Opinion Magazine
Number of visits: 9457022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે

સોનલ પરીખ|Opinion - Opinion|9 July 2024

દરેક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પ્રિય હોય છે. કદાચ એટલા માટે કે કવિતા માણસની અંદર જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, ખૂલીને કહેવાની અને બધું ખંખેરીને મુક્ત થઈ જવાની તમામ શક્યતાઓને ઊઘડવા દે છે

‘દિન અભી પાની મેં હો, રાત કિનારે કે કરીબ, ન અંધેરા ન ઉજાલા હો, ન રાત ન દિન, જિસ્મ જબ ખત્મ હો ઔર રૂહ કો જબ સાંસ આયે, મુઝ સે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુઝ કો … મૌત તૂ એક કવિતા હૈ’ ગુલઝરની આ પંક્તિઓ મૃત્યુનું વર્ણન એવી ખૂબસૂરતીથી, એવી નજાકતથી કરે છે કે કવિતા અને મૃત્યુ બંનેના પ્રેમમાં પડી જવાય. એમને જ્ઞાનપીઠ ઍવોર્ડ મળ્યાની જાહેરાત થઈ છે. ગુલઝાર એવાં કવિ છે, એવું વ્યક્તિત્વ છે કે ઍવોર્ડ એમને શોભાવે એ કરતાં તેઓ ઍવોર્ડને વધુ શોભાવે. આ સમાચારથી થોડી ક્ષણોમાં એમનો આખો બાયોડેટા નજર સામેથી પસાર થઈ ગયો. નામ – સંપૂર્ણસિંહ કાલરા, ઉપનામ – ગુલઝાર, વતન દીના, જિલ્લો જેલમ, હાલ પાકિસ્તાનમાં, ‘લખવામાં શું મળે?’ એવા પિતાના યક્ષપ્રશ્નનો જવાબ ન મળવાથી મોટરમિકેનિક તરીકે કામ કરતો આ દીકરો પ્રોગ્રેસિવ રાઇટર થવાના છાનાં સ્વપ્ન જોતો અને ટાગોરને આખા ગટગટાવી ગયેલો. રાખી તરફ ખેંચાવાનું એક મહત્ત્વનું કારણ એ પણ ખરું કે તે ટાગોરના દેશની હતી!

‘ટાગોર’ કાવ્યમાં ગુલઝાર લખે છે, ‘એક ગ્રામીણ માથા પર ગોળનું ભીલું લઈ ચાલ્યો જાય છે. સૂરજ તપે છે, ગોળ પીગળે છે, મીઠાં ટીપાં પડે છે અને ગ્રામીણ તે ચાટતો જાય છે. મીઠી સુગંધથી ખેંચાઇ આવેલી એક ભિનભિન કરતી છત્રી પણ સાથે ચાલે છે : મૈં દેહાતી, મેરે સર પે યે ટૈગોર કી ભેલી કિસને રાખ દી?’ ખેતરમાં પાકેલા ગોળનો અન્ય એક સુંદર સંદર્ભ આવો પણ છે, ‘વહેલી સવારે એક સ્વપ્નના ટકોરાથી બારણું ખોલ્યું. સરહદપારથી થોડા લોકો આવ્યા હતા, આંખો બોલતી હતી, ચહેરા સાંભળતા હતા … મેં તંદુરમાં મકાઈના જાડા રોટલા શેક્યા, મારા મહેમાનો પોટલીમાં ગયા વરસનો ગોળ લાવ્યા હતા’ કાવ્ય આગળ વેદનાભર્યો વળાંક લે છે, ‘સરહદ પે કલ રાત સુના હૈ ચલી હૈ ગોલી, સરહદ પે કલ રાત સુના હૈ કુછ ખ્વાબો કા ખૂન હુઆ હૈ’ વતનની માટી પરના પ્રેમે ગુલઝાર પાસે ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુઝપે દિલ કુરબાન’, ‘કૌન તુઝે પાની પૂછેગા ફસલેં સિંચેગા, કૌન તેરી માટી મેં ઠંડી છાંવ ભીંજેગા, વતના વે, ઓ મેરેયા વતના વે’ અને ‘હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલે, યે ફાંસલે તેરી ગાલિયોં કે હમસે તય ન હુએ, ન જાને કૌન સી મિટ્ટી વતન કી મિટ્ટી હૈ, નઝર મેં ધૂલ જિગર મેં લિયે ગુબાર ચલે’ જેવી પંક્તિઓ લખાવી છે. ભારત-પાકિસ્તાનને ‘અ પૅર ઑફ ટ્વિન્સ બોર્ન અ ડે અપાર્ટ’ બીજું કોણ કહી શકે?

1963માં બિમલ રૉયની ફિલ્મ ‘બંદિની’ના ‘મોરા ગોરા રંગ લઈ લે’થી શરૂઆત કરનાર ગુલઝારે કારકિર્દીની અડધી સદીથી વધુ લાંબી મજલમાં કવિ, લેખક, પટકથાકાર, સંવાદલેખક અને દિગ્દર્શક તરીકે અસંખ્ય ફિલ્મો સાથે સંકળાઈને ‘કિરદાર’, ‘મિર્ઝા ગાલિબ’ જેવી ટેલિવિઝન સિરિયલો આપી છે અને ગૈરફિલ્મી સર્જક તરીકે પણ ગજું બતાવ્યું છે. તમામ સર્જનોને ગુલઝારે નિજી સ્પર્શ આપ્યો છે. તેમણે 50 જેટલી ફિલ્મોનાં ગીતો લખ્યાં છે, જેમાં ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહકતી ખુશબૂ’ જેવી નખશિખ કવિતાથી માંડી ‘જય હો’, ‘કજરારે’ અને ‘બીડી જલાઈ દે’ જેવાં ઍવોર્ડવિનિંગ ટ્રેન્ડી આઇટમ-સોંગ્સ છે. ગીતકાર તરીકે 11 અને સંવાદો માટે ચાર ફિલ્મફેર ઍવોર્ડ ઉપરાંત ગુલઝારે અનેક નેશનલ ઍવોર્ડ, એક અકાદમી અને એક ગ્રામી ઍવોર્ડ સાથે પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ને હવે જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ પરિચય જરૂરી હતો એટલે દોડતે ઘોડે આપી દીધો, આપણું રસકેન્દ્ર તો છે ગુલઝારનું હૃદય એટલે કે તેમનાં કાવ્યો.

ટાગોર બહુવિધ પ્રતિભા ધરાવતા, છતાં પોતાને કવિ તરીકે ઓળખાવવાનું પસંદ કરતા. ગુલઝાર પણ બહુવિધ પ્રતિભા ધરાવે છે, છતાં પોતાને કવિ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. એમણે ટાગોરનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ કરી એક મ્યુઝિક-આલ્બમ બનાવ્યું છે, ‘ગુલઝાર-ઇન કન્વરઝેશન વિથ ટાગોર’. ‘હુતુતુ’(1999) નિષ્ફળ ગયા પછી તેઓ ફિલ્મસર્જનમાંથી નિવૃત્તિ લઈ સર્જનાત્મક લેખન પર કેન્દ્રિત થયા છે. દરેક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પ્રિય હોય છે. કદાચ એટલા માટે કે કવિતા માણસની અંદર જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, ખૂલીને કહેવાની અને બધું ખંખેરીને મુક્ત થઈ જવાની તમામ શક્યતાઓને ઊઘડવા દે છે.

‘આદતન તુમને કર દિયે વાદે, આદતન હમને એતબાર કિયા; તેરી રાહોં મેં હર એક બાર રૂક કે, હમને ખુદ અપના ઇન્તઝાર કિયા; અબ ન માંગેંગે જિંદગી યા રબ, યે ગુનાહ હમને એક બાર કિયા’ શું છુપાયું છે ગુલઝરના શબ્દોમાં? પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગી અને સંબંધોનાં રૂપ, ફૂલની પાંખડી પર નજાકતથી ચમકતી ઝાકળ જેવો રોમાન્સ, આકુળ હૃદયમાંથી વહેતું લોહી, સમજદારી. આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર તેને સ્પર્શે એટલે બધું ખાસ થઈ જાય છે. તેમનાં 14થી વધારે પુસ્તકોમાંના છ કાવ્યસંગ્રહ અને 250થી વધારે ફિલ્મી ગીતો આની પ્રતીતિ આપે છે.

‘હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છૂટા કરતે, વક્ત કી શાખ સે લમહે નહીં ટૂટા કરતે; જિસને પૈરોં કે નિશાં ભી નહીં છોડે અપને, ઉસ મુસાફિર કા પતા ભી નહીં પૂછા કરતે’ – તેમની પંક્તિઓમાં સંબંધોના જુદા જુદા ચહેરા છે – ‘ખામોશી કા હાંસિલ ભી એક લંબી સી ખામોશી હૈ, ઉનકી બાત સુની ભી મૈંને, અપની બાત સુનાઈ ભી’, ‘શામિયાનેં શામોં કે રોજ હી સજાયે થે, કિતને ઉમ્મીદોં કે મહેમાં બુલાયે થે, આ કે દરવાજે સે લૌટ ગયે વો, યું ભી કોઈ આયેગા સોચા તો નહીં થા’, ‘રત્તી રત્તી સચ્ચી મૈંને જાન ગંવાઈ હૈ, અખિયોં કી નીંદ મૈંને ફૂંકો સે ઉડાઈ હૈ, ગિન ગિન તારે મૈંને ઉંગલી જલાઈ હૈ’

‘ચરખા ચલાતી માં, ધાગા બનાતી માં, બુનતી હૈ સપનોં કે ખેસ રી; બેટોં કો દેતી મહલઅટરિયાં બેટી કો દેતી પરદેસ રી; જગ મેં જનમ ક્યોં લેતી હૈ બેટી, આયે ક્યોં બિદાઇવાલી રાત રી’ સાંભળીને કોઇની આંખ કોરી ન રહી શકે અને ‘યે સુબહ સાંસ લેગી ઔર બાદબાં ખુલેગા, પલકેં ઉઠાઓ જાનમ યે આસમાં ખુલેગા’ એવી નજાકતથી પ્રિયતમાને ગુલઝાર સિવાય કોણ જગાડી શકે? શબ્દના સ્વામીને શબ્દ મૂંઝવે પણ ખરો : નઝમ ઉલઝી હુઈ હૈ સીને મેં, મિસરે અટકે હુએ હૈ હોઠોં પર, ઊડતે ફિરતે હૈં તિતલિયોં કી તરહ, લફઝ કાગઝ પે બૈઠતે હી નહીં’

‘હર એક રોજ નયા આસમાન ખુલતા હૈ, ખબર નહીં હૈ કિ કલ દિન કા રંગ ક્યા હોગા’, ‘કૌન ઢૂંઢે જવાબ દર્દો કે, લોગ તો બસ સવાલ કરતે હૈં’, ‘રાહોં સે રાહી કા રિશ્તા કિતને જનમ પુરાના, એક કો ચલતે જાના આગે, એક કો પીછે જાના; મોડ પે મત રૂક જાના બંધુ દો રાહો મેં ફંસ કે’ જિંદગીની જદ્દોજહદનું આ આકલન કેટલું સચોટ છે, ‘ન સમંદર નિગલ સકા ન તવારીખ તોડ પાઇ હૈ; વક્ત કી મૌજ પર સદા બહતા, આદમી બુલબુલા હૈ પાની કા’ – ગુલઝારના શબ્દો એટલે સંવેદનશીલ મનની ભીનાશ અને જિંદગીના જટિલ અનુભવોની ઇબારત …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 માર્ચ  2024

Loading

નાનીની નિશ્રામાં 

બકુલા ઘાસવાલા|Gandhiana, Opinion - Opinion|9 July 2024

આ પુસ્તકમાં ભદ્રાયુ વછરાજાનીની કસાયેલી કલમે નાની ઉર્ફે નિરંજના, ડો. પ્રજ્ઞાબહેન, ઉત્તમચંદકાકા, સંતોકબહેન, મુકુલભાઈ, પૂ. મોટા, સ્વામીદાદા, સરદારસાહેબ, મોરારિબાપુ અને નાનીની નિશ્રામાં ઉછરેલાં ડો. રામીબહેન એમ સૌનો અરસપરસ ભાવસંબંધ અહીં ઉજાગર થાય છે. તેઓ હીંચકે ઝૂલતાં, સૌને આવકારતાં, મહેમાનગતિ કરતાં, દોહિત્રીઓ જેવી વિદ્યાર્થિનીઓને આંખોથી શિસ્ત શીખવતાં, સૌંદર્ય અને સાદાઈની જીવનદૃષ્ટિનો પરિચય કરાવતાં ‘નાનીમા’નું સચિત્ર જીવનચરિત્ર આલેખે છે, ત્યારે વાચક તરીકે આપણે ‘નાનીમય’ બની રહીએ છીએ. સાચું કહું તો હું નાનીના નામ અને કામથી પરિચિત, પરંતુ રૂબરૂ મળ્યાંનું યાદ નથી. દુરથી જોતાં માયાળુ ચહેરો પોતીકો તો લાગ્યો જ છે. વધારે પરિચિત નામ મુકુલ કલાર્થીનું, જેઓ નાનીનાં દાંપત્યજીવનના સહયાત્રી. પ્રજ્ઞાબહેન પણ નામથી પરિચિત. વધારે પરિચય ડો. કુરેશીનાં કારણે જેમણે આ પુસ્તક વાંચવાની ભલામણ અને પરત કરવાની શરતે નાનીની વધારે નજીક જવાનો મોકો આપ્યો.

ગાંધીજી, સરદારસાહેબ, માતા સંતોકબહેન અને પિતા ઉત્તમચંદભાઈ ઉપરાંત અનેક ઉમદા વ્યક્તિત્વના સંગમાં રહી જીવનને હર્યુભર્યું અને સમૃદ્ધ બનાવનારાં નાની કુટુંબમાં નાનાં એટલે નાની પરંતુ હવે સૌનાં આજી-નાની છે. સામાન્ય રીતે સંબંધોમાં ‘માનાં મા’ હોય તે નજીક લાગે એની પાસે પોતીકાપણાંની લાગણી અકબંધ રહે. ભદ્રાયુભાઈની કલમ ‘નાનીને આજી’ તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળ થઈ છે કારણ કે નાની જન્મજાત માતૃતુલ્ય લક્ષણો ધરાવે છે એવી સહજ લાગણી થાય.

લોકો નાનીની નિશ્રામાં જીવે પરંતુ ઉત્તમચંદકાકા, નાની અને એની વાનરસેના સરદારસાહેબની નિશ્રામાં નિશ્ચિંતપણે જીવનલક્ષ્યને સમર્પિત. આ પુસ્તકમાં નાની નાની ક્ષુલ્લક લાગે પરંતુ જીવન ઘડતર માટે અગત્યની અને મહત્ત્વની રસપ્રચુર વિગતોનું વર્ણન ફરી ફરીને વિચારવા પ્રેરે છે કે જીવનલક્ષી શિક્ષણ કોને કહેવાય. પછી તે સફાઈની વાત હોય, સાદાઈનો પાઠ ભણવાનો હોય કે લોકશાહીથી સંસદ સુધી માહિતગાર થવાનું હોય! વળી કેળવણીકાર કોણ તો સરદારસાહેબ, ઉત્તમકાકા અને નાની પોતે! પુસ્તકમાં વર્ણવિત સંસદની ઝલક અને આજની સંસદ વચ્ચે સિત્તેર વર્ષનાં વહાણાં વાયા છે ત્યારે  સરદારસાહેબ સાથે તે સમયે બપોરનું જમણ લઈ આવેલા વાનરસેનાના તરુણો હવે વયોવૃદ્ધ આંખે ટી.વી. પર સંસદસભ્યોને જોતાં હશે ત્યારે શું અનુભવતા હશે એવો અલપઝલપ વિચાર આવી ગયો!

‘સ્વરાજ આશ્રમ’ના બાગમાં પીળાં ફૂલને યાદ કરતા સરદાર અને રજવાડાનાં વિલીનીકરણની પ્રક્રિયા સહજપણે નિભાવતા સરદારની ગતિવિધિનું સહજ વર્ણન વાંચતી વખતે આપણે એ સમયખંડને હિસ્સો છીએ એવું અનુભવીએ જ. ક્યારેક એવું લાગે કે આપણે ગાંધીની જ  સમયખંડને જ વાગોળીએ છીએ કારણ કે સરદારસાહેબ ગાંધીયુગનું જ ફરજંદ અને એમનું સાચું ઘડતર પણ ગાંધીની નિશ્રામાં જ ! સંતોકબા-ઉત્તમદાદા સિવાય સમગ્ર પરિવારને ગુરુ દયાલ મલિક, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાલા, વિનોબાજી, રંગ અવધૂત બાપજી, પૂ. મોટા, જુગતરામ દવે સમેત સૌનો સંગ માણવાની તક તો મળી સાથે રાષ્ટ્રહિત અને સમાજહિતની ખેવનાની વારસાઈ પણ મળી. ઉત્તમચંદદાદાનો મૂળ પરિવાર ગર્ભશ્રીમંત અને લગભગ બારસો એકર જમીનનો માલિક તે કુટુંબના વારસદાર તરીકે પોતાનો હક્ક જતો કરનારાં સંતોકબહેન-ઉત્તમદાદા આપણી નજરે મુઠ્ઠી ઊંચેરા તો સાબિત થાય જ સાથે એ જ સંસ્કારની વારસાઈને ઝળહળ કરતાં નાની, મુકુલભાઈ, પ્રજ્ઞાબહેન માટે પણ અહોભાવ થાય. ખાસ તો રાષ્ટ્રપ્રેમમાં પરિવારવાદની વાત વિશે ફક્ત ગેરસમજ દૃઢ થઈ રહી હોય ત્યારે પૂ. મોટાની સમજ, નાનીને માર્ગદર્શન અને પરિવારની વારસાઈની સાચી વિભાવના કેવી રીતે ઉજાગર થઈ શકે તેનું જ્વલંત ઉદાહરણ નાનીની નિર્ભય અને ક્યાંક સંતુલિત વિદ્રોહી કર્મયાત્રા દ્વારા જડે છે. ખાસ તો નાની અને મુકુલ કલાર્થીનાં લગ્નના મુદ્દે.

નિરંજનાએ સત્યની કેડીએ, પ્રેમ પદારથ પામીને, કરુણાના રાજમાર્ગનો પ્રવાસ જીવનસાથી મુકુલ કલાર્થી સંગ કર્યો એ યાત્રાએ એને ‘બા-નાની-આજી’ બનાવ્યાં. નાની પોતાનાથી વીસ વર્ષ મોટા હરિજન અધ્યાપક મુકુલ કલાર્થીથી પ્રભાવિત. તે સમયની એમની જીવનયાત્રા સંઘર્ષયાત્રા હતી પરંતુ પ્રેમયાત્રા પાવક હતી. પ્રીતમે ગાયું છે તેમ માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને! માતા અને ભાઈના વિરોધને પૂ. મોટાનાં સહયોગનાં કારણે ખાળ્યો. તે સમયે મોટાએ બે પાઠ શીખવ્યા.

(૧) સામે થવું નહીં. (૨) વેર રાખવું નહીં. મોટાએ જ લગ્ન કરાવી આપ્યાં. આ જ પ્રેરણા જીવનભર પથદર્શક રહી. નિરંજનાબહેન-મુકુલભાઈનાં પુત્રી પ્રજ્ઞા માટે પણ મોટા પ્રજ્ઞાદર્શક રહ્યા. એમણે ભાખેલું કે પ્રજ્ઞા ડોક્ટર થશે અને એમ જ બન્યું. મોટાનાં માર્ગદર્શનમાં નાની પણ ભણ્યાં અને એમ.એ. એમ.એડ. થયાં. નાનીને લાગે છે કે મોટા હંમેશાં એમની સાથે છે. નાનીની લગ્નનિધિ મોટાએ જાતે લખેલી. એમના ભાઈએ તો માનો પક્ષ લઈ રિવોલ્વર કાઢેલી, પરંતુ એ જ ભાઈએ વરસો પછી દિલગીરી પણ વ્યક્ત કરેલી. મોટાએ મુકુલભાઈને પણ લગ્નવિધિ માટે અધિકૃત પરવાનગી આપી એમને બ્રાહ્મણ બનાવેલા. (પાનું : ૫૫).

ગિજુભાઈ બધેકા, મોહન પરીખ, નારાયણ દેસાઈ, કવિવર ઉમાશંકર જોશી, પિનાકીન ત્રિવેદી, નાનાભાઈ ભટ્ટ જેવા અનેક મહાનુભાવોના સાંનિધ્યમાં નાનીનું નક્કર ઘડતર થયું જે એમની અણમોલ સંપદા બની રહ્યું. આ સંપદા કેવી જ્યાં ‘કવિ રાત્રી’, ‘આકાશ દર્શન’, ‘વાર્તાકથન’, ‘અભિનય’ હોય. પુસ્તકિયું ભણતર નહીં પરંતુ કેળવણી આત્મસાત્ કરવાની હોય! શ્રમયજ્ઞ અને વાંચનયજ્ઞનું સમાન મહત્ત્વ એ જુ.કાકાની દેણગી. વાત કૂવો ખોદવાની હોય કે રસ્તો બનાવવાની દરેકનું પ્રદાન અગત્યનું. સાહિત્ય સર્જન જીવનલક્ષી. નાની કહે છે કે નારાયણ દેસાઈ યુવાન તે અદ્દભુત નૃત્ય કરે (પાનું : ૩૭). નારાયણ દેસાઈ નાટકો લખે, ગાંધીનું જીવન ચરિત્ર લખે એ બધું ખબર, પરંતુ નૃત્ય કરે એ વાત વાંચીને હું તો ભારે અચંબિત!

ગુરુ દયાલ મલિકની પ્રેરણાથી નાની ‘સ્વરાજ આશ્રમ’માં શાંતિનિકેતનની પોતાની પરિકલ્પના સાકાર કરે છે. એમની નિશ્રામાં મહેનત કરે છે. એમના વિશે મુકુલ કલાર્થી સાથે મળીને પુસ્તક લખે છે, ‘પ્રભુ કૃપા કિરણ’ જેને ભદ્રાયુભાઈ ‘નાનીની નિશ્રા’માં પુસ્તક માટે પ્રેરકબળ માને છે. પ્રવાસ દરમિયાન સ્વામીદાદા સાથે હિમાલય દર્શન, આકાશ દર્શન, સમાજ દર્શન, પહાડી પ્રદેશમાં શિક્ષણ અને કેળવણી માટે જીવન દર્શનના પાઠ ભણવા, ગાંધી વિચાર દર્શનને સાકાર કરવા પિતા ઉત્તમચંદ શાહની મથામણ સમજવી અને સહભાગી થવામાં જીવનભર મહેનત કરવી, પુત્રી પ્રજ્ઞા સમેત અનેક તરુણી-યુવતીઓનાં શિક્ષણ અને જીવનલક્ષી કેળવણી માટે નિસ્બત અને સમર્પણ રાખવું એવી યાદગાર રહેલી ઘટનાઓને નાની વાગોળતા રહે અને આ પુસ્તકમાં સંકલિત કરાવવાની મહેનત ભદ્રાયુભાઈ કરતાં રહે એ ચિત્ર આ પુસ્તક વાંચતાં નજર સમક્ષ તરવરતું રહે છે. તરુણ-યુવાન વિદ્યાર્થિનીઓ સાથે સતત કામ પાર પાડવું અને તેઓ ધ્યેયથી વિચલિત ન થાય તે માટે સજાગ રહેવું, એમનો સામાજિક-સાંસ્કૃતિક પરિવેશ સમજતાં રહેવું, જરૂર લાગે ત્યારે એમનાં ઘરની મુલાકાત લેવી અને એ બાલિકાઓ ભણે, કેળવાઈ અને જીવનમાં ગોઠવાઈને બહેતર સમાજનું નિર્માણ કરે એ કાર્ય અવિરતપણે નાની હજી કરે છે, એની ફળશ્રુતિની વાતો પણ અહીં થઈ છે. નાની વાતો વાગોળે છે એટલે સંકલનમાં પુનરાવર્તન પણ થયું છે.

૧૨૧ પાનાંનાં ફલક પર ૨૮ પ્રકરણોમાં ભદ્રાયુભાઈની કલમે શબ્દાંકિત નાનીની જીવનકથા ગાંધી વિચારે સમાજની દશા-દિશા પર કેવી અસરકારક ભૂમિકા ભજવી છે, તેનું યથાર્થ દર્શન કરાવે છે. અલબત્ત, અહીં સરદારસાહેબ અને એમના હનુમાન ઉત્તમચંદ શાહ અને સંતોકબહેન શાહ, નાની અને મુકુલ કલાર્થી પરિવારની કર્મઠતા જે રીતે ઉજાગર થઈ છે તે મને વાચક તરીકે વધારે અસરકારક લાગી છે. પ્રજ્ઞાબહેન, રામીબહેનનાં શિક્ષણ વિશેની વાતો સંયુક્ત કુટુંબનો વિસ્તાર કઈ રીતે નવ્ય વિચારદર્શક અને પ્રેરક બને છે તેમનું દિશાસૂચન કરે છે. ડો. પ્રજ્ઞાબહેન વિશેનો જય વસાવડાનો પૂરક લેખ ખાસ્સો રોચક-મોહક છે.

મારાં પરદેશથી આવેલાં સગાંસંબંધીઓ ખાસ આગ્રહ કરે કે સરદારના વ્યક્તિત્વની ઊંચાઈને સમજવા સ્ટેચ્યુ ઑવ યુનિટીની મુલાકાત લેવી જ જોઈએ! આ પુસ્તક વાંચતાં મને થયું કે હું કદાચ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત કરવાનું ચૂકી જઈશ તો ચાલશે પરંતુ નાનીને મળવાની રહી જાઉં તે તો ન જ ચાલે! 

ફરીથી ભદ્રાયુભાઈની કલમને સલામ સાથે ભલામણ કે આ પુસ્તક દરેક પુસ્તકાલયમાં હોવું તો જોઈએ સાથે વંચાતું પણ રહેવું જોઈએ … 

મૂલ્ય : ₹: ૩૫૦/- 

પ્રાપ્તિ સ્થાન: ZCAD Foundation, 905, Pipla Pole, Near Mahakali Temple, Saraspur, Ahmedabad – 380 018. Gujarat, India.

 Mobile : +919825752437/ 6358852437. 

મુકુલ ટ્રસ્ટ, સરદાર કન્યા વિદ્યાલય, સ્વરાજ આશ્રમ, બારડોલી – ૩૯૪ ૬૦૧, ડિસ્ટિૃક્ટ સુરત, ગુજરાત, ભારત. 

ફોન- મોબાઇલ : +૯૧૯૮૨૪૫૭૫૯૩૯, ૯૫૬૦૭૦૩૯૬૬, ૯૪૨૭૧૨૪૭૬૭

સૌજન્ય : બકુલાબહેન દેસાઈ–ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મેલ કરવત પાણીડાંનાં પાણીડાં !

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|8 July 2024

 

 

 

 

 

 

 

મેલ કરવત પાણીડાંનાં પાણીડાં ! 

આવા ફોટા જોઈને કાં’થી યાદ આવે એ પાણીડાંનાં ગીતો?

કે આ જ અમે પાણીડે ગ્યા’તા સઈઅર મોરી ને જોયો સાયબો! 

લખાઈ જાય છે જનમથી જ છઠ્ઠીના લેખમાં 

કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!

 કાં’તો નાનકાં ભઈલાને હાચવો કે નાનકી બેનડીને,

કાં’તો ઈંધણાં વીણવા જાવ ને કાં’તા પાણીડે ! 

 ને કાં’તો દાદા-દાદીને દવાખાને લેઈ જાવ. 

આ પીંછાટિયાએ કોઈ’દી તેલ ભાળ્યું નથી. 

ને નવાં કપડાં કોને કે’વાય તે જાણે મારી બલારાત! 

તમે માનો કે એખલો બાપો જ છાંટોપાણી કરે ને 

માઈ કોરી રે’ય? 

અરે, મારો એ બાપ તો માઈ છાંટોપાણી કરે ને 

તો જ છોડે ની’ તો એને હારી પેઠે ઢીબે 

ને હું વાત કરું? 

દાદા-દાદી નિરાંતે જુએ પણ અરફ ની’ કાડે. 

એક દા’ડો નિહારે ગેઈલી, 

બાજુવારી લેઈ ગયેલી ને પછી થોડા દાડા વધારે ગેઈ 

ને લખતાંવાચતાં હીખી, 

નિહારમાં નિબંધ લખવા કે’યું કે 

તમારી દિનચર્યા લખો – 

ને મેં તો આ બધું લઈખું 

એટલે મે’તી તો રડવા લાગી! 

પૂછે કે તું હાચ્ચે ઘેરે આટલું કામ કરે કે? 

મેં કેયું કે ની’ કરું ને તો માઈબાપને ઢીબેડી કાઢતા વાર ની’ લાગે. 

પણ લઈખું તે હારું કયરું, મે’તીને ખબર પડી એટલે 

માઈ નિહાર ની’ મોકલતી ઉતી તે મે’તીએ હમજાવી એટલે 

મને નિહાર જવાનું મલતું છે 

ને  હા……સ 

કે એટલી વાર તો છૂટી એ ઘરથી.

જોકે નિહારમાં બી’ બધું કાંઈ હારું ની’મલે! 

અમારી પાહે જ નિહારમાં કચરા વરાવે 

ને સંડાસ બી’ સાફ  કરાવે! 

એમ કે’ય કે સ્વાવલંબન ને આત્મનિર્ભરતા! 

આટલા ભારી શબ્દમાં હમજ તો ની’ પડે 

પણ મે’તી કે’ય કે ૨૦૨૦ નો 

નારો છે કે આત્મનિર્ભર  બનો એટલે ……. 

બનવાનું! 

તિયારે તો થાય કે જો બધે હરખું જ ઓય તો 

હારું કાં ઓહે? 

૮/૭/૨૦૨૦
તસવીર સૌજન્ય : સૌમ્યા 
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...508509510511...520530540...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved