Opinion Magazine
Number of visits: 9663126
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂખ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|8 December 2025

કાળો કાંબળો ઓઢીને અજવાળામાં પડછાયાની  જેમ ચાલતી એ વ્યક્તિને રોકવા પોલિસે બૂમ પાડી. “અરે એ, ઊભો રહે, તને સંભળાય છે કે ? રાતના અગિયાર વાગે આમ ક્યાં ચાલ્યો જાય છે ?”

પોલિસ વર્દી પહેરેલો પોલિસ હાથમાં દંડો હલાવતો ચાલનારની પાછળ ઝડપથી દોડ્યો  અને ચાલનારાનો ઓઢેલો કાંબળો એણે ખેંચી કાઢ્યો. ફાટેલાં કપડાં પહેરેલાં અને ખભે સૂતેલા ચાર વર્ષના બાળકને લઈને ચાલનારાને એ દબડાવતો હતો. લોકડાઉનનો ભંગ કરનાર અને પોતાની સાથીદાર જોડે વાતોમાં ખલેલ પહોંચાડનારને મારવા એણે દંડાવાળો હાથ ઉગામ્યો, પણ એના ખભે સૂતેલું ચારેક વર્ષનું બાળક જોઈ એનો ઉગામેલો હાથ હવામાં જ અદ્ધર રહી ગયો ! એને આમ મોટા અવાજે કોઈકને ધમકાવતો સાંભળીને  પોલીસનો યુનિફોર્મ પહેરેલો એનો  સાથીદાર ચોકીમાંથી બહાર આવ્યો !  આમ  મોડી રાતે લોકડાઉનનો ભંગ કરનાર કોણ હશે ? એ નજીક જઈને ઊભો રહ્યો, એને જોઈને તે  બોલ્યો, “અરે, નારાયણ, તું ? આમ લોકડાઉનમાં આ છોકરાને લઈને ક્યાં નીકળ્યો ?” 

“શું કહું? સારું થયું તમે મને ઓળખ્યો, સુભાષભાઈ. તમારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતો હતો, યાદ છે ને ? પણ આ કોવિડમાં મારો ધંધો ઠપ થઈ ગયો છે, આ છોકરો બે દિવસથી ભૂખ્યો છે ને દૂધની જીદ કરીને રડ્યા કરે છે. ઘરમાં બે દિવસથી રંધાયું નથી અને સાહેબ આ છોકરાને દૂધ ……”

“ઊભો રે, નારાયણ, ઊભો રે  ! હું પેલી બાજુની ડેરીવાળાને ત્યાંથી મારા ઘર માટે બે દૂધની કોથળી લાવ્યો છું, લે તું એક લઈ જા. ને જો આમ લોકડાઉનમાં નાના છોકરાને સાથે લઈને બહાર નીકળાય નહીં !”

“પણ સાહેબ ……”

“જો હવે આપડે કોવિડની બહુ ચિંતા કરવા જેવી નથી. આ કદાચ છેલ્લું  જ લોકડાઉન હશે પછી બધું બરાબર થઈ જશે.” 

“એ કઈ રીતે, સાહેબ ?” 

“હવે કોવિડની રસી નીકળી છે, બધાએ એ રસી લેવી પડશે, પછી  કોવિડ  નહીં, ને આ લોકડાઉન પણ નહીં !” 

“પણ સાહેબ, આ ભૂખનું શું ? બે દિવસથી મેં કે મારી ઘરવાળીએ ખાધું નથી. સાહેબ, એક વાત પૂછું ?”

“હા, હા બોલ. બીજું કશું જોઈએ ?”

“ના સાહેબ, પણ આ ભૂખ જ ના લાગે એવી કોઈ રસી છે ?” એની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુભાષે અંદર જઈને ગ્લુકોઝના બિસ્કિટના બે પેકેટ એને પકડાવી દીધા. શાકભાજીના લારીવાળાએ આભારવશ એની સામે જોઈને કહ્યું, “સાહેબ, ભૂખ ના લાગે એવી રસી નીકળે તો મને કહેવાનું ભૂલતા નહીં !” ને એ ધીરે પગલે અંધારામાં ગાયબ થઈ ગયો.

સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com

Loading

ગાંધીબાગ કે ગાંધી ભાગ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 December 2025

રવીન્દ્ર પારેખ

ભારત પ્રવાસે આવેલા રશિયાના પુતિન રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પવા ગયા તો થોડી રાહત એ વાતે થઈ કે ગાંધીજી હજી આઉટડેટેડ નથી થયા. આજે પણ ગાંધી રોડ કે ગાંધીબાગની હાજરી લગભગ દરેક શહેરમાં છે. એટલું સારું છે કે માર્ગોનાં કે સ્થળનાં નામ બદલવાની ઝુંબેશમાં ગાંધી નામ અત્યાર સુધી તો બદલાયું નથી, પણ તેનો પ્રભાવ ઓસરે તે માટેનાં પ્રયત્નો થતા રહે છે, એટલે સમય જતાં ગાંધી મૂલ્યો કે અર્થો પણ બદલાય તો તેની તૈયારી પણ રાખવાની રહે. વારુ, જ્યાં ગાંધી છે, ત્યાં સાદગી નામની પણ જોવા મળે છે, પણ તેની સત્ય, અહિંસાની વાતોનો ઝાઝો મહિમા રહ્યો નથી. અહિંસાનો ‘અ’ સત્યની આગળ આવી ગયો છે. ગાંધી, સફાઈનો આદર્શ પણ હતા, તે હવે નેતાઓ પૂરતી સીમિત રહી છે. ઘણાં નેતાઓ પ્રસંગોપાત સાફ થયેલા રસ્તાઓ પર ઝાડું મારી લે છે ને એમ ગંદકીને ઊની આંચ નથી આવતી.

થોડા દિવસ પર પાટણના ગાંધીબાગમાંથી દારૂની ખાલી બોટલો ને ગંદકી હાથ લાગવાના સમાચાર હતા, તે પછી સુરતના ગાંધીબાગમાંથી પણ દારૂની ખાલી બોટલો અને ગંદકીના સમાચાર પ્રગટ થયા છે. એ ખરું કે અંગ્રેજોના વખતનો ચોકબજાર વિસ્તારમાં આવેલો ‘રાણીબાગ’ પછી ‘ગાંધીબાગ’ની ઓળખ પામ્યો. એ પછી સુરત આધુનિક થતું ગયું તેમ તેમ ગાંધીજી વધારાના થતા ગયા ને હવે તો બાગની બહાર જ આવી ગયા છે. પ્રસંગોપાત નેતાઓ સૂતરની આંટી ચડાવવા આવે છે, ત્યારે ગાંધીજીને વધુ ‘આંટી ચડે’ છે. એ સિવાય ગાંધીજીએ લાકડીને ટેકે ટકી રહેવા સિવાય બીજો ઈલાજ નથી. આમ તો નામ પૂરતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ વગરનો વિસ્તાર ભાગ્યે જ ક્યાંક હશે. ગાંધીનું મળવું દુર્લભ હશે, પણ દારૂ મળવો દુર્લભ નથી.

ગાંધી કદાચ રમૂજનું, મજાકનું નિમિત્ત હોય એમ બને.

આમ તો ગાંધીબાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખ હેઠળ આવે, એટલે જ કદાચ તે અસામાજિકોનો અડ્ડો બની ગયો હશે. 20,000 સ્ક્વેરમીટરમાં ફેલાયેલો બાગ અત્યારે તો કપાઈ કપાઈને અડધો થઈ ગયો છે. સિક્યોરિટી ગાર્ડ હોય, તો પણ તેની હાજરી બહુ વર્તાતી નથી. એક સમયે શહેરીજનોનાં હરવાફરવાનું એ આકર્ષક કેન્દ્ર હતું. અહીં જ દર રવિવારે પોલીસ બેન્ડ વાગતું. નર્મદની પ્રતિમા પાસે 24 ઓગસ્ટને રોજ મેયર સહિત સાહિત્યકારો નર્મદને પુષ્પાંજલિ અર્પણ કરતાં. 1940માં નર્મદની પ્રતિમાનું કનૈયાલાલ મુનશીએ અનાવરણ કરેલું અને અદ્દભુત પ્રવચન આપેલું. તે પછી વર્ષો સુધી નર્મદ જયંતીએ શાળાનાં બાળકો નર્મદ ગીતો ગાતાં … એ બહુ દૂરનો ભૂતકાળ નથી. નર્મદથી માંડીને શહેરનાં કવિઓની પંક્તિઓથી બાગ શોભતો ને બાળકોથી કિલ્લોલતો …

એ હવે ભેંકાર ભાસે છે. મેટ્રોએ તેને બાનમાં લીધો છે ને દિવસે પણ ત્યાં જવાનું મન થાય એવું વાતાવરણ નથી. એનો લાભ અસામાજિકોએ લીધો છે. કેટલાંક તત્ત્વોએ ગાંધી અને દારૂ વચ્ચે છેટું રહેવા દીધું નથી. ગાંધીની સફાઈની વાતો પર અહીં ગંદકી ફરી વળી છે. એ તો હવે 2 ઓક્ટોબરે મેયર કે અન્ય નેતાઓ આંટી ચડાવવા ગાંધી પાસે ફરકે ને ત્યારે સફાઈ થાય તો થાય ! ન થાય ત્યાં સુધી ગાંધીએ અને બાગે કચરા અને પ્રદૂષણ વચ્ચે રહેવાનું નક્કી છે. આમ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બાગની જાળવણી કરવાની છે, પણ તેના પદાધિકારીઓ પોતાની જાળવણીમાં ને એવોર્ડ્સ સમેટવામાં વ્યસ્ત હોય તો ગાંધીએ જ બાગની જાળવણી કરવાની રહે ને હવે ગાંધી જ આઉટ ડેટેડ મનાતા હોય, તો બાગ કેટલોક તાજગીપૂર્ણ રહે?

બાગ વાસી થયો હોય તો પણ તે વિકાસશીલ છે. તેમાં દારૂની બોટલો ઉપરાંત હવે ડ્રગ્સની સિરિંજ પણ મળી આવે છે. એ પરથી સમજી શકાય એમ છે કે બાગ હવે કેવા લોકોના હાથમાં છે. બાગની મુલાકાતે હવે ઓછા જ જાય છે, પણ જે જાય છે તે એવા આક્ષેપો કરે છે કે સાંજ થતાંની સાથે જ બાગમાં અસામાજિક તત્ત્વો વધવા માંડે છે ને પછી દારૂ અને નશીલા પદાર્થોનું સેવન થાય છે. પાલિકા તેનું ‘બાલિકા’પણું નહીં છોડે તો આવનારા સમયમાં ગાંધીબાગ નહીં, પણ ‘ગાંધી, ભાગ !’ એવું સંભળાય એમ બને. ગાંધીબાગમાં પાલિકા તંત્ર અને પોલીસ જડબેસલાક રીતે સક્રિય નહિ થાય તો આગળ જતાં તે તેનું રહ્યું સહ્યું ગૌરવ પણ ગુમાવશે. અત્યારે પણ તે હાથથી ગયો જ છે, તે સાથે જ અઠવા લાઈન્સની ચોપાટી પણ તૂટીફૂટીને વિખેરાઈ ગઈ છે. તે મેટ્રો સ્ટેશન તરીકે ડેવલપ થાય તે સાથે જ કમર્શિયલ સેન્ટર બનવાનું જોખમ પણ છે જ ! એ જે હોય તે, પણ તે હવે ચોપાટી તરીકે નહીં દેખાય એમ લાગે છે. કોર્પોરેશન ગાંધીબાગ જેવા માટે ઉદાસીન છે, તો ચોપાટી માટે ધંધાદારી વલણ ધરાવે છે. આ બંનેમાં સામાન્ય નાગરિકો માટેનાં આનંદપ્રમોદનાં બે મુખ્ય મથકો લગભગ મટી ગયાં છે.

ગુજરાતના ડેપ્યુટી સી.એમ. સુરતના છે ને દારૂ અને ડ્રગ્સને મુદ્દે પોલીસની કામગીરીની સરાહના કરતા કહેતા રહે છે. તાજેતરમાં જ તેમણે સૌથી વધુ ડ્રગ્સ પોલીસે ગુજરાતમાં પકડ્યું છે એવું વડગામમાં કહ્યું છે. ડેપ્યુટી સી.એમ.ને પોલીસ આટલી સજાગ લાગે તેનો આનંદ જ હોય, પણ સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું હોય તો સવાલ એ થાય કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં ઊતરે છે કોની મહેરબાનીથી? એટલું સારું છે કે ડેપ્યુટી સી.એમ.ને પોલીસ પર ભરોસો છે ને તે અવિરત કામગીરી કરે છે ને કરશે એવો તેમનો વિશ્વાસ પણ અવિરત ટકે તેમ ધારીએ, તે સાથે જ ડેપ્યુટી સી.એમ. અંગત રસ લઈને ગાંધીબાગની તળિયાઝાટક સફાઈ કરાવે તે પણ ઇચ્છીએ. બાય ધ વે, તંત્રોની વાત નીકળી જ છે તો જરા આડ વાત કરીને પણ, એક વાત લાગતા વળગતાઓનાં ધ્યાન પર લાવવાનું જરૂરી લાગે છે.

કોર્પોરેશન દારૂના અડ્ડા તો પકડે કે ન પકડે, પણ વરાછાના ધારાસભ્યની દબાણ હટાવ ફરિયાદને માન આપીને તેણે કામગીરી હાથ ધરી છે. જો કે, ધારાસભ્યે તો ગેરકાયદે પ્રવૃત્તિઓ અને માથાભારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો, પણ સુરતના વરાછા વિસ્તારમાં રસ્તા પર શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓને શનિવારે બળજબરીએ હટાવવાનું કામ શરૂ થયું. લારીઓ ખસેડાઈ. શાકભાજી, લીંબુ રસ્તે ફેંકાયાં અને રડતી મહિલાઓ ધારાસભ્ય પાસે પહોંચી. મહિલાઓનો આક્રોશ જોઈ ધારાસભ્યે સ્પષ્ટ કર્યું કે એક સમસ્યા ઉકેલવા જતાં કોઈને અન્યાય ન થવો જોઈએ. વૃદ્ધાઓનું કહેવું હતું કે અમે કોઈને નડતાં નથી, અમે દારૂ વેચતાં નથી. અમારી પાસેથી કંઇ મળતું નથી, તો અમારો સામાન ઉઠાવી જાય છે. અમે માંડ સો પચાસ રૂપિયા કમાઈએ છીએ, તે અમારો વાંક છે?

વૃદ્ધાઓની કરમની કઠણાઈ તો ત્યાં આવી કે તેમણે અધિકારીઓની ઉદ્ધતાઈનો સામનો કરવાનો આવ્યો. એક વૃદ્ધાએ પોતાનો સામાન છોડાવવા સાહેબને હાથ જોડીને કહ્યું કે હું તમારી માની ઉંમરની છું. મારી લાચારી સમજો, તો સાહેબે કહ્યું કે મારા બાપને એક તો છે, બીજી બાયડીની જરૂર નથી. નિર્લજ્જતાની આ અવધિ છે. તંત્રોની આટલી બેશરમી અને નાલાયકી અસહ્ય છે. તંત્રોની કામગીરીને વખાણતા મંત્રીશ્રી આ મામલે ધ્યાન આપે એવી સહેજે અપેક્ષા રહે. પેલી વૃદ્ધાએ કહ્યું તેમ પોતે સાહેબની માની ઉંમરની છે. માની ઉંમરની-નો અર્થ મા નહીં, એટલી સમજ તો અધિકારી પાસેથી અપેક્ષિત હોય. એટલી સમજ ન દાખવે તો ધૂળ નાખી, પણ સાહેબને કોઈ અધિકાર નથી પહોંચતો કે તે એમ કહે કે મારા બાપની એક બાયડી છે જ, બીજીની જરૂર નથી. વૃદ્ધા બાપની બાયડી બનવા નહોતી ગઈ. માની ઉંમરની પોતાને ગણાવી, ત્યારે અપેક્ષા તો તેની એટલી જ હતી કે તેની ઉંમરની મર્યાદા સચવાય, તેને બદલે સાહેબે સાવ હીન કક્ષાની વાત કરીને પેલી 60-65ની વૃદ્ધાનું જાહેરમાં અપમાન કર્યું. એક તરફ સિનિયર્સને માન-સન્માન આપવાની વાતો ચાલે છે, મહિલા સશક્તીકરણના ગરબા લેવાય છે ને બીજી તરફ અધિકારીઓ વૃદ્ધ સ્ત્રીઓને પૂરી નાલાયકીથી અપમાનિત કરે છે તે દુ:ખદ છે.

ગાંધીબાગની જેમ જ ગાંધી મૂલ્યોનો પણ હ્રાસ થઇ રહ્યો છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે, એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ડિસેમ્બર 2025

Loading

વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|7 December 2025

હિતેશ રાઠોડ

કોઈપણ રાષ્ટ્ર કે સમાજનો પાયો વ્યક્તિ છે. વ્યક્તિ થકી જ સંસ્કૃતિઓ ઉદ્દભવે છે, ફૂલેફાલે છે, વિકસે છે અને એમાંથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણ પામે છે, અને એ અર્થમાં પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર અને સમાજ માટે પાયાની ઈંટ સમાન છે. વ્યક્તિ થકી જ સર્જન થાય અને વિનાશ વેરાય થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સર્જક અને વિધ્વંસક પણ આખરે તો વ્યક્તિ જ છે. આ સકારાત્મક સર્જન અને વિનાશક વિધ્વંસનો આધાર પોતાને મળેલ ભૂમિકા દરેક વ્યક્તિ કેવી અને કેટલા શુભ આશય અને સત્ય-નિષ્ઠાથી નિભાવે છે એના પર રહેલો છે. ટૂંકમાં ઈષ્ટ અને અનિષ્ટ બંનેના પાયામાં પણ મૂળે તો વ્યક્તિ જ હોય છે. સામાન્યત: શુભ, સારું, સત અને ઈષ્ટ સર્જનના પાયામાં જે વ્યક્તિ હોય તે પૂજનીય અને અશુભ, ખરાબ, અસત અને અનિષ્ટ નિર્માણના પાયામાં જે વ્યક્તિ હોય તે નિંદનીય ગણાતી હોય છે. પૂજનીય અને નિંદનીય એમ બંને પ્રકારની વ્યક્તિઓ સારા-નરસા પ્રસંગોપાત લોકમુખે ચર્ચાતી રહેતી હોય છે અને આ બંને પ્રકારની વ્યક્તિઓના સારા અને નરસા યોગદાનને યથાપ્રસંગ લોકો વાગોળતા રહેતા હોય છે.

પોતાનાં કાર્યો હંમેશાં સદ્દભાવ અને સારા આશયથી અને અન્યોના ભલા માટે કરતા હોય છે એવી વ્યક્તિ માટે કરવામાં આવતી વ્યક્તિપૂજા એ કોઈ નવી વાત નથી. આદિ-અનાદિકાળથી વ્યક્તિપૂજા થતી આવી છે અને આગળ પણ થતી રહેશે. સત્યપ્રિય, નિષ્ઠાવાન, કાબેલ, કુશળ, વિદ્વાન, વિચક્ષણ અને નખશીખ નિર્મળ બૌદ્ધિક અને સાત્ત્વિક પ્રતિભા ધરાવતી અને પોતાનાં કાર્યો થકી દેશ અને સમાજમાં પોતાના સકારાત્મક કાર્યોનો પમરાટ ફેલાવતી વ્યક્તિની પૂજા સામે કોઈને ક્યારે ય વાંધો ના હોઈ શકે. આવી વ્યક્તિની વ્યક્તિપૂજા અન્યોને સારુ કરવાની પ્રેરણા પૂરી પાડતી હોય છે. જો કે, હાલમાં જે રીતે અમુક લોકો પોતાની સમજણ અને વિવેકબુદ્ધિના દ્વાર સાવ બંધ કરી, આંધળી વિવેકહીન વ્યક્તિપૂજાને અનુસરી રહ્યા છે એનો રાષ્ટ્ર અને સમાજ પર વિઘાતક પ્રભાવ પડી શકે છે. 

વ્યક્તિપૂજા એ વ્યક્તિની અંગત બાબત છે એની સામે કોઈને વાંધો ન હોઈ શકે પણ જો એ વ્યક્તિપૂજા સમજણ વિનાની અને ગાડરિયા પ્રવાહની માફક સામૂહિક રૂપ ધારણ કરી એકબીજાનું આંધળું અનુકરણ કરે, ત્યારે એ અંધશ્રદ્ધાથી વિશેષ કંઈ નથી. આવી વ્યક્તિપૂજા બેશક નિંદનીય છે. ખાસ કરીને જાહેર જીવનની કોઈ વ્યક્તિ કે જેનું દરેક કૃત્ય લોકોને વ્યાપક રીતે પ્રભાવિત કરતું હોય ત્યારે સમજણના દ્વાર બંધ કરી પૂજાને લાયક ન હોય એવી વ્યક્તિ માટે કરવામાં આવતી વ્યક્તિપૂજા આવી ના-કાબેલ વ્યક્તિના અહંનો પારો સાતમો આસમાને પહોંચાડી દેતી હોય છે, અને પોતાના સંકુચિત માનસ અને અધકચરી બૌદ્ધિકક્ષમતાના પરિણામ સ્વરૂપ એ વ્યક્તિ પોતાને ભગવાન સમકક્ષ માનવા લાગે છે અને પોતાના પ્રત્યેક કૃત્યને દૈવિક ગણવાની ધૃષ્ટતા કરી બેસતી હોય છે, જેના માઠાં પરિણામો પછીથી જનતાએ ભોગવવા પડી શકે છે. 

જાહેર જીવનમાં કોઈ પદ પર આસિન કે પછી અન્ય કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિ આખરે વ્યક્તિ છે, કંઈ ભગવાન તો નથી જ નથી, અને એ નાતે વ્યક્તિમાં અમુક અથવા કહો કે ઘણી બધી માનવસહજ ઊણપો, નબળાઈઓ અને ખામીઓ તો રહેવાની જ, અને આ ઊણપો, નબળાઈઓ અને ખામીઓને લીધે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે તે જાણે-અજાણે બીજાનું અહિત કરી શકે છે, બીજાને નુકસાન પહોંચાડી શકે છે, બીજાના જીવ જોખમમાં મૂકી શકે છે. જેમનામાં કોઈ શક્તિ, ક્ષમતા, કાબેલિયત, આવડત કે એવી વિચક્ષણ બૌદ્ધિક પ્રતિભા નથી એવી વ્યક્તિની વ્યક્તિપૂજા કરવાથી એને પોતાની ભૂલો, પોતાની નબળાઈઓ, ખામીઓ કે ઊણપો દેખાતી જ નથી. આવી વ્યક્તિ હંમેશાં એવું માનવા પ્રેરાય છે કે પોતે જ સર્વશક્તિમાન છે અને પોતાના કરતાં વધું કોઈ બુદ્ધિશાળી, સમર્થ કે તાકતવાર નથી, અને એ વ્યક્તિની આ માનસિકતા જ બીજા માટે હાનિકારક સાબિત થાય છે. સમજણ વિનાની અને વિવેકહીન વ્યક્તિપૂજાના અતિરેકમાં માનવસહજ નબળાઈઓ અને ઊણપો સામે આંખ આડા કાન કરી અથવા તો નબળાઈઓ અને ઊણપોને દૈવીગુણમાં ખપાવી વ્યક્તિના પ્રત્યેક કૃત્યને મહાન ગણી પ્રશંસાની અતિશયોકિતનો તડકો લગાવી સ્વાદિષ્ટ વાનગી તરીકે રજૂ કરી લોકોને પીરસાવામાં આવે એને અજ્ઞાનતાની (અપ્રિય શબ્દોમાં કહીએ તો મૂર્ખતા) પરાકાષ્ટા સિવાય બીજું કંઈ ન કહી શકાય! અને હદ તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિપૂજકો આવી ના-કાબેલ વ્યક્તિને મહામાનવ અથવા ભગવાન સમકક્ષ માનવા લાગે છે અને એનાથી કોઈ ભૂલ થાય જ નહિ એવી અવધારણા લોકોના મનમાં ઠસાવવા અથવા ભૂલ થઈ હોય તો એને પણ વ્યાજબી ઠરાવવા સતત પ્રયાસ કરવા લાગે છે. 

જાહેર જીવનમાં આવતી વ્યક્તિ પોતાની સ્વમરજીથી અને નિષ્કામભાવે લોકોની સેવા કરવાના ઉદ્દેશથી આવતી હોય છે. અલબત્ત જાહેર જીવનમાં પ્રવેશતી વ્યક્તિની પોતાની મહત્ત્વાકાંક્ષા હોવી એક અલગ વાત છે પણ એ મહત્ત્વાકાંક્ષા ક્યારે ય લોકહિતના ભોગે ન હોવી જોઈએ. ઉપરાંત, હવેના સમયમાં લોકોની આ કહેવાતી ‘સેવા’ કોઈ જાહેર સેવકો મફતમાં કરતા નથી. આ સેવાના બદલામાં એ ‘સેવકો’ને સારા એવા ‘મેવા’ મળતા હોય છે. ટૂંકમાં, જાહેર જીવનમાં પડેલ વ્યક્તિ જે કંઈ કાર્યો કરે છે એ સેવાનાં નામે એમના પોતાના વ્યક્તિગત ફાયદા માટે પણ હોય છે એટલે એમના ‘સેવા’નાં કાર્યો માટે એમને અનાવશ્યક રીતે બિરદાવી લોકોએ એમના કૃતજ્ઞ થવાની પણ જરૂર નથી. કેમ કે સેવાના આ કાર્યો એ એમના ખિસ્સાના પૈસે નહિ પણ પ્રજાની પરિશ્રમની કમાણીમાંથી કરે છે, અને એમને ખુદને પણ પ્રજાની કમાણીમાંથી જ અધધ ‘માનદ વેતન’ મળતું હોય છે. લોકશાહી એ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા સંતોષવાનું નહિ પરંતું જનસમૂહની આંકાક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે પોતાની ક્ષમતા, કૌવત અને કાબેલિયત પુરવાર કરવાનું સાધન છે.

વ્યક્તિપૂજા એવા લોકોની થવી જોઈએ જેઓ સદાય સામાન્ય જનસમુદાયનું ભલું વાંછતા મુઠ્ઠી ઊંચેરા માનવી છે. સામાન્ય લોકોની પીડા, વેદના, વ્યથા, હાડમારીઓ અને પરેશાનીઓને પોતાની માની છે, દેશની આમજનતાના શરીર પર વસ્ત્રો ન હોય ત્યારે જેમણે વસ્ત્રોનો ત્યાગ કર્યો છે, જેઓ આમ જનતાના દુ:ખે દુ:ખી થયા છે, જેમણે વ્યક્તિગત સુખોપભોગ અને દુન્યવી મોહમાયાને બાજુએ રાખી નિસ્વાર્થ ભાવે દેશહિત અને જનસેવા કાજ પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હોય અને જરૂર પડ્યે દેશહિત કાજ જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી છે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...49505152...607080...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved