Opinion Magazine
Number of visits: 9740903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લુચ્ચાઈ સરકારમાં જ નહીં, શિક્ષકોમાં પણ એટલી જ છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|2 December 2024

રવીન્દ્ર પારેખ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક 285ના આચાર્ય સંજય પટેલ 33 વખત દુબઈ આવ-જા કરે છે, એટલું જ નહીં, શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર વિદેશમાં ગેરકાયદે વેપાર કરે છે ને તેની ખબર રાજ્ય સરકારને પડતાં, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દે છે. આચાર્ય સંજય પટેલ યુનાઈટેડ આરબ અમીરાત(UAE)ના રેસિડેન્સ વિઝા ધરાવે છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ત્યાં સુધી કહ્યું છે કે આચાર્યે રજાનો પગાર લીધો હશે તો તે વસૂલવામાં આવશે. જો કે, 10 વર્ષમાં આચાર્યે 84 લાખનો પગાર તો લીધો જ છે … 

દુબઈમાં રોકાણ માટે એક મિત્ર પાસેથી આચાર્યે 14 કરોડ 6 ટકાના વ્યાજે લીધા હતા. સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલના દુબઈમાં રહેતા ભત્રીજા ચંદ્રેશ મકવાણાને અપાવેલા સાડા ત્રણ કરોડ પરત મેળવવા પરિચિતોએ સંજય પટેલનું અપહરણ કર્યું હતું. એનો હોબાળો થતાં શિક્ષણ સમિતિએ તપાસ ઝડપી કરી હતી ને વધારામાં ગુજરાત સરકારે પણ કડક કાર્યવાહીની તાકીદ કરતાં, પરિણામ સંજય પટેલનાં સસ્પેન્શનમાં આવ્યું હતું.

આચાર્ય સંજય પટેલ

સંજય પટેલ ચાર-પાંચ વર્ષથી દુબઈમાં ટૂર ટ્રાવેલ્સ, જનરલ ટ્રેડિંગ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં બિઝનેસ કરતા હતા, એટલે અવારનવાર દુબઈ જવાનું થતું હતું. જુલાઈ, 2023થી જૂન 2024 સુધીમાં 33 વખત દુબઈનો પ્રવાસ સંજય પટેલે કર્યો હતો. ઓગસ્ટ, 2024માં આ મામલે આચાર્ય પટેલને સો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી, પણ આચાર્યે નોટિસનો જવાબ આપવાને બદલે મેડિકલ ગ્રાઉન્ડ રજૂ કર્યું હતું, જે ગ્રાહ્ય રખાયું ન હતું અને 25 નવેમ્બરે હાજર થઈ જવાબ આપવાની તાકીદ કરાઈ હતી, પણ આચાર્યે હાજર થવાને બદલે મેડિકલ રિપોર્ટ મૂકી રજા પર ઊતરી જવાનું મુનાસિબ માન્યું હતું. તેમની રજા કોણે મંજૂર કરી ને રજાનો કેટલો પગાર ચૂકવાયો તે પ્રશ્નોનો ઉત્તર મળતો નથી. 84 લાખ પગાર 10 વર્ષમાં મહિનાના 70,000ને હિસાબે ઓલરેડી ચૂકવાયો હોય તો રજાનો પગાર કપાયો નથી તે સ્પષ્ટ છે. 

બીજું, અંદાજે વર્ષમાં 33 વખત મુસાફરી કરી હોય ને માત્ર આવવા-જવાના દિવસો જ ગણીએ તો 66 દિવસ રજાના ગણવા પડે. વારુ, દુબઈ વેપાર અર્થે જ ગયા હોય તો જઈને તરત પાછા આવવાનું દરેક વખતે શક્ય ન પણ બને. 25 નવેમ્બરે હાજર થઈ જવાબ આપવાનું કહેવાયું, છતાં આચાર્યે તેની દરકાર ન કરતાં મેડિકલ રિપોર્ટ મૂકયો એમાં તંત્રની ધરાર અવગણના છે. આવામાં મજબૂત પીઠબળ ન હોય તો કોઈ આવી હિંમત ન કરે. વળી આટલી રજા તેમની પાસે હતી કે રજામાં પણ હાજરી પુરાઈ તે સ્પષ્ટ નથી. 

આ અગાઉ દુબઈને મુદ્દે નોટિસ બજાવાઈ હતી ને ત્યારે ભૂલ કબૂલીને પણ, દુબઈના આંટાફેરા તો ચાલુ જ રખાયા હતા. સરકાર આવી કોઈ ગેરરીતિ ચલાવવા માંગતી નથી એમ ભલે કહે, પણ ગેરરીતિ તો ચાલી જ છે. 33 વખત દુબઈ આવનજાવન ચાલતી હોય, એ અંગેની નોટિસ બજાવાઈ હોય ને આચાર્યે ભૂલ કબૂલી હોય ને પછી પણ અવરજવર ચાલુ જ હોય તો એમાં શિક્ષણ સમિતિની ને સરકારની ઘોર ઉપેક્ષા જ છે, એવું નહીં? તો, સરકાર ગેરરીતિ ચલાવવા માંગતી નથી એવા દાવાની આચાર્ય પર કોઈ અસર નથી એમ જ માનવું પડે.

ગુજરાતના રાજ્ય શિશણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા

એકથી વધુ વખત માંદગીની રજા મુકાઇ હોય તો મંજૂર થયા વગર બીજી રજા સાધારણ રીતે ન મુકાય એમ બને. મતલબ કે સંજય પટેલ માંદગીની રજા મંજૂર કરાવ્યા વગર તો નહીં ગયા હોય, તો સવાલ એ થાય કે એટલી રજા મંજૂર કરી કોણે? આ બધું મંજૂર થયું હોય તો પણ અને ન થયું હોય તો પણ સંબંધિત અધિકારીની રહેમ નજર વગર આખું કોળું દાળમાં જાય નહીં. રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ માંદગીને બહાને અવરજવર કરી હશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે ને મૂળ મહેસાણાના સંજય પટેલ પર ACBમાં કેસ થતો હશે તો તે પણ થશે એવું કહેવાયું છે, પણ સીધો સવાલ  તો એ છે કે સંજય પટેલનું સસ્પેન્શન કેટલું ટકશે, કારણ જે વ્યક્તિ 33 વખત નોટિસ છતાં, દુબઈ જઈ શકતી હોય એને માટે સસ્પેન્શન રદ કરાવવાનું બહુ મુશ્કેલ નહીં જ હોય. 

એ સૌથી વધુ દુ:ખદ છે કે શિક્ષણના ક્ષેત્રમાં પડેલો એક આચાર્ય શાળાના અન્ય શિક્ષકોની કે વિદ્યાર્થીઓની કે તેમનાં ભણતરની જરા જેટલી પણ ચિંતા કર્યા વગર પોતાના ધંધામાં જ રચ્યો પચ્યો રહે છે ને તેને કોઈ પૂછનાર નથી. આવું આચાર્ય જ કરે છે એવું નથી ને આ કૈં પહેલો કિસ્સો છે એવું પણ નથી. આ અગાઉ પણ કેટલાક શિક્ષકો વિદેશ રહીને અહીંનો પગાર ખાતા હતા ને હાજરી પુરાવતા હતા. છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા 60 જેટલા શિક્ષકોને વારંવાર સૂચનાઓ અપાયા છતાં તેઓ હાજર થયા ન હતા ને પરિણામ બરતરફીમાં આવ્યું હતું. 

સવાલ એ છે કે જો વિદેશનું જ એક માત્ર આકર્ષણ હોય તો અહીં શિક્ષક કે આચાર્ય થવાની અનિવાર્યતા શી છે? અહીં દર મહિને 60-70 હજાર ગજવે ઘાલવાના અને વિદેશની રકમથી પણ હોજરી ભરવાની, આવી માનસિકતા ભૂખ્યા વરુને પણ શરમાવે એવી છે. દુ:ખદ તો એ છે કે આવું બીજા કોઈ નહીં, પણ શિક્ષકો કરે છે. આમ પણ પેન્શન વગેરેના લાભો ન આપવા પડે એટલે સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરતી નથી ને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખે છે. હવે શિક્ષકો જ જો આવા ભુખાળવી માનસિક્તાવાળા હોય તો સરકાર કાયમી શિક્ષકો શું કામ રાખે? એક તરફ આવા હરામી શિક્ષકો છે ને બીજી તરફ ખરેખર ભણાવવા ઇચ્છતા શિક્ષકો છે ને કરુણતા એ છે કે તેમને ભણાવવાની તક નથી મળતી. 

યુનિવર્સિટીથી લઈને પ્રાથમિક શિક્ષણમાં ખુશામતખોરી એટલી ઊંડે ઊતરી ગઈ છે કે ઠેર ઠેર રાજકીય વગ સિવાય બીજું કૈં અનુભવાતું જ નથી. પ્રવેશોત્સવો, તહેવારોની ઉજવણીઓ, ચોક્કસ દિવસોના તમાશાઓમાં રાજકારણીઓનો, નેતાઓનો જ મહિમા થાય છે. ઘણીવાર તો શંકા પડે કે ઉજવણી માટે નેતાઓ આવે છે કે નેતાઓ માટે ઉજવણીઓ આવે છે? એમાં જે ખરેખર ભણાવવા માંગે છે એ આચાર્યો ને શિક્ષકો અન્ય કામોમાં એવા જોતરી દેવાય છે કે તેઓ વર્ગખંડ સુધી પહોંચી જ નથી શકતા. ઘણા શિક્ષકો કોમ્પ્યુટર પર પરિપત્રોના જવાબો આપવામાં અને ડેટા ભરવામાં જ એટલા વ્યસ્ત રહે છે કે વિદ્યાર્થીઓએ શિક્ષકોને વર્ગખંડમાં ભણાવવા તેડવા જવું પડે છે ને શિક્ષકો કારકૂનીમાંથી જ પરવારતા નથી. પરવારે તો ભણાવેને !

એક દાખલો જોઈએ. રાજ્યની શાળાઓમાં ઇ-કેવાયસી ચાલ્યું. હવે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (અપાર) આઈ.ડી. બનાવવાની પ્રક્રિયા ચાલે છે. અપાર આઈ.ડી. બનાવવા માટે વિદ્યાર્થીઓના ડાયસ ડેટાને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાના હોય છે. એમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે એ રીતે કે ડાયસ અને આધારમાં નામમાં સાધારણ ફેર હોય તો પણ અપાર આઈ.ડી. બનતું નથી. બીજી તરફ ઉપરી અધિકારીઓ કામગીરી નથી થતી એવું કહીને આચાર્યો, શિક્ષકો પર પસ્તાળ પાડતા રહે છે. એક તો એટલી બધી જાતના કાર્ડ માથે મરાયા છે કે 52 પાનાંની કેટ પણ ઓછી પડે. આ બધું આમ તો વિગતોની ચોકસાઇ માટે છે, પણ એની સમાંતરે એટલા બધા નકલી કાર્ડ બને છે કે બધી ચોકસાઈ ક્યારે હવા થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. આ અપાર આઈ.ડી. બનાવવામાં પથારી શિક્ષણની ફરી ગઈ છે. ગુજરાત આખાનું શિક્ષણ કાર્ય ખોરવાઇ રહ્યું છે ને એની કોઈને પરવા નથી. શિક્ષણ વિભાગ એનો રેકોર્ડ સરખો રહે એ માટે આ બધો વેપલો કરે છે. એ સરખો થાય એ માટે શિક્ષકો સતત રોકાયેલા રહે છે. એ ઉપરાંત પણ શિક્ષણ સિવાયની એવી એવી કામગીરીઓ શિક્ષકો પાસે આવે છે કે વર્ગશિક્ષણ ખોરંભાયા વગર ન રહે. 

શિક્ષણ માટે આખો વિભાગ હોય ને શિક્ષણ જ ચાલવાનું ન હોય, તો શિક્ષણ વિભાગ હોય કે ન હોય, શો ફેર પડે છે? પણ શિક્ષણ વિભાગ છે ને એ તો રહેશે જ ! શંકા, શિક્ષકો કે વિદ્યાર્થીઓ રહેશે કે કેમ એની છે ને એથી ય મોટી ચિંતા આ બધું હોય તો પણ, શિક્ષણ હશે કે કેમ એની છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ડિસેમ્બર 2024

Loading

ચૂંટણી વિજય એ મેનેજમેન્ટનું પરિણામ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|1 December 2024

રમેશ ઓઝા

પહેલાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં અને એ પછી મહારાષ્ટ્ર, ઝારખંડ તેમ જ દેશભરનાં ૧૩ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાઓની પેટા-ચૂંટણીમાંથી મુખ્યત્વે ઉત્તર પ્રદેશની દસ બેઠકોની પેટા-ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે. સર્વેક્ષણ કરનારાઓએ હવે આબરૂ ગુમાવી દીધી છે એટલે તેમનાં અનુમાનોનાં સાચા-ખોટાપણા વિષે વાત પણ કરવી એ બેવકૂફી છે. વારંવાર નાક કપાતું હોવા છતાં તેઓ રંગમંચ છોડતા નથી, કારણ કે તેમને પૈસા મળે છે અને શરમ જેવું તેમની પાસે કશું છે નહીં. આમ સર્વે કરનારાઓને છોડી દઈએ પણ જેઓ પ્રતિષ્ઠા ધરાવે છે એવા અનુભવી અને ઊંડો અભ્યાસ ધરાવનારા રાજકીય સમીક્ષકોએ પણ જે અનુમાન કર્યાં હતાં એ ખોટા સાબિત થયાં છે. જે તે રાજ્યોમાં જિલ્લા અને તાલુકા સ્તરે કામ કરનારા સ્થાનિક પત્રકારોની અને લોકોની સાદી સમજ પણ ખોટી સાબિત થઈ છે. ત્યાં સુધી કે ભા.જ.પ.ના સમર્થકોએ પણ આવા વિજયની કલ્પના નહોતી કરી.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર તો ચૂંટણી પહેલાં જ અને ચૂંટણી દરમ્યાન પરાજીત મનોદશામાં હતા અને તે તેમના ચહેરા પર તેમ જ તેમનાં કથનોમાં જોવા મળતું હતું. તેમને ૪૧ બેઠકો મળી ગઈ. બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી ગયું. શરદ પવાર જેવો મહારાષ્ટ્રનો દિગ્ગજ અને વિચક્ષણ નેતા આટલી આસાનીથી અને આટલી ખરાબ રીતે પરાજીત થાય? મેં મારી કોલમમાં લખ્યું હતું કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં બી.જે.પી.ને ક્યારે ય સ્પષ્ટ બહુમતી મળી અને રાજ્ય પર કબજો કરી શક્યું નથી. મહારાષ્ટ્રમાં કાઁગ્રેસનાં મૂળિયાં એટલાં ઊંડા છે કે તે નેસ્તનાબૂદ થતી નથી. મહારાષ્ટ્રમાં બી.જે.પી.નો પ્રવેશ હંમેશાં મુશ્કેલ રહ્યો છે. આ વખતે જો બી.જે.પી.એ વધારે બેઠકો પર ચૂંટણી લડી હોત અને સાથી પક્ષોને ઓછી બેઠકો આપી હોત તો તે જરૂર ૨૮૮ સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી લેત. બી.જે.પી.એ ૧૪૯ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેના ૧૩૨ ઉમેદવાર વિજયી થયા હતા. આમ મહારાષ્ટ્રની કુલ ૨૮૮ બેઠકોમાંથી ૪૫ ટકા બેઠકો બી.જે.પી.એ મેળવી છે. બી.જે.પી.નો સ્ટ્રાઈક રેટ ૮૮.૫૯ ટકાનો છે. આની સામે શરદ પવારની રાષ્ટ્રવાદી પક્ષનો સ્ટ્રાઈક રેટ માત્ર ૧૧.૬૨ ટકાનો છે અને સામે ભત્રીજાના પક્ષનો સ્ટ્રાઈક રેટ ૬૯.૪૯ ટકા છે. અજીત પવારના પક્ષને જે ૪૧ બેઠકો મળી છે એ બી.જે.પી.ને કારણે મળી છે અને એકનાથ શિંદેની શિવસેનાને પણ બી.જે.પી.ના કારણે ફાયદો થયો છે.

આવું કેમ બન્યું? માત્ર છ મહિનામાં પ્રજાનો રાજકીય અભિપ્રાય અને મૂડ બદલાઈ ગયો? લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં, મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને જબરદસ્ત માર પડ્યો હતો. લોકસભામાં બી.જે.પી.એ બહુમતી ગુમાવી એ મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનને કારણે. ઝારખંડમાં એન.ડી.એ.ને કુલ ૧૪ બેઠકોમાંથી નવ બેઠકો મળી હતી અને ‘ઇન્ડિયા’ ગઠબંધનને ૧૪માંથી પાંચ મળી હતી. એન.ડી.એ.ને મળેલી નવ બેઠકોમાં બી.જે.પી.ની સાત બેઠકો હતી. લોકસભાની ચૂંટણીમાં ૨૪૦ બેઠકો સાથે બી.જે.પી.નું નાક જળવાઈ રહ્યું એ ઝારખંડ, બિહાર અને ઓડીશાના કારણે. આ વખતે ઝારખંડમાં બી.જે.પી.નો પરાજય થયો. તો આ પરિણામો શું સૂચવે છે.

હંમેશની માફક ઈ.વી.એમ. પર શંકા કરવામાં આવે છે, પણ આ વખતે શંકા વધારે પ્રબળ છે, કારણ કે જે પરિણામ આવ્યાં છે એ સાદી બુદ્ધિથી વિચારો તો ગળે ઉતરે એવાં નથી. એક વાત સ્વીકારવી રહી કે ઈ.વી.એમ. સાથે ચેડાં થઈ શકે છે એવા કોઈ જડબેસલાક પૂરાવા હજુ સુધી મળ્યા નથી. બીજું ચૂંટણી પ્રક્રિયામાં ઉપરથી નીચે સુધી હજારો લોકો સેવા આપતા હોય અને એટલા બધા લોકોને મેનેજ કરવા શક્ય નથી. જો કે ટેસ્લા અને એક્સ(ટવીટર)ના માલિક એલન મસ્ક કહે છે કે હવે એ.આઈ. (આર્ટીફિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા ઈ.વી.એમ. મશીન સાથે ચેડાં થઈ શકે છે. ભલે હજારો લોકો ચૂંટણીની પ્રક્રિયામાં સંડોવાયેલા હોય, પણ થોડા લોકોને છોડીને કોઈને કશી ખબર પણ ન પડે. મારું એવું માનવું છે કે ઈ.વી.એમ.માં ચેડાં થતાં હોય કે ન થતાં હોય, થઈ શકતા હોય કે ન થઈ શકતા હોય, નાગરિકોનાં મનમાં તેમ જ પ્રતિસ્પર્ધી પક્ષોના મનમાં શંકા હોય તો તેનો અંત આવવો જોઈએ અને જૂની મતપેપરવાળી પદ્ધતિ પાછી લાગુ કરવી જોઈએ. ચૂંટણી લોકતંત્રનો પ્રાણ છે અને તે શંકાતીત હોવી જોઈએ. પ્રજાનો ભરોસો સર્વોપરી છે. જગતના મોટા ભાગના લોકશાહી દેશો ઈ.વી.એમ.નો ઉપયોગ નથી કરતા એનું કારણ છે પ્રજાનો ભરોસો. ભરોસા વિનાનું લોકતંત્ર લોકતંત્ર ન ક્હેવાય. ચૂંટણી શંકાતીત હોવી જોઈએ અને દરેકને એમ લાગવું પણ જોઈએ.

પણ અહીં એક મહત્ત્વનાં પરિવર્તન બાબત મારે ધ્યાન દોરવું છે. લોકસભાની ચૂંટણી પછી તમે જોયું હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીકીય રણભૂમિનાં કેન્દ્રમાં નથી જેટલા લોકસભાની ચૂંટણી સુધી હતા. મોદી કી ગેરંટીના હોર્ડીંગ્ઝ પણ જોવા નથી મળતા અને તેવી કોઈ ભાષા પણ જોવા નથી મળતી. નરેન્દ્ર મોદી હજુ પણ સ્ટાર પ્રચારક છે, પણ તેમને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવામાં નથી આવી રહી. સભાઓ, રેલીઓ, રોડ શોઝ, પ્રચારસાહિત્ય અને ગોદી મીડિયા એમ સર્વત્ર નરેન્દ્ર મોદી એ સ્થાન નથી ધરાવતા જે લોકસભાની ચૂંટણી સુધી ધરાવતા હતા. આ પરિવર્તન સમજવા જેવું છે.

નરેન્દ્ર મોદી પક્ષને એક ઊંચાઈ સુધી લઈ ગયા અને હવે વધારે ઊંચાઈએ લઈ શકે એમ નથી તેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ખાતરી થઈ ગઈ છે. ૧૯૮૭-૧૯૯૪નાં વર્ષોમાં લાલકૃષ્ણ અડવાણીએ પક્ષને એક ઊંચાઈ અપાવી એ પછી સંઘને ખાતરી થઈ ગઈ હતી કે હવે તેઓ પક્ષને વધારે આગળ લઈ જઈ શકે એમ નથી અને ત્યારે તેમને કેન્દ્રમાંથી દૂર ખસેડ્યા હતા. જેમને ૧૯૮૭ પછી કેન્દ્રમાંથી દૂર કર્યા હતા એ અટલ બિહારી વાજપેયીને પાછા કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. વિચારધારા અને વિચારધારા આધારિત કાર્યર્તાઓની મોટી ફોજ ધરાવનારા સંગઠનો કે રાજકીય પક્ષો માટે વ્યક્તિ એક સાધન માત્ર હોય છે. દેશને અને દુનિયાને ભલે એમ લાગે કે મોદીયુગ અમર તપે છે, પણ સંઘપરિવાર માટે મોદીયુગ સમાપ્ત થઈ ગયો છે. હવે આગળ માટે નરેન્દ્ર મોદીથી નિરપેક્ષ સ્વાયત માર્ગ તેમણે વિકસાવી લીધો છે અને તેને અપનાવવામાં આવી રહ્યો છે. એ માર્ગ વિકસાવવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો મોટો હાથ છે એમાં કોઈ શંકા નથી, પણ એ માર્ગ વ્યક્તિનિરપેક્ષ સ્વાયત્ત છે. પક્ષને ઉપર લઈ જવામાં નરેન્દ્ર મોદીની જે ભૂમિકા હતી એ હવે પૂરી થઈ.

શું છે એ માર્ગ? હવે સંઘ અને બી.જે.પી. મળીને ચૂંટણીને મેનેજ કરે છે. કઈ રીતે? એક. પ્રચંડ સંસાધનો દ્વારા અને સંસાધનોમાં પ્રતિસ્પર્ધીને ક્યાં ય પાછળ મૂકી દઈને. બે. પ્રત્યેક મતદારક્ષેત્રનાં અંગ્રેજીમાં કહીએ તો માઈકો મેનેજમેન્ટ દ્વારા. ત્રણ. પોતાની કેડરને ઉતારીને અને વોટ કટવાઓને ચોક્કસ ટાર્ગેટ આપીને. બી.જે.પી.ને જે વિજય મળ્યો છે એ આ મેનેજમેન્ટનું પરિણામ છે, તેને નરેન્દ્ર મોદીની ઘટેલી કે વધેલી લોકપ્રિયતા સાથે સંબંધ નથી. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એક, એક શું એકમાત્ર ફેક્ટર હતા. હવે નથી. લાલકૃષ્ણ અડવાણીએ જેટલી જગ્યા બનાવી આપી હતી તેને પક્ષે અને સંઘે પકડી રાખી હતી. અત્યારે નરેન્દ્ર મોદીએ જેટલી જગ્યા બનાવી આપી છે એને પકડી રાખવાની છે. સત્તાવાંછુ અન્ય પક્ષોમાં અને વિચારધારા આધારિત કેડર ધરાવતા પક્ષમાં આ ફરક છે. જેટલું એકઠું કર્યું એ જાળવી રાખો અને હજુ ઉપર ચડવા અવસરની રાહ જુઓ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 01 ડિસેમ્બર 2024

Loading

રાહુલ ગાંધી અને કાઁગ્રેસઃ  એક સાંધે ત્યાં તેર તૂટે એવા સંજોગોમાં પોતાનાં મૂલ્યો પારખી પાકા કરવાનો વખત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 December 2024

રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા

ચિરંતના ભટ્ટ

2019માં કાઁગ્રેસે ચૂંટણી હારી એ પછી રાહુલ ગાંધીએ એવો નિર્ણય જાહેર કર્યો કે પોતે કાઁગ્રેસ પ્રમુખની પદવી પરથી રાજીનામું આપી દઇને હારની તમામ જવાબદારી સ્વીકારી લેશે. એ વખતે પત્રકાર બરખા દત્તે એક ટિપ્પણી કરતાં લેખમાં એમ ટાંક્યું હતું કે આ રાજીનામાથી કાઁગ્રેસમાં કોઇ મોટો ફેર આવવાનો નથી કારણ કે કાબૂ તો ગાંધી પરિવારના હાથમાં જ રહેશે અને કાઁગ્રેસની કાર્યકારી સમિતિમાં ખરેખરની પારદર્શી ચૂંટણી થાય તો પક્ષને નવું નેતૃત્વ મળી શકે. વળી ત્યારે તેણે એમ પણ લખ્યું હતું કે સચીન પાયલટ અને શશી થરુર જેવા મોટા માથાઓ જે પક્ષમાં પરિવર્તન લાવી શકે છે તેમની તરફ આંખ આડા કાન કરાય છે. ટૂંકમાં પરિવાર જ્યાં સુધી પક્ષ પરથી કાબૂ જતો નહીં કરે ત્યાં સુધી કોઇ મોટા ફેરફાર આવવાના નથી. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું અને એ પછી કાઁગ્રેસ કાર્યકારી સમિતિમાં કોઇ પદ ન લીધું. વચગાળામાં સોનિયા ગાંધીએ એ પદ સંભાળ્યું અને હવે 2022થી મલ્લિકાર્જુન ખરગે કાઁગ્રેસ કાર્યકારી સમિતિના પ્રમુખ છે. કાઁગ્રેસ પક્ષ કાં તો સદંતર દિશા હીન છે અથવા તો એમણે એટલી બધી દિશાઓમાં કામ કરવાનું છે કે ક્યાંથી શરૂ કરવું એ સમજાય એમ રહ્યું નથી. જે કંઇ થોડો ઘણો અવાજ થાય છે, કોઇ કંઇ બોલે છે તો તે મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંભળવા મળે છે.

રાહલુ ગાંધીએ લોકો સુધી પહોંચવાની, લોકો સાથે જોડાવાની કોશિશ કરવામાં કોઇ કચાશ નથી છોડી, પણ કમનસીબે કાઁગ્રેસને ધાર્યું પરિણામ નથી મળતું. હા, લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના 400 પારના નારાને સાચો ન પડવા દીધો પણ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કાઁગ્રેસે મ્હોં ભેર પછડાટ ખાધી. રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા. લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને ધક્કો મળ્યો તો ભા.જ.પા. સતર્ક થઇને વિધાનસભાની ચૂંટણીમાં બાજી હાથમાં રહે એ માટે મચી પડી પણ કાઁગ્રેસના પ્રયાસો ઠાલા નિવડી રહ્યા છે. રાહુલ ગાંધીએ લવ વર્સિસ હેટનું જે નેરેટિવ પકડ્યું તેને પણ ધારી સફળતા ન મળી અને લઘુમતી મતદારોને પણ એ વાતો ગળે ન ઉતરી. રાહુલ ગાંધી જે કરે છે એ પોતાનું સો ટકા આપીને કરવા માગે છે, પણ છતાં ય 2007 પછી જ્યારથી તેમણે કાઁગ્રેસનું સુકાન સંભાળ્યું છે, પક્ષનો ચહેરો બન્યા છે જાણે ગ્રહો જ આડા ચાલતા હોય એવી હાલત થઇ ગઇ છે. તાજેતરના પરિણામોની વાત કરીએ તો કાઁગ્રેસને ક્યાંક જોરદાર જીત મળી, જેમ કે કર્ણાટક તો ક્યાંક સરિયામ હાર મળી, જેમ કે મહારાષ્ટ્ર. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી તેમની છબી સુધરી, લોકોને લાગ્યું કે તેમને ગંભીરતાથી લેવા જોઇએ પણ છતાં પણ કાઁગ્રેસમાં એક પક્ષ તરીકે જે બદલાવ આવવા જોઇએ તે ન આવી શક્યા.

પ્રિયંકા ગાંધી

શું રાહુલ ગાંધીએ પોતાની બહેનને કાઁગ્રેસ સંભાળવાની પૂરેપૂરી જવાબદારી આપી દેવી જોઇએ એવી પણ એક શક્યતા ચર્ચાતી રહે છે. રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં વધારે આગળ પડતો ભાગ ભજવવાનું નક્કી કર્યું અને તે મહિલા મતદારો સાથે ખાસ કરીને કલ્યાણલક્ષી યોજનાઓને પગલે સારી પેઠે જોડાઇ શક્યાં છે. ઇંદિરા ગાંધીએ એક સમયે પ્રિયંકા ગાંધી માટે એમ કહેલું કે લોકોને તેમનામાં મારી છબી દેખાશે પણ આખરે તે રાજકારણને બદલશે. કાઁગ્રેસ પાસેથી થોડી ઘણી આશા રાખનારા લોકોનું પણ માનવું છે કે પ્રિયંકા ગાંધી હશે તો કદાચ વિખેરાયલી કાઁગ્રેસને કોઈ દિશા મળે. ભા.જ.પા.એ રાહુલ ગાંધીને ‘પપ્પુ’નું ઉપનામ આપ્યું અને પ્રિયંકા ગાંધીએ જ્યારે પણ રાજકારણમાં કંઇક આગળ પડતું કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભા.જ.પા.એ તેની પણ ટીકા કરી છે. પણ એ રાહલુ ગાંધી જેટલા ટાર્ગેટ થતા રહે છે તેની સરખામણીએ ઘણું ઓછું છે. વળી પ્રિયંકા ગાંધીની રાજકીય અપીલ છે. ભા.જ.પા.માં એક સમયે સુષમા સ્વરાજ જેવાં નેતાઓ હતાં, પણ આજે એક મજબૂત મહિલા અવાજની ભા.જ.પ.માં ચોક્કસ ખોટ છે એમ કહી શકાય. સ્મૃતિ ઈરાની જેવાં ચહેરાઓ ભા.જ.પા. પાસે છે એ ખરું પણ પ્રિયંકા ગાંધી તેની સામે ઝિંક ઝિલી શકે એમ અત્યારે તો લાગે છે. પ્રિયંકા ગાધી ધારે તો કાઁગ્રેસમાં ધરમૂળથી ફેરફાર લાવી શકે છે અને તેમ કરવામાં તેમણે રાહુલ ગાંધીનાં કોઇ મૂલ્યોને જતાં કરવાની જરૂર નથી.

આ તરફ રાહુલ ગાંધીમાં કાઁગ્રેસને બદલીને ફરી બેઠી કરવાની, મજબૂત બનાવવાની તાકાત છે એવું નેરેટિવ ખડું કરવામાં કાઁગ્રેસ કોઇ કચાશ નથી છોડતી.  તાજેતરમાં જ સંસદ સભ્ય રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી, તેમની કામ કરવાની શૈલી વગેરેને કેન્દ્રમાં રાખીને ‘રાહુલ ગાંધી – વ્યાકુલ મન કા નાયક’ પુસ્તકમાં સંજીવ ચંદને વિગતે વાત કરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કાઁગ્રેસની નિષ્ફળતાઓની પણ પુસ્તકમાં વાત કરાઇ છે. તેમના મતે રાહુલ ગાંધીમાં પિતા રાજીવની સાદગી અને નમ્રતા છે, માતા સોનિયા ગાંધીની સામાજિક-રાજકીય સંકલનની આવડત છે પણ દાદી ઇંદિરા ગાંધી જેવી હિંમત નથી, ખાસ કરીને રાજકીય પદ્ધતિઓ કે આદર્શોને મામલે –  આ બાબત સફળ રાજકારણી માટે અનિવાર્ય છે. રાહુલ ગાંધીએ લીધેલાં કેટલાક નિર્ણયો પણ કાઁગ્રેસની છબીને નબળી પાડવામાં મોટો ભાગ ભજવી ગયા છે, જેમ કે 2013માં લેજિસ્લેટિવ રિવર્સલ. રાહુલ ગાંધીને નેતૃત્વમાં સાતત્ય નથી જળવાતું, ક્યારેક તે શૂરવીરની જેમ ઝંપલાવે છે તો ક્યારેક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સમય વેડફતા દેખાઇ આવે છે તો ક્યારેક બોલવામાં ભગાં કરે છે. સરવાળે ગેરલાભ કાઁગ્રેસને જાય છે અને ગાંધી પરિવાર માટેનો અણગમો પણ વધતો જાય છે.

રાજકારણ ‘નેરેટિવ’ – કથાનક પર ચાલતો ખેલ છે. રાહુલ ગાંધીએ આ વખતે લોકશાહી બચાવો વાળા નેરેટિવને આગળ કર્યું તો ખરું પણ મોટા ભાગના ભારતીય મતાદાતાઓને નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.થી લોકશાહીને નુકસાન થાય છે એમ નથી લાગતું. વળી લોકસભાની ચૂંટણીમાં જરા બહેતર દેખાવ થયો એમાં કાઁગ્રેસ ગેલમાં આવી ગઇ અને માની લીધું કે ભા.જ.પા. – મોદી સરકારના નેતૃત્વ પર કાઁગ્રેસ અસર કરી શકે છે – આ આત્મવિશ્વાસ પણ કાઁગ્રેસને ભારે પડ્યો. હરિયાણાનો ફટકાને કારણે કાઁગ્રેસને તમ્મતર આવી ગયા. કાઁગ્રેસ જાતને આધારે વસ્તી ગણતરીની વાત કરવા ઇચ્છતી હતી પણ ભા.જ.પા.એ આખી વાતને વિભાજનકારી ગણાવીને મતદાતાઓનું મન બદલી નાખ્યું. કાઁગ્રેસના હવે એવા હાલ છે કે તેમણે દરેક રાજ્યમાં, દરેક સંગઠન કરનારા પક્ષ સાથે અલગ અલગ દૃષ્ટિકોણથી અને અભિગમથી કામ પાર પાડવું પડશે.

આખે આખી કાઁગ્રેસના નેતૃત્વએ પોતાની જવાબદારીઓનું સરવૈયું કાઢવું પડશે, એ દિશામાં કામ કરવું પડશે. સૌથી અગત્યનું તો એ કે આ બદલાવની શરૂઆત રાહુલ ગાંધી અને મલિલ્કાર્જુન ખરગેથી થવી જોઇ. કાઁગ્રેસ હતી ન હતી થઇ જાય એ પહેલાં નેતૃત્વમાં, પક્ષના બંધારણ અને અભિગમમાં બદલાવ એ તેમના સૌથી પહેલાં એજન્ડા હોવા જોઇએ. ઝારખંડના પરિણામને મહારાષ્ટ્રના પરિણામની સામેની કાઁગ્રેસની સિદ્ધિ તરીકે જોવાની ભૂલ કરનારાઓ સારી પેઠે જાણે છે કે આ એક પોકળ દલીલ છે અને આવા પોકળ મુદ્દાઓને નેવે મૂકીને કાઁગ્રેસે પોતાની ભૂંસાઈ રહેલી લીટી નવેસરથી દોરવાની દિશામાં કામ કરવું જોઇએ અને ભા.જ.પા.ની લીટી નાની કરવાના પ્રયાસો પડતા મુકવા જોઇએ.

બાય ધી વેઃ 

રાહુલ ગાંધી નક્કર નેતૃત્વ આપાવમાં નિષ્ફળ રહ્યા છે અને પક્ષના લોકો તેમની વાહવાહી કરીને રાજકુમારની માફક તેમને માથે બેસાડવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમના પ્રયાસોમાં નકરી સચ્ચાઈ હોવા છતાં તેઓ કંઇ બહુ પ્રભાવ નહીં જ પાડી શકે એ એક ન ગમે એવી હકીકત છે. પરિવારવાદ મતદારોને તો કઠ્યો જ પણ હવે તો કાઁગ્રેસનો હિસ્સો રહેલા નેતાઓએ પણ એ બાબતે પોતાનો અણગમો જાહેર કરી જ ચૂક્યા છે. વાયનાડમાં લધુમતિના મળેલા ટેકાને આધારે ભવિષ્યની વ્યૂહરચના બનાવવાની ભૂલ કાઁગ્રેસ ન કરે તો સારું. કાઁગ્રેસે વાસી મુદ્દાઓ પર દેકારા કરવાનું બંધ કરી, ભા.જ.પા.ના નારાઓનો જવાબ આપવાનું છોડી દઇને પોતાનાં મૂલ્યોને પારખી, તેમને પાકા કરી બેઠા થવું પડશે નહીંતર વધુ કપરો સમય જોવો પડે એમ થઇ શકે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે 89 ચૂંટણીમાં હાર વેઠી છે, આ આંકડો સો પર પહોંચે નહીં તેની જવાબદારી કાઁગ્રેસના સભ્યોની છે, તેમણે ગાંધી પરિવારની પાર અને પર જઇને વિચારવું પડશે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2024

Loading

...102030...502503504505...510520530...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved