Opinion Magazine
Number of visits: 9665001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોડિયાં

મનીષી જાની|Poetry|4 November 2024

કુંભારના કપાળ

પરથી પરસેવો

ઉતરતો હોય

ને

ચાકડેથી કોડિયાં

ઉતરતાં હોય ત્યારે

એ કોડિયાં સાથે

મેં સેલ્ફી લીધી નથી.

તમે લીધી છે ?

કોડિયાં

ગેરુઆ રંગે

રંગાતાં હોય

ને

નિભાડે ભડ ભડ

આગમાં પાકતાં

હોય ત્યારે ય

એ

કોડિયાં સાથે

મેં સેલ્ફી લીધી નથી.

તમે લીધી છે ?

અમથીબેને

સાવરણાથી

ચોખ્ખાં ચણાક

કરેલાં ઘરને આંગણે

કોડિયાંની દીવેટો

ઝળહળી રહી છે

અને

હું ક્યારનો ઝળહળતાં

કોડિયાંની સાથે સેલ્ફી

લઈ રહ્યો છું

ને

તમને શૅર કરી રહ્યો છું.

તમે પણ ?

***

(‘મને અંધારાં બોલાવે’ કાવ્યસંગ્રહ માંથી)
સૌજન્ય : મનીષીભાઈ જાનની ફેઇસબૂક દીવાલેથી સાભાર

Loading

નર્કાગારમાંથી અલકાપુરી

સુરેશ જાની|Opinion - Opinion|4 November 2024

‘अबे …. ! रास्ते पर ऐसे थूंक मत । पुलिस देख लेगी तो तगडा फाईन देना पडेगा । बोल, मैं पुलिसको हेल्प लाईन पर खबर दे दुं?’

બારી ખોલીને એક ટેક્સી ડ્રાઈવરે બાજુના ઓટો રીક્ષાવાળાને આમ કહ્યું.

શા માટે?

મધ્ય પ્રદેશમાં ઉદ્યોગ અને વેપાર વણજના સૌથી મોટા કેન્દ્ર એવા ઇન્દોરના રસ્તા પરનો આ સંવાદ એક અપવાદ રૂપ સંવાદ નથી. એ હવે રોજ બ રોજની ઘટના બની ગયો છે. ગંદકી કરનારની કાનપટ્ટી પોલિસ નહીં પણ, આમ ઠેર ઠેર લોકો જાતે પકડવા લાગ્યા છે. ૨૦૧૧માં ૩૭ લાખની વસ્તી ધરાવતા ઇન્દોરમાં છેલ્લા અઢાર મહિનામાં એક નાનકડી ક્રાન્તિએ જન્મ લીધો છે. માત્ર અઢાર જ મહિના પહેલાં ઇન્દોર ગંદા શહેરોના લિસ્ટમાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું. આટલા ટૂંકા ગાળામાં દેશના બીજા બધા શહેરોને બાજુએ મુકીને સૌથી વધારે સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરનો પુનર્જન્મ થયો છે. આજની તારીખમાં જો તમે ઇન્દોરની મુલાકાત લો, તો જાહેર રસ્તા પર તો શું ? નાની નાની ગલીઓમાં પણ ક્યાં ય કચરો, બણબણતી માખીઓ, રખડતા કૂતરા કે ગાયો જોવા નહીં મળે – જાણે કોઈ જાદુગરે ‘ઈલમ કી લકડી’ એની ઉપર ફેરવી દીધી છે.

મનીષ સિંઘ

કોણ છે એ જાદુગર? ૪૯ વર્ષની ઉમરના, ૨૦૦૯ની IAS બેચના, ઇન્દોરના કમિશ્નર મનીષ સિંઘે માત્ર અઢાર મહિનામાં એની કાયાપલટ કરી દીધી છે. તેઓ એક સબળ, અને કલ્પના સભર સામાજિક નેતા અને  કાબેલ અમલદાર સાબિત થયા છે. ૨૦૧૫માં તેમની નિમણૂંક આ પદ પર થઈ ત્યારથી જ તેમણે શહેરના ગંદા વિસ્તારોનું લિસ્ટ બનાવવા માંડ્યું હતું. થોડાક જ દિવસમાં એમની ડાયરીમાં ૧,૮૦૦ જગ્યાઓનાં નામ જમા થઈ ગયાં હતાં ! આ નર્કાગાર જોઈ સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી કમ્પની અને મ્યુનિસિપલ કોર્પોરેશના જવાબદાર અધિકારીઓ તરફ એમની રાતી ચોળ આંખ ફરવા લાગી. જાણે કે, ‘તાંડવ નૃત્ય કરતા શિવજી સાક્ષાત ઇન્દોરની ધરતી પર પ્રગટ થઈ ગયા ન હોય?’ – તેમ  બળબળતા ઉનાળામાં પણ કડકમાં કડક શબ્દોની વર્ષા એમની વાણીમાંથી પ્રગટવા લાગી. મનીષ સિંઘ ઇન્દોરના કચરા સામે યુદ્ધે ચઢી ગયા.

ઇન્દોરનાં મેયર માલિની લક્ષ્મણ સિંઘ ગૌડે એમને આપેલું પીઠબળ અને ઉત્તેજનનો ઉલ્લેખ ન કરીએ તો આપણે તેમને અન્યાય જ કર્યો કહેવાય. એ રાજકારણી બાઈ પણ નાગરિકોની  સ્વચ્છતાની સૂઝના અભાવ સામે રાણી લક્ષ્મીબાઈની જેમ રણે ચઢી છે ! ઇન્દોરનો સમાવેશ ભારતના સ્માર્ટ સિટીમાં થાય એ માટે તેમણે  ઇન્દોરના રહેવાસીઓને  એલાન આપ્યું છે.

મનીષ સિંઘે એમના આ યજ્ઞની શરૂઆત ઘેર ઘેરથી કચરો એકઠો કરવાની પદ્ધતિ અમલમાં મૂકીને કરી હતી. શહેરના રસ્તાઓ દિવસમાં ત્રણ વખત વાળવાની અને રોજ રાતે પાણીથી ધોવાની શરૂઆત પણ તેમણે કરાવી હતી. બીજી એક આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમણે શહેરમાં ગોઠવેલી ૧,૪૦૦ જેટલી કચરા પેટીઓ ઊઠાવી લેવડાવી હતી ! કારણ એ કે, સંસ્કારી શહેરી જનો પણ ચાલુ વાહને એમાં કચરો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ઉશેટતા હતા. ઘણી થેલીઓ ટૂટીને બહાર પડતી. એ કચરાપેટીઓ પોતે જ એક કચરા ધામ બની ગઈ હતી. કચરામાંથી સોનું ગોતતી લઘર વઘર સેના અને ભુખ્યાં કૂતરાં અને ગાયો માટે આ કચરાપેટીઓ બાવા આદમના ખજાના જેવી બની ગઈ હતી ! ઘેર ઘેરથી કચરો ઉઘરાવવાની પદ્ધતિના પ્રતાપે  આ ઉપદ્રવકારક બબાલ ટાળી શકાઈ છે. અલબત્ત, અગત્યની જાહેર જગ્યાઓએ કચરો નાંખવા માટે  ૧૭૫ જેટલી નાની કચરાપેટીઓ અવશ્ય રાખવામાં આવી છે.

જાહેર શૌચાલયો પણ હવે ચોખ્ખાં ચણાંક રાખવામાં આવે છે. સમૃદ્ધ વિસ્તારોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું રહેતું હતું; એની જગ્યાએ હવે ઝૂંપડપટ્ટી વિસ્તારો પણ ઉજળા થવા લાગ્યા છે. મુંબાઈની ‘ખાઉધરા ગલી’ કે અમદાવાદના માણેકચોક જેવા ઇન્દોરના ગંદકીથી ઊભરાતા, ‘સરફરા’ વિસ્તારની મુલાકાત ચોખલિયા લોકો લેતા ન હતા. સડતા ખાદ્ય પદાર્થો પર તેમ જ તૈયાર થયેલી વાનગીઓ ઉપર સતત માખીઓ બણબણતી રહેતી. હવે વિદેશી મુસાફરો પણ એ પ્રખ્યાત જગ્યાની મુલાકાત લેતાં થઈ ગયાં છે !

અધધધ ! રોજનો ૧,૧૦૦ ટન કચરો.  શહેરથી દૂર એને ઠાલવવાના સ્થળની પણ મુલાકાત લેવા જેવી છે. કચરો ઠલવાય પછી તેની નિષ્ણાત માવજત કરવામાં આવે છે. ભરાઈ ગયેલી જગ્યા બહુ જ થોડા વખતમાં નંદનવન જેવી બનાવી દેવામાં આવે  છે. એ  જગ્યાઓએ લીલાંછમ ઘાસ અને જાતજાતનાં ફૂલોથી લહેરાતાં ઉધાનો આપણી આંખ ઠારે છે. પાછી ફરતી કચરાની ટ્રકોને પણ પાણીથી ધોઈ ચોખ્ખી ચણાક કરવામાં આવે છે. ખાલી થઈને શહેરમાં દાખલ થતી એ ટ્રકો પણ સદ્યસ્નાતા સુંદરીઓ જેવી લાગે છે ! પ્લાસ્ટિકની થેલીઓને બહુ ચોકસાઈથી જુદી પાડવામાં આવે છે, અને તેમને દબાવીને રિસાયકલ કરતાં કારખાનાંઓ ભેગી કરવામાં આવે છે.

ઇન્દોરની સાવ ટૂંકી મુલાકાત લઈએ તો પણ આવી પીળી ટ્રકો આપણને અચૂક ભટકાતી જ રહે – (માત્ર ૮૦૦ની સંખ્યામાં જ છે !) ૮૫ વોર્ડોનો સફાઈકામનો હવાલો સંભાળતા દરેક અધિકારીને જીપ આપવામાં આવી છે, જેથી સફાઈકામ પર તેઓ ચાંપતી નજર રાખી શકે અને  ફરિયાદ આવે ત્યાં તરત દોડી શકે. આ અઢાર મહિનામાં જાહેર રસ્તા પર કચરો નાંખતાં પકડાયેલા લોકોને દંડ કરવાથી ભેગી થયેલી રકમ જ ૮૦ લાખ ₹ હતી ! જો કે, મ્યુનિસિપાલિટીને હવે બહુ ઓછી દંડની રકમ મળે છે! આ જ રીતે સફાઈકામની ફરજ ન સંભાળતા ૬૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની હિમ્મત પણ મનીષે દાખવી હતી ! સફાઈકામ કરતા એમના લશ્કરમાં અત્યારે ૬,૫૦૦ તરવરતા સૈનિકો છે – જેમના હાથમાં રાઈફલ નહીં પણ ઝાડુ હોય છે ! રાજકીય પક્ષોની રેલીઓ વગેરે જાહેર કાર્યક્રમો યોજતા સૌએ સફાઈ માટેની ખાસ ફી મ્યુનિસિપાલિટીને ભરવી પડે છે. ઝૂંપડપટ્ટીઓ અને રખડતાં ઢોરના માલિકો સામે પણ કોઈ શેહ શરમ વિના અને રાજકીય અને અસામાજિક તત્ત્વોનાં દબાણોની ‘ઐસી તૈસી’ કરીને કડકાઈ અપનાવવામાં આવી છે. આ બધું મેયરનાં આશિર્વાદ અને પીઠબળ વિના શક્ય ન જ બન્યું હોત. આ સાથે વહિવટી કુનેહથી સામૂહિક જાગૃતિ લાવવાના અનેક સેમિનારો યોજી બધા સંબંધકર્તા પરિબળોનો સાથ અને સહકાર પણ મનીષે મેળવ્યાં છે. છાપાં, સ્થાનિક ટી.વી., સ્થાનિક રેડિયો પર સુમધુર ગીત કંડિકા (jingle), સ્થાનિક અખબારોમાં આકર્ષક જાહેર ખબર, જાહેર જનતા માટે શિક્ષણ અને જાણકારી, શાળાઓમાં બાળકોને પાયામાંથી સ્વચ્છતાની ભાવનાનું બીજારોપણ, વગેરે મીડિયા અને કલ્પનાશીલ અભિગમ અપનાવવાનું અને વાપરવાનું પણ આ બાહોશ અધિકારી ચૂક્યા નથી. તેમનું અંગત પ્રદાન પણ આપણે નોંધવું જોઈએ. આ અભિયાનની શરૂઆત કરી ત્યારે મનીષનો દિવસ સવારના સાડા પાંચ વાગે શરૂ થતો અને રાતના દસ વાગે આથમતો ! નાગરિકોએ ભરેલ ટેક્સમાંથી આ અઢાર મહિનામાં ૬૦ કરોડ ₹ જેટલી માતબર રકમ ઇન્દોર શહેરે ખર્ચી છે. ખડી થયેલી રૂપકડી  અમરાપુરીની ગરિમા નાગરિકોના ખિસ્સામાંથી આવેલા આ હિસ્સાના કારણે તો ખરી જ ને?

સૌથી મહત્ત્વની વાત એ છે કે, હવે લોકોમાં પણ આશ્ચર્યજનક રીતે જાગૃતિ આવવા લાગી છે. ગંદકી કરતાં નાગરિકોને હવે એમનાં સ્વજનો, પાડોશીઓ અને સગાંઓ જ ટોકવા માંડ્યા છે – ઓલ્યા ટેક્સી ડ્રાઈવરની કની !

૨૦૧૫માં સફાઈના આંકમાં દેશમાં ૮૬મું સ્થાન ધરાવતા ઇન્દોર શહેરે આજે આખા દેશમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે.  આ બહુ પાંખિયા, લશ્કરી ઢબના વ્યૂહ અને તેની સફ્ળતા માટે આપણે  મનીષ સિંઘ અને ઇન્દોરનાં મેયરને લશ્કરી સલામ ભરીએ તો? ઇન્દોરના નાગરિકોના નવા જન્મેલા આત્મબળના ‘ક્લોન’નું પ્રત્યારોપણ આપણે આપણા પોતીકા આંગણામાં પણ કરતાં થઈએ તો?

– આ વીડિયો જુઓ અને મનીષ સિંઘની પ્રેરક વાણી સાંભળો –

સંદર્ભ –
https://www.thebetterindia.com/114040/indore-madhya-pradesh-clean-garbage-free-india/
http://www.business-standard.com/article/current-affairs/indore-s-mini-revolution-is-transforming-the-face-of-the-city-117081801557_1.html
http://www.smartcityindore.org/
e.mail : surpad2017@gmail.com

Loading

માણસ આજે (૧૩) 

સુમન શાહ|Opinion - Opinion|4 November 2024

અમેરિકામાં જ્યાં રહું છું એ શ્હૅરમાં પાનખર – ફૉલ – ચાલે છે. થોડી થોડી ઠંડી શરૂ થઈ છે. પંખીઓ દેખાતાં નથી. હું પાર્કમાં ચાલવા જતો હોઉં છું ને જતાં જતાં નીરખું છું તો ઘણાં બધાં વૃક્ષોનાં લીલાં પાન પીળાં પડી રહ્યાં છે, કેટલાંક હળદરિયાં રંગનાં થવા લાગ્યાં છે, કેટલાંક ખાખી કે તપખીરિયાં, કેટલાંક આછાં લાલ, કેટલાંક કંકુવર્ણા, તો કોઈ કોઈ મરૂન પણ. 

મને ખબર છે, જોત જોતાંમાં એવાં સૂકાઇ જશે કે આપણને એમની દયા આવે. 

પછીના દિવસોમાં મેં જોયું તો પાનનું ખરવાનું શરૂ થઈ ગયેલું. રોડ અને વૉક-વે સિવાયની જગ્યાઓ – લૉન્સ – સૂકાં પાનથી ઢંકાવા લાગેલી, ને પવનો, ક્યારેક તો ગાંડા, એમને દૂર દૂર વાળ્યા કરતા’તા – રીતસર ધકેલતા’તા. અમેરિકન-ઘરોનાં બારી-બારણાં ખુલ્લાં ન હોય, વળી, લોક રખડતાં ન હોય, ચોપાસ શાન્તિ હોય. સૂકાં પાનના ખખડાટથી એ શાન્તિના ય ચૂરા થતા’તા. 

મને એ પણ ખબર છે, થોડાક જ દિવસમાં દરેક વૃક્ષનાં હાડપિંજર દેખાશે અને, એ કંકાલોની ડાળો પર પંખીઓએ બાંધેલા માળા ઉઘાડા પડી જશે. કોઈ કોઈ માળા ભૂમિસાત્ થઈ ગયા હશે. પણ રહી ગયા હશે એ માળામાં કોઈ બચ્ચું સૂતું હશે, મને થાય, એનું શું થવાનું … એનો હવામાં ડોલતો વર્તમાન … એનું ટૂંકું કરુણ ભવિષ્ય … 

બીજા વિશ્વયુદ્ધ સમયના ‘હોલોકાસ્ટ’-માં કહેવાય છે કે ૧.૫ મિલિયન બાળકોનાં મૉત થયેલાં, પણ જેનાં મા-બાપ માર્યાં ગયાં હશે અને જે બાળકો નમાયાં કે નબાપાં થયાં હશે એમનું શું થયું હશે? યુક્રેન-રશિયા અને ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન યુદ્ધમાં કેટલાં બાળકો અનાથ થયાં હશે? 

એ બન્ને યુદ્ધ શમ્યાં નથી તેથી, અને વૉર ઝોન્સમાંથી ચૉકક્સ ડેટા મેળવવાનું કઠિન હોય છે તેથી, નક્કી નથી થઈ શકતું કે એ સંખ્યાનો આંકડો શું હશે. જો કે ‘યુનિસેફ’ અને ‘સેવ ધ ચિલ્ડ્રન’ સંગઠનો એ બાળકોની સારસંભાળ લઈ રહ્યાં છે, એ એક આશ્વાસન છે. હૉસ્પિટલો, શાળાઓ જેવાં સ્થાનો પર ઍટેક્સ ન થવા જોઈએ, માનવતાના પાયાના સિદ્ધાન્તોનું કે ‘ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ’-નું પાલન થવું જોઈએ, પણ યુદ્ધખોર રાષ્ટ્રો બધું ઘોળીને પી ગયાં છે.

+ +

હરારીએ આ પુસ્તક પૂર્વે, સદીઓ પહેલાંથી શરૂ થયેલી ‘જ્ઞાનપરક ક્રાન્તિ’ને — ‘કૉગ્નિટિવ રીવૅલ્યુશન’ને — મોટી ક્રાન્તિ ગણાવી છે. આજે જ્ઞાન, એક તરફ, માણસને યુદ્ધો તરફ ઢસળી રહ્યું છે, તો બીજી તરફ, ટૅક્નોલૉજિકલ પ્રગતિની દિશામાં. મને મનુષ્યથી મોટામાં મોટી પ્રગતિ-ફાળ ભરાઇ સમજાય છે, તે છે AI. પૉપ્યુલિસ્ટ ઑથોરિટેરિયન નેતાઓ વધી રહ્યા છે એ હકીકત તરફ પણ હરારી આપણું ધ્યાન દોરે છે. હરારી જે તર્ક-પદ્ધતિએ વાતને વિકસાવી રહ્યા છે તે જોતાં લાગે કે ઇન્ફર્મેશન એક ‘વેપન’ રૂપે વપરાય અને ‘ઇન્ફર્મેશન-વૉર’ સરજાય, એમ પણ બને. 

“Nexus”-માં તેઓ જ્ઞાન અને ડહાપણને વિવિધ માહિતી-જાળ રૂંધી રહે છે એમ દર્શાવવા સમ્રાટોને, ધર્મપ્રસારકોને તેમ જ કૉર્પોરેટ્સને જવાબદાર કહી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે સબ્જેક્ટિવ અને ઑબ્જેક્ટિવ વચ્ચેની એક ઇન્ટર-સબ્જેક્ટિવ રીયાલિટી પણ સરજાઈ રહી છે. તેઓ દર્શાવી રહ્યા છે કે આખી વાતમાં ‘સ્ટોરીઝ’, ‘બ્રાન્ડ્ઝ’, ‘બ્યુરોક્રસી’ વગેરેની શી ભૂમિકા છે.  

હરારી કહે છે, પ્રાચીન ચીનના સમ્રાટો, મધ્ય કાળના કૅથલિક પોપ્સ કે મૉડર્ન કૉર્પોરેટ ટાઇટન્સ – મહિમાવન્ત વ્યક્તિઓ – કલ્પનાઓ નથી પણ જીવતીજાગતી વ્યક્તિઓ છે તેમછતાં એમને લાખ્ખો અનુયાયીઓને જોડનારી શૃંખલા ગણવા જોઈશે. જો કે આ બધા જ દૃષ્ટાન્તોમાં, એકપણ અનુયાયીનું એ સમ્રાટ, એ પોપ કે એ કૉર્પોરેટ-વ્યક્તિ જોડે કશું અંગત જોડાણ નથી હોતું, બલકે અનુયાયીઓએ ચતુરાઇપૂર્વક ઘડી કાઢવામાં આવેલી પેલાની ‘વાર્તા’ સાથે એણે જોડાવાનું હોય છે, અને તે વાર્તામાં જ વિશ્વાસ રાખવાનો હોય છે. 

હરારી કહે છે, સોશ્યલ મીડિયામાં પ્રવર્તમાન સૅલિબ્રિટીઝના લાખ્ખો ઑનલાઇન અનુયાયીઓ હોય છે, પણ એકેય અનુયાયીનું એ મૂર્તિ સાથે ખરેખરું અંગત જોડાણ જરા પણ હોતું નથી. સોશ્યલ મીડિયાના એકાઉન્ટ્સ સામાન્યપણે નિષ્ણાતોની ટીમ ચલાવે છે. એમાં પ્રોડક્ટ વિશેના દરેક શબ્દને કે ઇમેજને વ્યાવસાયિક કૌશલથી રચવામાં આવે છે અને પસંદગીપૂર્વકના ઠાઠમાઠ સાથે મૅન્યુફૅક્ચરને ત્યાં મોકલવામાં આવે છે, જે છેવટે બનીને આવે છે – આજકાલ જેને આપણે ‘બ્રાન્ડ’ કહીએ છીએ. 

‘બ્રાન્ડ’-ને હરારી ‘સ્ટોરી’-નો વિશિષ્ટ તરીકો ગણે છે. કહે છે, બ્રાન્ડ એટલે તે પ્રોડક્ટ માટેની વાર્તા. એવી વાર્તા કે જેને એ પ્રોડક્ટની ગુણવત્તા સાથે જવલ્લે જ કશી લેવાદેવા હોય, તેમછતાં, ખૂબી એ છે કે વપરાશકારો દોડ્યા આવે ને એની સાથે જોડાય. હરારી ‘કોકા કોલા’-નો દાખલો આપીને જણાવે છે કે એની જાહેરાત પાછળ એ કૉર્પોરેશને કરોડો ડૉલર રોક્યા, એ જાહેરાત એટલું જ કહેતી હોય છે કે કોકા કોલા પીવો, બસ વારંવાર પીવો. હરારી ઉમેરે છે કે કેટલાક લોકો એને સ્વાદિષ્ટ જળ કે મજાના સુખ સાથે જોડી દે છે અને યુવાનો દાંતનો સડો, મેદસ્વીતા કે પ્લાસ્ટિક વેસ્ટને ભૂલીને જોડાઇ જતા હોય છે – એનું નામ તે બ્રાન્ડ! 

આપણે ત્યાં થયેલી ‘કોકા કોલા’-ની ‘ઠંડા મતલબ કોલા’ જાહેરાતનો મેં મારા એક લેખમાં ઉલ્લેખ કરેલો. મેં એ શબ્દો, એ વિડીઓ ક્લિપ અને બૉલિવૂડબ્રાન્ડ ઍક્ટરની આકર્ષક અસરની વાત કરેલી. એક બીજા લેખમાં મેં જણાવેલું કે – અગાઉ રોલાં બાર્થે ‘રેડ વાઇન’ વગેરે અનેક પ્રોડક્ટ્સના અવગુણ વીસરાઈ જાય છે અને તે કેવા કેવા પૅંતરાઓથી હરતીફરતી અને વેચાતી થઈ જાય છે, તેની વાત કરી છે. એવી વાતોને બાર્થે ‘મૉડર્ન મિથ’-નો દરજ્જો આપ્યો છે. 

હરારીએ અગાઉ કહેલું કે માણસ માણસનો વિશ્વાસ કરે છે એની પાર્શ્વભૂમાં કલ્પિત વ્યવસ્થાઓ કે ગોઠવણો – Imagined orders – હોય છે. કેમ કે માણસને જ્ઞાન કરતાં, કલ્પિત વાર્તાઓ અને એ-ની-એ વાર્તાઓ વધારે ગમતી હોય છે, વિશ્વસનીય લાગતી હોય છે. માણસો એ વિશ્વાસના માર્યા એકબીજા સાથે તેમ જ અજાણ્યાઓ સાથે સહકારી થઈ જવાને તત્પર થઈ જાય છે. આજે એ સહકારીતા જે કદ-માપમાં અને ત્વરાથી વધી રહી છે, એને હરારી માનવ-ઇતિહાસમાં અ-પૂર્વ લેખે છે.

+ +

“Nexus”-માં હરારી જણાવે છે કે એ વાર્તાઓ વાસ્તવિકતાનું તદ્દન નવું સ્તર પણ સરજી શકે છે. કહે છે, આપણને જાણ છે એ મુજબ, વાર્તાઓના આવિષ્કાર પૂર્વે વિશ્વમાં વાસ્તવિકતાનાં બે જ સ્તર હતાં : સ્વલક્ષી વાસ્તવિકતા અને પરલક્ષી વાસ્તવિકતા : વાર્તાઓ તેમાં ત્રીજા સ્તર રૂપે ઉમેરાઈ. 

પરલક્ષી વાસ્તવિકતામાં પથરા, પર્વતો, સૂર્યની ચોપાસ ફરતા લઘુ ગ્રહો – એવી ચીજો જેની આપણને જાણ હોય કે ન હોય, પણ તે છે અને હશે. 

સ્વલક્ષી વાસ્તવિકતામાં સુખ, દુ:ખ, પ્રેમ – ‘બહાર’ નહીં પણ ‘અંદર’ હોય છે. સ્વલક્ષી ચીજોનો આપણને અનુભવ હોય છે. ‘અનનુભૂત દુખાવો’ એમ બોલવું એ વદતોવ્યાઘાત છે. 

પણ કેટલીક વાર્તાઓ ત્રીજા સ્તરની વાસ્તવિકતા સરજે છે, જેને આન્તર-સ્વલક્ષી – ઇન્ટરસબ્જેક્ટિવ – કહેવી જોઈશે. 

હરારી કહે છે, દર્દ એક જ ચિત્તમાં હોય છે, પરન્તુ કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટ ટાઇટન્સ અને ચલણી નાણાં વગેરે વસ્તુઓ અનેક ચિત્ત માટે ઊભી થયેલી શ્રુંખલામાં, nexus-માં, હોય છે; સ્પષ્ટપણે કહીએ તો લોકો વડે એકબીજાને કહેવાયા કરતી વાર્તાઓમાં હોય છે. આન્તર-સ્વલક્ષી વસ્તુઓની માહિતીનો એ વિનિમય કશું જ રજૂ નથી કરતો, જે એની પૂર્વે હોય, ખરેખર તો એ વિનિમયથી વસ્તુઓ સરજાય છે.

હરારી વાતને પોતાની સાથે જોડીને દાખલો આપે છે : હું દર્દ અનુભવું છું એમ કહું તો એમ કહેવાથી દર્દ નથી જનમતું, પણ એમ કહેવું બંધ કરું એટલે દર્દ જતું રહે એમ પણ નથી થતું. એ જ રીતે, મેં લઘુ ગ્રહ જોયો એમ કહેવાથી લઘુ ગ્રહ નથી જનમતો. લઘુ ગ્રહ વિશે લોકો વાતો કરે કે ન કરે એ છે અને હશે જ. પરન્તુ સંખ્યાબંધ લોકો કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાંની વાર્તાઓ એકબીજાને કહેવા માંડે છે ત્યારે કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાં સરજાય છે. માહિતીના વિનિમયમાં જ આન્તર-સ્વલક્ષી વસ્તુઓ હોય છે. વિનિમય બંધ થાય તો એ વસ્તુઓ અલોપ થઈ જાય છે.

જો આપણે હરારીના આ વિચારપક્ષને સાવધાનીથી અને સમીક્ષાબુદ્ધિથી પૂરેપૂરા સ્વરૂપમાં નહીં સમજી લઈએ તો વિવિધ માહિતી-જાળ વિશેના એમના સમગ્ર વિચારને નહીં પામી શકીએ. 

(ક્રમશ:)
(03Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...503504505506...510520530...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved