Opinion Magazine
Number of visits: 9457123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સૈનિકો શહીદ થવા માટે જ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 July 2024

રવીન્દ્ર પારેખ

15 જુલાઇ, 2024ની રાત્રે જમ્મુના ડોડા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં એક કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા, એ સાથે એક પોલીસકર્મીનું પણ મોત થતાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા. ખરેખર તો સેના અને પોલીસને આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પહેલી વખત તો આતંકીઓ હુમલો કરીને જંગલમાં ભાગી છૂટ્યા, પણ પછી રાતના નવના સુમારે ફરી હુમલો કરતાં ભારતે 5 જીવો ખોવાના આવ્યા. એ પછી રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસે સર્ચ ઓપરેશન વધુ જલદ કર્યું, તો ય 16મી જુલાઈએ આતંકીઓ અને જવાનો વચ્ચે બે વખત સામસામા ગોળીબાર તો થયા જ ! એમાં જાનહાનિ તો ન થઈ, પણ 17 જુલાઈએ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓની ખોળખાળ ચાલી. આની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ કાશ્મીર ટાઈગર્સે સ્વીકારી ને એ આતંકી સંગઠનનો દાવો છે કે આર્મી કેપ્ટન સહિત 12 સૈનિકો માર્યા ગયા છે ને 6 ઘવાયા છે. 17મીએ પણ આતંકીઓએ કાસ્તીગઢ વિસ્તારમાં મોડી રાત્રે શાળામાં તૈયાર કરેલ અસ્થાયી સુરક્ષા કેમ્પ પર ગોળીબાર કર્યો ને સેનાએ વળતો હુમલો કરતાં આતંકીઓ ભાગી છૂટ્યા હતા, પણ સેનાએ તેમને ઘેરી લેતાં 4 કલાક સુધી સામસામા ગોળીબાર થયા હતા. 18 જુલાઈએ વહેલી સવારે વળી આતંકવાદીઓએ હુમલો કરીને 2 જવાનોને ઘાયલ કર્યા હતા.

ડોડા જિલ્લાને આમ તો 2005માં આતંકવાદ મુક્ત જાહેર કરાયો હતો, પણ છેલ્લા ત્રણેક મહિનામાં 10 આતંકવાદી હુમલા થયા છે ને અત્યાર સુધીમાં 52 જવાનો સહિત 70નાં મોત થયાં છે. એ પછી સેનાએ 7,000 જવાનો, 8 ડ્રોન અને 40 સ્નિફર ડોગથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, તે એટલે કે સુરક્ષા દળોને 24 આતંકીઓ છુપાયા હોવાના સંકેતો મળ્યા છે. આ આતંકીઓમાં ડોડાના દેસા જંગલમાં 5 જવાનોને શહીદ કરનારા આતંકીઓ પણ ખરા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે ડોડા અને કઠુઆ પાંચેક મહિનાથી આતંકવાદનું કેન્દ્ર બન્યાં છે. કઠુઆના બદનોટાથી ડોડામાં ધારીગોટે અને બગ્ગી સુધીના અઢીસો કિલોમીટરના અંતરમાં આતંકીઓ છુપાયા છે. આ વિસ્તાર પહાડી છે અને આતંકીઓ પહાડ પર ચડીને ઊંચેથી નીચે હુમલાઓ કરી શકે એમ છે. જો કે, આ વખતે સૈનિકોને પહાડો પર દારૂગોળા અને ખાદ્ય સામગ્રીઓ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

એ ખરું કે જમ્મુના આતંકીઓ વિદેશી છે ને તેઓ અદ્યતન તાલીમ લઈને આવ્યા છે. તેમની પાસે સ્ટીલની બનેલી આર્મર-પિયર્સિંગ બુલેટ્સ તથા લાઇટ વેઇટ M4 કાર્બાઈન ગન છે. આ બુલેટ્સ ને ગન અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે વાપરતા હતા. એ બુલેટ્સ અને ગન જમ્મુમાં આતંકવાદીઓ વાપરે છે, તો સવાલ થાય કે એ ગન અને બુલેટ્સ એમની પાસે આવી ક્યાંથી? અમેરિકા ભારતનું મિત્ર છે, પણ ભારત સામે વાપરવા હથિયારો તે પાકિસ્તાનને પૂરાં પાડે છે. વળી આ આતંકીઓએ તાલીમ પાકિસ્તાન આર્મી પાસેથી લીધી છે, એટલે બિનતાલીમી સ્થાનિક-કાશ્મીરી આતંકીઓ કરતાં તેમનો સામનો કરવાનું મુશ્કેલ છે, પણ ભારતીય જવાનો પણ સુસજ્જ છે, એટલે વહેલી તકે આતંકીઓનો સફાયો થઈને રહેશે એ નક્કી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ પાસેથી જરૂરી માહિતી મેળવી છે. જમ્મુ ડિવિઝનનાં ડોડામાં આ પાંચમું એન્કાઉન્ટર છે. અગાઉ 9 જુલાઈએ એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તારમાં 26 અને 12 જૂને બબ્બે હુમલાઓ થયા હતા. એ પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. તાત્પર્ય એ છે કે સર્જિકલ સ્ટ્રાઇકને બાદ કરતાં આતંકી હુમલાઓમાં ભારતે વધુ વેઠવાનું આવ્યું છે. એ કમનસીબી છે કે ભારતને પડોશી રાષ્ટ્રો શત્રુવટ રાખનારાં મળ્યાં છે. ચીનની આડાઈ, ભારતીય સરહદો સાથેની છેડછાડ, સરહદો નજીક ઊભી કરાતી વસાહતો, સરહદો પર થતાં અતિક્રમણથી ચીન સાથેના સંબંધો વણસેલા છે, તો પાકિસ્તાન બધી રીતે મરવા પડ્યું છે, પણ તેની કનડગત ઘટતી નથી. ભારત, સામેથી કદી હુમલો કરતું નથી, તે ખાનદાનીને પાકિસ્તાન ભારતની નબળાઈ માની રહ્યું છે. તે એ પણ જાણે છે કે સીધા યુદ્ધમાં તે કદી ફાવી શકે એમ નથી, એટલે સીમા  પારથી નિર્લજ્જ આતંકી હિલચાલ કરતું રહે છે.

એ ભારત માટે પણ શરમજનક છે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા પાકિસ્તાન કાશ્મીરથી જમ્મુ સુધી ઘૂસી આવ્યું છે ને પાંચેક મહિનાથી આ પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે, પણ કેન્દ્ર સરકાર તેને હળવાશથી લઈ રહી હોવાનું લાગે છે. એ બેહદ ચિંતાનો વિષય છે કે કાશ્મીરી ઘાટીઓ પૂરતી સીમિત રહેલી આતંકી ગતિવિધિ જમ્મુ સુધી વિસ્તરી છે, એટલું જ નહીં, પાંચેક મહિનામાં જમ્મુ મુખ્ય મથક પણ બન્યું છે, તે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ! લોકસભાની ચૂંટણીમાં ભારે મતદાન થયું તેવું આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ન થાય ને વાતાવરણ બગડે એવી કોઈ રમત રમાતી હોવાનું આતંકી પ્રવૃત્તિઓમાં આવેલા વેગ પરથી લાગે છે. શંકા તો એવી પણ છે કે કાશ્મીરથી જમ્મુ સુધી આતંકીઓ પહોંચવામાં સફળ થયા છે, એમાં સ્થાનિકોનો સહકાર મળી રહ્યો હોય એવી શક્યતા નકારી શકાય એમ નથી.

વાત તો એવી પણ છે કે પાકિસ્તાન પૂર્વ સૈનિકોને આતંકવાદી બનાવીને ભારતમાં મોકલી રહ્યું છે. એ સાથે જ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મામલે પણ પ્રશ્નો ઉદ્દભવે છે. નવી ટેકનોલોજી સેનામાં દાખલ કરવાની વર્ષોથી વાત ચાલે છે, પણ હજી સુધી તો એ વાતો જ છે. આટલા આતંકી હુમલા થાય એનો અર્થ જ એ કે આતંકીઓનું કોમ્યુનિકેશન પહોંચની બહાર છે. એવે વખતે કેવળ સૂત્રોથી આશ્વસ્ત થઈ શકાય નહીં, કારણ સૈનિકો યુદ્ધમાં નહીં, પણ આતંકી હુમલામાં શહીદ થઈ રહ્યા છે. સૈનિકો તો જીવ રેડીને લડી રહ્યા છે, પણ વગર યુદ્ધે વેડફાઇ રહ્યા હોય તેવું લાગે છે. યુદ્ધ વગર, યુદ્ધ જેવું મોત કયો સૈનિક ઈચ્છે?

ખરેખર તો આ છમકલાંઓનો સામનો કરવા કરતાં, ભારતે પાકિસ્તાનને પૂરી તાકાતથી પડકારીને તેની બોલતી બંધ કરવી જોઈએ, પણ સરકારની ઢીલાશ આતંકીઓને જાણ્યે અજાણ્યે છમકલાંની તક પૂરી પાડે છે, આ છમકલાં એક પણ સૈનિકનો જીવ લઈ લે એ જરા પણ પરવડવું ન જોઈએ. ભારતીય સૈન્ય આતંકીઓનો સામનો કરે જ છે, પણ હકીકત એ છે કે સૈનિકો મરે પણ છે જ ! સવાલ એ છે કે કોઈ યુદ્ધ વગર ભારતનો એક પણ સૈનિક શું કામ મરવો જોઈએ?

પાકિસ્તાન જન્મ્યું છે ત્યારથી ભારતને નડ્યું છે, ભાગલાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, ભારતે તેની સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું છે ને એને લીધે એક વડા પ્રધાન તાશ્કંદમાં ખોયો પણ છે. એ પછી પણ નાપાક પાક ઠરીને બેઠું નથી. એ ખરું કે વૈશ્વિક આતંકવાદનાં મૂળમાં પાકિસ્તાન જ છે ને થોડે થોડે વખતે આતંકી હુમલાઓ કરીને ભારતને નબળું પાડવાના બાલિશ પ્રયત્નો કરતું રહ્યું છે. કારગિલ યુદ્ધ પછી પણ તે ઢીલું પડ્યું નથી, બલકે, વધારે વિકૃત થયું છે ને હવે તે ચીનને ખોળે બેઠું છે. ચીન પણ વાયા પાકિસ્તાન શત્રુતા તો ભારત સાથે જ વધારે છે ને એ દ્વારા પણ પાકિસ્તાન, ભારતને કનડી શકતું હોય તો એ તક તે જવા દેવા તૈયાર નથી. આમ બેવડાં જોખમો પાકિસ્તાન અને ચીનનાં સામે હોય ને સરકાર વિપક્ષને પાઠ ભણાવવામાંથી જ ઊંચી ન આવતી હોય તો એ કઈ રીતે યોગ્ય છે?

આમ તો પી.ઓ.કે. (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) 1947થી ચાલી આવતી વર્ષો જૂની સમસ્યા છે, પણ 2024 છતાં એનો નિકાલ આવ્યો નથી, એ જ બતાવે છે કે સરકારનું ધ્યાન આ મામલે કેટલું છે ! મંત્રીઓ બોલ્યા કરે છે કે પી.ઓ.કે. લઈને રહીશું, પણ ક્યારે, એનો જવાબ મળતો નથી. આટલાં વર્ષમાં એનું મુહૂર્ત કેમ આવ્યું નથી એવું કોઈ પૂછતું નથી. મંત્રીઓની આતંકવાદને ખતમ કરવાની કે કચડી નાખવાની ઘણી વાતો કાન કોતરે છે, પણ વાતો, પરિણામ પણ આપે તે અપેક્ષિત છે. એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધ વગર, પી.ઓ.કે. અને આતંકી પ્રવૃત્તિઓનો અંત આવવાનો નથી. સામેથી લડવા ન જવું, પણ કોઈ હક દબાવીને બેઠું હોય કે છાશવારે કનડગત કર્યાં જ કરતું હોય ને સમજાવટથી કામ થાય એમ જ ન હોય તો પાઠ ભણાવવામાં કૈં ખોટું નથી. કરડવું નહીં, પણ ફૂંફાડો ય ન મારવો એ કાયરતા છે એ સમજી લેવાનું રહે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જુલાઈ 2024

Loading

પ્રવાસન ક્ષેત્રની હાલત કમાઉ છતાં ઓરમાન સંતાન જેવી છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 July 2024

ચંદુ મહેરિયા

પ્રવાસ, પર્યટન અને યાત્રા માનવજીવનનું અભિન્ન અંગ છે. કદાચ એટલે જ જીવ્યા કરતાં જોયું ભલું એમ આપણે કહીએ છીએ. ભારત દેશી-વિદેશી પ્રવાસીઓને ભરપૂર આકર્ષી શકે એટલી વિવિધતા ધરાવે છે. હિમાલયનો મોટો હિસ્સો ભારતમાં છે. ઘણી વિશાળ નદીઓ છે તો વિશાળ સમુદ્ર તટ છે. વિવિધતાથી ભરેલો રણ પ્રદેશ છે. પ્રાચીન સભ્યતા ધરાવતા આપણા દેશમાં કેટકેટલાં ઐતિહાસિક સ્થળો છે. યુનેસ્કોની વિશ્વ ધરોહરના ઘણાં બધાં સ્થાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે. નહેરુ જેને આઝાદ ભારતના નવાં તીર્થ સ્થળો કહેતા એવા વિશાળકાય બંધો અને ઉત્પાદન કેન્દ્રો છે. રંગબેરંગી વિવિધતાઓમાં કંઈક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થાનો, નદીઓ, ઝરણાં, પર્વતો, સંગીત, સંસ્કૃતિ, ખાનપાન, હસ્તકળા અને એવું કંઈક છે. વન્ય જીવન છે તો પહાડી અને મેદાની પ્રદેશો છે. તાજમહેલ અને કશ્મીર પછી હવે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર, ભગતસિંઘનાં જન્મ અને સ્મારક સ્થળો છે, તો ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન અને જૂની-નવી નાલંદા વિશ્વ વિદ્યાલય છે. અનેક બૌદ્ધ તથા જૈન સ્મારકો છે. બિનસાંપ્રદાયિક દેશમાં તમામ ધર્મોના મહત્ત્વનાં અને કેટલાંક વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે. ટૂંકમાં ભારત પ્રવાસન ક્ષેત્રે ખૂબ સમૃદ્ધિ ધરાવે છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઘોષિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં વિશ્વના ધનવાન દેશો મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રવાસનમાં શીર્ષ સ્થાન ધરાવતા દુનિયાના દેશો જાપાન, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સિંગાપુર છે. અનોખાં પ્રવાસન સ્થળો અને પ્રવાસીઓ માટે બહેતર સુવિધાઓનાં કારણે આ અમીર દેશો સૂચકાંકમાં મોખરે છે. ૨૦૨૪ના યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંકની ૧૧૯ દેશોની સૂચિમાં ભારત ૩૯મા ક્રમે છે. કોરોના મહામારી પૂર્વે ૨૦૧૯માં તેનું સ્થાન ૫૪મું હતું. કોરોના પછી ટુરિઝમ ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરી પ્રથમ ચાળીસમાં સ્થાન મેળવ્યું છે, તે નોંધનીય છે.

પ્રવાસન પ્રત્યેનું એકંદર સરકારી વલણ કમાઉ પણ ઓરમાન દીકરાનું છે. જો કે હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. એ દૃષ્ટિએ ભારતમાં ટુરિઝમના વિકાસની યાત્રા જોવા જેવી છે. સ્વતંત્રતા પહેલા ૧૯૪૫માં પ્રવાસનના વિકાસ માટેનો પહેલો સંગઠિત અને સચેત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓમાં પણ તેને સ્થાન મળ્યું. ૧૯૬૬માં ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી અને તેને પ્રવાસન સ્થળોએ પાયાની સગવડો ઊભી કરવાનું કામ સોંપાયું. રોજગારીનું સર્જન, આવકનો સ્રોત, વિદેશી મુદ્રા આવકની રીતે વિચારીને ૧૯૮૦ના દસકમાં પ્રવાસનને એક ઉદ્યોગના રૂપમાં ગતિ મળી. પ્રવાસન બંધારણની સમવર્તી સૂચિનો વિષય હોઈ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને સ્પર્શે છે, પરંતુ કેન્દ્રીય ધોરણે પહેલી પ્રવાસન નીતિ ૧૯૮૨માં ધડવામાં આવી હતી. વિદેશોમાં ભારતને ગૌરવશાળી અને સમૃદ્ધ અતીત ધરાવતા દેશ તરીકે સ્થાપિત કરી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પર તેમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૨થી ૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં પ્રવાસનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અંગેની યોજના ઘડાઈ હતી. ૨૦૦૨ની નેશનલ ટુરિઝમ પોલિસીમાં પ્રવાસનને આર્થિક વિકાસના ચાલક બળ તરીકે જોવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. આ જ વરસે અતુલ્ય ભારત અભિયાન હેઠળ વિશ્વમાં ભારતના પ્રવાસનનો પ્રચાર કરવામાં આવ્યો.

જો વીસમી સદીમાં પ્રવાસન વૈશ્વિક ઉદ્યોગ તરીકે સ્થાપિત થયું હતું તો એકવીસમી સદીમાં તેમાં ગતિ આવી છે. વિદેશી પર્યટકોને આકર્ષવા માટે દુનિયાના દેશોમાં રીતસરની હરીફાઈ ચાલે છે. વન્ય જીવન માટે પ્રખ્યાત કેન્યાએ આ વરસથી આખી દુનિયાના પ્રવાસીઓને વીસામાંથી મુક્તિ આપી છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકાએ ભારતીય પ્રવાસીઓને વીસા લેવામાંથી મુક્તિ આપી છે. જાપાને પણ પ્રવાસીઓ માટે વીસાની પ્રક્રિયા સરળ બનાવી છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે અપાર શક્યતાઓ રહેલી છે. હવે છેલ્લા એક દાયકાથી સરકારે પ્રવાસનના વિકાસને પ્રાથમિકતા આપી છે.

દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મોટું યોગદાન છે. ભારતના જી.ડી.પી.માં તેનો હિસ્સો ૬.૨૩ ટકા છે. તો કુલ રોજગારમાંથી ૬.૭૮ ટકા રોજગાર પ્રવાસનથી ઊભા થાય છે. ૨૦૨૧માં ટુરિઝમથી ૩૨ મિલિયન રોજગાર પેદા થયા હતા. ભારતના પ્રવાસન ઉદ્યોગથી આઠ કરોડ લોકોને સીધી કે આડકતરી રોજી મળે છે. ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક પ્રવાસો મોટા પાયે થાય છે. એટલે ધાર્મિક સ્થળોને પ્રવાસ ધામ તરીકે વિકસાવવાને પ્રાથમિકતા મળી છે. ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું છે. જો કે સરકારનું લક્ષ્ય શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પણ પ્રવાસનનો વિકાસ કરવાનો છે.

ભારતના લોકો વિદેશ પ્રવાસ કરીને અન્ય દેશોને જે આવક રળી આપે છે તેટલી આવક ભારતને  વિદેશીઓના ભારત પ્રવાસથી થતી નથી. દુનિયાના કુલ વિદેશી પ્રવાસીઓના માંડ બે ટકા જ ભારતમાં આવે છે. ૨૦૨૨માં ૨ કરોડ ભારતીયોએ વિદેશોના પ્રવાસો કર્યા હતા તેની તુલનાએ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પંચાસી લાખ જ હતા. ૨૦૨૨-૨૩માં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે આશરે ૧૩ અબજ ડોલર અને ૨૦૨૩-૨૪માં ૧૭ અબજ ડોલર ખર્ચ્યા હતા. ભારતને વિદેશી પ્રવાસીઓથી થયેલી આવક કરતાં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે ખર્ચેલાં નાણાં અનેક ગણાં વધારે છે.

ગરીબી નાબૂદી અને વંચિતોના વિકાસની દૃષ્ટિએ પણ પ્રવાસનના વિકાસનો વિચાર થવો જોઈએ. ઓછા ખર્ચનું રોકાણ અને વધુ નાણાં રળી આપતા પ્રવાસન તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ખેંચાયું છે અને તેના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. એક ગીતમાં કહેવાયું છે તેમ પાવલી લઈને પાવાગઢ જનારા ધાર્મિક યાત્રીઓ આપણે ત્યાં ઓછા નથી. રણુંજા, ચોટીલા, અંબાજી, ડાકોર નિયમિત જનારા પ્રવાસીઓ આપણી હાલની ટુરિઝમ પોલીસીમાં ક્યાં છે તેવો સવાલ રહે છે.

પ્રવાસન ક્ષેત્રે સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું શેષ છે. પૈસાવાળાઓની સાથે જ સાધારણ પ્રવાસીઓને પણ પોસાય તેવી સગવડો પ્રવાસન સ્થળોએ ઊભી થવી જોઈએ. પ્રવાસન સ્થળો ગંદા-ગોબરા ના હોય તેમ તે અતિ ભીડભાડથી મુક્ત હોય તે પણ જરૂરી છે. પ્રવાસન સ્થળોએ મ્યુઝિયમ્સ અને સંગ્રહાલયોને યોગ્ય રીતે અને વ્યવસાયી ધોરણે સ્થાપવાની જરૂર જરા ય ઓછી નથી. નિવાસ અને ભોજનની સગવડના અભાવે પ્રવાસીઓ આવતા બંધ ના થાય એટલે પ્રવાસીઓની રસરુચિનું ભોજન તથા આરામદાયક, સ્વચ્છ અને સુરક્ષિત નિવાસની પૂરતી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. ગુણવતાપૂર્ણ ભોજન અને નિવાસને પ્રવાસીઓને આકર્ષવાની ગુરુ ચાવી ગણવી જોઈએ. ખાનગી અને જાહેર પરિવહન પ્રવાસનના વિકાસની પ્રાથમિક શરત હોઈ રસ્તા, રેલ અને હવાઈ માર્ગે પ્રવાસન સ્થળને જોડવા પડશે. એ જ રીતે ઘણાં પ્રવાસન સ્થળો પર ઋતુઓની અસર થાય છે અને વિપરિત ઋતુમાં પ્રવાસીઓ ઘટે છે તે  અડચણ દૂર કરવાની જરૂર છે.

વર્તમાન દાયકાના અંતે ભારત ટુરિઝમ ઈકોનોમીને દૃઢ કરી વિદેશી પ્રવાસીઓ પાસેથી ૫૬ અબજ ડોલર અને આઝાદીના શતાબ્દી વરસે ૨૦૪૭માં ૧ લાખ કરોડ ડોલર મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. તેને સાકાર કરવા અનેક દિશાએથી પ્રયાસો કરવા પડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગુજરાતી બાળકો શીખશે ‘અ’ અહિંસાનો ‘અ’

ગૌરાંગ જાની|Gandhiana|18 July 2024

પુસ્તક :  ‘અ’ અહિંસાનો ‘અ’—જીવનશિક્ષણની આનંદપોથી

પ્રકાશક : સાબરમતી ગાંધી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (SAPMT) તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) • પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદન : કેતન રૂપેરા • પ્રકલ્પ-નિયામક અને પરામર્શન : અતુલ પંડ્યા • સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ (સચિત્ર) : 2024, સાઇઝ : 6.7” x 9.4” • ISBN : 978-93-84233-93-8 •  પૃષ્ઠ 72 • ₹ 250

-.-.-.-

અખબારનાં પાનાં ખોલો કે ટી.વી.ના ફટાફટ સમાચાર જુઓ, હિંસાના અનેક બનાવો આપણી નજર પાસેથી પસાર થઈ જાય છે. ઉત્તરોતર એમાં વધારો થતો જ રહે છે. વળી, છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વ યુદ્ધોથી ઘેરાયેલું છે. તેમાં હજારો બાળકોએ જીવ ગુમાવ્યાં છે. હિંસા આપણને જાણે કોઠે પડી ગઈ છે. ધર્મો વચ્ચેનું વૈમનસ્ય પણ એક હિંસા છે. આપણા પરિવારો તેમાંથી મુક્ત નથી. ભારતમાં ઘરેલુ હિંસાને નિયંત્રિત કરવા પણ કાનૂન બનાવવો પડ્યો. નૅશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના પ્રતિવર્ષ આંકડા જોઈ જુઓ તો સમજાશે કે શું આપણે એ જ દેશમાં રહીએ છીએ જ્યાંથી વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ્‌’નું સૂત્ર મળ્યું! હિંસાથી ઘેરાયેલો સમાજ તેનાં બાળકોનું બાળપણ છીનવી લે છે. બાળકો પણ આ બધું જુએ છે, અનુભવે છે.

આવતીકાલના નાગરિકોનો ઉછેર જો હિંસાની વચ્ચે થાય તો ભવિષ્ય કેવું હશે?! આ સમસ્યા અને પીડાનો ઉત્તર વિશ્વના તમામ ધર્મોએ આપ્યો છે. ‘અહિંસા પરમો ધર્મ’નું સદીઓ પુરાણું વૈશ્વિક મૂલ્ય વીસમી સદીમાં મહાત્મા ગાંધીએ તેમના વિચાર અને આચાર દ્વારા સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો અને વિશ્વએ તેને અપનાવ્યો પણ ખરો.

ગાંધીજી ‘કેળવણી’નો એક અર્થ ‘ખીલવણી’ પણ કરતા. હિંસા અને યુદ્ધગ્રસ્ત કુટુંબથી લઈને સમાજના ધૂંધળા દેખાતા ભવિષ્યના આ સંજોગોમાં હિંસામુક્ત સમાજની રચના અર્થે બાળકોની ખીલવણીના ગાળામાં જ કક્કાવારીનો પ્રથમ અક્ષર ‘અ’ અહિંસાનો હોય તો? આ વિચારનું બીજ ગાંધી આશ્રમ-અમદાવાદમાં રોપાયું અને પછી તેમાંથી સર્જાઈ‌ ‘અ અહિંસાનો અ— જીવન શિક્ષણની આનંદપોથી’. ધોરણ ૬થી ૮માં ભણતાં બાળકોમાં રમતાં રમતાં અહિંસાનાં ગુણો કેળવાય એ માટેની પ્રવૃત્તિ પુસ્તિકા. રમતના આનંદ સાથે અહિંસાની તાલીમ આપતી ૭૨ પૃષ્ઠની આ આનંદપોથી તૈયાર કરી છે ગુજરાતની બે અગ્રગણ્ય સંસ્થાઓએ—સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT) અને સેન્ટર ફોર ઍન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE).

બાળકોને  જીવનશિક્ષણ આપતી પોથી કેવી રીતે તૈયાર થઈ તેની પૃષ્ઠભૂમિ સમજીએ. ‘બા-બાપુ ૧૫૦’નાં વર્ષ, ૨૦૧૯માં સાબરમતી આશ્રમ અને સી.ઈ.ઈ. દ્વારા અહિંસાની કેળવણી /Learning Non- Violence કાર્યક્રમ શરૂ થયો. તેનું વિચારબીજ રોપ્યું હતું ગુજરાતના ત્રણ અગ્રણીઓ પીયૂષ દેસાઈ, કાર્તિકેય સારાભાઈ અને ત્રિદીપ સુહૃદે. પુસ્તિકા-નિર્માણ અને કાર્યક્રમ-અમલીકરણમાં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાતની અનેક સંસ્થાઓનો સહયોગ મળતો રહ્યો. ગુજરાતની વિવિધ 16 શૈક્ષણિક સંસ્થાઓ અને એના થકી કુલ 300 શાળાના વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમ અમલી રહ્યો. કાર્યક્રમ સંસ્થાઓ અને તેનાં શિક્ષકો તરફથી એટલો આવકાર ને પ્રશંસા પામ્યો કે પ્રવૃત્તિ-પુસ્તિકાની બીજી આવૃત્તિ પણ તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પહેલી આવૃત્તિ(2021)માં પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદનની જવાબદારી સંભાળનાર ગાંધીવિચાર-આચારના અભ્યાસી કેતન રૂપેરાનો બીજી આવૃત્તિ(2024)ની સજાવટમાં પણ કસબ રહ્યો છે. સમગ્ર પ્રકલ્પના નિયામક અને પરામર્શક અતુલ પંડ્યા પ્રસ્તાવનામાં જણાવે છે, “પરિવર્તનની પહેલ પોતાના થકી કરવાની શ્રદ્ધા સાથે આ પુસ્તિકાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે હિંસા – અહિંસાના પ્રત્યક્ષ – પરોક્ષ પ્રકારની સમજણ સાથે રમતાં રમતાં જ બાળકોમાં અહિંસાનું આચરણ દૃઢ થાય એ આનંદપોથીનો ઉદ્દેશ છે.”

પુસ્તિકામાં કુલ 24 પ્રવૃત્તિઓ છે. દરેક પ્રવૃતિના આરંભે તેનો ઉદ્દેશ, પ્રવૃત્તિ ક્યાં કરવી એ સ્થળ, પ્રવૃત્તિમાં જોડી શકાય એટલા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે જૂથનું કદ, પ્રવૃત્તિનો સમયગાળો, જરૂરી સામગ્રી અને આ પ્રવૃત્તિ દ્વારા કયું કૌશલ્ય કેળવાય છે, તે વિશે શરૂઆતમાં સમજ આપવામાં આવી છે. ઉદાહરણ રૂપે જોઈએ તો ‘હિંસાને ઓળખીએ’ પ્રવૃત્તિ શા માટે કરાવવામાં આવી છે તેની સમજ, હિંસાના સ્વરૂપ અને પ્રકારો, પ્રવૃત્તિ અને અંતે ચર્ચા એમ તબક્કાવાર રજૂઆત કરવામાં આવી છે.

હિંસા અનેક રીતે અને અનેક પ્રકારે બાળકો સામે આવે છે. પોતાના ધર્મ કે જ્ઞાતિ કે પ્રદેશ ને કેન્દ્રમાં રાખી મોટેરાઓ માન્યતાઓ અને જડ વલણ ધરાવે અને તેમાંથી શાબ્દિક હિંસાથી શરૂ કરી હુલ્લડો સુધી હિંસા ફેલાય છે. આ વાતાવરણમાં બાળકોને સમજ આપવા ‘તમે પણ સાચા હોઇ શકો’ એવી પ્રવૃત્તિમાં હાથી અને અંધ વ્યક્તિઓનું જાણીતું ઉદાહરણ બાળકો સમક્ષ રજૂ કરી સદ્દભાવના વિકસાવવાનો હેતુ આ પુસ્તિકામાં છે. પૂર્વગ્રહ પણ હિંસા તરફ લઈ જાય છે. આ સ્થિતિમાં પૂર્વગ્રહો કેવી રીતે જન્મે અને તેના શા પરિણામ આવે તેની સમજણ કેળવવા બાળકોને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. વર્ગખંડ અને તેની બહાર પણ વિવિધ પ્રવૃતિઓ થઈ શકે અને તે માટે પેન્સિલ, કાગળ, છાપાં, કાતર જેવી શાળામાં હાથવગી વસ્તુઓ જ જરૂરી છે તે તમામ પ્રવૃત્તિમાં દર્શાવાયું છે.

આ પુસ્તકની બે મહત્ત્વની વિશેષતા છે: પ્રથમ છે તમામ પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એમનામાં અહિંસાના ગુણો કેળવવાના છે એવી કોઈ જ આગોતરી વાતો કર્યા વગર કરવાની છે.  બીજી વિશેષતા એ છે કે તેમાં બાળકો સાથે જ પ્રશ્નો અને વાર્તાલાપ કરીને એમની પાસેથી જ તેના ઉત્તર મેળવવામાં આવ્યા છે, આમ સમસ્યાના ઉકેલ માટે સામૂહિક ડહાપણ તેનું માધ્યમ બને, સમૂહભાવના આપ મેળે કેળવાય એવી રીત અપનાવવામાં આવી છે.

સમજણની રીતે આ 24 પ્રવૃત્તિઓને આઠ આઠના ત્રણ વિભાગ—જાત વિશે, સમાજ અને પર્યાવરણ વિશે તથા જાતને યોગ્ય દિશામાં દોરી જવા વિશે—માં વહેંચવામાં આવી છે. પ્રવૃતિઓમાંની કેટલીક આ પ્રમાણે છે.

·       મારી કલ્પનાનું વિશ્વ

·       માન્યતા કે મૂલ્ય?

·       હકીકત કે મંતવ્ય?

·       પૂર્વગ્રહ 

·       હિંસા શું છે 

·       વિવિધતામાં એકતા 

·       તમે પણ સાચા હોઈ શકો

·       ટાઇમ પ્લીઝ 

·       ઝઘડાનો ઉકેલ

·       મારી કલ્પનાનું વિશ્વ – મારી જવાબદારી, મારી પહેલ

સી.ઈ.ઈ.ના કાર્યકરો દ્વારા જમીની સ્તરે અમલી આ કાર્યક્રમના પ્રારંભે એફ.ડી. હાઇસ્કૂલ-અમદાવાદ, કુમકુમ વિદ્યાલય-અમદાવાદ, સી એન વિદ્યાલય-અમદાવાદ, સંત કબીર સ્કૂલ-અમદાવાદ, અરવિંદ ફાઉન્ડેશન-અમદાવાદ, ગ્રામશિલ્પી (શંખેશ્વર અને જંબુસર), દીનબંધુ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, પેઢામલી (વિજાપુર), નિયો રાજકોટ ફાઉન્ડેશન-રાજકોટ, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ-સણોસરા, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ખોબા (ધરમપુર), શારદા ટ્રસ્ટ-અમદાવાદ, શૈશવ-ભાવનગર, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ-સાયલા, શ્રી વિવેકાનંદ રિસર્ચ અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ-માંડવી (કચ્છ), સર્વાંગી વિકાસ ટ્રસ્ટ-કરૂઠા અને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, અમદાવાદ વગરે 16 સંસ્થાઓ જોડાઈ હતી, એ પણ આવા નવીન પ્રયોગમાં આ સંસ્થાઓનો વિશ્વાસ સૂચવે છે.

ભારતની નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં “સારા વ્યક્તિત્વને વિકસાવવાનો છે કે જેઓ તર્કસંગત વિચાર અને કાર્ય કરવામાં સક્ષમ હોય, તેમનામાં કરુણા અને સહાનૂભુતિ હોય, સાહસિક અને અડગ હોય, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક કલ્પનાશક્તિ હોય, નૈતિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠા હોય અને આ સર્વે મૂલ્યો તેમના વ્યક્તિત્વના પાયામાં હોય. આનો ઉદ્દેશ્ય એવા કર્મઠ લોકોને તૈયાર કરવાનો છે કે જેઓ આપણા બંધારણ દ્વારા સૂચિત સમાવેશી અને વૈવિધ્યસભર સમાજના નિર્માણમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી શકે.” આ બાબતનો પણ પ્રકાશકીયમાં નિર્દેશ છે. ગાંધીમાર્ગના જીવનશિક્ષણની આ આનંદપોથી તે ઉદ્દેશ પરિપૂર્ણ કરશે એવું તત્ત્વ એમાં અનુભવાઈ રહ્યું છે.

Email : gaurang_jani@hotmail.com

-.-.-.-

(સાભાર સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જુલાઈ 2024)

Loading

...102030...495496497498...510520530...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved