ કસોટી વચ્ચે મુકાય છે તેમ વધુ જીવનઊર્જા, વધુ આત્મપ્રતીતિ મેળવે છે. તે બ્રહ્માંડના લય સાથે પોતાનો લય મેળવી શકે છે. સારાં-માઠાં પરિવર્તનો વચ્ચે સ્થિર, નિર્ભય, અસ્પર્શ્ય રહી શકે છે. ભૌતિકતાની વચ્ચે ‘બોધિ’ અને જન્મ-મરણ  આવાગમન વચ્ચે ‘નિર્વાણ’ શક્ય છે એ સમજાયા પછી એને બધાની વચ્ચે રહીને પણ અ-સંગ, મુક્ત રહેવાનું આવડી જાય છે. પોતાનામાંથી જ જન્મેલા અચલ અમિશ્ર આનંદને એ જીવે છે.

ટૂંકમાં મુક્તિ જ્યાં છો ત્યાં જ છે, નહીં તો ક્યાં ય નથી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 મે  2024

Loading

માણસ આજે (૨) 

સુમન શાહ|Opinion - Opinion|26 September 2024

Toni Ruuska અને Pasi Heikkurinen યુનિવર્સિટી ઑફ હેલ્સિન્કીમાં પ્રોફેસરો છે. એમણે ‘ડૉમિનેશન, પાવર, સુપ્રિમસી : કન્ફ્રન્ટિન્ગ ઍન્થ્રોપોલિટિક્સ વિથ ઇકોલૉજિકલ રીયાલિઝમ’ શીર્ષકથી એક દીર્ઘ લેખ કર્યો છે અને સાર્વજનિક ઉપયોગ માટે March 2020Sustanibility- માં પ્રકાશિત કર્યો છે.

લેખમાં છે એ એમની વાતો વિશે મને જ્યારે જ્યારે જરૂર જણાશે, કહીશ; અર્થ ઘટાવીશ કે વિવરણ-વર્ણન કરીશ.

હું એમ માનું છું કે અનુ-માનવવાદને સમજવા માટે એની તુલના માનવવાદ સાથે પણ કરવી જોઈએ. 

એ સંદર્ભમાં, આ લેખકોએ બે કોઠા આપ્યા છે, ટેબલ્સ. 

પહેલો કોઠો —

કોઠા તેમ જ તેમાં હોય એ પારિભાષિક સંજ્ઞાઓ પણ્ડિતોને વધારે ફાવે, આપણને તો તત્ત્વના સારની જરૂર વધારે હોય છે, કેમ કે વાત ગળે ઊતરી જવી જોઈએ.

પહેલા કોઠામાં મુકાયેલા ઇકોલૉજિકલ રીયાલિઝમની તેમ જ ઍક્સ્યોલૉજિની વાત હું નથી કરતો, કેમ કે એથી એટલું જ સૂચવાય છે કે આ બન્ને વાદોની વિચારસણી અનુસાર, પર્યાવરણીય વાસ્તવ પર શી અસર થાય છે, અને ઍક્સ્યોલૉજિ એટલે કે મૂલ્યોના ફિલસૂફીપરક અધ્યયન અનુસાર, મનુષ્યોની વિશેષતા, સર્વોપરીતા, વગરેનું શું મૂલ્ય અંકાય છે.

બાકીના વક્તવ્યને ગુજરાતીમાં મૂકું અને સમજવાનો તેમજ સમજાવવાનો પ્રયાસ કરું : 

સત્ એટલે બીઇન્ગ, એટલે કે જે જેમ છે તે, બીઇન્ગ, તેને વિશેની વર્ણના તે સત્-વિદ્યા, ઑન્ટોલૉજિ. 

સત્-વિદ્યા અનુસાર, માનવવાદમાં મનુષ્યો અને પ્રકૃતિ બન્ને વિશે વિચારાય છે, જ્યારે અનુ-માનવવાદમાં મનુષ્યો અને પ્રકૃતિને એકરૂપમાં, સમ્પૃક્ત સ્વરૂપે, અભિન્ન રૂપમાં જોવાય છે. પહેલામાં, મનુષ્ય અને પ્રકૃતિ જુદાં, બીજામાં, જુદાં નહીં. સમજાય એવું છે. 

જ્ઞાનનાં સ્વરૂપ, મૂળ અને કાર્યનો વિચાર જેમાં થાય છે, તે જ્ઞાનમીમાંસા, ઍપિસ્ટિમોલૉજિ.

જ્ઞાનમીમાંસા અનુસાર, માનવવાદમાં સ્વ-પરનું દ્વૈત છે. હું તે સ્વ, અને બીજાં તે પર. બન્ને જુદાં પણ જોડાયેલાં. એક તરફ મનુષ્ય છે, બીજી તરફ બીજા જીવો અને પ્રકૃતિ સમેતની સૃષ્ટિ છે. અહીં સમજવાનું એ છે કે મનુષ્ય સૌથી ચડિયાતો છે અને સૃષ્ટિનો કર્તાધર્તા છે. 

જ્યારે અનુ-માનવવાદમાં, કર્તાઓની જાળ (ઍક્ટર-નેટવર્ક્સ), વર્ણસંકરો (હાઇબ્રિડ્સ) અને સંયોજનો (કૉલાજીસ) હોય છે.

‘ઍક્ટર-નેટવર્ક્સ’ એટલે શું? એ એક સિદ્ધાન્ત છે. તદનુસાર, મનુષ્ય, વસ્તુઓ કે ટૅક્નોલૉજિ એકબીજા સાથે જોડયેલાં છે, સંયુક્ત છે, એમની એક જાળ છે. અને તે દરેક, કર્તા છે, જાળમાં રહીને ઍકટ કરે છે, તેથી ઍક્ટર્સ કહેવાય છે. જાળ છે તેથી દરેકની ક્રિયા અને કાર્યની એકમેક પર અસર પડે છે. પણ સમજવાનું એ છે કે એમાંનું કોઈ કોઈથી ચડિયાતું કે ઊતરતું નથી. અનુ-માનવવાદ હાયરાર્કિ – વ્યવસ્થાને, ઉચ્ચાવચતાને, ધરાર નકારે છે.

‘હાઇબ્રિડ્સ’ એટલે શું? અનુ-માનવાવદીઓનું મન્તવ્ય છે કે મનુષ્યો અને મશીનો વચ્ચેની તેમ જ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેની સીમાઓનો લોપ થઈ રહ્યો છે. હાઇબ્રિડિટી એટલે હું કહી ચૂક્યો છે, વર્ણસંકરતા. અનુ-માનવવાદ વર્ણોની, હસ્તીઓની, એક અકબંધ ઓળખના ખયાલને પડકારે છે, અને તેમની સંકરતા કે ભેળસેળ કે સંમિશ્રણો સૂચવે છે. દર્શાવે છે કે નિરન્તર આપણે બનવાની – બીકમિન્ગની – પ્રક્રિયામાં છીએ.

(અવિનાશ પારેખના “કૉફીમેટ્સ”-ના મારા ‘અન્તિમ’ વ્યાખ્યાનમાં, કદાચ ૨૦૧૧-માં,  મેં ‘ટુ બી’ અને ‘ટુ બીકમ’-ના ધૉરણે, પોતાનું હોવાપણું ભૂલીને માણસની કશુંક બનવા તરફની લ્હાયનું અને પ્રગતિ પાછળની એની દોટનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે.)

‘કૉલાજિસ’ એટલે શું? નવતર ઓળખતત્ત્વો કે વિચારતત્ત્વોનાં સંયોજનો કૉલાજિસ છે. એ સૂચવે છે કે આપણી આજની દુનિયાનું રૂપ વર્ણસંકર છે, નાનારંગી છે. પૂછે છે કે મૂળ રંગ કયો હતો અને હવે કયો છે. મૂળભૂતતા અને અધિકૃતતા શું હતાં, આજે શું છે?

માણસ અને ટૅક્નોલૉજિ એકાકાર છે હવે એનાં જિવાયેલાં અને જિવાતાં દૃષ્ટાન્તો યાદ કરો. આપણે ત્યાં રેડિયો આવ્યો, કદાચ ફિફ્ટીઝમાં. આંગણિયે કે ઝરુખે નાચતી-ગાતી યુવતીઓનાં દૃશ્યો ક્રમે ક્રમે ઘટી ગયાં. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર આવ્યું, લોકો ખભે લઈને ફરવા લાગ્યા. સી.ડી. આવી, સંગીતના પરમ્પરાગત જલસા ઓછા થયા. આપણે ઉષા મંગેશકરના ગાયનને કૅસેટથી સાંભળતા થઈ ગયા. કમ્પ્યુટર આવ્યું, કાગળ-પેન અદૃશ્ય થયાં, સાહીના ખડિયા સૂકાઇ ગયા. પેલા નાના ઘડા જેવા કાળા ને નમ્બર માટે  કચડ કચડ બોલતું ચકરડું ફેરવવું પડે, એ ફોન ગયા. મારા વતનમાં, ગામ આખામાં માત્ર ૩ કે ૪ ફોન હતા! આજે તો કોઈપણ પૃથ્વીબાળને ફોન વિના કલ્પી શકાતો નથી. 

(મારા “વસ્તુસંસાર” નિબન્ધસંગ્રહમાં મેં વસ્તુઓને કારણે થતાં રહેતાં પરિવર્તનોની હળવી હળવી વાતો કરી છે).

સ્પેસ-બસ —

આપણાં હાથ-પગ આંગળાં અને મસ્તિષ્કને આ બધાં ‘રમકડાં’ વિનાનાં વિચારવાં અશક્ય છે. હું ભલે ટૅક્નોલૉજિ જાણતો નથી પણ આવીને એ મારા ખૉળામાં પડે છે. એની સરજતો વડે મારી જીવનશૈલી ઘડાતી ચાલે છે. જરૂર પડ્યે, માણસ પોતાના પગે દોડતો’તો, હવે ટ્રેનથી દોડે છે, ને પ્લેનથી ઊડે છે. એને ચન્દ્ર પર ને મંગળ પર જવું છે, ટૅક્નોલૉજિ લઈ પણ જશે. જો કે, ત્યારે, સર્વથા સજ્જ સ્નીપેસ-બસની સીટમાં એ બેઠો તો હશે, પણ હૃદય પર હાથ મૂકીને અવારનવાર ધબકાર તો તપાસી જ લેશે. 

ટૅક્નોલૉજિએ જીવન બદલ્યું છે, માણસને બદલ્યો છે. અનુ-માનવવાદને એ જ કહેવું છે, પણ સૂચવવું એ છે કે માનવ્યનો ક્ષય થઈ રહ્યો છે, ચેતો. 

બીજો કોઠો અને તે અનુષંગે, હવે પછી.

(ક્મશ:)
(25Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દિલ્હીથી સોડા – વાયા કેપટાઉન

સુરેશ જાની|Opinion - Opinion|26 September 2024

હા! દિલ્હીની લાવણ્યા રાજસ્થાનના સોડા ગામમાં ઘણી વખત જાય છે. સાથે સ્વયંસેવક વિદ્યાર્થીઓને પણ લેતી જાય છે. પણ એની આ યાત્રા દક્ષિણ આફ્રિકાના કેપેટાઉનની મુલાકાતથી શરૂ થઈ હતી. લાવણ્યા અમેરિકાની ખ્યાતનામ યેલ યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટ પણ છે! દિલ્હીની લાવણ્યા ગર્ગ આમ તો અઢાર જ વર્ષની શહેરી કન્યા છે. પણ ગાંધીવાકય – ‘ભારત ગામડાંઓમાં વસે છે.’-માં તે પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે. વળી તે આમ વિચારીને અટકી નથી ગઈ – તેણે રાજ્સ્થાનના સોડા ગામને એની કર્મભૂમિના ઉમરા તરીકે સ્વીકારી લીધું છે.

આટલી નાનકડી ઉંમરમાં પણ લાવણ્યાનાં ઠેકાણાં કેટકેટલાં બદલાયાં? – દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ, ટાટા ઇન્સ્ટિટ્યુટ બેન્ગલોર, દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન, અમેરિકાના કનેક્ટિકટ રાજ્યની યેલ યુનિવર્સિટી, મિશિગન રાજ્યની મિશિગન યુનિવર્સિટી, અસ્મત અને છેલ્લે રાજસ્થાનના જેસલમેર પાસે પાકિસ્તાન સાથેની બોર્ડર નજીકનું, માત્ર ૧૦,૦૦૦ની વસ્તી વાળું નાનકડું ગામ સોડા.

પણ  આ લિસ્ટમાં ‘અસ્મત’ શી બલા છે? ચાલો એ નામના જન્મની કથા માંડીએ !

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં યોજાયેલા આંતર રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યશાળામાં (International volunteering workshop) લાવણ્યાનો તે પહેલો દિવસ હતો. ત્યાં દાખલ થતાં જ આખા અઠવાડિયાના કાર્યક્ર્મની વિગતવાર માહિતી આપતું સાહિત્ય એને આપવામાં આવ્યું. બાજુના સોફા પર બેસીને લાવણ્યા એનાં પાનાં ફેરવવા લાગી.

આમ તો કેપટાઉનના એ ફેશનેબલ વિસ્તારની ઝાકઝમાળ કોઈની પણ આંખને આંજી નાંખે તેવી હતી. પણ લાવણ્યા માટે નવી દિલ્હીની ચકાચૌંધ કરતાં એ કાંઈ વધારે આકર્ષક ન હતી. પણ પહેલા દિવસની પાયાની તાલીમ પતે, તે પછીના દિવસોમાં તેણે જ્યાં જવાનું હતું, તે કેપટાઉનના સ્લમ વિસ્તાર અંગેની વિગતમાં લાવણ્યાને ખાસ રસ પડ્યો. એ સ્લમ સેટલમેન્ટના થોડાક ફોટાઓએ તેને ભારતનાં ગામડાંઓની યાદ અપાવી દીધી. એવી જ દરિદ્રતા અને એવાં જ છેવાડાનાં મનેખ. એમની સાથે તેણે અને તેના સાથીઓએ કેવા કેવા કાર્યક્રમો કરવાના છે, તેની વિગતો પણ એમાં હતી.

અને લાવણ્યાના હોઠ પર બે જ શબ્દ આવીને અટકી ગયા – ‘સિમ્પલી સુપર્બ’. આવું કશુંક જ્ઞાન મળે તેવી અપેક્ષા સાથે તો તે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી અહીં આવી હતી ને? હવે પછીના અઠવાડિયાના કામ અને તાલીમ માટે લાવણ્યાનું મનડું થનગનવા લાગ્યું.

લાવણ્યાએ આખું અઠવાડિયું કાળા, શરારતી બાળકો અને એમની ચિંતાગ્રસ્ત માતાઓ સાથે વીતાવ્યું. એમને અક્ષરજ્ઞાન અને પાયાના સ્વાસ્થ્ય અંગેની તાલીમ આપતાં આપતાં ભારતના પછાત વિસ્તારો અને ગામડાંઓમાં આવી જરૂરિયાત અંગે તેની સભાનતા વધારે ધારદાર બનતી રહી. અઠવાડિયાની તાલીમ પતી અને કેપટાઉનના એરપોર્ટ પર લાવણ્યા વિમાનની રાહ જોતી બેઠી હતી, ત્યારે એક સંકલ્પ એના ચિત્તમાં આકાર લેવા માંડ્યો, ‘આવું કશુંક દેશના  યુવાનો અને યુવતિઓ માટે હું કરીશ – अहं करिष्ये ।’

લાવણ્યાનો મનગમતો વિષય સમાજશાસ્ત્ર રહ્યો છે. છેવાડાની વ્યક્તિ માટે તેને બાળપણથી કૂણી લાગણી રહી છે. એટલે જ તો તેણે બીજી બધી આકર્ષક કારકિર્દીઓની લાલચ છોડીને લેડી શ્રીરામ કોલેજમાં ‘સમાજ શાસ્ત્ર’નો વિષય પસંદ કર્યો હતો ને? પણ એ નીરસ વિષયોમાં છેવાડાના માણસની વેદનાનો છાંટો પણ ક્યાં હતો? પરીક્ષાઓ પાસ કરવાની, ડિગ્રી મેળવવાની અને શહેરની કોઈ માતબર સંસ્થા, વેપારી પેઢી, સરકારી ખાતું કે કહેવાતી નોન પ્રોફિટ સંસ્થાનો એક ભાગ બની જવાનું. એમાં છેવાડાના માણસ માટે ક્યાં કોઈ બળતરા રહેવાની?

એટલે જ તેની ઝળહળતી શૈક્ષણિક તવારીખ નજરમાં રાખીને લેડી શ્રીરામ કોલેજ તરફથી કેપટાઉનની એ આંતરરાષ્ટ્રીય વર્કશોપ માટે તેનું નામ સૂચવવામાં આવ્યું; ત્યારથી લાવણ્યા આવો કોઈક નવતર અનુભવ મેળવવા થનગની રહી હતી. એની એ આશા ઠગારી ન નિવડી. એ વર્કશોપે એના માનસમાં સોડ તાણીને સૂતેલા કોઈક અગમ્ય બીજને ઢંઢોળીને જગાડી દીધું.

પાછી આવીને લાવણ્યાએ કોલેજના પ્રાધ્યાપકો અને પ્રિન્સિપાલને આવી વર્કશોપનો પ્રયોગ કરવા સૂચવ્યું. પણ ચીલાચાલુ રસમ ન બદલવાની તેમની અસૂયા જોઈ લાવણ્યાએ કમને અભ્યાસમાં મન પરોવ્યું. સ્નાતકની ડિગ્રી તો જોત જોતામાં મળી ગઈ. એના આધારે બેન્ગલરુની ખ્યાતનામ ટાટા ઇન્સ્ટિટ્યૂટના સમાજ વિદ્યા ભવનમાં તેને નોકરી પણ મળી ગઈ. પણ પેલું ફૂટુ ફૂટું થઈ રહેલા બીજ માટે ત્યાં ક્યાં યોગ્ય ધરતી, ખાતર અને પાણી હતાં? એક નિર્જીવ યંત્રનો ભાગ બની જવાની કોરી વ્યથા એના અંતરને કોરતી જ રહી … કોરતી જ રહી.

પણ બેન્ગલરુની હવામાં ભારતના કોઈ પણ શહેર કરતાં વિદેશી લહેરખીઓ વધારે વાતી હતી ને? એવી જ કોઈ લહેરમાં તેને અમેરિકાની પ્રખ્યાત ‘યેલ’ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ કરવાની તક મળી ગઈ. ત્યાં તેની કારકિર્દીમાં ‘માસ્ટર’ બન્યાનું વધારાનું છોગું તો ઉમેરાયું જ. પણ સાથે સાથે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘સ્વયંસેવક’ જુસ્સાને અપાતું મહત્ત્વ પેલા બીજને પોષતું જ રહ્યું.

‘આપણા દેશમાં દક્ષિણ આફ્રિકા, અમેરિકા કે વિશ્વના ઘણા બધા જાગૃત દેશો જેવો સ્વયંસેવક જુસ્સો કેમ નથી?’ – બસ આ જ મનોવ્યથા લાવણ્યાના ચિત્તને કોરતી રહી.

આ જ ઉલઝન – અને લાવણ્યાએ બીજી ઝળહળતી કારકિર્દીઓની લાલચને કોરાણે મેલીને લેડી શ્રીરામ કોલેજમાં જ અધ્યાપકની નોકરી સ્વીકારી લીધી. દક્ષિણ આફ્રિકા કે અમેરિકા જેવો કોલેજના વિદ્યાર્થીઓ માટેનો વોલન્ટિયર પ્રોગ્રામ શી રીતે કરવો તેની ચર્ચા તેની સખી કાવ્યા સક્સેના સાથે તે કરતી રહી. ઇન્ટરનેટ ઉપર તપાસ કરતાં ભારતમાં આટલી મોટી સંખ્યામાં યુવાધન હોવા છતાં આવી કોઈ પદ્ધતિ ન હોવા અંગે તેનો અફસોસ વધતો રહ્યો. યુવાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં આવું કામ શરૂ કરવામાં આવે તો તેમાં કામમાં જોડાવાનો તેમનો ઉત્સાહ તો ઊડીને આંખે વળગે તેવો હતો.

‘આવો નવો ચીલો આપણે જાતે જ પાડવો પડશે.’ એવા નિર્ધાર પર બન્ને સખીઓ આવી. અને આમ ૨૦૧૪ની સાલમાં ‘અસ્મત’નો જન્મ થયો. ન્યુ ગિનીની ભાષાનો આ શબ્દ કેપટાઉનમાં સાંભળ્યો ત્યારથી લાવણ્યાને ગમી ગયો હતો. તેનો અર્થ થાય છે – ‘આપણે લોકો’.

જ્યારે આ સંસ્થા માટે લાવણ્યાએ રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તેના ઉદ્દેશમાં પછાત વિસ્તારોના લોકો માટે કામ કરવા ઉપરાંત, યુવાનોને સેવા કરવાની તક પૂરી પાડવાનું લક્ષ્ય પણ સામેલ કર્યું હતું.

લાવણ્યા અને કાવ્યાએ ‘અસ્મત’ના પહેલા પ્રોજેક્ટ તરીકે બહુ જ ચોકસાઈથી પાકિસ્તાનની સીમા અને જેસલમેરની નજીક આવેલા, રાજસ્થાનના સોડા ગામને પસંદ કર્યુ. કારણ એ કે, છેવાડાનું ગામ હોવા છતાં એની સરપંચ લેડી શ્રીરામ કોલેજમાંથી જ એમ.બી.એ. થયેલી, ૩૯ વર્ષની છબી રાજવત છે. બહુ ઓછી વસ્તી હોવા છતાં આ ગામની પોતાની વેબ સાઈટ છબીએ શરૂ કરી છે! ભારતનાં બીજાં ગામોને નડતા ઘણા પ્રશ્નો છબીએ ઉકેલી નાંખેલા જ છે, અને છતાં ‘ઘણું કરવાનું બાકી છે.’ એવી જાગરૂકતાના આધારે તેણે લાવણ્યાને આ પ્રોજેક્ટ શરૂ કરવા પ્રેરણા અને સહકાર આપ્યાં. ૨૦૧૩ના ડિસેમ્બર મહિનામાં છબીના માંત્રણથી લાવણ્યા અને કાવ્યાએ ‘સોડા’ ગામની મુલાકાત લીધી અને બધી વ્યવસ્થાને આખરી ઓપ આપી, ૨૦૧૪ના એપ્રિલથી આ પ્રોજેક્ટના શ્રી ગણેશ મંડાયા.

લાવણ્યા અને કાવ્યાની દોરવણી નીચે, ‘અસ્મત’ના સ્વયંસેવકો સોડાની પ્રાથમિક શાળાનાં બાળકોને અભ્યાસક્રમની બહાર, એમની સર્જન અને કલ્પના શક્તિને ઉત્તેજન આપે તેવું શિક્ષણ આપે છે. સ્ત્રીઓને માસિક સ્રાવ, ગર્ભાવસ્થા, અને બાળકને જન્મ આપવા પછીની તકેદારી અને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપે છે. સરકારી તંત્ર દ્વારા મળી શકતી મદદ અંગે પણ તેઓ જાગૃતિ આણે છે.

આ બે વર્ષમાં દિલ્હીના ૧૨૦ વિદ્યાર્થી સ્વયંસેવકોએ સોડા ખાતેના અભિયાનમાં ભાગ લીધો છે. લાવણ્યાએ દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના પોતાના અનુભવ પરથી, આ અંગે વિદ્યાર્થીઓને સભાન અને તૈયાર કરવાની પદ્ધતિ વિકસાવી છે. ખચિત, શહેરમાં ઉછરેલા વિદ્યાર્થીઓ માટે ગામડાંમાં રહેવું અને કામ કરવું એટલું સહેલું નથી જ. ગ્રામવાસીઓની ટીકા ‘આ શહેરી લોકોને આપણી ઉલઝનોની શી ખબર પડે?’ પણ સૌએ વેઠવી / અતિક્રમવી પડે છે. સાથે સાથે જમાના જૂની, ગલત માન્યતાઓમાંથી ગ્રામવાસીઓને મુક્તિ અપાવતો આ એક દાખલો ‘અસ્મત’ના  પ્રયત્નોને મળેલી સફળતાની સાક્ષી પૂરે છે.

અલીના ખાન – “ મારા માસિક કાળ વખતે ત્રણ દિવસ કશું કામ ન કરીને હું કંટાળી જતી હતી. પણ હવે અલ્લાને સલામ કરીને હું રસોડામાં કામ કરવાની મારામાં હિમ્મત આવી છે. અલ્લાએ બનાવેલ કોઈ ચીજ નાપાક નથી. માસિક આવવું એ કુદરતી બાબત છે, એની મને ખાતરી થઈ ગઈ છે.” અસ્મત’ના પ્રયત્નોથી સોડા ગામની મહિલાઓ ગંદા અને ચેપ લગાડે તેવા ગાભાઓની જગ્યાએ ફેંકી દેવાય તેવા સેનિટરી નેપકિન વાપરતી થઈ ગઈ છે.

આ અંગેનો ઘણો ખર્ચ સ્પોન્સર કરતા વ્યાવસાયિકો અને ખાનગી દાનવીરો આપે છે. પણ ઘણો બધો ખર્ચ સ્વયંસેવકો જાતે પણ ઊપાડી લે છે. આમ તો દરરોજ ૩૦૦ રૂપિયાનો ખર્ચ આવતો હોય છે. પણ ભાગ લેતા સ્વયંસેવકો ૧૫૦/- રૂપિયા જાતે ખર્ચે છે. તાજેતરમાં સોડા ગામમાં સ્વાસ્થ્ય અંગેનો કેમ્પ યોજવા માટે જરૂરી એક લાખ રૂપિયાના ભંડોળના લક્ષ્યાંક સામે લાવણ્યાએ ૬૦,૦૦૦ રૂપિયા ભેગા કરી નાંખ્યા છે અને નિઃશુલ્ક સેવા આપવા માટે ઘણા બધા ડોક્ટરોને પણ તૈયાર કર્યા છે.

અલબત્ત લાવણ્યાનો ભાર સ્વયંસેવકોને આ અંગે તૈયાર કરવા પર વિશેષ છે. લાવણ્યાના અધ્યક્ષ સ્થાન હેઠળ ‘અસ્મત’ના બોર્ડમાં ૧૬ કાયમી સભ્યો છે. અલબત્ત બંગલરુના કપડાં બનાવતાં કારખાનાઓમાં કામ કરતી મહિલાઓ અંગેના રિસર્ચ પ્રોજેક્ટમાં પણ લાવણ્યાનું યોગદાન ચાલુ જ છે. લાવણ્યાએ બહુ જ દીર્ઘદૃષ્ટિ વાપરીને છબી જેવી જાગૃત અને ઉચ્ચ કેળવણી પામેલી સરપંચનો સહારો લીધો હતો. આ મોડલ પરથી અનેક ગામડાંઓ અને ઝૂંપડપટ્ટીઓમાં આવા પ્રોજેક્ટો શરૂ કરવા લાવણ્યા ઉમેદ રાખે છે. પણ તેનું મહત્ત્વનું લક્ષ્ય છે –

વિશ્વના જાગૃત દેશોની જેમ ભારતમાં ‘વોલન્ટિયરિંગ’ની પ્રવૃત્તિને એક પ્રમાણિત, શિસ્તબદ્ધ અને સુગઠિત પદ્ધતિ તરીકે વિકસાવવી.

લાવણ્યાને સોડા ગામની મહિલાઓ દ્વારા મળેલ સ્વીકૃતિની આ છબી સાથે વીરમીએ.

સાભાર – માલવિકા વ્યવહારે, The Better India
સંદર્ભ –
મૂળ લેખ
દક્ષિણ આફ્રિકાના વોલન્ટિયર પ્રોગ્રામ વિશે –
e.mail : surpad2017@gmail.com

Loading

...102030...508509510511...520530540...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved